શનિવાર, 16 ઑગસ્ટ, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ચોથો - ગુચ્છ ૯

#191 – એક વધારે વાર 'આભાર' માનવો જોઇએ
| ઑગસ્ટ ૧૪, ૨૦૦૮ના રોજ પ્રકાશીત થયેલ
clip_image002


આમ જૂઓ તો દરરોજ એક વધારે વાર 'અભાર' માનવામાં આપણું કંઇ જતું નથી. પણ સામેવાળી વ્યક્તિમાટે તે બહુ જ મૂલ્યવાન બની રહી શકે છે.

જ્યારે આપણને કોઇ દીલથી 'તમારો આભાર' કહે છે ત્યારે કેવું ગમે છે ? જાણે કોઇએ બહુ જ મોટી ભેટ આપી દીધી હોય તેવી લાગણી ઝૂમી ઊઠે છે. પછી ભલે ને, ખરા અર્થમાં કોઇ પણ મોંઘી ભેટની સામે અહીં કંઇ જ ખર્ચ ન થયો હોય !

આપણાં જતાં રહ્યાં પછી પણ આપણે લોકોને શું આપ્યું તેને બદલે શું લાગણી તેમનાં દિલ પર છોડી ગયાં તે વધારે યાદ રહી જાય છે.

સંન્નિષ્ઠ 'આભાર'માં બહુ શક્તિ રહેલી છે. ખરાં દિલનો આભાર સામેવાળાંનો દિવસ તારી દઇ શકે છે.

આપણે તો લોકો જે કંઇ કરે તે જ જોઇ શકીએ છીએ, તેમનાં મનમાં શું ચાલી રહ્યું છે તે તો આપણને કયાંથી ખબર પડે ?

આભારની સહૃદય અભિવ્યક્તિ આમાનું કંઇ પણ કરી શકે છે:
* સામેવાળાંના દિવસને થોડે ઘણે અંશે પણ બહેતર બનાવી શકે

* તેમની આત્મ સન્માનની ભાવના બળવત્તર કરી શકે

* તેમની ઉર્જામાં વધારો કરી આપે

* પોતા માટે વધારે સકારાત્મકતાનો અનુભવ કરાવી શકે

* જોશ ઊમેરે
આ યાદી તો અનંત બની શકે. આપણે તો એટલું જ સમજી લઇએ કે સંનિષ્ઠ 'આભાર' સામેવાળાં પર બહુ જ સકારાત્મક અસર છોડી જાય છે.

આવો, દિવસમાં એક વધારે વાર, આપણે એ ભેટ વડે કોઇનો દિવસ સુધારીએ.
#192 – એમના પેંઘડામા પગ નાખો
| ઑગસ્ટ ૨૩, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
શાબ્દિક અર્થમાં ભલે નહીં, પણ હું ખરેખર માનું છું કે એમનાં પેંઘડામાં પગ નાખવો તો જોઇએ.
clip_image003


મૂળભૂત સ્તરે તો સામેની વ્યક્તિનાં પેંઘડામાં પગ નાખવો એટલે 'એમની જેમ' વિચારવું. જો ખરા અર્થમાં કોઇનાં પેંઘડામાં પગ નાખવો હોય તો તે વ્યક્તિનાં દુનિયા વિષેની દૃષ્ટિને સમજવી પડે. તેમનો તેમની આસપાસની દુનિયા પરત્વેનો દૃષ્ટિકોણ અને અભિગમ શું છે તે જાણવો પડે. તે પછી જ આપણે વિચારાધીન બાબત માટે તેમના વિચારો બાબતે આગળ વધી શકીએ.

મને આ બાબતનો અનુભવ મારાં જીવનની શરૂઆતમાં જ, અલબત્ત અકસ્માત જ, થયેલો. જો કે ત્યારે તેના માટેના આ શબ્દપ્રયોગની મને ખબર નહોતી. શાળાનાં દસમા ધોરણના અભ્યાસસમયે, હું બીજાં અન્ય વિદ્યાર્થીઓ સાથે રાજય સ્તરે લેવાતી પ્રમાણપત્ર પરિક્ષા આપી રહ્યો હતો. પરિક્ષાઓ માટે બહુ જ મહેનત કર્યા બાદ, પરિણામમાં, મને રાજયમાં ૨૦મો ક્રમ મળ્યો તેનો બહુ જ આનંદ થયો હતો.

આ આનંદ વચ્ચે મારા મગજમાં વિચાર ઘુમરાયા કરતો હતો કે આખું વર્ષ મહેનત કરવી અને પછી ત્રણ કલાકમાં બધું એક ઉત્તરવહીમાં ઠાલવી આવવું અને તેના આધારે પરિણામ મેળવવા કરતાં કોઇ અન્ય, વધુ સારો માર્ગ તો હોવો જોઇએ. બે વર્ષ પછી ફરીથી આ પ્રકારની ઉચ્ચ માધ્યમિક શાળા સ્તરની રાજ્ય કક્ષાની પરિક્ષામાં બેસવાનું હતું. એ પહેલાં એ નવો રસ્તો ખોળી કાઢવો રહ્યો તેમ મેં વિચારી લીધું.

શરૂઆત કરતાં, મેં અમારા એક શિક્ષકને પૂછ્યું કે તેમની પાસે આવતી ઉત્તરવહીઓનાં મૂલ્યાંકન કરતી વખતે એક પરિક્ષક તરીક એતેમનો અભિગમ કેવો હોય છે ? તેમણે બહુ જ સારી રીતે 'તેમની દૃષ્ટિએ શું મહત્ત્વનું છે' તે સમજાવ્યું. હજૂ વધારે સમજવા મેં 'કેમ' પ્રશ્નની મદદ લીધી. તેમણે 'શા માટે એ અગત્યનું છે' તે પણ સારી રીતે સમજાવ્યું.

શું અગત્યનું છે તે વિષે મારા એક પરિક્ષાર્થી તરીકેના દૃષ્ટિકોણ અને તેમના એક પરિક્ષક તરીકેના દૃષ્ટિકોણમાં ખાસો એવો ફરક હતો તે તો કદાચ સ્વાભાવિક કહી શકાય. શરૂઆતમાં આને કારણે હું થોડો ગુંચવાયો, પણ પછી મેં મારી શોધખોળ ચાલુ રાખી. મેં એક પરિક્ષક તરીકેના તેમનાં ઉત્તરવહીનાં મૂલ્યાંકન સમયના દૃષ્ટિકોણ વિષે દરેક શિક્ષકને પૂછવાનો સિલસિલો ચાલુ રાખ્યો. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે વિદ્યાર્થીએ ત્રણ કલાકમાં લખેલાં ૪૦-૫૦ પાનાંને તપાસવા માટે એક ઉત્તરવહી દીઠ તેમને માંડ છએક મિનિટ જેટલો સમય મળે છે. એટલે તેમની પાસે બધું જ વાંચી જવા માટે તો સમય જ નથી રહેતો તે તો નક્કી છે. એટલે પરિક્ષક માટે જે મહત્ત્વનું છે તે જો તેમને ઉત્તરવહીમાં જોવા ન મળે તો પરિણામ સારૂં આવવાની શક્યતાઓ ઘટતી જાય છે.

ખેર, મારી આ બધી મહેનત ખરેખર બર આવી કે નહીં તેની ખબર પડવાનો દિવસ પણ આવી ગયો.એ પરિક્ષામાં બેઠેલા ૧,૬૦,૦૦૦ વિદ્યાર્થીઓમાં મારો ક્ર્મ બીજો રહ્યો હતો. જો કે મેં પરિક્ષકોના દૃષ્ટિકોણથી જ તૈયારી કરી હતી તેને કારણે આ પરિણામ આવ્યું તેમ સાવેસાવ તો ન જ કહી શકાય કે ન તો બીજાં ૧,૫૮,૯૯૮ વિદ્યાર્થીઓ કરતાં હું વધારે હોંશીયાર હતો એમ પણ કહી શકાય. પણ બે વર્ષ પહેલાંની પરિક્ષા જેટલી મહેનત તો મેં આ વખતે નહોતી જ કરી એટલું તો નક્કી હતું.

જો કે દરેક પરિસ્થિતિમાં મેં આ પાઠ એટલી જ નિષ્ઠાથી અમલમાં મૂક્યો નથી એ વાતનો સ્વીકાર કરતાં એટલું તો જરૂર કહીશ કે જ્યારે જ્યારે એ દિશામાં પ્રયત્નો કર્યા છે, ત્યારે ત્યારે પરિણામો તો સારાં જ મળ્યાં છે.
#193 – પ્રયત્નો - મૂલ્યવર્ધક પરિણામોના તમારા આલેખ પર નજર કરતાં રહો
| ઑગસ્ટ ૨૫, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ


કારકિર્દીની શરૂઆતમાં જેટલી મહેનત કરી હોય તેના પ્રમાણમાં પરિણામોનાં મૂલ્યમાં ખરા અર્થમાં બહુ મોટો ફરક નથી પડતો હોતો. પરંતુ તે કારણે, એ તબક્કે બહું મુશ્કેલી નથી પડતી કારણ કે આપણી આસપાસનાં લોકો પણ આપણી 'શરૂઆત'ના આ તબક્કામાં સહાનુભૂતિપૂર્ણ ભાવ રાખતાં હોય છે.

પણ જેમ જેમ આપણે શીખતાં જઇએ છીએ, તેમ તેમ આપણાં કામ 'કરવા'માટે ઓછોને ઓછો પ્રયત્ન કરતાં જવું પડે છે, જેને પરિણામે ઓછા પ્રયત્ને વધારે મૂલ્યવાન પરિણામો હાંસિલ કરી શકવાનું શક્ય બને છે. બીજા શબ્દોમાં કહી શકાય કે આપણે હવે વધારે 'કાર્યક્ષમ' થયાં છીએ. હા, શક્ય છે કે જેમ જેમ એ કામ કોઠે પડવા લાગે તેમ તેમ તેમાં કટાળો પણ આવવા લાગે, અને તેથી અને શક્ય છે કે આપણે કોઇ નવું કામ , કે એ કામ કરબની નવી રીત,શોધીએ. આમ બની શકે, બનશે જ, એમ કહેવાનો અર્થ નથી ! એ નવાં 'કામ' માટે આપણે ફરીથી 'નવાં' પરવડીએ, એટલે એ કામમાં મૂલ્યવર્ધક પરિણામો લાવવા માટે ફરીથી વધારે મહેનત કરવી પડે.

આદર્શ પરિસ્થિતિમાં તો જેમ કારકિર્દી આગળ ધપતી જાય તેમ મૂલ્યવર્ધક પરિણામો સિદ્ધ કરવા માટે જરૂરી પ્રયત્ન ઘટતો જવો જોઇએ, કે એટલા જ પ્રયત્નોને પરિણામે વધારે મૂલ્યવાન પરિણામો મળવાં જોઇએ.

અહીં એક નાની વાત ધ્યાન રાખવા જેવી છે.

આપણા વધતા જતા અનુભવ સાથે મૂલ્યવૃદ્ધિ અંગેની અપેક્ષાઓ પણ વધતી જાય છે. એટલે આવી અપેક્ષાને પણ પૂર્ણ કરી શકાય તેટલી શક્તિ જો કેળવી ન હોય, તો હવે વધતી જતી અપેક્ષાઓ પૂર્ણ કરવા વધારે જહેમત ઉઠાવવી પડશે. તમારા જેવાં અનુભવી એક શિખાઉ જેવું કામ કરે તો કોઇને પણ તેને કારણે સંતોષ નહીં થાય. શક્ય છે કે તેને કોઇ ‘કામ થયું' એમ પણ ન કહે. clip_image004


જ્ઞાન જેમ જેમ વધતું જાય, તેમ તેમ વધારે જ્ઞાનની જરૂરિયાતનું અગત્ય સમજાવા લાગે છે. પણ પ્રમાણમાં ઓછી મહેનતની સામે વધારે પરિણામો લાવવાની શક્તિ કેળવ્યા વિના વધારાનાં એ જ્ઞાનને મેળવવા માટે આપણી પાસે સમય જ નહીં હોય. એટલે આપણાં પોતાનાં, અને આપણી સંસ્થાનાં, હિત માટે કરીને આપણા પ્રયત્નો-પરિણામોના આલેખ પર નજર તો રાખવી જ રહી.

અને તેમ કરતાં રહેવા માટે મહત્ત્વના બે માર્ગદર્શક સવાલો છે :

૧. એ આલેખ પર આજે આપણે કઇ કક્ષાએ છીએ ?

૨. એ આલેખ પર વધારે ઉચિત કહી શકાય તેવાં સ્થાન પર પહોંચવા તમે આજે શું કરી શકો તેમ છો ?
#194 – 'ની જેમ' નહીં, પણ તેમનાં 'જેવાં' બનવું જોઇએ
| સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૮ના રોજ પ્રકાશિત થયેલ


આપણે કોઇ આદર્શ કે સફળ વ્યક્તિ કે કોઇ નાયક જેવાં થવા માટે કરીને તેમના 'જેમ' કરવા લાગીએ છીએ. બહુ તરત જ ખબર પડી જાય છે કે તેમના જેવા તો નથી બની શકાયું.

કારણ તો બહુ સીધું સાદું છે - આપણે તેઓ નથી.

બીજી વ્યક્તિની
- તેમનો ઇતિહાસ

- તેમની પાર્શ્વભૂમિકા

- તેમની વિચારસરણી

- તેમનાં શિક્ષકો

- તેમના સંબંધો

- તેમને ટેકો કરતું કુટુંબ, મિત્રો, સહ-કાર્યકરો, સલાહકારો જેવું ટેકારૂપ તંત્ર

- તેમનો જીવન તરફનો દૃષ્ટિકોણ

- ભવિષ્ય વિષેની તેમની અગ્રદૃષ્ટિ

- તેમનું જ્ઞાન અને અનુભવ
                  જેવી કેટલીય આગવી બાબતોને એમ કાંઇ સીધે સીધી આપણામાં કંઇ થોડી રોપી દઇ શકાય છે.

આ યાદી તો અનંતપણે લંબાવી શકાય, પણ આટલાંથી જ કહેવાનું તાત્પર્ય તો સમજાઇ જ ગયું હશે.

જો આ બાબતે એકાદ પણ સફળતા હાંસિલ કરવી હોય તો તેઓ જે કંઇ "કરે છે" તેને બદલે તેઓ "જેવાં છે" તેવું થવા પ્રયત્નો કરવા જોઇએ.

"તેમનાં જેવા" એટલે તેઓ જે કંઈ છે તેવાં બનવાની વાત છે, નહીં કે તેઓ જે કંઇ કરે છે તેની નકલ કરવાની.

તેઓ જે કંઇ કરતાં હોય તે તેમનાં વ્યક્તિત્વનાં સમગ્રપણાંના પરિપાકરૂપે અસરકારક નીવડતું હોઇ શકે. એટલે તેઓ જે કંઈ છે, તેમ થયા સિવાય, માત્ર તેમના જેમ કરવાથી તેઓ જે કંઇ સિદ્ધ કરી શકે છે તે જ સિદ્ધ કરવું કદાચ શકય નથી. clip_image005
તેઓ જે કંઈ છે તેમ થવું મુશ્કેલ તો છે જ. પણ કંઇ પણ મેળવવું હોય તો રસ્તાઓ હંમેશાં સહેલા જ હશે તેમ બને એવું તો ક્યાંય જોવા નથી મળતું. clip_image006

#195 – "હું અને માત્ર હું"નું પ્રત્યાયન કરવાનું બંધ કરીએ
| સપ્ટેમ્બર ૨૩, ૨૦૦૮ના રોજ પ્રકાશિત થયેલ
clip_image008


અહીં ઉદાહરણ મારા જાત અનુભવનું છે, પણ આવા અનુભવ લગભગ બધાંને જ થતા હોય છે.

આજે મને મારા ઓળખીતાંનો એક ઇ-મેલ આવ્યો. તેમની કંપનીએ કોઇ એક સિમાચિહ્ન પાર કર્યું તેના વિષે તેમના વરિષ્ઠ સંચાલકોનાં કથનો જેવી લાંબી લાંબી વિગતોથી એ ઇ-મેલ ભર્યો હતો. મારાં જેવાં માટે તો એ માહિતી એક વાક્યમાં પણ આપી શકાઇ હોત.

ભૂતકાળમાં પણ તેમના બધા જ ઇ-મેલ આવા "હું અને માત્ર હું” પ્રકારના જ રહ્યા છે, જેમાં મારા માટે ઉપયોગી વાત કે માહિતી તો ભાગ્યેજ હોય.

મારે હવે તેમને 'હું અને માત્ર હું"ની યાદીમાં મૂકી દઇ તેમના સંદેશા વાંચવાનું બંધ કરવું પડશે.

આવાં બીજાં પણ કેટલાંક લોકો આ યાદીમાં છે. તેમના તરફથી આવતા સંદેશાઓમાં

ક) તેમને લગતી બાબતો,અને

ખ) મારા માટે બિલકુલ કામની ન હોય

તેવી જ બાબતો ભરી હોય છે.

એ બધાંને મેં "હું અને માત્ર હું"ની યાદીમાં મૂકી દીધાં છે.

તેમના તરફથી આવતા સંદેશાઓ મેં વાંચવાનું બંધ કરી દીધું છે તે તો તમે સમજી જ ગયાં હશો.

સાવ જ બંધ હોં !

એમના સંદેશા ન વાંચવાથી કંઈ જ કામની વાત છૂટી જશે તેવી કોઇ શંકા પણ મનમાં નથી રહી.

ઇ-મેલ વંચાય તે સારૂ મોકલાતા હોય છે, જ્યારે "હું અને માત્ર હું"માં ચડી ગયેલા મેલ ભાગ્યેજ વંચાતા હોય છે.

ઘણાં મહત્ત્વનાં લોકો સાથે પણ તેમની આ બાબતની વ્યૂહરચના વિષે મારે વાત થતી રહે છે. તેઓ પણ આ પ્રકારનાં પ્રત્યાયનો સાથે લગભગ કંઇ જ ધ્યાન ન આપવાની આ રીતે જ પેશ આવે છે.

જો જો, આપ્ણે તો "હું અને માત્ર હું" પ્રકારના પ્રત્યાયનના ચેપનાં શિકાર તો નથી થયાં ને !

ચાલો, આપણે "હું અને માત્ર હું"ને બદલે “તમે અને માત્ર તમે" પ્રત્યાયન કરતાં થઇએ. clip_image009
શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો - ગુચ્છ ૯ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑગસ્ટ ૧૬, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો