બુધવાર, 22 જુલાઈ, 2015

નવી વર્ણ વ્યવસ્થા - દેવદત્ત પટ્ટનાઈક

imageજ્યારે જ્યારે હું વડી કે સર્વોચ્ચ ન્યાયાલય શબ્દો વાંચું છું, ત્યારે 'હવે પાછું નવું શું જાગ્યું હશે' એ વિચારે મારા શરીરમાં ઊંડે ઊંડે ભયનું એક લખલખું પસાર થઈ જાય છે. એક ટપાલીને ૫૭ રૂપિયાની લાંચ લેવાના આરોપમાંથી - તેને સેવાનિલંબીત કરાયાના ૨૯ વર્ષ અને સેવાનિવૃત્તિનાં ૩ વર્ષ બાદ - બરી કરાયો. સરકારે આદેશો જારી કર્યાના ૧૦ વર્ષ પછી એક કોન્ટ્રાક્ટ રદ થયો, અને તેનાં પણ ૨૦ વર્ષ બાદ એ નિર્ણયને ફેરવી પણ તોળાયો. એક મકાન બંધાયાનાં ૩૦ વર્ષ બાદ ગેરકાયદે ઠેરવાયું. એક ઇન્ટર્ન પર યૌન ઉત્પીડન કે દીકરીની નજરકેદ કે 'સાવ નગણ્ય લઘુમતીના તથાકથિત હક્કોની બરતરફી’ જેવા કિસ્સાઓ આ ભયની ભાવનામાં ઉમેરો કરે છે. આજે આપણે એવા સમયમાં જીવી રહ્યાં હોઈએ એમ લાગે છે, કે જો તમે નિયત પ્રક્રિયા અનુસરી શકો તો, ગમે તેને, ગમે તે કોઈને, ગમે ત્યારે ગેરકાયદે ઠેરવી શકો.

આપણાં ન્યાયાલયો આજે કોણ પુરુષ, કોણ સ્ત્રી, કોણ તવંગર, કોણ વંચિત, કોણ પરિપક્વ કે કયી યૌન વર્તણૂંક સભ્ય કે અસભ્ય, કયો જાતીય વ્યવહાર અત્યાચાર છે અને કયો સંમતિથી થયેલ છે તેવી અનેક બાબતો પર ફેસલા કરતી જોવા મળે છે. જે દેશની સ્થાપનામાં ગાંધીજી, નહેરૂ, સરદાર પટેલ, રાજગોપાલાચારી, આંબેડકર જેવાં ધુરંધર વકીલો હોય ત્યાં આ બાબતે કદાચ નવાઈ ન લાગવી જોઈએ! આ કાનુની સંહિતા વધુ સુરક્ષિત સમાજનાં સર્જન માટે ઘડાઈ હતી. કહેવાય છે કે આધુનિક કાયદા તંત્રનાં અસ્તિત્ત્વ પહેલાં વ્યાપક અંધાધુંધી, અરાજકતા અને જોરજુલમ જોવા મળતાં હતાં. હવે ઘણું સારૂં છે. ખરેખર ? આપણે તો ઉપકૃત થવું જોઈએ. ખરેખર ?

થોડા દિવસો પહેલાં વાતચીત કરતાં કરતાં એક મિત્રને મેં કહ્યું કે ઋગ વેદમાં વર્ણવેલી વર્ણ વ્યવસ્થા આજે તો વધારે રૂઢ થયેલી જણાય છે. વેદનાં પુરૂષ શુક્તના મત્રોમાં કહેવાયા મુજબ દરેક સમાજ એક શરીર જેવો હોય છે, જેમકે સમાજનું સંચાલન કરતા(બુદ્ધિજીવીઓ) બ્રાહ્મણોથી બનેલ મસ્તિષ્ક, સમાજનું રક્ષણ કરતા (યોદ્ધાઓ) ક્ષત્રિયોથી બનેલ ભુજાઓ, સમાજને પોષણ પુરું પાડતાં ધડ સમાન (વેપારીઓ) વૈશ્યો અને સમાજને સેવામાં રત એવા (સેવકો) શૂદ્રો જેવા પગ.ઘણા સમાજ સુધારકો માને છે કે ભારતમાંની કંઇ કેટલીય ખરાબીઓનાં મૂળમાં આ વર્ણ વ્યવસ્થા છે. બ્રાહ્મણોને શૂદ્રોના ભોગે મળતું મહત્ત્વ લોકશાહીનાં મૂળ પર જ આઘાત કરે છે.

જો કે આજનું ભારત ફરી પાછું, લોકશાહી રાજ્યવ્યવસ્થાની પાછળ પાછળ (કે પછી કદાચ લોક્શાહી હોવા છતાં!), આ ચાર વર્ણોની એક નવી વ્યવસ્થા તરફ ખસી રહ્યું લાગે છે. કાયદાશાસ્ત્રીઓ (વકીલો અને ન્યાયાધીશો) મસ્તિષ્ક બનતા જણાય છે. આ નવ્યબ્રાહ્મણો પહેલાંના પૂજારીઓની જેમ નક્કી કરે છે કે સાચું શું છે. રાજકારણીઓ ભૂજાઓ રૂપે ઊભરીને નવ્યક્ષત્રિય બનતા જણાય છે. પહેલાંના રાજાઓની જેમ પોતાનો કક્કો ખરો કરવા તેઓ પાસે સત્તાનું બળ છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને કાનૂની અલગ અસ્તિત્ત્વ ધરાવતાં કોર્પોરેટ ગૃહો ધડ બની ગયાં છે. આ નવ્યવૈશ્યો પાસે પહેલાંના વેપાતી વર્ગની જેમ નાણાંની શક્તિ છે.અને છેલ્લે નાગરિક હક્કો, સ્ત્રીઓ, બાળકો અને અપાહિજોના હક્કો કે પર્યાવરણ માટે લડતાં રહેતાં લોકો હવે સમાજના પગ બનીને જૂદી લડાઈઓનાં તાપણાં સળગાવી બેઠાં છે. સત્તા, પૈસા અને શક્તિ ધરવાતા 'ઉચ્ચ' વર્ગો સામે માનવીય હક્કો માટે લડતાં આ લોકો નવ્યશૂદ્ર કહી શકાય.

મારા કર્મશીલ મિત્રની સમક્ષ મેં જ્યારે આ મૉડેલ રજૂ કર્યું, ત્યારે તે નારાજ થઈ ગયા. સહુથી નિમ્ન ક્ક્ષાના શૂદ્ર કહેવડાવનું તો તેમને પસંદ ન જ હોય તે તો સ્વાભાવિક છે. પરંતુ તેઓ નવ્યબ્રાહ્મણ પણ કહેવડાવવા તૈયાર નહોતા કારણકે રાજકીય કારણોસર તેમ કહેવડાવવું તેમના હિતમાં નહોતું. ખેર, મેં તો તેમની માફી માગી લીધી.

મારૂં માનવું છે કે આપણા કાયદાશાસ્ત્રીઓને પણ નવ્યબ્રાહ્મણ કહેવડાવવું નહીં ગમે. તેઓ પહેલાંના સમયના બ્રાહ્મણોની જેમ, પોતાને 'કાયદાના સર્જક' નહીં પણ 'કાયદાના સંરક્ષક' ગણાવવાનું જ પસંદ કરશે. જો કે નવ્યવર્ણ વ્યવસ્થાનો આધાર પણ પુરાણ શાસ્ત્રો પરથી લેવાયો છે એટલે તેના પર તો એ લોકો પણ મહોર નહીં મારે. હું તેઓની પણ માફી માગું છું.

clip_image001 'મિડ ડે'માં ડીસેમ્બર ૨૨, ૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, The New Varna System , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર એપ્રિલ ૨૧, ૨૦૧૪ના રોજ Modern MythmakingSociety ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઈ ૨૨, ૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો