આ ભાગલા ૧૯૧૯માં જલિયાંવાલા બાગ ખાતે અંગ્રેજો દ્વારા કરાયેલા હત્યાકાંડ તરીકે પ્રગટ થાય છે, જે હવે એક પર્યટન સ્થળ પણ છે. આ ભાગલા ૧૯૮૪માં ઓપરેશન બ્લુ સ્ટાર તરીકે પ્રગટ થાય છે, જ્યારે ભારતીય સેનાએ સુવર્ણ મંદિર સંકુલમાં દાખલ થવું પડ્યું હતું. આ ભાગલા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) ની સરમુખત્યારશાહી શૈલી સામે વ્યગ્રતા તરીકે પ્રગટ થાય છે એસજીપીસી ૧૯૨૫ના ગુરુદ્વારા સુધારણા અધિનિયમથી સુવર્ણ મંદિર સંકુલના વહીવટકર્તા છે, જેમણે, શીખ પરંપરાની ગાથાઓના એક સમયના રક્ષકો, ઉદાસી સંપ્રદાયના સાધુઓને બાજુ પર કર્યા છે. આ ભાગલા મીરી-પીરી તરીકે પ્રગટ થાય છે - શીખ સમુદાયના ખાલસાના નેતૃત્વનાં સ્થાનક અકાલ તખ્તમાં મૂર્તિમંત થયેલ લૌકિકતા (મીરી) અને અમરત્વ (અમૃત) પ્રદાન કરવાનું મનાતાં માનવસર્જિત સરોવરની મધ્યમાં આવેલ હરમિંદર સાહિબ - સુવર્ણ મંદિરનું વિધિપુરઃસરનું નામ-ની દિવ્યતા (પીરી) વચ્ચે વિભાજન દર્શાવે છે.
પછી ઐક્ય આવે છે: જ્યારે તમે તળાવમાં ડૂબકી લગાવો છો, અને મંદિર અથવા ગુરુદ્વારા (ગુરુનું દ્વાર)માં પ્રવેશ કરો છો; જ્યારે તમે ગુરુ ગ્રંથ સાહિબ (શીખોનો પવિત્ર ગ્રંથ) સમક્ષ નમન કરો છો; જ્યારે તમે ગુરુઓ, સંતો અને પીરોના ભક્તિ અને સૂફી પરંપરાઓમાંથી ગ્રંથસાહિબમાંના જ્ઞાની શબદો અને ગીતોનું શ્રવણ કરો છો ; જ્યારે તમે સાંપ્રદાયિક ભોજનગૃહ (લંગર) માં ભોજન કરો છો; જ્યારે તમે સેવા કરતી વખતે જપ અને પ્રાર્થના (સિમરન) કરતાં કરતાં રસોઈ, સેવા અને સફાઈ કરો છો અને બીજાઓને પણ ધર્મ, જાતિ, વર્ગ, રાષ્ટ્રીયતા, જાતિ, લિંગ અથવા જાતિયતાને ધ્યાનમાં લીધા વિના, સંપૂર્ણ વિનમ્રતા અને ધર્મનિષ્ઠા સાથે આમ કરતા જુઓ છો. અહીં, મનુષ્ય ભગવાન સાથે જોડાયેલો છે, અને એવી દૈવી શક્યતા જૂએ છે કે બધા વાડાઓનું વિસર્જન થાય જેથી ઊંચનીચ, પ્રભુત્વ અને સત્તા સંઘર્ષો પણ નિશેષ થાય, કારણ કે હવે ભય રહેતો નથી અને પ્રાદેશિક સંકુચિતતા રાખવાની કોઈ જરૂર નથી.
આ વિચાર શીખ પરંપરાના મૂળ-મંતરમાં સમાવિષ્ટ છે જે ભય, દ્વેષ, મૃત્યુ, જન્મથી પરે એવી સાર્વત્રિક એકતા, સર્વોચ્ચ અપરિવર્તનશીલ સત્યવાદ, સર્જક, પાલનહારનું દ્યોતક છે, અને જે સ્વયં-સમાવિષ્ટ છે અને ગુરુની કૃપા તરીકે પ્રગટ થાય છે તેનું વર્ણન કરે છે. શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક, જે ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયા હતા, તેમણે આ શીખ ધર્મની રચના કરી હતી.
શીખ ધર્મ ભૌગોલિક, ઐતિહાસિક અને માનસિક રીતે હિન્દુ ધર્મ અને ઇસ્લામ એમ બે મુખ્ય ધર્મોના આંતરછેદ પર ઉભરી આવ્યો: અને એ બે પ્રભાવોને ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે, હરમિંદર નામ 'હરિ કા મંદિર' પરથી ઉતરી આવ્યું છે, જેમાં હરિ એ હિન્દુ દેવતા, વિષ્ણુનું ઉપનામ છે, પરંતુ શીખ ધર્મમાં તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે બધા સાંપ્રદાયિક અર્થોને દૂર કરે છે. રસોડા સંપૂર્ણપણે શાકાહારી છે. પરંતુ હિન્દુ ધર્મથી વિપરીત, શીખ ધર્મ સ્પષ્ટ રીતે વર્ણવાયેલ પવિત્ર ગ્રંથ દ્વારા ખૂબ જ સંગઠિત છે, જ્યાં ગીતો ભગવાનને નિરાકાર અને નિર્ગુણ તરીકે રજૂ કરે છે અને જે જુલમ વિના ન્યાયની દુનિયાને સન્માન આપે કરે છે. આદિ ગ્રંથ તરીકે ઓળખાતા, ગુરુ ગ્રંથ સાહિબ, ૩૦૦ વર્ષ પહેલાં ધર્મને વિધિપુરઃસરનો બનાવ્યો એવા અંતિમ, દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ દ્વારા જાહેર કરવામાં આવેલ.
ગુરુ ગ્રંથ સાહિબને એક ઉચ્ચ સ્થાન (તખ્ત) પર મૂકવામાં આવે છે અને તેને કાપડ (રુમાલ) થી ઢાંકવામાં આવે છે અને તેના પર ચોવરી (ચૌર), યાકની પૂંછના વાળમાંથી બનાવેલ ચમર ઢોળાતું રાખવામાં આવે છે. પ્રાચીન ભારતમાં, ચોવરી ફક્ત રાજાઓ માટે અનામત હતી. મંદિરોમાં, તે ફક્ત રામ માટે અનામત હતી, કારણ કે રામ વિષ્ણુનો રાજાશાહી અવતાર છે. ૨૦૦ વર્ષ પહેલાં હરમિંદર સાહિબને સોનાથી માઢાવી આપનાર મહારાજા રણજીત સિંહ સહિત શીખ રાજાઓએ પોતાને આ સન્માનથી બાકાત રાખ્યા હતા, જેથી શીખ લોકોને યાદ અપાવી શકાય કે અંતિમ આણ જેમના માટે ચોવરી હંમેશા માટે અનામત રાખવામાં આ વેલ છે એ ગ્રંથસાહિબની જ રહે છે.
શીખ ધર્મના ગુરુઓ, શરૂઆતથી જ, સમાજને વિભાજીત કરનારા તમામ પરિબળોનો અંત લાવવા માંગતા હતા. ધાર્મિક ભાગલા, જાતિ આધારીત ભાગલા, વર્ગ આધારીત ભાગલા, લિંગ આધારીત ભાગલા જેવા મોટાભાગના ભાગલા ખાવાના કૃત્યમાં જોવા મળતા હતા. હિન્દુઓ મુસ્લિમો સાથે બેસીને ખાતા નહોતા, બ્રાહ્મણો દલિતોના ખોરાકને સ્પર્શતા નહોતા, પુરુષો પહેલા ખોરાક ખાતા હતા અને પછી ઘરની સ્ત્રીઓ જમતી. પ્રતીકાત્મક રીતે, લંગર આ સીમાઓ અને ઉંચનીચના ભેદને ઓગાળી દે છે: દરેક વ્યક્તિ રસોઈ કરે, પીરસે અને સાથે બેસીને ખાય. આમ 'ભોગ' ની હિન્દુ વિધિ એવા શીખ રિવાજમાં પરિવર્તિત થાય છે જે સમાનતા સ્થાપિત કરે છે. અલબત્ત, કર્મશીલો જાતિ અધારીત વિભાજન તરફ નિર્દેશ કરે છે જે ભારત અને વિદેશમાં, આધુનિક શીખ ગુરુદ્વારાઓમાં વધુને વધુ ઘૂસી રહેલાં જોવા મળે છે. તેમાં પણ જાટ શીખ અને દલિત શીખ વચ્ચેનાં વિભાજન વધારે ઊંડા જણાય છે.
શીખ ધર્મ સતત ગૃહસ્થના જીવનને સંન્યાસીઓ કરતાં વધુ મૂલ્યવાન માને છે. લગ્ન અને પરિવારને સમાજના પાયા તરીકે જોવામાં આવતા હતા. પવિત્ર ગ્રંથમાં સ્ત્રી સંતો દ્વારા લખાયેલા કોઈ ગીતો નથી, પરંતુ તે વારંવાર લિંગ સમાનતા વિશે વાત કરે છે, જે પાંચ સદીઓ પહેલા તો એક ક્રાંતિકારી વિચાર હતો. જો શીખ ધર્મ સ્વીકારનાર પુરુષને સિંહ (સિંહ) કહેવામાં આવતો હતો, તો સ્ત્રીને સિંહણ (કૌર) કહેવામાં આવતી હતી, આમ શીખ સ્ત્રીને પોતાની એક ઓળખ આપવામાં આવતી હતી, જે તેના પિતા કે પતિ પર આધારિત નથી. શીખ ધર્મમાં મહિલાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉદાહરણ તરીકે, માઈ ભાગોની કથા છે જેમણે ૧૮મી સદીમાં સૈન્યમાંથીભાગી નીકળેલા ૪૦ લોકોને પ્રેરણા આપી અને બદલી નાખ્યા અને તેમનેપીછો કરી રહેલી મુઘલ સૈન્ય સામે આત્મઘાતી મિશન પર દોરી ગયા..
ગુરુ ગ્રંથ સાહિબમાં સમલૈંગિક જાતિઓ અને જાતીયતા સંબંધિત બાબતો પર કંઈ કહેવાયું નથી. કોઈ માર્ગદર્શિકાના અભાવે, શીખ ધર્મ કઈ દિશામાં જશે તે અંગે કોઈને પણ આશ્ચર્ય થાય છે. શું તે જન્મસાખી 'બી૪૦' (ગુરુ નાનકના જીવન અને યાત્રાઓ પર મૌખિક રીતે પ્રસારિત લોકકથા) થી પ્રભાવિત હશે જે આપણને બગદાદમાં ગુરુ નાનક અને પરજાતિનો પહેરવેશ પહેરતા સૂફી સંત શેખ સરાફ વચ્ચે દિવ્ય પ્રકૃતિ પર સંવાદ કરતું લઘુચિત્ર ચિત્ર રજૂ કરે છે? કે પછી તે હિન્દુ, ઇસ્લામિક, ખ્રિસ્તી અને બૌદ્ધ કટ્ટરપંથી જૂથોના વલણને અનુસરશે જેમણે રૂઢિચુસ્ત મૂલ્યોને શુદ્ધ અને મૌલિક તરીકે આકર્ષક સ્વરૂપ આપ્યું છે? કદાચ શીખ ધર્મ, ઉપખંડનો સૌથી નાનો એવો ધર્મ છે, જેણે હંમેશા સીમાઓ, વિભાજન અને પૂર્વગ્રહોને પડકાર્યા છે, અને જે એકવીસમી સદીમાં વધુ સમાનતાવાદી માર્ગ બતાવી શકે તેમ છે.
- બેંગલોર મિરર માં ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Amritsar: The Lake of Nectar નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

