માનવ
ઇતિહાસએ સ્ત્રી દેહનાં ભૌતિક કે દેખાવનાં સ્વરૂપને સામાન્યતઃ પુરૂષની
મિલ્કત ગણી છે.તેથી ,વ્યભિચાર
(કે જેમાં સ્ત્રી ભાગીદાર છે) અને બળાત્કાર (કે
જેમાં સ્ત્રી ભાગીદાર નથી)ને પુરૂષ માટે માનહાનીજનક ગણેલ છે.
પરશુરામની
કથામાં, તેમની
માતા, રેણુકા, થોડા
સમયમાટે અન્ય પુરુષનો સહવાસ ઝંખે છે. આ 'વૈચરિક' અપરાધનાં પરિણામરુપે, પિતા - જમદગ્નિ-ના આદેશથી તેનો પુત્ર તેનો શિરચ્છેદ
કરે છે. અંતે તો તેને ગણીકાઓની દેવી યેલમ્મા સાથે પણ સાંકળી લેવાયેલ છે.
રામની
કથામાં, રાવણદ્વારા
સીતાનું અપહરણ તેમની આબરૂને ડાઘ લાગી જાય તે હદસુધીની લોકચર્ચાને ચકડોળે ચડાવે છે
કે રામ તેમનો ત્યાગ કરી દે છે.
આ
બંન્ને કથાઓમાં સ્ત્રી પર સીધો કોઇ હુમલો નથી થયો.સ્ત્રીશાલિનતાપરનું ગ્રહણ માત્ર
આઘાત્ પેદાકારક છે. જે કંઇ તમારૂં છે તેના પર કોઇ પોતાની માલિકી કરી શકે તે 'વિચાર' [રેણુકાની
કથા] કે કોઇએ માલિકી કરી લીધી છે તેવી 'માન્યતા'[સીતાની કથા]ના ખયાલમાત્રથી તમારી માનહાની થઇ જઇ શકે
છે.
જ્યારે
પણ આપણે હિન્દુધર્મને બચાવપક્ષનાં પાંજરાંમાં ઉભો કરવા માગતા હોઇએ છીએ કે હિન્દુ
સામાજીક રિવાજોને પુરૂષપ્રધાન સાબિત કરવા હોય છે ત્યારે આપણે આ કથાઓને આ સ્વરૂપે
રજૂ કરીએ છીએ, પરંતુ
આ જ ગ્રંથોમાં આ કથાઓનાં એ સ્વરૂપોનો ઉલ્લેખ માત્ર પણ કરતા નથી જેમાં આ કથાઓનાં બીજાં પાસાંઓ પણ અસરકારકરીતે
કહેવામાં આવ્યાં હોય.
કેટલીક
કથાઓમાં જેમાં અહલ્યાનો એક પ્રમાણિત વ્યભિચારિણી અથવા બળાત્કારીત સ્ત્રી તરીકેનું
વર્ણન છે, જેને
કારણે જેના પતિએ તેને પથ્થરની શિલા બની જવાનો શ્રાપ આપ્યો હતો, પરંતુ
રામના પાદસ્પર્શથી જે પવિત્ર અને શ્રાપમુક્ત થઇ હતી તેવી કથા આપણે કહેતા નથી. આ એજ
રામ છે જે સીતાનો ત્યાગ કરશે.આવા પુરૂષપ્રધાન રામ એક વ્યભિચારિણીને પવિત્ર શા માટે
કરે છે? આનું
કોઇ સ્પષ્ટીકરણ જોવા નહીં મળે! શા માટે આવા રામ કલંકિત સીતાના ત્યાગ પછીથી ફરીથી
લગ્ન નથી કરતા? કોઇ
સ્પષ્ટીકરણ નહીં! શા માટે આ કથાઓમાં સ્ત્રીઓ પ્રત્યે દાક્ષિણ્ય કે ક્ષમા [અહલ્યાની મુક્તિ]કે
પ્રતિબધ્ધત્તા [સીતાત્યાગ પછીથી પુનઃલગ્ન ન કરવાં] જેવાં સ્વરૂપને બદલે સમાજના
પુરૂષપ્રાધાન્યને ઉભારતાં કથાતત્વને વધુ પ્રસિધ્ધિ મળે છે?
આપણે
ઉપનિષદની એ કથા પણ નથી કહેતા જેમાં ગૌતમ ઋષિ તેમનીપાસે શિષ્ય થવા આવેલ બાળકને પૂછે
છેઃ " તારા પિતાનું નામ શું છે?" જેના જવાબમાં બાળક કહે છેઃ "મારી માતા એ આપને એમ
કહેવાનું કહેલ છે કે તે એક દાસી છે અને તેણે અનેક પુરૂષોની સર્વ પ્રકારે સેવા કરી
છે, તેથી
તેને મારા પિતા કોણ છે તે ખબર નથી. માટે મને જાબાલાના પુત્ર, જાબાલી,
તરીકે સ્વિકારો." આવા સાચા અને પ્રમાણિક જવાબની ભેટ રૂપે ઋષિ બાળકને સત્યકામ
[સત્યનો ચાહક] નામથી શિષ્ય તરીકે આવકારે છે.
આપણે
મહાભારતની શ્વેતકેતુની એ કથા પણ નથી કહેતા જેમાં તે તેની માતાને પરપુરૂષની સાથે
જોતાં ચોંકી ઉઠીને તેના પિતા ,ઉદ્દાલક,ને શિકાયત સ્વરૂપે જાણ કરે છે, ત્યારે
તેના પિતા જવાબમાં કહે છેઃ "સ્ત્રીને જે પસંદ હોય તે કરવાની સ્વતંત્રતા
છે." આના પ્રતિભાવમાં પુત્ર જ્યારે પોતાના પિતાઅંગે શંકા કરે છે ત્યારે
ઉદ્દાલક કહે છેઃ "મારો પ્રેમ તને મારું સંતાન બનાવે છે, નહીં
કે મારું પુરૂષ-બીજ."
આમ
એક પક્ષે સ્રીને મિલ્કત ગણાવતી જેટલી કથાઓ છે તો બીજે પક્ષે સ્ત્રીને પોતાનાં
જીવનપર પુરો અધિકાર હોય અને સ્ત્રી મિલ્કત સ્વરૂપે ન જોવાઇ હોય તેવી કથાઓ પણ છે.
આપણી શાળાઓ કે કૉલેજોમાં કે પછી આપણા જમણેરી કે ડાબેરી ધર્મનિર્પેક્ષ બૌધ્ધિકોદ્વારા
આવી બીજા પ્રકારની કથાઓ શા માટે કહેવાતી નથી?
મારા
મત મુજબ, પૌરાણિક
સમયમાં સ્ત્રીને સન્માન મળતું ન હતું જેને આધુનિક ધર્મનિરપેક્ષ કાયદાની મદદથી
સુધારી શકાશે, તેવી માન્યતા રૂઢ થતી જણાય છે. જો કે આ માન્યતા બે-વજૂદ જણાય છે. ખાપ કે
ઇન્ડિયન પીનલ કોડ [ઇ.પી.કૉ.] હોવા છતાં પણ સામાન્યતઃ લોકોને, અને ખાસ કરીને સ્ત્રીઓને, અવમાનિત
કરતા જડસુઓ ત્યારે પણ હતા,
આજે પણ છે, અને [મને આ લખતાં કમકમાતી થઇ આવે છે કે] આવતીકાલે પણ હશે.
આપણે
આવા જડસુઓને કેન્દ્રમાં રાખતી પ્રસિધ્ધિઓ ક્યારે બંધ કરીશું?
n 'દેવલોક, સન્ડે
મિડ ડે, ઑગષ્ટ
૭, ૨૦૧૧'માં
પ્રકાશિત થયેલ
n Originally
Titled: A Woman’s Body
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો