છેક બાળપણથી અલગ અલગ સંદર્ભમાં આપણે છ નેત્રહીન વ્યક્તિઓ
અને તેમણે જોયેલા એક હાથીની વાર્તા સાંભળતાં આવ્યાં છીએ. એ વાર્તામાં દરેક જણે
હાથીના જે ભાગને જોયો હાથી તેને તેવો લાગ્યો.પૂંછડી જેણે પકડી તેને તે દોરડાં જેવો
લાગ્યો, જેણે કાન
પકડ્યો તેને તે અનાજ સાફ કરતાં સુપડા જેવો લાગ્યો, જેના ભાગે તેનો પગ આવ્યો તેને તે થાંભલા જેવો લાગ્યો, જેણે શરીરને સ્પર્શ કર્યો તેને તે મોટીમસ દિવાલ જેવો લાગ્યો, જેણે સૂંઢ પકડી હતી તેને તે વૃક્ષની જાડી ડાળી જેવો લાગ્યો અને જેણે દંતશૂળ
પકડ્યાં તેને તે હળ જેવો લાગ્યો.
ખરો સવાલ છે કે
આખો હાથી કોઈએ જોયો છે ખરો? બધું જાણતી એવી
વ્યક્તિ કોણ હોય? ગુરુ,પયંગબર, શિક્ષક, ભગવાં વસ્ત્રોમાં સજ્જ 'પવિત્રાવતાર',
વ્યાસપિઠ પરથી વ્યક્તવ્ય આપનારા પાદરી/ મહારાજ, નેતા, રાજા, પુજારી, કે માતાપિતા? આપણને ખબર પણ કેમ કરીને પડે કે આપણને જે વર્ણવાઈ રહ્યું છે તે ખરું, પૂરૂં વર્ણન છે? કોઇનાં જ્ઞાનની
તરફેણમાં આપણા પોતાના અનુભવોને ભૂલી જવાનું તો નથી કહેવાઈ રહ્યું ને? આવું કંઈ થતું હોય તો તે શોષણ તરફનો ધોરી માર્ગ જ બની રહેવાનો.
એમ કહી શકાય કે
અનેકવિધ વાસ્તવિકતાઓના સિધ્ધાંતના અનેકાંતવાદનો જૈન ધર્મનો વિચાર અને શરતી સત્યનો
સ્યાદવાદનો સિધ્ધાંતને સમજાવવા આ વાર્તાનો ઉદય થયો હતો. આ વાર્તાનો આધાર એ સમજ પર
છે કે પૂરૂં સત્ય કોઈ જાણી નથી શકયું તેમ જ સત્ય પોતે પણ ક્યારે પૂરૂં નથી હોતું, કારણકે તે દરેક સંદર્ભ અનુસાર સમયે સમયે નવું સ્વરૂપ ધારણ કરતું રહે છે.
આવા જ પ્રકારના
વિચાર ૠગવેદના સર્જન મંત્રોમાં દર્શાવાયા છે.તેમાં સવાલ એ છે કે પહેલું કોણ આવ્યું? તેમાં એ પણ સમજવામાં આવ્યું છે કે કોઈ પાસે આનો જવાબ છે નહીં કારણ કે 'ખુદ દેવો પણ પછીથી આવ્યા છે'. જે પછીથી આવે છે તે પહેલાં શું હતું તે કદી સમજી નથી શકતું.
દુનિયા સતત
બદલતી રહે છે. અચળ કંઈ જ નથી. ઋતુઓ બદલે છે. સમાજના ઉદય થાય છે અને અસ્ત પણ થાય
છે. સંદર્ભો બદલતા રહે છે. કારણો બદલાતાં રહે છે. મૂલ્યો આવે છે અને જાય છે.
અર્થઘટનો ફરતાં રહે છે. આમ 'સત્ય' ક્યારે પણ પૂર્ણ નથી હોતું, તે હંમેશાં બદલતું રહે છે.
આ વાત સૌથી
વધારે ભાષા વિશ્વમાં આંખે ઊડીને આપણી સામે આવે છે. શબ્દોની જોડણીઓ અને અર્થ
સુધ્ધાં સમયે સમયે બદલતાં રહે છે. ૧૮મી સદીમાં લખાતું ‘gaol’
(કેદ) હવે ‘jail’ (જેલ) લખાય છે. એસ એમ એસની ભાષામાં ‘your’ને ‘ur’ તરીકે લખવામાં
આવે છે. એક સમયે ‘gay’નો અર્થ
ખુશખુશાલ થતો, આજે તે
સમલૈંગિક પુરુષ માટે વપરાય છે. એ જ રીતે ‘nice’નો અર્થ એક સમયે 'કંઇક મૂર્ખું' થતો; આજે તે સુખદ
અનુભવ દર્શાવે છે. ‘Husband’નું મૂળ 'ઘરના માલિક'- લગ્ન માટેનો
યોગ્ય મૂરતિયા -તરીકે થયું ગણાય છે જ્યારે આજે તેનો અર્થ દંપતિમાંના પુરુષ સાથી
તરીકે થાય છે. ‘Meat’ એક સમયે બધા જ
પ્રકારના ખોરાક માટે વપરાતો શબ્દ હતો, જ્યારે આજે તે પક્ષીઓ કે માછલીઓનાં પણ નહી, માત્ર પશુઓનાં જ માંસ માટે વપરાય છે. ‘Abandon’નો અર્થ થતો હતો 'તાબે કરવું' જ્યારે આજે થાય છે 'છોડી દેવું'.
‘Addict’નો અર્થ થતો હતો દેણદારના ગુલામ થવાની જેની ફરજ છે તેવો, જ્યારે આજે અર્થ થાય છે નશીલાં દ્રવ્યોનો આદી. ‘Awful’નો મૂળ અર્થ થતો હતો જે અહોભાવ જગાવે છે તેવું, આજે તે નકારાત્મક અર્થમાં વપરાય છે. 'Myth'નો અર્થ એક સમયે થતો હતો કહાની, પછી થયો નકલી કહાની અને હવે થાય છે એવી વાર્તા છે જે કોઇનું એવું
વ્યક્તિલક્ષી સત્ય છે જે તર્કસંગત નથી.
સંસ્કૃતના મહાન
વ્યાકરણવિદ પાણિનીનું કહેવું છે કે ઘડો ખરીદવો હોય તો કુંભારના ઘરે જ જવું પડે.
પરંતુ શબ્દ કે ભાષા માટે કોઈ ભાષવિદને ત્યાં નહીં પણ બજારમાં જવું પડે જ્યાં લોકો
પોતાની જરૂરિયાત મુજબ શબ્દો બનાવે છે, જાળવે છે અને ફરી ફરી નવાં અર્થઘટનો કરે છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે
લોકોને જે ઠીક લાગે એ ભાષા. ભાષાનો નિષ્ણાત બહુ બહુ તો ભાષાની તવારીખનો રખેવાળ છે, તેને કોઈ મત નથી આપવાનો કે નથી તો કોઈ ટિપ્પણી કરવાની. પેલું હાથી(પૂર્ણ)
સત્ય કોઈ જાણી શકવાનું નથી. એ જ્યાં છે ત્યાં આપણે તેની વાત કરીએ છીએ તે દરમયાન
ગેંડા કે હિપોપોટેમસનાં સ્વરૂપો પણ કદાચ બદલતો હોય ! કોને ખબર? આપણે આપણાં મર્યાદિત જ્ઞાનથી આપણી આસપાસની વાસ્તવિકતાઓનો, જેટલો અને જેવો સમજાય તેવો, અર્થ કરીને સંતોષ માની લેવાનો છે.દુનિયાના આ પરિમિત અર્થનો સ્વીકાર આપણામાં
વિનમ્રતા જગવે છે.
ધ મિડ ડે માં ૩ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Never-complete and Ever-Changing truthsનો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૬ એપ્રિલ, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો