બુધવાર, 27 મે, 2015

ચાર પ્રકારના જાતીય સંભોગ - દેવદત્ત પટ્ટનાઇક

imageપૌરાણિક હિંદુ શાસ્ત્રોમાં, સામાન્ય રીતે, ધર્મ (નીતિ), અર્થ (સંપત્તિ), કામ (ઉપભોગ, મોજમજા)અને મોક્ષ (મુક્તિ), એમ માનવ જીવનના ચાર ઉદ્દેશ્યો ગણાવાતા હોય છે. એ જ રીતે હિંદુ શાસ્ત્રોના અભ્યાસથી ધર્મ સંભોગ, અર્થ સંભોગ, કામ સંભોગ અને મોક્ષ સંભોગ એમ ચાર પ્રકારના જાતિય મૈથુન સંભોગનાં વર્ણનો જોવા મળે છે.

ધર્મ સંભોગમાં સંતાનોત્પત્તિ જ માત્ર હેતુ હોય છે. આ પ્રકારના સંભોગમાં કોઇ જ પ્રકારના પ્રેમ કે ઈચ્છા કે લાગણીની ભાવના નથી હોતી. એ ફરજનો એક ભાગ માત્ર હોય છે. સ્ત્રીના બીજોત્પત્તિ સમય ગાળામાં પુરુષ તેની સાથે માત્ર તેની કૂખમાં ગર્ભ રહે એ માટે સમાગમ કરે છે. અને તે પણ સ્ત્રીના કહેવાથી જ, કારણ કે એક સ્ત્રી જ અનુભવી શકે છે કે ગર્ભાધાન માટે ઉચિત શારીરીક સ્થિતિમાં એ છે કે નહીં. એ જે પુરુષનો આ માટે સંપર્ક કરે ત્યારે તે પુરુષ તેનો પતિ હોય કે ન હોય, પણ તે પુરુષે જે કંઇ કરવું પડે તે કરવું જ રહ્યું. જો તે તેમ ન કરે તો તેને શ્રાપ લાગી શકે છે. હિંદુ શાસ્ત્રોમાં આ પ્રકારના સંભોગ ઋષિઓ અને તેમની પત્નીઓ વચ્ચે જોવા મળે છે, જેમ કે દિતી કશ્યપ ઋષિને તેમની સાયં પ્રાથનાના સમયે જ સંપર્ક કરે છે. કશ્યપ તેની માગણી મંજૂર રાખવા બંધાયેલા તો છે, પણ એ ચોખવટ પણ કરે છે કે આ સમયે જે બાળકનું ગર્ભાધાન થશે તે અસુર બનશે. આમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો હતો.તેમની પત્નીએ કશ્યપ ઋષિનો સંપર્ક પોતાના બીજોત્પાદન સમયે કર્યો હોવાથી કશ્યપ તેમને નકારી શકવાની સ્થિતિમાં નથી, કારણ કે એ સમયનો સંભોગ એ તેમનો ધર્મ છે. બીજી એક કથામાં કર્દંમને દેવહુતિ સાથે સંતાનોત્પત્તિ માટે કરીને સંભોગ કરવાની ફરજ પડે છે. તેમની પત્નીને ગર્ભાધાન થયા પછી કર્દમ જંગલમાં રહેવા જતા રહે છે. યોગ્ય સમય પસાર થયા પછી, દેવહુતિ કપિલ (મુનિ)ને જન્મ આપે છે, જે તેમનાં સાંખ્ય તત્વજ્ઞાન માટે જાણીતા બને છે. એ જ રીતે વ્યાસ ઋષિ પણ તેમની માતા, સત્યવતી,ના આદેશને માન આપી વિચિત્રવીર્યની પત્નીઓ સાથે તેમના બીજોત્પત્તિ સમયે સમાગમ કરે છે જેથી વંશવેલો આગળ વધે.

કામ સંભોગમાં ઉપભોગની મજા માણવાનો જ આશય હોય છે. અહીં ઈંદ્રિયોને તેમના ફાગ ખેલવા દેવાનો, અને તેના થકી મનને પૂરેપૂરૂં ઉત્તેજિત કરી સુખની ચરમસીમા માણવાનો જ હેતુ રહેલો હોય છે. માયાના દેવ કામનો એક ધરખમ યોધ્ધા તરીકે ડર અનુભવાય છે કેમ કે તેણે ભલભલા ઋષિમુનિઓને હરાવેલ છે. માત્ર સર્વશ્રેષ્ઠ સંન્યાસી એવા શિવના હાથ સિવાય તેણે બીજે કશે જ હાર ચાખી નથી. એટલે એ પણ એક વક્રતા છે કે શિવને જ કામ-સૂત્રના અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. શિવ અને શક્તિ વચ્ચેના સંભોગને જોયા બાદ, કે શૃંગારમય કળાને લગતા તેમના સંવાદો સાંભળીને, નંદી દ્વારા કામ-સૂત્રનો પ્રસાર કરાયો છે. પછીથી શ્વેતકેતુ, બાભ્રવ્ય, દત્તક જેવા ઋષિઓએ, અને અંતમાં વાત્સ્યાયને તેને લખીને ગ્રંથસ્થ કરેલ છે. કામ સંભોગ એવું અમોઘ શસ્ત્ર ગણાય છે જે ભલભલા મહાત્વાકાંક્ષીઓને પણ તેમના ઉદ્દેશ્યમાં ચળાવી દઇ શકે તેમ છે. આમ વિષ્ણુ મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને માત્ર અંતરંગ મજાની લાલચથી જ અસુરોને પળોટી નાખીને સમુદ્રમંથનમાંથી નીકળેલ, તેમને અમરત્વ બક્ષી શકનાર એવાં, અમૃતથી વંચિત રાખી શકે છે. તિલોત્તમા નામની અપ્સરા સુંદ અને ઉપસુંદ અસુર ભાઇઓ વચ્ચે લડાઈ કરાવી શકે છે.કાલિદાસનાં રઘુવંશ પ્રમાણે રામના રઘુ વંશના છેલ્લા વારસ અગ્નિવર્ણ પણ કામ સંભોગની પાછળ પાગલ થઇને નાની અકાળ વયે મૃત્યુ વહોરી લે છે.

અર્થ સંભોગમાં સંભોગ એ એક વ્યવહાર માત્ર છે. ભૌતિક વસ્તુ કે સેવાનાં મૂલ્યનાં વિનિમય તરીકે અર્થ સંભોગ પ્રયોજાય છે. આ પ્રકારના સંભોગનો સહુથી વધારે પ્રચાર ગણિકા તરીકે જાણીતી વ્યવસ્યાયી સ્ત્રીઓ દ્વારા થતો જોવા મળે છે. જે પુરૂષો તેમની વિધ વિધ પ્રકારની સેવાઓની ઉચિત કિંમત ચૂકવવા તૈયાર હોય તેની સાથે આ સ્ત્રીઓ આ પ્રકારે સંભોગ કરે છે. જો કે આ સંભોગ માત્ર ગણિકાઓ કે સ્ત્રીઓ દ્વારા જ સુચવાતો હોય તેવું પણ નથી. મહાભારતમાં સત્યવતીના પિતા તેમની દીકરી શાંતનુ સાથે વરાવવા એક જ શરતે તૈયાર થાય છે કે તેમનાં સંતાન જ શાંતનુની રાજગાદીનાં હક્ક્દાર વારસ બને. બીજી એક કથામાં યયાતિ જે કોઇ પણ રાજા ૨૦૦ અશ્વ આપી શકે તેની સાથે તેમની પુત્રી માધવીને પરણાવવા માગે છે. આમ સંભોગ એ વાણિજ્યિક વ્ય્વહારનું માધ્યમ બની રહે છે. કથાસરિતસાગરમાં એક વિધવા સ્ત્રીને સંતાનની ઝંખના થાય છે, જેને માટે તે કોઇ પણ દેખાવડા યુવાનને ખુલ્લા હાથે કિંમત ચૂકવવા તૈયાર છે. બીજી એક લોકકથામાં જે કોઇ વિધવા રાણી સાથે પરણવા રાજી થાય તેને રાજા બનાવવા માટેની વાત પણ જોવા મળે છે. આમ અર્થ સંભોગ સ્ત્રીઓની પહેલ પૂરતો મર્યાદિત પણ નથી જણાતો.

અને છેલ્લે, મોક્ષ સંભોગ એ જન્મોજન્મના ચક્કરમાંથી મુક્તિ માટેનું સાધન મનાય છે. આ વિચાર તાંત્રિક શાસ્ત્રોમાં વધારે પ્રચલિત જોવા મળે છે. આ કિસ્સાઓમાં સંભોગ એ સંતાનોત્પત્તિ કે ઉપભોગ કે વાણિજ્ય વિનિમયનાં રૂપમાં નહીં , પણ પ્રકૃતિ પર નિયમન કરી શકે એવી સિધ્ધિ જેવી ચમત્કારીક શક્તિઓ મેળવવા માટે છે. ભાગવતમાં અત્રિ અને અનસૂયાના પુત્ર દત્તના ખોળામાં લક્ષ્મી બેઠાં છે તેની વાત છે. દત્તના હાથમાં સૂરા છે અને ઋષિઓને સમજ ન પડવાથી તેમને સોંપેલ ગૂઢ વિધિઓ કરવામાં તે મગ્ન છે.યદુ રાજાને પછીથી સમજાય છે કે આમ દેખાતું હોવા છતાં દત્ત સ્વસ્થ અને શાંત છે. તેમનામાં ઉદય થઇ ચૂકેલ જ્ઞાન, અને તેને કારણે પેદા થયેલીમોક્ષની ભાવનાને પરિણામે તેમનામાં કામાગ્નિની જ્વાળાઓ ઊઠતી દેખાતી નથી.મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથની કથામાં કેળાંના વન, કદળી વન,માં એકલી રહેતી યોગિનીઓ (જોગણીઓ)ની વાત છે. આ જોગણીઓ પાસેની મંત્રતંત્રની ગૂઢ વિદ્યાઓ તેમની સાથે સંભોગ કરવા સક્ષમ હોય તેવાને જ બતાવે છે.આ વાતની પુષ્ટિ હિમાલય પ્રદેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરનાર પદ્મસંભવની કથાઓમાં પણ થતી જોવા મળે છે. તારા પોતાનું જ્ઞાન માત્ર બોધિસત્વને, શક્તિ માત્ર શિવને, અને લક્ષ્મી એ માત્ર વિષ્ણુના સંન્યાસી સ્વરૂપ દત્તને જ વહેચે છે.

આમ હિંદુ શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારના વર્ગ માટે સંભોગને અલગ અલગ દૃષ્ટિએ જોવમાં અવે છે. ધર્મ સંભોગ ઋષિઓ માટે છે જેથી તેઓ બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં પૂર્વજોને ખુશ રાખવા માટે વંશ આગળ વધારી શકે. કામ અને અર્થ સંભોગ ગૂહ્સ્થાશ્રમીઓ માટે છે. જ્યારે મોક્ષ સંભોગ વામ પંથી, તાંત્રિક, સંન્યાસીઓમાટે આરક્ષિત છે.

clip_image001 ‘ધ સ્પીકિંગ ટ્રી’માં જાન્યુઆરી ૧૯, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો