બુધવાર, 20 મે, 2026

ગુરુઓના ગુરૂ - દેવદત્ત પટ્ટનાઈક

 


                       મિનાક્ષી મંદિર, મદુરૈના પ્રવેશ પાસે દક્ષિણામૂર્તિનું શિલ્પ - સ્રોતઃ વિકિપિડીયા


દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં, દક્ષિણ તરફ વડના ઝાડ નીચે બેઠેલા શિવની મૂર્તિ જોવા મળે છે. આ મૂર્તિને દક્ષિણામૂર્તિ કહેવામાં આવે છે. તે શિવને ગુરુઓના ગુરુ તરીકે રજૂ કરે છે. દક્ષિણામૂર્તિ કૈલાશ પર્વતની ટોચ પર, ઉત્તરમાં સ્થિત, સ્થિર, ધ્રુવ તારા નીચે બેસે છે. એ દર્શાવે છે કે તે ચક્કર લગાવતી દુનિયાનું કેન્દ્ર છે. તે વડના ઝાડની છાયામાં બેસે છે. વડના વૃક્ષો ભારતની સંન્યાસી પરંપરાઓ સાથે સંકળાયેલા છે, અને સંન્યાસીઓ ગૃહસ્થની ભૌતિક દુનિયામાં મનનું જ્ઞાન લાવે છે.

દક્ષિણ-કેન્દ્રિત

દક્ષિણમાંથી દક્ષિણાકાલી, અથવા દેવીનું સૌથી ઉગ્ર સ્વરૂપ આવે છે, કારણ કે દક્ષિણ એ મૃત્યુ અને પરિવર્તનની દિશા છે. જીવંતની ભૂમિને મૃતકોની ભૂમિથી અલગ કરતી વૈતરણી દક્ષિણમાં વહે છે. હિન્દુ ગામડાઓમાં  સ્મશાન સ્થળ દક્ષિણમાં રાખવાની સામાન્યપણે પ્રથા છે. મૃતદેહો પણ દક્ષિણ તરફ મુખ રહે એવી રીતે ગોઠવવામાં આવે છે.

શિવની મોટાભાગની મૂર્તિઓની જેમ, આ સ્વરૂપમાં તેમના ગળામાં એક સર્પ અને તેમના ગૂંથેલા વાળના ગૂંચળાઓ પર ચંદ્ર દર્શાવે છે. તેમની જમણી બાજુએ કાનની નર બુટ્ટીઓ અને ડાબી બાજુએ કાનની નારી બુટ્ટીઓ છે. આ ત્રણ કક્ષાએ તેમની સાનુકૂળતા દર્શાવે છે: પ્રથમ, પુરુષત્વ અને સ્ત્રીત્વ સાથે; બીજું, મન અને પદાર્થ સાથે; અને ત્રીજું, નામ અને સ્વરૂપોની દુનિયા, અને નામવિહીનતા અને નિરાકારત્વની દુનિયા સાથે. દક્ષિણામૂર્તિનો ડાબો હાથ વરદ-મુદ્રા દર્શાવે છે, જે આપવાની ચેષ્ટા છે. તેમનો જમણો હાથ જ્ઞાન-મુદ્રા દર્શાવે છે, અથવા વિવેકબુદ્ધિનો ચેષ્ટા, જેમાં તેમની તર્જની તેમના અંગૂઠાને સ્પર્શે છે. આ તેમને જે જાણે છે, અને જે જ્ઞાન આપે છે એવા શિક્ષક તરીકે સ્થાપિત કરે છે.  તેમના બે વધારાના હાથ છે. અહીં પ્રતીકો અલગ અલગ હોય છે, પરંતુ તે બધા વિવેકબુદ્ધિ દર્શાવે છે. અગ્નિ વિનાનું તપ (ધ્યાન પ્રથાઓનો) છે, જે જ્ઞાનનું પ્રતિબિંબિત કરે છે. તે મનને વિસ્તૃત થવામાં બાધારૂપ બધી ગાંઠોને બાળી નાખે છે. એક ફેણવાળો નાગ છે જે જ્યારે કોઈ વ્યક્તિ વિશ્વને જુએ છે, ત્યારે તેમાં વ્યસ્ત થઈ જવાને બદલે જન્મતાં જ્ઞાનના પ્રજ્વલનનું પ્રતિનિધિત્વ કરે છે જે  છે. ત્યાં માળાના મણકા છે, જેનો ઉપયોગ જપ અને સ્મરણ માટે થાય છે. સંગીતનાં સાધનો અને પુસ્તકો છે. તે પોતાનો જમણો પગ જમીન પર રાખીને બેસે છે, જે સામાન્ય રીતે અપસ્મર તરીકે ઓળખાતા, આપણા મનને બાંધી રાખતા અને મનને અનંત સુધી વિસ્તૃત થતાં અને તેને સમજવાં બાધક બનતા, વિકૃત યાદોના રાક્ષસ કચડી નાખે છે.

શિવ પોતાનો ડાબો પગ તેમના જમણા સાથળ પર મૂકે છે. પરંપરાગત રીતે, શરીરનો ડાબો ભાગ પ્રકૃતિ અથવા પદાર્થનું પ્રતિનિધિત્વ કરે છે, અને શરીરનો જમણો ભાગ પુરુષ અથવા મનનું પ્રતિનિધિત્વ કરે છે. નટરાજ પ્રતિમાની જેમ, શિવ જમણા પગને જમીન પર મજબૂત રીતે ખોડીને તેને પ્રાધાન્ય આપે છે ; ડાબો પગ હવામાં અથવા જમણા સાથળ પર છે, આ કિસ્સામાં. કૃષ્ણની છબીઓ સાથે આ મુદ્રાનીની તુલના કરીએ, કૃષ્ણ હંમેશા તેના ડાબા પગ પર આરામથી ઊભા રહે છે, અને જમણા પગને ડાબા પગ પર હળવી આંટીની મુદ્રામાં રાખે છે. કૃષ્ણ ભૌતિક જગતનો આનંદ માણવાની સાથે તેમાં મન્પરોવે છે. કૃષ્ણના બંને પગ જમીન પર છે, એટલે કે તેઓ દ્રવ્ય અને મન બંનેને મહત્વ આપે છે, ત્યારે શિવ દ્રવ્ય કરતાં મનને વધુ પસંદ કરે છે અને તેથી તેમનો ફક્ત એક પગ જમીન પર છે, જેના પરિણામે તેમને એકપદ પણ કહેવામાં આવે છે.

આમ, પ્રતીકાત્મક રીતે, સિવની મૂર્તિ  દુઃખનું કારણ બને છે તેવા ઉથલપુથલ થતા રહેતા ભૌતિકવાદના મોહને દૂર કરવા માટે મનને શાંત કરવાનાં જ્ઞાનનાં મહત્વને દર્શાવે છે. શિવના પગ પાસે ઘણા ઋષિઓ બેસે છે. તેમને શિવ વેદ અને તંત્રના રહસ્યો પ્રગટ કરે છે. ક્યારેક, આ પંથને આગમ  (પૌરાણિક મંદિર) પરંપરા કહેવામાં આવે છે. તે નિગમ (વૈદિક ધાર્મિક) પરંપરાને પૂરક છે. શિવના બોધને દક્ષિણામૂર્તિ ઉપનિષદ પણ કહેવામાં આવે છે. આ મૂર્તિ ઉત્તર કરતાં દક્ષિણ ભારતીય પરંપરામાં વધુ લોકપ્રિય છે. કથા એવી છે કે બધા ઋષિઓ શિવનો બોધ સાંભળવા ઉત્તર તરફ ગયા હતા અને તેથી પૃથ્વી ઝૂકી ગઈ. પૃથ્વીને સંતુલિત કરવા માટે, શિવે તેમના શિષ્ય, અગસ્ત્યને દક્ષિણ તરફ મુસાફરી કરવાનું કહ્યું, તેથી જ અગસ્ત્ય દક્ષિણના મહાન ઋષિ મનાય છે. આ પ્રવચન સાંભળનારા અન્ય ઋષિઓમાં વ્યાગ્રપદનો સમાવેશ થાય છે, જેમણે શિવજીન પાસે વાઘના પગનું વરદાન માગ્યું હતું, જેથી તેઓ તેમની પૂજા માટે સરળતાથી જંગલના ફૂલો એકત્રિત કરી શકે. તે ઉપરાંત પતંજલિ (નાગ), નંદી, બળદ, અને ભૃંગી - જેમને માંસ અને લોહી નથી, તેથી તેમને ત્રીજા પગની જરૂર છે જેથી તેઓ ત્રિપાઈની જેમ ટટ્ટાર ઊભા રહી શકે. એક અન્ય ઋષિ  હયગ્રીવ છે, જેમનું માથું ઘોડાનું છે. તેમને ક્યારેક વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. શુક ઋષિનું માથું પોપટનું છે, અને વ્યાસના પુત્ર છે અને વેદોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરે છે.

કાલ અને કાલિ આદિ

આદિ શંકરાચાર્યે દક્ષિણામૂર્તિ સ્તોત્રમની રચના કરી હતી. તેમાં તેઓ નોંધે છે કે કેવી રીતે આ યુવાન દેખાતા મૌન શિક્ષક પોતાનાથી મોટી ઉમરના ઋષિઓને પોતાના જ્ઞાનથી પ્રબુદ્ધ કરે છે આમ થવું સ્વાભાવિક છે કેમકે શિવ તો વિવેકપ્રજ્ઞાનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેમને પ્રશ્નો ઋષિઓ દ્વારા નહીં, પરંતુ દેવી દ્વારા પૂછવામાં આવે છે. દેવી શિવ સાથે લગ્ન કરે છે અને ચિંતન દ્વારા એકત્રિત કરેલા તેમના જ્ઞાનને વહેંચવા માટે શિવને બોલવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સંવાદ દ્વારા તંત્રો રજૂ કરવામાં આવેલ છે. જો શિવ કાલ છે, તો દેવી સમય પર વિજય મેળવેલ કાલિ છે. દેવી શવને શિવ, ભગવાન બનાવે છે.  દેવી દક્ષિણથી આવે છે, અને પદાર્થ અને પરિવર્તનનું મૂર્તિમંત સ્વરૂપ છે, જે જવાબો શોધવાની પ્રેરણા આપે છે. એ  જવાબો હંમેશા બોલાયેલા નથી હોતા; તે ગીત અને નૃત્ય દ્વારા પણ ભજવવામાં અને રજૂ કરવામાં આવે છે. તેથી જ ભારતીય શાસ્ત્રીય નૃત્યનો અર્થ ઘણો સમૃદ્ધ છે.

  • સ્પિકીંગ ટ્રી.ઈનમાં ૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખTeacher Of TEACHERS!નો અનુવાદ | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૨૦ મે ૨૦૨૬

બુધવાર, 13 મે, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૪]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

ડિસેમ્બર ૧૩, ૧૯૪૬

જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની પરિષદો, કેવા કોઈપણ પ્રકારની આંતરરાષ્ટ્રીય વાટાઘાટોના અહેવાલો વાંચીએ છીએ છે, ત્યારે l'Attaque અને તેના જેવી યુદ્ધ રમતો બાળકો રમતાં તે યાદ આવ્યા વિના ન રહે. એ રમતોમાં કાર્ડબોર્ડના ટુકડા યુદ્ધ જહાજો, વિમાનો વગેરેનું પ્રતિનિધિત્વ કરતા. દરેકનું એક નિશ્ચિત મૂલ્ય હતું અને એ દરેકનો સામનો અમુક રીતે જ કરી શકાય તે ખબર રહેતી. હકીકતમાં, કોઈ સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની એક નવી રમતની શોધ કરે, જે એવાં પ્રબુદ્ધ ઘરોમાં રમાશે જ્યાં માતાપિતા ઇચ્છતાં ન હોય તેમના બાળકો લશ્કરી દૃષ્ટિકોણ સાથે મોટાં થાય.

એ રમતના ટુકડાઓને પ્રસ્તાવો, દૃષ્ટિકોણ(démarche), નુસખો, મડાગાંઠ, ગતિરોધ, સાંકડો અંતરાય અને દુષ્ચક્ર કહેવામાં આવે છે. રમતનો ઉદ્દેશ્ય એક નુસખા પર પહોંચવાનો છે, વિગતો બદલાતી રહેતી હોવા છતાં, રમતની સામાન્ય રૂપરેખા હંમેશા સમાન રહેતી હોય છે. પહેલા ખેલાડીઓ ભેગા થાય અને કોઈ પ્રસ્તાવ સાથે આગળ વધે. પછી રસ્તા વચે એવું વિઘ્ન મુકવમાં આવે છે, જેના વિના રમત આગળ વધતી નથી. પછી આ વિઘ્ન સાંકડી નાળ પસાર કરવાની અડચણમાં ફેરવાઈ જાય છે, કે પછી ઘણી વાર મડાગાંઠ અથવા દુષ્ચક્રમાં ફેરવાઈ જાય છે. એક સાથે થતાં મડાગાંઠ અને દુષ્ચક્ર આગળ ન જવાય કે પાછળ ન હઠાય એવી સ્થિતિ પેદા કરે છે, જે અઠવાડિયાંઓ સુધી ટકી શકે છે. પછી અચાનક કોઈ વ્યક્તિ આ એવો દૃષ્ટિકોણ પેદા કરે જે એક નુસખો બનાવવાનું શક્ય બનાવે છે, અને એકવાર નુસખો મળી જાય પછી ખેલાડીઓ શરૂઆતમાં જેવું હતું તેવું બધું છોડીને ઘરે જઈ શકે છે.

આ લખી રહ્યો છું ત્યારે , મારા સવારના અખબારનું પહેલું પાનું આશાવાદની ગુલાબી ફોલ્લીઓથી છવાઈ ગયેલું જણાય છે. એવું લાગે છે કે બધું બરાબર થઈ જશે. રશિયનો શસ્ત્રોના નિરીક્ષણ માટે સંમત થશે, અને અમેરિકનો અણુ બોમ્બનું આંતરરાષ્ટ્રીયકરણ કરશે. તે જ અખબારના બીજા પાના પર ગ્રીસમાં બનેલી ઘટનાઓના અહેવાલો છે જે ન્યૂ યોર્કમાં તો ભાઈઅબંધી બતાવે છે એવાં સત્તાનાં બે જૂથો વચ્ચે યુદ્ધની સ્થિતિ દર્શાવે છે.

પરંતુ જ્યારે એક તરફ મડાગાંઠ અને સાંકડી નાળનો ખેલ ચાલી રહ્યો છે, ત્યારે બીજી એક ગંભીર રમત પણ રમાઈ રહી છે. તે બે સ્વયંસિદ્ધ તથ્યો દ્વારા સંચાલિત છે. એક તો એ છે કે સાર્વભૌમત્વના સર્વસાધારણ સમર્પણ વિના શાંતિ શક્ય નથી: બીજું એ છે કે જે પણ દેશ પોતાની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા સક્ષમ છે તે ક્યારેય સાર્વભૌમત્વનું સમર્પણ કરતો નથી. જો કોઈ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખે તો વ્યક્તિ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંબંધિત તથ્યોને અખબારોના ઢાંકપીછોડામાંથી પણ જોઈ શકે છે. હાલમાં મુખ્ય તથ્યો આ પ્રમાણે છે:

૧. રશિયનો, ગમે તે કહે પણ, વિદેશી નિરીક્ષકો દ્વારા તેમના પ્રદેશોનું વાસ્તવિક નિરીક્ષણ કરવા માટે સંમત થશે નહીં.


૨. અમેરિકનો, ગમે તે કહે પણ, શસ્ત્રો સંબંધી ટેક્નોલોજિ ક્ષેત્રમાં તેમણે મેળવેલ અગ્રેસરતાને સરકી જવા દેશે નહીં.


૩. કોઈ પણ દેશ હવે સંપૂર્ણ મોટું યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી.


આગળ જતાં ભલે પછીથી આ સામી દિશાની ચાલને બદલે કંઈ નવું આવે, પણ હાલમાં તો વાસ્તવિક ખેલનાં યુદ્ધની માનસિકતાની વિરોધી પરિસ્થિતિઓ છે. રોજે રોજ ભરાતી પરિષદોનાં ધતિગ પર ખુશી અને નિરાશાના વારા કરતા રહેવાને બદલે જો આટલું યાદ રાખવામાં આવે તો સત્યની નજદીક પહોંચી શકાય છે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

શુક્રવાર, 8 મે, 2026

સુબ્રોતો બાગચીનાં નેતૃત્વ વિશેનાં કેટલાંક મનનીય કથનો

તન્મય વોરા

શ્રી સુબ્રોતો બાગચીએ તાજેતરમાં એમ્પ્લોઇ ગ્લોબલ ન્યૂઝલેટરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમણે કેટલીક ખૂબ જ રસપ્રદ (અને ગહન) મર્મસ્પર્શી સૂઝ  વિશે વાત કરી હતી..

તે ઇન્ટરવ્યુના કેટલાક મનનીય અંશો અહીં રજૂ કરેલ છે:

સેવક નેતૃત્વ પર

સેવક ધર્મ નેતૃત્વની વિભાવના સ્પષ્ટ છે કે "તે ફક્ત એક સાધન છે; સાધ્ય હેતુ નથી, તે વાહનવ્યવહારનું માધ્યમ છે; મ્યુનિસિપલ પાણીની પાઇપની જેમ, તેનું કામ પાણી પહોંચાડવાનું છે અને પોતાની તરસ છીપાવવાનું નથી."

નેતા તરીકે ગ્રહણશીલતા વિશે

જાપાનીઓ કહે છે કે મન પર્વત કે ખીણ જેવું હોઈ શકે છે. પર્વત ગમે તેટલો ઊંચો હોય, અને તેના પર ગમે તેટલો મુશળધાર વરસાદ પડે, તે પાણીને રોકી શકતો નથી. પાણીને રોકી રાખવા માટે, તમારે તમારા મનને ખીણ બનાવવાની જરૂર છે.”

માળી બનવા વિશે

વરિષ્ઠ નેતૃત્વનું કામ નવા અગ્રણીઓ ઘડવાનું છે. છે. "જેમ માળી તેના એક-એક-એક છોડની અલગ અલગ રીતે સંભાળ રાખે છે તેમ નવા અગ્રણીઓનું ઘડતર એક એક વ્યક્તિની અલગ અલગ માવજત દ્વારા થવું જોઈએ. દરેક છોડની અલગ અલગ સમયે અલગ અલગ જરૂરિયાતો હોય છે અને માળીને તેનો અંદાજ હોવો જોઈએ અને  તે માટે તેણે પહેલેથી સક્રિય રહેવું જોઈએ. છોડ માળી પાસે આવતા નથી; માળીએ ત્યાં જવું જોઈએ જ્યાં છોડ હોઈ શકે છે.

સ્રોત સંદર્ભ::  Great Quotes: Gems from Subroto Bagchi on Leadership

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 6 મે, 2026

સામંતશાહી છટકું : ભારતીયોને વેશ્યા અને વેપારીથી ડર શેનો છે ? - દેવદત્ત પટ્ટનાઈક

 

એક સ્વરમાં થોડો ફેરફાર વૈશ્ય (વેપારી માટેનો સંસ્કૃત શબ્દ) ને વેશ્યા (દેહ વિક્રય કરનાર માટેનો સંસ્કૃત શબ્દ) કરી નાખે છે. સૌથી વધુ બોલી લગાવનારને એક માલ વેચે છે અને બીજી આનંદ વેચે છે. બંનેમાંથી કોઈ વફાદાર નહોતું. સ્વાભાવિક રીતે, સામંતશાહી સત્તાવાળાઓએ તે બંનેને ધિક્કારતા હતા. તેમણે બજારુ (એટલે કે બજારમાં વેચાતું, વ્યાપારી) શબ્દને અપમાનજનક અર્થમાં ફેરવી દીધો.

બધા સમાજોમાં, સંપત્તિના બે મુખ્ય સ્ત્રોત છે: જમીન અને બજાર. સામંતશાહી જમીન પર આધાર રાખે છે અને વેપાર બજાર પર આધાર રાખે છે. જમીન-માલિક સમુદાયો (ક્ષત્રિયો) અને વેપારી સમુદાયો (વૈશ્ય) હંમેશા સમાજ પરના નિયંત્રણ માટે સ્પર્ધા કરતા રહ્યા છે. તે જૂના વિશ્વ (યુરોપ) અને નવા વિશ્વ (અમેરિકા) વચ્ચેના વિભાજન માટે જવાબદાર છે. સામાન્ય રીતે, સામંતશાહી સમાજો વંશપરંપરાગત હોય છે અને વફાદારી અને સમર્થનને મહત્વ આપે છે. વેપારી સમાજો પ્રમાણમાં સમાનતાવાદી હોય છે, ગ્રાહકના ખિસ્સાને ગ્રાહકના દરજ્જા કરતાં વધુ મૂલ્ય આપે છે.

ભારતમાં, આપણે જૂના વિશ્વની સામંતશાહીને નકારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આપણે હજુ સુધી નવા વિશ્વના મુક્ત વેપારને સ્વીકાર્યો નથી. આપણે હજુ પણ યોગ્યતા કરતાં વફાદારીને મહત્વ આપીએ છીએ. આપણને વ્યાવસાયિકો પર શંકા રહે છે, કારણ કે તેઓ પોતાની કુશળતાને કિંમત લઈને વેચે છે, અને પ્રાચીન વેશ્યાઓ જેવા બહુ જ સ્વતંત્ર છે. પરંપરાગત સેવા આપનારાઓ (શૂદ્રો) પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ અપેક્ષા વિના સેવા કરે, આશ્રય સ્વીકારે અને ક્યારેય ચૂકવણીની માંગ ન કરે, જેના પરિણામે તેઓ અર્ધ-ગુલામીમાં પરિણમ્યા. ફક્ત પૂજારીઓ (બ્રાહ્મણો) બદલામાં સેવા આપ્યા વિના (દક્ષિણા) માંગી શકતા હતા, અને સાધુ (ભિક્ષુ) ભિક્ષા  માંગી શકતા હતા. બાકીના લોકો સામંતશાહી માલિકના દાન (દાન) પર જીવે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી.

ટોચ પર

વધુમાં, ભારતના પૂજારીઓ અને સાધુઓએ વટાળ અને પવિત્રતાના સિદ્ધાંતને સ્થાપિત કરીને પોતાનો ઉચ્ચ દરજ્જો મજબૂત કર્યો. આનાથી સામાજિક પિરામિડની ટોચ પર, જમીન-માલિક સમુદાયોથી પણ ઉપર, તેમનું સ્થાન સુનિશ્ચિત થયું, પરંતુ બાદમાં જમીનદારોને વેપારીઓ અને સેવા પુરી પાડનારાઓથી ઉપર સ્થાન આપીને શાંત પાડ્યા. જમીન-માલિક પૂજારીઓને દક્ષિણા ચૂકવીને અને સાધુઓને ભોજન આપીને કાયદેસરતા અને કર્મના લાભ મેળવી શકતા હતા. જ્યારે (સમુદ્રપાર) મુસાફરીને દૂષણ માનવામાં આવતી હતી,. તેના કારણે ઘણા ભારતીય વેપારીઓ (સમુદ્રપાર) મુસાફરી કરવાનું બંધ કરી અને શરાફી વેપાર તરફ વળ્યા. નાત બહાર થવાના ડરથી તેઓએ એક સમયના સમૃદ્ધ દરિયાઈ વેપારને આરબો અને પછી પોર્ટુગીઝોને સોંપ્યો. દરિયાપાર જવાને કારણે વટલાઈ જવાશે એવો ભય વીસમી સદી સુધી ભારતીયોને દુનિયામાં બહાર જવાથી રોકતો રહ્યો.

પોતાના વ્યવસાયને લીધે જેઓ લોહી, માંસ, મળમૂત્ર અને અન્ય શારીરિક કચરાના સંપર્કમાં આવતા હતા એવી સેવાઓ પૂરી પાડનારાઓને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા. વટાળપણું અને પવિત્રતાના સિદ્ધાંતને કારણે, તેમને ગામડાના કૂવાઓમાંથી પાણી ભરવાના અને એવાં અન્ય માનવીય ગૌરવથી વંચિત રાખવામાં આવતાં હતાં. પુરુષો કરતાં સ્ત્રીઓ નીચી ગણાતી કેમકે તે દર મહિને માસિકસ્ત્રાવમાં લોહી વહેવડાવતી હતી અને તેમના પતિઓ દ્વારા ઉત્સર્જિત વીર્ય મેળવતી હતી.  બધી સ્ત્રીઓ કરતાં પાછી વેશ્યા તો વધારે નીચી હતી, કેમકે તે તો પૈસા ખાતર કરીને કોઈ પણ જાતિના અનેક પુરુષોનાં વીર્ય પોતાના શરીરમાં દાખલ કરતી હતી.

જોકે હંમેશા આવું નહોતું. એક સમય હતો જ્યારે ગણિકાને માન અપાતું. શહેરની સૌથી સુંદર સ્ત્રીને લગ્ન કરવાની મંજૂરી નહોતી. તેને નગર-વધુ બની. પોતાના પ્રેમીને પસંદ કરવાની છૂટ હતી, પરંતુ પોતાને એક પુરુષ પુરતી મર્યાદિત રાખવાની તેને છૂટ નહોતી. તેણે સૌથી સુંદર, સૌથી શક્તિશાળી અને ઘણીવાર સૌથી ધનિક પુરુષોને પસંદ કર્યા, ઓછા સુંદર, ઓછા શક્તિશાળી અને ઓછા ધનિક લોકોને તેણે એટલા નારાજ કર્યા કે એ લોકો તેની સુંદરતા અને કૌશલ્યની પ્રશંસા કરતા પણ તેની નિર્દયતા વિશે કવિતાઓ લખતા. તે પોતાના ગાયન, નૃત્ય, વાતચીતમાં તેની કુશળતા, તેની બુદ્ધિ, તેની રમૂજ અને તેની સુંદરતા માટે જાણીતી હતી. પ્રાચીન હિન્દુ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં આપણે આ ગણિકાઓ વિશે વાંચીએ છીએ.  તેમના પતિઓની છાયામાં અને આમન્યામાં રહેતી પવિત્ર પત્નીઓથી, અને બધા આનંદથી દૂર રહેતી સાધ્વીઓથી વિપરીત, તેઓ ભલે ગણિકા તરીકે ઓળખાતી, પણ સ્વતંત્ર જીવન જીવતી હતી.

દેવતાઓની પત્નીઓ

સમય જતાં, આ ગણિકાઓ મંદિરો સાથે જોડાઈ ગઈ. તેઓ મંદિરમાં સ્થાપિત દેવતાઓની એવી પત્નીઓ બની જે ક્યારેય વિધવા થતી નથી, અને જે બધા પુરુષોને દૈવી બીજના પાત્ર તરીકે પ્રેમ કરતી હતી. આ દેવદાસીઓ હતી. તેમની મૂર્તિઓએ મંદિરની દિવાલો પર સુંદર સ્ત્રીઓની કોતરણીને પ્રેરણા આપી. તેઓએ મંદિરની ધાર્મિક વિધિઓનો ભાગ એવા મઠના જૂના આદેશોને પડકાર્યા. પરંતુ આખરે, પૂજારીઓ અને સાધુઓએ દેવદાસીઓની સ્વતંત્રતા અને તેમનો મુખત્યાર છીનવી લીધાં. ધીમે ધીમે, તેઓ સત્તાના હોદ્દા પર રહેલા પુરુષોને આધીન થતી ગઈ. પુરુષો નક્કી કરતા કે તેઓ કેટલી શુદ્ધ કે અશુદ્ધ છે. તે એટલે અશુદ્ધ હતી કે તેને ઘણા પ્રેમીઓ હતા. તે વધુ અશુદ્ધ એટલે કે તે સૌથી વધુ બોલી લગાવડાવતી હતી. આખરે, તે ફક્ત એક શોષિત સ્ત્રી હતી, જેને કોઈ સ્વતંત્રતા નહોતી, તેનું મહેનતાણું કોઈ એક દલાલ કે એક 'બાઈ' દ્વારા માંગવામાં આવવા લાગ્યું. 

જો મંદિર સાથે જોડાયેલ ન હોય, તો મહેનતાણાના બદલમાં આનંદ વેચતી સ્ત્રી રાજા કે નવાબના દરબારનો ભાગ બની ગઈ, અથવા મનોરંજન કરનારાઓ, નાટકોનો સમુદાયનો ભાગ બની ગઈ. તેની દુનિયામાં, હવે કુશળતા અને સંપત્તિ માતા પાસેથી પુત્રીને વારસામાં મળવા લાગી. જો તેની પાસે સુંદરતા, કુશળતા અને ચાલાકી હોય તો તે પૈસા કમાઈ શકે. તેને લગ્ન સમારોહ, રાજ્યાભિષેક અને તહેવારોમાં આમંત્રણ આપવામાં આવતું હતું. પરંતુ તેનુ સ્થાન એ બીજી બાબત હતી. વેપાર અને વાણિજ્યને નીચી નજરે જોતા સામંતવાદી સમાજમાં વ્યવસાય અને જાતિની શુદ્ધતાના આધારે પદાનુક્રમ નક્કી થતો હતો, સ્પષ્ટપણે તે તેમાં છેક હેઠે  હતી. પહેલા વસાહતી વહીવટકર્તાઓ દ્વારા અને પછી પોતાને જૂના સમયના સાધુઓ જેવા મનાવતા રૂઢીચુસ્ત સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા તેની પાસે જે થોડી પણ શક્તિ હતી તે પણ તેની પાસેથી છીનવી લેવામાં આવી..

આજે, ૧૯મી સદીથી વિપરીત, સમુદ્ર પાર કરતી વખતે કોઈને નાતબાહર થવા જેવા સામાજિક નિયમોનો ડર નથી. આજે, આપણે બજારો, ખરીદી, વેચાણ, વેપાર અને નફા વિશે વાત કરવામાં ખચકાતા નથી. આજે, આપણે વ્યાવસાયિકો શોધીએ છીએ. છતાં, સામંતવાદી માનસિકતા યથાવત છે.

આપણે વફાદારી માટે ઝંખીએ છીએ અને પોતાની કુશળતા અને નિપુણતા સૌથી વધુ બોલી લગાવનારને વેચે એવી વ્યાવસાયિકતાથી ડરીએ છીએ. આપણે આનંદને એક એવી વસ્તુ તરીકે વિચારી શકતા નથી જે ખરીદી અને વેચી શકાય છે. આપણે એવી સ્ત્રીઓને પસંદ કરીએ છીએ પોતાના નિર્ણયો લેવાને બદલે પુરુષોના નિર્ણયોને આધીન રહે. આપણે વફાદાર જાહેર માધ્યમોને પસંદ કરીએ છીએ, તેમનો ધર્મ એ છે કે બધા ગ્રાહકો સાથે સમાન વર્તન કરવામાં આવે, ભલે તેઓ ગમે તેટલા પૈસા ચૂકવે, અને કોઈને વફાદાર ન રહે એ જ એમનો ધર્મ છે એમ માનારી ભૂતકાળની સ્વતંત્ર ગણિકાઓ જેવાં સ્વતંત્રપણે વિચારતાં, વર્તતાં  જાહેર માધ્યમોથી ડરીએ છીએ. એટલા માટે પોતાની આગવી, સ્વતંત્ર વિચારસરણી ધરવાતાં જાહેર માધ્યમો વેંચાઈ ગયેલાં માધ્યમો ગણાય છે અને જે મહિલા રાજકારણીને પોતાની વિચારસરણી છે અને જે શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કરે છે, તે વેશ્યા ગણાય જાય છે.

સ્ક્રૉલ.ઈનમાં ૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ

દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખFeudal trap: Why do Indians fear prostitutes and traders? નો અનુવાદ | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૬ મે ૨૦૨૬

શુક્રવાર, 1 મે, 2026

સાર્વભૌમ કાર્યસૂચિ - દબાણ હેઠળનાં અમલીકરણને બદલે સ્વેચ્છાપૂર્વકનો અમલ

 

ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! - તિજોરીનો નિયમ - વ્યક્તિગત ચઢિયાતાપણાનીસ્થાપત્યશૈલી કંડારવીપર આવીને અટક્યાં હતાં. હવે માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના બીજા પડાવ વિશે વિચાર કરીએ ….

ઉત્પલ વૈશ્નવ

આપણી રોજબરોજની દુનિયામાં આપણે મોટા ભાગે 'એ તો કરવું જ પડે' જેવાં અનેક "દબાણ હેઠળ" બધી પ્રવૃતિઓ કરતાં રહેતાં રહીએ છીએ. આપણે ખરાબ દેખાવાના કે પાછળ પડી જવાના ડરથી કાર્યક્રમોમાં હાજરી આપીએ છીએ, મહત્વની કામગીરીઓનાં લક્ષ્યાંકોનાં સૂચકો (KPIs) પૂરાં કરીએ છીએ અને અનેક સામાજિક જવાબદારીઓનું વહન કરીએ છીએ.

આપણે દાવો કરતાં રહી છીએ કે આપણી પાસે મોટાં, વ્યૂહાત્મક, પગલાં માટે "સમય નથી" કારણ કે આપણું દૈનિક સમય પત્રક નાનાં નાનાં, ફરજિયાત લેવાનાં હોય એવી પ્રવૃતિઓથી ભરેલું છે. આ એક ભાડૂઆતની માનસિકતાને છાજે એવું સમયપત્રક છે - એક એવું જીવન જ્યાં તમારું ધ્યાન બાહ્ય અપેક્ષાઓ અને સામાજિક કોલાહલ પર કેન્દ્રિત છે.

સાર્વભૌમ સ્થપતિ જાણે છે કે "સમય ક્યાં છે" એ એક પ્રણાલીગત જૂઠાણું છે.

જ્યારે આપણે કહીએ છીએ કે આપણી પાસે સમય નથી, ત્યારે આપણે ખરેખર સ્વીકારીએ છીએ કે આપણે સમય ક્યાં વાપરીએ છીએ તે જોઈ શકતા નથી.

આપણે પ્રાથમિકતાઓ જોઈ શકતા નથી, આપણે આપની ક્રિયા-પ્રક્રિયાઓ અસર જોઈ શકતા નથી, અને આપણે નેતૃત્વ કરવાની તક જોઈ શકતા નથી. ઉચ્ચ-નિર્ધાર પ્રેરિત પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થા બનાવવા માટે, આપણે બહાનાઓને દૂર કરવાં જોઈશે અને આપણી પસંદગીની શક્તિથી કાર્ય કરવું જોઈએ.

અમલીકરણનું બંધારણશાસ્ત્ર 

અમલીકરણથી દૂર રહેવું એ એક નિષ્ક્રિય સ્થિતિ છે જે આપણી ચયાપચય ઊર્જાને ખાલી કરી નાખે છે:

·      સામાજિક મહોરું: આપણે પડોશીઓના સંબંધીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપીએ છીએ અથવા તેમના ડિજિટલ સંદેશાઓ પર કલાકો બગાડીએ છીએ કારણ કે આપણા વિશે બીજાં શું માનશે આપણને એ વાતનો ડર  છે. આપણે બાહ્ય પરિબળો દ્વારા "ધકેલાતાં" રહીએ છીએ. 

·      KPIનું છટકું: આપણે પરિણામ ને બદલે, આપણને અપાયેલી "સૂચના" અને "જે કામનો હિસાબ લેવાશે" પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણે અગ્રણીની ભૂમિકામાં આવવા માટે પહેલાં ધક્કો વાગે તેની રાહ જોઈએ છીએ.

·      બહાનાંઓની દોરવણીઓની તાકાત: "હું ખૂબ વ્યસ્ત છું" એ પ્રતિકાર માટેનું પ્રિય શસ્ત્ર છે. તે વાસ્તવિકતા જેવું લાગે છે, પરંતુ તે સામાન્ય રીતે નબળા સ્વ-સંગઠન અને "ના" કહેવાની અસમર્થતા માટે માત્ર એક મહોરું છે.

પસંદગીનું શસ્ત્ર

આપણી પસંદગીઓની બાબતે આપણું સાર્વભૌમત્વ એ આપણી પસંદગીઓને પ્રણાલીગત વિકાસ માટેનાં શસ્ત્રોમાં ફેરવવાની આદત છે.

૧. પહેલાં આપણી જાતને દોરી જઈએ: જો આપણે નેતૃત્વની ભૂમિકામાં હોઈએ, તો આપણું એકમાત્ર કર્તવ્ય નેતૃત્વ પુરું પાડવાનું છે. કોઈપણ બહાનું જે તમને ઉચ્ચ-કક્ષાના પરિણામોથી દૂર રાખે છે તે વ્યય છે. પસંદગી કરવી એ સમયની મર્યાદાઓ કે સામાજિક દબાણ છતાં પણ પોતાને (પોતે નિશ્ચિત કરેલ દિશામાં) દોરી જવાનો નિર્ણય છે.

૨. વ્યૂહાત્મક "ના": એક સ્થપતિ જાણે છે કે બિનમહત્વપૂર્ણ કામ / સુઝાવને "ના" કેવી રીતે કહેવી જેથી તે મહત્વપૂર્ણ કાર્યને ઉચ્ચ-નિષ્ઠાથી "હા" કહી શકે. ખોટી જગ્યાએ હાજરી પુરાવવી એ યથોચિત ઉદ્દેશ્ય સિદ્ધિ પરનો કર છે.

૩. 'હવે પછી' પર માલિકી: પસંદગીનો નિર્ણય એ અનિશ્ચિત "આગળ શું છે" સામે આપણું વલણ છે. જ્યારે અન્ય લોકો શું કરવું તે કહેવાવાની રાહ જોતાં હોય ત્યારે આપણે કરેલી પસંદગી ઇરાદાપૂર્વકની ઇચ્છા છે જે આપણને ધ્યેય તરફ આગળ વધતા રાખે છે, .

રૂપરેખા: કાર્યસૂચિનું ઑડિટ

કાર્ય આયોજન અને અમલીકરણ તરફનો સંધિકાળ પોતાની પસંદગી દ્વારા સંચાલિત થઈ રહ્યો છે તેની ખાતરી કરવા માટે, કાર્યસૂચિની રૂપરેખા (Agenda Protocol) લાગુ કરો:

૧. (બિનમહત્વની બાબતોની) "અમલીકરણ"માંથી છટણી

આવતા અઠવાડિયાના આપણા સમયપત્રક પર નજર કરીએ. કમસે કમ એવી ત્રણ વસ્તુઓને ઓળખી કાઢીએ જે ફક્ત "ફરજીયાત" અથવા ખરાબ દેખાવાના ડરથી છે. તેમને રદ કરીએ. એમ કરવાથી જે સમય-શક્તિ-(શારીરિક - માનસિક) ઉર્જા બચે તેને "બ્લુપ્રિન્ટ" અથવા "સિગ્નલ્સ" ન્યૂઝલેટર માટે વાળીએ.

૨. "ન પળાયેલાં વચન" ને અલગ કરીએ

 "સમય નથી" નો અર્થ ઘણીવાર એ થાય છે કે આપણે એવું વચન આપ્યું હતું જે આપણે જાણતા હતા કે પાળી નહીં શકાય. આજે જ આવું એક માથે લીધેલું 'વચન ખોળી કાઢીએ. ભૂલ સ્વીકારીએ; કાર્યના અમલ માટેની સમયરેખા વિશે ફરીથી વાટાઘાટો કરીએ; અને નહીં તો છેલ્લે , એવાં કાર્યને સંપૂર્ણપણે નકારી કાઢીએ. એક નનૈયો સો બહાનાંમાંથી બચાવે છે. કડવી લાગતી સ્પષ્ટતા વિલંબ સ્વરૂપે થતી નિષ્ફળતા કરતાં મીઠી પરવડી શકે છે.

3. "સાર્વભૌમ પસંદગી" ની આદત પાડીએ

આગામી મીટિંગ અથવા પ્રોજેક્ટના તબક્કામાં, આપણી જાતને પૂછીએ: "મારા પર દબાણ છે માટે હું અહીં છું; કે મેં મારા લક્ષ્યોને આગળ વધારવા માટે આ માર્ગ પસંદ કર્યો છે?"  જો દબાણ હોય તો તેનો પ્રતિકાર કરીએ.  આપણી "પસંદગી"ને રજૂ કરીએ. અને તે શક્ય ન હોય તો વિનયપૂર્વક એ કામમાંથી થોડો સમય માગી લઇએ. તમારું ધ્યાન અમલીકરણ પર કેન્દ્રિત રહે તે વધારે મહત્વનું છે.

#DhandheKaFunda: જો નેતૃત્વની ભુમિકા અદા કરવા માટે બાહ્ય દબાણની જરૂર પડતી હોય, તો આપણે 'અગ્રણી' કહેવડાવવા પાત્ર નથી; આપણે 'મુસાફર' છીએ. ફરજિયાત અમલીકરણ ભાડેદારો માટે છે; સ્વૈચ્છિક પરંદગી માલિકો માટે છે. આપણા આડૉશી પડોશીઓને અને આપણા KPI ને આપણું સમયપત્રક લખવા દેવાનું બંધ કરીએ. આપણી પસંદગી પર આપણો પ્રભાવ ફરીથી મેળવીએ, તેને તીક્ષ્ણ હથિયાર બનાવીએ. એક એવી કાર્યસૂચિ બનાવીએ જે આપણૉ આગવો મુદ્રાલેખ બની રહે. સમય એ એકમાત્ર સંસાધન છે જે આપણે પાછું ખરીદી શકતા નથી - તેને એક સાર્વભૌમ વ્યક્તિ તરીકે ખર્ચ કરીએ.