દધિચિની કથા સંસ્કૃત પુરાણોમાંથી આવેલ છે. વ્રિત્ર નામના એક દાનવની નેતાગીરીમાં ચાલી રહેલી લડાઈમાં ગુંથાયેલા દેવોની કોઈ કારી ફાવતી ન હતી. દેવોને બહુ જ મજબૂત શસ્ત્રની જરૂર હતી. દધિચિ ઋષિનાં હાડકાંથી વધારે કંઇ મજબૂત કાચો માલ તેમને નજરે ચડતો ન હતો. દધિચિ તો હજારો વર્ષની તપશ્ચર્યામાં હતા, એટલે ઈન્દ્ર દધિચિ પાસે ગયા અને તેમનાં હાડકાનું દાન કરવા પ્રાર્થના કરી.આમ કરવા માટે દધિચિએ મૃત્યુને સ્વીકારવું પડે. દધિચિ તો કૈવલ્ય અવસ્થા પામી ચૂક્યા હતા, એટલે ટકી રહેવા માટે તેમને દેહની જરૂર હતી નહીં, તેથી તેમણે તરત જ સ્વીકૃતિ આપી. તેમણે યોગની સમાધિની સાધના વડે પોતાના દેહનો ત્યાગ કર્યો અને દેવોને પોતાનાં હાડકાંનો ઉપયોગ કરવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. આ હાડકાંમાંથી દેવોના સ્થપતિ, વિશ્વકર્મા,એ વીજળીના પ્રચંડ કડાકાની શક્તિ ધરાવતું વજ્ર બનાવ્યું. આ વજ્રની મદદથી ઈન્દ્રએ વ્રિત્ર અને અસુરોને હરાવ્યા. આજે પણ જ્યારે આકાશમાં વીજળીની ગર્જનાઓ થાય છે ત્યારે લોકો બોલી ઊઠે છે કે જૂઓ, દધિચિનાં હાડકાનાં દાનમાંથી બનેલાં વજ્ર વડે ઈન્દ્ર અસુરોનો નાશ કરી રહ્યા છે.
કણ્ણપ્પાની કથા શિવ ભક્તિનાં તમિળ ભક્ત-કવિઓ, નયનાર, રચિત પેરીયાર પુરાણમમાં વર્ણવાયેલ છે. બોયર/ ગડ્ડી જાતિનો શિકારી ટિન્નન દરરોજ જંગલમાંનાં શિવ મંદિરે જતો, અને પોતાના મોંમાં ભરીને પહાડોનાં ઝરણાંઓનું પાણી, વાળમાં ગૂંથીને પહાડના ઢોળાવો પર થતાં ફૂલ અને શિકારમાંના સહુથી સારા કટકા જેવું જે કંઈ પોતાના દરરોજના શિકારમાં મળતું તેમાંથી તે ભાગ ધરાવતો. એક દિવસે શિવે પોતાના ભકતની નિષ્ઠા ચકાસવાનું નક્કી કર્યું.શિવ લીંગ પર બે આંખો ફૂટી આવી અને એમાંની એક આંખમાંથી લોહી વહેવા લાગ્યું. ટિન્નને વનસ્પતિ - ઓસડીયાંઓની મદદથી એ લોહી રોકવાના પ્રયત્નો કર્યા, પણ કોઇ કારી કામ ન આવી. આખરે તેણે પોતાની આંખ કાઢીને એ લોહી નીકળતી આંખની જગ્યાએ રોપી દીધી. તેના માટે હજૂ આંચકા સહન કરવાના બાકી હતા - હવે લીંગની બીજી આંખમાંથી લોહી ઝરવા લાગ્યું. ટિન્નને પોતાની બીજી આંખ તો લગાડી દેવાનું તત્કાળ જ નક્કી કરી નાખ્યું, પણ પોતાની બંને આંખ વગર એ બીજી આંખ લીંગ પર લગાડવી કેમ તે દ્વિધામાં તે હવે ગુંચવાયો. એટલે એણે એ લોહી નીંગળતી આંખ પર પોતાનો પગ રાખ્યો જેથી પોતાની બીજી આંખ લીંગ પર ક્યાં લગાડવી તે તેને બરાબર ધ્યાન રહે. તેનાં બિનશરતી દાનનાં આ કૃત્યથી શિવ તેના પર એટલા પ્રસન્ન થઇ ગયા કે તેમણે ટિન્નનને કણ્ણપ્પા - આંખોના સંન્યાસી-નું બિરૂદ બક્ષ્યું.
આમ પોતાનાં હાડકાનાં દાનમાં દધિચિ ઋષિની વૈરાગ્યની ભાવના જોવા મળે છે ,જ્યારે પોતાની આંખોનાં દાનમાં કણ્ણપ્પાની ભક્તિ નજરે ચડે છે. જો કે એક સિવાય બીજાંનું હોવું શકય નથી.
-
અસલ અંગ્રેજી લેખ,Letting go of a Part, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર માર્ચ ૨૬, ૨૦૧૪ના રોજ Indian Mythology • Myth Theory ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ એપ્રિલ ૨૯, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો