બુધવાર, 8 એપ્રિલ, 2026

રંગનાથ અને તેની મુસ્લિમ સંગિની - દેવદત્ત પટ્ટનાઈક

ચેન્નાઈથી છ કલાકની વાહન મુસાફરી કર્યા પછી કાવેરી નદી પરનો પુલ પાર કરીને શ્રીરંગમ પહોંચી શકાય છે. શ્રીરંગમ નદી પરના ત્રણ ટાપુઓ પૈકી એક છે, જ્યાં નારાયણનાં સ્વરૂપ એવા રંગનાથસ્વામી જે આશ્રયસ્થાન પર બેઠેલા છે, તેમની મૂર્તિઓ છે. અન્ય બે ટાપુઓ કર્ણાટકમાં શ્રીરંગપટ્ણ અને શિવન્નસમુદ્ર છે.

સાત એકકેન્દ્રી વાડાઓ (પ્રાકાર) ની અંદર ખુબ ઊંડે, ભવ્ય પ્રવેશદ્વારો (ગોપુરમ) સાથેની ઊંચી દિવાલો, અને સોના મઢેલ શિખર (વિમાન) સાથે એ મંદિર આવેલું છે. મંદિરની અંદર, સ્થાનિક રીતે રંગનાથ તરીકે આપણે નારાયણ (વિષ્ણુ)ને આદિ-શેષ તરીકે ઓળખાતા પાંચ-ફેણવાળા નાગના ગૂંચળાને આશ્રયસ્થાન બનાવીને બેઠેલા નારાયણનાં દર્શન થાય છે. ભગવાનનું દર્શન શણગાર વિનાની કાળા પથ્થરની ચમકતી, જેના હાથ અને પગ સોનામાં મઢાયેલ છે, એવી મૂર્તિના રૂપે થાય છે હતા. મૂર્તિ પર કોઈ ફૂલો નહોતા. એવું કેમ હશે? પુજારીઓ જણાવે છે કે 'તેમણે છેલ્લા કેટલાક દિવસો તેના વાહન પર શહેરમાં સવારી કરી છે, એટલે તેમનાં થાકેલા અંગોને આરામ આપવા માટે તેને તેલ માલિશ કરવામાં આવી છે'. હિન્દુ મંદિરોમાં, ખાસ કરીને વિષ્ણુ મંદિરોમાં, ભગવાનનું એક વ્યક્તિ, રાજામાં રૂપાંતર, સામાન્ય ઘટના છે. આપણે આ વાત ઓડિશાના પુરી અને રાજસ્થાનના નાથદ્વારામાં પણ જોઈએ છીએ.

પરંપરાગત રીતે, મંદિરના દેવતાઓ પૂર્વાભિમુખ હોય છે, પરંતુ રંગનાથ દક્ષિણ તરફ મુખ રાખે છે. એવું મનાય છે કે અયોધ્યાના રાજા રામના પરિવારના દેવતાની આ આ મૂર્તિ છે. શ્રીરામે તેને લંકાના રાજા વિભીષણને ભેટ આપી હતી. વિભીષણ તેને ઘરે લઈ જવાના હતા, પરંતુ તેમણે શ્રીરંગમ પહૉંચતાં સુધીમાં તે એટલા થાકી ગયા કે મૂર્તિને જમીન પર મૂકીને થોડો આરામ કરવા લાગ્યા. તે પછી મૂર્તિએ ત્યાંથી ખસવાની ઘસીને ના પાડી જ્યારે વિભીષણે ભગવાન પાસે બહુ યાચના કરી, ત્યારે રંગનાથ દક્ષિણ તરફ મુખ કરીને સૂવા માટે સંમત થયા, જેથી તેઓ વિભીષણ અને તેના પ્રજા, લંકાના રહેવાસીઓને, સદાય આશીર્વાદ આપતા રહે. લંકાના રાજા અને વિભિષણના વડીલ બંધુ રાવણે અપહરણ કરેલ તેમનાં પત્ની સીતાને મુક્ત કરવા માટે, રામ એક વખત લંકાના લોકો સાથે લડ્યા. પરંતુ યુદ્ધ પછી અને સીતામૈયાને મુક્ત કરાવી લીધા પછી, કોઈ વૈમનસ્ય રહ્યું ન હતું. હકીકતમાં તો, યુદ્ધ દરમિયાન પણ કોઈ દુશ્મનાવટ ન હતી. રંગનાથ પોતાના પ્રિયતમથી પોતાને અલગ કરનાર વ્યક્તિને સજા કરી રહ્યા હતા ત્યારે પણ સ્નેહ ઓછો થયો ન હતો.

શ્રી-વૈષ્ણવો બ્રાહ્મણોનો એક સમુદાય છે જેના પ્રથમ આચાર્ય પૂજ્ય નાથમુનિ હતા. શ્રી-વૈષ્ણવોની શ્રદ્ધાને પ્રબળ બનાવતાં ૧૦૮ દિવ્યદેશમ (વિષ્ણુ મંદિરો)માં શ્રીરંગમ સૌથી પ્રમુખ છે. પોતાનાં બૌદ્ધિક કૌશલ્ય (તેમણે વેદાંતને ભક્તિ સાથે જોડ્યો) અને વહીવટી કુશળતા (તેમણે મંદિરમાં ધાર્મિક વિધિ અને શાસનના ધોરણો સ્થાપિત કર્યા) માટે પ્રખ્યાત એવા રામાનુજાચાર્યએ લગભગ ૯૦૦ વર્ષ પહેલાં આ -વૈષ્ણવ ધર્મ ને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું. શ્રીરંગમ મંદિરની જેમ આ સંસ્થા આજે પણ એટલી જીવંત છે અને લાખો ભક્તોને આકર્ષિત કરે છે, જે તેની પ્રતિભાનો પુરાવો છે.

બધી સંસ્થાઓની જેમ, શ્રી-વૈષ્ણવ ધર્મમાં પણ તેના વિભાગો અને રાજકારણ છે. બહારના લોકો માટે તેનો કોઈ અર્થ નથી, પરંતુ અનુયાયીઓમાં તે મહા જુસ્સો જગાડે છે. ઉત્તરીય વડકલાઈના લોકો કપાળ પર U-આકારનું ટીલું (નમન) કરે છે, એ નમન એમ દર્શાવે છે કે જેમ વાંદરો તેની માતાને વળગી રહે છે તેમ ભક્તે ભગવાનને વળગી રહેવું જોઈએ. દક્ષિણના તેનકલાઈ તેમના કપાળ પર Y-આકારનું નમન કરીને વિરોધ કરે છે. તેઓ માને છે કે ભક્તે ભરોસો રાખવો જોઈએ કે જેમ બિલાડી તેના બચ્ચાની સંભાળ રાખે છે તેમ ભગવાન તેમની સંભાળ રાખશે.

બંને જૂથો રામાનુજને પૂજે છે. રામાનુજનું એક મંદિર આ સંકુલમાં બનાવવામાં આવ્યું છે. મંદિરમાં સંતની મૂર્તિ તે સ્થાનની ટોચ પર મૂકવામાં આવી છે (મંદિર સંકુલ માટે અસામાન્ય પ્રથા ગણાય તેમ) એ સ્થાન નીચે તેમના નશ્વર અવશેષોને દફનાવવામાં આવ્યા હતા. કેટલાક માને છે કે આ મૂતિ ખરેખર તેમનું નશ્વર શરીર છે જે ખાસ કુદરતી રસાયણો વડે સાચવવામાં આવ્યું છે.

દંતકથા છે કે મલિક કાફુર નામના એક મુસ્લિમ લૂંટારા દ્વારા મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટ કરવામાં આવી હતી, જે રંગનાથની ઉત્સવ મૂર્તિ, મંદિરના સોના અને ઝવેરાતને પોતાની સાથે દિલ્હી પાછો લઈ ગયો હતો. જોકે તેની પુત્રી, સુરથાની, જે મૂર્તિના પ્રેમમાં પડી ગઈ હતી અને તેથી એ મૂર્તિ માગી ન લીધી હોત તો આ મૂર્તિને તેની ધાતુ માટે પીગાળી દેવાઈ હોત. જ્યારે તમિલનાડુના બહાદુર કલાકારોના એક જૂથે સુલતાનનું ગીત અને નૃત્ય દ્વારા મનોરંજન કર્યું અને તેમના ઈનામ તરીકે પ્રતિમા માંગી, ત્યારે મલિક કાફુરે તેમને પેલી મૂર્તિ ભેટ આપી દીધી, કદાચ તેની પુત્રીના એ મૂર્તિ પ્રત્યેના અતિશય લગાવથી નારાજ હોવાને કારણે મૂર્તિથી પીછો છોડાવી લેવાની પણ ગણતરી હશે. એ કલાકારો તો વેશપલટો કરીને આવેલા પૂજારી હતા, તેમના માટે તો 'તે' (મૂર્તિ)' ભગવાન' હતી, જે દેવત્વનું મૂર્તિમંત સ્વરૂપ હતું,

તેઓ પ્રતિમાને મંદિરમાં પાછી લઈ ગયા. રાજકુમારી માટે, તો એ મૂર્તિ તેની 'ઢીંગલી' હતી જે 'તેની પ્રિય' હતી. એ મૂર્તિમાં જે કંઈ હતું તેના પ્રેમમાં રાજકુમારી પડી ગઈ હતી. તેથી તે દિલ્હી છોડીને શ્રીરંગમ સુધી ગઈ અને મંદિરના પગથિયાં પર મૃત્યુ પામી. સ્વપ્નમાં રંગનાથ સ્વામીએ તેના પૂજારીઓને મુસ્લિમ રાજકુમારીનું એક ભક્ત તરીકેના સન્માનમાં મંદિર બનાવવા કહ્યું. હવે તેનું નામ બીબી તુલુકા નાચિયાર રાખવામાં આવ્યુંં. તે મુસ્લિમ કન્યા હતી, પણ તેની મૂર્તિ મંદિર સંકુલમાં તેના પોતાના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. દર વર્ષે, રંગનાથ સાથેના તેના લગ્ન ધામધૂમ અને આદર સાથે ફરીથી ઉજવવામાં આવે છે.

શું આ કથા ઇતિહાસ (વસ્તુલક્ષી સત્ય), કે પૌરાણિક કથા (વ્યક્તિલક્ષી સત્ય), કાલ્પનિક (કોઈનું સત્ય નહી), કે દંતકથા (છૂટક રીતે કેટલાક ઐતિહાસિક સત્ય) છે? આપણે હંમેશા દલીલ કરતાં રહીશું. પરંતુ ભાવના જુઓ: મુસ્લિમ રાજા દ્વારા હિન્દુ મંદિરની લૂંટ જે હિંસાથી શરૂ થાય છે તે મુસ્લિમ રાજકુમારી સાથે હિન્દુ દેવતાના લગ્ન સ્વરૂપ પ્રેમ સાથે સમાપ્ત થાય છે. અંદરથી (કટ્ટરપંથી શુદ્ધતાવાદી મુસ્લિમ-દ્વેષી હિન્દુઓ) અને બહારથી (હિંદુ વિરોધી કટ્ટરપંથી શુદ્ધતાવાદી મુસ્લિમો) ઉગ્ર વિરોધ છતાં, વૈકલ્પિક વિચારોને સ્વીકારવાની અને શામેલ કરવાની ક્ષમતાનો આ ભાવ જ હિન્દુ ધર્મને અનન્ય બનાવે છે.

પોતાનાં મુસ્લિમ સંગિનીને પીરસાઈ જાય પછી સ્મિત સાથે, બધા પક્ષોનું સંતુલિત માન રાખતા રહીને, રંગનાથ દરરોજ નાસ્તામાં માખણ અને ખાંડ સાથે રોટલી ખાય છે.મં દિરની પરંપરામાં રોટલી મુસ્લિમ ખોરાક માનવામાં આવે છે. પરંપરાગત રીતે, દક્ષિણ ભારતીય મંદિરોમાં વિષ્ણુને ફક્ત ભાત જ ચઢાવવામાં આવે છે. પોતાનાં મુસ્લિમ સંગિનીના આનંદ માટે, ક્યારેક, રંગનાથ પરંપરાગત હિન્દુ ધોતીને બદલે મુસ્લિમ લુંગી પણ પહેરે છે.

શ્રી-વૈષ્ણવ મંદિરોમાં, વૈદિક સ્તોત્રો કરતાં, સ્થાનિક સંતકબિઓ દ્વારા રચિત તમિલ ભક્તિ કાવ્યો, ૪,૦૦૦ દિવ્ય પ્રબંધમ, ને વધુ મહત્વ આપવામાં આવે છે. સંસ્કૃત શાસ્ત્રો કરતાં પ્રાદેશિક કવિતા માટે આ પસંદગી મંદિર પરંપરાઓમાં સામાન્ય છે, કારણ કે તે સ્થાનિક સ્તોત્રો છે જે લોકોને દિવ્યતા સાથે જોડે છે, સીધે સીઢાં હૃદયને આકર્ષે છે. મુદ્દો એ નથી કે ભાષા સંસ્કૃત છે કે તમિલ, કે પ્રાચીન કે મધ્યયુગીન છે, વૈદિક કે ભક્તિ માર્ગી છે, એ અયોધ્યા કે લંકા છે, વડકલાઈ કે તેનકલાઈ છે, કે પછી હિન્દુ કે મુસ્લિમ પણ છે. મૂળ મુદ્દો, 'જેને આપણે જીવન કહીએ છીએ એવી રંગીન રંગભૂમિનો સ્વામી' એવા રંગનાથમાંથી નીકળતા અનંત સ્નેહમાં ડૂબકી લગાવવાનો છે

  • મુંબઈ મિરરમાં ૪ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખRanganatha, and his Muslim consort  નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૮ એપ્રિલ ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો