બુધવાર, 1 ઑક્ટોબર, 2014

સ્થળ, કાળ અને ચક્ર - દેવદત્ત પટ્ટનાઈક

clip_image003દર્શનશાત્રમાં ચક્ર સ્થળ અને કાળ એ બંનેનું પ્રતિક છે. ચક્રની જેમ જ સમય પણ કાયમ ચલાયમાન જ રહે છે. હિંદુ કે બૌદ્ધ કે જૈન શાસ્ત્રો પ્રમાણે સમય પુનરાવર્તક છે. વળી હિંદુ, બૌધ અને જૈન શાસ્ત્રો મુજબ વિશ્વ એ કાચબાની પીઠ પર સ્થિત એવી ગોળ તકતી છે, જેની આસપાસ દૂધ અને ચાસણીના સમુદ્ર ફેલાયેલ છે.

કેન્દ્રમાંથી ફૂટતા આરાઓ જેવી હીંદુ વિચારધારાને પણ ચક્રનાં સ્વરૂપે જોવામાં આવે છે. કોઇ એક વિચાર (કેન્દ્ર) અનેક (આરાઓનાં)સ્વરૂપે વ્યક્ત થતા જોવા મળે છે. તો જૂદા જૂદા આરાઓના છેવાડા પરનાં લોકો એ જ (કેન્દ્રીય)વિચારનું જૂદાં જૂદાં સ્વરૂપે અર્થઘટન કરે છે. કેન્દ્ર સ્થિરતા અને બધાનાં ઉદ્‍ભવ સ્થાન સમાં પ્રાકૃતિક બિંદુ - બીજ-નું પ્રતિક છે, તો ધરી એ અભિવ્યકત સ્વરૂપ - બીજમાંથી પેદા થયેલું ફળ - છે.

કેન્દ્રને વિશ્વના સર્જનહાર, બ્રહ્મા, કહીએ તો ચક્રનો કાંઠલો એ તેમનું સર્જન, બ્રહ્માંડ, છે. જો કેન્દ્ર કંઇ જ ન હોવાની 'શૂન્ય' સ્થિતિ છે તો કાંઠલો એ 'અનંત' સમગ્રપણું છે. એ રીતે ચક્ર (પૈડું)એ પૃથ્વી અને આકાશનાં કાંઠલા વચ્ચેના અંતરાલમાં રચાતું મડળ છે. તે અનંતના સીમાડાઓની નિશાની પણ કહી શકાય. આમ શૂન્ય પણ એક ચોક્કસ સ્વરૂપનો આકાર લે છે.

રાજાશાહી પ્રતિષ્ઠાની નિશાની સ્વરૂપે, બહુ જ શરૂઆતથી સિક્કાઓમાં પણ, ચક્ર જોવા મળે છે. ધીમે ધીમે, ચક્ર ઉપાડેલ મનુષ્ય પણ જોવા મળવાનું શરૂ થયું, જેમ કે જૈન પુરાણોમાં વાસુદેવ. હિંદુ પુરાણોમાં તો ચક્ર એ વિષ્ણુની આગવી ઓળખ્નું સ્થાન લઇ ચુક્યું. વિષ્ણુનાં સહસ્ત્ર નામ પૈકી એક નામ - જેમણે હાથમાં ચક્ર ધારણ કર્યું છે તેવા - ચક્રપાણિ પણ છે. વિષ્ણુની તર્જનીમાં ઘૂમતું રહેતું આ ચક્ર એક શક્તિશાળી હથિયાર પણ બની રહ્યું, જે શત્રુના સંહાર માટે છૂટું મુકાય અને પછી ફરીથી વિષ્ણુની આંગળી પર આવી જાય. આ ચક્રની મદદથી વિષ્ણુએ હાથીના રાજા ગજેન્દ્રને, ભૌતિક માયા રૂપી મગરની પકડમાંથી છોડાવેલ. આમ આ ચક્ર મોક્ષ પણ અપાવી શકે છે. શિશુપાલનાં કુકર્મોનો ઘડો ભરાઈ ગયો ત્યારે કૃષ્ણએ તેનો શિરચ્છેદ કરવા પણ આ સુદશર્ન ચક્ર વાપર્યું હતું.પોતાની સામે વિરોધ કરી રહેલાં કાશીના નાશ માટે અને દુર્વાસા ઋષિને વિનમ્રતાનો પાઠ શીખવાડવા માટે પણ વિષ્ણુએ આ ચક્રનો ઉપયોગ કર્યો છે. શિવ પુરાણમાં એમ કહેવાયું છે કે વિષ્ણુને ચક્ર તરીકેનું આ શસ્ત્ર શિવે આપ્યું હતુ, જેને વિષ્ણુએ - દેખાવમાં સુંદર - સુદર્શન નામ આપ્યું,જેની ધરીની આસપાસ ઘૂમતી ગતિ નકારત્માકતાને કેન્દ્રથી દૂર ખસેડે છે અને સકારાત્મકતાને કેન્દ્ર તરફ ધકેલે છે.

'મીડ ડે'માં જુલાઇ ૧૪, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો