શનિવાર, 6 જુલાઈ, 2013

સંસ્કૃતિનો આભાસ - દેવદત્ત પટ્ટનાઇક

કોણ જાણે કેમ પણ, જેની ઓળખ શક્ય જણાય તેવાં રહસ્યની સાથે કામ પાડવું સરળ જણાતું હોય છે

જ્યારે જ્યારે પુરાતત્વશાસ્ત્રીઓને માનવ વસાહતો મળી આવે છે, ત્યારે અચૂકપણે, તેમાં  સાવ ઉપયોગી પણ ન હોય કે માત્ર દેખાવમાં સુંદર હોય એવા કેટલાય નમુનાઓ પણ  જોવા મળતા હોય છે. આમાં જુદી જુદી વિધિવિધાનોને લગતાં દોરાધાગા, તાવીજ, હવનની કુડીઓ, મંદિરો અને કબરો જેવી વસ્તુઓ પણ હોય છે. બહારનાં લોકો માટે આ બધું સાવ અસંબધ્ધ હોય છે, પણ તે સમાજના લોકો માટે તે બધાં ગહન માન્યતાની નિશાનીઓ છે, જેના વડે તેઓ જીવનની વાસ્તવિકતાઓ સાથે સંધર્ષ કરી શકે છે.
તાર્કીક ખુલાસાઓની મદદથી પથ્થર યુગનાં ગુફાચિત્રો, કાંસા યુગની દફનની જગ્યાઓ, વિનસની પ્રાગૈતિહાસિક પુતળીઓ, ઇજીપ્તનાં મમીઓ, ઍઝટેક પિરામીડો, સ્ટૉનહેન્ગ, સર્પના ટીંબા અને ઑસ્ટ્રેલીયાની આદિ-પથ્થર કળાઓની પાછળ અપાયેલો સમય અને મહેનત સમજાવવાં મુશ્કેલ છે.  મોટા ભાગે તેમનાં રહયો અને મહિમાઓને સમજવામાં પરંપરાગત પૌરાણિક કથાઓ જ ઉપયોગી નીવડે છે.
સંસ્કૃતિને એક પ્રકારના ઉન્માદની જરૂર પડતી હોય છે.સંસ્કૃતિને કોઇ એક કારણ હોય છે, ઇતિહાસને એક દિશા હોય છે, દરેક ઘટનાનું કોઇ ચોક્કસ કારણ હોય છેદરેક વ્યક્તિનું એક મૂલ્ય હોય છે - એમ માનવું તે આપણી જરૂરીયાત છે. આધુનીક રાષ્ટ્રવાદી વાર્તાલાપ એ આનું ઉદાહરણ છે. અને તે પછીથી જેવું એક વાવાઝોડું કે એક પૂર કે એક ભૂકંપ આવે છે અને બધું જ હતું ન  હતું થઇ જાય છે. રાજપાટ હોય કે ગણપ્રજાસત્તાક રાજ્યો હોય, પુરમાં ડૂબી જાય છે. કુદરતના પ્રકોપ સામે કોઇ જ ટકી નથી શકતું. જ્યારે ધરતી આગ ઓકે છે, ત્યારે ભૂંડ હોય કે પુજારી, બન્ને ભડથું જ થાય છે.
કુદરતની વાસ્તવિકતા, બીનવ્યક્તિગતતા અને દ્વિધાની સામે ટકી રહેવ માટે લોકો પૌરાણિક કથાઓનો આશરો લે છે. પૌરાણિક કથા-સર્જન બીનવ્યક્તિગત ઘટનાઓને નૈતિક કે મૂલ્યનાં કારણોની, અને અનામ વાતાવરણને એક વ્યક્તિત્વની, ઓળખ આપે છે. કુદરત એ હવે પ્રકૃતિ બની રહે છે, પિતા આકાશમાં રહે છે, દૈત્ય માંદગીઓ અને મૃત્યુના વાહક બની જાય છે. કોણ જાણે કેમ પણ, જેની ઓળખ શક્ય જણાય તેવાં રહસ્યની સાથે કામ પાડવું સરળ જણાતું હોય છે.
આપણી અંદર, અને આસપાસ, વસતી કુદરત એ આખરી વાસ્તવિકતા છે.કુદરતથી આપણે પીછો નથી છોડાવી શકવાના. તેની પાસે આપણે લાચાર છીએ.કુદરતની જીવન સંવારવાની કે નષ્ટ કરી શકવાની અકલ્પનીય શક્તિની સામે આપણે નરમ, ઢીલા ધેંસ થઇ રહેવનો વારો જ આવે છે.કુદરતનાં શાશ્વત તથ્યને પહોંચી વળવા માટે આપણી પાસે ત્રણ જ માર્ગ રહે છે - તેની સામે લડો, પીઠ બતાવીને ભાગી છૂટો કે થીજી જાઓ. કોઇ પણ માર્ગ યોગ્ય તો છે જ, જો ટકી જવું હશે, તો કોઇ એકને અપનાવે જ છૂટકો છે.
કુદરતની સામે જે બાથ ભીડે છે તેને કુદરતનાં બળને નાથી શકવાના, નિયંત્રીત કરી શકવાના કે તેના પર વિજય મેળવવાના (એટલે કે પોતાની તરફેણમાં તેને વાળી શકવાના) માર્ગ પણ મળી રહેતા દેખાય છે. જે તેનાથી ભાગી છૂટે છે તેને તેમાં સત્ય કારણોથી આધા રહેવાનો મોહક ભ્રમ -માયાથી દૂર રહેવું -થતો રહે છે.  જે થીજી જાય છે તે કુદરતને આગવી સમજશક્તિવાળી એક અજ્ઞાત શક્તિ સ્વરૂપે (તેના પ્રવાહમાં જ વહેવું રહ્યું), કે એવી અતિમાનુષી શક્તિના પ્રભાવ હેઠળનાં અનામ પરિબળ (યાચના કે પ્રાર્થનાવડે જ ઘટનાઓઅને પોતાની તરફેણમાં લાવવી), તરીકે જૂએ છે.આ કલ્પના એટલે પૌરાણિક કથાઓનું સર્જન.આ સભાન પ્રક્રિયા છે કે અબોધ તે કહી શકાય તેમ નથી. પણ તેનાથી સંવેદનશીલતાને વાસ્તવિકતા સામે ટકી રહેવાનું બળ મળે છે, એ માનવીય બની રહે છે.
*      સનડે, મિડડે ની 'દેવલોક' પૂર્તિમાં એપ્રિલ ૨૧, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, Delusion of culture,  લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુન ૩, ૨૦૧૩ના રોજ Articles, Indian Mythology, Modern Mythmaking, Myth Theory, World Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
·        અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   જુલાઇ ૬, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો