ગુરુવાર, 21 ઑગસ્ટ, 2014

ખરૂં રામરાજ્ય - દેવદત્ત પટ્ટનાઇક

clip_image003એક વાર મેં એક હિજડાને પૂછ્યું કે તેમની જાતિમાં સૌથી પવિત્ર કથા કઇ મનાય છે. જવાબમાં તેણે આ કથા કહી:

૧૪ વર્ષના વનવાસ પછી પાછા ફરતી વખતે રામે અયોધ્યાનાં પ્રવેશદ્વાર પાસે હિજડાઓને જોયા. તેમણે પૂછ્યું કે તેઓ અંદર રહેવાને બદલે બહાર કેમ ઊભા છે. જવાબમાં હિજડાઓએ કહ્યું, 'તમને યાદ છે ને કે, વનવાસ પર જતી વખતે અયોધ્યાવાસીઓ તમારી સાથે આવવા માગતાં હતાં. તમે પુરુષ વર્ગને પાછા જવા કહ્યું. તે જ રીતે તમે સ્ત્રી વર્ગને પણ પાછા જવા કહ્યું. પણ અમે તો નથી પુરુષ કે નથી સ્ત્રી. આમ અમારે શું કરવું તે કહેવાનું તમે ભૂલી ગયા. એટલે અમે પાછા ગયા નહીં, અને તમે પાછા આવીને અમારે શું કરવાનું એ કહો તેની રાહ જોઇ રહ્યા છીએ." પોતાની આ શરતચૂકથી રામને બહુ દુઃખ થયું. અજાણતાં જ તેમણે હિજડાઓને પણ દેશનિકાલની હાલતની પીડા સહન કરવાની સ્થિતિમાં મૂકી દીધા હતા. તેઓ તેમને ભેટ્યા, તેમને લાગણીથી નવરાવી દીધા, દુનિયાનાં બધાં સુખો અને સ્વર્ગીય આનંદો તેમને પૂરાં પાડવાનાં વચનો આપ્યાં અને પોતાની સાથે અયોધ્યામાં પાછા લઇ આવ્યા.

તરછોડાઇ જવાના વિષાદ અને સમાવેશ થવાની આશાની આ કહાની નૃવંશશાત્રી સેરેના નંદાનાં હિજડાઓ પરનાં પુસ્તકમાં પણ જોવા મળે છે. જો કે તેને કોઇ વૈધાનિક પુરાવો હોય તેવું જોવા નથી મળતું. હાંસિયાના કોરાણે મુકાઇ ચૂકેલ કોઇ એક સમુદાયે, માન્યતા મેળવવા સારૂ કરીને ઉપજાવી કાઢેલ આ વાત હશે એમ પણ દલીલ કરી શકાય. પણ પૌરાણિક કથાઓનો તો આ જ તો ઉદેશ્ય હોય છે. એ બધાં એવાં પારસ્પારીક, વસ્તુનિષ્ઠ સત્યો હોય છે જે કોઇ એક સમુદાય કે તેમની પરંપરાઓ કે તેમની માન્યતાઓને પુષ્ટિ કરતાં હોય છે.

રામે તો હિજડાઓને અયોધ્યામાં સમાવી લીધા, પણ ભારતનું સાંપ્રત ગણતંત્ર તેમને સમાવે છે ખરૂં ? હિજડાઓ તેમને પોતાને તો ત્રીજી , નાન્યતર, જાતિ સમજે છે, પણ તેમના પાસપોર્ટ શું કહે છે ? તેમને એક યા બીજી જાતિમાં જ વર્ગીકૃત થવાની ફરજ શા માટે પાડવી જોઇએ ?અને એમ કરવાથી હિજડાઓની યૌન ક્રિયાઓને આપણે સ્વાભાવિક કે કૃત્રિમ ગણીએ છીએ કે કાયદેસર કે ગેરકાયદેસર કે ગુન્હાહીત ગણીએ છીએ?

IPCની કલમ ૩૭૭ને માન્ય ઠરાવતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો માત્ર સમલૈંગિક પુરુષ કે સ્ત્રી કે ઉભયલિંગી કે અન્ય જાતિની માનસિકતા ધરાવતા વર્ગ માટે જ નથી. એ કોઇ પણ પ્રકારના તથાકથિત હક્કો ધરાવતા અસ્વાભાવિક જાતીય માનસિકતા ધરાવતા, બહુ જ નાની લઘુમતિના દરેક વર્ગને લાગુ પડે છે. તો આમ વળી, જનનાંગો સિવાય પ્રેમની અભિવ્યક્તિ કરનાર 'સામાન્ય જાતીય મનોવૃત્તિ'ને પણ તે લાગુ પડે છે. બે સહમત પુખ્ત વયની આટલી અંગત વાતનું પણ કોઇ આ હદે નિયમન કરવા માગે તે કમકમાં પેદા કરતી વાત પણ જરૂર લાગે.

આ અપ્રિય ગણાયેલ ચુકાદામાં વપરાયેલ 'અકુદરતી' શબ્દ ભારતમાં અંગ્રેજો લઇ આવ્યા. તેનો અર્થ 'અસામાન્ય' કે 'સંસ્કારગત અસ્વીકાર્ય' ગણીને આપણે સ્વતંત્ર ભારતનાં શબ્દભંડોળમાં તેને સમાવી લીધો. પરંતુ બીજાં જે નથી જોઇ શકતાં તે જોઇ શકતા ઋષિઓએ તો પુરાણ કાળમાં પ્રકૃતિ (કુદરતી / સ્વાભાવિક) અને સંસ્કૃતિ (સંસ્કાર / સભ્યતા) વચ્ચે બહુ સ્પષ્ટ ભેદ પાડેલ જ છે.

કુદરત તો મત્સ્ય ન્યાય મુજબ ચાલે છે. તે મુજબ મોટી માછલી નાની માછલીને ગળી જાય તે કુદરતી ન્યાય ગણાય. આને થોડા વધારે સખત શબ્દોમાં જંગલનો કાયદો પણ કહી શકાય જ્યાં જે બળીયું છે તે જ ટકી શકે છે.

જંગલના કાયદાની અસ્વીકૃતિ પેટે સભ્યતાનો જન્મ થયો. સભ્યતા એવા કાયદાઓ કે નિયમનો કે પરંપરાઓ ઘડે છે જે નબળાંને મદદરૂપ બને, તેમને બળીયાંની સામે હક્કો આપે, અક્ષમને પણ ક્ષમતાવાળાં લોકોની સામે કંઇક રક્ષણ પૂરૂં પાડે. આમ કરવું એ માનવ ધર્મ (પ્રછન્ન શક્તિ, ક્ષમતા કે સામર્થ્ય)કહેવાય છે.

મનુષ્ય એ બહુ ખાસ પ્રકારનું પ્રાણી છે. તેની પાસે મન છે, એટલે તે માનવ કહેવાય છે. માનવ મનમાં વિકાસ (સંસ્કૃતમાં જેને બ્રહ્મ કહે છે)ની બહુ જ શકયતાઓ પડેલ છે.આમ દરેક મનુષ્યમાં વ્યક્તિગત, વસ્તુલક્ષી માનસિક વાસ્તવિકતા - બ્રહ્માંડ-માં વસતો બ્રહ્મા રહેલ છે. 'બ્રહ્મનાં આ બીજ’માં લોકોને સમાવી પણ લેવાય કે તેમને બાકાત પણ કરી શકાય. આમાંની લાગુ પડતી શક્યતા મુજબ બ્રહ્મા કોઇનાં રક્ષણ માટે કાયદા બનાવે તો કોઇ કાયદા કોઇને રક્ષણ ન આપે તેમ પણ બને. બ્રહ્માનાં બ્રહ્માંડની જેમ જ સંસ્કૃતિનું પણ છે. માનસ સ્થિતિસ્થાપક હોવાને કારણે, ડહાપણના વિકાસની સાથે બ્રહ્માંડનો પણ વિકાસ થાય છે, જેને પરિણામે નિપજતી સંસ્કૃતિ વધારે ને વધારે સમાવિષ્ટ બનતી જાય છે.

શિવ પુરાણમાં, દક્ષનાં સર્વસામાન્ય વર્તણૂકના ખ્યાલ સાથે મેળ ન પડવાને કારણે શિવની સંસ્કૃતિમાં દક્ષનો સમાવેશ ન થઇ શકતો હોવાને કારણે શિવ દક્ષનો શિરચ્છેદ કરી નાખે છે. દક્ષનાં મનુષ્ય માથાંને બદલે બકરાનું માથું બેસાડી દઇને તેનાં મનુષ્યત્વના હ્રાસની યાદ અપાવતા રહે છે.

શિવને તો અરધા સ્ત્રી તરીકે અર્ધનારીશ્વરનાં સ્વરૂપે કલ્પવામાં આવ્યા જ છે. મથુરામાં કૃષ્ણ સાથે નૃત્ય કરતી ગોપીઓનાં સ્વરૂપે, તેઓ ગોપેશ્વર તરીકે પૂજાય જ છે.નાથદ્વારામાં કૃષ્ણ સ્ત્રી-વેશ પણ ધારણ કરે છે. આ મૂર્તિઓ કે પરંપરાઓને અજાતિય ભક્તિભાવનાં રૂપકો માની શકાય કે પછી વિવિધ લૈંગિકતાઓ અને જાતીય વર્તણૂકોના ગર્ભિત સ્વીકાર તરીકે પણ જોઇ શકાય. બધો જ આધાર ભકત તેને કયાં દર્શનથી જૂએ છે, તેના પર છે. અને દર્શનનો આધાર મનનો કેટલો વિકાસ થયો છે તેના પર છે.

જેમ જેમ મન વિકસિત થતું જાય છે તેમ તેમ આપણે મર્યાદીત કે માંગણ વૃતિવાળા બ્રાહ્મણમાંથી અમર્યાદ કે સિધ્ધ મનવાળા બ્રહ્મ થવા ભણી જવા લાગીએ છીએ, જેને કારણે જે સમાજ ઉદ્‍ભવે છે તે ઓછો વાંક્દેખો, વધારે માયાળુ અને વધારે સહિષ્ણુ બની રહે છે. ઉપનિષદની વિચારધારાનું આ જ હાર્દ છે.

આજના આપણે આ આધુનિક ભારતીયો આપણાં મનને એ કક્ષાએ વિકસાવવા તૈયાર છીએ ? રામની જેમ એ હીજડાઓ અને વિલક્ષણ લોકોને આપણી અયોધ્યામાં સમાવી લઇશું? આ માત્ર ઉદારમતવાદી થવાની વાત નથી, આ વાત છે માનવીએ માનવ થવાની.
  • ' મુંબઇ મિરર'માં ઑગસ્ટ ૧૫, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

    • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑગસ્ટ ૨૧, ૨૦૧૪












ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો