કાલિદાસનાં શાકુંતલયમમાં પોતાના પ્રેમી - દુષ્યંત- ની
યાદોમાં ખોવાયેલી હોવાને કારણે શકુંતલા તેમના તરફ ધ્યાન નથી આપતી એટલે ઋષિ
દુર્વાસા ખૂબ ક્રોધિત થતા જણાવાયા છે. પરિણામે દુર્વાસા ઋષિ શંકુતલાને શ્રાપ આપે
છે કે તેનો પ્રેમી તેને ભૂલી જશે. તિરૂમલાના સ્થળ પુરાણમાં વિષ્ણુને પણ ઋષિ
પ્રત્યે ધ્યાન આપવાનું ભાન ન રહેવાને કારણે સજા મળી હોવાનો ઉલ્લેખ છે.વિષ્ણુ
લક્ષ્મી સાથે મગ્ન હોવાને કારણે ભૃગુ ઋષિ તરફ તેમનું ધ્યાન નથી જતું, તેથી ભૃગુ ઋષિએ ગુસ્સે થઈને વિષ્ણુની છાતીમાં લાત ઠોકી દીધી હતી.
કોર્પોરેટ જગતમાં કોઈ વ્યક્તિ પર ધ્યાન ન અપાવાને કારણે
તેને એમ લાગે કે મારા તરફ દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે તો એ ઘટના, ક્યારેક, ઘાતક નીવડી શકે
છે.આમ થવાને પરિણામે કોઇ મહત્ત્વના ગ્રાહકને ખોઈ બેસવું, કોઈ મહત્ત્વનો સોદો ખોઈ બેસવું કે પોતાની નોકરીમાંથી બરતરફી સુધી વાત વણસી
શકે છે. પરંતુ આજનાં આધુનિક મૅનેજમૅન્ટમાં આ પ્રકારના શબ્દો નહીં જોવા મળે.કેમ? કેમ કે ભાન અને ધ્યાનને માપવાં શક્ય નથી.
આજનાં મૅનેજમૅન્ટનો પાયાનો સિધ્ધાંત છે કે જે માપી ન
શકાય તેનું વ્યવસ્થાપન કરી ન શકાય. કોઈ કોઈ વાર તો એટલા અંતિમ સુધી પહોંચીને એમ પણ
માનવામાં આવે છે કે જે માપી નથી શકાતું તેનું અસ્તિત્વ પણ નથી. લાગણીઓ માપી નથી
શકાતી તેથી આધુનિક મૅનેજમૅન્ટને તેની સાથે ખાસ લેવા દેવા નથી.લાગણીઓને માપવા માટે
લાગણીશીલતા ગુણાંક -‘Emotional Quotient’ (EQ)- જેવાં માપ વિકસાવાયાં જરૂર છે, પણ બધાં જાણે છે કે મનની વાતને માપવાની બાબતે ગણિતનાં સૂત્રો ઘણાં અપૂરતાં
નીવડે છે.
એટલે પોતાની અધૂરપ પૂરી કરવા માટે અધુનિક મૅનેજમૅન્ટ નવી
વ્યૂહરચના લઈ આવ્યું છે, જે 'વ્યાવસાયિક થવું' તરીકે ઓળખાય
છે. બહુ સીધા શબ્દોમાં તેનો અર્થ એમ છે કે આપણાં કામમાં લાગણીઓને બહુ સ્થાન ન
આપવું.આને માનસિક વિકૃતિનું પાતળું પોત કહી શકાય. લાગણી ન અનુભવો, એ વિશે વિચારો નહીં, બસ કામ કર્યે
જાઓ.પરંતુ વર્તન એ તો સાવ છેલ્લે આવતી ઘટના છે.
કર્મચારીઓનાં અપૂરતાં ભાન અને ધ્યાનની સમસ્યાનાં એક નિરાકરણ રૂપે પ્રક્રિયાઓ પર ભાર મૂકવામાં આવે છે. નક્કી કરેલું કામ તો કરવું જ રહ્યું, તમારૂં મન ભલેને તેમાં ન હોય. એટલે આપણે નિયમો બનાવી છીએ, અને તેમને કામની કદર અને પુરસ્કાર સાથે સાંકળી લેવામાં આવે છે, જેથી આપણે જે કરાવવું છે તે લોકો કરે. અહીં માણસ પર એક જાતનો દબાવ બનાવીને
તેમનું ભાન કે ધ્યાન ન હોય તો પણ નક્કી કરેલ કામ કરવા માટે (સીધી નહીં તો પરોક્ષ) ફરજ પાડવામાં આવે છે.ટેલીમાર્કેટીંગના કિસ્સાઓમાં
ભાવવિહિન, યાંત્રિક, અવાજ સાંભળવો કે એરપોર્ટ્સ કે હોટેલ્સમાં કૃત્રિમ સ્મિત સામે થવાં એ અનુભવો
આપણા માટે સામાન્ય ઘટનાઓ બની ગઈ છે. તમને ખબર છે કે તેમનું ધ્યાન તમારા તરફ નથી. તેમની નિષ્પ્રાણ આંખોમાં તે
બહુ સ્પષ્ટ દેખાઇ આવે છે.
ભાન અથવા ધ્યાનની બાબતમાં ભારતીય વિચારસરણી બહુ મહત્ત્વનો
ભાગ ભજવે છે. પતંજલિનાં યોગ-સૂત્રના આઠ-અંગોમાં ધારણા અને ધ્યાન ભાન અને ધ્યાન
વિષે છે.ભાન એ પરિપ્રેક્ષ્ય વિષે છે અને ધ્યાન કેન્દ્રિત અભિગમ પર ભાર મૂકે છે.
બન્નેની મદદથી લોકો એકબીજાં સાથે જોડાઈ શકે છે.તેમને કારણે આપણા હાથપરનાં કામમાં
આપણને મજા આવે છે અને બીજાંઓની લાગણી પ્રત્યે આપણે સંવેદના અનુભવીએ છીએ.
દરેક વ્યક્તિને પોતાને મહત્ત્વની સમજે છે. પોતા તરફ
ધ્યાન અપાય તે પણ તેને જોઈએ છે.જ્યારે સેવા પૂરી પડાતાં લોકો ગ્રાહકો પર પોતાનું
ધ્યાન વર્ષાવી દે છે ત્યારે ગ્રાહકોને બહુ મજા આવે છે. નીચેનાં લોકો ઉપરીઓનું બહુ
અગત્ય દેખાડે તે ઉપરીઓને બહુ ગમે. જ્યારે વરિષ્ઠ સંચાલક મંડળ તેમની સમસ્યાઓ અને
ચિંતાઓ પર ધ્યાન આપે છે ત્યારે કર્મચારીઓને બહુ સારૂં લાગે છે.તમારૂં મહત્વનું
લાગવું તેમ જ કોઈને તમારી પરવા છે તેમ લાગવા માટે તમે એ વ્યક્તિનાં ભાન અને
ધ્યાનના દાયરામાં રહો તે જરૂરી છે. આપણી ચાલને પારખી લે એવાં સાધનો આપણને વધારે
એટલે ગમે છે કે તેનાથી આપણને એવો ભાસ થાય છે કે આપણી તરફ કોઈ "જૂએ"
છે.આપણને કૂતરાં પાળવા ગમવા પાછળનું એક કારણ છે તેમની બિનશરતી સ્વામીભક્તિ.
કમનસીબે,મોટા ભાગનાં કોર્પોરેટ્સ ગાપચી મારનાર કર્મચારીઓ અને ચોરી ચપાટી કરનારાંઓ
પર નજર રાખવામાં એમ માત્ર બે જગ્યાએ ભાન અને ધ્યાનને મહત્ત્વ આપતાં જોવા મળતાં હોય
છે.આ કારણે એક્દમ આધુનિક સાધનો અને ઠીકઠીક જટિલ પ્રેગ્રામીંગથી સજ્જ એવી બહુ જ ચપળ
અને અતિસંવેદીનશીલ તીવ્ર સલામતી વ્યવસ્થા તંત્રમાં મોટા ભાગની સંસ્થાઓ તગડાં રોકાણ કરતી રહે છે.
આમ કરવાથી સફળતાઓને નથી બીરદાવાતી, પણ નિષ્ફળતાઓ ખોળવનું અને તેને સુધારવાનું કામ થતું રહે છે.
માલિકીઅંશધારકનાં હીતની રક્ષા કાજે કરાતી કોર્પોરેટ સલામતી વ્યવસ્થાઓને નામે થતો આ
પીછો સન્માનીય પણ બની ચૂકેલ છે. અવિશ્વાસથી ચિત્તવિક્ષેપિત થયેલાં માનસનાં આ ભાન
અને ધ્યાન મહદ અંશે અરોચક બની રહે છે. પતંજલિએ જે ધારણા અને ધ્યાનની વાત કરી હતી
તે તો આ નહોતી એટલું ચોક્કસપણે કહી શકાય.
કોઈ મુખ્ય સંચાલક વાકેફગારી માટેની સભાનતાને માપતા
રહેવાનું ડેશબૉર્ડ રાખી ન શકે. સંચાલન મંડળ દ્વારા કર્મચારીઓને કે કર્મચારીઓ
દ્વારા ગ્રાહકને અપતાં ધ્યાન બાબતે મોટા ભાગના વાર્ષિક અહેવાલોમાં એકાદ વાક્ય
કહેવાતું જોવા મળશે. દબાણ કરીને લોકોને ભવિષ્યના પડકારો બાબતે જાગરૂક અને ઝીણી
નજરથી જોવા માટે સતત સાવધ રહેતાં ન કરી શકાય. આ બધી એવી માનસિક પ્રક્રિયાઓ છે જેને
દરેક વ્યક્તિનું મન અવચેતનપણે અમૂર્ત સ્વરૂપે નિયમન કર્યા કરે છે. તેનો મહત્તમ
ફાયદો તો વ્યક્તિની અંગત અને સામુહિક સ્વેચ્છા પર જ અવલંબે છે. તાલીમ, પ્રોત્સાહનો કે નાનામોટા દંડ વડે અમુક હદ સુધી લોકોનાં વર્તનને એક દિશામાં
ચલાવી શકાય, પણ તેથી
લોકોનું માનસ જાગરૂક બને કે વધારે ધ્યાન આપનારૂં બને તેમ જરૂરી નથી. ઘણી વાર તો
કર્મચારીઓ પોતાના સાહેબો સાથેની અસહમતિમાંથી જન્મતા ખટરાગના હિસાબ ચૂકવવામાં આનો
સાધન તરીકે ઉપયોગ કરતાં જોવા મળે છે. જો સંચાલન અગ્રણીએ સંસ્થાને સંવેદનશીલ, કાળજી લેનાર અને સાવધ રહે તેમ કરવી હોય તો ભાન અને ધ્યાનની ગેરહાજરી વિષે
વાકેફ રહેવાની ક્ષમતા કેળવવી જોઈશે.
‘ધ મિડ-ડે' માં
૬ જુલાઈ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Measuring Awareness and Attention.નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો