રાવણ સીતાનું હરણ કરીને લંકા ઉપાડી ગયો. રામ તેમની વાનર
સેના સાથે લંકા પર ચડાઈ કરી ગયા અને દ્વિપ-રાજ્યને ઘેરો ઘાલ્યો.રાવણના ભાઈઓ કે
પુત્રો આ આખા કાંડ માટે રાવણને દોષિત નથી ગણતા. તેઓ રાવણની રામની સામેની લડાઈમાં
તેની પડખે ઊભા રહ્યા છે. પરિસ્થિતિના નૈતિક ગુણદોષમા ગયા વગર રાવણ પરિવાર માલિકીપણાનો
ભાવ બતાવવાની બાબતે એકમત છે. રાવણની સમસ્યા આખા પરિવારની જ સમસ્યા ગણી લેવામાં આવી
છે.
મારે ઘણી સંસ્થાઓમાં કર્મચારીઓમાં આ પ્રકારનો માલિકીભાવ
ઉતારવા માટે વ્યક્તવ્યો આપવા જવાનું થાય છે. આ ખાસું મુશ્કેલ કામ છે. ઘણી વાર તો
મને સવાલ પણ થાય છે કે શું ખરેખર
કર્મચારીઓ, કે પછી સંચાલક
મંડળ પણ, માલિકીભાવનો
અર્થ સમજે છે ખરાં.માલિકીભાવ હોવો એટલે શું? આજકાલનાં કોર્પોરેટ વાતવરણમાં આ પ્રકારની ભાવના સંભવ છે? બસ,આ સવાલો મને આખી
વાતનાં મૂળ સુધી જવા પ્રેરે છે.
કુદરતમાં માલિકીપણા જેવું કંઈ નથી. પ્રાણી જગતમાં કોઈની
જ કોઈ પર માલિકી નથી હોતી કે નથી હોતી કોઈની જ કોઈ મિલ્કત. પોતપોતાના પ્રાદેશિક
વાડાઓ માટે પ્રાણીઓમાં તકરાર હોય, પણ જો પોતાના
હરિફો સામે પોતાનું સ્થાન પોતે ટકાવી ન શકે તો એ સ્થાન તે છોડી દે.પોતાનાં
બાળબચ્ચાંનાં રક્ષણ બાબતે તેઓ બહુ આગ્રહી જરૂર હોય છે, પણ તેને માલિકીભાવ ન કહી શકાય.એટલે માલિકીભાવ માનવસંચિત જ કહી શકાય. સાદા
શબ્દોમાં કહીએ તો આ મારૂં છે એવો ભાવ એ માલિકીભાવ.
હિંદુ કે બૌદ્ધ કે જૈન ધર્મના આશ્રમોન્મુખ અભિગમ મુજબ
કંઈ જ મારૂં નથી એ જ ખરું જ્ઞાન છે. પણ ભયને કારણે આપણે વસ્તુઓને વળગી રહીએ છીએ
અને તેમને પોતાની સંપત્તિ જાહેર કરી દઈએ છીએ. જેને આપણે આપણું માનીએ છીએ તે છીનવાઈ
ન જાય એટલા સારુ આપણે લડાઈઓ પણ વહોરી લઈએ છીએ, જ્યારે ખરૂં ડહાપણ તેમના ત્યાગમાં છે.એટલે લોકોને જ્યારે પોતાના
માલિકીભાવની સમસ્યાઓનો ઉકેલ આધ્યાત્મિક સાહિત્યમાં શોધતાં જોઈએ છીએ ત્યારે
અચરજ થાય.
જે કંઈ મારૂ હોય તેની વ્યવસ્થા મને ઠીક લાગે તેમ હું
કરૂં. હું તેનું
રક્ષણ પણ કરીશ અને સંભાળ પણ લઈશ.સંસ્થાઓ જ્યારે તેમનાં કર્મચારીઓમાં માલિકીભાવની
અપેક્ષા કરે છે ત્યારે, પોતાને ફાવે
તેમ વ્યવ્સ્થા કરવાવાળાં માલિકીપણાંનો ખયાલ નહીં પણ સંસ્થાનાં રક્ષણ અને સંભાળનો ખયાલ
તેમનાં મનમાં હોય છે.
મોટા ભાગે સંસ્થા જેને માલિકીભાવ ગણતી હોય તેવી
વર્તણૂકને વર્ણવતી પ્રવૃત્તિઓને દસ્તાવેજ કરવામાં આવે છે. તાલીમ સત્રો જેવી
સામુહિક પ્રવૃત્તિ સમયે લોકો તેમ કરે એવી અપેક્ષાઓની સમીક્ષાને માપવા માટે કરીને
વિગતવાર તંત્ર વ્યવસ્થા ઘડી કાઢવામાં આવે છે. જોકે આમ કરવામાં જાણેઅજાણે
માલિકીભાવનું વાતવરણ થતું હોય તો પણ વિખરાઈ જાય એવી પરિસ્થિતિઓ ઊભી થઈ જતી હોય છે
તે વળી જૂદી વાત છે.
આજનાં કોર્પોરેટ વાતવરણમાં જ્યાં દરેકેદરેક વાત માટે
નિયમો ઘડી કઢાતા હોય ત્યાં આપણને ફાવે એ મુજબ વ્યવસ્થા તો કરી શકવાનો પ્રશ્ન જ ઊભો
નથી રહેતો.આજનું સંચાલન તંત્ર તો નિયમનમાં માને છે. કોઈને કેમ કામે રાખવું,કેમ તેની પાસેથી કામ લેવું, તેણે ક્યાં કામ કરવું, તેના ઉપરનાં
અને નીચેનાં કર્મચારીઓ સાથે સંબંધ કેવા હોવા જૉઇએ, નોકરીમાંથી કેમ તેને કાઢી મૂકવું એ બધાં માટે બહુ ચોક્કસ પ્રક્રિયાઓ નક્કી કરાયેલ
હોય છે. દરેક પ્રક્રિયા માટે નિશ્ચિત ઢાંચો હોય છે.આમાં બાંધછોડ કે સર્જનાત્મકતા
માટે બહુ અવકાશ નથી રહેતો. પ્રક્રિયામાં આપણે કંઈ ઉમેરો કરીએ એવું મન પણ નથી થતું.
બસ, અપેક્ષિત તો એટલું જ રખાય છે કે તમે તેનું નિષ્ઠાપૂર્વક
અનુપાલન કરો. ક્યારેક આ પરિસ્થિતિ સભ્ય જેલ જેવી લાગે. પિંજરામાં પૂરાયેલાં
પક્ષીને તેનાં પિંજરાં માટે માલિકીભાવ ક્યાંથી ઉપજે?
વળી, બહુ મોટાં, વિકસતાં કોર્પોરેટ્સમાં વ્યક્તિનું બહુ મહત્ત્વ પણ નથી રહેતું.દરેક વ્યક્તિ
એક નંબર દીધેલ કર્મચારી બની રહે છે, જેનું કામ કરવાનું ટેબલ તેનું પિંજરૂં નીવડે છે. તમે જે કંઈ વિચારો તે
સુનિશ્ચિત કરેલ નિયમોની સીમાના દાયરામાં જ રહીને વિચારી શકો. અનુપાલન કરવું અને
ચીંધેલું કામ કરી આપવું એટલું જ અપેક્ષિત છે.પેલી ગુલાબી ચિઠ્ઠી તો વળી ગમે ત્યારે
ફૂટી નીકળી શકે. મજાની વાત તો એ છે કે મોટાં કોર્પોરેશનોનાં કર્મચારીઓ પણ અચાનક
પકડાવી દેવાતી ગુલાબી ચિઠ્ઠીની પ્રથાને બહુ આસાનીથી સ્વીકારી ચૂક્યાં છે.
બહુરાષ્ટ્રીય કંપનીઓમાં તો વળી આ ઘટનાઓ છાપાંમાં છપાવા લાયક સમાચાર બની રહે
છે.સંસ્થાનાં વાતવારણનું જ્યારે આટલી હદે અમાનવીયકરણ થઇ ચૂક્યું હોય ત્યારે
માલિકીભાવ વિકસે એમ અપેક્ષા કરવી તે પણ વધારે પડતું બની રહે છે.
સંસ્થા તમારા પ્રશ્નોને પોતાના પ્રશ્નો ન ગણતી હોય એવાં
વાતવારણમાં જવાબદારી લેવી કે પહેલવૃત્તિ કેળવવી એ સહેલું નથી.આપણી જે સંભાળ રાખે
અને રક્ષણ કરે તેની જ સંભાળ કે રક્ષણ કરવાનું આપણે ગળે ઉતરતું હોય છે.આપણી સલામતી
અને સ્થાનને જે રક્ષે તેના માટે જ આપણા મનમાં રક્ષણ કરવાની ભાવના પેદા થાય છે.જેમ
સિંહ પોતાના સમૂહ માટે પોતાના પ્રદેશની રક્ષા કરવા માટે ખુંખાર બને છે તેમ આપણે પણ
જે લોકો પોતાનાં ભલાં માટે આપણા પર આધાર રાખતાં હોય છે તેમના તરફ માલિકીભાવ રાખીએ
છીએ. આમ કર્મચારીઓમાં 'માલિકીભાવ' જગવવા માટેની પ્રાથમિક જવાબદારી ખરેખર તો સંસ્થાની/ સંસ્થાના માલિક કે
વરિષ્ઠ સંચાલક મંડળની બની રહે છે. લોકો માલિકીભાવ બતાવતાં ફરે એમ કહેવાનો કોઈ મતલબ
નથી; એ તો સંસ્થાની નીતિઓ અને પ્રક્રિયાઓમાંથી સ્વાભાવિકપણે
નિપજે તો જ તેનો ખરો અર્થ સરે.
‘ધ ઈકોનોમિક ટાઈમ્સ'
માં મે ૧૧,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- અસલ અંગ્રેજી લેખ, Elusive Ownership , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઓગસ્ટ ૨, ૨૦૧૪ના રોજ Business • Indian Mythology • Modern Mythmaking • Myth Theory • Ramayana • Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૯, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો