જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૪] થી આગળ
૨૦ ડિસેમ્બર, ૧૯૪૬
મારા રવિવારના અખબારમાં એક જાહેરાતમાં સફળ નાતાલ મનાવવા માટે જરૂરી ચાર વસ્તુઓને ચિત્રના રૂપમાં દર્શાવવામાં આવી છે. ચિત્રની ટોચ પર શેકેલું ટર્કી છે; તેની નીચે નાતાલ પુડિંગ; તેની નીચે, ખીમાની ઘૂઘરાની વાનગી, અને તેની નીચે, —— ના લીવર સોલ્ટનું એક ટીન. છે.
ખુશી મનાવવા માટે એક સરળ રેસીપી છે. પહેલાં ભોજન, પછી મારણ, પછી બીજું ભોજન. પ્રાચીન રોમનો આ તકનીકમાં મહાનિપુણ હતા. જો કે, લેટિન શબ્દકોશમાં વોમિટોરિયમ (વમન કક્ષ) શબ્દ જોયા પછી, મને જાણવા મળ્યું કે તેનો અર્થ સાવ એવી જગ્યા નથી જ્યાં તમે રાત્રિભોજન પછી બીમાર થવા જાવ. જેમ સામાન્ય રીતે માનવામાં આવે છે તેવી કદાચ દરેક રોમન ઘરની સામાન્ય લાક્ષણિકતા ન હતી.
ઉપરોક્ત જાહેરાતમાં એવી ધારણા છે કે સારું ભોજન એટલે એવું ભોજન જેમાં તમે જાતે જ વધુ પડતું ખાઓ. સૈદ્ધાંતિક કક્ષાએ હું સંમત છું. હું ફક્ત એટલું જ ઉમેરીશ કે જ્યારે આપણે આ નાતાલમાં બે પેટ કરીને ન ખાઈએ - જો આપણને એટલું ખાવાની તક મળે તો - એવા કરોડો માનવીઓ અથવા આસપાસના લોકો વિશે વિચારવું જરૂરી જેઓ આવું કંઈ નહીં કરી શકે. લાંબા ગાળે આપણાં નાતાલનું રાત્રિભોજન વધુ સુરક્ષિત રહેશે જો આપણે સુનિશ્ચિત કરીશું કે બીજા બધાને પણ નાતાલનું રાત્રિભોજન મળે. પરંતુ હું હવે તેના પર થોડી વારમાં પાછો આવીશ.
નાતાલ પર વધુ પડતું ન ખાવાનો એકમાત્ર વાજબી હેતુ એ હશે કે બીજા કોઈને તમારા કરતાં વધુ ખોરાકની જરૂર હોય. ઇરાદાપૂર્વક સાદાઈથી મનાવાતી નાતાલ એક વાહિયાતતા હશે. નાતાલનો આખો મુદ્દો એ છે કે તે એક બકવાસ છે - કારણ કે તે ખ્રિસ્તના જન્મની તારીખ મનસ્વી રીતે નક્કી કરવામાં આવી તે પહેલાં કદાચ ઘણા સમય પહેલાથી છે.
બાળકો આ સારી રીતે જાણે છે. તેમના દૃષ્ટિકોણથી નાતાલ એ સંયમિત આનંદનો દિવસ નથી, પરંતુ મોટે પાયે આનંદનો દિવસ છે જેના માટે તેઓ ચોક્કસ માત્રામાં તકલીફ ભોગવવા તૈયાર છે. તમારા મોજાંનું નિરીક્ષણ કરવા માટે સવારે ૪ વાગ્યે જાગવું; સવાર દરમ્યાન રમકડાં માટે થતા ઝઘડા, અને રસોડાના દરવાજામાંથી છુપાઈને કૂટાતા વ્યંજનો અને ડુંગળીની ઉત્તેજક સુવાસ માણવી; ટર્કીની ચિક્કાર પ્લેટ ભરવા માટેના ઝઘડો લડાઈ, અને વિશબોન ખેંચવું; બારીઓ અંધારી થઈ જવી અને સળગતી પ્લમ પુડિંગનો પ્રવેશ; બ્રાન્ડી સળગતી હોય ત્યારે દરેકની પ્લેટમાં એક ટુકડો હોય તેની ખાતરી કરવાની ઉતાવળ; જ્યારે અફવા આવે છે કે બેબીએ ત્રણ પૈસાનો ટુકડો ગળી લીધો છે ત્યારે ક્ષણિક ગભરાટ; આખી બપોર દરમિયાન મૂર્ખતા; એક ઇંચ જાડા બદામના આઈસિંગ સ્તર સાથેની નાતાલ કેક; બીજા દિવસે સવારે ઉદાસીનતા અને ૨૭ ડિસેમ્બરે એરંડાનું તેલ - તે એક ઉતાર-ચઢાવના રિવાજ એકે વાતે રીતે બધું સુખદ નથી, પરંતુ તેની વધુ નાટકીય ક્ષણો માટે તે પોષાય છે.
માત્ર ચા પીનારાઓ અને શાકાહારીઓ હંમેશા આ વલણથી બદનામ થાય છે. તેમને માટે એકમાત્ર તર્કસંગત ઉદ્દેશ્ય પીડા ટાળવાનો અને શક્ય તેટલા લાંબા સમય સુધી જીવંત રહેવાનો છે. જો તમે દારૂ પીવાનું, માંસ ખાવાનું, કે એવું બધું ટાળો છો, તો તમે પાંચ વર્ષ વધુ જીવવાની અપેક્ષા રાખી શકો છો. તેની સામે, જો તમે વધારે પડતું ખાશો કે વધારે પડતું પીશો તો તમારે બીજા દિવસે તીવ્ર શારીરિક પીડામાં તેની કિંમત ચૂકવવી પડશે. એનું એટલું પરિણામ ચોક્કસ આવે છે કે બધા અતિરેક, વર્ષમાં એક વાર નાતાલ જેવા ધખારા સુદ્ધાં, પણ ટાળવા જોઈએ?
વાસ્તવમાં એવું બિલકુલ નથી. પોતે શું કરી રહેલ છે તેની સંપૂર્ણ જાણકારી સાથે, કોઈ પણ વ્યક્તિ નક્કી કરી શકે છે કે ક્યારેક સારો સમય પસાર કરવો એ તેના યકૃતને થતા નુકસાન માટે સહ્ય છે. કારણ કે સ્વાસથ્ય જ એકમાત્ર બાબત નથી: મિત્રતા, આતિથ્ય, અને સારી સંગતમાં ખાવા-પીવાથી મળેલો આનંદ, ઉત્સાહ અને દૃષ્ટિકોણમાં પરિવર્તન પણ પોતાનું મહત્વ ધરાવે છે. મને શંકા છે કે, એકંદરે, વર્ષમાં એકબે વાર, બહુ નશો કરવાથી કે બે પેટ ખાવાથી પણ નુકસાન થાય છે. પછીના પસ્તાવા સહિતનો આખો અનુભવ, વ્યક્તિની માનસિક દિનચર્યામાં એક પ્રકારનું ભંગાણ લાવે છે, જે બીજા દેશોના સપ્તાહાંત વિક્ષેપની સરખામણીમાં કદાચ ફાયદાકારક છે.
દરેક સમય કાળમાં લોકોએ આ સમજ્યું છે. મૂળાક્ષરો લખાયા તે પહેલાંના દિવસોથી, એક વ્યાપક સર્વસંમતિ છે કે ખુબ ખાવું કે ખુબ પીવું એ આદત તરીકે છે, ત્યારે પણ ક્યારેક ક્યારેક બીજાં સાથે થોડી મજા માણવા માટે સારું છે, ભલે પછી કોઈને ક્યારેક બીજા દિવસે સવારે તેના માટે થોડી પીડા વેઠવી પડે. ખાવા-પીવાનું, ખાસ કરીને પીવાનું, સાહિત્ય કેટલું વિશાળ છે, અને તેને સામે પક્ષે કેટલું ઓછું કહેવાયું છે ! મને પાણીની પ્રશંસામાં, એટલે પાણીને એક પીણું ગણીને લખાઈ હોય એવી, એક પણ કવિતા યાદ નથી. પાણી વિશે કોઈ શું કહી શકે તે કલ્પના કરવી મુશ્કેલ છે. તે તરસ છીપાવે છે: વાત પુરી. બસ એટલાથી આગળ કંઇ નહીં સાંભળવા મળે. બીજી બાજુ, વાઇનની પ્રશંસામાં કવિતાઓની વાત કરીએ તો, માત્ર હજુ સુધી બચી રહેલ કવિતાઓ જ પુસ્તકોની છાજલીઓ ભરી દેશે . જ્યારે દ્રાક્ષના આથાની શોધ થઈ હતી તે દિવસથી જ કવિઓએ વાઈન પર કવિતાઓ કરવાનું શરૂ કરી દીધેલ. વ્હિસ્કી, બ્રાન્ડી અને અન્ય નિસ્યંદિત દારૂની ઓછી પ્રશંસા કરવામાં આવી છે, કારણ કે તે પછીના સમયમાં આવ્યા હતા. મધ્ય યુગથી પણ ઘણા સમય પહેલા, કોઈ તેમાં હોપ્સ નાખવાનું શીખે તેથી પણ પહેલાં પરંતુ બીયરને બહોળી પ્રસિદ્ધિ મળી છે. વિચિત્ર વાત એ છે કે, મને સ્ટાઉટની પ્રશંસામાં એક પણ કવિતા યાદ નથી, , ડ્રાફ્ટ સ્ટાઉટની પણ નહીં, જે મારા મતે બોટલ્ડ વેરાયટી કરતાં વધુ સારી છે. યુલિસિસમાં ડબલિનમાં સ્ટાઉટ-પીપનું ખૂબ જ ઘૃણાસ્પદ વર્ણન છે. પણ ત્યાં એ સ્ટાઉટને એક પ્રકારની, કદાચ વળી, શ્રદ્ધાંજલિ છે કારણ કે આ વર્ણન વ્યાપકપણે જાણીતું હોવા છતાં તે આઇરિશ લોકોને તેમના મનપસંદ પીણાથી દૂર રાખવામાં બહુ સફળ રહ્યું નથી.
ખાવાનું સાહિત્ય પણ વિશાળ છે, જોકે તે મોટે ભાગે ગદ્યમાં છે. પરંતુ રાબેલાઈસથી ડિકન્સ અને પેટ્રોનિયસથી શ્રીમતી બીટન સુધી, જે બધા લેખકોએ ખોરાકનું વર્ણન કરવાનો આનંદ માણ્યો છે, આહારની વિચારણાઓને પ્રથમ સ્થાન આપે એવો તેમાંનો એક પણ ફકરો મને યાદ નથી. હંમેશા ખોરાકને પોતાનામાં જ એક સાધ્ય માનવામાં આવે છે. કોઈએ વિટામિન્સ, અથવા પ્રોટીનના વધુ પડતા જોખમો, અથવા બત્રીસ વખત બધું ચાવવાના મહત્વ વિશે યાદગાર ગદ્ય લખ્યું નથી. એકંદરે, અતિશય ખાવું અને વધુ પડતું પીવાના પક્ષમાં ભારે પુરાવા હોય તેવું લાગે છે, જો કે તે હંમેશા અમુક માન્ય પ્રસંગોએ થાય છે, વારંવાર નહીં.
પરંતુ શું આપણે આ નાતાલમાં વધુ પડતું ખાવું અને વધુ પડતું પીવું જોઈએ? આપણે ન કરવું જોઈએ, અને આપણામાંથી મોટાભાગના લોકોને એવી તક પણ મળશે નહીં. હું નાતાલની પ્રશંસામાં લખી રહ્યો છું, પણ ૧૯૪૭ના નાતાલની પ્રશંસામાં, અથવા કદાચ ૧૯૪૮ના નાતાલની પ્રશંસામાં છે. આ વર્ષે સમગ્ર વિશ્વ ઉજવણી માટે યોગ્ય સ્થિતિમાં નથી. રાઈન અને પેસિફિક વચ્ચે એવા ઘણા લોકો ન હોઈ શકે જેમને —— ના લીવર સોલ્ટની જરૂર હોય. ભારતમાં લગભગ ૧૦ કરોડ લોકો એવા છે, અને હંમેશા રહ્યા છે, જેમને દિવસમાં માત્ર એક વખત પુરતું ભોજન મળે છે. ચીનમાં, પરિસ્થિતિ નિઃશંકપણે સમાન છે. જર્મની, ઑસ્ટ્રિયા, ગ્રીસ અને અન્યત્ર, લાખો લોકો એવા આહાર પર જીવે છે જે શરીરમાં શ્વાસ ચલાવે છે પણ કામ કરવા માટે કોઈ શક્તિ છોડતો નથી. બ્રસેલ્સથી સ્ટાલિનગ્રેડ સુધીના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં, અન્ય અસંખ્ય લાખો લોકો બોમ્બમારાવાળા ઘરોના ભોંયરાઓમાં, જંગલોમાં છુપાવાના સ્થળોમાં અથવા કાંટાળા તાર પાછળ ગંદા ઝૂંપડાઓમાં રહે છે. લગભગ એ જ સમયે વાંચવું એટલું સુખદ નથી કે આપણા ક્રિસમસ ટર્કીનો મોટો હિસ્સો હંગેરીથી આવશે, અને હંગેરિયન લેખકો અને પત્રકારો - જે કદાચ સમુદાયનો સૌથી ઓછો પગાર મેળવનાર વર્ગ નથી - એટલી ભયાવહ સ્થિતિમાં છે કે તેઓ અંગ્રેજી સહાનુભૂતિ ધરાવતા લોકો પાસેથી સેકરીન અને ઉતરેલાં કપડાંની ભેટો મેળવીને ખુશ થશે. આવી પરિસ્થિતિઓમાં આપણે ભાગ્યે જ 'યોગ્ય' નાતાલ ઉજવી શકીએ, ભલેને તેના માટે સામગ્રી ઉપલબ્ધ હોય.
પરંતુ આપણી પાસે વહેલા કે મોડા, ૧૯૪૭, ૧૯૪૮ કે કદાચ ૧૯૧૪૯ માં પણ એકાદ એવી નાતાલ હશે. અને જ્યારે આપણે એવી નાતાલની ઉજવણી કરીશું, ત્યારે શાકાહારીઓ અથવા મત્ર ચા પીનારાઓના ઉદાસ અવાજો ન આવે જે આપણને આપણા પેટ સાથે શું કરી રહ્યા છીએ તે વિશે ભાષણ આપે. વ્યક્તિ પોતાના માટે તહેવાર ઉજવે છે, અને કોઈના પેટના કોઈ કથિત લાભ માટે નહીં. દરમિયાન નાતાલ અહીં આવી ચુકી છે, અથવા તો લગભગઆવી ચુકી છે. સાન્તાક્લોઝ તેના રેન્ડીયરને ભેગા કરી રહ્યો છે, ટપાલી તેના નાતાલના કાર્ડ્સથી ફુલેલો થેલો લઈને નીચો વળીને ઘરે-ઘરે દોડી રહ્યો છે, કાળા બજારોમાં તેજી છે, અને બ્રિટને ફ્રાન્સથી નાતાલનાં વૃક્ષ, મિસ્ટલટોના ૭,૦૦૦ થી વધુ ક્રેટ્સ આયાત કર્યા છે. તેથી હું દરેકને ૧૯૪૭ માં જૂના જમાનાની નાતાલની શુભેચ્છા પાઠવું છું, અને એમ પણ શુભેચ્છા પાઠવું છું કે તે દરમિયાન, અડધા ટર્કી, ત્રણ ટેન્જેરીન (એક જાતનું નાનું ચપટું સુવાસવાળું સંતરું) અને વ્હિસ્કીની એક બોટલની કિંમત તેની કાયદેસરની કિંમત કરતાં બમણી નહીં હોય.
+ + + +
જ્યોર્જ ઓર્વેલના
બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45)
: Part
IVનો આંશિક અનુવાદ


