શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

નવું નવું શીખતી રહેતી સંસ્થાઓ પાસેથી શીખવા જેવા પાંચ મહત્વના પદાર્થપાઠ


તન્મય વોરા

સમસ્યાઓ, પડકારો અને (એક યા બીજા પ્રકારની) બિનકાર્યસાધકતાઓ કોઈપણ સંસ્થાનો જ ભાગ છે. ફરક એટલો પડે છે કે સંસ્થાઓ તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે.

મારી અત્યાર સુધીની કારકિર્દીમાં, મેં (મોટે ભાગે) બે પ્રકારની સંસ્થાઓ જોઈ છે.

પહેલા પ્રકારની સંસ્થાઓ એ છે જે સમસ્યાના ક્ષેત્રોને જાણે છે, પરંતુ ભવિષ્યમાં તેમને રોકવા માટે જરૂરી માળખું બનાવવા માટે રોકાણ કરવા તૈયાર નથી. તેથી, જ્યારે જ્યારે સમસ્યા આવે ત્યારે આવી સંસ્થાઓ તેને સુધારવાનો પ્રયાસ કરે છે. સમસ્યાને લગતી ટીમો અને માળખાં બનાવાય છે, જ્યાં સમસ્યાઓ આવે ત્યાં લોકોને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરવામાં આવે (અને ક્યારેક ફરજ પણ પાડવામાં આવે.). દરેક પ્રોજેક્ટમાં સમાન પડકારો દેખાતા હોય છે. એટલેકે, સમસ્યાને મહદ્‍અંશે જાણવી પણ તેના વિશે કંઈ ન કરવું. પ્રક્રિયાઓ (અને સુધારણા) ને ખર્ચ તરીકે જોવામાં આવે છે.

આવા કિસ્સાઓ, મોટા ભાગે જોવામાં આવતાં, અસંતુષ્ટ ગ્રાહકો, ટીમના નાખુશ નિરાશ સભ્યો, મધ્યમ સ્તરનું સંચાલન સ્તર વેરવિખેર અને વ્યવસાયને વધારવામાં ડગલેને પગલે મુશ્કેલીઓ જેવાં અંતિમ પરિણામોની ચિત્રપટ્ટી ચાલ્યા જ કરે છે. 

બીજા પ્રકારની સંસ્થાઓ એ છે જેને આપણે "નવું નવું શીખતી રહેતી સંસ્થાઓ" કહીએ છીએ. તેઓ પણ પહેલા પ્રકારની સંસ્થાઓ જેવા જ પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ ફક્ત એક જ વાર. જ્યારે સમસ્યાઓ આવે છે, ત્યારે તેઓ પહેલા તેને સુધારે છે પરંતુ પછી, તેને બીજી વાર આવતાં કેવી રીતે અટકાવી શકાય તે અંગે કાળજીપૂર્વક વિચાર કરે છે. તેઓ પ્રક્રિયા સુધારણા પર ફોકસ ગ્રુપ બનાવે છે, જે કંઈ નવા પાઠ શીખવા મળે તેમનું દસ્તાવેજીકરણ કરે છે, ટીમોને સતત તાલીમ આપે છે અને તેમની પ્રક્રિયાઓમાં નિવારક પગલાંનો સમાવેશ કરે છે. તેઓ સમજે છે કે સમસ્યાઓ આવવી એ તો સંપૂર્ણપણે સામાન્ય બાબત છે, પરંતુ વારંવાર એક જ સમસ્યાઓ ન આવવી જોઈએ. તેઓ પ્રક્રિયાઓ અને સુધારણાને ભવિષ્ય માટેનું રોકાણ માને છે.

આ અવલોકનોમાંથી આટલી કેટલીક મુખ્ય બાબતો તારવી શકાય:

  • સમસ્યાઓ વ્યવસાયનો એક અનિવાર્ય ભાગ છે. વ્યવસાયની વૃદ્ધિ તેના પર આધાર રાખે છે કે તમે દર વખતે એક ને એક જ સમસ્યાઓનો સામનો કરો છો કે નવી નવી સમસ્યાઓનો સામનો કરો છો.
  • પ્રક્રિયાઓ પ્રસ્થાપિત કરવી અને સુધારણા ટીમોનું આયોજન કરવું  શરૂઆતમાં ખર્ચાળ લાગી શકે છે, પરંતુ, લાંબે ગાળે, પ્રક્રિયાઓને પરિપક્વ કરીને અને ગ્રાહકો જેને મહત્વનું ઘણે છે એવી અનુભૂતિઓ પહોંચાડવાની લોકોની ક્ષમતામાં સુધારો કરીને, તે ખરેખર પૈસા બચાવે છે.
  • સુધારો હંમેશા ખર્ચાળ ન હોઈ શકે. તમે તમારી વર્તમાન ટીમમાંથી નાનું ફોકસ ગ્રુપ બનાવી શકો છો અને વારંવાર આવતી નાની નાનીસમસ્યાઓમાં સુધારો કરી શકો છો. એકવાર નોંધપાત્ર પરિણામો દેખાવા લાગે, પછી તમે વધુ રોકાણ કરી શકો છો.
  • (તમારા વ્યવસાયના જીવનકાળમાં) તમે પ્રક્રિયાઓ અને સુધારણા વિશે જેટલું વહેલું વિચારશો, તેટલું સારું (અને ઓછું ખર્ચાળ). જ્યારે સમસ્યાઓને અવગણ્યા કરવામાં આવે ત્યારે સમસ્યાઓ અનેક ગણી બનવા લાગે છે.
  • એ સમજવું મહત્વપૂર્ણ છે કે એવી પ્રક્રિયા/અભિગમ વિકસાવવાં લગભગ અશક્ય છે જે સંસ્થાએ સામનો કરવી પડતી તમામ સંભવિત સમસ્યાઓની આગાહી કરે. આ વાત નાના કે મોટા, બધા, વ્યવસાયો માટે સાચી છે.

પીટર સેન્જે સંગઠન વિકાસ અને સિસ્ટમ વિચારસરણી પર કેટલાક અદ્‍ભૂત કાર્ય કર્યા છે.



શું તમે આવી સંસ્થાઓ જોઈ છે? તમને એમાંથી શું પાઠ મળ્યા? વાતચીતમાં જોડાઓ અને તમારા અનુભવો જણાવો.

સ્રોત સંદર્ભ::  5 Key Lessons From Learning Organizations

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026

મોટું, હજુ મોટું, સૌથી મોટું - દેવદત્ત પટ્ટનાઈક

 

હિન્દુ પૌરાણિક કથાઓમાં માપણીનો વિચાર એક મુખ્ય વિષય છે. પુરાણોની વાર્તાઓ આપણને માપણીની જટિલતાનો પરિચય કરાવે છે. એક રાજા કહે છે કે તે ત્રણ ડગલામાં વામન જેટલી જમીન આવરી શકે તેટલો બધો જમીન આપશે. પછી વામન એક વિશાળકાય વ્યક્તિમાં પરિવર્તિત થાય છે, તેનું માથું તારાઓથી આગળ વધે છે, તેના પગ સમુદ્રના તળિયે પહોંચે છે, અને બે ડગલામાં સમગ્ર ભૌતિક વિશ્વને આવરી લે છે. "રાજન, ત્રીજું ડગલાં ભર્યા પછી હું મારો પગ ક્યાં મૂકું? મને એવી જગ્યા બતાવો જે હવે મારી નથી," વામનમાંથી મહાકાય વ્યક્તિ બનેલ આ માંગ કરે છે. રાજા તેમને નમન કરે છે અને પોતાનું શિર, પોતાના ઘમંડનું સ્થાન, પગ મુકવા માટે અર્પણ કરે છે. એ ઘમડ જે એ જોવામાં નિષ્ફળ ગયો હતો કે માણસના ત્રણ માપ ભગવાનના ત્રણ માપ નથી.

આ જ વિચાર મંદિરની કથાઓમાં જોવા મળે છે. પેરુમલ અથવા વિષ્ણુને સમર્પિત ઘણા તમિલ મંદિરોના પ્રવેશદ્વાર પર, દ્વારપાલ, જય અને વિજય હોય છે, જે ભક્તોને ગર્ભગૃહમાં, દરવાજા પર અને તેની બહાર શું દેખાય છે તેના પર ધ્યાન આપવા માટે તેમની તર્જની આંગળી ઉંચી કરીને ચેતવણી આપે છે.

બે દ્વારપાલોની છબીનું અવલોકન કરતાં, આપણે જોઈશું કે તેમના પગ એક ગદા પર મૂકવામાં આવ્યા છે અને એક સાપ આ ગદાની આસપાસ ગૂંથાયેલો છે. આ સાપના જડબામાં એક હાથી છે. અચાનક, આપણને ખ્યાલ આવે છે કે આ દ્વારપાલ કેટલા ઊંચા છે. ચિહ્નો નાના પ્રતિનિધિત્વ છે. આમ ભક્તને ખ્યાલ આવે છે કે પો નાનો, નાનો છે અને અનંતતાના મૂર્ત સ્વરૂપની હાજરીમાં છે. આ જ કારણ છે કે વિષ્ણુને અનંત વાસુદેવ તરીકે સંબોધવામાં આવે છે, જેનો અર્થ અનંત (અનંત) વિશ્વ (વસુ) ના ભગવાન (દેવ) થાય છે.

અને, છતાં, તમિલ ભક્તિ સ્તોત્ર દ્વારા આ વિચારને સાવ ઉલટાવી નખાયો છે. તેમાં કહેવાયું છે કે વિશ્વના સર્જક બ્રહ્માથી કોણ મોટું છે, ? આપણને કહેવામાં આવે છે, વિષ્ણુ, કારણ કે બ્રહ્મા વિષ્ણુની નાભિમાંથી નીકળતા કમળ પર રહે છે. અને, વિષ્ણુથી કોણ મોટું છે? શેષનાગ જેના ગૂંથળાં પર વિષ્ણુ સૂવે છે. અને, શેષનાગથી કોણ મોટું છે? દૂધનો સમુદ્ર જેના પર નાગ તરે છે. અને, દૂધના સમુદ્રથી કોણ મોટું છે? સાત મહાસાગરો અને સાત ખંડો ધરાવતું મહાન વિશ્વ અથવા ભૂ-મંડળ. અને, ભૂ-મંડળ કરતાં કોણ મોટું છે? તે મહાન નાગ જેની ફેણ પર ભૂ-મંડળ રહે છે. અને, તે મહાન નાગ કરતાં કોણ મોટું છે? દેવી, જે આ મહાન સર્પને પોતાની આંગળીમાં વીંટી તરીકે લપેટે છે. અને, દેવી કરતાં કોણ મોટું છે? તેના પતિ, શિવ, જેના ખોળામાં એવી બેસે છે. અને, શિવ કરતાં કોણ મોટું છે? શિવના ભક્ત, જેના હૃદયમાં શિવ રહે છે.

માપણી શા માટે આટલી મહત્વની છે? મનુષ્યો માપે છે અને સરખામણી કરે છે. અને, જે ઓળખની ભાવના અને આપણી શ્રેષ્ઠતા અને હીનતાની ભાવનામાં ફાળો આપે છે. માપણી દ્વારા આપણે જે વિશ્વ જોઈએ છીએ તેને "માયા" કહેવામાં આવે છે, જે મૂળ "મા" માંથી આવે છે જેનો અર્થ માપવું એવો થાય છે. જ્યાં સુધી આપણે પોતાને અન્ય લોકો સામે માપીને મૂલ્ય આંકીએ છીએ, ત્યાં સુધી આપણે માયાની દુનિયામાં ફસાઈ જઈશું, અને તે દુ:ખનું કારણ બનશે. તેથી, શાળાઓમાં જ્યાં રિપોર્ટ કાર્ડ બાળકોને એકબીજા સામે માપે છે ત્યાં દુઃખ છે. ઓફિસોમાં કર્મચારીઓને મૂલ્યાંકન પ્રણાલીનો ઉપયોગ કરીને માપવામાં આવે છે ત્યાં આપસમાં મનદઃખ થતું રહે છે. શ્રીમંત લોકો જ્યારે એવા લોકો વિશે  જાણે છે જે તેમન કરતાં વધુ ધનવાન છે ત્યારે પોતાને ગરીબ માને  છે. પાતળા લોકો જ્યારે બીજા પાતળા લોકોને જુએ છે ત્યારે પોતે જાડા લાગે છે. વેદોમાં, આપણા હૃદયમાં સ્થિત, ભગવાન એ કલ્પનાનો અનંત અંશ છે, બધાં માપ અને સરખામણીને ભૂંસી નાખે છે, અને આપણને શાંતિ આપે છે.

  • મિડ-ડે માં ૨૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખBig, bigger, biggest નો અનુવાદ  | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા, વિશ્વ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૯ સપ્ટેમ્બર ૨૦૨૬

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2026

મોટા ભાગે સમસ્યાઓના ઉપાય દૃષ્ટિની મર્યાદાની બહાર મળી રહે છે.

 

ઉત્પલ વૈશ્નવ

મિટિંગ દરમ્યાન કોઈએ કહ્યું, "AI એ ન કરી શકે."

દસમાંથી નવ વખત, આવું વાક્ય સાવ સાચું નથી હોતું. 

એટલા માટે નહીં કે, સમસ્યાના ઉકેલો, કે હવે
AI મોડેલો, માં સુધારાઓ થતા રહે જ છે.
પરંતુ એટલા માટે કે (સમસ્યાના) ઉકેલોની સીમાઓ ક્યાંથી વિસ્તરી શકે તેનો અંદાજ અધુરો કે ખોટો હોય છે.

બાલ્કનીમાં ઉભેલા એક માણસે આ વાત જોઈ શકાય તેમ કરી બતાવ્યું.

કબુતરો દ્વારા માળાઓ બાંધવાના ત્રાસનો કોઈ ઉકેલ નહોતો મળતો.

એણે બાલ્કનીની દિવાલ પર કેમેરા ગોઠવ્યો. હથેળીથી પણ નાનાં એક પાટીયાં પર (
AI આધારિત ) ભાળ કાઢતું - detection - (જેમ કે Vision AIમોડેલ[1] ચલાવ્યું, અને પછી તેને પાણીની પિસ્તોલ સાથે વાયરથી જોડી દીધું.

કબુતર આવે, પાણીની પિચકારી છૂટ્રે, કબુતર ઉડી જાય. જરા પણ ઈજા પામ્યા વિના. 

https://www.reddit.com/r/SideProject/s/DXhUR5yhP0 [2]

તેણે એ મોડેલ માટે ક્યારે પણ કબુતરની તસવીરો ન વાપરી.

તેણે તો 'કબુતર' ટાઈપ કર્યું અને મોડેલને એ શબ્દ ઓળખાવ્યો. 
દૃષ્ટિકોણમાં નાનો-સો ફરક, અને સિસ્ટમ નવા જ પ્રકારની બની ગઈ.

કમ્પ્યુટરનાં મોટાં ભાગનાં કામો શી રીતે થશે તે તેના માટે સોફ્ટવેરની રચના સમયે જ નક્કી થઈ જતું હોય છે. તેમાં કઈ પણ ફેરફાર કરવો એટલે કોડીંગ સુધારવું કે નવેસરથી કરવું.

અહીં, પ્રોગ્રમનાં પરિણામોની વર્તણૂકને તો પહેલે તબક્કે જ સુધારી લેવાઈ છે.

એટલે, પ્રોગ્રામની રચના  દરમ્યાનના આવશ્યક અવરોધને હટાવી લેવાયો છે. હવે ચિત્રને બદલે તમને યોગ્ય લાગે એ મુજબનું નામ મુકી દેવાયું છે.  
આ બહુ શાંત ફેરફાર છે. આવા શાંત ફેરફારની કલ્પના કરવી અને તેને પ્રોગ્રામમાં સામેલ કરવા એ સામાન્યપણે ખર્ચાળ નીવડતું હોય છે.  પોતાને મર્યાદિત કરનાર અવરોધનું ઈષ્ટતમકરણ કરવું  ટીમ માટેની એક સતત ચાલતી પ્રવૃતિ છે. 

હવે તમારી પોતાની જરૂરિયાત ઉપર તેને ચકાસો. છેલ્લે જેને અશક્ય કહ્યું હતું, તેને પસંદ કરો. તેને એક જ શબ્દમાં વર્ણવો. 

મોટા ભાગે, અશક્યતા એ રીતે સ્પષ્ટ થતાં વાકયને કારણે ઓગળી જાય છે. ક્યારેક એવું ન થાય.  તો એ ફરી એક વાર નક્કર પાઠ શીખવાની તક છે. 

ખેર, બન્ને કિસ્સામાં ખરો અવરોધ શું હતો એ તો તો તમે ખોળી કાઢ્યું છે.

મોટા ભાગે, અશક્ય કંઈ જ નથી હોતું. તેને ખરેખર ઓળખી ને સ્પષ્ટ નથી કરાયું હોતું. 


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, The problem definition misdiagnoses where the limit lies  નો અનુવાદ

અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૪ સપ્ટેમ્બર૨૦૨૬



[1] How to Detect People Using YOLO and Google Generative AI 


[2] (Credit: built and first shared by u/muxamilian on r/SideProject onReddit.)

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2026

સમાજવાદીઓ વિનોદમાં કેમ નથી માનતા, ૧૯૪૩ - જ્યોર્જ ઑર્વેલ [૧]

 


'યુટોપિયા (જોકે નવા ઘડાયેલા 'યુટોપિયા' શબ્દનો અર્થ 'સારી જગ્યા (આદર્શ સમાજવ્યવસ્થા)' નથી, તેનો અર્થ ફક્ત 'અસ્તિત્વમાં ન હોય તેવી જગ્યા' એટલો છે) છેલ્લા ત્રણ-ચારસો વર્ષથી સાહિત્યમાં પ્રચલિત છે, પરંતુ 'ગમતી વસ્તુઓ' હંમેશા આકર્ષક નથી હોતી, અને સામાન્ય રીતે જીવનશક્તિનો પણ તેમાં અભાવ હોય છે...'

નાતાલનો વિચાર કરતાં જ ચાર્લ્સ ડિકન્સના વિચારો લગભગ આપમેળે જ આવવા લાગે છે, એ માટે બે ખૂબ જ વજૂદવાળાં કારણો છે. પહેલી વાત તો એ કે, ડિકન્સ એવા થોડા અંગ્રેજી લેખકોમાંના એક છે જેમણે ખરેખર નાતાલ વિશે લખ્યું છે. નાતાલ એ અંગ્રેજી તહેવારોમાં સૌથી લોકપ્રિય તહેવાત છે, અને છતાં નવાઈની વાત એ છે કે તેના પર બહુ ઓછું સાહિત્ય લખાયું છે. ક્રિસમસનાં કેરોલ્સ છે મોટાભાગે મધ્યયુગીન મૂળના છે; રોબર્ટ બ્રિજીસ, ટી. એસ. એલિયટ અને કેટલાક અન્ય લોકો દ્વારા થોડી કવિતાઓ લખાઈ છે, અને ડિકન્સે પણ લખ્યું છે; પરંતુ એ સિવાય બીજું બહુ ઓછું છે. બીજું એ કે, ડિકન્સ આધુનિક લેખકોમાં ખુશીનું ચિત્ર રજૂ કરવામાં સક્ષમ હોવાના સંદર્ભમાં નોંધપાત્ર છે,. આ વાત ખરેખર લગભગ વિરલ છે.

ડિકન્સે ધ પિકવિક પેપર્સ[1]ના એક પ્રકરણમાં અને અ ક્રિસમસ કેરોલ[2]માં બે વાર નાતાલ વિશે સફળતાપૂર્વક રજૂઆત કરી છે. અ ક્રિસમસ કેરોલ લેનિનને તેમના મૃત્યુશય્યા પર વાંચી સંભળાવવામાં આવી હતી અને તેમની પત્નીના મતે, તેમને વાર્તાની 'મધ્યમ વર્ગની જુનવાણી, બુર્ઝવા, ભાવનાત્મકતા' સંપૂર્ણપણે અસહ્ય લાગી. હવે એક અર્થમાં લેનિન સાચા હતા: પરંતુ જો તેઓ વધુ સારા સ્વાસ્થ્યમાં હોત તો તેમણે કદાચ નોંધ્યું હોત કે વાર્તામાં રસપ્રદ સમાજશાસ્ત્રીય અસરો છે. શરૂઆતમાં, ડિકન્સ ગમે તેટલા રૂક્ષ લાગતા હોય, ટાઈની ટિમના 'દુઃખ' ગમે તેટલા ઘૃણાસ્પદ હોય, પણ ક્રેચિટ પરિવાર પોતાનો આનંદ માણતો હોય તેવી છાપ પડે છે. જેમકે, વિલિયમ મોરિસના ન્યૂઝ ફ્રોમ નોવ્હેરના નાગરિકો જેટલા ખુશ નથી લાગતા, એટલો ક્રેચિટ પરિવાર ખુશ લાગે છે. વધુમાં એ પણ ખરૂં કે ડિકન્સની આ સમજ તેમની બ ળી બાજુનાં રહસ્યોમાંનું એક છે - ડિકન્સની ખુશી મુખ્યત્વે વિરોધાભાસમાંથી પેદા થાય છે. ક્રેચિટ પરિવાર ઉત્સાહમાં છે કારણ કે તેમની પાસે હાલ પુરતું તો એક ટંકનું પૂરતું ખાવાનું તેમની પાસે છે. વરુ એમના દરવાજા પર છે, પરંતુ તે તેની પૂંછડી હલાવી રહ્યું છે. ક્રિસમસ પુડિંગની વરાળ ગીરવી રાખનાર શરાફની દુકાનો અને પરસેવાવાળા મજૂરીની પૃષ્ઠભૂમિ પર પ્રસરતી રહે છે, અને સ્ક્રૂજનું ભૂત રાત્રિભોજનના ટેબલની બાજુમાં, બેવડા અર્થમાં, ઉભું છે. બોબ ક્રેચિટ સ્ક્રૂજના સ્વાસ્થ્ય માટે શરાબનો એક ઘુંટ ટોસ્ટ કરવા માંગે છે, જે માટે શ્રીમતી ક્રેચિટ યોગ્ય રીતે સહમત ન થયાં. ક્રેચિટ પરિવાર ક્રિસમસનો આનંદ એટલા જ માટે માણી શકે છે ક્રિસમસ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે. તેમની ખુશી વિશ્વસનીય લાગે છે કારણ કે તેનું વર્ણન અધુરું રહે છે.

બીજી બાજુ, કાયમી સુખનું વર્ણન કરવાના બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે. 'યુટોપિયા (જોકે નવા ઘડાયેલા 'યુટોપિયા' શબ્દનો અર્થ 'સારી જગ્યા (આદર્શ સમાજવ્યવસ્થા)' નથી, તેનો અર્થ ફક્ત 'અસ્તિત્વમાં ન હોય તેવી જગ્યા' એટલો છે) છેલ્લા ત્રણ-ચારસો વર્ષથી સાહિત્યમાં પ્રચલિત છે, પરંતુ 'ગમતી વસ્તુઓ' હંમેશા આકર્ષક નથી હોતી, અને સામાન્ય રીતે જીવનશક્તિનો પણ તેમાં અભાવ હોય છે.

અત્યાર સુધી, સૌથી જાણીતા આધુનિક યુટોપિયા સર્જક એચ. જી. વેલ્સ છે. ભવિષ્ય વિશે વેલ્સનું દર્શન વીસીના દાયકાની શરૂઆતમાં લખાયેલા બે પુસ્તકો, ધ ડ્રીમ[3] અને મેન લાઈક ગોડ્સ[4]માં, લગભગ સંપૂર્ણપણે, વ્યક્ત થયું છે. એમાં આપણી સમક્ષ વિશ્વનું એક એવું ચિત્ર છે જે વેલ્સ જોવા માંગે છે અથવા વિચારે છે કે તે જોઈ શકે. તે એક એવી દુનિયા છે જેના મુખ્ય મુદ્દાઓ પ્રબુદ્ધ (સુખ એજ ખરુ સાધ્ય છે એવો) સુખવાદ અને વૈજ્ઞાનિક જિજ્ઞાસા છે. આપણે હવે જે દુષ્ટતાઓ અને દુઃખોથી પીડાઈ રહ્યા છીએ તે અદૃશ્ય થઈ ગયેલ છે. અજ્ઞાનતા, યુદ્ધ, ગરીબી, ગંદકી, રોગ, હતાશા, ભૂખ, ભય, વધુ પડતું કામ, અંધશ્રદ્ધા બધું જ અદૃશ્ય થઈ ગયું છે. આ રીતે વ્યક્ત કરવામાં આવે તો, તે નકારી શકાય નહીં કે આ જ પ્રકારની દુનિયા છે જેની આપણે બધા આશા રાખીએ છીએ. આપણે બધા એ જ વસ્તુઓને નાબૂદ કરવા માંગીએ છીએ જે વેલ્સ નાબૂદ કરવા માંગે છે. પરંતુ શું કોઈ એવું છે જે ખરેખર વેલ્સકૃત યુટોપિયામાં રહેવા માંગે છે? તેનાથી વિપરીત, આવી દુનિયામાં ન રહેવું, ખુલ્લાં સ્કૂલમાર્મ્સથી ભરેલા સ્વચ્છ બગીચાના પરામાં ન ઊંઘમાંથી ન જાગવું, ખરેખર એક સભાન રાજકીય હેતુ બની ગયો છે. બ્રેવ ન્યૂ વર્લ્ડ જેવું પુસ્તક એ વાસ્તવિક ભયની અભિવ્યક્તિ છે જે બનાવવાની તેની શક્તિમાં છે એવાતર્કસંગત સુખવાદી સમાજ પ્રત્યે જે આધુનિક માણસ અનુભવે છે. એક કેથોલિક લેખકે તાજેતરમાં કહ્યું હતું કે યુટોપિયા હવે તકનીકી રીતે શક્ય છે અને પરિણામે યુટોપિયાથી કેવી રીતે બચવું તે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આપણે આને ફક્ત એક મૂર્ખ ટિપ્પણી તરીકે કાઢી નાખી શકીએ તેમ નથી. કારણ કે ફાશીવાદી ચળવળના સ્ત્રોતોમાંનો એક સ્રોત ખૂબ જ તર્કસંગત અને ખૂબ જ આરામદાયક વિશ્વને ટાળવાની ઇચ્છા છે.

બધા 'અનુકૂળ' યુટોપિયાઓ સંપૂર્ણતાનો અંદાજ લગાવવામાં સમાન લાગે છે પરંતુ સુખ સૂચવવામાં અસમર્થ હોય છે. 'ન્યૂઝ ફ્રોમ નોવ્હેર' એ વેલ્સકૃત યુટોપિયાનું એક પ્રકારનું અચ્છો અચ્છો વાનાં પ્રકારનું સંસ્કરણ છે. દરેક વ્યક્તિ દયાળુ અને વાજબી છે, ઘર સજાવટનો બદો અસબાબ લિબર્ટીમાંથી આવે છે, પરંતુ જે છાપ રહી જાય છે તે એક પ્રકારની ભીની ઉદાસીનતાની છે. પરંતુ વધુ પ્રભાવશાળી વાત એ છે કે અત્યાર સુધીના મહાન કલ્પનાશીલ લેખકોમાંના એક, જોનાથન સ્વિફ્ટ અન્ય લોકો કરતા 'અનુકૂળ' યુટોપિયા બનાવવામાં વધુ સફળ નથી રહ્યા.

ગુલિવર ટ્રાવેલ્સના પહેલાના ભાગો માનવ સમાજ પર લખાયેલો કદાચ સૌથી વિનાશક હુમલો છે. તેનો દરેક શબ્દ આજે સુસંગત છે; કેટલીક જગ્યાએ તેમાં આપણા સમયની રાજકીય ભયાનકતાઓની ખૂબ વિગતવાર ભવિષ્યવાણીઓ તરીકે જોવા મળે છે. જોકે, જે પ્રજાતિની તેઓ પ્રશંસા કરે છે તેનું વર્ણન કરવાના પ્રયાસમાં સ્વિફ્ટ નિષ્ફળ જાય છે. છેલ્લા ભાગમાં, ઘૃણાસ્પદ યાહૂથી વિપરીત, આપણને બુદ્ધિશાળી ઘોડાઓ, ઉમદા હૌયહ્નમ્સ બતાવવામાં આવ્યા છે જે માનવ નબળાઇઓથી મુક્ત છે. હવે તેમનાં તમામ ઉચ્ચ ચારિત્ર્ય અને અવિશ્વસનીય સામાન્ય સમજ છતાં આ ઘોડાઓ નોંધપાત્ર રીતે ઉદાસ જીવો છે. અન્ય વિવિધ યુટોપિયાના રહેવાસીઓની જેમ તેઓ મુખ્યત્વે ઝઘડા ટાળવા માટે ચિંંતિત રહે છે. તેઓ અણધારી ઘટનાઓ વિનાનાં, શાંત, 'વાજબી' જીવન જીવે છે. બસ, એ લોકો ઝઘડા, અવ્યવસ્થા અથવા કોઈપણ પ્રકારની અસુરક્ષાથી જ મુક્ત નથી, પરંતુ શારીરિક પ્રેમ સહિતની 'ઉત્કટ લાગણીઓ'થી પણ મુક્ત છે. તેઓ સુપ્ર્જનન સિદ્ધાંતો પર તેમના જીવનસાથી પસંદ કરે છે, સ્નેહના અતિરેકને ટાળે છે, અને જ્યારે તેમનો સમય આવે છે ત્યારે મૃત્યુ પામવા માટે કંઈક અંશે ખુશ દેખાય છે. પુસ્તકના પહેલા ભાગોમાં સ્વિફ્ટે બતાવ્યું છે કે માણસની મૂર્ખાઈ અને બદમાશી તેને ક્યાં દોરી જાય છે: પરંતુ મૂર્ખાઈ અને બદમાશીને દૂર કર્યા પછી તમારી પાસે જે બાકી છે, દેખીતી રીતે, એક હૂંફાળું પ્રકારનું અસ્તિત્વ છે, જે જીવવા યોગ્ય નથી રહેતું.

આમ એટલું બહુ સ્પષ્ટ જણાય છે કે અન્ય-દુન્યવી સુખનું વર્ણન કરવાના પ્રયાસો અત્યાર સુધી બહુ સફળ થયા નથી. સ્વર્ગ યુટોપિયા જેટલું જ નિષ્ફળ છે, જોકે સાહિત્યમાં નરક આદરણીય સ્થાન ધરાવે છે, અને ઘણીવાર તેનું વર્ણન ખૂબ જ ઝીણવટથી અને ખાતરીપૂર્વક કરવામાં આવેલું જોવા મળતું હોય છે.

+                              +                             +                              +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Why Socialists Don't Believe In Fun, 1943નો અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

[1] The Pickwick Papers – Charles Dickens

[2] A Christmas Carol:   A Ghost Story of Christmas – Charles Dickens

[3] The Dream: A novel by H. G. Wells

[4] Men Like Gods – H G Wells

બુધવાર, 26 ઑગસ્ટ, 2026

કેવી રીતે આદિ શંકરાચાર્યે વેરવિખેર દેશને એક કર્યો ! - દેવદત્ત પટ્ટનાઈક

જે લોકો એવો આગ્રહ રાખે છે કે ઇતિહાસ વાસ્તવિક છે અને પૌરાણિક કથાઓ ખોટી છે, તેઓ આદિ શંકરાચાર્યના અદ્વૈતવાદી સિદ્ધાંત: જગત મિથ્યા, બ્રહ્મ સત્યમ્ નો વિરોધ કરે છે. જગત મિથ્યા, બ્રહ્મ સત્યમ્ નો અર્થ થાય છે કે આપણે નિશ્ચિત વૈજ્ઞાનિક નિષ્કર્ષો સહિતનાં જે વિશ્વને અનુભવીએ છીએ તે મૂળભૂત રીતે ભ્રામક અથવા મન-આધારિત જ્ઞાનશાસ્ત્રીય સત્યો છે. એકમાત્ર મન-સ્વતંત્ર સત્તત્વ જ્ઞાનનિંમાસા એ સત્ય બ્રહ્મ છે, સમય અને સંદર્ભ અનુસાર બ્રહ્મનો અર્થ વિવિધ રીતે ભગવાન, આત્મા, ચેતના, ભાષા અથવા અનંત રીતે વિસ્તૃત, શાશ્વત, બિનશરતી મન તરીકે થતો રહ્યો છે. 

વિશ્વને માત્ર ભ્રમ તરીકે જોવાના આ સિદ્ધાંતને માયા-વાદ તરીકે ઓળખવામાં આવે છે, તેણે શંકરાચાર્યને બૌદ્ધો, મીમાંસક (જૂના વૈદિક ગૃહસ્થો) અને વેદાંતીઓ (પછીના વૈદિક સંન્યાસીઓ), શૈવ, વૈષ્ણવ અને શાક્તો સુધી જેવા વિવિધ સમુદાયો અને વૈવિધ્યસભર, દેખીતી રીતે અસંગત, વૈષ્વિક દૃષ્ટિકોણ વડે દેશને એક કરવા સમર્થ બનાવ્યા. આ વાત તેમની વિપુલ સાહિત્યિક અભિવ્યક્તિઓમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

રાજકીય ઋષિ

શંકરાચાર્યનું દર્શન સ્પષ્ટપણે વૈદિક છે. બૌદ્ધ અને જૈનોથી વિપરીત, તેમણે પોતાનું જ્ઞાન વેદોમાંથી મેળવ્યું અને વેદની અવૈયક્તિક શક્તિને આધીન રહ્યા, જેના કારણે તેઓ આસ્તિક બન્યા. તેમના ભાષ્યો અને એક જ વિષય પરનાં પુસ્તકોમાં, તેમણે વારંવાર એક નિરાકાર દિવ્ય (નિર્ગુણ બ્રહ્મ) ને એકમાત્ર વાસ્તવિકતા તરીકે જોયેલ છે, જે બધી દ્વિસંગી વિચારસરણીઓથી પર છે. આ વાત વેદાંત, બ્રહ્મ-સૂત્ર-ભાષ્ય, તેમની સંસ્કૃત કવિતાઓ વિવેકચુડામણિ અને નિર્વાણ-શટકમ અને તેમના ગ્રંથ "આત્મા-બોધ" પરનં તેમના ભાષ્યમાં સ્પષ્ટ થાય છે. ઘણા લોકો આને વિશ્વના બૌદ્ધ વિષયની અસંબંધિત સરકતી જતી ક્ષણોની શ્રેણી તરીકે સ્વીકારે છે, તેથી તે શૂન્યતા (શૂન્યવાદ) સમાન છે. શંકરાચાર્ય તેને વૈદિક વળાંક આપે છે પરિણામે શંકરાચાર્ય પર ઘણીવાર છદ્મવેશી બૌદ્ધ (પ્રછન્ન બૌદ્ધ) હોવાનું આળ મૂકવામાં આવતું રહ્યું છે.

પરંતુ શંકરાચાર્યનું પદ્ય (સ્તોત્ર) પુરાણોમાં દેખાતા દૈવી (સગુણ બ્રહ્મ) ના અનેક મૂર્ત સ્વરૂપોનાં પણ ગુણગાન કરે છે. તેમણે પૌરાણિક દેવતાઓ: શિવ (દક્ષિણામૂર્તિ-સ્તોત્ર), વિષ્ણુ (ગોવિંદ-અષ્ટક) અને શક્તિ (સૌંદર્ય-લહરી) માટેને મહાન સ્વસ્તીવચનો કહ્યાં છે. ભ આનાથી તેઓ વ્યાસ પછી પ્રથમ વૈદિક વિદ્વાન બને છે જેમણે વૈદિક હિન્દુ ધર્મને પૌરાણિક હિન્દુ ધર્મ સાથે સ્પષ્ટ રીતે જોડ્યો, આ વિચારને થોડી સદીઓ પછી વેદાંતના અન્ય ગુરુઓ રામાનુજ, માધવ અને વલ્લભ દ્વારા વધુ વિસ્તૃત કરવામાં આવ્યો હતો. શંકરાએ તંત્ર પર પણ લખ્યું, જે તે સમયની આસપાસ તંત્રની હાજરીને સ્પષ્ટપણે ઈંગિત કરે છે.

નિરાકારતા, શૂન્યતા અને વિશ્વ એક ભ્રમ હોવા અંગેની તેમની બધી ચર્ચાઓ પુઅરાંત શંકરાચાર્યએ ભારતના ૧૨ જ્યોતિર્લિંગ, ૧૮ શક્તિ-પીઠો અને ૪ર વિષ્ણુ-ધામ જેવા પવિત્ર સ્થળોને જોડવાનું કામ કર્યું જેથી ભારતને એક જ દેશ તરીકે સ્પષ્ટ કરતાં યાત્રાધામો દ્વારા સાંકળી શકાય. તેમના લખાણોમાં કોતરાયું ચે તે મુજબ તેમણે કેરળથી કાશ્મીર, હાલના ઓડિશામાં પુરીથી ગુજરાતના દ્વારકા, હાલના કર્ણાટકમાં શ્રૃંગેરીથી ઉત્તરાખંડમાં બદરી, હાલના તમિલનાડુમાં કાંચીથી ઉત્તર પ્રદેશમાં કાશી સુધી, હિમાલયના ઢોળાવ, નર્મદા અને ગંગા નદીઓના કિનારા અને પૂર્વ અને પશ્ચિમ કિનારાઓ સુધી પ્રવાસ કર્યો.

શંકરાચાર્ય એકલદંડા મહેલના ફિલોસુફ નથી; તેઓ એક રાજકીય ઋષિ છે, જે તેમના સમયના ઐતિહાસિક સંદર્ભમાં સંકળાયેલા છે અને તેના વિશે પ્રતિભાવ આપે છે. ફિલસૂફી, પદ્ય અને યાત્રા દ્વારા, તેમણે ભારતના ઉપખંડને એકસૂત્રમાં જોડવાનો પ્રયાસ કર્યો જેનો ઉલ્લેખ હિન્દુ, બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં તેમજ સંકલ્પના વૈદિક વિધિમાં જાંબુલ વૃક્ષના ખંડ, જંબુ-દ્વિપ, અને ભરત રાજાઓની ભૂમિ, ભારત-વર્ષ તરીકે સતત કરવામાં આવતો જોવા મળે છે.

ઐતિહાસિક સંદર્ભ

બ્રહ્મ-સૂત્ર (૧.૩.૩૩) પરના તેમના ભાષ્યમાં, શંકરાચાર્યએ અવલોકન કર્યું છેઃ "કોઈ એવું કહી શકે છે કે જેમ અત્યારે નથી તેમ ક્યારેય કોઈ સાર્વત્રિક શાસક નહોતો." તેમના સમયના તેમના સમાજના વિભાજિત સ્વભાવની આ સ્વીકૃતિ છે અને બૌદ્ધ, જૈન અને હિન્દુ કથાઓમાં જોવા મળતી ચક્રવર્તી અથવા સાર્વત્રિક સમ્રાટની પૌરાણિક કથાને સ્વીકારવાનો ઇનકાર છે.

મોટાભાગના ઇતિહાસકારો સંમત થાય છે કે આદિ શંકરાચાર્ય ૮મી સદીમાં, અથવા ૧,૨૦૦ વર્ષ પહેલાં, બુદ્ધના ૧,૩૦૦ વર્ષ પછી થઈ ગયા છે.

આ સમયગાળો ભારતીય ઇતિહાસમાં ૧,૫૦૦ વર્ષ પહેલાં ગુપ્ત સામ્રાજ્યના પતન અને ૧,૦૦૦ વર્ષ પહેલાં દક્ષિણ એશિયા પર મુસ્લિમ વિજય વચ્ચેના એક મુખ્ય તબક્કાનો હતો. કન્નૌજનો હર્ષવર્ધન મૃત્યુ પામ્યો હતો, રાષ્ટ્રકૂટો નર્મદા નદીના બંને કાંઠે પ્રભુત્વ ધરાવતા હતા, ઉત્તરના પ્રતિહારો, પૂર્વના પાલ અને દક્ષિણના ચાલુક્યો સાથે સતત યુદ્ધમાં હતા. અત્યારે ખૂબ જ પરિચિત છે એવી પ્રાદેશિક ભાષાઓ અને લિપિઓ હજુ સુધી ઉભરી આવી ન હતી. દક્ષિણ ભારતીય મંદિરોમાં તેમના લાક્ષણિક ગોપુરમ પ્રવેશદ્વાર નહોતા, રામાયણનો તમિલમાં અનુવાદ હજુ થયો ન હતો, જયદેવે વિશ્વને રાધાનો પરિચય કરાવતું ગીત-ગોવિંદ લખ્યું ન હતું.

આદિ શંકરાચાર્ય, જેમણે દેશવ્યાપી પ્રવાસ કર્યો હતો, તેમણે દેશના બૌદ્ધિક વર્ગને જોડતી એક જ ભાષા, સંસ્કૃત, દ્વારા વિચારવિનિમય કર્યો હતો.

આ સમયની ભાવનાની કદર કરવા માટે, આપણે ભારતીય સમાજના વ્યાવહારિક વિશ્વનીપુષ્ટિ કરનારા, ધાર્મિક વિધિઓથીબંધાયેલા ગૃહસ્થ અને વિશ્વનો ત્યાગ કરનારા, ધાર્મિક વિધિઓનો અસ્વીકાર કરનારા સંન્યાસી વચ્ચેના મૂળભૂત તણાવને સમજવો જોઈએ.

ગૃહસ્થ વિરુદ્ધ સંન્યાસી

જ્યારે મેસેડોનના એલેક્ઝાંડરે ઇ. સ. પૂર્વે ૩૨૭માં ભારત પર હુમલો કર્યો, ત્યારે વૈદિક વિશ્વનો દૃષ્ટિકોણ ગૃહસ્થની તરફેણ કરતો હતો, જ્યારે બૌદ્ધ (અને જૈન, અને આજીવિક) વિશ્વ દૃષ્ટિકોણ સંન્યાસીની તરફેણ કરતો હતો.

શંકરાચાર્યના સમયમાં, વૈદિક વિશ્વ દૃષ્ટિકોણ ગૃહસ્થની તરફેણ કરતો મીમાંસક વિશ્વ દૃષ્ટિકોણ અને વેદાંતિક વિશ્વ દૃષ્ટિકોણમાં વિભાજિત હતો જે સંન્યાસીની તરફેણ કરતો હતો.

કેટલાક લોકો દલીલ કરે છે કે આમ થવું એ વેદ ધર્મ પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ દર્શાવે છે, જેના કારણે હિન્દુ સર્વોપરીવાદીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઘણીવાર જે બાબતને અવગણવામાં આવે છે તે છે બૌદ્ધ ધર્મ પર વેદ ધર્મનો પ્રભાવ, કારણ કે શંકરાચાર્યના સમયમાં, બૌદ્ધિક સંન્યાસી બુદ્ધનું સ્થાન વધુ સાંસારિક બોધિસત્વ અને તેમના સ્ત્રી સ્વરૂપ, તારા દ્વારા લેવામાં આવ્યું હતું, જે જ્ઞાન (પ્રજ્ઞા) કરતાં કરુણાને મહત્વ આપતા હતા.

અને જ્યારે બ્રાહ્મણવાદી ભદ્ર વર્ગ મીમાંસિકોના ધાર્મિક માર્ગો (કર્મ માર્ગ) અને વેદાંતીના બૌદ્ધિક માર્ગો (જ્ઞાન માર્ગ) પર દલીલ કરી રહ્યો હતો, ત્યારે વ્યાસથી વાલ્મીકિ સુધીના ભારતના કથાકારો સંન્યાસી શિવને દેવી શક્તિ સાથે લગ્ન કરવા માટે ફરજ પાડવામાં આવી રહી હતી, અને વિષ્ણુ લક્ષ્મી અને સરસ્વતીની સંભાળ રાખવા માટે બંધાયેલા હતા એવાં (સુત) પુરાણોની રચના સાથે હિન્દુ ધર્મને નાટકીય રીતે ફરીથી આકાર આપી રહ્યા હતા.

જીવનચરિત્ર

શંકરનો જન્મ કેરળના એક ગરીબ બ્રાહ્મણ (નામ્બુદ્રી) પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ હતું, જે શૈવ મૂળ સૂચવે છે. શંકરની નાની વયમાં જ તેમના પિતાનું અવસાન થયું હતું, એટલે શંકરનો ઉછેર તેમની માતા દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના માને આપણે પણને ફક્ત આર્યમ્બા (ઉમદા મહિલા) તરીકે ઓળખીએ છીએ..તેઓ કૃષ્ણનાં ઉપાસક હતાં, જે તેમનું વૈષ્ણવ મૂળ દર્શાવે છે. તેમની માતાના વિરોધ છતાં, મીમાંસિકો કરતાં પ્રચલિત વેદાંતિક વિશ્વ દૃષ્ટિકોણને શંકર વધારે પસંદ કરતા હતા એટલે તેમણે સંન્યાસ લીધો. તેમના ગુરુ, ગોવિંદ ભાગવતપદ,નું નામ તેમનું વૈષ્ણવ મૂળ સૂચવે છે. તેઓએ નર્મદા નદીના કિનારે સંન્યાસી જીવન ગાળવાનું પસંદ કર્યું હતું. તેઓ બૌદ્ધ ધર્મથી ખૂબ પ્રભાવિત હતા.

મધ્ય ભારતમાંથી, શંકરાચાર્ય કાશી ગયા જ્યાં તેમનો સામનો સ્મશાનગૃહના રક્ષક એક ચાંડાલ સાથે થયો. એ ચાંડાલનો ધર્મ હિન્દુ જાતિના પદાનુક્રમમાં સૌથી પ્રદૂષિત વ્યવસાય હતો. જ્યારે શંકરએ તેમને એક બાજુ ક્સી જવાનું કહ્યું, ત્યારે ચાંડાલે તેમને ઠપકો આપ્યો, "મારું શરીર, કે મારો આત્મા, રૂપ, કે નિરાકાર, મર્યાદિત કે અમર્યાદ?" આ ઘટનાનો શંકરાચાર્ય પર ઊંડો પ્રભાવ પડ્યો, કારણ કે તેનાથી તેઓ સંન્યાસી પરંપરા દ્વારા પ્રસ્તાવિત દેહની અમાન્યતા પર પ્રશ્ન ઉઠાવતા થયા. શંકરાચાર્ય પરંપરાગત વર્ણ-આશ્રમ-ધર્મમાં ખુંપેલા હતા, જ્યાં જાતિની શુદ્ધતા અને પ્રદૂષણ મહત્વપૂર્ણ હતાં. તેથી તેમના ગુરુ તરીકે ચાંડાલનો સ્વીકાર વિશેષ મહત્વ ધરાવે છે. આ ઘટના તેમને મનીષા-પંચકમ રચવા તરફ દોરી ગઈ, જ્યાં તેઓ દ્વૈત (આત્મા અને શરીર અલગ) બનાવતા વિભાજનથી આગળ જુએ છે અને અદ્વૈતની પુષ્ટિ કરે છે. અહીં જ્ઞાનને જાતિથી આગળ વધવાના સાધન તરીકે જોવામાં આવે છે.

ત્યારબાદ શંકરાચાર્ય બિહારના મહિષ્મતીમાં મહાન મીમાંસક વિદ્વાન મંદન મિશ્રાને મળ્યા મંદન મિશ્રને તેમણને કર્મકાંડ (કર્મ) કરતાં જ્ઞાનની શ્રેષ્ઠતા અંગે વિશ્વસ્ત કર્યા. પરંતુ પછી, મંદનનાં પત્ની, ઉભય ભારતીએ, રમતિયાળ રીતે શંકરને કામોત્તેજના (કામ-શાસ્ત્ર) ના જ્ઞાન માટે પડકાર ફેંક્યો. બ્રહ્મચારી શંકરાએ એ વિશે અજ્ઞાનતા પ્રદર્શિત કરી. ત્યારે મહિલાએ તેમને પૂછ્યું કે તેઓ ઇન્દ્રિય આનંદ અને ભાવનાત્મક આત્મીયતાનો અનુભવ કર્યા વિના વિશ્વને કેવી રીતે સમજી શકે છે. ત્યારબાદ જે બન્યું તે રહસ્યમાં ઢંકાયેલું છે, અને પછીના સમયના શુદ્ધિકરણ દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે.

શંકરએ તેમની યોગિક શક્તિઓનો ઉપયોગ કાશ્મીરના રાજા અમરુના શરીરમાં પ્રવેશ કરવા અને તેને તમામ પ્રકારના દેહના આનંદને માણવા માટે લાંબા સમય સુધી જીવંત રાખવા માટે કર્યો. દંતકથા છે કે તેના કારણે શંકરાચાર્ય અમરુ-શટક તરીકે ઓળખાતી શૃંગારિક પ્રેમ કવિતા લખી શક્યા. ત્યારબાદ કાશ્મીરમાં, અને પછીથી શ્રૃંગેરીમાં (હાલના કર્ણાટકમાં), શંકરએ તેમના વ્યક્તિગત દેવતા, શારદાના મંદિરો સ્થાપ્યાં. શારદાને આપણે સામાન્ય રીતે સરસ્વતી તરીકે ઓળખીએ છીએ. તેમના એક હાથમાં એક ગ્રંથ છે. જોકે, તેમની પાસે એક વાસણ અને પોપટ પણ છે, જે ગૃહસ્થ જીવન અને ઇન્દ્રિય જીવનનાં પ્રતીકો છે, અને જે શંકર દ્વારા ઇન્દ્રિયો, દેહ, પદાર્થની સ્વીકૃતિ દર્શાવે છે: બીજા શબ્દોમાં કહીએ તો, તંત્ર. દૈવી સ્ત્રીત્વ, શ્રી-યંત્રના તાંત્રિક ભૌમિતિક પ્રતીક સાથે શંકરનો સંબંધ આ વાતને મજબૂત બનાવે છે. શું શારદાદેવીનું સ્વરૂપ ઉભય ભારતીથી પ્રેરિત હતું, કે પછી ગૃહસ્થ ધ્રમનું જ્ઞાન રજૂ કરતાં રહેતાં તેમની માતાનું હતું? આપણે ફક્ત અનુમાન કરી શકીએ છીએ.

તેમની માતાના મૃત્યુની જાણ થતાં શંકરાચાર્ય માતાના અંતિમ સંસ્કાર કરવા માટે કેરળ પાછા ફર્યા. મગરના હુમલામાં બચી ગયા પછી, જ્યારે માતાએ આખરે તેમને સંન્યાસી બનવાની પરવાનગી આપી હતી ત્યારે શંકરે પોતાની માતાને આ વચન આપ્યું હતું.

જોકે, વૈદિક પરંપરામાં, ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યા પછી, સંન્યાસી અંતિમ સંસ્કાર જેવી ગૃહસ્થ વિધિઓ કરી શકતો નથી. સંન્યાસી તરીકે, શંકરએ પુત્ર તરીકેની ભૂમિકા છોડી દીધી હતી, અને તેથી તેમની માતા પ્રત્યે કોઈ જવાબદારી નહોતી. પરંતુ શંકરએ અહીં એક સતાની અવજ્ઞા કરતા ક્રાંતિકારીની ભાવના દર્શાવી. જ્યારે તેમને સ્મશાનમાં માતાના સંસ્કાર કરવાથી રોકવામાં આવ્યા, ત્યારે તેઓ તેમની માતાના શરીરને તેમના ઘરના પાછળના આંગણામાં લઈ ગયા અને ત્યાં ધાર્મિક વિધિઓ કરી.

ત્યારબાદ તેઓ ભારતભરમાં પ્રવાસ કરવા લાગ્યા, ભારતના ચારે ખૂણામાં પોતાની સંસ્થા (મઠ) સ્થાપ્યા. તેમના પ્રવાસો દરમિયાન તેઓ યાત્રાળુઓના માર્ગોની મુલાકાત લેતા અને તેના નકશા બનાવતા રહ્યા. કહેવાય છે કે તેમણે સંન્યાસીઓના વિવિધ અખાડાઓની સ્થાપના કરી હતીઽ. અખાડાઓમાંના સંન્યાસીઓએને તેમણે હિન્દુ ધર્મના રક્ષણ માટે તેમના જ્ઞાન, શારીરિક અને યોગિક શક્તિઓનો ઉપયોગ કરવાનું જણાવ્યું. કુંભ મેળા દરમિયાન તીર્થ સ્થળોએ આ અખાડાઓને લઈ જવાનું અને તેમની સભાઓનું પણ શંકરાચાર્યએ આયોજન કર્યું.

શંકરાચાર્યનું મૃત્યુ બત્રીસ જ વર્ષની નાની ઉંમરે હિમાલય ક્ષેત્રમાં થયું હતું. કથા એવી છે કે તેમના પિતાએ જ્યારે દેવતાઓ પાસેથી વરદાન મગ્યું હતું ત્યારે લાંબાં આયુષ્યવાળા સામાન્ય પુત્ર કરતાં, ટૂંકા આયુષ્યવાળા મહાન પુત્રની તેમણે ઇચ્છા રાખી હતી. દંતકથા અનુસાર, એક અકાલપરિપક્વ પ્રતિભાસંપન્ન બાળક તરીકે આઠ વર્ષની ઉંમરે મૃત્યુ થવાનું હતું, પરંતુ તેમને આઠ વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો જેથી તેઓ વેદોના સત્યને ખોદી શકે. તેમના ભાષ્યો અને એક વિષય પરના ગ્રંથો એટલા તેજસ્વી હતા કે વેદોના પૌરાણિક આયોજક વ્યાસે પોતે તેમના વિચારોને વિશ્વમાં ફેલાવવા માટે તેમનું આયુષ્ય બીજા ૧૬ વર્ષ લંબાવી આપ્યું હતું.

શંકરાચાર્યના જીવનનૂ અર્થઘટન



વિદ્વાનોને આશ્ચર્ય થાય છે કે શું જ્ઞાનને મહત્વ આપનાર દાર્શનિક શંકર અને ભક્તિ કવિતા રચનાર શંકર એક જ હતા. શું તીર્થસ્થાનોની સ્થાપના કરનાર શંકર એ જ હતા જેમણે ભજ ગોવિંદમમાં આટલી સુંદર રીતે વ્યક્ત કરાયેલ નિરર્થક વિધિઓની વાત પણ કરી હતી? શું તેઓ વૈદિક હતા કે તાંત્રિક હતા? તેઓ શૈવ હતા કે વૈષ્ણવ, કે શાક્ત હતા? શું તે આ કે તે, કે પછી બંને, કે બેમાંથી કોઈ નહીં? શું તેઓ બૌદ્ધ વિરોધી હતો કે બૌદ્ધ તરફી વિધ્વંસક હતા? તેમના જીવન દર્પણના વિવિધ કકડાઓ શંકરાચાર્યના સમયમાં ભારતને આકાર આપનારા વિવિધ વિભાજિત વૈશ્વિક દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, અને આજે પણ એ દૃષ્ટિકોણ વિભાજિત દરશન જ રજૂ કરે છે.

મધ્ય પૂર્વ, યુરોપ અને અમેરિકાની તુલનામાં ભારતની વિવિધતા નિર્વિવાદ છે. તે વિશ્વને મૂંઝવણમાં મૂકે છે. બહારના લોકો માટે, એ વૈવિધ્યમાં અસ્તવ્યસ્તતા છે, અને એવો સમાજ પતન અને વિભાજનને આરે છે. અંદરના લોકો માટે, તેમાં ઉન્મત પાગલપનનો અર્થ રહેલો છે. તેથી ભારત વિશેનો બાહ્ય અને આંતરિક દૃષ્ટિકોણ અલગ છે.

બહારના લોકો ભારતની વિવિધતાને વિભાજનકારી દ્રષ્ટિકોણથી જોવાનું વલણ ધરાવે છે: તે કાં તો ઊંચનીચ (જાતિવાદ, મનુસ્મૃતિ દ્વારા લાદવામાં આવેલ બ્રાહ્મણવાદ) નું પરિણામ છે, અથવા બૌદ્ધોના, સાતત્યક્રમને નકારતા, શૂન્યવાદને પ્રતિબિંબિત કરતી જટિલ અનુઆધુનિક દલીલો પ્રમાણે, ભારત અસ્તિત્વમાં ન હોવાનું કહેવા માટે થાય છે. તેનાથી વિપરીત, એક અંદરની વ્યક્તિ તરીકે, શંકરાચાર્યએ ખંડિત અને સીમિત વૈશ્વિક દૃષ્ટિકોણનાં લોકશાહીકરણ કરવા માટે ભ્રમના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો: આ જગત અંગેનાંં બધા મંતવ્યો, બધી ધારણાઓ, શબ્દોની બધી સમજણો અપૂર્ણ અને અધુરી છે, પરંતુ એ બધાં આપણને એવું ધારવામાં ભ્રમિત કરે છે કે તેઓ પૂર્ણ અને પુરાં છે.

શંકરાચાર્યને સમજવા માટે, આજની રાજકીય અને વૈજ્ઞાનિક વિચારધારાને પણ પ્રભાવિત કરતી એક જ સાચા ભગવાન અને અન્ય દેવો ખોટા એવા દૃઢ અબ્રાહમિક દ્વિસંગી અભિગમથીઆપણે મુક્ત થવાની જરૂર છે. આપણે હિન્દુત્વના, એકદમ પ્રવાહી, દ્વિસંગી દૃષ્ટિકોણ તરફ આગળ વધવું પડશે જ્યાં દૈવત્વ (દેવ , મૂડીકરણ વિના) મર્યાદિત અને (ઈશ્વર, મૂડીકરણ સાથે) અમર્યાદિત હોઈ શકે છે; જ્યાં સ્વરૂપ અને નિરાકાર દૈવીનો સંબંધ ધ્વનિ અને અર્થ વચ્ચેના સંબંધ જેવો છે જેના વિના કોઈ શબ્દનું અસ્તિત્વમાં શક્ય નથી.

શંકરાચાર્ય પોતાની આસપાસની દુનિયાને બૌદ્ધોની જેમ ખંડિત ક્ષણિક મર્યાદિત સત્યોથી ભરેલી જુએ છે. જોકે, બૌદ્ધોથી વિપરીત, તેઓ ચોક્કસપણે માને છે કે તેઓ એક અખંડ શાશ્વત અમર્યાદિત સત્યના મંચ પર અસ્તિત્વ ધરાવે છે જે અર્થ અને મૂલ્યને અસ્તિત્વમાં રાખે છે. પહેલું સુલભ છે; બીજું દિવ્ય અને માયાવી છે. જીવનના અનુભવો મર્યાદિત અને ક્ષણિક આનંદ અને દુ:ખથી ભરેલા છે. દિવ્ય આધાર વિના, જીવન અર્થહીન, મૂલ્યહીન બની જાય છે.

આપણા બધાની અંદર અને બહાર કંઈક કાયમી અને એકરૂપ છે એવાં બ્રહ્મનો અસ્વીકાર શૂન્યવાદમાં પરિણમે છે, અને સ્વ (નિર્વાણ) ની વિસ્મૃતિ સાથે મઠના હઠાગ્રહ તરફ દોરી જાય છે, જ્યારે બ્રહ્મનો સ્વીકાર વ્યક્તિને જીવનની સુંદરતા, તેના રંગ, તેના રસ, તેની લાગણીઓ (ભાવ), તેના અનુભવો, નશ્વરતા દ્વારા વધુ સુંદર બનતી દિવ્યતાની વિવિધ અભિવ્યક્તિઓ તરીકે માણવા સક્ષમ બનાવે છે. તેથી, શંકરાચાર્ય દ્વારા, પુરાણોમાં વૈદિક સત્યોને ઉજાગર કરતાં હિન્દુ પૌરાણિક કથાઓના ઉત્તેજક પાત્રોને આપવામાં આવેલું મહત્વ તેમને સમગ્ર ભારતમાં, પર્વતોની ટોચ પર, ગુફાઓમાં અને નદીઓના સંગમ પર આવેલાં તીર્થ સ્થળોએ સ્થાયી કરે છે,. જોકે આ એક એવો વિચાર જે પરંપરાગત વૈદિક ધાર્મિક કર્મકાડીઓઓને ભયભીત કરશે.

ભારતમાં બૌદ્ધ ધર્મનો વિકાસ ન થયો તેનું એક કારણ કલાવ્યાસંગને ક્ષણિક ભોગવિલાસ તરીકે જોવું એવું કલાઓથી તેનું સ્પષ્ટ અંતર છે. તેનાથી વિપરિત , પૌરાણિક હિન્દુ ધર્મમાં દેવતાઓ વિવેક દૃષ્ટિની સમજણ વ્યકત કરવા માટે નૃત્ય અને ગાયન કરતા. બૌદ્ધ ઉચ્ચ વર્ગના લોકો બૌદ્ધ મંદિરોમાં, જનતામાં લોકપ્રિય એવી, ધાર્મિક વિધિઓથી દૂર રહ્યા. તેનાથી વિપરીત, શંકરાચાર્યને સમજાયું કે કથાઓ અને ગીતો લોકો સાથે કેવી રીતે સંકળાય છે અને જીવનના વિસ્તૃત દૃષ્ટિકોણનો માર્ગ કેવી રીતે બનાવે છે. તેથી તેમણે પૌરાણિક મંદિરો અને તેમની ધાર્મિક વિધિઓને એવી રીતે અપનાવી, જે પ્રમાણમાં વધુ સમાવિષ્ટ (જાતિવાદના નિયમો હજુ પણ પ્રચલિત હતા), અને વધુ કઠોર વિશિષ્ટ વૈદિક ધાર્મિક વિધિઓ કરતાં વધુ કલાત્મક અને જાહેર હતી. આમ થવાથી હિન્દુ ધર્મના તારણહાર તરીકે શંકરાચાર્યનીની લોકપ્રિયતા સ્થાપિત થઈઅ.

કયું ભાષ્ય, કવિતા, તીર્થયાત્રા, વિશ્વ દૃષ્ટિકોણ, કે ઈશ્વર વધારે શ્રેષ્ઠ કે વધારે વ્યાપક ભાગ છે તે અંગે દલીલ કરવાને બદલે, શંકરાચાર્ય ભારપૂર્વક કહે છે કે એકમાત્ર સત્ય જે મહત્વનું છે તે બ્રહ્મ છે, જે તર્ક અને દલીલ દ્વારા અપ્રાપ્ય છે, અને ફક્ત શ્રદ્ધા દ્વારા, વેદના માર્ગે જ પહોંચી શકાય છે.

શું આ વાસ્તવિકતા છે, કે વ્યૂહાત્મકતા છે? આપણે ખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથી. પણ, આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે શ્રેષ્ઠ કંઈ નથી, અને બધું ભ્રામક ન હોય, તો પરસ્પર આદર, એકબીજાની અપૂર્ણતાઓ પ્રત્યે જાગૃતિ, અને પરસ્પર પૂરક અથવા પૂરક બનવાની સહાનુભૂતિ, વિકલ્પ તરીકે હોઈ શકે છે.

જ્યાં સુધી આપણે જ્ઞાનથી દૂર રહીએ છીએ ત્યાં સુધી શાંતિ આપણાથી દૂર રહે છે. જ્યારે આપણે આપણી યાત્રાને અન્ય દૃષ્ટિકોણથી કરીએ છીએ ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે - જેમ કે શંકરાચાર્ય તેમના ગુરુ, ચાંડાલ, ઉભય ભારતી અને અંતે તેમની માતા સાથે જોડાયા - અને એક વિશાળ દિવ્ય મનથી સ્વતંત્ર વાસ્તવિકતા, બ્રહ્મમાં વિશ્વાસ ધરાવતા થયા.

વાદવિવાદ

ઘણા લોકો માને છે કે શંકરાચાર્યનું દર્શન બૌદ્ધિક વર્ગ માટે છે, અને તેમની કવિતા અને તીર્થયાત્રાઓ ઓછા બૌદ્ધિક લોકો માટે છે. આ નમ્ર સૂચન ઘણીવાર એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ પોતાને બૌદ્ધિક માનતા હોય છે કારણ કે તેઓ શંકરાના વિવિધ કાર્યને એકીકૃત સમગ્ર તરીકે જોવામાં નિષ્ફળ જાય છે.

ઘણા લોકો માને છે કે શંકરાચાર્યનું દર્શન બૌદ્ધિક વર્ગ માટે છે, અને તેમનું પદ્ય અને તીર્થયાત્રાઓ ઓછા બૌદ્ધિક લોકો માટે છે. આ નમ્ર સૂચન ઘણીવાર એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ પોતાને બૌદ્ધિક માનતા હોય છે કારણ કે તેઓ શંકરાચાર્યના વિવિધ કાર્યને એકીકૃત સમગ્ર તરીકે જોવામાં નિષ્ફળ જાય છે.

ભારતીય ઇતિહાસના કોઈપણ પ્રાચીન અથવા મધ્યયુગીન વ્યક્તિની જેમ, શંકરાચાર્યના જીવન વિશેની કાલ્પનિક કૃતિઓથી હકીકતને અલગ કરવી મુશ્કેલ છે. વિદ્વાનોને ચોક્કસપણે કહી શકે તેમ નથી કે તેમની કઈ સાહિત્યિક કૃતિઓ પ્રમાણિત રૂપેતે તેમની છે, અને કઈ કૃતિઓ કાયદેસરતા અથવા લોકપ્રિયતા મેળવવા માટે તેમને આભારી છે. કોઈ શું પસંદ કરે છે તેના આધારે, શંકરાચાર્યને શિવના અવતારમાં ફેરવી શકાય છે, હિન્દુ ધર્મના આર્ષપ્રણેતા જેણે બૌદ્ધોને હાંકી કાઢ્યા, એક અદ્ભુત અને ફળદાયી તર્કશાસ્ત્રી અને કવિ, એક સવર્ણ જાતિવાદી હિન્દુ, કે વિરોધાભાસનો સમાધાન કરનાર તરીકે મુકી શકાય છે. 

સૌથી રસપ્રદ વાત એ છે કે તેમના જન્મ પછી સદીઓ પછી લખાયેલી તેમની (અતિશયોક્તિપૂર્ણ) જીવનકથાઓ ને ઘણીવાર દિગ્-વિજય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મંદન મિશ્રા જેવા ફિલસૂફ સાથેના તેમના મુકાબલાઓનું વર્ણન લડાયક અને વિજયી શબ્દોમાં કરવામાં આવ્યું છે.

વાદવિવાદમાં બૌદ્ધિકોને હરાવવાના આ જુસ્સાનો સંબંધ જ્ઞાનનો વિસ્તાર કરવા કરતાં અહંકારને પ્રેરિત કરવાનો વધારે જણાય છે. ખરો વૈદિક ફિલસૂફ આવી પ્રવૃત્તિમાં જોડાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે વેદ અહંકાર (અહમ) ને ગ્રહણ તરીકે જુએ છે જે, દરેકની અંદર આત્મા તરીકે રહેતા, બ્રહ્મ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને અવરોધે છે..

અહંકાર હિંસા અને ઉલ્લંઘન પર ખીલે છે અને તેથી ચર્ચા (સમ-વાદ) કરતાં દલીલ (વિ-વાદ) પસંદ કરે છે. વિ-વાદચર્ચાને, આપણે સમજવા માટે નહીં પણ જવાબ આપવા માટે સાંભળીએ છીએ, આમ અજ્ઞાન (અવિદ્યા) માં ફસાયેલા રહીએ છીએ. સમ-વાદ ચર્ચાને, આપણે આપણા વિચારોને સુધારવા, જ્ઞાન (વિદ્યા) મેળવવા માટે સાંભળીએ છીએ. કદાચ શંકરાચાર્ય વિશેની આપણી સમજ તેમના, પ્રભુત્વના વિચારને પસંદ કરતા, બિન-બૌદ્ધિક ચાહકો અને અનુયાયીઓની મહત્વાકાંક્ષાઓથી ખડાયેલી છે. આ વાત પરિચિત લાગે છે ને? 

પરંતુ આપણે ખરાબ વિચારમાં રહીને જેટલો વધુ દલીલ કરીએ છીએ, તેટલા જ આપણે તેમાં ફસાઈએ છીએ. આપણે વફાદાર વિરોધમાં પરિણમીએ છીએ. આ અભિગમનેને છોડી દેવો અને વૈકલ્પિક વિચારો શોધવા એ વધુ મહત્વનું છે. આ નિબંધ આ વૈકલ્પિક વિચારને રજૂ કરવાનો પ્રયાસ છે: જગતને મિથ્યા, બ્રહ્મને સત્યમ (શ્લોક ૨૦, બ્રહ્મજ્ઞાનાવલિમાળા) તરકે જોઈએ; અનુભવને ભુંસી કાઢવા કે હિન્દુ સર્વોપરિતા સ્થાપિત કરવા માટેના નિવેદન તરીકે નહીં, પરંતુ અનેક વિચારોને સ્વીકૃતિ આપવા, સ્વીકારવા અને આત્મસાત કરવા, ભારતમાં અને વૈશ્વિક ગ્રામમાં, વિવિધતામાં એકતા શોધવા માટેનાં એક સરળ માળખા તરીકે જોઈએ.


  • Scroll.in માં ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How Adi Shankaracharya united a fragmented land નો અનુવાદ  | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા, વિશ્વ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ૨૬ ઓગસ્ટ ૨૦૨૬

બુધવાર, 19 ઑગસ્ટ, 2026

શતમ્ જીવ શરદ: - ૫ચાસે પહોંચ્યા પછી, મનની શાંતિ જળવાઈ રહે એ સારૂ, તમારી નાણાકીય સ્થિતિમાં પાચ ફેરફાર આવશ્યક બની રહે છે

 

હવે પછીનું જીવન કેવું રહેશે?

આપણામાંથી ઘણા લોકો માટે, ૫૦ અને ૬૦ ના દાયકામાં, આ પ્રશ્ન હવે કાલ્પનિક નથી રહ્યો - તે વ્યક્તિગત છે. આપણે સ્વસ્થ છીએ, લાંબું જીવીએ છીએ અને જીવનના હજુ બીજા ૩૦-૪૦ સક્રિય વર્ષોના ઉંબરે ઉભા છીએ. પરંતુ જ્યારે આયુષ્ય વધ્યું છે, ત્યારે તે સમય સાથે શું કરવું તે અંગે સ્પષ્ટતા સમય સાથે તાલ મેળવી શકી નથી.

વિચાર કરી મૂકતી આ શ્રેણી, Live to 100”. માં સંજય મેહતા આપણને થોભીને, વધતી ઉમર વિશે નહીં પણ જીવનને વધારે ઉંડાણથી જીવવા વિશે, વિચાર કરવાનું કહે છે.

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

સજા ન કરીએ, સુધારવાની તક બતાવીએ

તન્મય વોરા

ઘણી સંસ્થાઓમાં આ મુજબની કાર્યપ્રણાલી જોવા મળે છે -
 

સંસ્થાની કાર્ય પ્રક્રિયાઓનું ઘડતર ISO જેવાં કેટલાંક ચોક્કસ માપદંડો કે ધારાધોરણોને પ્રમાણિત કરવાના ઉદ્દેશ્યથી થતું હોય છે. સમગ્ર સંસ્થામાં એ કાર્ય પ્રક્રિયાઓ એમ સમાન રીતે અમલ કરવામાં આવતી હોય છે. પરિણામે કાર્ય પ્રક્રિયાઓ કર્ય કરવાની સ્વાભાવિક લય ચુકીને માત્ર નિશ્ચિત ધારાધોરણનાં અનુપાલનનું માધ્યમ બની જાય છે. કેટલીકવાર, સંસ્થાના સંચાલન અગ્રણીઓ વ્યક્તિઓના કાર્યસિદ્ધિ પ્રદર્શનને અનુપાલનના સ્તરની સાથે જોડવાની જાળમાં ફસાઈ જાય છે. પરિણામે, સંસ્થામાં "મર્યાદા"સિમિત  માનસિકતાનું વાતાવરણ ઘેરાઈ જાય  છે. જો લોકો અનુપાલન કરવામાં અસફળ રહે, તો તેમને સજા કરવામાં આવતી હોય છે. આપણે પ્રક્રિયા પાલનના એટલે હદે હઠાગ્રહી બનવા લાગીએ છીએ કે લોકો વાસ્તવિક અને વ્યવહારિક સ્તર  મુદ્દાઓનો સામનો કરી રહ્યાં હોય છે તે આપણી નજરમાં નથી આવતા.

મેં મારાં પુસ્તક #QUALITYtweet – 140 bite-sized ideas to deliver quality in every projectમાં લખ્યું છે કે પ્રક્રિયાને ગુણવત્તા ઘડતરના સાધન તરીકે નહીં ગણીએ, તો પ્રક્રિયા આપણને દોરવણી આપવાની વૃત્તિ ધરાવવા લાગે છે.

મારા મતે આમ થવું ખૂબ જ પ્રતિ-ઉત્પાદક છે. પ્રક્રિયા સુધારણા માટે જવાબદારા અગ્રણીઓ માર્યાદા-સિમિત માનસિકતાનાં કોચલામાંથી બહાર નીકળીને પ્રક્રિયા અમલનો અભ્યાસ કરે તે જરૂરી છે.

 લોકો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી, ત્યારે તેનો અર્થ એ થાય છે કે કાં તો તેઓ પ્રક્રિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી અથવા  પ્રક્રિયાની જે રીતે બાંધણી  કરાઈ છે તે તેમના માટે કામ કરતી નથી. બંને કિસ્સાઓમાં, પ્રક્રિયાને મૂળથી સુધારવાની તક છે.

અહીં કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે જે જ્યારે કોઈ પ્રક્રિયા કામ કરતી નથી ત્યારે આત્મનિરીક્ષણમાં મદદ કરી શકે છ, :

·       શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ખરેખર લોકોને તેમનું કાર્ય વધુ સારી રીતે કરવામાં મદદ કરે છે?

·       શું લોકોને જાણે છે કે આ પ્રક્રિયા શા માટે જરૂરી છે અને તે તેમને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકે છે? શું તેઓ આ પ્રક્રિયા રાખવા પાછળના હેતુ વિશે સ્પષ્ટ છે?

·       શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ને એવી રીતે વધુ સરળ બનાવી શકાય જેથી જે છે એટલી , કે વધુ સારી રીતે, અસરકારક બની રહે?

·       શું કોઈ એવું કાર્ય નજરે ચડે છે કે જે વર્તમાન પ્રક્રિયાઓના સમૂહમાં આવરી લેવાયેલ નથી?

·       શું લોકોને પ્રક્રિયા કેવી રીતે કરવી તેની પુરતી જાણ ન હોય તો વધારાની કેવી અને કઈ તાલીમ/કાઉન્સેલિંગની જરૂર છે? શું સસ્થા પાસે એ માટે જરૂરી માર્ગદર્શન/સંદર્ભો ઉપલબ્ધ છે?

·       શું સંસ્થામાંના મધ્યમ સ્તરમાં આવેલા સંચાલકો પ્રક્રિયાઓ રાખવા માટેના સંસ્થાના દૃષ્ટિકોણ સાથે વૈચારિક અને લાગણીના સંબંધે સંકળાયેલા છે, તેમની ટીમનાં સભ્યો પ્રક્રિયાને સહેતુક અનુસરે એ માટે પોતાનાં વાણી અને વર્તનથી યોગ્ય દાખલો બેસાડી રહ્યા છે?

મુખ્ય વાત: પ્રક્રિયાઓનો અમલ કરતી વખતે વ્યવહારિક અભિગમ અપનાવાય એવું વાતાવરણ સર્જાતું અને જળવાતું રહેવું જરૂરી છે.જ્યારે પ્રક્રિયાઓનું પાલન ન થતું હોય, ત્યારે લોકોને તરત જ ટપકારવાને બદલે, ઘણીવાર "શા માટે?" (પાલન નથી થઈ શકતું) એમ પૂછવું જોઈએ. પાલન ન કરવાના મૂળ સુધી પહોંચવાથી તમને વાસ્તવિક સમસ્યા શું છે તે જાણવા મળશે. પાલન ન થવું એ ફક્ત એક દેખીતી ઘટના છે. યોગ્ય પ્રશ્નો પૂછવામાં અને તેમના જાવાબો શોધવામાં, તેમજ પ્રક્રિયા ખરેખર હેતુને પૂર્ણ કરેવા માટે સુસંગત અને પર્યાપ્ત છે તેનું મૂલ્યાંકન કરવામાં તમારી ટીમના દરેક  સભ્યને સામેલ કરો.

સ્રોત સંદર્ભ::  Don’t Just Punish Them If They Don’t Comply

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ