બુધવાર, 29 એપ્રિલ, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૩]

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

ડિસેમ્બર ૬, ૧૯૪૬

હમણાં જ્યોર્જ ડુ મૌરિયેરની લોકપ્રિય નવલકથા ટ્રિલ્બી[1] ફરીથી વાંચવાની મજા માણી રહ્યો છું. તે 'સારું ખરાબ' સાહિત્યના શ્રેષ્ઠ નમૂનાઓમાંની એવી એક છે જેનું નિર્માણ અંગ્રેજી બોલતા લોકો ભૂલી ગયા હોય તેવું લાગે છે. ટ્રિલ્બી ઠાકરેનું, ખૂબ જ સારું અનુકરણ અને અત્યંત વાંચવાલાયક, અનુકરણ છે. જો મને બરાબર યાદ હોય, તો બર્નાર્ડ શોએ તેને ઘણી રીતે ઠાકરે કરતાં વધુ સારૂં અનુકરણ માન્યું હતું. પરંતુ મારા માટે તેના વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે હિટલરની કારકિર્દી પહેલાં અને પછી તેને વાંચવાથી સાવ અલગ અલગ છાપ પડે છે.

ટ્રિલ્બી વાંચતી વખતે હવે જે વસ્તુ આંખે ચડે છે તે તેનો યહૂદી વિરોધીવાદ છે. જોકે હવે થોડા લોકો ખરેખર પુસ્તકો વાંચે છે, પણ મને લાગે છે કે તેની મુખ્ય વાર્તા ખૂબ જ જાણીતી થયેલ છે, સ્વેંગાલીનું નામ શેરલોક હોમ્સની જેમ ઉપનામ બની ગયું છે. એક યહૂદી સંગીતકાર - સંગીતકાર નહીં, પરંતુ એક તેજસ્વી પિયાનોવાદક અને સંગીત શિક્ષક - ના હાથમાં એક અનાથ આઇરિશ છોકરી, એક ચિત્રકારની મોડેલ, જેની પાસે ભવ્ય અવાજ છે પરંતુ તે સ્વર-બધિર છે. એક દિવસ તે છોકરીના ચેતાતંત્ર પરના હુમલાને મટાડવા માટે હિપ્નોટાઇઝ કર્યા પછી, એ સંગીત શિક્ષક શોધી કાઢે કે છે કે જ્યારે એ છોકરી મોહનિદ્રાની સમાધિમાં હોય છે ત્યારે તેને સૂરમાં ગાવાનું શીખવી શકાય છે.

ત્યારબાદ, લગભગ બે વર્ષ સુધી, તે બંને એક યુરોપિયન રાજધાનીથી બીજી યુરોપિયન રાજધાની સુધી મુસાફરી કરે છે, છોકરી દરરોજ રાત્રે વિશાળ સંખ્યામા, ઉત્સાહિત, પ્રેક્ષકો સમક્ષ ગાતી રહે છે, તે તેના જાગતા જીવનમાં ક્યારેય જાણતી નથી કે તે એક ગાયિકા છે. અંત ત્યારે આવે છે જ્યારે સ્વેન્ગાલી એક કોન્સર્ટની વચ્ચે અચાનક મૃત્યુ પામે છે અને ટ્રિલ્બી ભાંગી પડે છે અને તેને સ્ટેજ પરથી શોરગુલ કરીને ઉતારી પાડવામાં આવે છે. મુખ્ય વાર્તા આટલી છે, જોકે અલબત્ત બીજું ઘણું બધું છે, જેમાં એક નાખુશ પ્રેમ સંબંધ અને ત્રણ સ્વચ્છ-જીવન જીવતા, સ્વેન્ગાલીની ખલનાયકીને નિષ્ફળ બનાવા મથતા, અંગ્રેજી ચિત્રકારોનો સમાવેશ થાય છે.

એમાં કોઈ શંકા નથી કે પુસ્તક યહૂદી વિરોધી છે. સ્વેન્ગાલીનો મિથ્યાભિમાન, વિશ્વાસઘાત, સ્વાર્થ, વ્યક્તિગત અસ્વચ્છતા વગેરે સતત એ હકીકત સાથે જોડાયેલા છે કે તે યહૂદી છે, તે ઉપરાંત, ચિત્રો પણ છે. ડુ મૌરિયર, જે પોતાના લખાણો કરતાં 'પંચ'માં પોતાના ચિત્રો માટે વધુ જાણીતા હતા, તેમણે પોતાના પુસ્તક માટે ચિત્રો દોર્યાં છે, અને તેમણે સ્વેંગાલીના પાત્રને પરંપરાગત પ્રકારના ભયંકર વ્યંગચિત્રમાં ફેરવી દીધું. પરંતુ સૌથી રસપ્રદ વાત તે સમય - ૧૮૯૫, ડ્રેફસ કેસનો સમયગાળો -ની અને આજની યહૂદી વિરોધીતા વચ્ચેના તફાવતની છે.

શરૂઆતમાં, ડુ મૌરિયર સ્પષ્ટપણે માને છે કે યહૂદી બે પ્રકારના હોય છે, સારા અને ખરાબ, અને એ બે પ્રકાર વચ્ચે વચ્ચે વંશ પરંપરાગત તફાવત છે. વાર્તામાં થોડા સમય માટે, એક અન્ય યહૂદી પાત્ર, ગ્લોરિઓલી,નો પ્રવેશ થાય છે. તેનામાં સ્વેંગાલીમાં છે તે બધા ગુણો, અને જે ગુણોનો અભાવ છે તે પણ, છે. ગ્લોરિઓલી 'સેફાર્ડિમમાંનો એક' - એટલેકે સ્પેનિશ મૂળનો - છે જ્યારે સ્વેંગાલી, જે જર્મન પોલેન્ડથી આવતો, 'પૂર્વીય ઇઝરાયલી હિબ્રુ યહૂદી' છે. બીજું, ડુ મૌરિયર માને છે કે યહૂદી લોહીનો થોડો પણ અંશ હોવો એ એક ફાયદો છે. આપણને કહેવામાં આવે છે કે હીરો, લિટલ બિલી, કદાચ થોડું યહૂદી લોહી ધરાવતો હશે, જે તેના ચહેરાના લક્ષણોમાં વરતાય છે, અને 'સદભાગ્યે દુનિયા માટે, અને ખાસ કરીને આપણા માટે, આપણામાંના મોટાભાગના લોકોની નસોમાં ઓછામાં ઓછું તે કિંમતી પ્રવાહી છે'.

સ્પષ્ટપણે, આ નાઝી સ્વરૂપનું યહૂદી-વિરોધીપણું નથી. તેમ છતાં સ્વેન્ગાલીના બધા સંદર્ભોનો સ્વર, લગભગ અજાણતાં, તિરસ્કારપૂર્ણ છે, અને ડુ મૌરિયરે આવી ભૂમિકા ભજવવા માટે એક યહૂદીને પસંદ કર્યો તે હકીકત નોંધપાત્ર છે. સ્વેન્ગાલી, જે પોતે ગાઈ શકતો નથી અને તેને ટ્રિલ્બીની સ્વરપેટી દ્વારા ગાવું પડે છે. તે જાણીતા પ્રકારના, હોંશિયાર ગૌણ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ વધુ પ્રભાવશાળી વ્યક્તિનાં ભેજાં તરીકે કાર્ય કરે છે.

એ બહુ વિચિત્ર છે કે ડુ મૌરિયર કેટલું મુક્તપણે સ્વીકારે છે કે સ્વેન્ગાલી ત્રણ અંગ્રેજો કરતાં વધુ પ્રતિભાશાળી છે, જેનું પ્રતિનિધિત્વ અવિશ્વસનીય રીતે, એક તેજસ્વી ચિત્રકાર તરીકે કરવામાં આવે છે એવા લિટલ બિલી કરતાં પણ વધારે પ્રતિભાવાન છે. સ્વેન્ગાલીમાં 'પ્રતિભા' છે, પરંતુ અન્ય લોકોમાં 'ચારિત્ર્ય' છે, અને 'ચારિત્ર્ય' મહત્વનું છે. આ તો રગર રમતા નિરીક્ષક વિદ્યાર્થીનું ચશ્માધારી ગોખણીયા વિદ્યાર્થી પ્રત્યેનું વલણ છે, અને કદાચ તે સમયે યહૂદીઓ પ્રત્યેનું સામાન્ય વલણ હતું. તેઓ સ્વાભાવિક રીતે જ ઉતરતા સ્તરના હતા, પરંતુ અલબત્ત તેઓ આપણા કરતા વધુ હોશિયાર, વધુ સંવેદનશીલ અને વધુ કલાત્મક હતા તેથી આવા ગુણોનું મહત્વ ગૌણ બની જાય છે. આજકાલ, અંગ્રેજો પોતાના પ્રત્યે ઓછો વિશ્વાસ ધરાવે છે, તેમને ઓછો ભરોસો છે કે મૂર્ખતા હંમેશા અંતમાં જીતે છે, અને યહૂદી-વિરોધનું પ્રવર્તમાન સ્વરૂપ બદલાઈ ગયું છે, સારા માટે જરા પણ નહીં.

ગયા અઠવાડિયાના ટ્રિબ્યુનમાં શ્રી જુલિયન સિમોન્સે ટિપ્પણી કરી હતી - મને લાગે છે કે તે સાચી પણ હતી - કે એલ્ડોસ હક્સલીની પછીની નવલકથાઓ તેમની પહેલાની નવલકથાઓ કરતા ઘણી હલકી ગુણવત્તાવાળી છે. પરંતુ તેમણે ઉમેર્યું હશે કે કલ્પનાશીલ લેખકોમાં આ પ્રકારની પડતી સામાન્ય છે, તે ધ્યાન બહાર જ રહે છે કેમકે કોઈ લેખક, જાણે કે, તેના પહેલાના પુસ્તકો વિશે પડેલી સારી છાપના જોરથી આગળ વધતો રહે છે. ઉદાહરણ તરીકે, આપણે એચ. જી. વેલ્સનું, ટોનો-બુંગે, મિસ્ટર પોલી, ધ ટાઇમ મશીન, વગેરે માટે માન રાખીએ છીએ. જો તેમણે ૧૯૨૦થી લખવાનું બંધ કરી દીધું હોત તો તેમની પ્રતિષ્ઠા એટલી જ ઊંચી હોત જેટલી રહી છે: જો આપણે તેમને ફક્ત તે સમય પછી લખેલા પુસ્તકો દ્વારા જ તેમને ઓળખતા હોત, તો આપણે તેમના વિશે નીઓ અભિપ્રાય રાખતા હોત.

એક નવલકથાકાર, બોક્સર અથવા બેલે ડાન્સર કરતાં વધુ, લાંબા સમય સુધી માટે ટકી શકતો નથી. તેની પાસે એક પ્રારંભિક આવેગ હોય છે જે ત્રણ કે ચાર પુસ્તકો માટે સારો રહે છે, કદાચ એક ડઝન માટે પણ સારો રહે, પરંતુ જે વહેલા કે મોડા તેણે થાકી જવું પડે છે. સ્વાભાવિક છે કે કોઈ કડક નિયમ ન બનાવી શકાય, પરંતુ ઘણા કિસ્સાઓમાં સર્જનાત્મક જુસ્સો લગભગ ૧૫ વર્ષ સુધી ટકી રહે છે: ગદ્ય લેખકમાં આ ૧૫ વર્ષ કદાચ ૩૦ થી ૪૫ વર્ષની વચ્ચે અથવા તેની આસપાસનાં હશે. એ સાચું છે કે, થોડા લેખકોનો જીવનકાળ ખૂબ લાંબું હોય છે, અને તેઓ મધ્યમ વયના અથવા તો વૃદ્ધ હોય ત્યારે પણ વિકાસ કરી શકે છે. પરંતુ આ બધા સામાન્ય રીતે એવા લેખકો (ઉદાહરણ તરીકે: યેટ્સ, એલિયટ, હાર્ડી, ટોલ્સટોય) હોય છે જેઓ તેમની શૈલીમાં, અથવા તેમના વિષયવસ્તુમાં, અથવા બંનેમાં અચાનક, લગભગ અતિ તીવ્ર કહી શ કાય એવો ફેરફાર કરે, અને જેંઓ પહેલાના કાર્યને નકારવાનું વલણ પણ ધરાવે છે.

ઘણા, કદાચ મોટાભાગના, લેખકોએ મધ્ય વયે પહોંચ્યા પછી લખવાનું બંધ કરી દેવું જોઈએ. કમનસીબે આપણો સમાજ તેમને લખવાનિં બંધ કરવા દેશે નહીં. તેમાંના મોટાભાગના લોકો આજીવિકા કમાવવાનો બીજો કોઈ રસ્તો જાણતા નથી, અને લખવાની સાથે ઝઘડા, હરીફાઈ, ખુશામત, અર્ધ-જાહેર વ્યક્તિ હોવાની ભાવના તેમની આદત બની જાય છે. વાજબી દુનિયામાં, એક લેખક જે પોતાનો મત જણાવતો હતો કે તે તો કોઈ અન્ય વ્યવસાય અપનાવી લેશે. સ્પર્ધાત્મક સમાજમાં, એક રાજકારણીની જેમ, તે અનુભવે છે કે નિવૃત્તિ એ મૃત્યુ સમાન છે. તેથી તે પોતાનો ઉત્સાહ ખતમ થયા પછી પણ લાંબા સમય સુધી લખવાનું ચાલુ રાખે છે, અને, નિયમ પ્રમાણે, તે પોતાનું અનુકરણ કરવા માટે જેટલો ઓચો સભાન હોય છે, તેટલો જ તે વધારે સ્થુળતાપૂર્વક અનુકરણ કરે છે.

આ વર્ષની શરૂઆતમાં હું એક અમેરિકન પ્રકાશકને મળ્યો જેણે મને કહ્યું કે તેની પેઢી પર નવ મહિના ચાલેલો મુકદ્દમો થયો હતો જેમાં તે આંશિક રીતે વિજયી થયો હતો, જોકે ખિસ્સાં ખાલી હતાં. તે મુકદ્દમો તેણે કરેલા ચાર અક્ષરોના શબ્દપ્રયોગને છાપવા અંગે હતો જેનો ઉપયોગ આપણે મોટાભાગના લોકો દરરોજ, સામાન્ય રીતે વર્તમાન કૃદંતના રૂપમાં, કરીએ છીએ.

અમેરિકા સામાન્ય રીતે આ બાબતોમાં બ્રિટનથી થોડા વર્ષો આગળ છે. તમે અમેરિકન પુસ્તકોમાં 'b ——' પૂર્ણ રીતે છાપી શકો છો, જ્યારે તે અંગ્રેજીમાં B -(ડેશ) તરીકે દેખાડવું પડતું હતું. તાજેતરમાં ઇંગ્લેન્ડમાં આ શબ્દ પુસ્તકમાં પૂર્ણ રીતે છાપવાનું શક્ય બન્યું છે, પરંતુ સામયિકોમાં તે હજુ પણ B ડેશ હોવું જોઈએ. પાંચ કે છ વર્ષ પહેલાં જ તે એક જાણીતા માસિક મેગેઝિનમાં છાપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીનો ગભરાટ એટલો બધો હતો કે થાકેલા સ્ટાફે હાથથી શબ્દ કાળો કરવો પડ્યો હતો.

બીજા, ચાર અક્ષરોવાળા શબ્દની વાત કરીએ તો, તે હજુ પણ આ દેશના સામયિકોમાં છાપી શકાતો નથી, પરંતુ પુસ્તકોમાં તેને તેના પહેલો અક્ષર અને ડેશ દ્વારા રજૂ કરી શકાય છે. અમેરિકા આ સ્તર ઓછામાં ઓછા એક ડઝન વર્ષ પહેલાં પહોંચી ગયું હતું. ગયા વર્ષે સવાલમાં રહેલા પ્રકાશન વિભાગે શબ્દને સંપૂર્ણ રીતે છાપવાનો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો. પુસ્તક દબાવી દેવામાં આવ્યું, અને નવ મહિનાના મુકદ્દમા પછી દમનને સમર્થન આપવામાં આવ્યું. પરંતુ આ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું આગળ વધારવામાં આવ્યું. એવો ચુકાદો આપવામાં આવ્યો કે હવે તમે શબ્દના પહેલા અને છેલ્લા અક્ષરોને વચ્ચે બે ફૂદડી સાથે છાપી શકો છો, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમાં ચાર અક્ષરો છે. આ વાજબી રીતે ખાતરી કરાવે છે કે થોડા વર્ષોમાં શબ્દ સંપૂર્ણ રીતે છાપી શકાશે.

તો પ્રગતિ ચાલુ રહે છે - અને મારા મતે તે સાચી પ્રગતિ છે, કારણ કે જો આપણા અડધા ડઝન 'ખરાબ' શબ્દો શૌચાલયની દિવાલ પરથી ઉતારીને છાપેલા પાના પર મૂકી શકાય, તો તે ટૂંક સમયમાં તેમની જાદુઈ કરામત ગુમાવશે અને અપશબ્દો બોલવાની
, આપણા વિચારોને નીચા પાડવાની અને આપણી ભાષાને નબળી પાડવાની આદત ઓછી થઈ જશે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

 

બુધવાર, 22 એપ્રિલ, 2026

પુરૂષ નગ્નતાનો ખુલાસો - દેવદત્ત પટ્ટનાઈક

થોડા દાયકા પહેલા, જૈન શાસ્ત્રના ઋષિ બાહુબલીની પ્રતિમા મુંબઈના સ્થાનિક એરપોર્ટની સામે સ્થાપિત

કરવામાં આવી રહી હતી. ઘણા લોકોએ વિરોધ કર્યો હતો, અને દલીલ કરી હતી કે એરપોર્ટ છોડતી વખતે નગ્ન પુરુષની પ્રતિમા પહેલી વસ્તુ નજર સામે ન હોવી જોઈએ. તેના જવાબમાં, મૂર્તિનો મધ્ય ભાગ પેનલથી ઢાંકી દેવાયો. આખરે, પ્રતિમાને દૂર કરવી પડી. બાહુબલીની છબીને નગ્ન પુરુષ તરીકે જોવાનો વિચાર શ્રદ્ધાળુઓને પસંદ પડ્યો, કારણ કે તેને કારણે એક અજાતીય દિવ્ય પ્રતીકને જાતીય જીવવિજ્ઞાનમાં રૂપાંતરિત થઈ જતું હતું,

માણસ અર્થ ઘટન કરનાર પ્રાણી છે. આપણે ધ્વનિને, કે ખેંચેલી રેખાને અર્થ આપી શકીએ છીએ અને એમાંથી શબ્દો બનાવી શકીએ છીએ. આપણે મૂર્તિઓને કે તેમાંની અંગભંગિઓને અર્થ આપી શકીએ છીએ,અને તેમાંથી પ્રતીકો બનાવી શકીએ છીએ. આપણે અર્થના સ્તરો બનાવી શકીએ છીએ જેના દ્વારા વૃક્ષ ફક્ત એક વૃક્ષ નથી, અને સિગાર ફક્ત એક સિગાર નથી. એવું જ તે નગ્નતા સાથે છે. દૃષ્ટિ પર આધાર રાખીને, સંદર્ભ પર આધાર રાખીને, તેનો એક અલગ અર્થ બને છે. તે અજાતીય અથવા જાતીય હોઈ શકે છે, માંસાહારીનો ઉજવણી કે કંઈક આધ્યાત્મિકતા સૂચક હોઈ શકે છે. ૧૬મી સદીમાં ઇટાલીમાં માઇકેલેન્જેલો દ્વારા કોતરવામાં આવેલી ડેવિડની ૧૪ ફૂટ ઊંચી આરસપહાણની પ્રતિમાની ૧૦મી સદીમાં કર્ણાટકના શ્રવણબેલેગોલામાં કોતરવામાં આવેલી ગોમતેશ્વર બાહુબલીની ૫૭ ફૂટ ઊંચી પ્રતિમા સાથે સરખામણી અને વિરોધાભાસ કરીએ છીએ ત્યારે આ તફાવત સ્પષ્ટ થાય છે.

બાઇબલના સમયમાં, માનવીઓ જ્યારે નિર્દોષ હતાં ત્યારે તેઓ એડનમાં નગ્ન ફરી શકતાં હતાં, પરંતુ જ્યારે તેઓએ પ્રતિબંધિત ફળ ખાધું ત્યારથી તેઓ પોતાની નગ્નતાને જૉઈ શકવા લાગ્યા. તેથી તેઓએ પોતાને પાંદડાથી ઢાંકી દીધા હતા. આ મૂળ પાપ પછી નગ્નતાનું કોઈપણ કૃત્ય અને ત્યારબાદ ભગવાનની કૃપાદૃષ્ટિમાંથી પતન અભદ્ર અને અપમાનજનક પણ માનવામાં આવે છે. જૂના કરારમાં રાજા ડેવિડના આર્ક ઑફ કોવેનન્ટ સમક્ષ નગ્ન નૃત્ય કરવાની કથા આવો જ આક્રોશ જગાડે છે, ઘણા લોકો દલીલ કરે છે કે તેણે આવું ન કરવું જોઈએ, અથવા એવું ન કરયું હોત, કારણ કે આવું નૃત્ય અપમાનજનક છે, જે ફક્ત મૂર્તિપૂજકોમાં જ જોવા મળે છે. છતાં, જ્યારે તેણે વિશાળ ગોલિયાથને હરાવ્યો હતો એવા તેના યુવાનીના દિવસોમાં, આ જ ડેવિડને, પ્રાચીન ગ્રીકો દ્વારા પર્સિયસ જેવા નાયકોને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી શૈલીમાં,નગ્ન, માઇકેલેન્જેલો કોતરે છે.

બહુદેવવાદી 'મૂર્તિપૂજક' ગ્રીકો દેહ અને માનવ સ્વરૂપની ઉજવણી કરતા હતા. પુનરુજ્જીવનના યુગમાં, જ્યારે ગ્રીક વિચારસરણી ફરીથી ઘડાઈ રહી હતી, ત્યારે પુરુષ નગ્નતા કોઈ મોટી વાત નહોતી, જેટલી તે અગાઉના અંધકાર યુગમાં હતી. હકીકતમાં, જ્યારે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે કોઈએ તેની નગ્નતા જોઈ ન હતી. ત્યારે તો લોકોનું ધ્યાન પ્રતિમાના નોંધપાત્ર આત્મવિશ્વાસ, એકાગ્રતા, સુંદરતા અને પ્રમાણબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત થયું હતું.

પાંચ સદીઓ પહેલાં કોતરવામાં આવેલ, વિશાળ બાહુબલી ભૌતિક જગતથી મુક્ત થવાના સંઘર્ષને મૂર્તિમંત કરે છે. તે ઊંચો ઊભા છે, ક્ષિતિજ તરફ જોઈ રહ્યા છે, તેના પગની પિંડીઓ અને જાંઘોની આસપાસ લપેટાયેલો વેલો, તેના સંઘર્ષનો સમયગાળો તેમજ તેના પાર્થિવ સ્વભાવ બંનેને દર્શાવે છે. તે ન તો તેના પિતાની જેમ તીર્થંકર છે, ન તો તેના ભાઈની જેમ ચક્રવર્તી છે. તે ઋષિ અને રાજાની વચ્ચે છે, જૈન ધર્મના દિગંબર પંથના સામાન્ય અનુયાયીઓની તે સહાનુભૂતિ મેળવે છે. અહીં, નગ્નતા ત્યાગને મૂર્તિમંત કરે છે, અને તેને પુરુષ સુંદરતા અથવા શક્તિ સાથે કોઈ લેવાદેવા નથી.

આપણે પુરુષને નગ્ન કેવી રીતે જોઈએ છીએ તે આખરે આપણા પોતાના સ્વભાવ, આપણા પોતાના શિક્ષણ અને પરિપક્વતા, તેમજ આપણે જે સંસ્કૃતિમાં રહીએ છીએ તેના પર નિર્ભર છે. મોટાભાગના મધ્ય પૂર્વીય દેશોમાં, તેની જાતિ કે કે તેના શિષ્ટ અર્થને વિશે વિચાર્યા વિના જ, આમાંથી કોઈ પણ પ્રતિમાનુઓ સ્વીકાર્ય નહી હોય.

  • મિડ - ડેમાં ૪ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખUnravelling male nudes નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ   એપ્રિલ ૨૦૨૬

બુધવાર, 15 એપ્રિલ, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૨]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ


ટ્રિબ્યુન

૧૧ નવેમ્બર, ૧૯૪૬

જેમાંથી માણસના હાથ કરતાં મોટાભાગના ઘણા મોટા અને ગંદા વાદળ જેમ જેમ રાજકીય ક્ષિતિજ પર ઘુમરાઈ રહ્યાં છે, તેમ તેમ એક હકીકત વારંવાર પોતાને તેની પાછળ છુપાવી રહી છે. એ હકીકત છે કે સરકારની, વર્તમાન અને ભવિષ્ય, મુશ્કેલીઓ, મોટાભાગે પોતાને યોગ્ય સમયે, યોગય રીતે, જાહેરમાં લાવવામાં રહેલી નિષ્ફળતાને કારણે ઉદ્‍ભવે છે.

લોકોને પૂરતી સ્પષ્ટતા સાથે કહેવામાં આવતું નથી કે શું,શા માટે, થઈ રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં શું થવાની અપેક્ષા છે. પરિણામે, દરેક મોટી કે નાની આફત જનતાને આશ્ચર્યચકિત કરે છે, અને સરકાર એવું એવું કરવા માટે અપ્રિય થવાનો ભોગ બને છે જે કોઈપણ સરકારે, ગમે તે રંગની હોય, એવી સમાન પરિસ્થિતિઓમાં એ મુજબ જ કરવું પડ્યું હોત.

તાજેતરમાં સમાચારમાં ઘણો જોવા મળતો, આ દેશમાં વિદેશી મજૂરોનું સ્થળાંતર, જેવો એક પ્રશ્ન જ લઈએ જે ક્યારેય યોગ્ય રીતે બહાર પાડવામાં આવ્યો નથી. તાજેતરમાં આપણે TUC (ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ) કોન્ફરન્સમાં પોલ્સને ખાણોમાં અને જમીન પર જ્યાં મજૂરની સૌથી વધુ જરૂર છે એવાં બે સ્થળોએ કામ કરવાની મંજૂરી આપવા સામે ભારે હોબાળો જોયો.

આ વાતને સામ્યવાદી તરફ સહાનુભૂતિધારકો દ્વારા 'ઉપજાવેલી' વાત ગણીને હું એવું કહીને ઉડાડી નહીં દઉં અને બીજી બાજુ એવું કહીને તેને ન્યાયી ઠેરવવાનું કામ નહીં કરૂં કે પોલિશ શરણાર્થીઓ બધા એવા ફાસીવાદી છે જેઓ એક આંખનું ચશ્મું પહેરીને અને બ્રીફ-કેસ લઈને 'ફરતા' રહે છે. પ્રશ્ન એ છે કે, જો પ્રશ્ન કથિત ફાસીવાદીઓનો નહીં પણ ફાસીવાદના સ્વીકૃત પીડિતોનો હોત તો શું બ્રિટિશ ટ્રેડ યુનિયનોનું વલણ વધુ મૈત્રીપૂર્ણ હોત?

ઉદાહરણ તરીકે, લાખો બેઘર યહૂદીઓ હવે પેલેસ્ટાઇન જવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે તેમાંથી ઘણા આખરે સફળ થશે, પરંતુ ઘણા નિષ્ફળ પણ જશે. આ દેશમાં સ્થાયી થવાનો ઇનકાર કરનારા ૧૦૦,૦૦૦ યહૂદીઓને આમંત્રણ આપીએ? અથવા લગભગ દસ લાખ જેટલા વિસ્થાપિત લોકોનું શું, જેઓ જર્મનીના કેમ્પોમાં પથરાયેલા છે, જેમનું કોઈ ભવિષ્ય નથી અને જવા માટે કોઈ સ્થાન નથી, જેમને અમેરિકા અને બ્રિટિશ સંસ્થાનોએ પહેલાથી જ નોંધપાત્ર સંખ્યામાં તેમને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે? તેમને બ્રિટિશ નાગરિકત્વ આપીને તેમની સમસ્યાનો ઉકેલ કેમ ન લાવવો?

કલ્પના કરવી સરળ છે કે સરેરાશ તળ બ્રિટિશ પ્રજાજનનો જવાબ શું હશે. યુદ્ધ પહેલાં પણ, નાઝીઓના જુલમ પૂરજોશમાં ચાલી રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં યહૂદી શરણાર્થીઓને આ દેશમાં પ્રવેશ આપવાના વિચારને કોઈ લોકપ્રિય સમર્થન નહોતું: ન તો ફ્રાન્કોના જુલ્મ ભાગી ગયેલા લાખો સ્પેનિયાર્ડ્સને ફ્રાન્સમાં કાંટાળા તાર પાછળ કેદ કરવા માટે કોઈ ગળે ઉતરે એવું કારણ આપવાનું પગલું ભરવામાં આવ્યું હતું.

એમ તો, ૧૯૪૦ માં પીડિત જર્મન શરણાર્થીઓને નજરકેદ કરવા સામે ખૂબ જ ઓછો વિરોધ થયો હતો. તે સમયે મેં મોટે ભાગે જે ટિપ્પણીઓ સાંભળી હતી તે તો આ પ્રકારની હતીઃ 'તેઓ અહીં શા માટે આવવા માંગતા હતા?' કે 'તેઓ ફક્ત અમારી નોકરીઓની પાછળ પડી ગયા છે'.

હકીકત એ છે કે આ દેશમાં વિદેશી દેશાંતર વસવાટ સામે મજબૂત લોકલાગણી છે. તે અંશતઃ બધુ સીધા પરદેશીઓ સામેના અણગમા, કે અંશતઃ વેતનમાં ઘટાડો થવાના ડરથી, પરંતુ સૌથી વધારે તો, બ્રિટનમાં વસ્તી જાય, અને વધુ વસ્તી એટલે વધુ બેરોજગારી, એવી જૂની માન્યતામાંથી ઉદ્‍ભવે છે.
વાસ્તવમાં, ઉપલબ્ધ નોકરીઓ કરતાં કામદારો વધુ હોવા છતાં, આપણી પાસે ખરા અર્થમાં શ્રમિકોની અછત છે, જે ફરજિયાત ભરતી ન થવાનું ચાલુ રહેવાથી વધુ તીવ્ર બનશે, અને વસ્તીમાં વૃદ્ધત્વનાં વધતાં જતાં પ્રમાણને કારણે સુધરવાને બદલે વધુ ખરાબ થશે.

દરમિયાન, આપણો જન્મદર હજુ પણ ભયજનક રીતે ઓછો છે, અને લગ્નયોગ્ય વયની લાખો સ્ત્રીઓને પતિ મળવાની કોઈ શક્યતા નથી. પરંતુ આ હકીકતો કેટલી વ્યાપક રીતે જાણીતી છે કે સમજી શકાય છે?

છેવટે, શંકાસ્પદ મુદ્દો એ રહે છે કે શું આપણે યુરોપથી સ્થળાંતરને પ્રોત્સાહન આપ્યા વિના આપણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીશું. કામચલાઉ રીતે સરકારે આમ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે પ્રયાસને ફક્ત અજ્ઞાન દુશ્મનાવટનો સામનો એટલે કરવો પડ્યો છે, કે જનતાને સંબંધિત હકીકતો અગાઉથી કહેવામાં આવી નથી. તેવી જ રીતે આવી અસંખ્ય અન્ય અપ્રિય બાબતો સાથે પણ સમયે સમયે કામ લેવું પડશે.

પરંતુ સૌથી જરૂરી પગલું કોઈ ચોક્કસ કટોકટી માટે જાહેર અભિપ્રાય તૈયાર કરવો તે નહીં, પરંતુ રાજકીય સમજણનું સામાન્ય સ્તર સુધારવું: સૌથી વધારે તો જે ક્યારેય યોગ્ય રીતે સમજી શકાઈ નથી એ હકીકતને સમજવાની જરૂર છે કે બ્રિટિશ સમૃદ્ધિ મોટાભાગે બ્રિટનની બહારના પરિબળો પર આધારિત છે.

લેબર સરકાર માટે પ્રચાર અને સમજાવટનો આ માર્ગ સરળ નથી, કારણ કે તેને એક એવાં અખબાત જગતનો સામનો કરવો પડે છે જે મોટે ભાગે પ્રતિકૂળ હોય છે. તેમ છતાં, જનતા સાથે વાતચીત કરવાના અન્ય રસ્તાઓ પણ છે, અને મહેરબાન એટલી અને તેમના સાથીદારો રેડિયો પર વધુ ધ્યાન આપી શકે છે રેડિયો એક એવું માધ્યમ છે જેને આ દેશમાં બહુ ઓછા રાજકારણીઓએ ગંભીરતાથી લીધું છે.
એક પ્રશ્ન છે જે પહેલી નજરે તુચ્છ અને ઘૃણાસ્પદ લાગે છે પણ જેનો જવાબ મને મળતો જોવા મળશે. તે સવાલ છે - છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર યુરોપમાં અસંખ્ય યુદ્ધ ગુનેગારોની થયેલી ફાંસીઓમાં, કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે - ગળે ફાંસો દેવાની જૂની પદ્ધતિ, કે પીડિતની ગરદન એક પળમાં તોડી નાખવાની આધુનિક, પ્રમાણમાં માનવીય પદ્ધતિ માનવામાં આવે છે એ?

સો વર્ષ કે તેથી વધુ સમય પહેલાં, લોકોને ફક્ત ઉપર લટકાવીને અને લાતો મારીને અને મૃત્યુ પામે ત્યાં સુધી સંઘર્ષ કરવા દઈને ફાંસી આપવામાં આવતી હતી, જેમાં લગભગ એક કલાકનો સમય લાગતો. તે પછી લટકાવી દેવાની પદ્ધતિ અપનાવાઈ જે સૈદ્ધાંતિક રીતે તાત્કાલિક મૃત્યુ લાવી દેતી. જોકે દરેક કિસ્સામાં આ રીતે હંમેશા ખૂબ સારી રીતે કામ કરતી હોય એવું નથી પણ બનતું.

તાજેતરના વર્ષોમાં, ગળે ફાંસો દેવાનું વલણ વધારે જોવા મળે છે. ખાર્કોવ ખાતે જર્મન યુદ્ધ ગુનેગારોને ફાંસી આપવાની ન્યૂઝ ફિલ્મ મેં જોઈ નથી, પરંતુ બ્રિટિશ પ્રેસમાંના વર્ણનો બતાવે છે કે તેમાં જૂની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાલ્કન દેશોમાં વિવિધ ફાંસી આપવાની પણ આ જ પદ્ધતિ અપનાવાઈ હતી.

ન્યુરેમબર્ગ ખટલામાં ફાંસીની સજા વિશે અખબારોમાં અસ્પષ્ટ અહેવાલો હતા. લટકાવી વિશે ચર્ચા થઈ હતી, પરંતુ દોષિતોને મૃત્યુ પામવામાં દસ કે વીસ મિનિટ લાગતી હોવાની પણ ચર્ચા થઈ હતી. કદાચ, સામાન્ય રીતે એંગ્લો-સેક્સન વિચારસરણી મુજબનાં સમાધાન રૂપે, લટકાવી દેવાની રીતનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તેને અસરકારક બનવા માટે મૃત્યુ તરત આવે તે રીત અખત્યાર કરવી એમ નક્કી થયું.

આ દેશમાં ફાંસી હજુ પણ મૃત્યુદંડનું સ્વીકૃત સ્વરૂપ હોવું જોઈએ તે સારું લક્ષણ નથી. ફાંસી એ કોઈને પણ મારવાની એક ક્રૂર, બિનકાર્યક્ષમ રીત છે, અને તેના વિશે ઓછામાં ઓછી એક - મારા મતે, ખૂબ જ જાણીતી છે - હકીકત છે તે એટલી અશ્લીલ છે કે લગભગ છાપી શકાય તેમ નથી.

છતાં, હમણા સુધી આપણે આ વિષય પર થોડી અસ્વસ્થતા અનુભવતા હતા, અને ખાનગીમાં ફાંસી આપતા હતા. ખરેખર, યુદ્ધ પહેલા, લગભગ દરેક સભ્ય દેશમાં જાહેરમાં ફાંસી આપવી એ ભૂતકાળની વાત હતી. હવે તે, કમસે કમ રાજકીય ગુનાઓ માટે, પાછું આવી રહ્યું હોય તેવું લાગે છે. જોકે આપણે પોતે તેને હજુ સુધી ફરીથી અમલમાં નથી મુક્યું, અમે સમાચાર ફિલ્મો જોઈને પરોક્ષ રીતે ભાગ લઇએ છીએ.

પાછળ ફરીને વિચારવું વિચિત્ર છે કે માત્ર એક ડઝન વર્ષ પહેલાં મૃત્યુદંડ નાબૂદ કરવો એ એવી બાબતોમાંની એક હતી જેની, છૂટાછેડા સુધારાઓ કે ભારતને સ્વતંત્રતા જેવા વિષયોની જેમ, દરેક પ્રબુદ્ધ વ્યક્તિએ હિમાયત કરતી હતી. હવે, બીજી બાજુ, ફાંસીને મંજૂરી આપવી એ માત્ર જ્ઞાન લાધવાની નિશાની નથી, પરંતુ ફાંસીઓ ખાસ અપાતી જ નથી એટલે તે અંગે હોબાળો મચાવવો એ જ્ઞાન લાધવાની નિશાની બની ગયેલ છે.

તેથી મને એ જાણવું થોડું મહત્વનું લાગે છે કે શું ગળે ફાંસો દઈને દેવાતી દેહાંત દંડની પ્રથા હવે ફરીથી સર્વસામાન્ય બની રહી છે? જો લોકોને ફક્ત મૃત્યુ પર જ નહીં પરંતુ ત્રાસના એક વિચિત્ર ભયાનક સ્વરૂપ પર ગર્વ કરવાનું શીખવવામાં આવી રહ્યું હોય, તો તે ૧૯૩૩ થી આપણે જે પતન તરફ જઈ રહ્યા છીએ તેના પર બીજો વળાંક દર્શાવે છે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

શુક્રવાર, 10 એપ્રિલ, 2026

સુબ્રોતો બાગચી કહે છે પ્રક્રિયાઓનાં મહત્વની વાત

 તન્મય વોરા

સુબ્રતો બાગચીના પુસ્તક "ધ હાઇ પર્ફોર્મન્સ આંત્રપ્રેન્યર " એ મારા જેવા અનેક ઉદ્યોગસાહસિકોની વિચારસરણીને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એ એક એવું પુસ્તક છે જેણે મને વ્યવસાય કરવાના વ્યવસાયને સમજવામાં મદદ કરી. આ પુસ્તક માઇન્ડટ્રીના વિચારબીજથી IPO સુધીના વિકાસનું દસ્તાવેજીકરણ કરે છે. તે સાથે આ પુસ્તક સંસ્થાઓને 'અસામાન્ય' બનાવવાના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પાસાંઓ પર ખૂબ જ રસપ્રદ આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

પ્રક્રિયા-કેન્દ્રિત સંગઠનનું નિર્માણના એક પ્રકરણમાં, સુબ્રતો બાગચી એક અદ્‍ભૂત વાત શેર કરે છે જે ફક્ત પ્રક્રિયાના મહત્વને રેખાંકિત કરે છે.

ફ્યુજી ઝેરોક્સ જાપાનની ફ્યુજી અને અમેરિકાની ઝેરોક્સ નું સંયુક્ત સાહસ હતું. મૂળ કંપની, ઝેરોક્સ,ને યુએસમાં ગુણવત્તા માટે માલ્કમ બાલ્ડ્રિજ એવોર્ડ મળે તે પહેલાં જ ફ્યુજી ઝેરોક્સે કુલ ગુણવત્તા વ્યવસ્થાપન માટે સુપ્રસિદ્ધ ડેમિંગ પુરસ્કાર જીત્યો હતો.

એક સજ્જન સમજાવી રહ્યા હતા કે પ્રક્રિયા અભિગમ સ્પર્ધાત્મક સફળતાની ચાવી શા માટે છે.

કોઈએ તેમને પુછવા ખાતર જ  પૂછ્યું, "પરંતુ માઇકેલેન્જેલો તો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી?"

હસીને, પેલા નિષ્ણાતે જવાબ આપ્યો, "પહેલાં, માઇકેલેન્જેલો બનો."

તે પછી તરત જ તેમણે ભારપૂર્વક ઉમેર્યુંઃ બાકીના બધાએ તો પ્રક્રિયાને અનુસરવી જ જોઈએ.

તાજેતરમાં, કોઈએ મારી સાથે દલીલ કરી હતી કે પોતે સર્જનાત્મક ક્ષેત્રમાં હોવાથી, તેને પ્રક્રિયાની જરૂર નથી. મારો મત એ છે કે સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ, પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. કલાકારો, લેખકો અને અન્ય સર્જનાત્મક લોકો હજુ પણ વ્યાવસાયિકો છે જેમને તેમની સફળતાનું પુનરાવર્તન કરવું પડે છે. તેઓ હંમેશા એક પ્રક્રિયાને અનુસરે છે (અને આ એક વ્યક્તિગત પ્રક્રિયા છે જે હંમેશા દરેકને દેખાતી નથી). પ્રક્રિયા એક સાધન છે જે આપણને સર્જનાત્મક વ્યાવસાયિકો તરીકે વધુ અસરકારક બનાવે છે.

સુબ્રતો બાગચી આગળ દલીલ કરે છે કે:

બધા સર્જનાત્મક લોકો ખરેખર એક સશક્ત પ્રક્રિયા અભિગમ ધરાવતા હોય છે, ફક્ત તેમની પ્રક્રિયાનું સંસ્કરણ બીનઅનુભવી આંખને સ્પષ્ટપણે દેખાતું નથી, અને અનુભવી નજરનાં માન્યતાઓનાં પડળ તેને ઓજલ કરી નાખે છે.  તેથી, જો તમે કંઈ પણ યાદગાર સર્જન કરવાનું વિચારી રહ્યા હો, તો તમારે પ્રક્રિયાને, અને તેનાં મહત્વને, સમજવાં જોઈશે અને તેનું સન્માન કરવું પડશે.

ટીમ અને સસ્થાઓના ઘડનારાઓ માટે સો વાતની એક વાત એ છે કે "આપણે જે કંઈ કરીએ છીએ તે એક પ્રક્રિયા છે જે હંમેશા સુધારી શકાય છે."

અહીં મારા પુસ્તક “#QUALITYtweet – 140 Bite-Sized Ideas to Deliver Quality in Every Project માંથી કેટલાક સર્દભોચિત તારવેલા લેખો અહીં ફરીથી યાદ કર્યા છે, જે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર પણ ભાર મૂકે છેઃ 

ગ્રાહકની તાત્કાલિક સમસ્યાઓના નિવારણમાં આપણી પ્રક્રિયાઓને આડખીલીઓ ન થવા દઇએ છે

કાબેલ લોકો + સારી પ્રક્રિયાઓ = વિખ્યાત ગુણવત્તા

પ્રક્રિયાઓ સરળ બની રહેવી જોઇએ

ઉત્કૃષ્ટ ગાહકો શોધી કાઢતાં અને ટકાવી રાખતાં રહીએ, કેમ કે આપણી પ્રક્રિયાઓની ઉત્કૃષ્ટતા(ઓ)નું તેઓ ચાલક બળ છે.

શું સુધારવું છે તે ખબર હોવી જોઇએ

ઉત્પાદકતા અને ગુણવત્તા

શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ સંદર્ભોચિત હોય છે

પ્રક્રિયા સુધારણાની સફરમાં આવતી ૩ E \ ''- વાળી આડખીલીઓ

 સ્રોત સંદર્ભ::  A Story on Importance of Processes: From Subroto Bagchi

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 8 એપ્રિલ, 2026

રંગનાથ અને તેની મુસ્લિમ સંગિની - દેવદત્ત પટ્ટનાઈક

ચેન્નાઈથી છ કલાકની વાહન મુસાફરી કર્યા પછી કાવેરી નદી પરનો પુલ પાર કરીને શ્રીરંગમ પહોંચી શકાય છે. શ્રીરંગમ નદી પરના ત્રણ ટાપુઓ પૈકી એક છે, જ્યાં નારાયણનાં સ્વરૂપ એવા રંગનાથસ્વામી જે આશ્રયસ્થાન પર બેઠેલા છે, તેમની મૂર્તિઓ છે. અન્ય બે ટાપુઓ કર્ણાટકમાં શ્રીરંગપટ્ણ અને શિવન્નસમુદ્ર છે.

સાત એકકેન્દ્રી વાડાઓ (પ્રાકાર) ની અંદર ખુબ ઊંડે, ભવ્ય પ્રવેશદ્વારો (ગોપુરમ) સાથેની ઊંચી દિવાલો, અને સોના મઢેલ શિખર (વિમાન) સાથે એ મંદિર આવેલું છે. મંદિરની અંદર, સ્થાનિક રીતે રંગનાથ તરીકે આપણે નારાયણ (વિષ્ણુ)ને આદિ-શેષ તરીકે ઓળખાતા પાંચ-ફેણવાળા નાગના ગૂંચળાને આશ્રયસ્થાન બનાવીને બેઠેલા નારાયણનાં દર્શન થાય છે. ભગવાનનું દર્શન શણગાર વિનાની કાળા પથ્થરની ચમકતી, જેના હાથ અને પગ સોનામાં મઢાયેલ છે, એવી મૂર્તિના રૂપે થાય છે હતા. મૂર્તિ પર કોઈ ફૂલો નહોતા. એવું કેમ હશે? પુજારીઓ જણાવે છે કે 'તેમણે છેલ્લા કેટલાક દિવસો તેના વાહન પર શહેરમાં સવારી કરી છે, એટલે તેમનાં થાકેલા અંગોને આરામ આપવા માટે તેને તેલ માલિશ કરવામાં આવી છે'. હિન્દુ મંદિરોમાં, ખાસ કરીને વિષ્ણુ મંદિરોમાં, ભગવાનનું એક વ્યક્તિ, રાજામાં રૂપાંતર, સામાન્ય ઘટના છે. આપણે આ વાત ઓડિશાના પુરી અને રાજસ્થાનના નાથદ્વારામાં પણ જોઈએ છીએ.

પરંપરાગત રીતે, મંદિરના દેવતાઓ પૂર્વાભિમુખ હોય છે, પરંતુ રંગનાથ દક્ષિણ તરફ મુખ રાખે છે. એવું મનાય છે કે અયોધ્યાના રાજા રામના પરિવારના દેવતાની આ આ મૂર્તિ છે. શ્રીરામે તેને લંકાના રાજા વિભીષણને ભેટ આપી હતી. વિભીષણ તેને ઘરે લઈ જવાના હતા, પરંતુ તેમણે શ્રીરંગમ પહૉંચતાં સુધીમાં તે એટલા થાકી ગયા કે મૂર્તિને જમીન પર મૂકીને થોડો આરામ કરવા લાગ્યા. તે પછી મૂર્તિએ ત્યાંથી ખસવાની ઘસીને ના પાડી જ્યારે વિભીષણે ભગવાન પાસે બહુ યાચના કરી, ત્યારે રંગનાથ દક્ષિણ તરફ મુખ કરીને સૂવા માટે સંમત થયા, જેથી તેઓ વિભીષણ અને તેના પ્રજા, લંકાના રહેવાસીઓને, સદાય આશીર્વાદ આપતા રહે. લંકાના રાજા અને વિભિષણના વડીલ બંધુ રાવણે અપહરણ કરેલ તેમનાં પત્ની સીતાને મુક્ત કરવા માટે, રામ એક વખત લંકાના લોકો સાથે લડ્યા. પરંતુ યુદ્ધ પછી અને સીતામૈયાને મુક્ત કરાવી લીધા પછી, કોઈ વૈમનસ્ય રહ્યું ન હતું. હકીકતમાં તો, યુદ્ધ દરમિયાન પણ કોઈ દુશ્મનાવટ ન હતી. રંગનાથ પોતાના પ્રિયતમથી પોતાને અલગ કરનાર વ્યક્તિને સજા કરી રહ્યા હતા ત્યારે પણ સ્નેહ ઓછો થયો ન હતો.

શ્રી-વૈષ્ણવો બ્રાહ્મણોનો એક સમુદાય છે જેના પ્રથમ આચાર્ય પૂજ્ય નાથમુનિ હતા. શ્રી-વૈષ્ણવોની શ્રદ્ધાને પ્રબળ બનાવતાં ૧૦૮ દિવ્યદેશમ (વિષ્ણુ મંદિરો)માં શ્રીરંગમ સૌથી પ્રમુખ છે. પોતાનાં બૌદ્ધિક કૌશલ્ય (તેમણે વેદાંતને ભક્તિ સાથે જોડ્યો) અને વહીવટી કુશળતા (તેમણે મંદિરમાં ધાર્મિક વિધિ અને શાસનના ધોરણો સ્થાપિત કર્યા) માટે પ્રખ્યાત એવા રામાનુજાચાર્યએ લગભગ ૯૦૦ વર્ષ પહેલાં આ -વૈષ્ણવ ધર્મ ને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું. શ્રીરંગમ મંદિરની જેમ આ સંસ્થા આજે પણ એટલી જીવંત છે અને લાખો ભક્તોને આકર્ષિત કરે છે, જે તેની પ્રતિભાનો પુરાવો છે.

બધી સંસ્થાઓની જેમ, શ્રી-વૈષ્ણવ ધર્મમાં પણ તેના વિભાગો અને રાજકારણ છે. બહારના લોકો માટે તેનો કોઈ અર્થ નથી, પરંતુ અનુયાયીઓમાં તે મહા જુસ્સો જગાડે છે. ઉત્તરીય વડકલાઈના લોકો કપાળ પર U-આકારનું ટીલું (નમન) કરે છે, એ નમન એમ દર્શાવે છે કે જેમ વાંદરો તેની માતાને વળગી રહે છે તેમ ભક્તે ભગવાનને વળગી રહેવું જોઈએ. દક્ષિણના તેનકલાઈ તેમના કપાળ પર Y-આકારનું નમન કરીને વિરોધ કરે છે. તેઓ માને છે કે ભક્તે ભરોસો રાખવો જોઈએ કે જેમ બિલાડી તેના બચ્ચાની સંભાળ રાખે છે તેમ ભગવાન તેમની સંભાળ રાખશે.

બંને જૂથો રામાનુજને પૂજે છે. રામાનુજનું એક મંદિર આ સંકુલમાં બનાવવામાં આવ્યું છે. મંદિરમાં સંતની મૂર્તિ તે સ્થાનની ટોચ પર મૂકવામાં આવી છે (મંદિર સંકુલ માટે અસામાન્ય પ્રથા ગણાય તેમ) એ સ્થાન નીચે તેમના નશ્વર અવશેષોને દફનાવવામાં આવ્યા હતા. કેટલાક માને છે કે આ મૂતિ ખરેખર તેમનું નશ્વર શરીર છે જે ખાસ કુદરતી રસાયણો વડે સાચવવામાં આવ્યું છે.

દંતકથા છે કે મલિક કાફુર નામના એક મુસ્લિમ લૂંટારા દ્વારા મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટ કરવામાં આવી હતી, જે રંગનાથની ઉત્સવ મૂર્તિ, મંદિરના સોના અને ઝવેરાતને પોતાની સાથે દિલ્હી પાછો લઈ ગયો હતો. જોકે તેની પુત્રી, સુરથાની, જે મૂર્તિના પ્રેમમાં પડી ગઈ હતી અને તેથી એ મૂર્તિ માગી ન લીધી હોત તો આ મૂર્તિને તેની ધાતુ માટે પીગાળી દેવાઈ હોત. જ્યારે તમિલનાડુના બહાદુર કલાકારોના એક જૂથે સુલતાનનું ગીત અને નૃત્ય દ્વારા મનોરંજન કર્યું અને તેમના ઈનામ તરીકે પ્રતિમા માંગી, ત્યારે મલિક કાફુરે તેમને પેલી મૂર્તિ ભેટ આપી દીધી, કદાચ તેની પુત્રીના એ મૂર્તિ પ્રત્યેના અતિશય લગાવથી નારાજ હોવાને કારણે મૂર્તિથી પીછો છોડાવી લેવાની પણ ગણતરી હશે. એ કલાકારો તો વેશપલટો કરીને આવેલા પૂજારી હતા, તેમના માટે તો 'તે' (મૂર્તિ)' ભગવાન' હતી, જે દેવત્વનું મૂર્તિમંત સ્વરૂપ હતું,

તેઓ પ્રતિમાને મંદિરમાં પાછી લઈ ગયા. રાજકુમારી માટે, તો એ મૂર્તિ તેની 'ઢીંગલી' હતી જે 'તેની પ્રિય' હતી. એ મૂર્તિમાં જે કંઈ હતું તેના પ્રેમમાં રાજકુમારી પડી ગઈ હતી. તેથી તે દિલ્હી છોડીને શ્રીરંગમ સુધી ગઈ અને મંદિરના પગથિયાં પર મૃત્યુ પામી. સ્વપ્નમાં રંગનાથ સ્વામીએ તેના પૂજારીઓને મુસ્લિમ રાજકુમારીનું એક ભક્ત તરીકેના સન્માનમાં મંદિર બનાવવા કહ્યું. હવે તેનું નામ બીબી તુલુકા નાચિયાર રાખવામાં આવ્યુંં. તે મુસ્લિમ કન્યા હતી, પણ તેની મૂર્તિ મંદિર સંકુલમાં તેના પોતાના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. દર વર્ષે, રંગનાથ સાથેના તેના લગ્ન ધામધૂમ અને આદર સાથે ફરીથી ઉજવવામાં આવે છે.

શું આ કથા ઇતિહાસ (વસ્તુલક્ષી સત્ય), કે પૌરાણિક કથા (વ્યક્તિલક્ષી સત્ય), કાલ્પનિક (કોઈનું સત્ય નહી), કે દંતકથા (છૂટક રીતે કેટલાક ઐતિહાસિક સત્ય) છે? આપણે હંમેશા દલીલ કરતાં રહીશું. પરંતુ ભાવના જુઓ: મુસ્લિમ રાજા દ્વારા હિન્દુ મંદિરની લૂંટ જે હિંસાથી શરૂ થાય છે તે મુસ્લિમ રાજકુમારી સાથે હિન્દુ દેવતાના લગ્ન સ્વરૂપ પ્રેમ સાથે સમાપ્ત થાય છે. અંદરથી (કટ્ટરપંથી શુદ્ધતાવાદી મુસ્લિમ-દ્વેષી હિન્દુઓ) અને બહારથી (હિંદુ વિરોધી કટ્ટરપંથી શુદ્ધતાવાદી મુસ્લિમો) ઉગ્ર વિરોધ છતાં, વૈકલ્પિક વિચારોને સ્વીકારવાની અને શામેલ કરવાની ક્ષમતાનો આ ભાવ જ હિન્દુ ધર્મને અનન્ય બનાવે છે.

પોતાનાં મુસ્લિમ સંગિનીને પીરસાઈ જાય પછી સ્મિત સાથે, બધા પક્ષોનું સંતુલિત માન રાખતા રહીને, રંગનાથ દરરોજ નાસ્તામાં માખણ અને ખાંડ સાથે રોટલી ખાય છે.મં દિરની પરંપરામાં રોટલી મુસ્લિમ ખોરાક માનવામાં આવે છે. પરંપરાગત રીતે, દક્ષિણ ભારતીય મંદિરોમાં વિષ્ણુને ફક્ત ભાત જ ચઢાવવામાં આવે છે. પોતાનાં મુસ્લિમ સંગિનીના આનંદ માટે, ક્યારેક, રંગનાથ પરંપરાગત હિન્દુ ધોતીને બદલે મુસ્લિમ લુંગી પણ પહેરે છે.

શ્રી-વૈષ્ણવ મંદિરોમાં, વૈદિક સ્તોત્રો કરતાં, સ્થાનિક સંતકબિઓ દ્વારા રચિત તમિલ ભક્તિ કાવ્યો, ૪,૦૦૦ દિવ્ય પ્રબંધમ, ને વધુ મહત્વ આપવામાં આવે છે. સંસ્કૃત શાસ્ત્રો કરતાં પ્રાદેશિક કવિતા માટે આ પસંદગી મંદિર પરંપરાઓમાં સામાન્ય છે, કારણ કે તે સ્થાનિક સ્તોત્રો છે જે લોકોને દિવ્યતા સાથે જોડે છે, સીધે સીઢાં હૃદયને આકર્ષે છે. મુદ્દો એ નથી કે ભાષા સંસ્કૃત છે કે તમિલ, કે પ્રાચીન કે મધ્યયુગીન છે, વૈદિક કે ભક્તિ માર્ગી છે, એ અયોધ્યા કે લંકા છે, વડકલાઈ કે તેનકલાઈ છે, કે પછી હિન્દુ કે મુસ્લિમ પણ છે. મૂળ મુદ્દો, 'જેને આપણે જીવન કહીએ છીએ એવી રંગીન રંગભૂમિનો સ્વામી' એવા રંગનાથમાંથી નીકળતા અનંત સ્નેહમાં ડૂબકી લગાવવાનો છે

  • મુંબઈ મિરરમાં ૪ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખRanganatha, and his Muslim consort  નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૮ એપ્રિલ ૨૦૨૬

શુક્રવાર, 3 એપ્રિલ, 2026

તિજોરીનો નિયમઃ વ્યક્તિગત ચઢિયાતાપણાની સ્થાપત્યશૈલી કંડારવી

 ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! પર આવીને અટક્યાં હતાં. હવે માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના પહેલા પડાવ વિશે વિચાર કરીએ ….

ઉત્પલ વૈશ્નવ

I. સાર્વભૌમ ચોકઠું

   સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

તમારી પાસે શું છે તે તમે કઈ સ્થિતિમાં છો કે કયાં પદ પર છો તેનાથી નક્કી નથી થતું. તે તો તમે  કયાં પ્રભાવક્ષેત્રમાં છો તેના પરથી નક્કી થાય છે.

તમારી ખરૂં સાર્વભૌમત્વ તમારી સામેના મંચ પરનાં તમારા "ચોકઠાં" ને સુધારી શકવાની તમારી ક્ષમતા છે. તમને ડર અથવા જીવનરસમાંથી થતા ક્ષયની બહાર નીકળવાની ફરજ પડે એ સમયે તમારાં સાર્વભૌમત્વની સીમા આવે છે.

જ્યારે આપણે આપણી કંપનીના ચાલક બળને દુબઈ જેવા ઇષ્ટતમ કર ધરાવતાં, ખુબ પ્રવૃતિમય કેન્દ્રમાં સ્થાનાંતરિત કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત "પૈસા બચાવતાં" નથી. આપણે આપણા જીવનરસના સંગમની યુતિને કેન્દ્રિત કરતી અવસ્થામાં, સ્થિતિગત સ્તરે, પદોન્નિત કરી રહ્યાં છીએ. પરંપરાગત અમલદારશાહીના ઘર્ષણને દૂર કરીને, આપણે પોતાને મૌનનો વૈભવ બક્ષીએ છીએ. "ભાડે આપનાર"ને  સ્થાનમાં ફેરફાર દેખાય છે; "આર્કિટેક્ટ"ને પ્રણાલીગત લાભમાં કાયમી વધારો દેખાય છે.

II. માળખાકીય કવચ તરીકે વ્યૂહાત્મક સમાનુભૂતિ

સાર્વભૌમ સ્થિતિ માટે સૌથી મોટું જોખમ માનવી માનવી વચ્ચેની વાટાઘાટોમાં સંભવિત ઉચ્ચસ્તરીય ઘર્ષણમાટેની સરહદ વચેનું ક્ષેત્ર છે. મોટાભાગના વ્યાવસાયિકો બીજાં લોકો પાસેથી માન્યતા - "ભાડે આપનારની સંમતિ"-  મેળવવાની લ્હ્યાયમાં પોતાની સ્વાયત્તતા ગુમાવે છે.

નિષ્ણાત ઘડવૈયો અલગ રીતે કામ કરે છે. આપણે વણપાક્યાં સત્યનો ઉપયોગ રક્ષણાત્મક આશ્રય કવચ તરીકે કરીએ છીએ.

છુપાઈ રહેલી પ્રેરણાઓને અને "ઓરડામાંના હાથીઓ (જેના વિશે લોકો વાત કરવા માગતા નથી એવી કોઈ દેખીતી સમસ્યા અથવા મુશ્કેલ પરિસ્થિતિ)" ને અલગ, કોઈ જ પ્રકારની અસમંજસતા વિનાની સ્પષ્ટતા દ્વારા સમજવાથી, અને સ્વીકારવાથી, આપણે ઘર્ષણ હાઈ વૉલ્ટેજ કક્ષાએ પહોંચે તે પહેલાં જ તેને દૂર કરીએ છીએ.

આપણે મંજૂરી માંગતા નથી; શિષ્ટાચાર સંહિતા સ્પષ્ટ કરીએ છીએ. આપણે સંમતિ શોધતાં નથી; સ્પષ્ટતા શોધીએ છીએ. આ "મુશ્કેલ કરવું" નથી - તે સહભાવપૂર્ણ સ્પષ્ટવક્તવ્ય છે. તે એક સ્થિર, સમાધાનકારી માળખું પૂરું પાડવાનું કાર્ય છે જેના વડે વાસ્તવિક મૂલ્યનું ખરેખર ઘડતર થાય છે.

III. તદ્દન અસ્વીકાર્ય સહનશીલતાનો તર્ક

મજબૂત તિજોરી એ જગ્યા છે જ્યાં વ્યાજબી સમન્યાય અને બૌદ્ધિક સંપત્તિને સંસ્થાકીય સ્મૃતિમાં નક્કર સ્વરૂપ આપવામાં આવે છે. આર્કિટેક્ટનું અંતિમ લક્ષ્ય સરવાળા બાદબાકીની રેખાઓ ચીતરવાથી દૂર ખસીને ગુણાકાર પામેલી આકૃતિ તરફ આગળ વધવાનું છે.

જો કોઈ તંત્રને ટકી રહેવા માટે  સતત તમારા  દ્વારા પોષક દ્રવ્યોના હસ્તક્ષેપની જરૂર હોય, તો તે એક કામ છે, મશીન નહીં. તિજોરીનો નિયમ જણાવે છે કે આપણે ફક્ત તે જ બનાવવું જોઈએ જેની પ્રતિકૃતિ બની શકે  - એવો કોડ જે વધારાના ખર્ચ વિના વિસ્તારી શકાય, એવું માધ્યમ જે આપણી સુષુપ્તાવસ્થામાં પણ આપણને કંઈને કંઈ શીખવતું રહે , અને એવી મૂડી જે માનવીય શ્રમને બદલે વ્યૂહાત્મક સમયબદ્ધતા દ્વારા ચક્રવૃદ્ધિ દરે વધે છે.

ખેલની અંતિમ બાજીમાંજે સૌથી વધુ ચાલ ચાલે તે વિજેતા  નથી, પરંતુ તે એવી વ્યક્તિ છે જેણે એવી સ્થિતિ નિર્માણ કરી છે જેમાં વિશ્વની દરેક ચાલ પોતાના 'ચોકઠા'નું મૂલ્ય વધારે છે.

બુધવાર, 1 એપ્રિલ, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૧]

 

ટ્રિબ્યુન

નવેમ્બર, ૧૯૪૬

કોઈએ મને હમણાં જ એક અમેરિકન ફેશન મેગેઝિનની નકલ મોકલી છે. હું તેનું નામ જાહેર નહીં કરૂં. તેમાં ૩૨૫ મોટા ક્વાર્ટો (ચતુષ્પત્રી) પાના છે. તેમાંથી ઓછામાં ઓછા ૧૫ પાના વિશ્વ રાજકારણ, સાહિત્ય વગેરે પરના લેખો માટે ફાળવાયાં છે. બાકીના પાના સંપૂર્ણપણે એવા ચિત્રોથી સજાવેલાં છે જેની કિનારીઓ પર એક નાનું લેટરપ્રેસ સરકતું દેખાય છે: બૉલ ડ્રેસ, મિંક કોટ્સ, સ્ટેપ-ઇન, પેન્ટી, બ્રા, સિલ્ક સ્ટોકિંગ્સ, ચંપલ, પરફ્યુમ, લિપસ્ટિક, નેઇલ વાર્નિશ - અને, અલબત્તએ બધી વસ્તુઓ પહેરતી કે ઉપયોગ કરતી હોય તેવી સુંદર સ્ત્રીઓની તસવીરો તો ખરી જ. મને ખબર નથી કે આખા અંકમાં સ્ત્રીઓના કેટલાં ચિત્રો અથવા ફોટોગ્રાફ્સ હશે, પરંતુ તેમાંથી પહેલા ૫૦ પાનામાં ૪૫ છે જ, અને પાછા એ બધા ખુબ સુંદર છે, એટલે કોઈ પણ કુલ સંખ્યાનો અંદાજ લગાવી શકે છે.

આ ચિત્રો જોતી વખતે એક આશ્ચર્યજનક બાબત લાગી છે કે એ બધી જ તસવીરો સુંદરતાની અતિશય વધારે પડતી, ચવાઈ ગયેલી, ક્લિષ્ટ, બધેજ જોવા મળતી તસવીરો હતી. તસ્વીરોમાંની બધી સ્ત્રીઓ ખૂબ જ લાંબી હતી. પાતળા હાડકાવાળા, પ્રાચીન ઇજિપ્શિયન પ્રકારના ચહેરાનું વર્ચસ્વ જોવા મળતું હતું છે: સાંકડા નિતંબ તો સાવ સામાન્ય જણાતા હતા. અને ગરોળી જેવા પાતળા, પકડમાં પણ ન આવે એવા હાથ દરેક તસવીરમાં જોવા મળતા હતા.  દેખીતી રીતે, તો આ એક વાસ્તવિક શારીરિક પ્રકાર હશે, કેમકે બધા ફોટોગ્રાફ્સમાં અને ચિત્રોમાં એ જ જોવા મળે છે. બીજી એક આકર્ષક બાબત એ છે કે જાહેરાતોની ગદ્ય શૈલી, ટૂંકી અને ક્યારેક ખૂબ જ અભિવ્યક્ત તકનીકી શબ્દભંડોળ સાથે શુદ્ધ રસદારતાનું અસાધારણ મિશ્રણવાળી હતી. સુઘડ, કસ્ટમ-ફિનિશ્ડ, દેહ વળાંકો અનુરૂપમિટ-બેક, ઈનર્‍સોલ, બેકડિપ, ઉરસ્તલ, સ્વૂશ, સ્વેશ, સુડોળ, પાતળી અને લીસ્સી જેવા શબ્દો સ્પષ્ટ અપેક્ષા સાથે વાપરવામાં આવે છે કે વાચક તેમને એક નજરમાં જ સમજી જશે. અહીં કેટલાંક એવાં વાક્યોના નમૂના મૂક્યા છે:

નવો ઝગમગતો ચમકતો રંગ જે તમારા હાથ અને તેના માથાને ચકરાવે ચડાવે છે.

ખુલ્લાં અને સુંદર વક્ષસ્થળની ધારિણી.

મીદડાના સ્પર્શની હુંફ આપતાં, પીંછાં જેટલાં હળવાં, મિલિકેન ઉન!

અન્ય લોકો તમને સુંદરતાની આડમાંથી જુએ છે, અને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આવું સૌંદર્ય કેમ?

સુવાળી લેસ્ટેક્સ પેન્ટી-કટિમેખલા વળાંકોને સૌમ્ય શિસ્તમાં રાખે.

તેના મોટાભાગની નાટકીયતા  માટે પ્રવાહી જેવાં કાપડ પર આધારિત વસ્ત્ર પરિધાનનો આશ્ચર્યોદ્‍ગાર.

’‘અચાનક તમારી પ્રતિમા ઉન્નત થઈ જાય છે... ફાઉન્ડેટ પેન્ટી-કટિમેખલાની હળવાશમાં સુંદર

'‘ આદ્ય નારી ડફ ગાઉન તેની ટેફા ભરેલ બાંય અને ધ્યાનાકર્ષક ઉરસ્તલની સાથે દેખાવમાં સુંદર, પહેરવામાં વધુ સુંદર.

લવચીક અને સાવ હળવાં છતાં અદ્‍ભૂત રીતે વળાંકોને પકડી રાખતાં.

શરીરના આકારની ખુશામતનો ચમત્કાર!

તમારાં વક્ષસ્થળને ગૌરવપૂર્ણ સ્ત્રીની આકૃતિમાં ઢાળે છે.

શું જાણવું અદ્‍ભૂત નથી કે ધોઈને પહેરો તો પણ કોર્સીઝ તમને ઘટેલાં બતાવે છે... ભલે તેમનું વજન ફક્ત ચાર ઔંસ હોય!

હંમેશા ઇચ્છનીય ... હંમેશા પ્રિય... હંમેશા માટે નીલમણી એવી નારીની શુદ્ધ કમનીય જાદુગરી.

વગેરે વગેરે.

ખૂબ મહેનતથી શોધ કરવાથી મેગેઝિનમાં સફેદ વાળ માટે બે ગુપ્ત સંકેત છતા થાય છે, પરંતુ જો ક્યાંય મેદસ્વીતા અથવા મધ્યમ વયનો સીધો ઉલ્લેખ હોય તો મને તે મળ્યો નથી. જન્મ અને મૃત્યુનો પણ ઉલ્લેખ નથી: કે નથી ઉલ્લેખ કામનો પણ, સિવાય કે નાસ્તાની વાનગીઓ માટે કેટલીક વાનગીઓ આપવામાં આવી છે. પુરુષ જાતિ કદાચ વીસમાંથી એક જાહેરાતમાં સીધી કે આડકતરી રીતે દેખા દે  છે, અને કૂતરાં કે બિલાડીના બચ્ચાંના ફોટોગ્રાફ્સ અહીં ત્યાં દેખાય છે. લગભગ ત્રણસો ચિત્રોમાંથી ફક્ત બેમાં બાળકનું ચિત્રણ છે. મુખપૃષ્ઠ પર એક સામાન્ય ભવ્ય સ્ત્રીનો રંગીન ફોટોગ્રાફ છે જે ખુરશી પર ઉભી છે જ્યારે શર્ટ-સ્લીવ્સમાં એક ભૂખરા વાળવાળો, ચશ્માવાળો, કચડાયેલો દેખાતો પુરુષ તેના પગ પાસે ઘૂંટણિયે પડીને તેના સ્કર્ટની ધાર પર કંઈક કરી રહ્યો છે. જો કોઈ નજીકથી જુએ તો તે માપપટ્ટીથી માપ લેવા જઈ રહ્યો છે. પરંતુ સામાન્ય નજરે તો એવું લાગે છે કે તે કપડાની ધારને ચુંબન કરી રહ્યો છે - તસવીરને અમેરિકન સભ્યતાનું ખરાબ પ્રતીકાત્મક ચિત્ર, કે પછી કમસે કમ તેની એક મહત્વપૂર્ણ બાજુ, તો કહેવાય એમ નથી.

* * *

હકીકતોનો સામનો કરવાની આપણી અનિચ્છા અને અગાઉથી નકામી ગણાતી હરકતો કરવાની આપણી તૈયારીનું એક રસપ્રદ ઉદાહરણ, ' 'માર્ગ પરનાં મૃત્યુને દૂર રાખો'નું હાલનું અભિયાન છે.

અખબારોએ હમણાં જાહેરાત કરી છે કે સપ્ટેમ્બરમાં રસ્તાઓ પર થતાં મૃત્યુમાં પાછલા સપ્ટેમ્બરની તુલનામાં લગભગ ૮૦નો ઘટાડો થયો છે. ખૂબ સારી વાત છે, પરંતુ સુધારો કદાચ ટકશે નહીં - કોઈપણ રીતે, તે પ્રગતિશીલ તો રહેશે નહીં - અને તે દરમિયાન દરેક વ્યક્તિ જાણે છે કે જ્યાં સુધી આપણી ટ્રાફિક વ્યવસ્થા જેવી છે તેવી રહેશે ત્યાં સુધી તમે સમસ્યાનું નિરાકરણ લાવી શકશો નહીં. સાંકડા, અપૂરતા, અંધ ખૂણાઓથી ભરેલા અને રહેણાંક ઘરોથી ઘેરાયેલા રસ્તાઓ પર, વાહનો અને રાહદારીઓ ત્રણ માઇલ પ્રતિ કલાકથી લઈને સાઠ કે સિત્તેર માઇલ સુધીની ઝડપે  બધી દિશાઓમાંથી આગળ વધી રહ્યા હોવાથી અકસ્માતો થાય છે. જો તમે ખરેખર રસ્તાઓ પરનાં મૃત્યુને દૂર રાખવા માંગતા હો, તો તમારે સમગ્ર માર્ગ વ્યવસ્થાને એવી રીતે ફરીથી ગોઠવવી પડશે કે અથડામણ અશક્ય બને. આનો અર્થ શું છે તે વિચારો (ઉદાહરણ તરીકે, સમગ્ર લંડનને તોડી પાડવું અને ફરીથી બનાવવું). તમે જોઈ શકો છો કે ક્ષણે તે કોઈપણ રાષ્ટ્રની તાકાતથી બહારની વાત છે. તમે ફક્ત ઉપશામક પગલાં લઈ શકવાથી વધારે કંઈ કરી શકો તેમ નથી, જેનો અર્થ એટલોજ થાય કે આખરે લોકોને વધુ સાવચેત બનાવવાં.

પરંતુ ખરેખર ફરક લાવી શકે એવું એકમાત્ર ઉપશામક પગલું તો ઝડપમાં ધરખમ ઘટાડો જ છે. બધા બિલ્ટ-અપ વિસ્તારોમાં ગતિ મર્યાદા બાર માઇલ પ્રતિ કલાક સુધી ઘટાડી દો, અને તમે મોટાભાગના અકસ્માતો ઘટાડી શકાશે. પરંતુ, દરેક વ્યક્તિ તમને ખાતરીપૂરવક કહેશે કે-'અશક્ય' છે. તે કેમ અશક્ય છે? - કેમકે તે અસહ્યપણે ત્રાસજનક નીવડશે. તેનું સીધું કારણ એ કે માર્ગ પરની દરેક મુસાફરીમાં હાલમાં જેટલો સમય લાગે છે તેના કરતા બે કે ત્રણ ગણો સમય લાગશે. ઉપરાંત, તમે લોકોને આવી ગતિ મર્યાદાનું પાલન કરાવવા માટે ક્યારેય મનાવી શકવાના નથી. કયો ડ્રાઇવર બાર માઇલ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવવાનું પસંદ કરશે જ્યારે તેને ખબર હોય કે તેનું એન્જિન પચાસ માઈલે આરામથી ચાલી શકે છે? આધુનિક કારને બાર માઇલ પ્રતિ કલાકની ઝડપે હાઇ ગિયરમાં રાખવી પણ સરળ નથી - વગેરે. અને તેથી વધુ, આ બધું એ નિવેદનને સમર્થન આપે છે કે ધીમી મુસાફરી માનવ સ્વભાવને જ હવે અસહ્ય છે.

બીજા શબ્દોમાં કહીએ તો, આપણે માનવ જીવન કરતાં ગતિને વધુ મહત્વ આપીએ છીએ. તો પછી શા માટે એમ ન કહેવું કે, દર થોડા વર્ષે એક વખત આ પ્રકારની દંભી ઝુંબેશ (હાલમાં તે 'માર્ગ પરનાં મૃત્યુને દૂર રાખો' છે અને- થોડા વર્ષો પહેલાં તે 'ફૂટપાથ પર ચાલીએ' હતી) ચલાવવાને બદલે, ધરાર એવું કહેવામાં આવે છે કે આપણા રસ્તાઓ જેમ છે તેમ રહેશે, અને હાલની ગતિ ચાલુ રહેશે, એટલે અકસ્માતોથી થતી કતલ પણ ચાલુ જ રહેશે?

બ્રેડ રેશનિંગ પર એક આડ વાત. આ ઉનાળામાં સ્કોટલેન્ડમાં મારા પાડોશી ખેત મજૂર ઘણા વર્ષોથી ત્યજી દેવાયેલા ખેતરને પાછું મેળવવાના પ્રચંડ કાર્યમાં રોકાયેલ હતો. એક બહેન સિવાય તેને કોઈ મદદગાર નથી, તેની પાસે ફક્ત એક જ ઘોડો છે, અને તેની પાસે ફક્ત જૂની ઝપક મશીનરી છે, જેમાં પાછું કાપણી કરનાર તો છે જ નહીં. આ ઉનાળા દરમિયાન તેણે અઠવાડિયાના છ દિવસ, દિવસમાં ચૌદ કલાકથી ઓછું કામ કર્યું ન હતું એ વાત નિર્વિવાદ છે. જ્યારે બ્રેડ રેશનિંગ શરૂ થયું ત્યારે તેણે વધારાના રેશન માટે અરજી કરી. પરંતુ તેને જાણવા મળ્યું  કે, જોકે તે ખરેખર બેઠાડુ કામદાર કરતાં વધુ બ્રેડ મેળવી શકતો હતો, પણ તે ખેત મજૂરના પૂરાં રેશન માટે હકદાર નહોતો. કારણ? કાયદાના અર્થમાં તે ખેત મજૂર નહોતો! કારણ કે તે ' પોતાનું ખેતર જાતે ખેડે' છે, એટલે તેને ખેડૂત ગણવામાં આવે છે, અને એવું માનવામાં આવે છે કે તે બીજા કોઈ માટે વેતન પર કામ કરતો હોત તો તેના કરતાં ખેડૂત તરીકે તે ઓછો રોટલો ખાય છે !

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ