બુધવાર, 3 જૂન, 2026

સૂપર્ણખા અને રાવણ વિશે અભિપ્રાય બાંધવો - દેવદત્ત પટ્ટનાઈક

 

રામાયણમાં, સૂર્પણખા નામની એક રાક્ષસી રામને ઝંખે છે અને તેમનો પ્રેમીકા બનવા માંગે છે. રામ તેના પ્રસ્તાવોને નકારે છે. એટલે સૂપર્ણખા રામના ભાઈ લક્ષ્મણ પાસે જાય છે, જે પણ તેના પ્રસ્તાવોને નકારે છે. સૂપર્ણખાને લાગે છે કે સીતાના ગયા પછી કદાચ બે પુરુષો ફરીથી વિચાર કરશે. તેથી તે સીતા પર હુમલો કરે છે, અને લક્ષ્મણ તેનું નાક કાપી નાખે છે. પરંપરાગત પુનઃકથાઓમાં, તે પ્રેમનું નાટક કરી પુરુષોને ફસાવતી, અતિશય કામુક રાક્ષસી બતાવાઈ છે, જેને જરૂર પડ્યે બળજબરીથી રોકવી પડે છે. આધુનિક પુનઃકથામાં, તે પિડીત બનેલી છે, રામ અને લક્ષ્મણ સ્ત્રી-દ્વેષી ખલનાયકો છે.

પછી સૂર્પણખા તેના ભાઈ, રાક્ષસોના રાજા, રાવણને ફરિયાદ કરે છે. તે બહુ વધારી ચડાવીને સીતાની સુંદરતાનું વર્ણન કરે છે. તેથી રાવણ આવીને, સીતાનું અપહરણ કરવા માટે કપટ અને બળનો પ્રયોગ કરે છે. સીતાને લંકા લઈ જવામાં આવે છે, અને તેમની ઇચ્છા વિરુદ્ધ ત્યાં રાખવામાં આવે છે. પરંતુ, રાવણ  બંદીવાન સીતા પર પોતાનું દબાણ કરતો નથી, જોકે લોકો આડીઅવળી ગપસપ કરે છે. પરંપરાગત પુનઃકથાઓમાં, રામની પત્નીનું અપહરણ કરવા બદલ, રાવણ એક ખલનાયક છે. આધુનિક વાર્તાઓમાં, રાવણ ખલનાયક નથી (તેણે તેની સાથે બળાત્કાર કર્યો નથી) તે હીરો છે, અને પીડિત પણ છે, રામ દ્વારા અન્યાયનો ભોગ બન્યો છે.રામને પિતૃસત્તાક, આર્ય આક્રમણખોર, હિન્દુ સર્વોપરીવાદી જેવી વિવિધ રીતે વર્ણવવામાં આવેલ છે.

જેમ જેમ તમે સૂર્પણખા અને રાવણના વર્તનને ન્યાયી ઠેરવતા અને રામના કાર્યોની નિંદા કરતી અનેક ચર્ચાઓ સાંભળો છો, તેમ તેમ તમને ખ્યાલ આવે છે કે આધુનિક શિક્ષણ દ્વારા સાચા અને ખોટાના પરંપરાગત ખ્યાલો કેવી રીતે ઉલટા માથે ફેરવાઈ ગયા છે. સ્વાભાવિક રીતે, પરંપરાગત સમાજ આધુનિક શિક્ષણને ઊંડી શંકાની નજરે જોઈ રહ્યો છે. બળાત્કારના કેસોને લડતા વકીલોની જેમ, વિદ્વાનો પણ પીડિતોને ખલનાયક અને ખલનાયકોને પીડિત બનાવી શકે છે. 

બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ અચાનક ન્યાયાધીશોને દોષી ઠેરવે છે. જે પુરુષો તેમની પત્નીઓ પ્રત્યે વફાદાર રહેવા માંગે છે તેમની પત્નીઓ સાથે 'આડા સંબંધો' રાખવા માંગતા લોકો દ્વારા તેમને ઘૃણાસ્પદ સ્ત્રીવિરોધી અથવા ગે ઠેરવવામાં આવે છે. જે સ્ત્રીઓ સેક્સ માટે સંમતિ આપતી નથી તેમની 'સતી સાવિત્રી' પ્રકારની અને ઉદાર મૂલ્યોનો અભાવ ધરાવતી સ્ત્રીઓ તરીકેની મજાક ઉડાવવામાં આવે છે. જે લોકો દલીલ કરે છે કે સેક્સની વ્યાખ્યાનો વિસ્તાર કરવો જોઈએ, તેઓ જ્યારે નજીકના મિત્ર પર આરોપ લગાવવામાં આવે છે ત્યારે તેમનો વિચાર બદલી નાખે છે. બળાત્કારની વ્યાખ્યા સંડોવાયેલા પક્ષોના ધર્મ, તેમની જાતિ અને વર્ગ સાથે બદલાય છે.

અને પછી પાછું આ ચર્ચાઓમાં ધાર્મિક રાજકારણ ભળે છે. બાબરી મસ્જિદ ધ્વંસ પછી, ધર્મનિરપેક્ષતાની ચિંતા કરનારા, ડાબેરીઓ માટે રામાયણના રામની નિંદા કરીને એકતા દર્શાવવી મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે તે હિન્દુત્વ ચળવળનું રાજકીય પ્રતિક છે. તેથી, સ્ત્રીઓ સામેની હિંસા સામેની વાતચીતમાં, તેઓ ફક્ત સૂર્પણખા સામે લક્ષ્મણના કાર્યો અને આ બાબતે રામના મૌનનો ઉલ્લેખ કરે છે. તેઓ રાવણનો ઉલ્લેખ કરતા નથી, જે સીતાને તેની સંમતિ વિના અપહરણ કરી જાય છે. જ્યારે તે બાબતનો નિર્દેશ કરવામાં આવે છે, ત્યારે એક વિકૃત તર્ક રજૂ કરવામાં આવશે: લગ્ન સમયે કોઈએ સીતાની સંમતિ લીધી ન હતી, તેથી રાવણના કાર્યો પણ વાજબી છે.

બીજી બાજુ, હિન્દુ સર્વોપરિતાવાદીઓ આગ્રહ રાખશે કે રામ 'સંપૂર્ણ પુરુષ' (પુરુષોત્તમ) છે, જ્યારે શાસ્ત્રો તેમને 'નિયમોનો સંપૂર્ણ અનુયાયી' (મર્યાદા પુરુષોત્તમ) કહે છે. આ એક સૂક્ષ્મ પણ બહુ મહત્વનો તફાવત છે જે ઘણા શિક્ષણવિદોને ખબર નથી. તેઓ રામાયણની સૂક્ષ્મ બારીકીઓ શોધવા કરતાં રામને ન્યાયી ઠેરવવા માટે ખૂબ ઉત્સુક છે. ઉદાહરણ તરીકે, સૂર્પણખાનું નાક કાપ્યા પછી, રામને ફરી ક્યારેય સુખ કેમ મળતું નથી? અને સીતાને તેની ઇચ્છા વિરુદ્ધ રાખ્યા પછી, રાવણ પોતાનું બધું જ - ભાઈઓ, પુત્રો, રાજ્ય - પોતાનું ગૌરવ પણ - કેમ ગુમાવે છેં. જે લોકોને આ જોવામાં અને સમજવામાં રસ છે તેમને માટે  પ્રાચીન લોકોએ આ રીતે ન્યાય નહીં, પરંતુ કર્મનો વિચાર દર્શાવ્યો હતો. કર્મ એ ભારતીય ખ્યાલ છે અને ન્યાય એ ગ્રીક ખ્યાલ છે.

  • મિડ-ડે માં ૪ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખJudging Surpanakha and Ravana નો અનુવાદ | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૩ જૂન ૨૦૨૬

બુધવાર, 27 મે, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૫]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ


ટ્રિબ્યુન

૨૦ ડિસેમ્બર, ૧૯૪૬

મારા રવિવારના અખબારમાં એક જાહેરાતમાં સફળ નાતાલ મનાવવા માટે જરૂરી ચાર વસ્તુઓને ચિત્રના રૂપમાં દર્શાવવામાં આવી છે. ચિત્રની ટોચ પર શેકેલું ટર્કી છે; તેની નીચે નાતાલ પુડિંગ; તેની નીચે, ખીમાની ઘૂઘરાની વાનગી, અને તેની નીચે, —— ના લીવર સોલ્ટનું એક ટીન. છે.

ખુશી મનાવવા માટે એક સરળ રેસીપી છે. પહેલાં ભોજન, પછી મારણ, પછી બીજું ભોજન. પ્રાચીન રોમનો આ તકનીકમાં મહાનિપુણ હતા. જો કે, લેટિન શબ્દકોશમાં વોમિટોરિયમ (વમન કક્ષ) શબ્દ જોયા પછી, મને જાણવા મળ્યું કે તેનો અર્થ સાવ એવી જગ્યા નથી જ્યાં તમે રાત્રિભોજન પછી બીમાર થવા જાવ. જેમ સામાન્ય રીતે માનવામાં આવે છે તેવી કદાચ દરેક રોમન ઘરની સામાન્ય લાક્ષણિકતા ન હતી.

ઉપરોક્ત જાહેરાતમાં એવી ધારણા છે કે સારું ભોજન એટલે એવું ભોજન જેમાં તમે જાતે જ વધુ પડતું ખાઓ. સૈદ્ધાંતિક કક્ષાએ હું સંમત છું. હું ફક્ત એટલું જ ઉમેરીશ કે જ્યારે આપણે આ નાતાલમાં બે પેટ કરીને ન ખાઈએ - જો આપણને એટલું ખાવાની તક મળે તો - એવા કરોડો માનવીઓ અથવા આસપાસના લોકો વિશે વિચારવું જરૂરી જેઓ આવું કંઈ નહીં કરી શકે. લાંબા ગાળે આપણાં નાતાલનું રાત્રિભોજન વધુ સુરક્ષિત રહેશે જો આપણે સુનિશ્ચિત કરીશું કે બીજા બધાને પણ નાતાલનું રાત્રિભોજન મળે. પરંતુ હું હવે તેના પર થોડી વારમાં પાછો આવીશ.
નાતાલ પર વધુ પડતું ન ખાવાનો એકમાત્ર વાજબી હેતુ એ હશે કે બીજા કોઈને તમારા કરતાં વધુ ખોરાકની જરૂર હોય. ઇરાદાપૂર્વક સાદાઈથી મનાવાતી નાતાલ એક વાહિયાતતા હશે. નાતાલનો આખો મુદ્દો એ છે કે તે એક બકવાસ છે - કારણ કે તે ખ્રિસ્તના જન્મની તારીખ મનસ્વી રીતે નક્કી કરવામાં આવી તે પહેલાં કદાચ ઘણા સમય પહેલાથી છે.

બાળકો આ સારી રીતે જાણે છે. તેમના દૃષ્ટિકોણથી નાતાલ એ સંયમિત આનંદનો દિવસ નથી, પરંતુ મોટે પાયે આનંદનો દિવસ છે જેના માટે તેઓ ચોક્કસ માત્રામાં તકલીફ ભોગવવા તૈયાર છે. તમારા મોજાંનું નિરીક્ષણ કરવા માટે સવારે ૪ વાગ્યે જાગવું; સવાર દરમ્યાન રમકડાં માટે થતા ઝઘડા, અને રસોડાના દરવાજામાંથી છુપાઈને કૂટાતા વ્યંજનો અને ડુંગળીની ઉત્તેજક સુવાસ માણવી; ટર્કીની ચિક્કાર પ્લેટ ભરવા માટેના ઝઘડો લડાઈ, અને વિશબોન ખેંચવું; બારીઓ અંધારી થઈ જવી અને સળગતી પ્લમ પુડિંગનો પ્રવેશ; બ્રાન્ડી સળગતી હોય ત્યારે દરેકની પ્લેટમાં એક ટુકડો હોય તેની ખાતરી કરવાની ઉતાવળ; જ્યારે અફવા આવે છે કે બેબીએ ત્રણ પૈસાનો ટુકડો ગળી લીધો છે ત્યારે ક્ષણિક ગભરાટ; આખી બપોર દરમિયાન મૂર્ખતા; એક ઇંચ જાડા બદામના આઈસિંગ સ્તર સાથેની નાતાલ કેક; બીજા દિવસે સવારે ઉદાસીનતા અને ૨૭ ડિસેમ્બરે એરંડાનું તેલ - તે એક ઉતાર-ચઢાવના રિવાજ એકે વાતે રીતે બધું સુખદ નથી, પરંતુ તેની વધુ નાટકીય ક્ષણો માટે તે પોષાય છે.

માત્ર ચા પીનારાઓ અને શાકાહારીઓ હંમેશા આ વલણથી બદનામ થાય છે. તેમને માટે એકમાત્ર તર્કસંગત ઉદ્દેશ્ય પીડા ટાળવાનો અને શક્ય તેટલા લાંબા સમય સુધી જીવંત રહેવાનો છે. જો તમે દારૂ પીવાનું, માંસ ખાવાનું, કે એવું બધું ટાળો છો, તો તમે પાંચ વર્ષ વધુ જીવવાની અપેક્ષા રાખી શકો છો. તેની સામે, જો તમે વધારે પડતું ખાશો કે વધારે પડતું પીશો તો તમારે બીજા દિવસે તીવ્ર શારીરિક પીડામાં તેની કિંમત ચૂકવવી પડશે. એનું એટલું પરિણામ ચોક્કસ આવે છે કે બધા અતિરેક, વર્ષમાં એક વાર નાતાલ જેવા ધખારા સુદ્ધાં, પણ ટાળવા જોઈએ?

વાસ્તવમાં એવું બિલકુલ નથી. પોતે શું કરી રહેલ છે તેની સંપૂર્ણ જાણકારી સાથે, કોઈ પણ વ્યક્તિ નક્કી કરી શકે છે કે ક્યારેક સારો સમય પસાર કરવો એ તેના યકૃતને થતા નુકસાન માટે સહ્ય છે. કારણ કે સ્વાસથ્ય જ એકમાત્ર બાબત નથી: મિત્રતા, આતિથ્ય, અને સારી સંગતમાં ખાવા-પીવાથી મળેલો આનંદ, ઉત્સાહ અને દૃષ્ટિકોણમાં પરિવર્તન પણ પોતાનું મહત્વ ધરાવે છે. મને શંકા છે કે, એકંદરે, વર્ષમાં એકબે વાર, બહુ નશો કરવાથી કે બે પેટ ખાવાથી પણ નુકસાન થાય છે. પછીના પસ્તાવા સહિતનો આખો અનુભવ, વ્યક્તિની માનસિક દિનચર્યામાં એક પ્રકારનું ભંગાણ લાવે છે, જે બીજા દેશોના સપ્તાહાંત વિક્ષેપની સરખામણીમાં કદાચ ફાયદાકારક છે.

દરેક સમય કાળમાં લોકોએ આ સમજ્યું છે. મૂળાક્ષરો લખાયા તે પહેલાંના દિવસોથી, એક વ્યાપક સર્વસંમતિ છે કે ખુબ ખાવું કે ખુબ પીવું એ આદત તરીકે છે, ત્યારે પણ ક્યારેક ક્યારેક બીજાં સાથે થોડી મજા માણવા માટે સારું છે, ભલે પછી કોઈને ક્યારેક બીજા દિવસે સવારે તેના માટે થોડી પીડા વેઠવી પડે. ખાવા-પીવાનું, ખાસ કરીને પીવાનું, સાહિત્ય કેટલું વિશાળ છે, અને તેને સામે પક્ષે કેટલું ઓછું કહેવાયું છે ! મને પાણીની પ્રશંસામાં, એટલે પાણીને એક પીણું ગણીને લખાઈ હોય એવી, એક પણ કવિતા યાદ નથી. પાણી વિશે કોઈ શું કહી શકે તે કલ્પના કરવી મુશ્કેલ છે. તે તરસ છીપાવે છે: વાત પુરી. બસ એટલાથી આગળ કંઇ નહીં સાંભળવા મળે. બીજી બાજુ, વાઇનની પ્રશંસામાં કવિતાઓની વાત કરીએ તો, માત્ર હજુ સુધી બચી રહેલ કવિતાઓ જ પુસ્તકોની છાજલીઓ ભરી દેશે . જ્યારે દ્રાક્ષના આથાની શોધ થઈ હતી તે દિવસથી જ કવિઓએ વાઈન પર કવિતાઓ કરવાનું શરૂ કરી દીધેલ. વ્હિસ્કી, બ્રાન્ડી અને અન્ય નિસ્યંદિત દારૂની ઓછી પ્રશંસા કરવામાં આવી છે, કારણ કે તે પછીના સમયમાં આવ્યા હતા. મધ્ય યુગથી પણ ઘણા સમય પહેલા, કોઈ તેમાં હોપ્સ નાખવાનું શીખે તેથી પણ પહેલાં પરંતુ બીયરને બહોળી પ્રસિદ્ધિ મળી છે. વિચિત્ર વાત એ છે કે, મને સ્ટાઉટની પ્રશંસામાં એક પણ કવિતા યાદ નથી, , ડ્રાફ્ટ સ્ટાઉટની પણ નહીં, જે મારા મતે બોટલ્ડ વેરાયટી કરતાં વધુ સારી છે. યુલિસિસમાં ડબલિનમાં સ્ટાઉટ-પીપનું ખૂબ જ ઘૃણાસ્પદ વર્ણન છે. પણ ત્યાં એ સ્ટાઉટને એક પ્રકારની, કદાચ વળી, શ્રદ્ધાંજલિ છે કારણ કે આ વર્ણન વ્યાપકપણે જાણીતું હોવા છતાં તે આઇરિશ લોકોને તેમના મનપસંદ પીણાથી દૂર રાખવામાં બહુ સફળ રહ્યું નથી.

ખાવાનું સાહિત્ય પણ વિશાળ છે, જોકે તે મોટે ભાગે ગદ્યમાં છે. પરંતુ રાબેલાઈસથી ડિકન્સ અને પેટ્રોનિયસથી શ્રીમતી બીટન સુધી, જે બધા લેખકોએ ખોરાકનું વર્ણન કરવાનો આનંદ માણ્યો છે, આહારની વિચારણાઓને પ્રથમ સ્થાન આપે એવો તેમાંનો એક પણ ફકરો મને યાદ નથી. હંમેશા ખોરાકને પોતાનામાં જ એક સાધ્ય માનવામાં આવે છે. કોઈએ વિટામિન્સ, અથવા પ્રોટીનના વધુ પડતા જોખમો, અથવા બત્રીસ વખત બધું ચાવવાના મહત્વ વિશે યાદગાર ગદ્ય લખ્યું નથી. એકંદરે, અતિશય ખાવું અને વધુ પડતું પીવાના પક્ષમાં ભારે પુરાવા હોય તેવું લાગે છે, જો કે તે હંમેશા અમુક માન્ય પ્રસંગોએ થાય છે, વારંવાર નહીં.

પરંતુ શું આપણે આ નાતાલમાં વધુ પડતું ખાવું અને વધુ પડતું પીવું જોઈએ? આપણે ન કરવું જોઈએ, અને આપણામાંથી મોટાભાગના લોકોને એવી તક પણ મળશે નહીં. હું નાતાલની પ્રશંસામાં લખી રહ્યો છું, પણ ૧૯૪૭ના નાતાલની પ્રશંસામાં, અથવા કદાચ ૧૯૪૮ના નાતાલની પ્રશંસામાં છે. આ વર્ષે સમગ્ર વિશ્વ ઉજવણી માટે યોગ્ય સ્થિતિમાં નથી. રાઈન અને પેસિફિક વચ્ચે એવા ઘણા લોકો ન હોઈ શકે જેમને —— ના લીવર સોલ્ટની જરૂર હોય. ભારતમાં લગભગ ૧૦ કરોડ લોકો એવા છે, અને હંમેશા રહ્યા છે, જેમને દિવસમાં માત્ર એક વખત પુરતું ભોજન મળે છે. ચીનમાં, પરિસ્થિતિ નિઃશંકપણે સમાન છે. જર્મની, ઑસ્ટ્રિયા, ગ્રીસ અને અન્યત્ર, લાખો લોકો એવા આહાર પર જીવે છે જે શરીરમાં શ્વાસ ચલાવે છે પણ કામ કરવા માટે કોઈ શક્તિ છોડતો નથી. બ્રસેલ્સથી સ્ટાલિનગ્રેડ સુધીના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં, અન્ય અસંખ્ય લાખો લોકો બોમ્બમારાવાળા ઘરોના ભોંયરાઓમાં, જંગલોમાં છુપાવાના સ્થળોમાં અથવા કાંટાળા તાર પાછળ ગંદા ઝૂંપડાઓમાં રહે છે. લગભગ એ જ સમયે વાંચવું એટલું સુખદ નથી કે આપણા ક્રિસમસ ટર્કીનો મોટો હિસ્સો હંગેરીથી આવશે, અને હંગેરિયન લેખકો અને પત્રકારો - જે કદાચ સમુદાયનો સૌથી ઓછો પગાર મેળવનાર વર્ગ નથી - એટલી ભયાવહ સ્થિતિમાં છે કે તેઓ અંગ્રેજી સહાનુભૂતિ ધરાવતા લોકો પાસેથી સેકરીન અને ઉતરેલાં કપડાંની ભેટો મેળવીને ખુશ થશે. આવી પરિસ્થિતિઓમાં આપણે ભાગ્યે જ 'યોગ્ય' નાતાલ ઉજવી શકીએ, ભલેને તેના માટે સામગ્રી ઉપલબ્ધ હોય.

પરંતુ આપણી પાસે વહેલા કે મોડા, ૧૯૪૭, ૧૯૪૮ કે કદાચ ૧૯૧૪૯ માં પણ એકાદ એવી નાતાલ હશે. અને જ્યારે આપણે એવી નાતાલની ઉજવણી કરીશું, ત્યારે શાકાહારીઓ અથવા મત્ર ચા પીનારાઓના ઉદાસ અવાજો ન આવે જે આપણને આપણા પેટ સાથે શું કરી રહ્યા છીએ તે વિશે ભાષણ આપે. વ્યક્તિ પોતાના માટે તહેવાર ઉજવે છે, અને કોઈના પેટના કોઈ કથિત લાભ માટે નહીં. દરમિયાન નાતાલ અહીં આવી ચુકી છે, અથવા તો લગભગઆવી ચુકી છે. સાન્તાક્લોઝ તેના રેન્ડીયરને ભેગા કરી રહ્યો છે, ટપાલી તેના નાતાલના કાર્ડ્સથી ફુલેલો થેલો લઈને નીચો વળીને ઘરે-ઘરે દોડી રહ્યો છે, કાળા બજારોમાં તેજી છે, અને બ્રિટને ફ્રાન્સથી નાતાલનાં વૃક્ષ, મિસ્ટલટોના ૭,૦૦૦ થી વધુ ક્રેટ્સ આયાત કર્યા છે. તેથી હું દરેકને ૧૯૪૭ માં જૂના જમાનાની નાતાલની શુભેચ્છા પાઠવું છું, અને એમ પણ શુભેચ્છા પાઠવું છું કે તે દરમિયાન, અડધા ટર્કી, ત્રણ ટેન્જેરીન (એક જાતનું નાનું ચપટું સુવાસવાળું સંતરું) અને વ્હિસ્કીની એક બોટલની કિંમત તેની કાયદેસરની કિંમત કરતાં બમણી નહીં હોય.

                                            +                 +                      +                      + 

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

બુધવાર, 20 મે, 2026

ગુરુઓના ગુરૂ - દેવદત્ત પટ્ટનાઈક

 


                       મિનાક્ષી મંદિર, મદુરૈના પ્રવેશ પાસે દક્ષિણામૂર્તિનું શિલ્પ - સ્રોતઃ વિકિપિડીયા


દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં, દક્ષિણ તરફ વડના ઝાડ નીચે બેઠેલા શિવની મૂર્તિ જોવા મળે છે. આ મૂર્તિને દક્ષિણામૂર્તિ કહેવામાં આવે છે. તે શિવને ગુરુઓના ગુરુ તરીકે રજૂ કરે છે. દક્ષિણામૂર્તિ કૈલાશ પર્વતની ટોચ પર, ઉત્તરમાં સ્થિત, સ્થિર, ધ્રુવ તારા નીચે બેસે છે. એ દર્શાવે છે કે તે ચક્કર લગાવતી દુનિયાનું કેન્દ્ર છે. તે વડના ઝાડની છાયામાં બેસે છે. વડના વૃક્ષો ભારતની સંન્યાસી પરંપરાઓ સાથે સંકળાયેલા છે, અને સંન્યાસીઓ ગૃહસ્થની ભૌતિક દુનિયામાં મનનું જ્ઞાન લાવે છે.

દક્ષિણ-કેન્દ્રિત

દક્ષિણમાંથી દક્ષિણાકાલી, અથવા દેવીનું સૌથી ઉગ્ર સ્વરૂપ આવે છે, કારણ કે દક્ષિણ એ મૃત્યુ અને પરિવર્તનની દિશા છે. જીવંતની ભૂમિને મૃતકોની ભૂમિથી અલગ કરતી વૈતરણી દક્ષિણમાં વહે છે. હિન્દુ ગામડાઓમાં  સ્મશાન સ્થળ દક્ષિણમાં રાખવાની સામાન્યપણે પ્રથા છે. મૃતદેહો પણ દક્ષિણ તરફ મુખ રહે એવી રીતે ગોઠવવામાં આવે છે.

શિવની મોટાભાગની મૂર્તિઓની જેમ, આ સ્વરૂપમાં તેમના ગળામાં એક સર્પ અને તેમના ગૂંથેલા વાળના ગૂંચળાઓ પર ચંદ્ર દર્શાવે છે. તેમની જમણી બાજુએ કાનની નર બુટ્ટીઓ અને ડાબી બાજુએ કાનની નારી બુટ્ટીઓ છે. આ ત્રણ કક્ષાએ તેમની સાનુકૂળતા દર્શાવે છે: પ્રથમ, પુરુષત્વ અને સ્ત્રીત્વ સાથે; બીજું, મન અને પદાર્થ સાથે; અને ત્રીજું, નામ અને સ્વરૂપોની દુનિયા, અને નામવિહીનતા અને નિરાકારત્વની દુનિયા સાથે. દક્ષિણામૂર્તિનો ડાબો હાથ વરદ-મુદ્રા દર્શાવે છે, જે આપવાની ચેષ્ટા છે. તેમનો જમણો હાથ જ્ઞાન-મુદ્રા દર્શાવે છે, અથવા વિવેકબુદ્ધિનો ચેષ્ટા, જેમાં તેમની તર્જની તેમના અંગૂઠાને સ્પર્શે છે. આ તેમને જે જાણે છે, અને જે જ્ઞાન આપે છે એવા શિક્ષક તરીકે સ્થાપિત કરે છે.  તેમના બે વધારાના હાથ છે. અહીં પ્રતીકો અલગ અલગ હોય છે, પરંતુ તે બધા વિવેકબુદ્ધિ દર્શાવે છે. અગ્નિ વિનાનું તપ (ધ્યાન પ્રથાઓનો) છે, જે જ્ઞાનનું પ્રતિબિંબિત કરે છે. તે મનને વિસ્તૃત થવામાં બાધારૂપ બધી ગાંઠોને બાળી નાખે છે. એક ફેણવાળો નાગ છે જે જ્યારે કોઈ વ્યક્તિ વિશ્વને જુએ છે, ત્યારે તેમાં વ્યસ્ત થઈ જવાને બદલે જન્મતાં જ્ઞાનના પ્રજ્વલનનું પ્રતિનિધિત્વ કરે છે જે  છે. ત્યાં માળાના મણકા છે, જેનો ઉપયોગ જપ અને સ્મરણ માટે થાય છે. સંગીતનાં સાધનો અને પુસ્તકો છે. તે પોતાનો જમણો પગ જમીન પર રાખીને બેસે છે, જે સામાન્ય રીતે અપસ્મર તરીકે ઓળખાતા, આપણા મનને બાંધી રાખતા અને મનને અનંત સુધી વિસ્તૃત થતાં અને તેને સમજવાં બાધક બનતા, વિકૃત યાદોના રાક્ષસ કચડી નાખે છે.

શિવ પોતાનો ડાબો પગ તેમના જમણા સાથળ પર મૂકે છે. પરંપરાગત રીતે, શરીરનો ડાબો ભાગ પ્રકૃતિ અથવા પદાર્થનું પ્રતિનિધિત્વ કરે છે, અને શરીરનો જમણો ભાગ પુરુષ અથવા મનનું પ્રતિનિધિત્વ કરે છે. નટરાજ પ્રતિમાની જેમ, શિવ જમણા પગને જમીન પર મજબૂત રીતે ખોડીને તેને પ્રાધાન્ય આપે છે ; ડાબો પગ હવામાં અથવા જમણા સાથળ પર છે, આ કિસ્સામાં. કૃષ્ણની છબીઓ સાથે આ મુદ્રાનીની તુલના કરીએ, કૃષ્ણ હંમેશા તેના ડાબા પગ પર આરામથી ઊભા રહે છે, અને જમણા પગને ડાબા પગ પર હળવી આંટીની મુદ્રામાં રાખે છે. કૃષ્ણ ભૌતિક જગતનો આનંદ માણવાની સાથે તેમાં મન્પરોવે છે. કૃષ્ણના બંને પગ જમીન પર છે, એટલે કે તેઓ દ્રવ્ય અને મન બંનેને મહત્વ આપે છે, ત્યારે શિવ દ્રવ્ય કરતાં મનને વધુ પસંદ કરે છે અને તેથી તેમનો ફક્ત એક પગ જમીન પર છે, જેના પરિણામે તેમને એકપદ પણ કહેવામાં આવે છે.

આમ, પ્રતીકાત્મક રીતે, સિવની મૂર્તિ  દુઃખનું કારણ બને છે તેવા ઉથલપુથલ થતા રહેતા ભૌતિકવાદના મોહને દૂર કરવા માટે મનને શાંત કરવાનાં જ્ઞાનનાં મહત્વને દર્શાવે છે. શિવના પગ પાસે ઘણા ઋષિઓ બેસે છે. તેમને શિવ વેદ અને તંત્રના રહસ્યો પ્રગટ કરે છે. ક્યારેક, આ પંથને આગમ  (પૌરાણિક મંદિર) પરંપરા કહેવામાં આવે છે. તે નિગમ (વૈદિક ધાર્મિક) પરંપરાને પૂરક છે. શિવના બોધને દક્ષિણામૂર્તિ ઉપનિષદ પણ કહેવામાં આવે છે. આ મૂર્તિ ઉત્તર કરતાં દક્ષિણ ભારતીય પરંપરામાં વધુ લોકપ્રિય છે. કથા એવી છે કે બધા ઋષિઓ શિવનો બોધ સાંભળવા ઉત્તર તરફ ગયા હતા અને તેથી પૃથ્વી ઝૂકી ગઈ. પૃથ્વીને સંતુલિત કરવા માટે, શિવે તેમના શિષ્ય, અગસ્ત્યને દક્ષિણ તરફ મુસાફરી કરવાનું કહ્યું, તેથી જ અગસ્ત્ય દક્ષિણના મહાન ઋષિ મનાય છે. આ પ્રવચન સાંભળનારા અન્ય ઋષિઓમાં વ્યાગ્રપદનો સમાવેશ થાય છે, જેમણે શિવજીન પાસે વાઘના પગનું વરદાન માગ્યું હતું, જેથી તેઓ તેમની પૂજા માટે સરળતાથી જંગલના ફૂલો એકત્રિત કરી શકે. તે ઉપરાંત પતંજલિ (નાગ), નંદી, બળદ, અને ભૃંગી - જેમને માંસ અને લોહી નથી, તેથી તેમને ત્રીજા પગની જરૂર છે જેથી તેઓ ત્રિપાઈની જેમ ટટ્ટાર ઊભા રહી શકે. એક અન્ય ઋષિ  હયગ્રીવ છે, જેમનું માથું ઘોડાનું છે. તેમને ક્યારેક વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. શુક ઋષિનું માથું પોપટનું છે, અને વ્યાસના પુત્ર છે અને વેદોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરે છે.

કાલ અને કાલિ આદિ

આદિ શંકરાચાર્યે દક્ષિણામૂર્તિ સ્તોત્રમની રચના કરી હતી. તેમાં તેઓ નોંધે છે કે કેવી રીતે આ યુવાન દેખાતા મૌન શિક્ષક પોતાનાથી મોટી ઉમરના ઋષિઓને પોતાના જ્ઞાનથી પ્રબુદ્ધ કરે છે આમ થવું સ્વાભાવિક છે કેમકે શિવ તો વિવેકપ્રજ્ઞાનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેમને પ્રશ્નો ઋષિઓ દ્વારા નહીં, પરંતુ દેવી દ્વારા પૂછવામાં આવે છે. દેવી શિવ સાથે લગ્ન કરે છે અને ચિંતન દ્વારા એકત્રિત કરેલા તેમના જ્ઞાનને વહેંચવા માટે શિવને બોલવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સંવાદ દ્વારા તંત્રો રજૂ કરવામાં આવેલ છે. જો શિવ કાલ છે, તો દેવી સમય પર વિજય મેળવેલ કાલિ છે. દેવી શવને શિવ, ભગવાન બનાવે છે.  દેવી દક્ષિણથી આવે છે, અને પદાર્થ અને પરિવર્તનનું મૂર્તિમંત સ્વરૂપ છે, જે જવાબો શોધવાની પ્રેરણા આપે છે. એ  જવાબો હંમેશા બોલાયેલા નથી હોતા; તે ગીત અને નૃત્ય દ્વારા પણ ભજવવામાં અને રજૂ કરવામાં આવે છે. તેથી જ ભારતીય શાસ્ત્રીય નૃત્યનો અર્થ ઘણો સમૃદ્ધ છે.

  • સ્પિકીંગ ટ્રી.ઈનમાં ૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખTeacher Of TEACHERS!નો અનુવાદ | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૨૦ મે ૨૦૨૬

બુધવાર, 13 મે, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૪]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

ડિસેમ્બર ૧૩, ૧૯૪૬

જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની પરિષદો, કેવા કોઈપણ પ્રકારની આંતરરાષ્ટ્રીય વાટાઘાટોના અહેવાલો વાંચીએ છીએ છે, ત્યારે l'Attaque અને તેના જેવી યુદ્ધ રમતો બાળકો રમતાં તે યાદ આવ્યા વિના ન રહે. એ રમતોમાં કાર્ડબોર્ડના ટુકડા યુદ્ધ જહાજો, વિમાનો વગેરેનું પ્રતિનિધિત્વ કરતા. દરેકનું એક નિશ્ચિત મૂલ્ય હતું અને એ દરેકનો સામનો અમુક રીતે જ કરી શકાય તે ખબર રહેતી. હકીકતમાં, કોઈ સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની એક નવી રમતની શોધ કરે, જે એવાં પ્રબુદ્ધ ઘરોમાં રમાશે જ્યાં માતાપિતા ઇચ્છતાં ન હોય તેમના બાળકો લશ્કરી દૃષ્ટિકોણ સાથે મોટાં થાય.

એ રમતના ટુકડાઓને પ્રસ્તાવો, દૃષ્ટિકોણ(démarche), નુસખો, મડાગાંઠ, ગતિરોધ, સાંકડો અંતરાય અને દુષ્ચક્ર કહેવામાં આવે છે. રમતનો ઉદ્દેશ્ય એક નુસખા પર પહોંચવાનો છે, વિગતો બદલાતી રહેતી હોવા છતાં, રમતની સામાન્ય રૂપરેખા હંમેશા સમાન રહેતી હોય છે. પહેલા ખેલાડીઓ ભેગા થાય અને કોઈ પ્રસ્તાવ સાથે આગળ વધે. પછી રસ્તા વચે એવું વિઘ્ન મુકવમાં આવે છે, જેના વિના રમત આગળ વધતી નથી. પછી આ વિઘ્ન સાંકડી નાળ પસાર કરવાની અડચણમાં ફેરવાઈ જાય છે, કે પછી ઘણી વાર મડાગાંઠ અથવા દુષ્ચક્રમાં ફેરવાઈ જાય છે. એક સાથે થતાં મડાગાંઠ અને દુષ્ચક્ર આગળ ન જવાય કે પાછળ ન હઠાય એવી સ્થિતિ પેદા કરે છે, જે અઠવાડિયાંઓ સુધી ટકી શકે છે. પછી અચાનક કોઈ વ્યક્તિ આ એવો દૃષ્ટિકોણ પેદા કરે જે એક નુસખો બનાવવાનું શક્ય બનાવે છે, અને એકવાર નુસખો મળી જાય પછી ખેલાડીઓ શરૂઆતમાં જેવું હતું તેવું બધું છોડીને ઘરે જઈ શકે છે.

આ લખી રહ્યો છું ત્યારે , મારા સવારના અખબારનું પહેલું પાનું આશાવાદની ગુલાબી ફોલ્લીઓથી છવાઈ ગયેલું જણાય છે. એવું લાગે છે કે બધું બરાબર થઈ જશે. રશિયનો શસ્ત્રોના નિરીક્ષણ માટે સંમત થશે, અને અમેરિકનો અણુ બોમ્બનું આંતરરાષ્ટ્રીયકરણ કરશે. તે જ અખબારના બીજા પાના પર ગ્રીસમાં બનેલી ઘટનાઓના અહેવાલો છે જે ન્યૂ યોર્કમાં તો ભાઈઅબંધી બતાવે છે એવાં સત્તાનાં બે જૂથો વચ્ચે યુદ્ધની સ્થિતિ દર્શાવે છે.

પરંતુ જ્યારે એક તરફ મડાગાંઠ અને સાંકડી નાળનો ખેલ ચાલી રહ્યો છે, ત્યારે બીજી એક ગંભીર રમત પણ રમાઈ રહી છે. તે બે સ્વયંસિદ્ધ તથ્યો દ્વારા સંચાલિત છે. એક તો એ છે કે સાર્વભૌમત્વના સર્વસાધારણ સમર્પણ વિના શાંતિ શક્ય નથી: બીજું એ છે કે જે પણ દેશ પોતાની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા સક્ષમ છે તે ક્યારેય સાર્વભૌમત્વનું સમર્પણ કરતો નથી. જો કોઈ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખે તો વ્યક્તિ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંબંધિત તથ્યોને અખબારોના ઢાંકપીછોડામાંથી પણ જોઈ શકે છે. હાલમાં મુખ્ય તથ્યો આ પ્રમાણે છે:

૧. રશિયનો, ગમે તે કહે પણ, વિદેશી નિરીક્ષકો દ્વારા તેમના પ્રદેશોનું વાસ્તવિક નિરીક્ષણ કરવા માટે સંમત થશે નહીં.


૨. અમેરિકનો, ગમે તે કહે પણ, શસ્ત્રો સંબંધી ટેક્નોલોજિ ક્ષેત્રમાં તેમણે મેળવેલ અગ્રેસરતાને સરકી જવા દેશે નહીં.


૩. કોઈ પણ દેશ હવે સંપૂર્ણ મોટું યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી.


આગળ જતાં ભલે પછીથી આ સામી દિશાની ચાલને બદલે કંઈ નવું આવે, પણ હાલમાં તો વાસ્તવિક ખેલનાં યુદ્ધની માનસિકતાની વિરોધી પરિસ્થિતિઓ છે. રોજે રોજ ભરાતી પરિષદોનાં ધતિગ પર ખુશી અને નિરાશાના વારા કરતા રહેવાને બદલે જો આટલું યાદ રાખવામાં આવે તો સત્યની નજદીક પહોંચી શકાય છે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

શુક્રવાર, 8 મે, 2026

સુબ્રોતો બાગચીનાં નેતૃત્વ વિશેનાં કેટલાંક મનનીય કથનો

તન્મય વોરા

શ્રી સુબ્રોતો બાગચીએ તાજેતરમાં એમ્પ્લોઇ ગ્લોબલ ન્યૂઝલેટરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમણે કેટલીક ખૂબ જ રસપ્રદ (અને ગહન) મર્મસ્પર્શી સૂઝ  વિશે વાત કરી હતી..

તે ઇન્ટરવ્યુના કેટલાક મનનીય અંશો અહીં રજૂ કરેલ છે:

સેવક નેતૃત્વ પર

સેવક ધર્મ નેતૃત્વની વિભાવના સ્પષ્ટ છે કે "તે ફક્ત એક સાધન છે; સાધ્ય હેતુ નથી, તે વાહનવ્યવહારનું માધ્યમ છે; મ્યુનિસિપલ પાણીની પાઇપની જેમ, તેનું કામ પાણી પહોંચાડવાનું છે અને પોતાની તરસ છીપાવવાનું નથી."

નેતા તરીકે ગ્રહણશીલતા વિશે

જાપાનીઓ કહે છે કે મન પર્વત કે ખીણ જેવું હોઈ શકે છે. પર્વત ગમે તેટલો ઊંચો હોય, અને તેના પર ગમે તેટલો મુશળધાર વરસાદ પડે, તે પાણીને રોકી શકતો નથી. પાણીને રોકી રાખવા માટે, તમારે તમારા મનને ખીણ બનાવવાની જરૂર છે.”

માળી બનવા વિશે

વરિષ્ઠ નેતૃત્વનું કામ નવા અગ્રણીઓ ઘડવાનું છે. છે. "જેમ માળી તેના એક-એક-એક છોડની અલગ અલગ રીતે સંભાળ રાખે છે તેમ નવા અગ્રણીઓનું ઘડતર એક એક વ્યક્તિની અલગ અલગ માવજત દ્વારા થવું જોઈએ. દરેક છોડની અલગ અલગ સમયે અલગ અલગ જરૂરિયાતો હોય છે અને માળીને તેનો અંદાજ હોવો જોઈએ અને  તે માટે તેણે પહેલેથી સક્રિય રહેવું જોઈએ. છોડ માળી પાસે આવતા નથી; માળીએ ત્યાં જવું જોઈએ જ્યાં છોડ હોઈ શકે છે.

સ્રોત સંદર્ભ::  Great Quotes: Gems from Subroto Bagchi on Leadership

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 6 મે, 2026

સામંતશાહી છટકું : ભારતીયોને વેશ્યા અને વેપારીથી ડર શેનો છે ? - દેવદત્ત પટ્ટનાઈક

 

એક સ્વરમાં થોડો ફેરફાર વૈશ્ય (વેપારી માટેનો સંસ્કૃત શબ્દ) ને વેશ્યા (દેહ વિક્રય કરનાર માટેનો સંસ્કૃત શબ્દ) કરી નાખે છે. સૌથી વધુ બોલી લગાવનારને એક માલ વેચે છે અને બીજી આનંદ વેચે છે. બંનેમાંથી કોઈ વફાદાર નહોતું. સ્વાભાવિક રીતે, સામંતશાહી સત્તાવાળાઓએ તે બંનેને ધિક્કારતા હતા. તેમણે બજારુ (એટલે કે બજારમાં વેચાતું, વ્યાપારી) શબ્દને અપમાનજનક અર્થમાં ફેરવી દીધો.

બધા સમાજોમાં, સંપત્તિના બે મુખ્ય સ્ત્રોત છે: જમીન અને બજાર. સામંતશાહી જમીન પર આધાર રાખે છે અને વેપાર બજાર પર આધાર રાખે છે. જમીન-માલિક સમુદાયો (ક્ષત્રિયો) અને વેપારી સમુદાયો (વૈશ્ય) હંમેશા સમાજ પરના નિયંત્રણ માટે સ્પર્ધા કરતા રહ્યા છે. તે જૂના વિશ્વ (યુરોપ) અને નવા વિશ્વ (અમેરિકા) વચ્ચેના વિભાજન માટે જવાબદાર છે. સામાન્ય રીતે, સામંતશાહી સમાજો વંશપરંપરાગત હોય છે અને વફાદારી અને સમર્થનને મહત્વ આપે છે. વેપારી સમાજો પ્રમાણમાં સમાનતાવાદી હોય છે, ગ્રાહકના ખિસ્સાને ગ્રાહકના દરજ્જા કરતાં વધુ મૂલ્ય આપે છે.

ભારતમાં, આપણે જૂના વિશ્વની સામંતશાહીને નકારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આપણે હજુ સુધી નવા વિશ્વના મુક્ત વેપારને સ્વીકાર્યો નથી. આપણે હજુ પણ યોગ્યતા કરતાં વફાદારીને મહત્વ આપીએ છીએ. આપણને વ્યાવસાયિકો પર શંકા રહે છે, કારણ કે તેઓ પોતાની કુશળતાને કિંમત લઈને વેચે છે, અને પ્રાચીન વેશ્યાઓ જેવા બહુ જ સ્વતંત્ર છે. પરંપરાગત સેવા આપનારાઓ (શૂદ્રો) પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ અપેક્ષા વિના સેવા કરે, આશ્રય સ્વીકારે અને ક્યારેય ચૂકવણીની માંગ ન કરે, જેના પરિણામે તેઓ અર્ધ-ગુલામીમાં પરિણમ્યા. ફક્ત પૂજારીઓ (બ્રાહ્મણો) બદલામાં સેવા આપ્યા વિના (દક્ષિણા) માંગી શકતા હતા, અને સાધુ (ભિક્ષુ) ભિક્ષા  માંગી શકતા હતા. બાકીના લોકો સામંતશાહી માલિકના દાન (દાન) પર જીવે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી.

ટોચ પર

વધુમાં, ભારતના પૂજારીઓ અને સાધુઓએ વટાળ અને પવિત્રતાના સિદ્ધાંતને સ્થાપિત કરીને પોતાનો ઉચ્ચ દરજ્જો મજબૂત કર્યો. આનાથી સામાજિક પિરામિડની ટોચ પર, જમીન-માલિક સમુદાયોથી પણ ઉપર, તેમનું સ્થાન સુનિશ્ચિત થયું, પરંતુ બાદમાં જમીનદારોને વેપારીઓ અને સેવા પુરી પાડનારાઓથી ઉપર સ્થાન આપીને શાંત પાડ્યા. જમીન-માલિક પૂજારીઓને દક્ષિણા ચૂકવીને અને સાધુઓને ભોજન આપીને કાયદેસરતા અને કર્મના લાભ મેળવી શકતા હતા. જ્યારે (સમુદ્રપાર) મુસાફરીને દૂષણ માનવામાં આવતી હતી,. તેના કારણે ઘણા ભારતીય વેપારીઓ (સમુદ્રપાર) મુસાફરી કરવાનું બંધ કરી અને શરાફી વેપાર તરફ વળ્યા. નાત બહાર થવાના ડરથી તેઓએ એક સમયના સમૃદ્ધ દરિયાઈ વેપારને આરબો અને પછી પોર્ટુગીઝોને સોંપ્યો. દરિયાપાર જવાને કારણે વટલાઈ જવાશે એવો ભય વીસમી સદી સુધી ભારતીયોને દુનિયામાં બહાર જવાથી રોકતો રહ્યો.

પોતાના વ્યવસાયને લીધે જેઓ લોહી, માંસ, મળમૂત્ર અને અન્ય શારીરિક કચરાના સંપર્કમાં આવતા હતા એવી સેવાઓ પૂરી પાડનારાઓને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા. વટાળપણું અને પવિત્રતાના સિદ્ધાંતને કારણે, તેમને ગામડાના કૂવાઓમાંથી પાણી ભરવાના અને એવાં અન્ય માનવીય ગૌરવથી વંચિત રાખવામાં આવતાં હતાં. પુરુષો કરતાં સ્ત્રીઓ નીચી ગણાતી કેમકે તે દર મહિને માસિકસ્ત્રાવમાં લોહી વહેવડાવતી હતી અને તેમના પતિઓ દ્વારા ઉત્સર્જિત વીર્ય મેળવતી હતી.  બધી સ્ત્રીઓ કરતાં પાછી વેશ્યા તો વધારે નીચી હતી, કેમકે તે તો પૈસા ખાતર કરીને કોઈ પણ જાતિના અનેક પુરુષોનાં વીર્ય પોતાના શરીરમાં દાખલ કરતી હતી.

જોકે હંમેશા આવું નહોતું. એક સમય હતો જ્યારે ગણિકાને માન અપાતું. શહેરની સૌથી સુંદર સ્ત્રીને લગ્ન કરવાની મંજૂરી નહોતી. તેને નગર-વધુ બની. પોતાના પ્રેમીને પસંદ કરવાની છૂટ હતી, પરંતુ પોતાને એક પુરુષ પુરતી મર્યાદિત રાખવાની તેને છૂટ નહોતી. તેણે સૌથી સુંદર, સૌથી શક્તિશાળી અને ઘણીવાર સૌથી ધનિક પુરુષોને પસંદ કર્યા, ઓછા સુંદર, ઓછા શક્તિશાળી અને ઓછા ધનિક લોકોને તેણે એટલા નારાજ કર્યા કે એ લોકો તેની સુંદરતા અને કૌશલ્યની પ્રશંસા કરતા પણ તેની નિર્દયતા વિશે કવિતાઓ લખતા. તે પોતાના ગાયન, નૃત્ય, વાતચીતમાં તેની કુશળતા, તેની બુદ્ધિ, તેની રમૂજ અને તેની સુંદરતા માટે જાણીતી હતી. પ્રાચીન હિન્દુ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં આપણે આ ગણિકાઓ વિશે વાંચીએ છીએ.  તેમના પતિઓની છાયામાં અને આમન્યામાં રહેતી પવિત્ર પત્નીઓથી, અને બધા આનંદથી દૂર રહેતી સાધ્વીઓથી વિપરીત, તેઓ ભલે ગણિકા તરીકે ઓળખાતી, પણ સ્વતંત્ર જીવન જીવતી હતી.

દેવતાઓની પત્નીઓ

સમય જતાં, આ ગણિકાઓ મંદિરો સાથે જોડાઈ ગઈ. તેઓ મંદિરમાં સ્થાપિત દેવતાઓની એવી પત્નીઓ બની જે ક્યારેય વિધવા થતી નથી, અને જે બધા પુરુષોને દૈવી બીજના પાત્ર તરીકે પ્રેમ કરતી હતી. આ દેવદાસીઓ હતી. તેમની મૂર્તિઓએ મંદિરની દિવાલો પર સુંદર સ્ત્રીઓની કોતરણીને પ્રેરણા આપી. તેઓએ મંદિરની ધાર્મિક વિધિઓનો ભાગ એવા મઠના જૂના આદેશોને પડકાર્યા. પરંતુ આખરે, પૂજારીઓ અને સાધુઓએ દેવદાસીઓની સ્વતંત્રતા અને તેમનો મુખત્યાર છીનવી લીધાં. ધીમે ધીમે, તેઓ સત્તાના હોદ્દા પર રહેલા પુરુષોને આધીન થતી ગઈ. પુરુષો નક્કી કરતા કે તેઓ કેટલી શુદ્ધ કે અશુદ્ધ છે. તે એટલે અશુદ્ધ હતી કે તેને ઘણા પ્રેમીઓ હતા. તે વધુ અશુદ્ધ એટલે કે તે સૌથી વધુ બોલી લગાવડાવતી હતી. આખરે, તે ફક્ત એક શોષિત સ્ત્રી હતી, જેને કોઈ સ્વતંત્રતા નહોતી, તેનું મહેનતાણું કોઈ એક દલાલ કે એક 'બાઈ' દ્વારા માંગવામાં આવવા લાગ્યું. 

જો મંદિર સાથે જોડાયેલ ન હોય, તો મહેનતાણાના બદલમાં આનંદ વેચતી સ્ત્રી રાજા કે નવાબના દરબારનો ભાગ બની ગઈ, અથવા મનોરંજન કરનારાઓ, નાટકોનો સમુદાયનો ભાગ બની ગઈ. તેની દુનિયામાં, હવે કુશળતા અને સંપત્તિ માતા પાસેથી પુત્રીને વારસામાં મળવા લાગી. જો તેની પાસે સુંદરતા, કુશળતા અને ચાલાકી હોય તો તે પૈસા કમાઈ શકે. તેને લગ્ન સમારોહ, રાજ્યાભિષેક અને તહેવારોમાં આમંત્રણ આપવામાં આવતું હતું. પરંતુ તેનુ સ્થાન એ બીજી બાબત હતી. વેપાર અને વાણિજ્યને નીચી નજરે જોતા સામંતવાદી સમાજમાં વ્યવસાય અને જાતિની શુદ્ધતાના આધારે પદાનુક્રમ નક્કી થતો હતો, સ્પષ્ટપણે તે તેમાં છેક હેઠે  હતી. પહેલા વસાહતી વહીવટકર્તાઓ દ્વારા અને પછી પોતાને જૂના સમયના સાધુઓ જેવા મનાવતા રૂઢીચુસ્ત સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા તેની પાસે જે થોડી પણ શક્તિ હતી તે પણ તેની પાસેથી છીનવી લેવામાં આવી..

આજે, ૧૯મી સદીથી વિપરીત, સમુદ્ર પાર કરતી વખતે કોઈને નાતબાહર થવા જેવા સામાજિક નિયમોનો ડર નથી. આજે, આપણે બજારો, ખરીદી, વેચાણ, વેપાર અને નફા વિશે વાત કરવામાં ખચકાતા નથી. આજે, આપણે વ્યાવસાયિકો શોધીએ છીએ. છતાં, સામંતવાદી માનસિકતા યથાવત છે.

આપણે વફાદારી માટે ઝંખીએ છીએ અને પોતાની કુશળતા અને નિપુણતા સૌથી વધુ બોલી લગાવનારને વેચે એવી વ્યાવસાયિકતાથી ડરીએ છીએ. આપણે આનંદને એક એવી વસ્તુ તરીકે વિચારી શકતા નથી જે ખરીદી અને વેચી શકાય છે. આપણે એવી સ્ત્રીઓને પસંદ કરીએ છીએ પોતાના નિર્ણયો લેવાને બદલે પુરુષોના નિર્ણયોને આધીન રહે. આપણે વફાદાર જાહેર માધ્યમોને પસંદ કરીએ છીએ, તેમનો ધર્મ એ છે કે બધા ગ્રાહકો સાથે સમાન વર્તન કરવામાં આવે, ભલે તેઓ ગમે તેટલા પૈસા ચૂકવે, અને કોઈને વફાદાર ન રહે એ જ એમનો ધર્મ છે એમ માનારી ભૂતકાળની સ્વતંત્ર ગણિકાઓ જેવાં સ્વતંત્રપણે વિચારતાં, વર્તતાં  જાહેર માધ્યમોથી ડરીએ છીએ. એટલા માટે પોતાની આગવી, સ્વતંત્ર વિચારસરણી ધરવાતાં જાહેર માધ્યમો વેંચાઈ ગયેલાં માધ્યમો ગણાય છે અને જે મહિલા રાજકારણીને પોતાની વિચારસરણી છે અને જે શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કરે છે, તે વેશ્યા ગણાય જાય છે.

સ્ક્રૉલ.ઈનમાં ૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ

દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખFeudal trap: Why do Indians fear prostitutes and traders? નો અનુવાદ | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૬ મે ૨૦૨૬