ઈસ્લામિક સ્ટેટ ઑવ ઈરાક઼ એન્ડ શૅમ (આઇએસઆઈએસ)નું લશ્કર
કુચ પર નીકળી પડ્યું છે. તેણે પોતાની જાતને નવી ખલીફાત જાહેર કરેલ છે. એમ કરીને
તેઓએ એ દિવસોની યાદ કરાવી છે જ્યારે મોહમ્મદ પયગંબરના 'વારસ' પાક લોકોના સાર્વભૌમ રાજ્ય, ઉમ્મા, પર રાજ્ય કરતા હતા. આ એક બહુ ઘેરી કટોકટી છે જેણે મધ્ય પૂર્વની, અને ખરેખર તો સમગ્ર વિશ્વની, સ્થિરતા
જોખમમાં મૂકી દીધી છે.
કેટલાંક લોકોનું કહેવું છે કે આ બધાંની શરૂઆત ઈરાક઼નાં
કુવૈત પરનાં ૧૯૯૦માં કરાયેલાં આક્રમણથી થઈ.તેને કારણે ખાડીનું યુધ્ધ થઈ પડ્યું , જેના તણખામાંથી એક જ્વાળા ૨૦૦૧ની ૯/૧૧ની અમેરિકાની કરૂણાંતિકા સ્વરૂપે
દેખાણી. એનાં પરિણામે અમેરિકાએ આતંકવાદ સામે જંગ આદર્યો અને ઈરાક઼ના સરમુખત્યાર
સદ્દામ હુસૈન અને ૯/૧૧પાછળ મુખ્ય ભૂમિકારૂપ મનાતા અલ કાયદાના ઓસામા બીન લાદેનની
હત્યા થઈ. પરિણામે સમગ્ર પ્રદેશમાં એક પ્રકારનું અસંતુલન પેદા થયું, જેણે તુર્ક અને કુર્દ કે શિયા અને સુન્ની વચ્ચેની પરંપરાગત દુશ્મનાવટના
જુના ઘા પરનાં પડ ઉખેળી નાખ્યાં. શિયા ને સુન્ની સંપ્રદાયો વચ્ચેનાં વૈમનસ્યના બીજ
તો પાછાં પર્શિયનો અને આરબ વચ્ચેની જૂની અદાવતમાં પડ્યાં હતાં. ઈસવી સન પૂર્વેની
પાંચમી સદીનાં અખૅમિનીયન સામ્રાજ્યની રાજાશાહી સાથે પર્શીયન સંસ્કૃતિની કડી
જોડાયેલી જોવા મળે છે.ઈસ્લામના સ્થાપક, અને આજના તેલના
ભંડારો, સાથે જેનું
જોડાણ જોઈ શકાય એવી કંઈકઅંશે સમાનતામૂલક
આરબ આદિજાતિ સંસ્કૃતિને પર્શિયનોએ ઉતરતી નજરે જ જોઈ છે.
બીજો એક વર્ગ એમ માને છે કે બીજાં વિશ્વયુધ્ધના અંતને
પરિણામે થયેલા ઑટ્ટૉમૅન સામ્રાજ્યના ક્ષયના કારણે પેદા થયેલ અરાજકતાનો લાભ લઈને
યુરોપિયન સામ્રાજ્યવાદે, યહુદી ધર્મને અનુસરતાં ઇસ્રાયેલ અને તે સિવાયનાં
અન્ય મુસ્લિમ રાષ્ટ્ર દેશોની સ્થાપના કરી
તેમાંથી આ બધી શરૂઆત થઈ. તે પછીથી હાલ આપણે જેને ઇસ્રાયેલ, પેલેસ્ટાઈન,
જોર્ડન અને (આઇએસ આઇએસના અલ શૅમ) સિરિયા તરીકે ઓળખીયે
છીએ તે પ્રાચીન લૅવૅન્ટ પ્રદેશમાં ચરૂ હંમેશાં ઉકળતો જ રહ્યો છે.
જાંબલી રંગ અને અત્યારની અંગ્રેજી લિપિ જેમાંથી ઉતરી આવી
મનાય છે તે મૂળાક્ષરો માટે જાણીતા દરિયાખેડુ વેપારીઓ માટે પ્રાચિન કાળથી લૅવૅન્ટ
પ્રદેશ જાણીતો છે.આપણે એ પણ ભૂલી જઇએ છીએ કે આજનું ઈરાક઼ એ પ્રાચીન સમયનું -
ટાઈગ્રીસ ને યુફ્રેટ્સ એમ બે નદીઓનો પ્રદેશ- મેસોપોટેમિયા અને ઈરાન એ પ્રાચીન
પર્શિયા છે. મેસોપોટેમિયાએ આપણને બાઈબલની મહાપૂર (The Flood), નોઅસ આર્ક (નોઅની નાવ (Noah’s Ark), બૅબેલનો પહાડ
(Tower of Babel),
દસ ઐશ્વરીઆજ્ઞાઓ (Ten Commandments) જેવી બહુખ્યાત કથાઓ આપી છે. પર્શિયાએ નંદનવનનો વિચાર આપ્યો છે જે મૂળતઃ
ચારેબાજૂથી ઘેરાયેલ પ્રદેશમાંનો એક બાગ છે. ત્યાંના સૂકા પ્રદેશો વચ્ચે આવેલા
મહેલમાંના હરિયાળા બગીચાઓનાં સ્વરૂપે તે જોવા મળે
છે.
મેસોપોટેમિયા અને લૅવૅન્ટ એવા પ્રદેશો છે જ્યાં આજથી
લગભગ ૬૦૦૦ વર્ષ પહેલાં શહેરો બંધાયાં હતાં, જ્યાંથી
એકેશ્વરવાદી પૌરાણિક કથાઓનો ઉદ્ભવ થયો. શહેરો બંધાણાં તે પહેલાં લોકો લોહીનાં
સગપણ કે લ્ગ્નસંબંધોનાં જોડાણોથી જૂદા જૂદા સમુદાયોમાં રહેતાં.શહેરો થવાને કારણે
લોકો ઈશ્વરની આસપાસ રચાયેલા કાયદાઓથી બંધાયાં. એ એવો ઈશ્વર હતો જેણે પોતાનો કાયદો
સ્વીકારનાર બધાંને પોતાનાં રક્ષણમાં આવરી લીધાં.જ્યારે શહેરોશહેરો વચ્ચે લડાઈઓ થતી
ત્યારે તે શહેરોના ઇશ્વરો વચ્ચેની લડાઈ તરીકે જોવામાં આવતી. જ્યારે સામ્રાજ્યો
અસ્તિત્ત્વમાં આવ્યાં ત્યારે સમ્રાટ વધારે મોટા ઈશ્વરનાં રૂપે જોવામાં આવ્યા, તે પસંદગીપાત્ર વ્યક્તિ હતાં અને તેમનાં લોકો પસંદગી પામેલ લોકો હતાં.
છેવટે સમ્રાટોએ નક્કી ઠેરવ્યું કે તેમનો ઈશ્વર એ જ એક માત્ર ઈશ્વર છે, બીજા બધા ઈશ્વર ખોટા છે.દરેક શહેરે તેના પસંદગીપાત્ર ઈશ્વર પાસે નમવું
પડતું, એક જ ઈશ્વરે નક્કી કરેલા કાયદાઓને સ્વીકારવા પડતા અને એ કાયદાઓનો અમલ કરતા
રાજાને આધીન થવું પડતું.
હા, જે ઇશ્વરે પૂર્ણતઃ નિષ્ઠા માગી તેની ઓળખ સદીઓ વીતતાં
બદલતી રહી.કનાનીઓ માટે તે બાલ હતા. પર્શિયનો માટે તે આહુર મઝદા હતા. બેબીલોનીઓ
માટે તે માર્દૂક હતા. હીબ્રૂ ટૉળીઓમાટે તે યાહૉવા હતા. એરેબીકમાં જેનો શાબ્દિક
અર્થ ઈશ્વર થાય છે તે અલ ઈલાહપરથી, આરબો માટે તે
અલ્લા હતા.
‘ધ મિડ-ડે' માં ૧૩ જુલાઈ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Cradle of Monotheism.નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૫ માર્ચ, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો