અમેરિકામાં જે રીતે સંચાલનના પાઠ વિષે શીખવાડવામાં આવે છે તે યુરોપીઅન
મહાવિદ્યાલયોમાં શિખવાડાતાં સંચાલન શિક્ષણ (કે પ્રશિક્ષણ) કરતાં સાવ અલગ પડે છે.
પરંતુ મોટા ભાગે, ચારે બાજૂ અમેરિકામાં જ ભણેલા સંચાલકો ફેલાયેલા
છે, અને સંચાલનના વિષયને લગતાં સાહિત્યમાં અમેરિકાનાં વિશ્વ
વિદ્યાલયોના પ્રધ્યાપકોનો પ્રભાવ વધારે રહ્યો છે, તેથી આ તફાવત ખાસ નજરે નથી ચડતો. અમેરિકન મુખ્ય સંચાલકને પોતાના સમતાવાદી
સ્વભાવને બતાવવાની હોંશ થતી રહે છે. પોતાની કાર તે જાતે ચલાવશે કે પોતાના નળ અને
પાઇપલાઇનનાં કામો તે જાતે જ કરશે. યુરોપમાં, અમેરીકનો જેને સામંતશાહી ગણાવે છે તેવી, અધિશ્રેણીક અને ભદ્રલોકવાદી વ્યવસ્થા વધારે
જોવા મળે છે.
આ તફાવતનાં મૂળિયાં આ બંને પ્રદેશોમાં વધારે
પ્રચલિત ફિલસૂફીમાં જોઇ શકાય છે.યુરોપ રાજાઓ, કિલ્લાઓ
અને સંસ્થાનવાદીઓનો પ્રદેશ રહ્યો છે. મુક્ત રાજ્યવ્યવસ્થા અને લોકશાહી ગણતંત્ર વ્યવસ્થા અપનાવીને
અમેરીકાએ પહેલ વહેલીવાર આ વ્યવસ્થાને પડકારી. યુરોપ કૃષિપ્રધાન અર્થતંત્ર પર વધારે
નિર્ભર રહેલ છે, જ્યારે અમેરીકા ઔદ્યોગીક અને તકનીકતંત્રવાદી
ક્રાંતિની મોખરે રહ્યું. જેને પરિણામે, અમેરીકન
સંચાલન સિદ્ધાંતોની ફિલસૂફી અમેરીકાનાં વિશ્વદર્શનમાં પણ પડઘાતી જણાય છે. આમ સંસ્થાની અધિશ્રેણીને
બદલે 'સહયોગ', 'સમુહ્યકામ' કે 'આધારક કોષ્ટક'જેવા શબ્દોને પ્રાધાન્ય મળતું જણાય છે.
અમેરીકાની નજરમાં અતિ-સામંતશાહી, લગભગ ભૂખ્યાં વરૂના ટોળા જેમ વર્તતા, ભારતનાં વ્યાપાર કુટુંબોમાં કોઇ જ ભલીવાર નથી.
આજનાં વિશ્વ રાજકારણ કે અર્થકારણમાં ભલે
સામંતશાહી વ્યવસ્થાને નામે ભવાં ચઢી જતાં હોય, પણ
આધિપત્યની માનવીય વૃત્તિનું અધોમૂલ્યન કરી શકાય તેમ પણ નથી. આધિપત્ય નવાં નવાં
સ્વરૂપ લેતું રહે છે.
આધિપત્યનાં સહુથી વધારે પ્રચલિત પ્રતિક છે
હોદ્દાઓ અને હોદ્દાઓની બિરાજમાન કક્ષાઓ. એટલે કાર્યપાલક પિરામિડને
છેક તળિયે બેસે અને નિયામક સહુથી ઉંચે.અનુભવ, કૌશલ્ય
કે જવાબદારીના આધાર પર વર્ચસ્વ ની થતી વ્યવસ્થા વિષે તો સમજી શકાય.વળી આ તફાવતોના આધારે
દરમાયા, સવલતો, સ્ટૉક
ઑપ્શન્સ,
પાર્કીંગ માટેની જગ્યા, અવરજવર માટે કાર્ડ્સ વાપરવાની વ્યવસ્થા, ઘરની ફાળવણી, ઉચ્ચ
શ્રેણીમાં મુસાફરી કરી શકાય કે કેમ જેવાં વર્ચસ્વનાં અન્ય સ્વરૂપો પણ પ્રચલિત છે.
આ વ્યવસ્થાઓને સામંતશાહી ન કહીએ, પરંતુ
મનુષ્યની હરોળમાં સહુથી આગળ રહેવાની અદમ્ય ઇચ્છાને તો તે જરૂર સંતોશે છે. આમાં સમતાવાદ ક્યાંય
દૃષ્ટિગોચર નથી થતો.
વેચાણમાં અધિશ્રેણીઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે.
બ્રાંડની કક્ષા અને કિંમતનું સ્તર હરોળમાંના ક્રમને નક્કી કરવામાં સક્રિય ફાળો આપે
છે. કોને
પરવડે છે,
કોઇ એક ખાસ પેદાશની આગવી ક્લબમાં કોણ કોણ સભ્ય
છે વગેરે બાબતો વ્યક્તિના સામાજિક મોભાને નક્કી કરતાં હોય છે. આમ જે કોઇ સંસ્થાઓ
સંસ્થાકીય અધિશ્રેણીઓને નથી માનતી તે બજાર અધિશ્રેણીઓની પાછળ કરોડો રૂપિયા ખર્ચી
કાઢે છે. જેમનાં ખીસ્સાંને ન પરવડે તેવાંઓ માટે સામાન્ય વસ્તુઓનાં બજારો હોય અને
જેમનાં ખીસ્સાં ભાર ખમી શકે તેમ છે તેવાં થોડાં લોકોની પસંદીદા બ્રાંડ્સ માટે
વિશિષ્ટ સ્ટૉર્સ હોય. દરેક જાહેરાતનો મકસદ ગ્રાહકને અધિશ્રેણીની ઊંચેરી સીડી ચડવા
માટે મનાવતાં રહેવાનો હોય છે.
ગ્રાહક સેવા અને બ્રાંડ વફાદારી કાર્યક્રમોમાં
પણ અધિશ્રેણીનું મહત્વ દેખાઇ જ આવતું હોય છે. જો તમે એ ઍરલાઇનના વારંવાર મુસાફરી
કરતા ગ્રાહકોમાટેનો કાર્ડ ધરાવતાં હો તો તમને ખાસ સગવડો આપવામાં આવી શકે છે. તેમાં
પણ વળી રજત,
સુવર્ણ ,પ્લેટીનમ
જેવી વધારાની અધિશ્રેણીઓ પણ હોય છે. દરેકનું લક્ષ્ય હોય - બ્રાહ્મણ પત્રિકા
-પ્લેટીનમ કાર્ડના ધારક થવું, જેથી
બીજાં કોઇને જે સેવાઓ ઉપલબ્ધ ન હોય તેવી આગવી સેવાઓ મેળવવાનો વિશેષાધિકાર
પ્રસ્થાપિત થાય. ટોળાંમાથી અલગ તરી આવવું, ખાસ કે
આગવું બનવું એ દરેક મનુષ્યની મનીષા હોય જ છે. આપણે તેને વિભાગીય સ્તરીયકરણ કે
લક્ષ્યસ્તરીયકરણ જેવાં નામોથી અલગ પહેચાન આપીએ છીએ, પણ તેનાં મૂળભૂત સ્વરૂપે તો તેમને મુડીવાદ-પ્રમાણીત
સામંતશાહીનો નવો અવતાર કહી શકાય.
ET ની કૉપોરેટ ડૉસ્સીયર પૂર્તિમાં ઑક્ટોબર ૧૮, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v અસલ અંગ્રેજી લેખ, The imagined
absence of feudalism,
લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑક્ટોબર ૩૧, ૨૦૧૩ના રોજ Leadership • World Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ
થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી ૦૩, ૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો