સામાન્ય રીતે આપણે જ્યારે જ્યારે 'કાળાં વાદળ ઘેરાય છે' એવો શબ્દપ્રયોગ
કરીએ છીએ, ત્યારે કંઈ
અણઘટતું બનવાનો અંદેશો આપતાં હોઈએ છીએ.જે રાજકીય પક્ષને આપણે દિલોજાનથી ધિક્કારતાં
હોઇએ તે ચુંટણી જીતી જાય તો આપણને દેશ પર કાળાં વાદળો ઘેરાતાં દેખાય. જે વ્યક્તિ
દીઠી ન ગમતી હોય તે જ આપણી ઉપરી બનીને આવે ત્યારે આપણને આપણા પર કાળાં વાદળો
ઘેરાતાં લાગે. અણગમતાં મહેમાન આવી ધમકે તો આપણને ઘર પર કાળાં વાદળ મંડરાતાં
અનુભવાય.
અને તેમ છતાં ભારતીય સાહિત્યમાં કાળાં વાદળનું ઘેરાવું એ
ખુશી માટેનું રૂપક તરીકે વપરાય છે, કારણ કે દુકાળની કે કાળઝાળ ઊનાળાની ગરમીની
લાંબી દઝાડ પછીથી આવી રહેલાં ચોમાસાંની તે છડી પોકારે છે. કાળાં વાદળ માટે સાહિત્યિક પરિભાષિક શબ્દ છે 'ઘનશ્યામ'. તેનાં આગમન
સાથે મોર આનંદથી થનગનાટ કરવા લાગે છે. કાવ્યોમાં તે લડાઈ માટે કે વેપાર ધંધા અર્થે
વિદેશ ગયેલા કે પછી દૂરસુદૂર ઘાસનાં મેદાનોમાં ધણને ચરાવીને સાંજે પાછા ફરતા
પ્રીતમનું ચિત્રણ બની રહે છે. ઘનશ્યામ એ કૃષ્ણનું પણ એક નામ છે. અને કૃષ્ણ તો
પ્રેમ અને આનંદના દેવ છે ને!
ઉત્તર યુરોપના દેશોમાં સૂર્યપ્રકાશ અને ગરમી ઓછા
પ્રમણમાં મળે છે, એટલે ત્યાં
સૂર્યનાં આગમનને દેવનાં આગમન બરાબર ગણવામાં આવે છે.એ જ રીતે ઠંડું વાતાવરણ, બરફ અને ઘુંધળાં વાદળને શયતાન સાથે સાંકળી લેવાયાં. જેટલું ઉજળું એ બધું સારૂં. પછી તો આખી વાતને જાતિવાદ સુધી લંબાવાઈ લેવાઈ.
ગોરા દેવ થઈ ગયા અને કાળા શયતાન. યુરોપમાંથી બહાર આવેલ ધાર્મિક મૂર્તિકલામાં પણ
આપણને આ મુજબ જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે પાશ્ચાત્ય લોકોને હિંદુઓનું શ્યામ
દેવ, કૃષ્ણ,ને પૂજવું
ખટકે. તેમાં પછી કાલીની પૂજા તો તેમને ગળે જ કેમ કરીને ઉતરે? હિંદુઓએ વળતા જવાબમાં જ ચોખવટ કરી કાઢી કે 'ભાઈ, એ કાળો નથી, પણ ઘેરા નીલ વર્ણનો છે!' કાળાશને આમ
દુષ્ટતા સાથે, ગુન્હાખોરી
સાથે, દુઃખ અને યાતના
સાથે સાંકળી કાઢવાને કારણે જાહેરાતોની મોડેલ ગોરી હોય છે. ગોરાપણાંના ક્રીમ
વેંચનારી, 'નૈતિક મૂલ્યો' ધરાવતી, કંપનીઓ પણ પોતાની જાહેરાતમાં ગોરાપણાને સફળતાની અને જીવનમાં સુખોની ચાવી
તરીકે રજૂ કરવામાં ખચકાતી નથી.
વેદોના યુરોપીઅન અનુવાદકોએ આ બાબતને સમજ્યા વગર જ હિંદુ
કથાઓ પર પોતાનો મત ઠોકી બેસાડ્યો.આમ ઘેરાયેલાં વાદળોમાં તેમણે વરસાદ અવડાવવા માટે
ઈંદ્રનાં વજ્રપાતથી જીતાતા વૃત્ર જોયો.તેમને વૃત્રમાં 'નાગ' દેખાયો.
વેદોમાં વર્ણવેલ સંકુલ સંબંધોને અને
પછીનાં હિંદુ પુરાણોમાં વરસાદ, સાપ અને હાથીના
એકબીજાં સાથેના સંબંધોને સમજવામાં એ લોકો થાપ ખાઈ ગયા. વરસાદના દેવ ઈન્દ્ર, સંપત્તિનાં દેવી લક્ષ્મી અને સમૃધ્ધિના દેવ ગણેશનો ઘેરાયેલાં વાદળો, સાપ અને હાથી સાથે નાતો છે. ઘેરા રંગના હાથીમાં કંઈ અનિષ્ટ તત્ત્વ નથી
જોવામાં આવતું (અંગ્રેજી શબ્દ evilનો ખરા અર્થમાં
કોઈ પર્યાય ભારતીય ભાષાઓમાં જોવા નથી મળતો.) સફેદ હાથીઓની લોકપ્રિયતાને તેમનાં સફેદ હોવા સાથે નહીં પણ તેમની ઉત્પત્તિ 'દૂધના સફેદ' સાગરમાંથી થઈ
છે તેને કારણે છે.
જ્યારે માર્કો પોલો ભારત આવ્યો ત્યારે તેણે જોયું કે
લોકો તો ઘેરા રંગનાં ચાહક છે. વિષ્ણુ શ્યામ છે, કૃષ્ણ શ્યામ છે, રામ શ્યામ છે.
શ્યામ રંગ તો ધરતીની ફ્ળદ્રુપતા સાથે સાંકળી લેવાતો હતો.તેમ ગોરો રંગ પણ લોકપ્રિય
હતો. રાધા ચંપક ફૂલો જેવાં ઉજળાં હતાં,શિવ કર્પૂર-ગો-રંગ સમા ગૌર હતા. સફેદ રંગને દૂધ અને માખણ સાથે જોડવામાં
આવતો હતો. સફેદથી કાળું ચઢિયાતું નહોતું કે ન તો કાળું સફેદથી ચઢિયાતું હતું.
દરેકનું પોતાનું એક પ્રસ્થાપિત સ્થાન હતું.
શિવ ક્યારેક કાળ-ભરવ છે તો ક્યારેક ગૌર-ભૈરવ છે.દેવી
ક્યારેક કાલિકા છે તો ક્યારેક ગૌરી છે. ઘેરો રંગ જંગલો સાથે તો સફેદ રંગ વરસાદ
સાથે સાંકળવામાં આવે છે. ઘેરો રંગ વેરાન વગડા સાથે તો ઉજળાપણું સભ્ય સમાજ સાથે
સાંકળવામાં આવે છે. એક કરતાં બીજું વધારે સારૂં નથી સમજવામાં આવતું. જીવનનું વર્તુળ પૂરૂં કરવા બન્ને આવશ્યક છે. વૈવિધ્ય
માત્ર જંગલોમાં જ જોવા મળે, ખેતરોમાં નહીં ; ખેતર જે સલામતી આપે છે તે જંગલ નથી આપી શકતું. જ્યારે ગરમી વધી જાય ત્યારે
આપણે ઘેરાયેલાં વાદળો જંખીએ છીએ. જ્યારે બહુ વરસાદ થઈ પડે છે ત્યારે કાળાં વાદળો હટી જાય તેમ આપણે ઈચ્છવા લાગીએ
છીએ.
‘ધ સ્પીકિંગ ટ્રી' માં જુન ૮,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- અસલ અંગ્રેજી લેખ, Dark Clouds Looming , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઓગસ્ટ ૪, ૨૦૧૪ના રોજ Indian Mythology, Mahabharata, Modern Mythmaking, Myth Theory, Ramayana, Society, World Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૭, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો