બુધવાર, 15 એપ્રિલ, 2015

સામુદાયિક દેવી અને તેનો ભાઈ - દેવદત્ત પટ્ટનાઈક

imageમહારાષ્ટ્રની નદીઓના કિનારા પર, અને ક્યારેક કોઇએક તળાવના કાંઠે, એક સરખા દેખાતા,હળદર અને સિંદુરથી રંગેલા,લગભગ સાત, અને તેની સાથે ખાસ પ્રકારનો એક એવા, પથ્થર જોવા મળી આવે છે. સામાન્ય સંજોગોમાં આવતાં જતાં લોકો તેના પર નજર પણ નથી કરતાં, પણ આસપાસના વિસ્તારમાં કોઇ સ્ત્રીને વાઇના આંચકા આવવા લાગે કે કસુવાવડ થાય કે છોકરૂં બિમાર પડે તેવું આ પથ્થરોનું મહાત્મય વધી જાય છે. એ ગામને સાત બહેનો, સતી આસરા,અને તેની સાથેના મ્હાસોબા, યાદ આવી જાય છે. કહેવાય છે કે જ્યારે રાજાએ નદીનાં પાણીનું વહેણ બદલવા પ્રયાસ કર્યો ત્યારે દેવીઓએ કોપાયમાન થઇને રાજાની વસાહતને જ પાણીમાં વહાવી દીધી. ગામની એ સ્ત્રી અને તેનાં બાળકને બચાવવા માટે આ કોપાયમાન દેવીઓને ભોગ ધરાવાય છે.

સતી અસરા એ કદાચ સતી અને અપ્સરાનું કંઈક વિચિત્ર કહેવાય તેવું અપભ્રંશ જણાય છે, કારણ કે સામાન્ય રીતે સતી શુધ્ધતા અને એકપતિવ્રતનું પ્રતિક છે, જ્યારે અપ્સરા એ સ્વર્ગની નર્તકી છે, જે કોઇને પણ વફાદાર ન હોય તેમ મનાય છે.

જો કે વિચિત્ર નામ આ સાત બહેનોની કથા સાથે બંધબેસતું જણાય છે. સાત ઋષિઓની આ પત્નીઓ પર અજાણતાં જ ગર્ભવતી થવાને કારણે બેવફાઇનું આળ લાગે છે. જૂદાં જૂદાં કારણો રજૂ કરાયાં છે : મહાભારતની કથા મુજબ જ્યારે તેઓ અગ્નિની ગરમી માણતાં હતાં તેથી આમ થયું હતું, કે શિવ પુરાણની કથા મુજબ જે પાણીમાં શિવે સ્નાન કર્યું હતું, તેમાં જ સ્નાન કર વાની અસર તેમના પર થઇ હતી. આમ ખોટી રીતે આળ લાગવાને કારણે કોપાયમાન થયેલી આ સાતે પત્નીઓએ રૌદ્ર દેવીઓનું સ્વરૂપ લઇ લીધું અને જે સ્ત્રીઓ તેમને માન ન આપે તેમના પર તે વેર વાળવા લાગ્યાં.

કેટલાંક અન્ય વૃતાંતોમાં તેમના ગર્ભમાં તેમને બાળકની કસુવાવડ થઇ જાય છે, પણ બાળક બચી જાય છે અને દક્ષિણની લોક પરંપરાઓમાં વધારે પ્રચલિત એવા યુધ્ધખોર યોધ્ધા, ઐયનાર,નું સ્વરૂપ લઇ લે છે. એ આ માતાઓની સંભાળ લેવાનું વચન આપે છે.આ સાત બહેનોને કાર્તિક નક્ષત્ર સાથે સાંકળવાના આધાર પર આ સેનાપતિને કાર્તિકેય તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્તિક નક્ષત્રમાં તો જો કે છ તારા જ છે, એટલે ઘણાં લોકોનું કહેવું છે કે સાતમો તારો નાસી ગયો છે કે ગૂમ થઈ ગયો છે, એટલે કે પેલી ગરમી કે પાણીના સંસર્ગમાં આવ્યા છતાં તે વિશુધ્ધ રહેલ હતી. ગ્રીક શાસ્ત્રો મુજબ એ ઓરિઓનનાં કામુક આલિંગનમાંથી છટકવા જતી સાત બહેનો છે.પર્શીયન ભાષામાં તેને પરવીન તરીકે ઓળખવામાં આવે છે.

હિમાલયથી માંડીને ગંગાના તટીય પ્રદેશોમાં થઇને છેક તામીળનાડુ અને કર્ણાટકનાં જંગલો સુધી સાત બહેનોનાં મંદિરો જોવા મળે છે. કોઈ જગ્યાએ તે સાત સહેલીઓ તરીકે ઓળખાય છે, તો ક્યાંક સાત બહેનો કે ક્યાંક સાત કુમારીકાઓ કે ક્યાંક સાત માતાઓ (સપ્ત માતૃકા)તરીકે ઓળખાય છે. તંત્ર પુરાણોમાં દેવીને એકલ દોકલ વ્યક્તિને બદલે ૧૦ મહાવિદ્યા કે ૬૪ જોગણીઓ જેવી પરિકલ્પનાઓનાં સામુદાયિક સ્વરૂપે જોવાનું પણ ચલણ છે. આ સ્ત્રીઓ સ્વચ્છંદ, કોઇની તમા ન રખાનર, શક્તિશાળી અને સ્વીકૃતિ તેમજ માન મંગાવનાર વ્યક્તિત્વો તરીકે આલેખાયેલ છે.

એક કથામાં આ સામુદાયિક દેવીમાં દાનવો સામેની લડાઈમાં જોડાવા માટે કરીને દુર્ગાની અંદર દેવો પણ નારી સ્વરૂપે ભળ્યા હોવાની વાત છે. દાનવ લોહીનું ટીપું જમીન પર પડે તો પાછો તેમાંથી દાનવ પેદા થઈ જતો હતો, એટલે દાનવ લોહીનાં એકેએક ટીપાંને જમીન પર પડતાં પહેલાં જ પી જવાનું હતું. બીજી એક કથામાં, જ્યારે દક્ષ પ્રજાપતિએ સતીના પતિ શિવનું અપમાન કર્યું ત્યારે સતીનાં નાકનાં ફોયણામાંથી દાનવો ફૂટી નીકળ્યા હતા.તો હજૂ બીજી એક કથામાં શિવે વિનાયકનો શિરોચ્છેદ કરી નાખ્યો તેની સામે ગુસ્સામાં પાર્વતીએ આ દાનવોને પેદા કર્યા હતા, જેને પરિણામે દેવીને ખુશ કરવા શિવે બાળ વિનાયકનાં ધડ પર હાથીનું માથું જોડી દઇને તેને સજીવન કર્યો હતો.

આ બહેનોની સાથે જે પુરૂષ જોવા મળે છે તેને ક્યાં પુત્ર (ઐયનાર, વિનાયક) કે પતિ (ભૈરવ) કે ભાઈ કે દાસ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક તેને સારથિ કે દ્વારપાળ કે રક્ષક તરીકે પણ ઓળખવામાં આવેલ છે. મહારાષ્ટ્રમાં તેની મ્હાસોબા - મહિષ દેવ - તરીકે ઓળખવામાં આવે છે, જે કેટલાંક વૃતાંતોમાં દુર્ગા દ્વારા હણાયેલ, કે કેટલાંકમાં પરાજિત કરાયેલ, મહિષાસુરનું સ્વરૂપ મનાય છે. વાત એમ છે કે જ્યારે દેવીએ તેનું ગળું કાપી કાઢ્યું ત્યારે ત્યાં તેમણે શિવલીંગ જોયું, એટલે તેમને થયું કે આનામાં કંઈક સારા ગુણો પણ છે. આમ દુશ્મન કે વેરીનું ભક્ત કે ભાઈ કે દાસમાં રૂપાંતર કરી નાખવું એ પણ દેવીની દંતકથાઓમાં વ્યાપકપણે જોવા મળે છે.વૈષ્ણો દેવીમાં ભૈરો દેવી પર હુમલો કરે છે, પણ પણ પછી તેને માફ કરી, તેનામાં જ્ઞાનનો સંચાર કરીને તેને દેવીનાં મંદિરની તળેટીમાં અલગ મંદિરમાં સ્થાન અપાયું છે. દક્ષિણ ભારતમાં,તમિળમાં તેને પોટા રાજા કે તેલુગુમાં તેને પોટા રાજૂ તરીકે ઓળખવામાં આવે છે. બંને નો અર્થ તો મહિષ રાજા જ થાય છે, જે સભ્ય બનાવેયેલ મહિષાસુર કે ભૈરવનું જ એક સ્વરૂપ છે. કદાચ તે દેવીની કરૂણાનું, અને એ રીતે તેમની શક્તિનું, સ્વરૂપ છે.

સતી અસરાને મેલી વિદ્યા સાથે પણ સાંકળવામાં આવે છે, જો કે તેમાં દાનવ બંધુને ભોગ તરીકે મદ્ય, કેફી દ્રવ્યો અને માંસ અપાય છે. ઘણાં લોકો એમ પણ કહે છે કે દેવીઓ સામાજિક પરંપરાઓને માનતી નથી,એટલે મુખ્ય ધારાના સમાજમાં જે પીણાં વર્જ્ય ગણાય છે તેવાં લોહી, મદ્ય અને માંસ જેવાં બધાં જ પીણાં તે પીએ છે, તેથી તે તાંત્રિક દેવીઓ તરીકે પણ ઓળખાય છે. જેમ જેમ સમાજ વધારે ને વધારે શાકાહારીપણાને માન્યતા આપતો જાય છે તેમ તેમ દેવીઓની આ બાજૂને વધારે ને વધારે લોકો ક્યાંતો અણદેખી કરે છે કે સ્વીકારતાં નથી.

ઉત્તર ભારતમાં, નવરાત્રિના નવમા દિવસે, નવ નાની બાલિકાઓને ઘરે જમવા બોલાવવામાં આવે છે. તેની સાથે એક નાનો કુમાર બાળક પણ હોવો જ જોઈએ. એ બાળકને 'ભૈરો' કહેવામાં આવે છે, જે નદી કિનારે જોવા મળતા પેલા પવિત્ર પથ્થરોની કથા સાથે મેળ ખાય છે ખરૂં.

clip_image001 ધ સ્પીકીંગ ટ્રીમાં ઑક્ટોબર ૧૪, ૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો