બુધવાર, 25 માર્ચ, 2026

ભારતીય સ્ફિન્ક્સ - દેવદત્ત પટ્ટનાઈક

 

ગ્રીક લોકો એવી દુનિયામાં માનતા હતા જે અરાજકતાથી વ્યવસ્થા તરફ આગળ વધે છે, તેથી તેઓ સંસ્કૃતિ માટે ઝંખતા હતા. સંસ્કૃતિનો વિરોધ કરતી શક્તિઓને અડધા માનવ અને અડધા પશુ, રાક્ષસો જેવા પ્રાણીઓ, તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જેમને ગ્રીક નાયકો દ્વારા હરાવવા પડ્યા હતા. આવું જ એક પ્રાણી સ્ફિન્ક્સ હતું, માનવ માથાવાળી સિંહણ, જે થીબ્સ શહેરમાં પ્રવેશવાનો કે છોડવાનો પ્રયાસ કરી રહેલા લોકોને કોયડાઓ પૂછે છે, અને જે કોઈ - આમ તો એકોએકન - જવાબ આપવામાં નિષ્ફળ જાય તેને મારી નાખે છે. હીરો ઓડિપસ તેના પ્રશ્નોના જવાબ આપે છે, અને સ્ફિન્ક્સ તેને છોડી દે છે, આમ થીબ્સ શહેર વિનાશથી બચી જાય  છે.

વધુ પ્રખ્યાત સ્ફિન્ક્સ અલબત્ત ઇજિપ્તીયન સ્ફિન્ક્સ છે જે મહાન પિરામિડનું રક્ષણ કરે છે. ભારતીય પૌરાણિક કથાઓમાં દક્ષિણ ભારતીય મંદિર પરંપરાઓ સિવાય કોઈ સ્ફિન્ક્સ નથી. અહીં, તે પુરુષ-મૃગ, અથવા માનવ-પશુ તરીકે જોવા મળે છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં શિવ અને વિષ્ણુના ઘણા મંદિરોની દિવાલો પર સિંહ, વાઘ અથવા ક્યારેક હરણના પગવાળા પુરુષો અને સ્ત્રીઓની મૂર્તિઓ જોવા મળે છે. પુરુષ-મૃગ એ વાહન  તરીકે સેવા આપે છે અને ભવ્ય શોભાયાત્રાઓમાં દેવી-દેવતાઓની ઉત્સવ મૂર્તિ ઊંચકીને લઈ જાય છે.

પુરુષ-મૃગની એક કથા મહાભારતના સ્થાનિક તમિલ સંસ્કરણમાંથી આવે છે. યુધિષ્ઠિર એક યજ્ઞ કરી રહ્યા હતા. તેને સફળ બનાવવા માટે, તેમને એક પુરુષ-મૃગની હાજરીની જરૂર હતી. આવા પ્રાણીને લાવવા માટે શક્તિશાળી ભીમને મોકલવામાં આવ્યો હતો. ભીમે તેને જંગલની વચ્ચે શોધી કાઢ્યો. "જો તું મારાથી આગળ નીકળી શકે તો હું સાથે આવીશ," પ્રાણીએ કહ્યું, "તું પહેલાં દોડ પણ જો હું તને હસ્તિનાપુર શહેરમાં પહોંચતા પહેલા પકડી લઉં, તો તું મારો ગુલામ બનીશ. જો હું ન પકડી શકું તો તો જું જે કહીશ તે હું કરીશ."

ભીમે પડકાર સ્વીકાર્યો અને દોડવા લાગ્યો. પુરુષ-મૃગ પાછળ ગયો. ભીમને સમજાયું કે પ્રાણી ખૂબ જ ઝડપી છે, તેથી તેને ઝડપથી દોડવા માટે તેની બધી શક્તિનો ઉપયોગ કરવો પડ્યો. સરહદ પર, જ્યારે તેણે એક પગ જંગલની બહાર કાઢીને હસ્તિનાપુર શહેરમાં મુકીને પ્રવેશ કર્યો, ત્યારે પુરુષ-મૃગે બીજો પગ પકડી લીધો અને પોતાનો વિજય જાહેર કર્યો. "તું મારો ગુલામ છે," તેણે કહ્યું. ભીમે અસંમતિ વ્યક્ત કરી. રાજા તરીકે, યુધિષ્ઠિરને ન્યાય કરવાનું કહેવામાં આવ્યું.

યુધિષ્ઠિરે કહ્યું, "હું ભીમને બે ભાગમાં કાપી નાખીશ. તેં જે બાજુ પકડી છે તે તારી પાસે રાખજે અને બીજી બાજુ હું મારી તરીકે લઈ લઈશ." "શું તમે તમારા ભાઈને મારો ગુલામ થવા દેવા કરતાં તેને મારી નાખવા તૈયાર છો?" "તારો અડધો ભાગ ગુલામ છે. મારો અડધો ભાગ નહીં. હું તમને અડધો ભાગ ગુલામ તરીકે આપી રહ્યો છું." પુરુષ-મૃગને વિશ્વાસ નહોતો આવતો કે  યુધિષ્ઠિર ન્યાયી છે, હોંશિયાર છે, કે મૂર્ખ છે. તેણે હસીને કહ્યું, "તમે મને ખુશ કર્યો છે, તેથી હું તમારા ભાઈને મુક્ત કરીશ અને તમારા યજ્ઞમાં હાજરી આપીશ." આમ યજ્ઞ સફળ થયો અને પુરુષ-મૃગ ઘણી ભેટો સાથે જંગલમાં પાછો ફર્યો.

શિવ સાથે જોડાયેલી બીજી એક કથામાં, પુરુષ-મૃગનું એક નામ છે: વ્યાઘ્રપદ (વાઘના પગવાળો). કેટલાક લોકો એવી દલીલ કરી શકે છે કે વ્યાઘ્રપદ ખરેખર પુરુષ-મૃગ નથી કારણ કે તે જન્મથી જ વાઘના પગ માંગતો હતો. તે શિવને મધમાખીઓથી અસ્પૃશ્ય રહેલાં ફૂલો ચઢાવવા માટે કૃતનિશ્ચય હતો. તેથી, તે જંગલમાં ફરતો રહેતો અને શુદ્ધ ફૂલોની શોધમાં પર્વતો પર ચઢતો રહેતો. એમ કરતાં જ્યારે તેના પગના તળિયામાં તીક્ષ્ણ પથ્થરો અને કાંટા ઘુસી જતા ત્યારે તેને ખૂબ જ પીડા થતી. શિવે તેને વરદાન આપ્યું. વરદાનમાં તેણે વાઘના પગ માંગ્યા જેથી તે જંગલોમાં મુસાફરી કરી શકે અને સરળતાથી પર્વતો પર ચઢી શકે. પ્રસન્ન થઈને, શિવે આ ઇચ્છા પૂરી કરી અને જાહેર કર્યું કે તેની મૂર્તિ તેના મંદિરની પ્રતિમાનો ભાગ બનશે. આમ, દક્ષિણ ભારતીય મંદિરની દિવાલો પર ભારતીય સ્ફિન્ક્સ જોવા મળે છે.

  • મિડ-ડેમાં ૨૮ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખThe Indian sphinx નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૨૫ માર્ચ ૨૦૨૬

બુધવાર, 18 માર્ચ, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૬]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન
૧૩ ઓક્ટોબર, ૧૯૪૪


તાજેતરમાં મને નીચેની વાર્તા કહેવામાં આવી હતી, અને મારી પાસે તે સાચી છે તે માનવા માટે પુરતાં કારણ છે.
ફ્રાન્સમાં પકડાયેલા જર્મન કેદીઓમાં ચોક્કસ સંખ્યામાં રશિયનો પણ છે. થોડા સમય પહેલા બે કેદીઓને પકડવામાં આવ્યા હતા જેઓ રશિયન અથવા અન્ય કોઈ એવી ભાષા બોલતા નહોતા જે તેમના બંદીવાનો અથવા તેમના સાથી કેદીઓને આવડતી હોય. હકીકતમાં, તેઓ ફક્ત એકબીજા સાથે વાતચીત કરી શકતા હતા. ઓક્સફર્ડથી લાવવામાં આવેલા સ્લેવોનિક ભાષાઓના પ્રોફેસર, તેઓ શું કહી રહ્યા હતા તે કંઈ સમજી શક્યા નહીં. પછી એવું બન્યું કે ભારતની સરહદો પર સેવા આપી ચૂકેલા એક સાર્જન્ટે તેમને બોલતા સાંભળ્યા અને તેમની ભાષા ઓળખી, જે તે થોડી બોલી શકતો હતો. તે તિબેટીયન હતી! થોડી પૂછપરછ કર્યા પછી, તે તેમની વાત બહાર કાઢવામાં સફળ રહ્યો.

કેટલાક વર્ષો પહેલા તેઓ સોવિયેત યુનિયનમાં સરહદ પાર કરીને ભટકી ગયા હતા અને તેમને મજૂર બટાલિયનમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જર્મની સાથે યુદ્ધ શરૂ થયું ત્યારે તેમને પશ્ચિમ રશિયા મોકલવામાં આવ્યા હતા. જર્મનો દ્વારા તેમને કેદી બનાવવામાં આવ્યા હતા અને ઉત્તર આફ્રિકા મોકલવામાં આવ્યા હતા; પછીથી તેમને ફ્રાન્સ મોકલવામાં આવ્યા, પછી જ્યારે બીજો મોરચો ખુલ્યો ત્યારે તેમને એક લડાયક ટુકડીમાં ફેરવવામાં આવ્યા, અને બ્રિટિશરો દ્વારા તેમને કેદી બનાવવામાં આવ્યા. આ બધા સમય દરમિયાન તેઓ એકબીજા સિવાય કોઈની સાથે વાત કરી શકતા ન હતા, અને તેમને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે અથવા કોણ કોની સાથે લડી રહ્યું છે.

જો તેમને હવે બ્રિટિશ સૈન્યમાં ભરતી કરવામાં આવે અને જાપાનીઓ સામે મધ્ય એશિયામાં ક્યાંક, તેમના વતનનાં ગામની ખૂબ નજીક લડવા માટે મોકલવામાં આવે, તો આખી વાત સારી રીતે પુરી થાય, , પરંતુ હજુ પણ તે શું છે તે અંગે ખૂબ જ મૂંઝવણમાં ર રહેવાના.

એક ભારતીય પત્રકારે મને બર્નાર્ડ શૉ સાથેના તેમના ઇન્ટરવ્યુનો એક ભાગ મોકલ્યો છે. શૉ એકાદ બે સમજદાર વાતો કહે છે અને કહે છે કે કોંગ્રેસના નેતાઓની ધરપકડ ન થવી જોઈતી હતી, પરંતુ એકંદરે તે એક ઘૃણાસ્પદ પ્રદર્શન છે. અહીં કેટલાક નમૂનાઓ છે:

પ્રશ્ન: ધારો કે તમે ભારતના રાષ્ટ્રીય નેતા હોત, તો તમે બ્રિટિશરો સાથે કેવો વ્યવહાર કર્યો હોત? ભારતીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે તમારી પદ્ધતિઓ શું હોત?

જ: મહેરબાની કરીને એવી પરિસ્થિતિની કલ્પના ન કરો જે ક્યારેય બની શકવાની નથી. ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરવી મારો વ્યવસાય નથી.

પ્રશ્નઃ તમારા મતાનુસાર બ્રિટીશ લોકોને ભારતમાંથી બહાર કાઢવાનો સૌથી અસરકારક રસ્તો શું છે? ભારતીય લોકોએ શું કરવું જોઈએ?

જ: તેમનું કામ વધુ સારી રીતે કરીને તેમને અનાવશ્યક બનાવો. અથવા આંતરજ્ઞાતિય પરફલીકરણ દ્વારા તેમના જેવા બનો. બ્રિટીશ બાળકો ભારતમાં ખીલતા નથી.

જે લોકો મોટી અને વાજબી ફરિયાદ હેઠળ કચડાઈ કરી રહ્યા છે તેમને માટે આ કેવા પ્રકારના જવાબો છે? શૉ ગાંધીજીને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલવાનો પણ ઇનકાર કરે છે, કારણ કે આ એક એવી પ્રથા છે જે તેઓ ક્યારેય અનુસરતા નથી, અને ભારતીય લોકોને સલાહ આપે છે કે  યુદ્ધ દરમિયાન ભારતે આ દેશમાં એકઠા કરેલા વિશાળ જમા સિલકને જો બ્રિટન નકારી કાઢે તો ચિંતા ન કરો. મને આશ્ચર્ય થાય છે કે આ ઇન્ટરવ્યૂ કેટલાક યુવાન ભારતીય વિદ્યાર્થી પર શું છાપ પાડશે જે બે વર્ષથી જેલમાં છે અને બર્નાર્ડ શૉને બ્રિટનના અગ્રણી 'પ્રગતિશીલ' વિચારકોમાંના એક તરીકે માને છે? એમાં કાંઈ આશ્ચર્યજનક લાગે ખરૂં કે જો ખૂબ જ સમજુ ભારતીયો પણ 'બધા અંગ્રેજો સમાન છે' એવી વારંવાર શંકા કરવા માટે જવાબદાર ન ગણી શકાય?

સર ઓસ્બર્ટ સિટવેલના નાના પુસ્તક (એ લેટર ટુ માય સન, જુઓ 'એઝ આઈ પ્લીઝ ૧૯૪૪, ૮ સપ્ટેમ્બર) અને તેના પરના મારા નિવેદનો, અસામાન્ય રીતે મોટા પ્રમાણમાં પત્રવ્યવહારમાં પરિણમ્યાં. એ પત્રવ્યવાહારમાં ઉઠાવવામાં આવેલા કેટલાક મુદ્દાઓ પર વધુ ટિપ્પણી કરવાની જરૂર લાગે છે.


એક સંવાદદાતાએ આખી સમસ્યાનો ઉકેલ એ રીતે આપ્યો કે સમાજ કલાકારો વિના પણ સારી રીતે ચાલી શકે છે. તે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ડોકટરો, ઈંટકામ કરનારાઓ અથવા રસ્તા સમાકરામ કરનારો વિના પણ ચાલી શકે છે - કમસે કમ, હાલ પૂરતું. આગામી વર્ષના પાકની વાવણી કર્યા વિના પણ ચાલી શકે છે. જો કે તે સમજી શકાય કે એમ કરવાથી દરેક વ્યક્તિ લગભગ બાર મહિનામાં ભૂખે મરશે.

આ ખ્યાલ ખૂબ વ્યાપક છે અને જે લોકો વધુ સારી રીતે જાણતા હોવા જોઈએ તેમના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. તે ફક્ત સમસ્યાને એક નવા સ્વરૂપમાં ફરીથી રજૂ કરે છે. કલાકાર જે કરે છે તે દૂધવાળો અથવા કોલસા-ખાણિયો જે કરે છે તે રીતે તાત્કાલિક અને સ્પષ્ટપણે જરૂરી નથી. સિવાય કે હજુ સુધી આવ્યો નથી એવા આદર્શ સમાજમાં, કે પછી ખૂબ જ અસ્તવ્યસ્ત અને સમૃદ્ધ યુગ જેમ  હમણાં જ સમાપ્ત થઈ રહ્યો છે તેમાં.  વ્યવહારમાં આનો અર્થ એ છે કે કલાકાર માટે, શાસક વર્ગ, ચર્ચ, રાજ્ય અથવા રાજકીય પક્ષ જેવો, કોઈ પ્રકારનો આશ્રયદાતા હોવો જોઈએ.. અને 'કયું શ્રેષ્ઠ છે?' પ્રશ્નનો સામાન્ય રીતે અર્થ એ થાય છે 'કયું ઓછામાં ઓછું દખલ કરે છે?'


ઘણા સંવાદદાતાઓએ જણાવ્યું છે કે એક ઉકેલ એ છે કે કલાકાર પાસે આજીવિકાનું વૈકલ્પિક સાધન હોય. શ્રી પી. ફિલિપ્સ પ્રાઈસ કહે છે,  B.B.Q, M.O.I., રેન્ક (જે. આર્થર રેન્ક ફિલ્મ પ્રોડક્શન્સ) અથવા C.E.M.A. (સંગીત અને કલાના પ્રોત્સાહન માટે પરિષદ) ના સમર્થનને સ્વીકારવું  અને સમાજવાદ મોટે પોતાને સમર્પિત કરવું અને લખવું 'તે તદ્દન શક્ય છે.'... એકમાત્ર રસ્તો, પાર્ટ-ટાઇમ જેવી કોઈ નાની સુની કોઈ પ્રકારની વેશ્યાવૃત્તિનો છે.'  પરંતુ, અહીં મુશ્કેલી એ છે કે લેખન અથવા અન્ય કોઈપણ કલાનો અભ્યાસ ઘણો સમય અને શક્તિ લે છે. વધુમાં, યુદ્ધ સમયે લેખકને જે પ્રકારની નોકરી મળે છે, જો તે સેનામાં ન હોય (અથવા જો તે હોય તો પણ - કારણ કે હંમેશા જાહેર સંપર્કની તો જરૂર હોય છે), તે સામાન્ય રીતે પ્રચાર સાથે કંઈક સંબંધ ધરાવતી હોય છે. પરંતુ આ પોતે જ એક પ્રકારનું લેખન છે. પ્રચાર પત્રિકા કે રેડિયો ફીચર લખવા માટે પણ એટલી જ મહેનત કરવી પડે છે જેટલી તમે માનો છો તે લખવા માટે પડતી હોય છે. એટલો જ તફાવત છે કે તૈયાર થયેલી નિપજ ઉત્પાદન નકામી હોય છે. હું એવા લેખકોની આખી યાદી આપી શકું છું જેમને હવે કોઈ સત્તાવાર નોકરીમાં નારંગીની જેમ સૂકવી નાખવામાં આવી રહ્યા છે. એ સાચું છે કે મોટાભાગના કિસ્સાઓમાં તેમની આ પસંદગી સ્વૈચ્છિક છે. તેઓ યુદ્ધ જીતવા માંગે છે, અને તેઓ જાણે છે કે દરેકે કંઈક બલિદાન આપવું પડશે. પરંતુ તેમ છતાં પરિણામ એ જ રહે છે. તેઓ યુદ્ધમાંથી બહાર આવશે ત્યારે તેમની મહેનત  બદલ કંઈ બતાવવાનું રહેશે નહીં. સૈનિકને તેના શારીરિક દુઃખના બદલામાં મળેલો એકઠો કરેલો અનુભવ પણ નહીં લેખકને ફાળે નહીં હોય.


જો કોઈ લેખક પાસે વૈકલ્પિક વ્યવસાય હોવો જોઈએ, તો તે વધુ સારું એ રહે કે તેનો લેખન સાથે કોઈ સંબંધ ન હોય. બે નોકરીઓનો ખાસ કરીને સફળરીતે કરી શકનાર ટ્રોલોપ હતો, જેણે પોસ્ટ ઓફિસમાં પોતાના કામ પર જતા પહેલા દરરોજ સવારે સાત થી નવ વાગ્યાની વચ્ચે બે હજાર શબ્દો લખ્યા હતા. પરંતુ ટ્રોલોપ એક અપવાદરૂપ વ્યક્તિ હતો.  તે અઠવાડિયામાં ત્રણ દિવસ શિકાર પણ કરતો હતો અને સામાન્ય રીતે મધ્યરાત્રિ સુધી રમતો રહેતો હતો, તેથી મને શંકા છે કે તેણે પોતાની સત્તાવાર ફરજોમાં વધારે પડતું કામ કર્યું ન હતું. અન્ય સંવાદદાતાઓએ ધ્યાન દોર્યું કે ખરેખર સમાજવાદી સમાજમાં કલાકાર અને સામાન્ય માણસ વચ્ચેનો ભેદ અદૃશ્ય થઈ જશે. બહુ સંભવ છે, પરંતુ પછી આવો કોઈ સમાજ હજુ અસ્તિત્વમાં નથી. અન્ય લોકોએ યોગ્ય રીતે દાવો કર્યો હતો કે ખાનગી સમર્થન કરતાં રાજ્યનું સમર્થન ભૂખમરા સામે વધુ સારી ગેરંટી છે, પરંતુ મને લાગે છે કે આમાં સેન્સરશીપને અવગણવા માટે ખૂબ તૈયારી મને દેખાય છે. સામાન્ય વાક્ય એ હતું કે કલાકાર માટે અરાજક વ્યક્તિવાદી કરતાં સમુદાયના જવાબદાર સભ્ય બનવું વધુ સારું છે. 

જોકે, મુદ્દો બેજવાબદાર 'સ્વ-અભિવ્યક્તિ' અને શિસ્ત વચ્ચેનો નથી; તે સત્ય અને અસત્ય વચ્ચેનો છે. કલાકારો સૌંદર્યલક્ષી શિસ્ત સામે એટલો વાંધો ઉઠાવતા નથી. આર્કિટેક્ટ્સ થિયેટર અથવા ચર્ચને સમાન રીતે સરળતાથી ડિઝાઇન કરશે, લેખકો માંગ અનુસાર ત્રણ-ભાગની નવલકથામાંથી એક-ભાગમાં  કે નાટકમાંથી ફિલ્મમાં પરિવર્તન કરશે. પરંતુ મુદ્દો એ છે કે આ એક રાજકીય યુગ છે. એક લેખક અનિવાર્યપણે સમકાલીન ઘટનાઓ વિશે લખે છે - અને સીધી રીતે આ બધી કળાઓને લાગુ પડતું નથી - અને તેનો હેતુ તે કહેવાનો છે જેને તે સત્ય માને છે. પરંતુ કોઈ સરકાર, કોઈ મોટી સંસ્થા, સત્ય માટે ચૂકવણી કરતી નથી. એક અણઘડ ઉદાહરણ લઈએ : શું તમે કલ્પના કરી શકો છો કે બ્રિટિશ સરકાર ઇ. એમ. ફોર્સ્ટરને "અ પેસેજ ટુ ઇન્ડિયા" લખવાનું કામ સોંપી શકે? તે ફક્ત એટલા માટે લખી શક્યા કારણ કે તે રાજ્ય સહાય પર નિર્ભર નહોતા. આ ઉદાહરણને દસ લાખથી ગુણાકાર કરો, અને તમે તેમાં જે જોખમ છે તે જોઈ શકાશે - જોખમ ખરેખર, કેન્દ્રિય અર્થતંત્રમાં નહીં, પરંતુ સ્વતંત્રતાની કિંમત શાશ્વત તકેદારી છે એટલું યાદ રાખ્યા વિના આપણે સામૂહિક યુગમાં આગળ વધી રહ્યાં છીએ તેમાં છે.  

                                               +                 +                      +                      + 

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ 

                                           +                 +                      +                      +

As I Please (1944 – 45) : Part III ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ પર ક્લિક કરો.

શુક્રવાર, 13 માર્ચ, 2026

બાગકામ અને સુધારણા - એક અનુકરણીય કહાણી

  તન્મય વોરા

સુધારણા એ કોઈ પરિણામ નથી. તે એક પ્રક્રિયા છે. સતત સુધારણાની યાત્રા દરમ્યાન, આપણે ક્યારેય જાહેર કરી શકતાં નથી કે આપણે નિર્ધારિત સ્થળે પહોંચી ગયાં છીએ, કેમ કે આ સફરમાં કોઈ પૂર્વ નિશ્ચિત ગંત્વય સ્થાન નથી. જો આપણી કાર્યસિદ્ધિ કોઈ બાહ્ય ધોરણ સામે પ્રમાણિત થતી જણાય તો એ માત્ર એવું સીમાચિહ્ન છે જે વધુ સુધારવા માટે નવી દિશા પૂરી પાડી શકે છે. સંસ્થાઓ ઘણીવાર ISO જેવા બાહ્ય પ્રમાણપત્રના લક્ષ્યની સિદ્ધિને એક ગંતવ્ય તરીકે માની લેવાની જાળમાં ફસાઈ જાય છે. પરિણામે આગળની મુસાફરી કરવાની પ્રેરણા અને તક ગુમાવે છે.

આ મને સુબ્રતો બાગચીના પુસ્તક "ધ હાઇ પર્ફોર્મન્સ આઁત્રપ્રેન્યુર" માં વાંચેલી એક ખૂબ જ રસપ્રદ વાર્તા યાદ અપાવે છે:


એક જાપાની ભિક્ષુક બગીચાની માવજત કરી રહ્યા હતા. એ કામ દરમ્યાન તેઓ કલાકો સુધી કાળજીપૂર્વક, ફૂલોની ઝાડીઓને ચોખ્ખી કરવા માટે એક એક સૂકી ડાળીઓ દૂર કરી રહ્યા હતો. એક રાહદારી તેમને આ કામ કરતા જોઈ રહ્યો હતો. ભિક્ષુકની સંપૂર્ણ એકાગ્રતા અને માવજતથી તે એટલો પ્રભાવિત થયો કે હવે પોતાને રોકી શક્યો નહીં.

તેણે સાધુને પૂછ્યું, "હે ભિક્ષુક, તમારું કાર્ય ક્યારે પૂર્ણ થશે?"

ઉપર જોયા વિના, ભિક્ષુકે જવાબ આપ્યો, "જ્યારે બગીચામાંથી છેલ્લી સૂકી ડાળી દૂર થશે".

બાગચી ઉમેરે છે,

સંસ્થા પણ, બગીચા જેવી, એક જીવંત વસ્તુ છે. તેમાંથી સૂકી ડાળીઓ દૂર કરવાની પ્રક્રિયા ક્યારેય સમાપ્ત થતી નથી. તેથી, ભિક્ષુકનીની જેમ, ટોચનું સંચાલન મડળ ક્યારેય કહી શકતું નથી કે કામ પુરૂં થયું.

પરંપરાગત રીતે સુધારણા વૃદ્ધિ સાથે સંકળાયેલી છે. જો સતત સુધારા થતા રહે તો વિકાસ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જેમ જેમ સ્પર્ધા વધુ વૈશ્વિક અને તીવ્ર બને છે, તેમ તેમ સતત, અને ઘણીવાર તો નાટકીય, સુધારાઓ ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા માટે આવશ્યક બની જાય છે.

વ્યાપાર ઉદ્યોગના અગ્રણીઓ માટેઝેન માળીની માનસિકતા અપનાવવાથી એક એવી સંસ્કૃતિ બનાવવામાં મદદ મળે છે જેના વડે સ્પર્ધા તેમને આવું કરવા દબાણ કરે તે પહેલાં જ સુધારા પ્રક્રિયાનો અમલ શરૂ કરવાની ભુમિકા તૈયાર બનતી રહે છે.

સ્રોત સંદર્ભ:: Great Story: Improvement and Tending the Garden

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

- - - . . . - - - . . . - - -

બુધવાર, 11 માર્ચ, 2026

મૂષક પર સવારી કરતા દેવ, ગણેશ - દેવદત્ત પટ્ટનાઈક

 

ઉંદરને જોતાં જ સૂગની લાગણી જાગે છે. તેમનામાં કંઈક સ્વાભાવિક જ રહસ્યમય, અસ્વચ્છ અને ડરામણું હોય એવું લાગે છે. ઉંદરો વિશે કચરો, ગટર, પ્લેગ અને અન્ય રોગોના જ વિચારો આવે છે. ઉંદરોનો અર્થ મિલકતનો નાશ, ચોરી, ગંદકી. ઉંદર વિશે કંઈ પણ ગમે એવું કે ઇચ્છા થાય એવું નથી. તો ગણેશને હંમેશા પ્રેમથી મૂશિકા (છછુંદર) કહેવામાં આવતી ઉંદરની જાત સાથે કેમ જોડવામાં આવે છે?

આહા, પણ તે ઉંદર નથી; તે છછુંદર છે. ઉંદરો ખરાબ છે. છછુદરો ઘણી સૌમ્ય હોય છે. મારો ભત્રીજો તો ભારપૂર્વક કહે છે કે હોશિયાર ગણેશ આકર્ષક મૂશિકા પર સવારી કરે છે. પરંતુ, હકીકત એ છે કે, કોઈને ખાતરી નથી કે મૂશિકા શું છે. વિદ્વાનો અને સામાન્ય લોકો અસ્પષ્ટ સંસ્કૃત ગ્રંથોનો ઉલ્લેખ કરીને તેના વિશે, ઉંદર. છછુંદર. કદાચ  ઘૂસ પણ એવાં નામો પ્રયોજીને અટક્યા વગર દલીલો કરી શકે છે. ખેર! મૂળભૂત રીતે જીણા દાંતથી કરડી ખાનાર વર્ગનું પ્રાણી હોવાથી તે જીવાત, કે ગોડાઉનો માટે અભિશાપ, ખેડૂતનો દુશ્મન, ગટરનો રહેવાસી છે. ઉંદરો અશુભ છે. તેને આપણે કોઈ હિસાબે આપણા ઘરમાં ઇચ્છતાં નથી.

ગણેશ મંગળ-મૂર્તિ છે, શુભનું મૂર્ત સ્વરૂપ. તો પછી તેમની સાથે ઉંદર જેવું અશુભ પ્રાણી કેમ છે? તેમાં શું સંદેશ હશે?

મૂશિકા એવી જીવાતનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણા જીવનમાં ત્રાસરૂપ છે. તે એટલી નાની છે કે તે શોધી શકાતી નથી, અને આપણને હેરાન કર્યા કરે છે.

તે (તે કરેલાં ખર્ચનું એવું) બિલ છે જે બોસ ક્યારેય મંજૂર નથી કરવાના. એવો ખીલ જે ​​દૂર થવાનું નામ નથી લેતો. તે એવો પાડોશી છે જે હંમેશા તમારા દરવાજાની સામે જ પોતાનો કચરો નાખી જાય છે. તે ટપકતા પાણીનો નળ છે જેને કોઈ પ્લમ્બર ઠીક કરી શકતો નથી. તે ચાવીઓનો એવો ઝૂડો છે જે તમને ઘરની બહાર નીકળતી વખતે જ મળતો નથી; કોર્ટમાં તે કેસ જે વર્ષોથી ખસતો નથી. આપણા જીવનમાં એ એવું ઝીણા દાંતવાળુ પ્રાણી છે, જે આપણી સુખાકારીની ભાવનાને કરડી ખાતાં રહેવા છતાં ધરાતું નથી.

કલ્પના કરો કે કોઈ એવી વ્યક્તિ છે જે ઉંદર જેવી, આપણા જીવનમાં હેરાન કરતી રહેતી, સમસ્યાઓથી છુટકારો અપાવે છે. હિન્દુઓ માટે, તે વ્યક્તિ ગણેશ છે. ગણેશના વિશાળ પેટની આસપાસ, ખેડૂતનો મિત્ર, સર્પ છે. તે  ઊંદરોને ખાઈ જાય છે, અને તે રીતે ઉંદરની ચોરીને નિયંત્રિત કરીને પાકનું રક્ષણ કરે છે. ગણેશની કૃપાથી, સમસ્યાઓ અદૃશ્ય થઈ જાય છે અને સમૃદ્ધિ અને શક્તિ દેખાય છે. તમે કલ્પના કરી શકો છો કે ગણેશ ઉંદર/છછુંદર/ઘૂસ જેવી હરકોઈ સમસ્યાને તેની પૂંછડીથી પકડીને, ખેંચીને દૂર લઈ જાય છે, તેના પર સવારી કરે છે, જેથી તે આપણને વધુ પરેશાન ન કરી શકે. કોઈ આશ્ચર્ય નથી કે ગણેશ એક લોકપ્રિય દેવ છે. આપણા અસ્તિત્વને ત્રાસ આપતા ઉંદરોને દૂર કરનાર, અવરોધો દૂર કરનાર, આડચોને દૂર કરનાર. વિઘ્ન-હર્તા છે.

ઉંદરો ફળદ્રુપતાના પણ પ્રતીકો છે કારણ કે તેઓ ઝડપી વસતી વધારો કરનારા છે. ગણેશ હંમેશા ફળદ્રુપતાના પ્રતીકો સાથે સંકળાયેલા છે. ઉદાહરણ તરીકે, દુર્વા ઘાસ, જે ઉખડી ગયા પછી પણ વધતું રહે છે. જો દુર્વા ફળદ્રુપતાનું વનસ્પતિ-પ્રતીક છે, તો ઉંદર પ્રજનનનું પ્રાણી-પ્રતીક છે. ચીન અને જાપાનમાં, ઉંદરો ફળદ્રુપતા, સંતાનો અને સમૃદ્ધિ સાથે સંકળાયેલા છે. ઉંદરો પણ અણનમ, અવિરત રહે છે, અનાજ મેળવવા માટે કોઈપણ અવરોધને તોડી નાખી શકે છે. તેઓ લોભ અને લાલચનું પણ પ્રતીક છે. તેઓ અવિરત સંઘરાખોર છે. આમ, ઉંદરોનું ફળદ્રુપતા/અવિરતતાની ક્ષમતા જેવું સકારાત્મક પાસું છે અને ચોરી/પ્લેગ જેવું એક નકારાત્મક પાસું પણ છે. ગણેશજી મૂષિકા પર બિરાજમાન હોવાથી, ફક્ત સકારાત્મક પાસાઓ જ ભક્તો સુધી પહોંચે છે જ્યારે નકારાત્મક પાસાઓ દૂર રહે છે.

ગણેશજીની છબી સમૃદ્ધિ, શક્તિ અને શુભની ભાવના જગાડી શકે છે જેના માટે ફળદ્રુપતા મહત્વપૂર્ણ છે પરંતુ તેમની મૂષિકા આપણને આત્મસંતુષ્ટ ન થઈ જવાની યાદ અપાવે છે: ઉંદર, આપણી સંપત્તિમાં ફળદ્રુપ અને અવિરત ફાળો આપી શકે છે. પરંતુ તે આપણાં નીતિશાસ્ત્ર, આપણી નૈતિકતા, આપણા મૂલ્યો, આપણા દેખીતી રીતે સંપૂર્ણ જીવનના પાયામાં શાંતિથી અને ગુપ્ત રીતે ઝંપલાવવા પણ સક્ષમ છે.

  • સ્પિકીંગટ્રી. ઈનમાં ૨ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખGanesha, The God Who Rides Rats નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૧૧ માર્ચ ૨૦૨૬

શુક્રવાર, 6 માર્ચ, 2026

હવે પછી શું?

ઉત્પલ વૈશ્નવ

થાય છે એવું કે માત્ર માણસને જ કંઈ નવું શીખવા માટે શાળાકૉલેજની જરૂર પડે છે. માનવી સિવાયનાં બધાં પ્રાણીઓ જોઈ જોઈને અને જાતે કરીને શીખે છે. (Think for yourself! હવે પછી)

હમણાં મને એક એવા અનુભવથી શીખવા મળ્યું જે કદાચ કોઈ યુનિવર્સિટીએ શીખવાવાનું  તો ઠીક, પણ આવો વિષય શીખવવા યોગ્ય છે તેવું પણ વિચાર્યું ન હોત. 

વેબ સિરીઝHouse of Cards,નાં મહાન વહીવટકર્તા પાત્રડગ્લાસ 'ડગસ્ટૅમ્પરદ્વારા 'હવે પછી શું?' શીખવા મળ્યું.

પોતા માટે કરેલી નોંધઃ  શીખવું તો જ અર્થપૂર્ણ બને છે જો તેને વ્યવહારમાં અમલમાં મુકવામાં આવે. ઘણાં લોકો નવું શીખે છે, પણ તેનો અમલ નથી કરતાં. ઘણા લોકોને ઘણું બધું કરવું હોય છે, પણ કેમ કરવું તેનું જ્ઞાન્નથી હોતું. આવડત અને અમલનાં મધુર મિલનને શક્ય બનાવવું એ જ મહત્વની કડી છે. કેમ કરવું? / જોઇને કે કરીને

બહુ ઉત્કટ અનુભવે મને શીખવાડ્યું કે હવે પછી શું ? સવાલના જવાબમાં જીવનની  દિશા બદલી કાઢવાની અદ્‍ભૂત શક્તિ રહેલી છે.  (What's next? વિશે વધુ વિગતમાં હવે પછી)

👉 નિષ્ફળતામાં ઘેરાયેલો હો તો આ એક સવાલ તમને નવું બળ પ્રેરી શકે છે.

👉 સફળતાનાં વાદળ પર ઊડી રહ્યાં હો તો આ એક સવાલ આપણને જમીન સાથે જોડી રાખી શકે છે. 

👉 અનિર્ણયતાની દશામાં આ એક સવાલ તમારાંમાં નવી પ્રવૃતિનો તણખો પેટાવી શકે છે.

👉 આ એક સવાલ જીવનના પ્રવાહનું વહેણ બદલી નાખી શકે છે.

આ સવાલની વધુ વિશદ ચર્ચા The Momentum Protocol: The Power of “What’s Next?” માં હવે પછી….


અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૬ માર્ચ ૨૦૨૬