બુધવાર, 18 માર્ચ, 2015

કહ્યાગરા બનાવતા નિયમો - દેવદત્ત પટ્ટનાઇક

imageએક દિવસે, એક જ અખબારમાં મેં બે સમચાર વાંચ્યા. એક સમાચારમાં એક ચોક્કસ ધાર્મિક સંપ્રદાયનાં લોકો તેમનાં ધર્મસ્થાનની, તેમના ધર્મમાં સૂચવેલ, નિયત સમયે મુલાકાત લઇ શકે તે માટે ટેક્નોલોજીના ઉપયોગની શકયતાની વાત કરાઈ હતી.બીજા સમાચારમાં એક યુરોપીયન દેશમાં ટેક્નોલોજીના ઉપયોગથી ફિલ્મમાં પૂરતી લૈંગિક સંવેદનશીલતા છે કે નહીં તેની માપણી કરવામાં આવે છે તેની વાત હતી. આ બંને સમાચારોએ મને વિચારતો કરી મૂક્યો.

બંનેમાં નિયમો અને માપણી વડે માનવીય વર્તનનાં કહ્યાગરાપણાંનાં ધડતરની પરિકલ્પનાનું સામ્ય છે- એકમાં ધાર્મિક પરંપરાને પ્રગાઢ કરવાનો પ્રયોગ કરાયો છે, તો બીજામાં લૌકિક/ સામાજિક કારણોને આગળ કરાયાં છે.જો કે ધાર્મિક પ્રવૃત્તિઓની હાંસી ઉડાડવાની સાથે આપણને બિનસાંપ્રદાયિક પ્રવૃતિઓ કરવા માટે પ્રેરિત કરવા પર ભાર મુકાતો જોવા મળે છે. 'અંત ભલા તો સબ ભલા'ની આ વાત છે? જો પરિણામ બિનસાંપ્રદાયિક હોય, તો નિયમો અને માપણીના દબાણથી શકય બનાવાતું અનુકૂલન ઈચ્છનીય છે? પણ જો તેને કારણે ધાર્મિક વ્રુત્તિઓ બળવત્તર બનતી હોય તો નિયમોનાં દબાણને વખોડી કાઢવું જોઇએ? કેમ એમ?

મને દુરદર્શનની એક સિરીયલની યાદ આવે છે જેમાં દીકરો એક વિધવાને પરણવા માગે છે તેના વિરોધમાં મા અપવાસ પર ઉતરી જાય છે. જે પધ્ધતિ ગાંધીજીએ સત્યાગ્રહ માટે અપનાવી હતી એ જ પધ્ધતિ માએ પણ અપનાવી છે. ગાંધીજી સમાજમાં જે ખોટું હતું તેને સુધારવા સત્યાગ્રહને અપનાવવાની વાત કરતા હતા, જ્યારે મા સમાજમાં કંઇક સારૂં થઇ રહ્યું છે તેના વિરોધમાં અપવાસનું શસ્ત્ર ઉગામી રહી છે. આમાંથી સાચું કોણ? શું સાધ્ય હોવું જોઇએ કે શું ધ્યેય હોવો જોઇએ, ઉચિત કે સાચું કે સારૂં છે તે કોણ નક્કી કરે? પોતાનો આગ્રહ રાખનાર કે નિયમો ઘડનાર દરેક વ્યક્તિને પોતાના ઉદ્દેશ્યો અને કારણો ઊચિત જ લાગતાં હોય છે. પણ તે આગ્રહો કે નિયમોને કારણે જેમણે સહન કરવું પડે છે તેમને તેવું ન પણ લાગતું હોય.

હિંદુ પુરાણોમાં બીજાં પર નિયમો ઠોકી બેસાડનારને, યજ્ઞના પુરસ્કર્તા, દક્ષ પ્રજાપતિ, તરીકે ઓળખવામાં આવે છે, જે પોતાની આસપાસનાં પોતાનાં સંતાનો, જમાઇ કે દેવતાઓ, તમામને પોતાના નિયંત્રણમાં રાખવા ચાહે છે. તેણે ઘડેલા નિયમોની અવગણના કરતા શિવને તે તિરસ્કારથી જૂએ છે. એટલે શિવ અને દક્ષ વચ્ચે ક્લેશ થયા વિના રહેજ નહીં તે તો સ્વાભાવિક છે. શિવના રૂઢિવિરોધી માનસને આપણે ભલે દુહાઇ આપીએ, પણ એ ન ભુલવું જોઇએ કે દક્ષ એ સમાજ કે જનસંસ્કૃતિ કે સંસ્કૃતિના ઘડનારા પ્રજાપતિ છે. એમના નિયમો અયોગ્ય કે આત્યંતિક કદાચ લાગે, પણ તેનાથી જ કાંઇક અંશે વ્યવસ્થા સ્થપાય છે, અને તેથી જ જ્યારે શિવ તેમનો શિરોચ્છેદ કરી નાખે છે ત્યારે દેવો શિવને તેમને જીવનદાન બક્ષવા અરજ કરે છે. શિવ અરજ સ્વીકારે છે, પણ દક્ષને બકરાનું માથું બેસાડી આપે છે. માનવ માથાં ને બદલે બકરાનું માથું કેમ? કદાચ યાદ અપાવવાની રીત છે કે નિયમો એ માનવમાં રહેલાં પશુને નાથવાની એક રીત માત્ર જ છે ?

મેં તો જોયું છે કે સંસ્થા બિનસાંપ્રદાયિક હોય કે સાંપ્રદાયિક, તે વર્તે તો દક્ષ પ્રજાપતિની જેમ જ. જેમ ખેતીમાટેનાં પ્રાણીઓને પાળીને તેમને આજ્ઞાંકિત અને ઉત્પાદક બનાવી દેવામાં આવે છે તેમ, તેમને જે ઠીક લાગે તે નિયમો પાળીને બધાંને અમુક જ રીતે વર્તવાની ફરજ આ સંસ્થાઓ પાડતી રહે છે. પણ આમાં ફાયદો તો જ છે, અલબત્ત ખેડૂતના પક્ષે ઘણો વધારે!

પણ માણસો એ કાંઇ બળદ કે ઘોડા કે કુતરા થોડાં છે ? જો નિયમને સ્વૈચ્છિક રીતે પાળવાના હોય તો જ ગમે. જ્યારે તે બળજબરીથી લાદવામાં આવે છે ત્યારે આપણે તેનો, કોઇને કોઇએ પ્રકારે, અચૂક વિરોધ કરીએ જ છીએ, પછીથી છેલ્લે ભલે તેને તાબે થઇએ. નિયમને અનુસરવામાં માનઅકરામના ગાજર સમા ફાયદા મળે છે, જ્યારે તેનાથી વિમુખ થવાના બદલામાં કોઇને કોઇ સ્વરૂપે ડંડો પડવાની સજા મળે છે.

મોટા ભાગની સંસ્થાઓમાં એમ માનવામાં આવે છે કે આજ્ઞાકિંતતા એ સારી વાત છે, જેમકે જે છોકરાંઓ ધાર્મિક ગ્રંથોમાં કહ્યા મુજબ ધર્મસ્થાનની નિયમિત મુલાકાત લેતાં રહે તે સારાં. જે ફિલ્મ બનાવનારા લૈંગિક ઝુકાવ સિવાય વાર્તા રજૂ કરે તે સારા. પણ આવું આડંબરમિશ્રિત વર્તન વાસ્તવિક કે પ્રમાણભૂત તો ન જ કહેવાય.આપણે તો એવો આદર્શ સમાજ ઈચ્છીએ જ્યાં બધાં અસલી, પ્રામાણિક તેમજ નિયમપાલક હોય.જો કે આવો સમાજ કદાચ કંટાળાજનક પણ નીવડી શકે છે. ઉત્તેજના તો રોમાંચની રણઝણાટમાંથી જ આવે છે, જે નિયમભંગ, આકસ્મિક રકાસ કે ક્રાંતિમાંથી નિષ્પન્ન થાય છે. એનો અર્થ એમ નહી કે મકાનની છત પરથી છેક નીચે જમીન પર કૂદી પડવું. પણ વચ્ચે નેટ બાંધીને કે બંજી જમ્પ મારી લેવાની મજા માણી લેવામાં બાધ પણ ન રાખવો જોઈએ!

'મિડ ડે'માં નવેમ્બર ૧૭,૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો