સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ચોથો - ગુચ્છ ૧૦

#196 – આપણાં જાગરૂકતાનાં વર્તુળ અંગે સભાન રહીએ
| ઑક્ટોબર ૨, ૨૦૦૮ના રોજ પ્રકાશિત થયેલ
clip_image002
આપણી જાગરૂકતાનાં વર્તુળ અંગે સભાનતા કેળવવા માટે સારી એવી પરિપક્વતા જોઇએ છે.આ એક એવો વિષય છે જ્યાં 'અજ્ઞાન એ આશીર્વાદ' નહીં નીવડે.
આપણી પાસે શું હોવું જોઇએ છે તે તો મોટા ભાગે આપણી જાગરૂકતાનાં વર્તુળમાં સમાવિષ્ટ હોય છે જ. 'આપણને શું જોઇએ છે' તે જો આપણી જાગરૂકતાનાં વર્તુળની બહાર હશે તો તેને મેળવવા માટે આપણે કદાચ પ્રયત્ન પણ નહીં કરીએ, કારણકે એવું કંઇ છે તે આપણને ખબર જ નથી.
તો હવે તેની સાથે કદમ મેળવવા માટે કરવું શું?
આ રહ્યા કેટલાક વિકલ્પો:
૧. આપણી જાગરૂકતા વધારવા માટે વધારે ને વધારે વાંચીએ.: સહુથી ઓછાં ખર્ચે, બહુ વિચારમંથન કર્યા સિવાય અમલ કરી શકાય એવો આ વિકલ્પ કહી શકાય. પુસ્તકો બાબતની આપણી પહોંચ જેટલી વધારે, તેટલી આપ્ણી જાગરૂકતા પણ વધારે થઇ શકે.
૨. રાહબર ખોળી કાઢીએ : માર્ગદર્શક આપણી જાગરૂકતા ક્યારેક ધીમે ધીમે વધારી શકે તો ક્યારેક એક જ ઝાટકે પણ વધારી શકે.
૩. યોગ્ય સાધનોની મદદ લઇએ: આપણે શું જોઇશે તેની શોધ આપણને શું ખપશે તે દૃષ્ટિ કરીએ તો તો ખાસ મેળ ન પડે. આવા સંજોગોમાં શાબ્દીક સંદર્ભોને એકઠા કરીને આપમેળે જ શોધખોળ કરી શકે તેવાં સર્ચ એન્જીન્સ જેવાં સાધનો હાથવગાં બની શકે.! [આ વિષય પર વધારે જાણકારી માટે Automated Tag Clustering લેખ વાંચવાની ભલામણ છે.]
૪. આપણી કલ્પનાશક્તિને વિકસાવે તેવી ઘટનાઓમાં ભાગ લઇએ: અત્યાર સુધી જો કોઇ સંગ્રહાલયની મુલાકાત ન લીધી હોય તો પહેલૂં કામ, જિજ્ઞાસાવૃતિને ખુલ્લી મૂકીને, એ મુલાકાત લેવાનું કરીએ.
આ તો માત્ર થોડાં જ ઉદાહરણો છે, જેના વડે આપણી જાગરૂકતાની સીમાઓને વિસ્તારી શકાય.

#197 – "કંઇ ન હોવું'ને કોઠે પાડી લેવું જોઇએ
| ઓક્ટોબર ૧૬, ૨૦૦૮ના રોજ પ્રકાશિત થયેલ
clip_image004
એક ટપકું લો. તેમાં 'કંઇ નહીં' ઉમેરો...
એટલે મળશે એક વડું !
એ વડાંમાં ફરીથી થોડું 'કંઇ નહીં' ઉમેરો…
એટલે હવે મળશે એક શૂન્ય.
એ શૂન્યમાં ફરીથી થોડું 'કંઇ નહીં' ઉમેરો…
તો આપણને મળ્યો એક કટોરો.
એ કટોરામાં ફરીથી થોડું 'કંઇ નહીં' ઉમેરો.…
આપણને એટલે મળશે વર્તુળના એક ભાગ સમી ચાપ.
એ ચાપમાં ફરીથી 'કંઇ નહીં' ઉમેરતાં.. હવે..
લો કરો વાત, આપણને ફરી પાછું 'કંઇ નહીં' જ મળ્યું !








આ 'કંઇ નહીં"ની આપણા જીવનમાં પણ બહુ મહત્ત્વની ભૂમિકા છે. એમાં સંભાવનાઓ સમાયેલી છે. કંઇ પણ અટક્યા વગર બોલ્યે રાખો તો..શું બોલીએ છે તે કદાચ જ સમજાશે.આપણે જે કંઇ શબ્દ સમૂહ બોલી રહ્યાં છીએ તેમાં યોગ્ય જગ્યાએ 'કંઇ નહીં'ની ખાલી જગ્યા છોડવાથી જે કંઇ બોલી રહ્યાં છીએ તે "કંઇક" (અર્થવાળું) બને છે વચ્ચે ન મૂકાયેલાં 'કંઇ નહીં'ની ખાલી જગ્યાઓ વિના તો બધું જ બોલેલું 'કંઇ નહીં' સમજ(!?) બની રહે છે. clip_image005
આમ પેલાં 'કંઇક'ની આસપાસ 'કંઇ નહીં'નું આવરણ 'કંઇક'ને અર્થ બક્ષે છે. આમ 'કંઇ નહીં'ની અવગણના કરવાને બદલે તેને કોઠે પાડવું જોઇએ.
જ્યારે મેં મારી પહેલી કંપની શરૂ કરી ત્યારે 'કંઇ નહીં'સાથે મને જરા પણ ફાવટ નહોતી. જ્યારે હું કોઇ સંભવિત ગ્રાહક (કે રોકાણણકાર કે ભાવી યોજના માટે મહત્ત્વનાં સહકર્મચારી) ને મળતો ત્યારે અમારી વચ્ચે ચર્ચાઇ રહેલા પ્રસ્તાવમાટે વચ્ચે 'કંઇ (જ)નહીં' આવવું જોઇએ એમ આશા રહેતી. જો ફળશ્રુતિ 'કંઇ (જ) નહીં'માં પરિણમતી તો હું બહુ જ વ્યથિત થઇ જતો. દરેક વખતે 'કંઇક' તો થવું જ જોઇએ એવી ભાવના પ્રબળ રહેતી. આજે પાછળ ફરીને જોતાં એ અપેક્ષા કેટલી હાસ્યાપદ હતી તે સમજાય છે - પણ એ જ તો ‘કંઇ નહીં'માંથી પેદા થયેલો 'કંઇક' અનુભવ છે !
ચાલો, ‘કંઇક'ની આસપાસ (કે અંદર) 'કંઇ નહી"ની મેળવણીની મજા માણીએ.
જોજો, માત્ર તમને એકલાંને જ નહીં , પણ તમારાં આસપાસનાં પણ સારૂં લાગવા લાગશે.

#198 – "મૂળ"ના ભોગે "વ્યુત્પાદિત" પર ધ્યાન ન કેન્દ્રીત કરવું જોઇએ
| નવેમ્બર ૨, ૨૦૦૮ના રોજ પ્રકાશિત થયેલ
મોટા ભાગે બધાં જ એકથી વધારે પરિયોજનાઓ પર કામ કરતાં હોય છે. કમ સે કમ, એક અંગત અને વ્યાવસાયિક, એમ બે તો ખરી જ.
clip_image006
દરેક પરિયોજનામાં પાછી અંદર અંદર નાની પરિયોજનાઓ તો ગુંજ્યા જ કરતી હોય. આપણે તેમને 'મૂળ' (પરિયોજના)ની 'વ્યુત્પાદિત' (પરિયોજનાઓ) કહીશું.
clip_image008
'મૂળ’ પરિયોજનાના પ્રકાર અને વ્યાપ અનુસાર, નાની નાની "વ્યુત્પાદિત' પરિયોજનાઓ બીજાંને પણ સોંપી દેવાતી હોય છે. જ્યારે એ બધી જ પરિયોજનાઓ પૂરી થાય ત્યારે જ મૂળ પરિયોજના પૂરી થવા તરફ આગળ ધપી શકે છે.
clip_image010
ઘણી વાર (આમ તો જૂઓ તો, લગભગ બધી જ વાર), ધાર્યા મુજબ કંઇ પાર નથી ઉતરતું. કોઇ પેટા-પરિયોજનામાં કંઇક ઊંધું ચત્તું થાય, એટલે તેના પર આપણું 'ધ્યાન" કેન્દ્રીત થવા લાગે. એ પેટા-પરિયોજના પર કામ કરતાં લોકોને મૂળ પરિયોજના પર તેની શું અસર પડે છે તે કદાચ ખબર ન પણ હોય. એમને મન તો એ પેટા-પરિયોજના જ સર્વસ્વ છે. એટલે સ્વાભાવિકપણે તેઓ એ પેટા-પરિયોજનાના એ તબક્કા પર એડી ચોટીનું જોર પણ લગાવે, પણ એ પ્રયત્નોની મૂળ પરિયોજના પર સવળી અસર થશે કે અવળી તે તો તેમને ખબર છે નહીં ! એ સંજોગોમાં જો તમે સાવધ ન રહો તો પેલી 'વ્યુત્પાદિત' પરિયોજના 'મૂળ' પરિયોજનાને બાજૂએ કરીને કેન્દ્રમાં બેસી જાય એમ પણ બને, જેને પરિણામે 'લડાઇ' તો જીતી જવાય , પણ કદાચ ‘યુદ્ધ’ હારી પણ જવાય, કે ત્યાં વધારે નુકસાન સહન કરવું પડે.
પેટા-પરિયોજનાવાળાંઓનો ઉત્સાહ જેટલો વધારે, તેટલી વધારે શકયતા આ છટકામાં ફસાવાની !
હવે દરેક વ્યક્તિ કોઇને કોઇ મુખ્ય પરિયોજના પર તો કામ કરતી જ હોય એટલે આપણે અત્યારે જ એ કુંડાળામાં પગ મેલી બેઠાં હોઇએ તેમ પણ બની રહ્યું હોય ! જો જો હોં!

#199 – સુખરૂપ, સારી રીતે, બહાર નીકળીએ
| નવેમ્બર ૨૪, ૨૦૦૮ના રોજ પ્રકાશિત થયેલ
clip_image012
મારૂં હંમેશ માનવું રહ્યું છે કે સંબંધો બે જ પ્રકારના હોય - 'લાંબા ગાળા'ના અને 'અતિ લાંબા ગાળા'ના. ચાલો, આમાં થોડું વધારે પડતું થઇ ગયું એમ પણ ગણો, તો પણ આપણા સંબંધોને આ બે માંથી કોઇ એક કક્ષામાં વર્ગીકૃત કરતાં જ સંબંધો વિષેનો દૃષ્ટિકોણ બદલાવા લાગે છે.
જો કે વાસ્તવીક જગતમાં, કેટલાક સંબંધો ટુંકા ગાળે પણ આંત પામે છે.
એવી જ એક પરિસ્થિતિ વિષે વિચાર કરીએ :
આપણે તો લાંબા ગાળાના સંબંધો જ બાંધવા છે, પણ એ માટે સામેની વ્યક્તિની પણ તૈયારી હોવી જોઇએ ને ! હવે આપણે જેમની સાથે સંબંધ બાંધી રહ્યાં હોઇએ તે જો એમ માનાતી હોય કે ‘બધા સંબંધ તેના જ ફાયદામાં રહેવા જોઇએ’, તો તો તકલીફ પડવાની જ. જો આપણે આપણો 'ફાયદો ઉઠાવડાવવા દેવા તૈયાર' ન હોઇએ, તો તેવી વ્યક્તિ સાથે 'લાંબા ગાળા' કે 'અતિ લાંબા ગાળા'ના સંબંધ વ્યર્થ છે.
હવે જો આવું બને તો શું કરવું?
ક્યાં તો રોકકળ કરતાં કરતાં એ સંબંધની પૂર્ણાહુતિ થવા દેવી અથવા તો સુખરૂપ, માનભેર, કોઇ જ રંજ ન રહે તેમ તેને 'ખૂબસુરત મોડ'નો અંજામ આપવો રહ્યો. પોતાનો સિક્કો ખરો કરવામાં ને કરવામાં ઘણાં લોકો પહેલો વિકલ્પ અપનાવી લેતાં હોય છે, જેથી સામેની વ્યક્તિ ને 'પાઠ મળે'.
એક મિનિટ થોભી અને વિચારીશું તો સમજાશે કે 'સામેવાળાંને પાઠ ભણાવવા'ની વાતમાં બહુ દમ નથી. એ વ્યક્તિ સાથે સંબંધ તો ન રાખવાનું આપણે નક્કી કરી ચૂક્યાં જ છીએ, એટલે હવે સામેવળી વ્યક્તિ 'પાઠ ભણે' કે ન ભણે તેની સાથે આપણે લેવા દેવા પણ શા કામની ? એ બાબતે સમય બગાડવો એ તો ખાતર પર દીવો કરવા બરાબર થશે. આપણે એ વ્યક્તિ સાથે સંબંધ પૂરો કર્યો એ જ તેમના ભવિષ્ય માટે સહુથી મોટું નુકસાન હોવું જોઇએ. જો એ વ્યક્તિ થોડી પણ સમજુ હશે, તો આ વાત તેને પણ સમજાશે તો ખરી. અને જો તે વ્યક્તિમાં એવી સમજ ન હોય, તો તેને સમજ પાડવામાં આપણને ખર્ચના ખાડા થઇ પડી શકે છે. જે રસ્તેથી આપણાં કદમ રાહ બદલી ચૂક્યાં છે તેની ચિંતા કરવામાં તો કંઇ શાણપણ નથી !
બધાં માટે સમયની તો ખેંચ હોય જ છે. આપણે પણ તેમાંથી અપવાદ તો ન જ હોઇ શકીએ ને ?સંબંધમાંથી સુખરૂપ બહાર નીકળવાને પરિણામે આપણી પાસે 'થોડો વધુ' સમય ઉપલબ્ધ થઇ શકે છે. એ વધારાના સમયનો વધારે સારી રીતે ઉપયોગ કરવાની આપણને એક તક મળે છે. જેનાથી વિરૂધ્ધ, (કોઇ પણ કારણસર) ભૂતકાળમાં પડી રહેવાથી આ અમૂલ્ય તક ખોઇ બેસવાનો જ વારો આવે. બીજે કશે નહીં તો આમ મળેલ થોડો વધારાનો સમય અન્ય લાભકારક લાંબા ગાળાના સંબંધને વધારે મજબૂત કરવાં જ વાપરીએ તો કેવું?
આપણે તો સમજુ છીએ ને....એટલે આપણને આનાથી વધારે ટકોરો કરવો પડે ખરો.... !!

#200 – વાતની અંદરની વાત પણ સમજવી જોઇએ
| નવેમ્બર ૨૪, ૨૦૦૮ના રોજ પ્રકાશિત થયેલ
image
કહાણીનાં સ્વરૂપમાં કોઇ વાતને સમજાવવાથી મૂળ વાતને બહુ સારી રીતે સમજાવી શકવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. પણ જો એ કહાણીમાં કાંઇક ચૂક રહી ગઇ હશે, તો કાંઇ ભળતું જ સમજાવી દેવાનું પણ જોખમ પણ છે, અને એ ગેરસમજણના પડઘા બહુ દૂર સુધી પડી શકે છે. ટૂંકમાં, કહાણી એ બેધારી તલવાર છે, જેટલી તે મદદરૂપ થાય, તેનાથી વધારે નુકસાન પણ કરી શકે.
ગયાં અઠવાડીયાંની જ વાત કરીએ. આપણે આપણા રાજકીય નેતાઓ પાસેથી, પ્રચાર માધ્યમો પાસેથી, આપણાં ઉપરી કે સહકર્મચારી પાસેથી કે આપણાં કુટુંબીજનો પાસેથી કંઇકને કંઇક કહાણી તો સાંભળી જ હશે.
મૂળ વાત તો એ છે કે કહાણી એ એક કહાણી જ છે. આપણી જીંદગીમાં તેનાથી કંઇ પણ ફરક તો જ પડી શકે જો આપણે એ કહાણીમાં રહેલી વાતનો તંતુ પકડી શકીએ.
હું ગાય કાવાસાકીનો મોટો ચાહક છું. તેણે શરૂ કરેલી એક કંપની ટ્રુમોર્સનું જ ઉદાહરણ લઇએ. તેના પ્રારંભમાં મળેલ પ્રતિભાવો મિશ્રિત કહી શકાય તેવા હતા. ગાય કાવાસાકી માત્ર $૧૫૦૦૦થી એ કંપની કેમ શરૂ કરી તે લંબાણે કહે છે. રજૂઆત બહુ જ ધ્યાનાકર્ષક હતી - હોય જ ને, રજૂઆતકર્તા ગાય કાવાસાકી છે ને ! આમ જૂઓ તો ગાય કાવાસાકીએ તેની નવી કંપનીની કહાની માડી હતી.પણ તરકીબ કામ કરી ગઇ. જતે દહાડે એ કંપની વધારે ધ્યાન ખેંચતી થઇ ગઇ અને સારા ભાવે વેંચાઇ પણ ગઇ.
આવી એક રજૂઆત સમયે હું પણ હાજર હતો, મેં પણ એ ટ્રુમોર્સ કહાણી સાંભળી છે. એમાં એક બહુ મહત્ત્વનો મુદ્દો ખૂટતો હતો (જો કે ગાય કાવાસાકીએ એમ પણ માન્યું હોય કે તે મુદ્દો એટલો દેખીતો છે કે તેની વાત ન કરીએ તો પણ કદાચ ચાલે.)
આ આખી વાતની પાછળની જે વાત હતી તે ગાય કાવાસાકીએ પોતાના ૨૫ વર્ષના પ્રયત્નો દ્વારા પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા ચૂકવેલી કિંમતની કહાની છે. ટ્રુમોર્સની વાણિજ્યિક સફળતામાં ગાય કાવાસાકીની એ મહેનત અને તેના થકી ઊભી થયેલી ઓળખનું આગવું પ્રદાન રહ્યું છે.
ગાયા કાવાસાકી જેવી ઓળખ વિનાની અન્ય કોઇ વ્યક્તિમાટે ૧૫૦૦૦ ડૉલરમાં ટ્રુમોર્સ જેવી કંપની ઊભી કરવા માટે નસીબનો પણ એટલો જ સાથ જરૂરી બની રહે.
પછીથી ગાય કાવાસાકીએ તેનાં પુસ્તક 'રીયાલીટી ચેક\ Reality Check'માં ટ્રુમોર્સની સંવર્ધિત વાત રજૂ કરતી વખતે આ પશ્ચાદભૂવાળી વાત પણ સામેલ કરી લીધી છે. મજાની વાત તો એ છે કે ગાય કાવાસાકીએ એ વાતને આવરી લીધા પછી પણ જેમને પોતાના ખપ પૂરતું જ વાંચવું છે તેઓ આ વાતને વાંચવાનું કુદાવી જાય એમ પણ બને, અને માત્રા ગાય કાવાસઈએ જે કંઇ કર્યું તેને જ દોહરાવવાનો પ્રયાસ કરે. તેમને તેમના પ્રયત્નો મુબારક !
૧૩થી ૧૬ વર્ષની મારી ઉંમરે, મારી પહેલી નોકરી એક ખબરપત્રી તરીકેની હતી. એક સ્થાનિક અખબાર માટે હું નાનાં મોટાં વૃતાંતો લખતો. ત્યારે મને વારંવાર કહેવામાં આવતું કે મારાં લખાણોમાં 'નાટકીય' તત્વ દાખલ કરવું. મારા ઉપરી કહેતા કે નાટકીય તત્વ વગરના સમાચારોથી છાપું નહીં વેંચાય !
આપણને સાંભળવા મળતી મોટા ભાગની વાતોમાં આ 'નાટકીય' તત્વ એટલી હદ સુધી ભાગ ભજવે છે કે ઘણી વાર તો મૂળ વાત તેની પાછળ ઢંકાઇ જતી હોય છે.
કોઇ પણ વાતના શ્રોતા (કે વાચક) તરીકે એ મૂળ હાર્દ ખોળી કાઢવું એ જ તો આપણું કામ છે...

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો - ગુચ્છ ૧૦ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો