બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૪]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ


[૪]

ટ્રિબ્યુન

૨૫ ઓગસ્ટ, ૧૯૪૪

ક્રિપ્સ દરખાસ્તો પર આધારિત 'મધ્યમ' નીતિની સમર્થક, ભારત અને બર્મામાં યુરોપિયન સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી એક બિનસત્તાવાર સંસ્થા, ભારત-બર્મા એસોસિએશન દ્વારા બર્મા સાથે અને બર્મા ઝુંબેશ સાથે સંબંધિત ચોક્કસ સામગ્રી મને આપવામાં આવી છે.

ભારત-બર્મા એસોસિએશન ન્યાયિકપણે ફરિયાદ કરે છે કે પ્રચાર બાબતે બર્માની અસાધારણ રીતે કુસેવા થઈ છે. ઘણા દૃષ્ટિકોણથી બર્માનું સ્પષ્ટ મહત્વ હોવા છતાં, સામાન્ય જનતાને તો તેમાં કોઈ રસ નથી, પરંતુ બર્માની સમસ્યાઓ શું છે અને તે આપણા પોતાની સમસ્યાઓ સાથે કેવી રીતે સંબંધિત છે એ વિશે લોકોને જાણ કરતી એક આકર્ષક પુસ્તિકા પણ સત્તાધિકારીઓ પ્રકાશિત કરવામાં સફળ રહ્યા નથી. ૧૯૪૨ થી બર્મામાં લડાઈના અખબારોના અહેવાલો, રાજકીય દૃષ્ટિકોણથી તો ખાસ, સતત માહિતીવિહીન રહ્યા છે. જાપાની હુમલો શરૂ થતાં જ અખબારો અને બી.બી.સી.એ બર્માના બધા રહેવાસીઓને 'બર્મન' કહેવાની પ્રથા અપનાવી, આ નામ દૂર ઉત્તરના તદ્દન અલગ અને અર્ધ-ક્રૂર લોકો માટે પણ લાગુ કરાયું છે. આ ફક્ત સ્વીડિશને ઇટાલિયન કહેવા જેટલું જ સચોટ નથી, પરંતુ તે એ હકીકતને ઢાંકી દે છે કે જાપાનીઓ મોટાભાગે તળ બર્મીઝ લોકોનો ટેકો મેળવે છે, અને લઘુમતીઓ મોટાભાગે બ્રિટિશ તરફી છે. હાલના અભિયાનમાં, જ્યારે કેદીઓને પકડવામાં આવે છે, ત્યારે અખબારના અહેવાલોમાં ક્યારેય એવું કહેવામાં આવતું નથી કે તેઓ જાપાની છે કે પછી બર્મીઝ અને ભારતીય પક્ષપાતી છે - આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે.

૧૯૪૨ ના અભિયાન વિશે પ્રકાશિત થયેલા લગભગ તમામ પુસ્તકો ગેરમાર્ગે દોરનારા છે. હું જાણું છું કે હું શું વાત કરી રહ્યો છું, કારણ કે મારી પાસે તેમાંથી મોટાભાગના પુસ્તકોની સમીક્ષા કરવા માટે આવેલાં છે. એ પુસ્તકો ક્યાં તો અમેરિકન પત્રકારો દ્વારા લખાયેલા છે જેમને પૃષ્ઠભૂમિનું કોઈ જ્ઞાન નથી અને જેમાં નોંધપાત્ર રીતે બ્રિટિશ વિરોધી પક્ષપાત છે, અથવા બ્રિટિશ અધિકારીઓ દ્વારા બચાવમાં છે લખાયેલ છે અને બદનામ થતી દરેક વસ્તુને ઢાંકવા માટે ઉત્સુક છે. વાસ્તવમાં, બ્રિટિશ અધિકારીઓ અને લશ્કરી માણસોને એવી ઘણી બાબતો માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે જે તેમની ભૂલ નહોતી, અને આ દેશમાં ડાબેરીઓ દ્વારા બર્મા અભિયાનનો દૃષ્ટિકોણ લગભગ (મિથ્યાભિમાની) બ્લિમ્પ્સ દ્વારા અપનાવવામાં આવેલા દૃષ્ટિકોણ જેટલો જ વિકૃત હતો. પરંતુ આ મુશ્કેલી એટલે ઊભી થાય છે કારણ કે સાચું શું છે તે જાહેર કરવા માટે કોઈ સત્તાવાર પ્રયાસો નથી થયા. મારી જાણકારી મુજબ એવી હસ્તપ્રતો અસ્તિત્વમાં છે જે મૂલ્યવાન માહિતી આપે છે, પરંતુ જેને વ્યાપારી કારણોસર, પ્રકાશકો મળી નથી રહ્યા.

હું ત્રણ ઉદાહરણો આપી શકું છું. ૧૯૪૨ માં, થાકિન (આત્યંતિક રાષ્ટ્રવાદી) પક્ષનો સભ્ય અને જાપાનીઓ કાવતરાં કરતો એવો એક યુવાન બર્મન ભારત ભાગી ગયો. જ્યારે તેણે જોયું કે તેમનું શાસન કેવું હતું ત્યારે તેણે જાપાનીઓ વિશે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેણે એક નાનું પુસ્તક લખ્યું જે ભારતમાં "બર્મા માં શું થયું / What Happened in Burma " શીર્ષક હેઠળ પ્રકાશિત થયું અને જે સ્પષ્ટપણે મૂળભુત રીતે અધિકૃત હતું. ભારત સરકારે તેની બેદરકારીપૂર્વક ઇંગ્લેન્ડને માત્ર બે નકલો મોકલી. મેં વિવિધ પ્રકાશકોને તેને ફરીથી પ્રકાશિત કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પ્રયત્ન નિષ્ફળ ગયા: તેઓ બધાએ એક જ કારણ આપ્યું - જે વિષયમાં મોટાભાગની જનતાને રસ ન હતો તેના પર કાગળ બગાડવો યોગ્ય ન હતું. પાછળથી, બર્મા સાથે સંબંધિત વિવિધ પ્રવાસ પુસ્તકો પ્રકાશિત કરનારા મેજર એનરિકેઝ, બર્મા અભિયાન અને ભારતમાં પીછેહઠને આવરી લેતી એક ડાયરી ઇંગ્લેન્ડ લાવ્યા. તે એક અત્યંત ખુલાસાત્મક - કેટલીક જગ્યાએ શરમજનક રીતે ખુલાસાત્મક - દસ્તાવેજ હતો, પરંતુ તેનું પરિણામ બીજા પુસ્તક જેવું જ થયું. હાલમાં હું બીજી હસ્તપ્રત વાંચી રહ્યો છું જે બર્માનો ઇતિહાસ, તેની આર્થિક પરિસ્થિતિઓ, તેની જમીન માલિકીની વ્યવસ્થા વગેરે વિશે મૂલ્યવાન પૃષ્ઠભૂમિરૂપ સામગ્રી આપે છે. પરંતુ હું શરત લગાવવા તૈયાર છું કે કાગળની અછત દૂર ન થાય ત્યાં સુધી તે કોઈપણ રીતે પ્રકાશિત થશે નહીં.

પુસ્તકો જે બહુ ઘણા દાણા વેરી નાખી શકે પરંતુ ધરી દેશો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાનો સામનો કરવામાં મદદ કરે એ પ્રકારના પુસ્તકો માટે કાગળ અને નાણા ન મળી રહે તો સરકારને આશ્ચર્ય થવું જોઈએ નહીં કે જનતા બર્મા વિશે કંઈ જાણતી નથી અને જાણ્વા વિશે ઝાઝી ચિંતા પણ કરતી નથી. અને બર્મા વિશે જે લાગુ પડે છે તે અન્ય ઘણા મહત્વપૂર્ણ પરંતુ ઉપેક્ષિત વિષયો વિશે પણ લાગુ પડે છે.

દરમિયાન, અહીં એક સૂચન છે. જ્યારે પણ કોઈ એવો દસ્તાવેજ દેખાય છે જે વ્યાપારી રીતે વેચાણયોગ્ય નથી પણ ભવિષ્યના ઇતિહાસકારો માટે ઉપયોગી થવાની સંભાવના છે, ત્યારે તેને બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા નિમાયેલી સમિતિને સુપરત કરવો જોઈએ. જો એ સમિતિ તેને ઐતિહાસિક રીતે મૂલ્યવાન માને, તો તેની પાસે થોડી નકલો છાપવાની અને વિદ્વાનોના ઉપયોગ માટે સંગ્રહ કરવાની સત્તા હોવી જોઈએ. હાલમાં વ્યાપારી પ્રકાશકો દ્વારા નકારવામાં આવેલી હસ્તપ્રત લગભગ હંમેશા કચરાપેટીમાં ધરબાઈ થાય છે. સ્વીકૃત જૂઠાણાના કેટલા સંભવિત સુધારાઓ આ રીતે નાશ પામ્યા હશે!

+                         +                           +                       +
જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

નેતૃત્વ, સ્વ-જાગૃતિ અને તેને લગતું એક વૃતાન્ત

 તન્મય વોરા

ગયા અઠવાડિયે, મારે એક અગ્રણી બી-સ્કૂલમાં વ્યક્તવ્ય આપવાનું થયું. તે પછી એમબીએના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરરવાની તક મળી. લોકો હવે પોતાનીની પહેલી નોકરી માટે તૈયાર હતા. તેમના ચહેરા પર આશા અને આકાંક્ષા છલકાઈ રહી હતી. લોકો મને પતંગિયામાં ફેરવાતા કોશેટા જેવા લાગ્યાં. ભ્ણતરની દુનિયાનું કોચલું ભેદીને હવે તેઓ વ્યવસાયની વાસ્તવિક દુનિયામાં દાખલ થવા થનગની રહ્યા હતાં.

મારી વાત સ્વ-જાગૃતિ (જેને આંતર-વૈયક્તિક પ્રજ્ઞા - ' intra-personal intelligence[1] ' - પણ કહેવાય છે) ના વિષયથી શરૂ થઈ.  મેં ભાર મૂક્યો હતો કે આજે વ્યાવસાયિક જગતને એવા લોકોની વધારે જરૂર છે જેઓ પોતાની સહજ તેમજ હસ્તગત શક્તિઓ વિશે જાગૃત હોય, પોતે જે કરી રહ્યા હોય તેના પ્રત્યે ઉત્સાહી હોય. સંદર્ભમાં, મેં તેમને મારા મિત્ર નિશની એક વાત કહી.

શાળા પછી, જ્યારે નિશ કારકિર્દી પસંદગીના ચાર રસ્તે  હતો, ત્યારે તેણે તેના પિતાને કહ્યું, "મને ઇલેક્ટ્રોનિક્સમાં એક ઇંચ જેટલી જગ્યા આપો અને હું તેમાંથી આખી દુનિયા બનાવીશ". શબ્દો એવી વ્યક્તિના હતા જે તે સમયે સરેરાશ વિદ્યાર્થી લાગતો હતો, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ પ્રત્યે તેનો ઉત્સાહ અદમ્ય હતો.

મને યાદ છે કે તેના ઓરડામાં પુસ્તકો વેરાયેલાં હોય અને દિવાલો પત વપરાયેલા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ અને કેટલીક સોલ્ડરિંગ ગન લટકતાં હોય.સાથે હતો. શાળાના દિવસોમાં, જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના અસાઈન્ટમેન્ટ્સ અને પરીક્ષાઓમાં ખૂબ વ્યસ્ત (અને ઘણીવાર ચિંતિત) રહેતા, ત્યારે તે ટ્રાન્ઝિસ્ટર ભેગા કરતો અને ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરતો. તેના પિતાએ તેને મંજૂરી આપી. એસ એસ સીના માર્ક્સને કારણે તેણે પહેલા ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા કોર્સ કર્યો. ડિપ્લોમામાં તેના ગ્રેડને કારણે તેને બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સમાં સીધો પ્રવેશ મળી ગયો. તે પછી તેણે સેટેલાઇટ ઇલેક્ટ્રોનિક્સમાં એમ.એસ. અને યુકેમાંથી કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં પીએચ.ડી. કર્યું. તેની આ લાંબી શૈક્ષણિક સફરને ઇલેક્ટ્રોનિક્સ પ્રત્યેનો તેનો અપ્રતિમ લગાવ સતત પ્રવેગ દેતો રહ્યો.

નિશ એક સફળ ઉદ્યોગસાહસિક અને એક વ્યવહારુ ટેક્નોલોજિસ્ટ હોવાની સાથે સાથે નવું નવું કરતો જ રહે છે અને બીજાંને શીખવતો પણ રહે છે.  તેણે શરૂઆતમાં જ તેની શક્તિઓને ઓળખી કાઢી અને તેના પર પોતાના જીવનનો પાયો નાખ્યો.

કારકિર્દી બનાવવાની સફર એ આપણી શક્તિઓને પારખવાની અને પછી તે શક્તિઓનો સંપૂર્ણ ઉપયોગ કરીને સકારાત્મક ફરક લાવવાની શોધ સિવાય બીજું કંઈ નથી. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને શોધકર્તાઓ તરીકે આપણું લક્ષ્ય આપણી  પસંદનાં ક્ષેત્રમાં પોતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવાનું હોય, તો પછી બધાં સન્માનો અને બાહ્ય પુરસ્કારો માત્ર આડપેદાશ બની રહે છે.

મારી વાત વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી જાય અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાના માર્ગ પર આગળ વધવા માટે તેમાંથી પ્રેરણા લે એવી શુભેચ્છાઓ.

સ્રોત સંદર્ભ:: Leadership, Self-Awareness and A Story

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

- - - . . . - - - . . . - - -