બુધવાર, 8 એપ્રિલ, 2026

રંગનાથ અને તેની મુસ્લિમ સંગિની - દેવદત્ત પટ્ટનાઈક

ચેન્નાઈથી છ કલાકની વાહન મુસાફરી કર્યા પછી કાવેરી નદી પરનો પુલ પાર કરીને શ્રીરંગમ પહોંચી શકાય છે. શ્રીરંગમ નદી પરના ત્રણ ટાપુઓ પૈકી એક છે, જ્યાં નારાયણનાં સ્વરૂપ એવા રંગનાથસ્વામી જે આશ્રયસ્થાન પર બેઠેલા છે, તેમની મૂર્તિઓ છે. અન્ય બે ટાપુઓ કર્ણાટકમાં શ્રીરંગપટ્ણ અને શિવન્નસમુદ્ર છે.

સાત એકકેન્દ્રી વાડાઓ (પ્રાકાર) ની અંદર ખુબ ઊંડે, ભવ્ય પ્રવેશદ્વારો (ગોપુરમ) સાથેની ઊંચી દિવાલો, અને સોના મઢેલ શિખર (વિમાન) સાથે એ મંદિર આવેલું છે. મંદિરની અંદર, સ્થાનિક રીતે રંગનાથ તરીકે આપણે નારાયણ (વિષ્ણુ)ને આદિ-શેષ તરીકે ઓળખાતા પાંચ-ફેણવાળા નાગના ગૂંચળાને આશ્રયસ્થાન બનાવીને બેઠેલા નારાયણનાં દર્શન થાય છે. ભગવાનનું દર્શન શણગાર વિનાની કાળા પથ્થરની ચમકતી, જેના હાથ અને પગ સોનામાં મઢાયેલ છે, એવી મૂર્તિના રૂપે થાય છે હતા. મૂર્તિ પર કોઈ ફૂલો નહોતા. એવું કેમ હશે? પુજારીઓ જણાવે છે કે 'તેમણે છેલ્લા કેટલાક દિવસો તેના વાહન પર શહેરમાં સવારી કરી છે, એટલે તેમનાં થાકેલા અંગોને આરામ આપવા માટે તેને તેલ માલિશ કરવામાં આવી છે'. હિન્દુ મંદિરોમાં, ખાસ કરીને વિષ્ણુ મંદિરોમાં, ભગવાનનું એક વ્યક્તિ, રાજામાં રૂપાંતર, સામાન્ય ઘટના છે. આપણે આ વાત ઓડિશાના પુરી અને રાજસ્થાનના નાથદ્વારામાં પણ જોઈએ છીએ.

પરંપરાગત રીતે, મંદિરના દેવતાઓ પૂર્વાભિમુખ હોય છે, પરંતુ રંગનાથ દક્ષિણ તરફ મુખ રાખે છે. એવું મનાય છે કે અયોધ્યાના રાજા રામના પરિવારના દેવતાની આ આ મૂર્તિ છે. શ્રીરામે તેને લંકાના રાજા વિભીષણને ભેટ આપી હતી. વિભીષણ તેને ઘરે લઈ જવાના હતા, પરંતુ તેમણે શ્રીરંગમ પહૉંચતાં સુધીમાં તે એટલા થાકી ગયા કે મૂર્તિને જમીન પર મૂકીને થોડો આરામ કરવા લાગ્યા. તે પછી મૂર્તિએ ત્યાંથી ખસવાની ઘસીને ના પાડી જ્યારે વિભીષણે ભગવાન પાસે બહુ યાચના કરી, ત્યારે રંગનાથ દક્ષિણ તરફ મુખ કરીને સૂવા માટે સંમત થયા, જેથી તેઓ વિભીષણ અને તેના પ્રજા, લંકાના રહેવાસીઓને, સદાય આશીર્વાદ આપતા રહે. લંકાના રાજા અને વિભિષણના વડીલ બંધુ રાવણે અપહરણ કરેલ તેમનાં પત્ની સીતાને મુક્ત કરવા માટે, રામ એક વખત લંકાના લોકો સાથે લડ્યા. પરંતુ યુદ્ધ પછી અને સીતામૈયાને મુક્ત કરાવી લીધા પછી, કોઈ વૈમનસ્ય રહ્યું ન હતું. હકીકતમાં તો, યુદ્ધ દરમિયાન પણ કોઈ દુશ્મનાવટ ન હતી. રંગનાથ પોતાના પ્રિયતમથી પોતાને અલગ કરનાર વ્યક્તિને સજા કરી રહ્યા હતા ત્યારે પણ સ્નેહ ઓછો થયો ન હતો.

શ્રી-વૈષ્ણવો બ્રાહ્મણોનો એક સમુદાય છે જેના પ્રથમ આચાર્ય પૂજ્ય નાથમુનિ હતા. શ્રી-વૈષ્ણવોની શ્રદ્ધાને પ્રબળ બનાવતાં ૧૦૮ દિવ્યદેશમ (વિષ્ણુ મંદિરો)માં શ્રીરંગમ સૌથી પ્રમુખ છે. પોતાનાં બૌદ્ધિક કૌશલ્ય (તેમણે વેદાંતને ભક્તિ સાથે જોડ્યો) અને વહીવટી કુશળતા (તેમણે મંદિરમાં ધાર્મિક વિધિ અને શાસનના ધોરણો સ્થાપિત કર્યા) માટે પ્રખ્યાત એવા રામાનુજાચાર્યએ લગભગ ૯૦૦ વર્ષ પહેલાં આ -વૈષ્ણવ ધર્મ ને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું. શ્રીરંગમ મંદિરની જેમ આ સંસ્થા આજે પણ એટલી જીવંત છે અને લાખો ભક્તોને આકર્ષિત કરે છે, જે તેની પ્રતિભાનો પુરાવો છે.

બધી સંસ્થાઓની જેમ, શ્રી-વૈષ્ણવ ધર્મમાં પણ તેના વિભાગો અને રાજકારણ છે. બહારના લોકો માટે તેનો કોઈ અર્થ નથી, પરંતુ અનુયાયીઓમાં તે મહા જુસ્સો જગાડે છે. ઉત્તરીય વડકલાઈના લોકો કપાળ પર U-આકારનું ટીલું (નમન) કરે છે, એ નમન એમ દર્શાવે છે કે જેમ વાંદરો તેની માતાને વળગી રહે છે તેમ ભક્તે ભગવાનને વળગી રહેવું જોઈએ. દક્ષિણના તેનકલાઈ તેમના કપાળ પર Y-આકારનું નમન કરીને વિરોધ કરે છે. તેઓ માને છે કે ભક્તે ભરોસો રાખવો જોઈએ કે જેમ બિલાડી તેના બચ્ચાની સંભાળ રાખે છે તેમ ભગવાન તેમની સંભાળ રાખશે.

બંને જૂથો રામાનુજને પૂજે છે. રામાનુજનું એક મંદિર આ સંકુલમાં બનાવવામાં આવ્યું છે. મંદિરમાં સંતની મૂર્તિ તે સ્થાનની ટોચ પર મૂકવામાં આવી છે (મંદિર સંકુલ માટે અસામાન્ય પ્રથા ગણાય તેમ) એ સ્થાન નીચે તેમના નશ્વર અવશેષોને દફનાવવામાં આવ્યા હતા. કેટલાક માને છે કે આ મૂતિ ખરેખર તેમનું નશ્વર શરીર છે જે ખાસ કુદરતી રસાયણો વડે સાચવવામાં આવ્યું છે.

દંતકથા છે કે મલિક કાફુર નામના એક મુસ્લિમ લૂંટારા દ્વારા મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટ કરવામાં આવી હતી, જે રંગનાથની ઉત્સવ મૂર્તિ, મંદિરના સોના અને ઝવેરાતને પોતાની સાથે દિલ્હી પાછો લઈ ગયો હતો. જોકે તેની પુત્રી, સુરથાની, જે મૂર્તિના પ્રેમમાં પડી ગઈ હતી અને તેથી એ મૂર્તિ માગી ન લીધી હોત તો આ મૂર્તિને તેની ધાતુ માટે પીગાળી દેવાઈ હોત. જ્યારે તમિલનાડુના બહાદુર કલાકારોના એક જૂથે સુલતાનનું ગીત અને નૃત્ય દ્વારા મનોરંજન કર્યું અને તેમના ઈનામ તરીકે પ્રતિમા માંગી, ત્યારે મલિક કાફુરે તેમને પેલી મૂર્તિ ભેટ આપી દીધી, કદાચ તેની પુત્રીના એ મૂર્તિ પ્રત્યેના અતિશય લગાવથી નારાજ હોવાને કારણે મૂર્તિથી પીછો છોડાવી લેવાની પણ ગણતરી હશે. એ કલાકારો તો વેશપલટો કરીને આવેલા પૂજારી હતા, તેમના માટે તો 'તે' (મૂર્તિ)' ભગવાન' હતી, જે દેવત્વનું મૂર્તિમંત સ્વરૂપ હતું,

તેઓ પ્રતિમાને મંદિરમાં પાછી લઈ ગયા. રાજકુમારી માટે, તો એ મૂર્તિ તેની 'ઢીંગલી' હતી જે 'તેની પ્રિય' હતી. એ મૂર્તિમાં જે કંઈ હતું તેના પ્રેમમાં રાજકુમારી પડી ગઈ હતી. તેથી તે દિલ્હી છોડીને શ્રીરંગમ સુધી ગઈ અને મંદિરના પગથિયાં પર મૃત્યુ પામી. સ્વપ્નમાં રંગનાથ સ્વામીએ તેના પૂજારીઓને મુસ્લિમ રાજકુમારીનું એક ભક્ત તરીકેના સન્માનમાં મંદિર બનાવવા કહ્યું. હવે તેનું નામ બીબી તુલુકા નાચિયાર રાખવામાં આવ્યુંં. તે મુસ્લિમ કન્યા હતી, પણ તેની મૂર્તિ મંદિર સંકુલમાં તેના પોતાના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. દર વર્ષે, રંગનાથ સાથેના તેના લગ્ન ધામધૂમ અને આદર સાથે ફરીથી ઉજવવામાં આવે છે.

શું આ કથા ઇતિહાસ (વસ્તુલક્ષી સત્ય), કે પૌરાણિક કથા (વ્યક્તિલક્ષી સત્ય), કાલ્પનિક (કોઈનું સત્ય નહી), કે દંતકથા (છૂટક રીતે કેટલાક ઐતિહાસિક સત્ય) છે? આપણે હંમેશા દલીલ કરતાં રહીશું. પરંતુ ભાવના જુઓ: મુસ્લિમ રાજા દ્વારા હિન્દુ મંદિરની લૂંટ જે હિંસાથી શરૂ થાય છે તે મુસ્લિમ રાજકુમારી સાથે હિન્દુ દેવતાના લગ્ન સ્વરૂપ પ્રેમ સાથે સમાપ્ત થાય છે. અંદરથી (કટ્ટરપંથી શુદ્ધતાવાદી મુસ્લિમ-દ્વેષી હિન્દુઓ) અને બહારથી (હિંદુ વિરોધી કટ્ટરપંથી શુદ્ધતાવાદી મુસ્લિમો) ઉગ્ર વિરોધ છતાં, વૈકલ્પિક વિચારોને સ્વીકારવાની અને શામેલ કરવાની ક્ષમતાનો આ ભાવ જ હિન્દુ ધર્મને અનન્ય બનાવે છે.

પોતાનાં મુસ્લિમ સંગિનીને પીરસાઈ જાય પછી સ્મિત સાથે, બધા પક્ષોનું સંતુલિત માન રાખતા રહીને, રંગનાથ દરરોજ નાસ્તામાં માખણ અને ખાંડ સાથે રોટલી ખાય છે.મં દિરની પરંપરામાં રોટલી મુસ્લિમ ખોરાક માનવામાં આવે છે. પરંપરાગત રીતે, દક્ષિણ ભારતીય મંદિરોમાં વિષ્ણુને ફક્ત ભાત જ ચઢાવવામાં આવે છે. પોતાનાં મુસ્લિમ સંગિનીના આનંદ માટે, ક્યારેક, રંગનાથ પરંપરાગત હિન્દુ ધોતીને બદલે મુસ્લિમ લુંગી પણ પહેરે છે.

શ્રી-વૈષ્ણવ મંદિરોમાં, વૈદિક સ્તોત્રો કરતાં, સ્થાનિક સંતકબિઓ દ્વારા રચિત તમિલ ભક્તિ કાવ્યો, ૪,૦૦૦ દિવ્ય પ્રબંધમ, ને વધુ મહત્વ આપવામાં આવે છે. સંસ્કૃત શાસ્ત્રો કરતાં પ્રાદેશિક કવિતા માટે આ પસંદગી મંદિર પરંપરાઓમાં સામાન્ય છે, કારણ કે તે સ્થાનિક સ્તોત્રો છે જે લોકોને દિવ્યતા સાથે જોડે છે, સીધે સીઢાં હૃદયને આકર્ષે છે. મુદ્દો એ નથી કે ભાષા સંસ્કૃત છે કે તમિલ, કે પ્રાચીન કે મધ્યયુગીન છે, વૈદિક કે ભક્તિ માર્ગી છે, એ અયોધ્યા કે લંકા છે, વડકલાઈ કે તેનકલાઈ છે, કે પછી હિન્દુ કે મુસ્લિમ પણ છે. મૂળ મુદ્દો, 'જેને આપણે જીવન કહીએ છીએ એવી રંગીન રંગભૂમિનો સ્વામી' એવા રંગનાથમાંથી નીકળતા અનંત સ્નેહમાં ડૂબકી લગાવવાનો છે

  • મુંબઈ મિરરમાં ૪ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખRanganatha, and his Muslim consort  નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૮ એપ્રિલ ૨૦૨૬

શુક્રવાર, 3 એપ્રિલ, 2026

તિજોરીનો નિયમઃ વ્યક્તિગત ચઢિયાતાપણાની સ્થાપત્યશૈલી કંડારવી

 ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! પર આવીને અટક્યાં હતાં. હવે માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના પહેલા પડાવ વિશે વિચાર કરીએ ….

ઉત્પલ વૈશ્નવ

I. સાર્વભૌમ ચોકઠું

   સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

તમારી પાસે શું છે તે તમે કઈ સ્થિતિમાં છો કે કયાં પદ પર છો તેનાથી નક્કી નથી થતું. તે તો તમે  કયાં પ્રભાવક્ષેત્રમાં છો તેના પરથી નક્કી થાય છે.

તમારી ખરૂં સાર્વભૌમત્વ તમારી સામેના મંચ પરનાં તમારા "ચોકઠાં" ને સુધારી શકવાની તમારી ક્ષમતા છે. તમને ડર અથવા જીવનરસમાંથી થતા ક્ષયની બહાર નીકળવાની ફરજ પડે એ સમયે તમારાં સાર્વભૌમત્વની સીમા આવે છે.

જ્યારે આપણે આપણી કંપનીના ચાલક બળને દુબઈ જેવા ઇષ્ટતમ કર ધરાવતાં, ખુબ પ્રવૃતિમય કેન્દ્રમાં સ્થાનાંતરિત કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત "પૈસા બચાવતાં" નથી. આપણે આપણા જીવનરસના સંગમની યુતિને કેન્દ્રિત કરતી અવસ્થામાં, સ્થિતિગત સ્તરે, પદોન્નિત કરી રહ્યાં છીએ. પરંપરાગત અમલદારશાહીના ઘર્ષણને દૂર કરીને, આપણે પોતાને મૌનનો વૈભવ બક્ષીએ છીએ. "ભાડે આપનાર"ને  સ્થાનમાં ફેરફાર દેખાય છે; "આર્કિટેક્ટ"ને પ્રણાલીગત લાભમાં કાયમી વધારો દેખાય છે.

II. માળખાકીય કવચ તરીકે વ્યૂહાત્મક સમાનુભૂતિ

સાર્વભૌમ સ્થિતિ માટે સૌથી મોટું જોખમ માનવી માનવી વચ્ચેની વાટાઘાટોમાં સંભવિત ઉચ્ચસ્તરીય ઘર્ષણમાટેની સરહદ વચેનું ક્ષેત્ર છે. મોટાભાગના વ્યાવસાયિકો બીજાં લોકો પાસેથી માન્યતા - "ભાડે આપનારની સંમતિ"-  મેળવવાની લ્હ્યાયમાં પોતાની સ્વાયત્તતા ગુમાવે છે.

નિષ્ણાત ઘડવૈયો અલગ રીતે કામ કરે છે. આપણે વણપાક્યાં સત્યનો ઉપયોગ રક્ષણાત્મક આશ્રય કવચ તરીકે કરીએ છીએ.

છુપાઈ રહેલી પ્રેરણાઓને અને "ઓરડામાંના હાથીઓ (જેના વિશે લોકો વાત કરવા માગતા નથી એવી કોઈ દેખીતી સમસ્યા અથવા મુશ્કેલ પરિસ્થિતિ)" ને અલગ, કોઈ જ પ્રકારની અસમંજસતા વિનાની સ્પષ્ટતા દ્વારા સમજવાથી, અને સ્વીકારવાથી, આપણે ઘર્ષણ હાઈ વૉલ્ટેજ કક્ષાએ પહોંચે તે પહેલાં જ તેને દૂર કરીએ છીએ.

આપણે મંજૂરી માંગતા નથી; શિષ્ટાચાર સંહિતા સ્પષ્ટ કરીએ છીએ. આપણે સંમતિ શોધતાં નથી; સ્પષ્ટતા શોધીએ છીએ. આ "મુશ્કેલ કરવું" નથી - તે સહભાવપૂર્ણ સ્પષ્ટવક્તવ્ય છે. તે એક સ્થિર, સમાધાનકારી માળખું પૂરું પાડવાનું કાર્ય છે જેના વડે વાસ્તવિક મૂલ્યનું ખરેખર ઘડતર થાય છે.

III. તદ્દન અસ્વીકાર્ય સહનશીલતાનો તર્ક

મજબૂત તિજોરી એ જગ્યા છે જ્યાં વ્યાજબી સમન્યાય અને બૌદ્ધિક સંપત્તિને સંસ્થાકીય સ્મૃતિમાં નક્કર સ્વરૂપ આપવામાં આવે છે. આર્કિટેક્ટનું અંતિમ લક્ષ્ય સરવાળા બાદબાકીની રેખાઓ ચીતરવાથી દૂર ખસીને ગુણાકાર પામેલી આકૃતિ તરફ આગળ વધવાનું છે.

જો કોઈ તંત્રને ટકી રહેવા માટે  સતત તમારા  દ્વારા પોષક દ્રવ્યોના હસ્તક્ષેપની જરૂર હોય, તો તે એક કામ છે, મશીન નહીં. તિજોરીનો નિયમ જણાવે છે કે આપણે ફક્ત તે જ બનાવવું જોઈએ જેની પ્રતિકૃતિ બની શકે  - એવો કોડ જે વધારાના ખર્ચ વિના વિસ્તારી શકાય, એવું માધ્યમ જે આપણી સુષુપ્તાવસ્થામાં પણ આપણને કંઈને કંઈ શીખવતું રહે , અને એવી મૂડી જે માનવીય શ્રમને બદલે વ્યૂહાત્મક સમયબદ્ધતા દ્વારા ચક્રવૃદ્ધિ દરે વધે છે.

ખેલની અંતિમ બાજીમાંજે સૌથી વધુ ચાલ ચાલે તે વિજેતા  નથી, પરંતુ તે એવી વ્યક્તિ છે જેણે એવી સ્થિતિ નિર્માણ કરી છે જેમાં વિશ્વની દરેક ચાલ પોતાના 'ચોકઠા'નું મૂલ્ય વધારે છે.

બુધવાર, 1 એપ્રિલ, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૧]

 

ટ્રિબ્યુન

નવેમ્બર, ૧૯૪૬

કોઈએ મને હમણાં જ એક અમેરિકન ફેશન મેગેઝિનની નકલ મોકલી છે. હું તેનું નામ જાહેર નહીં કરૂં. તેમાં ૩૨૫ મોટા ક્વાર્ટો (ચતુષ્પત્રી) પાના છે. તેમાંથી ઓછામાં ઓછા ૧૫ પાના વિશ્વ રાજકારણ, સાહિત્ય વગેરે પરના લેખો માટે ફાળવાયાં છે. બાકીના પાના સંપૂર્ણપણે એવા ચિત્રોથી સજાવેલાં છે જેની કિનારીઓ પર એક નાનું લેટરપ્રેસ સરકતું દેખાય છે: બૉલ ડ્રેસ, મિંક કોટ્સ, સ્ટેપ-ઇન, પેન્ટી, બ્રા, સિલ્ક સ્ટોકિંગ્સ, ચંપલ, પરફ્યુમ, લિપસ્ટિક, નેઇલ વાર્નિશ - અને, અલબત્તએ બધી વસ્તુઓ પહેરતી કે ઉપયોગ કરતી હોય તેવી સુંદર સ્ત્રીઓની તસવીરો તો ખરી જ. મને ખબર નથી કે આખા અંકમાં સ્ત્રીઓના કેટલાં ચિત્રો અથવા ફોટોગ્રાફ્સ હશે, પરંતુ તેમાંથી પહેલા ૫૦ પાનામાં ૪૫ છે જ, અને પાછા એ બધા ખુબ સુંદર છે, એટલે કોઈ પણ કુલ સંખ્યાનો અંદાજ લગાવી શકે છે.

આ ચિત્રો જોતી વખતે એક આશ્ચર્યજનક બાબત લાગી છે કે એ બધી જ તસવીરો સુંદરતાની અતિશય વધારે પડતી, ચવાઈ ગયેલી, ક્લિષ્ટ, બધેજ જોવા મળતી તસવીરો હતી. તસ્વીરોમાંની બધી સ્ત્રીઓ ખૂબ જ લાંબી હતી. પાતળા હાડકાવાળા, પ્રાચીન ઇજિપ્શિયન પ્રકારના ચહેરાનું વર્ચસ્વ જોવા મળતું હતું છે: સાંકડા નિતંબ તો સાવ સામાન્ય જણાતા હતા. અને ગરોળી જેવા પાતળા, પકડમાં પણ ન આવે એવા હાથ દરેક તસવીરમાં જોવા મળતા હતા.  દેખીતી રીતે, તો આ એક વાસ્તવિક શારીરિક પ્રકાર હશે, કેમકે બધા ફોટોગ્રાફ્સમાં અને ચિત્રોમાં એ જ જોવા મળે છે. બીજી એક આકર્ષક બાબત એ છે કે જાહેરાતોની ગદ્ય શૈલી, ટૂંકી અને ક્યારેક ખૂબ જ અભિવ્યક્ત તકનીકી શબ્દભંડોળ સાથે શુદ્ધ રસદારતાનું અસાધારણ મિશ્રણવાળી હતી. સુઘડ, કસ્ટમ-ફિનિશ્ડ, દેહ વળાંકો અનુરૂપમિટ-બેક, ઈનર્‍સોલ, બેકડિપ, ઉરસ્તલ, સ્વૂશ, સ્વેશ, સુડોળ, પાતળી અને લીસ્સી જેવા શબ્દો સ્પષ્ટ અપેક્ષા સાથે વાપરવામાં આવે છે કે વાચક તેમને એક નજરમાં જ સમજી જશે. અહીં કેટલાંક એવાં વાક્યોના નમૂના મૂક્યા છે:

નવો ઝગમગતો ચમકતો રંગ જે તમારા હાથ અને તેના માથાને ચકરાવે ચડાવે છે.

ખુલ્લાં અને સુંદર વક્ષસ્થળની ધારિણી.

મીદડાના સ્પર્શની હુંફ આપતાં, પીંછાં જેટલાં હળવાં, મિલિકેન ઉન!

અન્ય લોકો તમને સુંદરતાની આડમાંથી જુએ છે, અને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આવું સૌંદર્ય કેમ?

સુવાળી લેસ્ટેક્સ પેન્ટી-કટિમેખલા વળાંકોને સૌમ્ય શિસ્તમાં રાખે.

તેના મોટાભાગની નાટકીયતા  માટે પ્રવાહી જેવાં કાપડ પર આધારિત વસ્ત્ર પરિધાનનો આશ્ચર્યોદ્‍ગાર.

’‘અચાનક તમારી પ્રતિમા ઉન્નત થઈ જાય છે... ફાઉન્ડેટ પેન્ટી-કટિમેખલાની હળવાશમાં સુંદર

'‘ આદ્ય નારી ડફ ગાઉન તેની ટેફા ભરેલ બાંય અને ધ્યાનાકર્ષક ઉરસ્તલની સાથે દેખાવમાં સુંદર, પહેરવામાં વધુ સુંદર.

લવચીક અને સાવ હળવાં છતાં અદ્‍ભૂત રીતે વળાંકોને પકડી રાખતાં.

શરીરના આકારની ખુશામતનો ચમત્કાર!

તમારાં વક્ષસ્થળને ગૌરવપૂર્ણ સ્ત્રીની આકૃતિમાં ઢાળે છે.

શું જાણવું અદ્‍ભૂત નથી કે ધોઈને પહેરો તો પણ કોર્સીઝ તમને ઘટેલાં બતાવે છે... ભલે તેમનું વજન ફક્ત ચાર ઔંસ હોય!

હંમેશા ઇચ્છનીય ... હંમેશા પ્રિય... હંમેશા માટે નીલમણી એવી નારીની શુદ્ધ કમનીય જાદુગરી.

વગેરે વગેરે.

ખૂબ મહેનતથી શોધ કરવાથી મેગેઝિનમાં સફેદ વાળ માટે બે ગુપ્ત સંકેત છતા થાય છે, પરંતુ જો ક્યાંય મેદસ્વીતા અથવા મધ્યમ વયનો સીધો ઉલ્લેખ હોય તો મને તે મળ્યો નથી. જન્મ અને મૃત્યુનો પણ ઉલ્લેખ નથી: કે નથી ઉલ્લેખ કામનો પણ, સિવાય કે નાસ્તાની વાનગીઓ માટે કેટલીક વાનગીઓ આપવામાં આવી છે. પુરુષ જાતિ કદાચ વીસમાંથી એક જાહેરાતમાં સીધી કે આડકતરી રીતે દેખા દે  છે, અને કૂતરાં કે બિલાડીના બચ્ચાંના ફોટોગ્રાફ્સ અહીં ત્યાં દેખાય છે. લગભગ ત્રણસો ચિત્રોમાંથી ફક્ત બેમાં બાળકનું ચિત્રણ છે. મુખપૃષ્ઠ પર એક સામાન્ય ભવ્ય સ્ત્રીનો રંગીન ફોટોગ્રાફ છે જે ખુરશી પર ઉભી છે જ્યારે શર્ટ-સ્લીવ્સમાં એક ભૂખરા વાળવાળો, ચશ્માવાળો, કચડાયેલો દેખાતો પુરુષ તેના પગ પાસે ઘૂંટણિયે પડીને તેના સ્કર્ટની ધાર પર કંઈક કરી રહ્યો છે. જો કોઈ નજીકથી જુએ તો તે માપપટ્ટીથી માપ લેવા જઈ રહ્યો છે. પરંતુ સામાન્ય નજરે તો એવું લાગે છે કે તે કપડાની ધારને ચુંબન કરી રહ્યો છે - તસવીરને અમેરિકન સભ્યતાનું ખરાબ પ્રતીકાત્મક ચિત્ર, કે પછી કમસે કમ તેની એક મહત્વપૂર્ણ બાજુ, તો કહેવાય એમ નથી.

* * *

હકીકતોનો સામનો કરવાની આપણી અનિચ્છા અને અગાઉથી નકામી ગણાતી હરકતો કરવાની આપણી તૈયારીનું એક રસપ્રદ ઉદાહરણ, ' 'માર્ગ પરનાં મૃત્યુને દૂર રાખો'નું હાલનું અભિયાન છે.

અખબારોએ હમણાં જાહેરાત કરી છે કે સપ્ટેમ્બરમાં રસ્તાઓ પર થતાં મૃત્યુમાં પાછલા સપ્ટેમ્બરની તુલનામાં લગભગ ૮૦નો ઘટાડો થયો છે. ખૂબ સારી વાત છે, પરંતુ સુધારો કદાચ ટકશે નહીં - કોઈપણ રીતે, તે પ્રગતિશીલ તો રહેશે નહીં - અને તે દરમિયાન દરેક વ્યક્તિ જાણે છે કે જ્યાં સુધી આપણી ટ્રાફિક વ્યવસ્થા જેવી છે તેવી રહેશે ત્યાં સુધી તમે સમસ્યાનું નિરાકરણ લાવી શકશો નહીં. સાંકડા, અપૂરતા, અંધ ખૂણાઓથી ભરેલા અને રહેણાંક ઘરોથી ઘેરાયેલા રસ્તાઓ પર, વાહનો અને રાહદારીઓ ત્રણ માઇલ પ્રતિ કલાકથી લઈને સાઠ કે સિત્તેર માઇલ સુધીની ઝડપે  બધી દિશાઓમાંથી આગળ વધી રહ્યા હોવાથી અકસ્માતો થાય છે. જો તમે ખરેખર રસ્તાઓ પરનાં મૃત્યુને દૂર રાખવા માંગતા હો, તો તમારે સમગ્ર માર્ગ વ્યવસ્થાને એવી રીતે ફરીથી ગોઠવવી પડશે કે અથડામણ અશક્ય બને. આનો અર્થ શું છે તે વિચારો (ઉદાહરણ તરીકે, સમગ્ર લંડનને તોડી પાડવું અને ફરીથી બનાવવું). તમે જોઈ શકો છો કે ક્ષણે તે કોઈપણ રાષ્ટ્રની તાકાતથી બહારની વાત છે. તમે ફક્ત ઉપશામક પગલાં લઈ શકવાથી વધારે કંઈ કરી શકો તેમ નથી, જેનો અર્થ એટલોજ થાય કે આખરે લોકોને વધુ સાવચેત બનાવવાં.

પરંતુ ખરેખર ફરક લાવી શકે એવું એકમાત્ર ઉપશામક પગલું તો ઝડપમાં ધરખમ ઘટાડો જ છે. બધા બિલ્ટ-અપ વિસ્તારોમાં ગતિ મર્યાદા બાર માઇલ પ્રતિ કલાક સુધી ઘટાડી દો, અને તમે મોટાભાગના અકસ્માતો ઘટાડી શકાશે. પરંતુ, દરેક વ્યક્તિ તમને ખાતરીપૂરવક કહેશે કે-'અશક્ય' છે. તે કેમ અશક્ય છે? - કેમકે તે અસહ્યપણે ત્રાસજનક નીવડશે. તેનું સીધું કારણ એ કે માર્ગ પરની દરેક મુસાફરીમાં હાલમાં જેટલો સમય લાગે છે તેના કરતા બે કે ત્રણ ગણો સમય લાગશે. ઉપરાંત, તમે લોકોને આવી ગતિ મર્યાદાનું પાલન કરાવવા માટે ક્યારેય મનાવી શકવાના નથી. કયો ડ્રાઇવર બાર માઇલ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવવાનું પસંદ કરશે જ્યારે તેને ખબર હોય કે તેનું એન્જિન પચાસ માઈલે આરામથી ચાલી શકે છે? આધુનિક કારને બાર માઇલ પ્રતિ કલાકની ઝડપે હાઇ ગિયરમાં રાખવી પણ સરળ નથી - વગેરે. અને તેથી વધુ, આ બધું એ નિવેદનને સમર્થન આપે છે કે ધીમી મુસાફરી માનવ સ્વભાવને જ હવે અસહ્ય છે.

બીજા શબ્દોમાં કહીએ તો, આપણે માનવ જીવન કરતાં ગતિને વધુ મહત્વ આપીએ છીએ. તો પછી શા માટે એમ ન કહેવું કે, દર થોડા વર્ષે એક વખત આ પ્રકારની દંભી ઝુંબેશ (હાલમાં તે 'માર્ગ પરનાં મૃત્યુને દૂર રાખો' છે અને- થોડા વર્ષો પહેલાં તે 'ફૂટપાથ પર ચાલીએ' હતી) ચલાવવાને બદલે, ધરાર એવું કહેવામાં આવે છે કે આપણા રસ્તાઓ જેમ છે તેમ રહેશે, અને હાલની ગતિ ચાલુ રહેશે, એટલે અકસ્માતોથી થતી કતલ પણ ચાલુ જ રહેશે?

બ્રેડ રેશનિંગ પર એક આડ વાત. આ ઉનાળામાં સ્કોટલેન્ડમાં મારા પાડોશી ખેત મજૂર ઘણા વર્ષોથી ત્યજી દેવાયેલા ખેતરને પાછું મેળવવાના પ્રચંડ કાર્યમાં રોકાયેલ હતો. એક બહેન સિવાય તેને કોઈ મદદગાર નથી, તેની પાસે ફક્ત એક જ ઘોડો છે, અને તેની પાસે ફક્ત જૂની ઝપક મશીનરી છે, જેમાં પાછું કાપણી કરનાર તો છે જ નહીં. આ ઉનાળા દરમિયાન તેણે અઠવાડિયાના છ દિવસ, દિવસમાં ચૌદ કલાકથી ઓછું કામ કર્યું ન હતું એ વાત નિર્વિવાદ છે. જ્યારે બ્રેડ રેશનિંગ શરૂ થયું ત્યારે તેણે વધારાના રેશન માટે અરજી કરી. પરંતુ તેને જાણવા મળ્યું  કે, જોકે તે ખરેખર બેઠાડુ કામદાર કરતાં વધુ બ્રેડ મેળવી શકતો હતો, પણ તે ખેત મજૂરના પૂરાં રેશન માટે હકદાર નહોતો. કારણ? કાયદાના અર્થમાં તે ખેત મજૂર નહોતો! કારણ કે તે ' પોતાનું ખેતર જાતે ખેડે' છે, એટલે તેને ખેડૂત ગણવામાં આવે છે, અને એવું માનવામાં આવે છે કે તે બીજા કોઈ માટે વેતન પર કામ કરતો હોત તો તેના કરતાં ખેડૂત તરીકે તે ઓછો રોટલો ખાય છે !

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ