મહાભારતમાં અભિમન્યુની શૂરવીરતાની વાત તો બધાંને ખબર જ હોય. અર્જુન
અને સુભદ્રાના આ કુમળા યુવાન
પુત્રને ચક્રવ્યૂહના કોઠામાં
દાખલ થવાની વિદ્યા તો જાણમાં હતી, પણ તેમાંથી બહાર કેમ નીકળવું તે હજૂ
શીખવાનું બાકી હતું. મહાભારતના યુધ્ધમાં તેના માટે આ મુજબનું છટકું ગોઠવીને તેને
લલકારવામાં આવ્યો. પોતાનાં કુટુંબ અને સાથીઓની રક્ષા કાજે, પોતાની આ નબળાઈ ખબર હોવા છતાં, તે એ ચક્રવ્યૂહમાં ઝંપલાવે છે
અને અંતે ધમાસાણ લડત આપતાં આપતાં વીરગતિ પામે છે.
કોર્પોરેટ વિશ્વનું મહાભારત પણ આવા લલચામણા ચક્રવ્યૂહોથી ભર્યું
પડ્યું છે, જે કાચી માટીના ઘડા સરખા ખૂબ હિંમતવાન અને
મહાત્વાકાંક્ષી અભિમન્યુઓને આ કળણો તરફ આકર્ષતું અને ફસાવી દેતું રહે છે. અનુભવોના
તાપના નિંભાડે પૂરા ન ઘડાયેલા આ યુવાનો જૂદાં જૂદાં કારણોસર એવી ગલતફહમીમાં હોય છે
કે તેમના જૂસ્સા અને આવડતના બળે દુનિયાની કોઈ પણ સમસ્યાનું
તેઓ સમાધાન કરી શકશે. એક વાર આ પડકાર ઝીલીને ઊંડા ઉતર્યા પછી
તેઓ સમસ્યાની જટિલતામાં ચારે બાજૂથી ઘેરાઈ જાય છે. જે કંપનીઓએ તેમને દાવ પર
લગાડ્યા હતા તે કંપનીઓને આ યુવાનોની દેખીતી નબળાઇઓ છતાં પણ તેમને જવા દેવાનું
પાલવે તેમ નથી. તો આજના યુગના અભિમન્યુઓ પણ ગળી શકે તે કરતાં મોટા કોળિયા ભરતા
રહેવાના છે, પછી ગુંગળવાના પણ છે અને બીજાંની મદદ
માટેનો અવાજ પણ કાઢી ન શકવાની પરિસ્થિતિઓમાં મૂકાતા રહેવાના છે.
લોકવાયકા પ્રમાણે,
જ્યારે પોતાના આ નવંકુરિત થઈ
રહેલા પુત્રનાં અવમૃત્યુમાટે તેના ભાઈઓની નામર્દાઇ અને શત્રુઓની ખંધાઈ વિષે અર્જુન
આક્રોશ વ્યક્ત કરે છે, ત્યારે કૃષ્ણ તેને કહે છે કે, 'તારે તારી જાતને પણ થોડે ઘણે અંશે આના માટે દોષિત ગણવી જોઈએ.
અશક્ય કામોની સામે બાથ ભીડનારા શૂરવીરોનો તું અફાટ પ્રશંસક રહ્યો છે, ભલે પછી તે જોખમ સાવેસાવ,
દેખીતી, મૂર્ખામી જ કેમ ન હોય. તારા પુત્રની શૂરવીરતાનાં હવે તું વખાણ
કર, ભલે તેમાં શહીદીના મરશિયાના સૂર સંભળાય.'
જેમનું એક બહુ પ્રચલિત નામ રણ-છોડ-રાય છે એવા કૃષ્ણ આ પ્રમાણે કહેતા હોય તો તેમાં ખાસ વજૂદ હોય.
ભાગવત પુરાણની આ વિષે એક કહાની છે. જરાસંધનો સેનાપતિ કાળયવન કૃષ્ણ માટે કરીને આખી
મથુરાને સળગાવી દેવાનો છે એવી ખબર પડતાં જ કૃષ્ણ કાળયવનને હાથતાળી દઈને દૂર
દ્વારકા નાસી છૂટ્યા. એ ત્યારે જ પાછા ફર્યા જ્યારે તેમણે પાંડવો જોડે દોસ્તી કરી
લીધી અને જરાસંધને હરાવવા માટે શક્તિમાન બની ગયા. જો કે ત્યારે પણ તેમણે જરાસંધનો
પરાજય બળને બદલે કળથી જ કરવાનું ઉચિત સમજ્યું હતું. રણછોડરાયનાં મંદિર ગુજરાતમાં
દ્વારકા અને ડાકોરમાં આવેલાં છે. મજાની વાત એ છે કે તેના મોટા અનુયાયીઓ રાજપૂતો છે, જે લડાઈમાં ખપી જવાથી સ્વર્ગ મળે એવાં ગૌરવમાં માનનારી લડાયક
કોમ છે. તો સામે છેડે, જેમનો ગુરુમંત્ર 'બજારમાં સફળ થવું હોય તો નાક (અહંનું પ્રતિક) ઘરે મૂકીને આવવું' છે એવા વાણીઆ સમુદાયમાં પણ રણછોડરાય
બહુ પ્રચલિત છે,
કોર્પોરેટ જગતમાં વધારે જોખમ અને આકરી મહેનતનાં મોટા ભાગે બહુ
ગુણગાન ગવાતાં હોય છે.એટલે લોકો ઘણીવાર, સીધી રીતે, હાસ્યાપદ કહી શકાય એવાં, બજારના બધા
જ સ્વીકૃત પ્રવાહોને
અતિક્રમીને આકાશના તારા તોડી લાવવા જેવાં વેચાણનાં લક્ષ્યાંકો સિદ્ધ કરવાની હોડ
બકવી કે મોડી રાત સુધી ઑફિસમાંથી કામ કર્યા જ કરવું જેવાં, કામો કરવા, આજનાં 'ગતિશીલ' સંચાલકો દિવસરાત એક કરી નાખતાં જોવા મળતાં હોય છે. ચક્રવ્યૂહમાં
દાખલ થયા બાદ થતી ગુગળામણ ઓછી કરવા માટે કલાકોના કલાકો મિટીંગ્સ થાય, ભાત ભાતના ચાર્ટ્સ અને પ્રેઝન્ટેશન્સ ચર્ચાય, ડઝનબંધ ચાકૉફીના મગ ખાલી થતા જાય.
ધીમે ધીમે લોકો એમ માનવા લાગે છે કે પોતાનાં કુટુંબ વગેરેને
અવગણીને પણ કામને મહત્ત્વ આપતા રહેવાથી તે સફળ થશે, તેણે આપેલા 'ભોગ'નાં તેને સુફળ, ક્યારેક તો, મળશે. જ્યારે જૂઓ ત્યારે કામે વળગેલાં
લોકો ખાધાપીધા વગર, આરામ પણ કર્યા વગર મચી પડ્યાં હોય છે, કાર્યસ્થળે તેઓ હીરો પણ માનવામાં આવે છે. આવાં લોકોને ખરી
નૈતિકતાનાં સાચાં મશાલચી તરીકે જોવામાં પણ આવતાં હોય છે. જે કોઈ થોડું સ્માર્ટ, વ્યવસ્થિત હોય, કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવી રાખતું હોય, તેને સ્વાર્થી, પાક્કું અને કામ પ્રત્યે નિષ્ઠા ન ધરાવતું
ગણી લેવાતું હોય છે. જ્યાં લક્ષ્ય બહુ સ્પષ્ટપણે આલેખી ન શકાય એવાં, સર્જનાત્મક કે વ્યૂહાત્મક જેવાં, કામોમાં આવું ખાસ થતું જોવા મળે છે.
પોતાને મળતાં પદ કે વેતનને ન્યાય આપવા
માટે કરીને આવાં લોકો કામના ઢસરડા કરે છે,
નવા નવા પ્રશ્નો ઊભા કર્યા
કરે છે અને પછી તેનાં સમાધાનો શોધવામાં પોતે પણ વ્યસ્ત થાય અને બીજાંને પણ તેમાં
ઘસેડે છે. આપણો સમાજ અભિમન્યુ જેવા યુવા શહીદોના
દુહાઓ રચશે પણ બીજી લડાઈઓ પણ લડતા રહેવા માટે જીવન બચાવતા રણ-છોડ-રાયની સામે પણ
નહીં જૂએ.
ખરી વાત તો એ છે કે વ્યાપાર એટલે જ અનિશ્ચિતતા. પણ
માલિકીઅંશધારકો જેવાં હિતધારકોને તો નિશ્ચિતતા જોઈતી હોય છે. આપણે કેટકેટલાંય
આયોજનો કરીએ, વ્યૂહરચનાઓ ઘડીએ, પણ બજાર તો ક્યાંકને ક્યાંકથી, કોઈને કોઈ, અચરજનું બિલાડું કોથળામાંથી કાઢી જ બતાવતું હોય છે. આપણી
પૂર્વધારણાઓ સાચી પડે તેના કરતાં ખોટી વધારે પડતી હોય છે. તકને ઝડપી લેવા આપણે
લીધેલાં જોખમોના પાસા, મોટા ભાગે, ઊલટા પડતા હોય છે. પરંતુ આ દુનિયાને તો જંગમાં જીત્યો એ જ શૂર
દેખાતો હોય છે, એટલે જીવનમાં તાણ અનુભવાય છે. વિજયની શક્યતાઓ વધારવા આપણે કામના ઢસરડા કરવાની કે ક્યારેક
ઊંધાંચત્તાં કામોની લતે ચડી જતાં હોઈએ છીએ. યુધ્ધ મેદાન છોડી અને ફરીથી સજ્જ થઈને
આવવાની રણનીતિ અપનાવતાં આપણને ડર લાગે છે. જે પરિસ્થિતિઓ માટે આપણે
પૂરાં સજ્જ ન હોઈએ એવાં કામોમાં ઉલઝી જતાં હોઇએ છીએ. સમસ્યાઓનો આપણે ઓછો અને આપણી
જાતનો વધારે અંદાજ માંડી બેસતાં હોઈએ છીએ. બસ હવે તો ધાર્યું કામ પાર પડશે જ એવી
આપણી આશા ક્યારે પણ કરમાતી નથી. એટલે,
આપણી વીરતા અને ભભકના ડાબલા
બાંધીને આપણે ઘાણીના બળદને જેમ જોતરાઈ પડીએ છીએ, પછી ભલેને સફળતા મળવાની
શક્યતાઓ આકાશકુસુમવત કેમ ન હોય !
- ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૩ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ Entrapped by Hero-giri, નો અનુવાદ
§
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો