સોમવાર, 2 જાન્યુઆરી, 2012

"પ્રબંધકોમાટે 'યુધ્ધની કળા'" ના કેટલાક સારાંશ


મૂળ પુસ્તક વિષે:
The Art of War for Executives
Author: Donald G Krause
Publisher: Nicholas Brealey Publishing Ltd.,21, Bloomsbury Way, London WC1A  2TH
ISBN 1-85788-131-1
1995 Edition

પ્રસ્તાવના
મનુષ્ય ઇતિહાસમાં યુધ્ધ એ સર્વસામાન્ય ઘટના છે.ઉત્તરજીવનને સાથે સંકળાયેલ તેનાં મહત્વને કારણે યુધ્ધનો ખુબ જીણવટથી અભ્યાસ થયો છે. તેને કારણે યુધ્ધમાં સફળતામાટેનાં પરિબળો સુનિશ્ચિતપણે સમજાઇ ચૂક્યાં છે. મૂલતઃ, વ્યવસાયની જેમ, યુધ્ધમાં પણ સફળતાનો આધાર નેતૃત્વપર છે.માહિતિ, તૈયારીઓ,વ્યવસ્થાતંત્ર,માહિતિ - સંચાર,પ્રોત્સાહન અને અમલીકરણ જેવાં બીજાં પરિબળોનું સફળતામાં યોગદાન જરૂર છે,પરંતુ આ બધાં પરિબળોની અસરકારકતા નક્કી કરે છે નેતૃત્વની ગુણવત્તા.
સુન ત્ઝુનો કેન્દ્રવર્તી વિચાર એ રહ્યો છે કે એવી સંસ્થા કે વ્યક્તિ જ યુધ્ધ [સ્પર્ધા]જીતી શકે છે જેમનીપાસે સહુથી વધારે ચઢીયાતી સ્પર્ધાત્મક સરસાઇ હોય અને  જે ઓછામાં ઓછી ભૂલો કરે. વધારે સારી માનવશક્તિ,ચડીયાતી પરિસ્થિતિ, અમલીકરણ અને નવપ્રયોગત્મકતા જેવાં પરિબળો સ્પર્ધાત્મક ફાયદો અપાવી શકે છે.પરંતુ સફળતામાટે માત્ર સ્પર્ધાત્મક સરસાઇ નિર્ણાયક નથી. તેના માટે તો જરૂરી છે લડાયક લોકો, જે પૈકી સહુથી વધારે મહત્વની વ્યક્તિ તેમનો સેનાપતિ છે.
આદર્શ સેનાપતિ લડાઇ લડતાં પહેલાં જ જીત મેળવી લે છે. તેની પાસે આ માટે બે રસ્તા છેઃ  સમયાંતરે વ્યક્તિત્વનો વિકાસ અને મહત્વની વ્યૂહાત્મક સરસાઇ.
સ્વાભાવિક વ્યવસ્થાતંત્રઃ સુન ત્ઝુનું અસરકારકમાટેનું  દ્રષ્ટાંત
સ્વાભાવિક વ્યવસ્થાતંત્રની ત્રણ ખાસીયાતો છે - નિશ્ચિત ધ્યેઅય સિધ્ધ કરવામાટે જ અસ્તિત્વ; માહિતિ અભિમુખતા; પરિવર્તનક્ષમતા અને અનુકુલનક્ષમતા - જેનું ઉત્તમ ઉદાહરણ છે કીડીયારું.
તે માત્ર તેના સભ્યોના ખોરાક અને આશ્રયના ધ્યેયમાટે જ અસ્તિત્વ ધરાવે છે,પોતાની જરૂરથી વધારે જરૂર ન હોય તો તે વધારે ફેલાશે નહીં; તે સંપૂર્ણ માહિતિ-અભિમુખ છે; સભ્યો ખોરાકના સ્રોતની સતત શોધમાં  રહે છે અને તે અંગેની માહિતિ અન્ય સભ્યોને કાર્યક્ષમરીતે ઝડપથી પહોંચાડી દે છે; તે પૂરેપૂરું પરિવર્તનશીલ છે, તેમની ખોરાક અને આશ્રયની જરૂરિયાતોમાટે સભ્યો પાસેથી મળેલી માહિતિઅનુસાર તેમની જગ્યા અને કાર્યપધ્ધતિઓ બદલી લે છે.

સુન ત્ઝુના સફળતાના સિધ્ધાંત
આજનાં યુધ્ધ, વ્યવસ્થાતંત્રનાં ઘટકો - ગ્રાહકો,કર્મચારીઓ, શૅરહૉલ્ડર્સ,રાજકારણીઓ,ખબરપત્રીઓ, પૂરવઠો પૂરો પાડનાર, કોઇપણ પ્રકારના સંપર્કમાં આવતાં ઘટકો - કે તેમાંની વ્યક્તિઓનાં, મગજમાં લડાતાં હોય છે.

સુન ત્ઝુની વિદ્વતાના દસ સિધ્ધાંતો સંક્ષિપ્તમાં નીચે મુજબ તારવી શકાયઃ

૧. લડતાં શીખોઃ
જીવનમાં, તેમ જ જીવનનાં દરેક ક્ષેત્રમાં, સ્પર્ધા તો રહેવાની જ છે. સ્પર્ધાત્મક રહેવા અંગે બધું શીખી કે જાણી શકવું શક્ય નથી.જરૂર વગરની સ્પર્ધામાં ઉતરવું નહીં. અંગત ફાયદામાટેની અથવા મહત્વની સફળતાની સિવાય સ્પર્ધાની જોખમી અને મોંઘી પડી શકે છે. સ્પર્ધા તો જ કરવી જો તેનાથી કોઇ મહત્વનો ફાયદો થવાનો હોય અથવા તો આપણે કોઇ જોખમભરી સ્થિતિમાં હોઇએ.
વળી સ્પર્ધાત્મક સ્થિતિસમયેનાં આપણાં પગલાં લાગણીપ્રેરીત ન હોવાં જોઇએ. લાગણીઓ તર્કને નબળો પાડે છે અને વસ્તુલક્ષિતાને ખતમ કરે છે, જે બન્ને સ્પર્ધાત્મક સફળતામાટે ખુબ જ જરૂરી છે.લાગણીઓપર અંકુશનો અભાવ આપણામાટે એક મહત્વનો અવરોધ તો સામા પક્ષમાટે સબળ હથિયાર બની રહી શકે છે.
૨. માર્ગ ચીંધોઃ
માત્ર અસરકારક નેતૃત્વ જ સફળતાતરફ લઇ જઇ શકે છે.
કન્ફ્યુશિયસના મતમુજબ અસરકારક નેતૃત્વમાટે સાત લાક્ષણિકતાઓ જરૂરી છેઃ સ્વ-શિસ્ત,ધ્યેય,સાધ્ય,જવાબદારી,જ્ઞાન (અનુભવ), સહઅસ્તિત્વ [a.k.a Laddership] અને ઉદાહરણિયતા.
સ્વ-શિસ્ત - પોતાને માટે યોગ્ય અને સહઘટકોને સ્વિકાર્ય તેવા નિયમોપ્રમાણેનું વર્તન. પોતાનું કામ પૂરૂં કરવામાટે બાહ્યપ્રોત્સાહનની જરૂર ન હોવી.
ધ્યેય - સહઘટકોમાટે આવશ્યક હોય તેવા ઉદ્દેશ્યમાટે જ કામ કરવું, નહીં કે પોતના નિજી-સ્વાર્થના ફાયદામાટે.
સાધ્ય - સહધટકોની જરૂરિયાતો પૂરી કરવામાટે જરૂરી પરિણામો.
જવાબદારી - પોતાના નિર્ણયો અને કાર્યનાં પરિણામોની જવાબદારી.
જ્ઞાન (અનુભવ) - પોતાની સમજ અને આવડતને સતત સુધારતા રહેવું.
સહઅસ્તિત્વ [a.k.a Laddership] - નક્કી કરેલ ઉદ્દેશ્યની સિધ્ધિમાટે સહઘટકોનો સહકાર
ઉદાહરણીય - પોતાનાં કામથી માર્ગ ચીંધવો.
તે ઉપરાંત સુન ત્ઝુએ નિષ્ફળતામાટે જવાબદાર પાંચ ખામીઓ પણ નોંધી છે - બેપરવાઇ, ભીરૂતા, લાગણીવેડા, અહંકાર અને પ્રખ્યાતિમાટે વધારે પડતી એષણા.
૩. સાચી રીત અપનાવોઃ
બધી જ સ્પર્ધાત્મક સરસાઇનો આધાર અસ્રકારક અમલીકરણપર આધારીત છે.આયોજન મહત્વનું જરૂર પણ સફળતાનું મૂળ છે ક્રિયાત્મક પગલાંઓ.અસરકારક અમલ વગરનું આયોજન વામણું છે.મૅનૅજમૅન્ટના આધુનિક સિધ્ધાંતો પણ સ્વિકારે છે કે કાર્યને પ્રાધાન્ય આપવાથી સફળતાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે.
સુન ત્ઝુનું કહેવું છે કે પોતાને ફાયદો કરે તેવી તક ઉભી કરવાથી અને યોગ્ય સમયે તેનાપર કામ કરવાથી સ્પર્ધાત્મક સરસાઇ વધે છે. બીજા શબ્દોમાં, વિજેતાઓ યોગ્ય સમયે સાચાં પગલાં લે છે.
જો કે સુન ત્ઝુ આપણને કામ કરવાની ધગશ પર ધીરજના પ્રભાવ અંગે પણ તાકીદ કરે છે.તે શીખવે છે કે આપણે હાર ખમવી ન પડે તેવી સ્થિતિ આપણે લાવી શકીએ, પરંતુ સામેવાળાઓએ આપણી જીતના સંજોગો પણ ઉભા કરવા પડે. તે માટે આપણે રાહ પણ જોવી પડે.આપણને જીતતાં આવડે એટલે આપણે જીતીએ જ એવું જરૂરી નથી.સંજોગો તરફેણમા હોય તો જ આગળ વધવું, નહીં તો રાહ જોવી જોઇએ.
૪. હકીકત જાણોઃ
સફળ થવામાટે માહિતિનો ઉપયોગ કરતાં આવડવું જોઇએ.માહિતિ તો વ્યવસાયનું જીવનરક્ત છે.સુન ત્ઝુનું કહેવું છે કે માહિતિ, કે તેનો અભાવ,સફળતાની શક્યતાઓ નક્કી કરે છે.તેમનામત મુજબ, જો પૂરતી આધારભૂત માહિતિ ઉપલબ્ધ હોય તો સફળતા નિશ્ચિત  છે.સુન ત્ઝુનાં શીખવવા મુજબ માહિતિ સંચાલનને બે બાજૂઓ છેઃ એક,માહિતિ એકઠી કરવી અને બીજી તે બહાર પાડવી.સારી રીતે એકઠી કરેલી માહિતિ સારા નિર્ણયોતરફ દોરી જાય છે. માહિતિ બહાર પાડવાથી સામા પક્ષને ગુમરાહ કરી શકાય છે.બન્ને કિસ્સાઓમાં, તમને હકીકત ખબર હોવી જોઇએ, નહીંતર તમે નિષ્ફળ જઇ શકો છો.
સહુથી સારી માહિતિ સીધા અનુભવમાંથી મળે ચે.સુન ત્ઝુ પ્રથમદર્શી માહિતિ એકઠી કરવા તેમ જ સાંચારિત કરવામાટે ખબરીના ઉપયોગની ભારપૂર્વક હિમાયત કરે છે.આવું કરવું થોડું નઠારૂં લાગતું હશે પરંતુ ખાનગી માહિતિ એ કામગીરીનું મહત્વનું અને જરૂરી અંગ છેદરેક સંસ્થા અને વ્યક્તિઓ ઓછાવત્તા અંશે ખાનગી માહિતિની કામગીરી કરતી જ હોય છે. સમજદાર સંસ્થાઓ ખાનગી માહિતિની કામગીરીને ઘણું મહત્વ આપે છે અને તેને સફળ કરવામાટે જરૂરી સ્રોતોમાં રોકાણ પણ કરે છે.
સુન ત્ઝુ 'લોકવાયકાઓ'પર આધાર રાખવાસામે ચેતવે છે. સાબિતિ વગરની માન્યતાઓ, બીનજરૂરી અટકળો અને દરેક સમુદાયમાં ઘર કરી ગયેલ સર્વસ્વુકૃત અભિપ્રાયો એટલે લોક્વાયકાઓ. આવી લોકવાયકાને ન પડકારવામાં પણ જોખમ રહેલ છે સફળ પગલાં પહેલાં આધારભૂત માહિતિ આવશ્યક છે.

----------   સુન ત્ઝુના બીજા છ સિધ્ધાંત હવે પછીની પૉસ્ટમાં આવરી લઇશું

1 ટિપ્પણી:

  1. પ્રિય શ્રીઅશોકભાઈ,

    આપનો બ્લૉગ તથા તેનું કન્ટેન્ટ ખૂબ સુંદર છે. આપને અનેકાનેક અભિનંદન.

    વા..હ,વા..હ..ધન્યવાદ.

    માર્કંડ દવે.

    જવાબ આપોકાઢી નાખો