સંસ્કૃતિને બદલે સંસ્કાર
શબ્દપ્રયોગના પ્રતિભાવો સાવ અલગ જ જોવા મળે છે. પરંપરાગત અને આધુનિક એવાં બન્ને
પ્રકારની સંક્રાંતિમય જીવનશૈલીમાં સતત વસતાં દરેક ભારતીયનો પ્રતિભાવ આપોઆપ જ અલગ અલગ હોય છે.
જ્યારે આપણે સંસ્કૃતિ
શબ્દપ્રયોગ કરીએ છીએ ત્યારે મનમાં વિવિધ પ્રસંગોએ થતાં લોક નૃત્યો કે શાસ્ત્રીય
નૃત્યો કે ગીતસંગીતના કાર્યક્રમોનું જ એક ચિત્ર ખડું થતું હોય છે. પણ સંસ્કૃતિ એ
મનોરંજન માટે રજૂ થતા કોઈ સંસ્કૃતિક કાર્યક્રમો માત્ર જેટલી જ વાત છે? શું એ ભૂતકાળની યાદોનો વિયોગ કે કંઇ અપ્રચલિત, જુનવાણી બાબતો છે ? કે પછી જીવનની ઘરેડ પર અસર
કરતી રહેતી અતિતની યાદો છે?
કે પછી સંસ્કૃતિ એક એવું
ઘરેણું છે જે શ્રૃંગારમાં હોય તો શોભે, પણ હોવું જ જોઇએ એવું જરૂરી નથી ?
આપણે જ્યારે સંસ્કાર
શબ્દપ્રયોગ કરીએ છીએ ત્યારે આવતા પ્રતિભાવ સાવ જ અલગ હોય છે. સંસ્કાર એ ભારતીયો
માટે પોતાના ઉછેર સાથે સંકળાયેલ રહે છે. મોટા ભાગનાં ભારતીય માતાપિતા તરીકેની કામગીરીની
અસરકારકતા માટે એ મહત્ત્વનું સૂચક પરિમાણ છે.તેને કુટુંબનાં મૂલ્યોનાં સૂચક તરીકે
પણ જોવામાં આવે છે. વ્યક્તિ કેટલી શિષ્ટ અને સભ્ય છે તેનાં સૂચક તરીકે પણ સંસ્કારને
જોવામાં આવે છે.
સંસ્કાર એ સંસ્કૃત ભાષાની
લાક્ષણિક શબ્દ રમત છે. એ ત્રણ અક્ષરોને મૂળમાં રાખીને બનતો શબ્દ છે : પહેલો અક્ષર
- સરસ, જેનો અર્થ છે પ્રવાહી. બીજો છે સમ્ , જેનો અર્થ થાય છે પુનરાવર્તક કે અંત વગરનું સરકિયું.ત્રીજો છે ક
જે પ્રશ્નાર્થસૂચક પણ છે અને માનવતા તેમ જ
વેદોમાંનાં દિવ્યત્ત્વનો પણ સૂચક છે. આમ દરેક જીવાત્માને લાગૂ પડતાં જન્મ
અને મૃત્યુનાં અનંત ચક્રને માનવીનું મન કઈ દૃષ્ટિથી જૂએ છે તે તેના સંસ્કાર છે. પોતે જે કુટુંબનું અંગ છે
તે માનવ જીવનનું શું મૂલ્ય આંકે છે તે વ્યક્તિના સંસ્કારથી મપાય છે. સમાજ સાથે, અને તેથી પણ વધારે વ્યાપકપણે આસપાસનાં સમગ્ર પર્યાવરણ સાથે, પોતે કઈ રીતે સંકળાયેલ છે એ દર્શાવવા માટે દરેક વ્યક્તિ કે
સંસ્થાને સંસ્કારની મદદ લેવી જરૂરી બને છે.
આપણા દેશમાં જીવન ચક્રના દરેક
તબક્કામાંથી પસાર થવાની સાથે જ સંસ્કારનું ઘડતર થવા લાગે છે. ઘણી વાર આ તબક્કાને
પણ સંસ્કારનું જ નામ અપાતું હોય છે. આમ સંસ્કાર જ સંસ્કૃતિનું ઘડતર કરે છે એટલે એ
અર્થમાં સંસ્કૃતિ પણ સંસ્કારના સમાનાર્થ જ કહી શકાય. જીવન તબક્કાના આ નમૂનારૂપ કહી
શકાય એવા સંસ્કાર છે - લગ્ન,
બાળજન્મ, બાળકના કાન વીંધાવવાની વિધિ કે કેશમુંડન વિધિ કે પહેલી વાર ઘન
ખોરાક ખવડાવવાની વિધિ, શાળાનો પ્રથમ દિવસ અને છેલ્લે મૃત્યુ.
તહેવારો શી રીતે ઉજવાય છે કે ખોરાક શી રીતે પીરસાય છે , ઘર કેવી દશામાં રખાય છે કે ઘરમાં દીકરીઓ, દીકરાઓ,
વડીલો, મહેમાનો,
અજાણ્યાંઓ કે નોકરો કે પછી
વિરોધીઓ સાથે કેવો વ્યવહાર કરાય છે તેનો સંબંધ પણ સંસ્કાર સાથે છે.દરેક વિધિઓની
જેમ મોટા ભાગની વિધિઓનું ક્યાં તો કંઈક પણ પ્રતિકાત્મક મહત્ત્વ હોય છે કે પછી સાવ
જ મહત્ત્વ ન હોય. કંઇક કરવું તો પડે પણ એ કરવામાં રહેલી વિધિ કરવામાં તેની પાછળ રહેલ લાગણી - ભાવ-નું
મહત્ત્વ છે. ભાવ સાથે વિધિ થાય એવું સૂચિત કરાતું હોય છે. ભાવ વિના થતી વિધિ ચલાવી
લઇ શકાય. પણ વિધિ વિનાનો ભાવ તો કલ્પી જ નથી શકાતો.
આજનું મૅનેજમૅન્ટ જગત
લાગણી-ભાવ-ને અવગણવાનું કરે છે,
કેમ કે ભાવ માપી નથી શકાતો.
તેનું ધ્યાન નિયમો (નીતિ) અને પરંપરા (રીતિ) પર વધારે રહે છે. આ દૃષ્ટિકોણ મુજબ
સંસ્કૃતિ એ વિચારોની અભિવ્યક્તિનું માધ્યમ નહી પણ પણ એક એવી જડ આચાર સંહિતા છે
જેમાંથી મુક્તિ પામવા માટે તેનો વિરોધ જ કરવો રહે. બહુ બહુ તો એ અતિતની યાદોનું વાહન બની રહી શકે.
સંસ્કૃતિ માટેનો આ દૃષ્ટિકોણ વધારે ને
વધારે વ્યાપકપણે સ્વીકારાતો થતો જોવા મળી રહ્યો છે.
પુરાણોમાં આપણે જોયું છે
શિવને તેમના સસરા દક્ષના સંસ્કારને સમજી નથી શકતા કેમકે શિવ માટે વિધિવિધાનો કરતાં
ભાવ વધારે મહત્ત્વ ધરાવે છે, જ્યારે દક્ષમાટે ભાવ કરતાં રીતરિવાજ વધારે
મહત્ત્વનાં હતાં. આ વિરુધ્ધ દિશાની બે વિચારસરણીઓના સંઘર્ષનું પરિણામ હિંસામાં
નિપજ્યું હતું.
સંસ્કૃતિ માનવીય
આદાનપ્રદાનમાંથી પરિણમે છે. સંસ્કૃતિ વિનાની કોઈ સંસ્થા સંભવી ન શકે. પુરાણોમાં
માનવ સંસ્કૃતિની જૂદી જૂદી કક્ષાઓ વર્ણવાઈ છે.
- મૂળભૂત
–તળ- સંસ્કૃતિ (કક્ષા # ૦) – આ કક્ષા પશુની કક્ષાની સંસ્કૃતિ છે જેમાં પાશવિક – સ્વાભાવિક
- (પ્રાકૃતિક) વૃત્તિઓ છૂટથી
પ્રવૃત્ત રહે છે, જ્યાં બળનું જ જોર ચાલે છે, જ્યાં આધિપત્ય અને સંઘર્ષ ફાલેફૂલે છે અને બધું એક ટોળામાં
રહેવામાં અને તે ટોળાં માટેના આહારપાણી અંકે કરવામાં અને તેની સુરક્ષામાં જ સિમિત
બની રહે છે. જે સંસ્થાઓમાં નેતૃત્વ પડી ભાંગેલ હોય છે ત્યાં આવી પરિસ્થિતિ
પ્રવર્તતી જોવા મળતી હોય છે.
- સંસ્કૃતિની એ પછીની કક્ષા (કક્ષા # ૧) એ છે જેમાં માનવ-પ્રાણીને નિયમો, ઈનામો અને અકરામો કે માનસમ્માન વડે પાલતુ બનાવી દેવાયું હોય.
મોટા ભાગનાં અતિનિયંત્રિત કાર્યસ્થળોએ આ પરિસ્થિતિ જોવા મળશે.
- સંસ્કૃતિની એ પછીની કક્ષા (કક્ષા # ૨) એ છે જેમાં વ્યક્તિ બધી ભૌતિક ચીજવસ્તુઓ, સુખદુઃખનો ત્યાગ કરી ચૂકે છે કે બધા સંબંધોથી વિરક્ત બની જાય
છે. આ સંન્યાસી સંસ્કૃતિ તરીકે ઓળખાય છે.
- એ પછી આવે છે એવી પરિસ્થિતિ તંત્રવ્યવસસ્થા (કક્ષા # ૩) જ્યાં કોઈ પણ પ્રકારનાં દબાણ વગર જ લોકો પોતાનાં ભાવનાત્મક
અને બૌધ્ધિક ભલાં માટે આપોઆપ જ સામેના વિષે સંવેદનશીલ બને.આ એવી સંસ્કૃતિ છે જેમાં
બધાંને ખબર છે કે સગાં હોય કે ન હોય, અજાણ્યાં હોય કે સહકર્મી હોય, એવાં કોઈ પણ ઉમરનાં પુરુષ કે સ્ત્રી સાથે કેમ વર્તન કરવું. આ કક્ષાએ પહોંચવું એ દરેક સમાજની આકાંક્ષા હોવી જોઈએ.
વિચારવાલાયક પ્રશ્નો આ છે :
શું સાંસ્કૃતિતતા મહત્ત્વ ની છે ? જ્યારે બધું સમુંસુતરૂં ચાલી રહ્યું હોય ત્યારે જ, અને તો જ, આજનાં કોર્પોરેશનો સંસ્કૃતિના સંદર્ભે
વિચારે છે ? એમના માટે સંસ્કૃતિ એ સફળતા શક્ય બનાવતું
પ્રભાવક બળ છે ખરૂં? અથવા તો જ્યારે બધું ઉંધું પડતું હોય
ત્યારે સંસ્કૃતિ યાદ આવશે?
સંસ્કૃતિ વડે સમસ્યાઓની
વૈતરણી પાર કરી શકાય, કે પછી સંસ્કૃતિ એ ખુદ જ સમસ્યાનું એક મૂળ
છે?
મોટા ભાગની કથાઓમાં સંસ્કાર
ફાયદાકારક નથી હોતા. રામયણમાં સુપર્ણખાના સંસ્કાર તેને આનંદપ્રમોદ માટે એક પરિણિત
પુરુષ તરફ જવાની રજા આપતા હતા;
સીતાના સંસ્કારે તેની અંગત
સુરક્ષાને જોખમમાં મૂકીને પણ જે ખરેખર તો એક રાક્ષસ હતો એવા એક સંન્યાસીને ભિક્ષા આપવા પ્રેરી; રામના સંસ્કારે તેમની પોતાની ગર્ભવતી, અતિપ્રિય પત્નીનો પણ ત્યાગ કરાવ્યો કેમ કે રાણી તરીકે તેનું
ચારિત્ર્ય શંકાથી પર નહોતું. મહાભારતમાં દ્રૌપદી બધા સંસ્કાર ત્યજીને તેમના પતિના
પિત્રાઈ ભાઈઓ વડે પોતાનાં ચારિત્ર્યની જાહેરમાં થયેલ હાંસીને કારણે હિંસકપણે ઉગ્ર ક્રોધાવેશમાં
દુઃશાશનનાં લોહીનાં તરસ્યાં બની જાય છે. આ જ દ્રૌપદીએ પોતાના સંસ્કારને વશ થઈને તેમની નણંદ દુઃશાલાના કામુક પતિ, જયદ્રથને,
પોતાનું અપહરણ કરવાની કોશીશ
કરવા છતાં ક્ષમા બક્ષી હતી.
જ્યાં સુધી સંસ્કૃતિને સારા
સમયનાં એક ઘરેણાં તરીકે જ
કૃત્રિમ મહત્વ મળશે ત્યાં
સુધી એ તેનું ખરૂં મૂલ્ય નહીં સિધ્ધ કરી શકે. જ્યારે આપણે સંસ્કૃતિને આપણામાંની
માનવતાનાં પ્રતિક રૂપ સંસ્કારની દૃષ્ટિથી જોશું નહીં, ત્યાં સુધી સંસ્થાને કપરા સમયમાં પણ ટકાવી રાખી શકનાર શક્તિ
તરીકે તેનું મૂલ્ય નહીં નીખરે.
ધ ઈકોનોમિક
ટાઈમ્સમાં ૩૧ ઓગસ્ટના રોજ
પ્રકાશિત થયેલ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૫ ઓક્ટોબર, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો