શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015

ઍયન રૅન્ડ અને નાતાલ માટેના શુભેચ્છા કાર્ડ

ઍયન રૅન્ડ તેમની The Fountainhead અને Atlas Shrugged એમ બે નવલકથાઓથી બહુખ્યાત થયેલ છે. પણ તેમણે નવલકથા એ નવલકથા ખાતર નહોતી લખી. તેમની નવલકથાઓ તેમની વિચારસરણીને રસપ્રદ સ્વરૂપે રજૂ કરવાનું માધ્યમ રહી છે.તેમની આગવી ફિલોસોફીનાં નિરૂપણ માટે તેમણે સામાન્ય લોકોથી સાવ જ જૂદાં લાગે તેવાં વ્યક્તિત્વોને પાત્ર સ્વરૂપે રજૂ કરી ને નવા જ પ્રકારની નવલકથાઓ લખી. આપણે જે સમાજમાં રહીએ છીએ તે વિષેની આપણી સમજ બહુ જ સ્પષ્ટ વિચારસરણીના ધાર પર ઘડાયેલી હોય તો જ જીવનમાં કંઈ અનોખી સિદ્ધિ મેળવી શકાય એમ તેઓ બહુ ભારપૂર્વક માનતાં હતાં. ઘણાં લોકોએ તેમની સમાજ પ્રત્યેની સ્વકેન્દ્રી દૃષ્ટિને સમાજની સંવાદિતામાં પલીતો ચાંપનાર પણ કહી છે. આમ તેઓ જેટલાં ખ્યાતનામ થયાં તેનાથી વધારે કદાચ ચર્ચાસ્પદ રહ્યાં (છે).

તેમની ફિલોસૉફીને રજૂ કરતાં તેમણે કહ્યું છે : હું તળ મૂડીવાદી નથી કે નથી સ્વકેન્દ્રીઅહંભાવની હિમાયતી. હું એ બંનેનાં પાયામાં વાસ્તવવાદી તર્કશીલ વિચારશક્તિને કેન્દ્રવર્તી ગણું છું. તર્કબદ્ધ વિચારશક્તિની સર્વોપરિતા સ્વીકારી, તેને જીવનનાં દરેક પાસાંમાં સતત અમલમાં મૂકવામાં આવે તો બીજું બધું તો અનુસરતું જ રહેશે.

ઍયન રૅન્ડ જેવી પૂરેપૂરી રીતે વાસ્ત્વવાદી અને તર્કશીલ વ્યક્તિ નાતાલની ઉજવણીમાટે શુભેચ્છા કાર્ડ મોકલે?

૨૦૧૦માં પ્રકાશિત થયેલ 100 Voices: An Oral History of Ayn Randમાં સ્કોટ મેક્કોનેલનું તો કહેવું છે કે, હા, બિલકુલ. પરંતુ ૬૫૬ પાનાનાં આ પુસ્તકમાં ક્યાંય એ કાર્ડ જોવા નથી મળતાં. ડેવીડ ઍકૅડયીઆન Ayn Rand Archivesમાંથી એ કાર્ડ ખોળી લાવવામાં સફળ થયા. તેમની પોસ્ટ, 21 Ayn Rand Christmas Cards પર ઍયન રૅન્ડના ૨૧ નાતાલ કાર્ડ જોવા મળશે.

ઈશ્વરમાં ન માનનાર એક તર્કશુદ્ધ વ્યક્તિ નાતાલ જેવો આનંદનો ઉત્સવ લગભગ દરેક ઘર સુધી પહોંચી શકયો તે માટે ઉજવણીનાં વ્યાપારીકરણને શ્રેય આપે છે. એ રીતે વ્યાપારીકરણ જેવી મૂડીવાદી અર્થવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતી આર્થિક પ્રવૃત્તિનાં સકારાકાત્મક પરિણામો પર ભાર મૂકવાનો તેમનો આશય છે.

એમાંના દરેક કાર્ડમાં ઍયન રૅન્ડનાં અવતરણો સાથે સહમત થવું થોડું મુશ્કેલ કામ છે. જો કે ઍયન રેન્ડના ઘણા વિચારો માટે જ એ વાત તો સાચી છે ને ! આપણે તેમાંના કેટલાક કાર્ડ પરનાં તેમનાં મૂળ અંગ્રેજીમાં અવતરણો અને તેના ગુજરાતી અનુવાદ અહીં મૂક્યા છે.


ઉપરોક્ત સાઈટ પર મૂકેલા ૨૧ કાર્ડ્સમાંથી અહીં તો જે પ્રતિનિધિ કાર્ડ્સ મૂકયાં છે તે તો તેમની વિચારસરણી વિષે આપણાં મનમાં વધારે સવાલો ઊભા થાય તેમ કરવાના ખરા આશયથી જ મૂક્યાં છે.

૨૦૧૬નાં વર્ષ દરમ્યાન, તેમના કેટલાક લેખો દ્વારા આપણે તેમના વિચારો સાથે વધારે વિગતે પરિચય મેળવીશું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો