શુક્રવાર, 30 જૂન, 2017

પ્રશ્નોના હલ શોધવામાં આપણે આટલાં બધાં ઢીલાંઢાલાં કેમ ?



નૅટ ગ્રીન @Seapoint Center
માણસ જાત આદમ કાળથી ભાત ભાતની સમસ્યાઓના હલ શોધવામાં ઠીકઠીક અંશે સફળ રહેલ છે. વાનરમાંથી આજના સભ્ય માણસે, વિજ્ઞાનનાં જ્ઞાનથી બીજા ગ્રહોની સફર ખેડવા સુધીની ક્ષમતા મેળવી છે એ વાત કંઇ નાની સૂની નથી તે તો નિર્વિવાદ કહી શકાય.
દરેક તબક્કાએ તેને જેટલી સમસ્યાઓ ઘેરી રહેતી હતી તેટલી જ સમસ્યાઓ આજે પણ માણસને ઘેરી રહી છે. તંદુરસ્ત જિંદગી ગુજારવી કે સંબંધો જાળવી રાખવા એ આજે પણ માણસને મુંઝવે જ છે. પર્યાવરણના ફેરફારોને કારણે કે વૈશ્વિકીકરણને લીધે લાખો કરોડો રૂપિયાનાં નુકસાનો ઊઠાવ્યા બાદ પણ એની એ જ સમસ્યાઓ જૂદાં જૂદાં સ્વરૂપે માણસજાત સામે ઊભી જ પડી હોય છે. કંકાસ, હિંસા, ગરીબી કે નવા નવા રોગોના વાવર જેવા માણસનાં જીવનને સતાવતા સામાજિક પ્રશ્નો પણ પત્યા પતતા જ નથી દેખાતા. કારણ કદાચ એટલું જ કહી શકાય કે આટઆટલી પ્રગતિ સાધ્યા પછી પણ આપણે હજૂ સમસ્યાનો હલ શોધવાની બાબતે ઢીલાંઢાલાં જ રહ્યાં છીએ.
આપણી રૂકાવટ છે સમસ્યા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ. આપણે એ વિષે અટકળો કરીએ છીએ. ઘણી વાર પાછાં એ અટકળો કરવાનું વિચારમંથન જેવું આપણું એક સુનિશ્ચિત માળખું પણ હોય છે. તો વળી કોઈ વાર આપણે તેને 'ચિંતન શિબિર'જેવાં રૂપકડાં નામો આપી સજાવી દેતાં હોઈએ છીએ. કોઈ વાર થોડું સંશોધન કર્યા પછી પાછાં અટકળ કરવા બેસી જતાં હોઈએ છીએ. નામ ગમે તે આપીએ, મૂળમાં તો અટકળબાજી છે. પ્રશ્ન જેટલો જટિલ, અને જેટલો પાછો મહત્ત્વનો પણ, એટલી હદે એનાં મૂળ કારણો પણ એટલી હદે ઠેકઠેકાણે ફેલાયેલાં દેખાય કે ખરેખર મૂળ કારણ કયું હશે એ જ અટકળનો  વિષય બની રહેતો હોય છે.
આપણે સમસ્યાનાં સમાધાનમાં જો આટલાં ઢીલાં હોઈએ તો પછી એ પરિસ્થિતિ ચલાવી લેતાં કેમ આવ્યાં  છીએ? ત્રણ મોટાંમસ કારણો આ માટે જવાબદાર ઠેરવી શકાય.
ક્રમિક વિકાસ
અટકળ કરવી એ મગજનું સ્વાભાવિક કામ છે. ઉત્ક્રાંતિના આપણા સમગ્ર ઈતિહાસમાં જોશું તો જણાશે કે માણસે હંમેશાં ઘણી થોડી માહિતીના આધાર પર ઝડપથી નિર્ણયો લેવા પડ્યા છે. જેમકે, સામે ધારદાર દાંત ફાડીને વાધ ઘૂરકતો ઉભો હોય, એની ખૂંખાર આંખો મારાં ગળાંને કેમ પોતાનાં જડબામાં ઝકડી લેવું તેની ગણતરી કરતી હોય ત્યારે બચવા માટે મારે કયું ઓજાર વાપરવું? આવી પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાઓથી ઘડાયેલ માનવ વંશાવલિને પૂરતો અભ્યાસ કરી,સમસ્યાનાં મૂળ કારણ સુધી જવાની જરૂરિયાતને આદત બનાવવાનો ક્યારે ય મોકો જ ન સાંપડ્યો.
સમસ્યાનાં સમાધાન માટે સમય ફાળવવાનો, જરૂરી સાધનો વિકસાવવાનો કે કળથી કામ લેવાના રસ્તા વિચારવા માટેનો ગંભીરતાપૂર્વકનો દૃષ્ટિકોણ કેળવવાનો સમય જ માણસ જાતને મળ્યો નથી. એટલે અજમાયશ કરવી અને તેમાં જો ભૂલ પડે તો શીખાય એવું અને એટલું શીખીને  ફરીથી અજમાયશ કરવાની રણનીતિ અપનાવવા સિવાય બીજો કોઈ માર્ગ એને મળતો નહોતો. આમાં જ્યાં સફળતા મળે તે પેઢી દર પેઢી કરાતું રહે. 'આમ જ થતું આવ્યું છે' એ વલણ ઉત્ક્રાંતિ માટે ફાયદાકારક રહ્યું હશે : જ્યારે બધા જ પ્રયત્નો અસ્તિત્ત્વ ટકાવી રાખવામાં ખર્ચાતા હોય ત્યારે બહુ વધારે પડતા અવનવા પ્રયોગો ક્યારેક આફતરૂપ અભિશાપ નીવડી શકે છે.
શાળામાં ઘુંટાણું
શાળાના દિવસો યાદ છે? શિક્ષક સવાલ પૂછતાં ત્યારે શું થતું? જે વિદ્યાર્થીને એમ લાગે કે તેને જવાબ આવડે છે તે હાથ ઊંચો કરે અને પછી પોતાને જે જવાબ સાચો લાગ્યો હતો તે હોંશે હોંશે કહે. જવાબ જો ખોટો પડ્યો તો ? શિક્ષક કહેશે, બહુ સરસ પ્રયત્ન કર્યો. ખોટી અટકળ કરવા માટે જો બાકીનાં વિદ્યાર્થીઓ હસી પડે તો તેમને શિક્ષક લડે, પણ ખોટી અટકળ કરનાર વિદ્યાર્થીને તો હજૂ વધારે કલ્પનાશીલ થવા પ્રોત્સાહન આપે.
સવાલનો જવાબ શું હોવો જોઈએ તે વિચારી, પોતાનાં પુસ્તકમાંથી ચકાસીને પછી જ જવાબ આપવો એવું શાળામાં કેમ શીખવાડાતું નહીં હોય? ચોક્કસ કારણો તો ખબર નથી, પણ મને એમ તો લાગે જ છે કે અટકળ કરવાની વૃત્તિને વિકસાવવા માટે વાતાવરણ આપવાથી કુમળી વયનાં માનસમાં આ પધ્ધતિ જડ નાખી દે છે જે આખી જિંદગી ઘુંટાતી રહે છે.
કામે લાગ્યા પછી હજૂ વધારે ઘેરૂં થયું
પહેલી નજરે તો એમ લાગે કે વ્યાપારઉદ્યોગ કે કોઇ પણ અન્ય વ્યવસાયમાં જ્યાં સમસ્યાનો ઉચિત ઉપાય કામે લગાડવાનું અતિ મહત્ત્વનું જ ગણાતું હોવું જોઈએ ત્યાં તો સંસ્થાનાં અગ્રણીઓ અટકળ પ્રવૃત્તિને શક્ય એટલી જલદી ડામી દેવાની જ કોશીશ કરતાં હશે. તેની સામે તેઓ સમસ્યાના ઉકેલનાં મહત્ત્વને ધ્યાનમાં લેતાં શકય એટલી માહિતી એકઠી કરવી, વિવિધ વિકલ્પોનું હેતુલક્ષી વિશ્લેષણ કરવું, સમસ્યા સાથે સંકળાયેલ પરિબળોનો અભ્યાસ કરવો,જરૂર પડ્યે કોઇ ઉપાયને નાના આ પાયે ચકાસી લેવો જેવી આકરામાં આકરી પધ્ધતિઓ અપનાવવા મટે પ્રોત્સાહન આપતાં હશે.
પરંતુ વાસ્તવિક વ્યાવસાયિક જગતમાં  ક્યારે પણ કંઈ અટકીને ઊભું રહી જાય ત્યારે અગ્રણીઓ ત્વરિત ઉપાય લાગૂ પાડી શકાય એ માટે તલપાપડ બની ઊઠે છે. જે વસ્તુ (કે પ્રવૃત્તિ) અટકી પડી છે તેને સંબંધિત માહિતીનો અભ્યાસ કરવા બેસવું એ તો સમસ્યાના સમાધાન માટે ઢીલાશ બતાવવા સમાન ગણવામાં આવે છે.તેની સામે બાયોં ચડાવીને સમસ્યાના સમાધાનમાં મચી પડેલાં સહકાર્યકરોને માનની દૃષ્ટિ જોવામાં આવે છે. પરિણામ પછી ભલે ને કંઈ પણ આવ્યું હોય ! એક પ્રયાસ નિષ્ફળ જાય તો બીજો કામે લગાડવો તેને તો પ્રશ્નના નિરાકરણ ભણી આગળ વધવાની નિશાની સમજવામાં આવે. ખરેખર કંઈ આગળ વધ્યું છે કે નહીં તે બીજી વાત છે, પણ તમે સમસ્યા અને ઉપાયોના વિકલ્પો વિષે વિશ્લેષ્ણ કરી રહ્યાં છો એવું કહેવાને બદલે 'બરાબરનાં લાગેલાં રહ્યાં છીએ' એવો અહેવાલ ઉપર આપવાથી હાથ પર હાથ ધરીને બેસી નથી રહ્યાં, તમારાં સારામાં સારાં લોકો તરત જ કામે લગાડી દીધાં છે અને જેવો હલ મળી જશે એટલે તરત જ તમને જાણ કરી છીએ તેવા સંદેશા તો આપી શકાય છે. 

અનુવાદકની નોંધઃ

નૅટ ગ્રીનનાં પુસ્તક -Stop Guessing: The 9 Behaviors of Great Problem-Solvers- માં સમસ્યાનો હલ શોધવા માટે અસરકારક રીતે સજ્જ બનવા માટે સરળ પધ્ધતો રજૂ કરવામાં આવી છે. જેમને માટે એ પુસ્તક વાંચવાનું શક્ય નથી તેઓ તેમનાં યુ ટ્યુબ ચેનલ પરનાં પ્લેલિસ્ટની મુલાકાત લઇને ત્યાં મૂકાયેલ વિડીયો ક્લિપ વડે પણ પાયાના સિધ્ધાંતો સમજી શકે છે.






  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો