પ્રાણીઓ કે ઝાડપાન વાર્તાઓ
નથી કહેતાં. એમ તો પથરા પણ વાર્તા નથી કહેતા. તેમણે એમ કરવાની જરૂર પણ નથી.
ખોરાકની સાંકળમાં કે તેમનાં સમૂહમાં કે ઝૂંડમાં કે પછી માળામાં તેમનો ક્રમ કયો છે
તે તો તેમને ખબર જ છે.
માનવ જાત વાર્તાઓ કહે છે,
તેમને કહેવી પડે છે. આપણી
દુનિયાને એક માળખામાં ગોઠવીને એ વાર્તાઓ આપણી ઓળખ પૂરી પાડે છે. વાર્તાઓ આપણને
વીરનાયક બનાવે છે કે પછી બનાવે છે ખલનાયક,
શોષિત કે શહીદ. વાર્તાઓ ન હોય
તો આપણી ઓળખ પણ ન હોય; આપણે કલ્પનાશક્તિ વગરનું પ્રાણી બની રહીએ.
આખી દુનિયાના ચેતાવિજ્ઞાનીઓ અને મનોવૈજ્ઞાનિકો હવે માનવ જીવનમાં વાર્તાનું મહત્ત્વ
સમજવા લાગ્યા છે.
પુરાણ કાળના ભારતીય સાધુઓને
ઋષિઓ તરીકે ઓળખવામાં આવતા કેમકે સામાન્ય રીતે જે બીજાં કોઈને ન દેખાતું તે આ લોકો
જોઈ શકતા. વાર્તાનું મહત્ત્વ તેઓ બહુ પહેલેથી જ સમજતા હતા.
•
ગદ્ય સ્વરૂપમાં કહેવાતી વાર્તા માટે 'કથા' અને પદ્ય સ્વરૂપમાં કહેવાતી વાર્તા માટે 'કાવ્ય' શબ્દ પ્રયોજાય છે જેનું સંસ્કૃત ભાષામાં
મૂળ વર્ણમાળાના પહેલા અક્ષર 'ક'માં રહેલું છે. ક્યારે, ક્યાં, કોણ,
કેમ જેવા મોટા ભાગના
પ્રશ્નવાચક શબ્દોનું મૂળ પણ એ જ છે. વેદોમાં 'ક'
એ ઈશ્વરનાં સૌથી પહેલાંનાં
નામો પૈકી એક નામ છે.
•
કથા કે કાવ્યો એવી કહાનીઓ કે કવિતાઓ છે જે માનવીને તેનાં અસ્તિત્ત્વ અને હેતુ અંગેના
સવાલોના જવાબ ખોળવામાં મદદ કરે છે. એ માનવ મનના નકશા છે.
•
મહાભારત અને રામાયણ એ વેદના મત્રોને મંડળો (પ્રકરણો)માં
વર્ગીકૃત કરીને ચારણો સુધી પહોંચાડનાર
વેદવ્યાસ રચિત કથા કે કાવ્યો છે.
પૌરાણિકશાસ્ત્ર એ સત્યનો
વાર્તાઓ દ્વારા છતો થતો વિષયલક્ષી અભ્યાસ છે;
લોકો શું સાચું માને છે અને
લોકો શેને તાર્કિકતા સાથે લાગતું વળગતું નથી માનતાં તે પૌરાણિકશાસ્ત્રો જણાવે છે.
જ્યારે ઈતિહાસ હકીકતનો નિર્વિવાદ માહિતી સામગ્રી વડે છતો થતો, અને એટલાથી મર્યાદીત પણ થતો,
હેતુલક્ષી અભ્યાસ છે.
પૌરાણિકશાસ્ત્ર વધારે માનસિક છે તો ઈતિહાસ વધારે સામાજિક છે.
બ્રિટિશરોએ આવીને
પૌરાણિકશાસ્ત્રને ભ્રૂભંગ નજરે જોયાં તે પહેલાં તો ભારતીય વિચારધારામાં
પૌરાણિકશાસ્ત્રનું સ્થાન ઈતિહાસ કરતાં હંમેશાં ઊંચું રહ્યું હતું. વૈજ્ઞાનિક
ક્રાંતિ પછીથી ઈતિહાસનું વજન પૌરાણિકશાસ્ત્રો કરતાં વધી ગયું. પરંતુ બબ્બે વિશ્વ
યુદ્ધોએ યુરોપના સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદનાં વળતાં પાણી કર્યાં પછી સમગ્ર
દુનિયાનાં લોકોને તાર્કિક ફિલસૂફી અને તર્કસંગત દલીલોના અંચળા હેઠળ ઢંકાઈ
ગયેલ વસ્તુલક્ષીતાનું મૂલ્ય અને પ્રભાવ
સમજાવા લાગ્યાં છે.
યુરોપની સંસ્થાનવાદી અને
સામ્રાજ્યવાદી મહેચ્છાઓને સમજાવવામાં વિજ્ઞાન કે તર્કશાસ્ત્ર વામણાં પડે છે. તેને
ઈંધણ તો યુરોપીઅન વેપારીઓ અને ઉદ્યોગપતિઓ 'જંગલી'ઓના 'ઉધ્ધારકો' છે એવી માન્યતાઓને પોષતી
કહાનીઓએ જ પૂરું પાડ્યું છે. બધા જ પૂરાવાઓ વિરૂધ્ધ હોવા છતાં પણ આજના પાશ્ચાત્ય
વિચારોના ધર્મપ્રચારકો હજૂ આજે પણ એમ જ માને છે. 'ગારૂડીઓના પછાત દેશ' ભારતનાં અવકાશયાન,
યુરોપ અને અમેરિકા કરતાં બહુ
ઓછા ખર્ચે, અને ઘણી વધારે સારી રીતે, મંગળ સુધી પહોંચી જઈ શકે છે એ બાબતે પશ્ચિમના ઘણા પત્રકારોને
થયેલો ગુસ્સો પણ આ કારણોસર જ હતો. તેમનું તો સન્નિષ્ઠપણે માનવું છે કે ભારતીયોએ
પહેલાં પોતાનાં ઘરમાં રહેલી ગરીબી અને ભ્રષ્ટાચારની ગંદકી સાફ કરવી જોઈએ અને
વિજ્ઞાન અને ટેક્નોલોજિ જેવા ઉચ્ચ સ્તરનાં ક્ષેત્રો ગોરા ઉધ્ધારકોને હવાલે સોંપેલા
રહેવા દેવા જોઈએ.
§
'મિડ
ડે' માં ૫ ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, On Stories we Tell, નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૧ માર્ચ, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો