જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૨] થી આગળ
ટ્રિબ્યુન
ડિસેમ્બર
૬, ૧૯૪૬
હમણાં જ્યોર્જ ડુ મૌરિયેરની લોકપ્રિય નવલકથા ટ્રિલ્બી[1] ફરીથી વાંચવાની મજા માણી રહ્યો છું. તે 'સારું ખરાબ' સાહિત્યના શ્રેષ્ઠ નમૂનાઓમાંની એવી એક છે જેનું નિર્માણ અંગ્રેજી બોલતા લોકો ભૂલી ગયા હોય તેવું લાગે છે. ટ્રિલ્બી ઠાકરેનું, ખૂબ જ સારું અનુકરણ અને અત્યંત વાંચવાલાયક, અનુકરણ છે. જો મને બરાબર યાદ હોય, તો બર્નાર્ડ શોએ તેને ઘણી રીતે ઠાકરે કરતાં વધુ સારૂં અનુકરણ માન્યું હતું. પરંતુ મારા માટે તેના વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે હિટલરની કારકિર્દી પહેલાં અને પછી તેને વાંચવાથી સાવ અલગ અલગ છાપ પડે છે.
ટ્રિલ્બી વાંચતી વખતે હવે જે વસ્તુ આંખે ચડે છે તે તેનો યહૂદી વિરોધીવાદ છે. જોકે હવે થોડા લોકો ખરેખર પુસ્તકો વાંચે છે, પણ મને લાગે છે કે તેની મુખ્ય વાર્તા ખૂબ જ જાણીતી થયેલ છે, સ્વેંગાલીનું નામ શેરલોક હોમ્સની જેમ ઉપનામ બની ગયું છે. એક યહૂદી સંગીતકાર - સંગીતકાર નહીં, પરંતુ એક તેજસ્વી પિયાનોવાદક અને સંગીત શિક્ષક - ના હાથમાં એક અનાથ આઇરિશ છોકરી, એક ચિત્રકારની મોડેલ, જેની પાસે ભવ્ય અવાજ છે પરંતુ તે સ્વર-બધિર છે. એક દિવસ તે છોકરીના ચેતાતંત્ર પરના હુમલાને મટાડવા માટે હિપ્નોટાઇઝ કર્યા પછી, એ સંગીત શિક્ષક શોધી કાઢે કે છે કે જ્યારે એ છોકરી મોહનિદ્રાની સમાધિમાં હોય છે ત્યારે તેને સૂરમાં ગાવાનું શીખવી શકાય છે.
ત્યારબાદ, લગભગ બે વર્ષ સુધી, તે બંને એક યુરોપિયન રાજધાનીથી બીજી યુરોપિયન રાજધાની સુધી મુસાફરી કરે છે, છોકરી દરરોજ રાત્રે વિશાળ સંખ્યામા, ઉત્સાહિત, પ્રેક્ષકો સમક્ષ ગાતી રહે છે, તે તેના જાગતા જીવનમાં ક્યારેય જાણતી નથી કે તે એક ગાયિકા છે. અંત ત્યારે આવે છે જ્યારે સ્વેન્ગાલી એક કોન્સર્ટની વચ્ચે અચાનક મૃત્યુ પામે છે અને ટ્રિલ્બી ભાંગી પડે છે અને તેને સ્ટેજ પરથી શોરગુલ કરીને ઉતારી પાડવામાં આવે છે. મુખ્ય વાર્તા આટલી છે, જોકે અલબત્ત બીજું ઘણું બધું છે, જેમાં એક નાખુશ પ્રેમ સંબંધ અને ત્રણ સ્વચ્છ-જીવન જીવતા, સ્વેન્ગાલીની ખલનાયકીને નિષ્ફળ બનાવા મથતા, અંગ્રેજી ચિત્રકારોનો સમાવેશ થાય છે.
એમાં કોઈ શંકા નથી કે પુસ્તક યહૂદી વિરોધી છે. સ્વેન્ગાલીનો મિથ્યાભિમાન, વિશ્વાસઘાત, સ્વાર્થ, વ્યક્તિગત અસ્વચ્છતા વગેરે સતત એ હકીકત સાથે જોડાયેલા છે કે તે યહૂદી છે, તે ઉપરાંત, ચિત્રો પણ છે. ડુ મૌરિયર, જે પોતાના લખાણો કરતાં 'પંચ'માં પોતાના ચિત્રો માટે વધુ જાણીતા હતા, તેમણે પોતાના પુસ્તક માટે ચિત્રો દોર્યાં છે, અને તેમણે સ્વેંગાલીના પાત્રને પરંપરાગત પ્રકારના ભયંકર વ્યંગચિત્રમાં ફેરવી દીધું. પરંતુ સૌથી રસપ્રદ વાત તે સમય - ૧૮૯૫, ડ્રેફસ કેસનો સમયગાળો -ની અને આજની યહૂદી વિરોધીતા વચ્ચેના તફાવતની છે.
શરૂઆતમાં, ડુ મૌરિયર સ્પષ્ટપણે માને છે કે યહૂદી બે પ્રકારના હોય છે, સારા અને ખરાબ, અને એ બે પ્રકાર વચ્ચે વચ્ચે વંશ પરંપરાગત તફાવત છે. વાર્તામાં થોડા સમય માટે, એક અન્ય યહૂદી પાત્ર, ગ્લોરિઓલી,નો પ્રવેશ થાય છે. તેનામાં સ્વેંગાલીમાં છે તે બધા ગુણો, અને જે ગુણોનો અભાવ છે તે પણ, છે. ગ્લોરિઓલી 'સેફાર્ડિમમાંનો એક' - એટલેકે સ્પેનિશ મૂળનો - છે જ્યારે સ્વેંગાલી, જે જર્મન પોલેન્ડથી આવતો, 'પૂર્વીય ઇઝરાયલી હિબ્રુ યહૂદી' છે. બીજું, ડુ મૌરિયર માને છે કે યહૂદી લોહીનો થોડો પણ અંશ હોવો એ એક ફાયદો છે. આપણને કહેવામાં આવે છે કે હીરો, લિટલ બિલી, કદાચ થોડું યહૂદી લોહી ધરાવતો હશે, જે તેના ચહેરાના લક્ષણોમાં વરતાય છે, અને 'સદભાગ્યે દુનિયા માટે, અને ખાસ કરીને આપણા માટે, આપણામાંના મોટાભાગના લોકોની નસોમાં ઓછામાં ઓછું તે કિંમતી પ્રવાહી છે'.
સ્પષ્ટપણે, આ નાઝી સ્વરૂપનું યહૂદી-વિરોધીપણું નથી. તેમ છતાં સ્વેન્ગાલીના બધા સંદર્ભોનો સ્વર, લગભગ અજાણતાં, તિરસ્કારપૂર્ણ છે, અને ડુ મૌરિયરે આવી ભૂમિકા ભજવવા માટે એક યહૂદીને પસંદ કર્યો તે હકીકત નોંધપાત્ર છે. સ્વેન્ગાલી, જે પોતે ગાઈ શકતો નથી અને તેને ટ્રિલ્બીની સ્વરપેટી દ્વારા ગાવું પડે છે. તે જાણીતા પ્રકારના, હોંશિયાર ગૌણ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ વધુ પ્રભાવશાળી વ્યક્તિનાં ભેજાં તરીકે કાર્ય કરે છે.
એ બહુ વિચિત્ર છે કે ડુ મૌરિયર કેટલું મુક્તપણે સ્વીકારે છે કે સ્વેન્ગાલી ત્રણ અંગ્રેજો કરતાં વધુ પ્રતિભાશાળી છે, જેનું પ્રતિનિધિત્વ અવિશ્વસનીય રીતે, એક તેજસ્વી ચિત્રકાર તરીકે કરવામાં આવે છે એવા લિટલ બિલી કરતાં પણ વધારે પ્રતિભાવાન છે. સ્વેન્ગાલીમાં 'પ્રતિભા' છે, પરંતુ અન્ય લોકોમાં 'ચારિત્ર્ય' છે, અને 'ચારિત્ર્ય' મહત્વનું છે. આ તો રગર રમતા નિરીક્ષક વિદ્યાર્થીનું ચશ્માધારી ગોખણીયા વિદ્યાર્થી પ્રત્યેનું વલણ છે, અને કદાચ તે સમયે યહૂદીઓ પ્રત્યેનું સામાન્ય વલણ હતું. તેઓ સ્વાભાવિક રીતે જ ઉતરતા સ્તરના હતા, પરંતુ અલબત્ત તેઓ આપણા કરતા વધુ હોશિયાર, વધુ સંવેદનશીલ અને વધુ કલાત્મક હતા તેથી આવા ગુણોનું મહત્વ ગૌણ બની જાય છે. આજકાલ, અંગ્રેજો પોતાના પ્રત્યે ઓછો વિશ્વાસ ધરાવે છે, તેમને ઓછો ભરોસો છે કે મૂર્ખતા હંમેશા અંતમાં જીતે છે, અને યહૂદી-વિરોધનું પ્રવર્તમાન સ્વરૂપ બદલાઈ ગયું છે, સારા માટે જરા પણ નહીં.
ગયા અઠવાડિયાના ટ્રિબ્યુનમાં શ્રી જુલિયન સિમોન્સે ટિપ્પણી કરી હતી - મને લાગે છે કે તે સાચી પણ હતી - કે એલ્ડોસ હક્સલીની પછીની નવલકથાઓ તેમની પહેલાની નવલકથાઓ કરતા ઘણી હલકી ગુણવત્તાવાળી છે. પરંતુ તેમણે ઉમેર્યું હશે કે કલ્પનાશીલ લેખકોમાં આ પ્રકારની પડતી સામાન્ય છે, તે ધ્યાન બહાર જ રહે છે કેમકે કોઈ લેખક, જાણે કે, તેના પહેલાના પુસ્તકો વિશે પડેલી સારી છાપના જોરથી આગળ વધતો રહે છે. ઉદાહરણ તરીકે, આપણે એચ. જી. વેલ્સનું, ટોનો-બુંગે, મિસ્ટર પોલી, ધ ટાઇમ મશીન, વગેરે માટે માન રાખીએ છીએ. જો તેમણે ૧૯૨૦થી લખવાનું બંધ કરી દીધું હોત તો તેમની પ્રતિષ્ઠા એટલી જ ઊંચી હોત જેટલી રહી છે: જો આપણે તેમને ફક્ત તે સમય પછી લખેલા પુસ્તકો દ્વારા જ તેમને ઓળખતા હોત, તો આપણે તેમના વિશે નીઓ અભિપ્રાય રાખતા હોત.
એક નવલકથાકાર, બોક્સર અથવા બેલે ડાન્સર કરતાં વધુ, લાંબા સમય સુધી માટે ટકી શકતો નથી. તેની પાસે એક પ્રારંભિક આવેગ હોય છે જે ત્રણ કે ચાર પુસ્તકો માટે સારો રહે છે, કદાચ એક ડઝન માટે પણ સારો રહે, પરંતુ જે વહેલા કે મોડા તેણે થાકી જવું પડે છે. સ્વાભાવિક છે કે કોઈ કડક નિયમ ન બનાવી શકાય, પરંતુ ઘણા કિસ્સાઓમાં સર્જનાત્મક જુસ્સો લગભગ ૧૫ વર્ષ સુધી ટકી રહે છે: ગદ્ય લેખકમાં આ ૧૫ વર્ષ કદાચ ૩૦ થી ૪૫ વર્ષની વચ્ચે અથવા તેની આસપાસનાં હશે. એ સાચું છે કે, થોડા લેખકોનો જીવનકાળ ખૂબ લાંબું હોય છે, અને તેઓ મધ્યમ વયના અથવા તો વૃદ્ધ હોય ત્યારે પણ વિકાસ કરી શકે છે. પરંતુ આ બધા સામાન્ય રીતે એવા લેખકો (ઉદાહરણ તરીકે: યેટ્સ, એલિયટ, હાર્ડી, ટોલ્સટોય) હોય છે જેઓ તેમની શૈલીમાં, અથવા તેમના વિષયવસ્તુમાં, અથવા બંનેમાં અચાનક, લગભગ અતિ તીવ્ર કહી શ કાય એવો ફેરફાર કરે, અને જેંઓ પહેલાના કાર્યને નકારવાનું વલણ પણ ધરાવે છે.
ઘણા, કદાચ મોટાભાગના, લેખકોએ મધ્ય વયે પહોંચ્યા પછી લખવાનું બંધ કરી દેવું જોઈએ. કમનસીબે આપણો સમાજ તેમને લખવાનિં બંધ કરવા દેશે નહીં. તેમાંના મોટાભાગના લોકો આજીવિકા કમાવવાનો બીજો કોઈ રસ્તો જાણતા નથી, અને લખવાની સાથે ઝઘડા, હરીફાઈ, ખુશામત, અર્ધ-જાહેર વ્યક્તિ હોવાની ભાવના તેમની આદત બની જાય છે. વાજબી દુનિયામાં, એક લેખક જે પોતાનો મત જણાવતો હતો કે તે તો કોઈ અન્ય વ્યવસાય અપનાવી લેશે. સ્પર્ધાત્મક સમાજમાં, એક રાજકારણીની જેમ, તે અનુભવે છે કે નિવૃત્તિ એ મૃત્યુ સમાન છે. તેથી તે પોતાનો ઉત્સાહ ખતમ થયા પછી પણ લાંબા સમય સુધી લખવાનું ચાલુ રાખે છે, અને, નિયમ પ્રમાણે, તે પોતાનું અનુકરણ કરવા માટે જેટલો ઓચો સભાન હોય છે, તેટલો જ તે વધારે સ્થુળતાપૂર્વક અનુકરણ કરે છે.
આ વર્ષની શરૂઆતમાં હું એક અમેરિકન પ્રકાશકને મળ્યો જેણે મને કહ્યું કે તેની પેઢી પર નવ મહિના ચાલેલો મુકદ્દમો થયો હતો જેમાં તે આંશિક રીતે વિજયી થયો હતો, જોકે ખિસ્સાં ખાલી હતાં. તે મુકદ્દમો તેણે કરેલા ચાર અક્ષરોના શબ્દપ્રયોગને છાપવા અંગે હતો જેનો ઉપયોગ આપણે મોટાભાગના લોકો દરરોજ, સામાન્ય રીતે વર્તમાન કૃદંતના રૂપમાં, કરીએ છીએ.
અમેરિકા સામાન્ય રીતે આ બાબતોમાં બ્રિટનથી થોડા વર્ષો આગળ છે. તમે અમેરિકન પુસ્તકોમાં 'b ——' પૂર્ણ રીતે છાપી શકો છો, જ્યારે તે અંગ્રેજીમાં B -(ડેશ) તરીકે દેખાડવું પડતું હતું. તાજેતરમાં ઇંગ્લેન્ડમાં આ શબ્દ પુસ્તકમાં પૂર્ણ રીતે છાપવાનું શક્ય બન્યું છે, પરંતુ સામયિકોમાં તે હજુ પણ B ડેશ હોવું જોઈએ. પાંચ કે છ વર્ષ પહેલાં જ તે એક જાણીતા માસિક મેગેઝિનમાં છાપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીનો ગભરાટ એટલો બધો હતો કે થાકેલા સ્ટાફે હાથથી શબ્દ કાળો કરવો પડ્યો હતો.
બીજા, ચાર અક્ષરોવાળા શબ્દની વાત કરીએ તો, તે હજુ પણ આ દેશના સામયિકોમાં છાપી શકાતો નથી, પરંતુ પુસ્તકોમાં તેને તેના પહેલો અક્ષર અને ડેશ દ્વારા રજૂ કરી શકાય છે. અમેરિકા આ સ્તર ઓછામાં ઓછા એક ડઝન વર્ષ પહેલાં પહોંચી ગયું હતું. ગયા વર્ષે સવાલમાં રહેલા પ્રકાશન વિભાગે શબ્દને સંપૂર્ણ રીતે છાપવાનો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો. પુસ્તક દબાવી દેવામાં આવ્યું, અને નવ મહિનાના મુકદ્દમા પછી દમનને સમર્થન આપવામાં આવ્યું. પરંતુ આ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું આગળ વધારવામાં આવ્યું. એવો ચુકાદો આપવામાં આવ્યો કે હવે તમે શબ્દના પહેલા અને છેલ્લા અક્ષરોને વચ્ચે બે ફૂદડી સાથે છાપી શકો છો, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમાં ચાર અક્ષરો છે. આ વાજબી રીતે ખાતરી કરાવે છે કે થોડા વર્ષોમાં શબ્દ સંપૂર્ણ રીતે છાપી શકાશે.
તો પ્રગતિ ચાલુ રહે છે - અને મારા મતે તે સાચી પ્રગતિ છે, કારણ કે જો આપણા અડધા ડઝન 'ખરાબ' શબ્દો શૌચાલયની દિવાલ પરથી ઉતારીને છાપેલા પાના પર મૂકી શકાય, તો તે ટૂંક સમયમાં તેમની જાદુઈ કરામત ગુમાવશે અને અપશબ્દો બોલવાની, આપણા વિચારોને નીચા પાડવાની અને આપણી ભાષાને નબળી પાડવાની આદત ઓછી થઈ જશે.
+ + + +
જ્યોર્જ ઓર્વેલના
બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45)
: Part
IVનો આંશિક અનુવાદ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો