બાઈબલનો, કે અબ્રાહમિક, વિશ્વદૃષ્ટિકોણ
પાશ્ચાત્ય દૃષ્ટિકોણ જણાવે છે, ઠીક જેમ હિંદુ
વિશ્વદૃષ્ટિકોણ ભારતીય વિશ્વદૃષ્ટિકોણ જણાવે છે. બાઈબલમાં ઉત્પત્તિ - જેનસિસ અને
સર્વનાશ - એપોકલીપ્સ -ની વાત કરવામાં આવી છે. આમ બાઈબલની દૃષ્ટિએ વિશ્વ એક પરિમિત
હસ્તી છે. વેદોમાં
વિશ્વને આરંભ વિનાનું - અનાદિ- અને અંતવિહિન - અનંત- કહેવામાં આવ્યું છે. આમ વિશ્વ
માટેનો હિંદુ દૃષ્ટિકોણ અપરિમિત છે. વાસ્તવની ભાષામાં આ બધાંનો અર્થ શું કરી શકાય?
એનો અર્થ એમ કરી શકાય કે બાઇબલનો વિશ્વદૃષ્ટિકોણ પ્રશ્નોના હલ
માટે પરિમિત અસ્તિત્ત્વ ધરાવતી ભૌતિક ચીજોના ઉપયોગ પર ભાર મૂકે છે, જ્યારે હિંદુ વિશ્વદૃષ્ટિકોણ પ્રશ્નોના સમાધાન માટે ભૌતિક
પરિમિતતાને પડકારતા મનોવૈજ્ઞાનિક ખ્યાલ પર ભાર મૂકે છે. બાઈબલ પોતાના ધર્મિષ્ઠ
અનુયાયીઓ માટે વરદાયિત ભૂમિ બક્ષવાની વાત કરે છે. તે એમ પણ કહે છે કે ગરીબ લોકો પર
તો કૃપા થયેલ છે કેમ કે તેમને પૃથ્વી વારસામાં મળશે. અહીં શબ્દ 'ની પાસે હોવું ' કે 'ન હોવું' છે. તેની સામે , રામાયણના અંતમાં રામ પોતાનું રાજપાટ ત્યાગીને સરયુમાં સ્વેચ્છા
મૃત્યુ લઈ લે છે કે મહાભારતમાં પાંડવો તેમનું રાજ છોડીને હિમાળો ગળવા નીકળી પડે
છે. અહીં 'ત્યાગ'ની, જતું કરવાની, વાત જોવા મળે છે.
પાશ્ચાત્ય સમાજ મનોવૈજ્ઞાનિકને બદલે ભૌતિક પાસાં પર વધારે ભાર
મૂકે છે કેમકે ભૌતિક બાબતો વધારે પ્રયોગસિધ્ધ છે. બધું જ સંપત્તિ અને રજાઓની નજરે
જ જોવામાં આવે છે. જેની પાસે ખર્ચ કરવા માટે ધન અને મજા કરવા માટે વાપરવા માટે સમય
છે તે જ ખરો ભાગ્યશાળી છે. પાશ્ચાત્ય પાદરીઓ કે સાધ્વીઓઓ એટલે જ ગરીબ લોકોની સેવા
કરીને તેમનો 'ન હોવા વાળાં'માંથી 'હોવા વાળાં'ની કક્ષામાં ઉધ્ધાર
કરવા પ્રયત્નશીલ રહે છે. તેમના માટે અસમાનતા વગરની દુનિયા એટલે 'ન હોવા વાળાં'વિહિન દુનિયા.
ભારતીય વિચારસરણીમાં ભોગ (તૃષ્ણા/ઈચ્છાઓની સંતુષ્ટિ) અને યોગ
(તૃષ્ણા/ઈચ્છાઓને અતિક્ર્મવાં) વચ્ચે તનાવ હંમેશાં રહ્યો છે.જે લોકોએ પહેલો માર્ગ
પસંદ કર્યો એ માનવ વસ્તીઓમાં વસ્યા અને
જેમણે બીજો માર્ગ પસંદ કર્યો એ લોકોએ ગુફાઓમાં રહેવાનું પસંદ કર્યું. ભારતીય ફીલૉસોફી
સમાનતાના ખ્યાલને અમાન્ય કરે છે કેમકે તેમાં એમ માનવામાં જ આવે છે 'જેમની પાસે છે' અને 'જેમની પાસે નથી' એવા બે વર્ગ તો
હંમેશાં રહેવાના જ. પરંતુ જેમ જેમ સમય વીતશે તેમ તેમ 'જેમની પાસે
છે' તે 'જેમની પાસે નથી' એ વર્ગમાં અને 'જેમની પાસે
(અત્યારે) નથી' એ 'જેમની પાસે
છે' એ વર્ગમાં આવતાં જતાં રહેશે.ડાહ્યાં લોકો સમજી શકે છે
ખુશી' 'હોવું'ની ઈચ્છાને કે 'ન હોવાના' ખેદને અતિક્રમવામાં
છે.
ભારતીય કે પાશ્ચાત્ય ફીલૉસોફી પર લખનારા
વિદ્વાનો બહુધા આ પાતળી ભેદરેખા પારખી નથી શકતા. માનવ મન પુનઃજન્મને, અને પરિણામે પરિવર્તનને, સ્વીકારવા
તૈયાર નથી થતું. વર્તમાન સ્થિતિ હંમેશાં આમ જ બની રહેશે એમ આપણે માની લઈએ છીએ.
ભારતીય વિચારોને સમજવા આપણે પાશ્ચાત્ય ખયાલોને આધારસંદર્ભ ચિહ્નો અને આદર્શ ફર્મા
તરીકે વાપરીએ છીએ. સામ્રાજ્યવાદી કાળ દરમ્યાનનાં લખાણો આ વાતનો પૂરાવો છે.
પાશ્ચાત્ય ધોરણો વડે હિંદુઓને પશ્ચિમ જગતમાં સમજાવવાની ભરપૂર કોશીશ કરાતી રહી છે, જે 'ગીતાનો ધર્મોપદેશ (ગોસ્પેલ) કે 'હિંદુ ચર્ચ' જેવા ખ્યાલોમાં
દેખાતી રહે છે.
આજકાલ હિંદુ ફિરકાઓમાં 'સેવા'નો ખ્યાલ ભારે ચલણી
બન્યો છે. એમાં પૂર્વધારણા એ છે કે જો તમારે આધ્યાત્મિક બનવું હોય તો લોકોની સેવા
કરવી જ જોઈએ. બાઈબલનાં માળખામાં આ ખ્યાલ બંધ બેસે છે કેમકે એમ કરવાથી ઈશ્વરના
આદેશો સાથે તમે એકસૂત્રતા સાધતાં જણાઓ છો અને ઈસુએ ચીંધેલા માર્ગને અનુસરો છો.
પરંતુ હિંદુ માળખાંમાં એ થોડું સમસ્યારૂપ છે, કેમકે
તેમાં સત્કર્મ કરી પુણ્ય કમાવાનો આશય છૂપાયેલો દેખાય છે. બીજા શબ્દોમાં 'સેવા'ના બદલામાં 'મેવા' મેળવવાની દાનત
દેખાય છે. આમાં બિનશરતીપણું કે
નિઃસ્વાર્થપણું તો રહેતું નથી.
શીખ સંપ્રદાયમાં ગુરુઓ કહી ગયા છે કે જે
વ્યક્તિ સેવા કરે છે તેણે સેવા લેનારનો આભાર માનવો જોઈએ. આનું કારણ એ છે કે દાન
કરવાથી શ્રેય જમા થાય છે જ્યારે સેવા લેનાર ઋણી બને છે. ઋણ માણસને દુન્યવી
જીવનચક્રની સાંકળમાં બાંધે છે, અને તેથી મુક્તિના
માર્ગમાં અવરોધ બને છે કેમકે ઋણ તો જન્મે નહીં તો બીજા કોઈ પણ જન્મે ચૂકવવું તો
પડશે જ.
વૈશ્વિક વિશ્વ વ્યવસ્થામાં આપણે
આધ્યાત્મિકતાને એક લાકડીએ હાંકવા માગીએ છીએ. એકસમાન આધ્યાત્મિકતાની પ્રક્રિયા
કરવામાં ને કરવામાં આપણે વૈશ્વિક દૃષ્ટિકોણને પણ એક ધોરણ અનુસાર ગોઠવવાનો પ્રયાસ
કરીએ છીએ. એમાં આખરે થાય છે એવું કે ભારતીય અપરિમિત કાલાતીત દૃષ્ટિકોણને બદલે મોટા
ભાગે પશ્ચિમનો પરિસિમિત દૃષ્ટિકોણ જ અપનાવી લેવામાં આવતો હોય છે.
§ 'મિડ ડે' માં ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ
પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Time, Timelessness and the idea of Charityનો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો