બુધવાર, 5 ઑગસ્ટ, 2015

ઈન્ડિયા વિરૂદ્ધ ભારત - દેવદત્ત પટ્ટનાઈક

imageક્યાંક ને ક્યાંક, કોઈને કોઈ સંદર્ભમાં, આપણે લોકોને ઈન્ડિયા ભારત કરતાં અલગ પડે છે તેવા દાવા કરતાં સાંભળીએ છીએ. અને તેમાંથી જન્મે છે એ સદૈવની ગુંચવણ કે 'ભારત' દેશનું સાચું પ્રતિનિધિત્વ કયું સ્વરૂપ કરે છે.
ઈન્ડિયાની ભાષા ઈંગ્લીશ (કે કંઇક અંશે હિંગ્લીશ) છે. ભારતની ભાષા તેની પ્રાંતિય ભાષાઓ છે. ઈન્ડિયા શહેરોમાં વસે છે, ભારત વસે છે ગામડાઓમાં. અંગ્રેજી પ્રસાર માધ્યમો ઈન્ડિયાનું પ્રચાર માધ્યમ છે, તો પ્રાંતિય પ્રસાર માધ્યમો ભારતનું. ઈન્ડિયાને માટે પાશ્ચાત્ય આદર્શો મૂલ્યવાન છે, તો ભારત માટે પરંપરાગત વિચારો મહત્ત્વના છે. ઈન્ડિયા પર સંપત્તિવાન અને શક્તિશાળી વર્ગનું આધિપત્ય છે તો ભારત ગરીબ લોકોનું પ્રાધાન્ય સ્વીકારે છે.


જેમનાં સંતાનો ઈન્ડિયાનો ભાગ બનવા માટે સર્વ પ્રકારે પ્રયત્નશીલ છે, પણ જેમની મતબેંક તો ભારતના ગ્રામીણ સમાજમાં વસે છે તેવા ભારતીય રાજકારણીઓ આ વિવેચનને અનુમતિ આપે છે. અમેરિકન અને યુરોપિયન વિદ્વાનો પણ તેને સ્વીકારે છે. જો તેમનો ઝુકાવ જમણેરી હોય તો તેમને ઇન્ડિયા વૈશ્વિક અને પાશ્ચાત્ય દેખાય અને ભારત સામન્તવાદી જણાય. જો તેમનું વલણ ડાબેરી હોય તો તેમને ઈન્ડિયા ભદ્ર લોકોની શોષણખોર વૃત્તિનું પ્રતિક દેખાય જેની સામે ભારતમાં ભૂખ્યાં શોષિત લોકોનું પ્રતિબિંબ દેખાય.સાહિત્યિક અને બીનસાહિત્યિક લોકો પણ દુનિયાને માટે ઇન્ડિયાનાં રંગસૂત્રોનું વિશ્લેષણ કરતી વખતે આ તફાવતને સ્વીકારીને ચાલે છે.વ્યાપાર-ઉદ્યોગનાં પ્રવર સંચાલકો કે ગ્રાહક મનોભાવને લગતી બાબતોના નિષ્ણાતો આ તફાવતને સમજાવતી વખતે ઈન્ડિયાને ઈન્ડિયા #૧ અને ભારતને ઈન્ડિયા #૨ કહે છે.

ઈન્ડિયા અને ભારત એકબીજાને સંશયની દૃષ્ટિથી જૂએ છે. ઈન્ડિયાની નજરમાં ભારતનું એ ચિત્ર છે જ્યાં પોતાનાં કુટુંબનાં દબાણને વશ ન થઇ કોઈ બીજી જાતિના છોકરા સાથે પરણવાનું વિચારે તો ખાપ પંચાયતો તેમને મારી નાખતાં પણ અચકાય નહીં. ભારતને ઇન્ડિયામાં સમલૈંગિકતાની સ્વીકૃતિ જ દેખાય છે. ઇન્ડિયા માને છે કે ભારતમાં લઘુમતિઓનો ખાતમો બોલાવી દેવામાં આવે છે, તો ભારતને ઇન્ડિયાની પરંપરાઓને માન ન આપવાની વૃત્તિ ખૂંચે છે. ઈન્ડિયા એમ પણ માને છે કે ભારતમાં દલિતો માથે કાયમ મોત ચકરાયા કરે છે, તો ભારતને ઇન્ડિયામાં ચારિત્ર્યનાં શિથિલ મૂલ્યો જ દૃષ્ટિગોચર થયા કરે છે. ઇન્ડિયાને મન ભારત હિંદુ કટ્ટરવાદીઓથી ખદબદે છે તો ભારતને ઇન્ડિયામાં દાંભિક બિનસાંપ્રદાયિકતાનો પ્રસાર જોવા મળે છે.

આ ભાગલાનું મૂળ બ્રિટિશ પૌવાર્ત્યવિશારદો તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ નિષ્ણાતો એ ઈન્ડિયાને સંસ્કૃત વડે એકસૂત્ર કરવા પ્રયાસ કર્યો. તેમને સંસ્કૃતમાં પૂર્વની લેટિન ભાષા દેખાઈ, જે પંડિતોની ભાષા હતી, મૂળભૂત ભૌગોલોક, જાતિઓ, ભાષાઓ કે સમાજનાં વૈવિધ્ય છતાં લેટિન વડે યુરોપ એકતાંતણે થયું તેમ ઈન્ડિયાને પણ સંસ્કૃતથી જોડી શકાય.આજે પણ ઘણાં લોકો સંસ્કૃતને ભારતની પ્રાંતિય ભાષાઓની જનની ગણે છે. આમાંથી શાસ્ત્રીય હિંદુત્વવાદી 'માર્ગી' અને લોકભોગ્ય પ્રથાવાદી 'દેસી' એવો ભેદ અસ્તિત્ત્વમાં આવ્યો.પ્રાંતિય ભાષાઓના સાપેક્ષમાં સંસ્કૃતને આ રીતે મળેલ રાષ્ટ્રિય માન્યતાએ ભારતની એક રાષ્ટ્ર તરીકે હિંદુ વિચારસરણી પર આધારિત હોવાની ભાવનાની પુષ્ટિ કરી.

સ્વાભાવિક જ છે કે બિનસાંપ્રદાયિકોને આ વાત મંજૂર ન હોય. તેમનું કહેવું હતું કે મધ્યકાલિન સમયથી ઉત્તર ભારતને જોડતી ભાષા બ્રજ ભાષા હતી, દક્ષિણ ભારતને જોડતી ભાષા તેલુગુ હતી જ્યારે રાજકાજનાં કામ માટે સમગ્ર ભારતવર્ષના મુસ્લિમ અને હિંદુ શાસકોના દરબારમાં ફારસી વપરાતી. ફારસી અને બ્રજ ભાષા પરથી હિંદુસ્તાનીની વ્યુપત્તિ થઈ, જે સમયાંતરે હિંદી અને ઉર્દુ તરીકે પ્રસ્થાપિત થઈ. હિંદીને રાષ્ટ્રભાષા તરીકે 'લાદવા'ના પ્રયાસનો તામિલનાડુમાં પ્રચંડ વિરોધ થયો હતો. જ્યારે જ્યારે વિવિધ રાજ્યોમાં (કે કેન્દ્રમાં પણ) મંત્રીઓની શપથગ્રહણવિધિ સમયે હિંદી (કે અંગ્રેજી)ને બદલે પ્રાંતિય ભાષાનો પ્રયોગ થતો જોવા મળે છે, ત્યારે એક તણાવ ગ્રસ્ત વાતાવરણ બની જતું હોય તેમ અનુભવાય છે.

ન્યાયાલયો, સરકારી દફ્તરો કે મોટી કંપનીઓમાં પ્રત્યાયનનું સ્વીકૃત માધ્યમ અંગ્રેજી છે એ બાબત રાષ્ટ્રવાદીઓની ચીડમાં ઉમેરો કરતી રહી છે. અંગ્રેજીએ ઇન્ડિયાને વિશ્વમાં સ્પર્ધાત્મક સરસાઈ અપાવવામાં બહુ જ મોટું પ્રદાન કર્યું છે. આ સંદર્ભમાં પ્રાંતિય ભાષાઓનું પલ્લું થોડું નબળું પડે છે. આમ અંગ્રેજી સમગ્ર ભારત દેશને જોડતી કડી તરીકે ઊભરી છે, જે પ્રાંતિય ભાષાઓમાં વિખરાયેલાં ભારતમાંના ઇન્ડિયાને એકસૂત્ર કરે છે.આને સારૂં ગણો કે ખરાબ, સ્વીકારો કે ન સ્વીકારો, પણ એ ભલે કડવી, પણ ઠોસ વાસ્તવિકતા છે.

આ સાચા કે કૃત્રિમ તફાવતે ઘણા હીરો કે ખલનાયકો પણ રચ્યા છે. આમ જે સંદર્ભમાં વાત થતી હોય તે મુજબ ઇન્ડિયા સામંતશાહી પૈતૃક સમાજધારાવાળાં એકેન્દ્રિય વિચારસરણીવાળાં ભારતને ઉદારમતવાદી મંચ પૂરો પાડે, કે પછી પરંપરાવાદી મૂળીયાઓમાં વીંટળાયેલ ભારતની નજરે ઇન્ડિયા પશ્ચિમનું પીઠ્ઠુ બની ગયેલું દેખાય. એ જ સંદર્ભો સરકારની નીતિઓને પણ ઇન્ડિયા કે ભારતની તરફેણ કરતી લાગે. તો વળી સમય અને સંદર્ભને માન આપતું દેખાતું ઇન્ડિયા ભારત પાસેથી કે ભારત ઇન્ડિયા પાસેથી કંઈ શીખતું હોય તેમ પણ જણાય.

આ સમગ્ર ચર્ચા પરથી એક નિષ્કર્ષ પર તો જરૂર આવી શકાય કે 'ભાગલા પાડીને શાસન કરો'ની નીતિના પ્રણેતા બ્રિટિશ લોકો અહીંથી ભલે જતા રહ્યા, પણ આપણે 'વિભાજનથી હસ્તગત થતી સત્તાની દોર'ને આપણા જાહેર જીવનમાંથી વિદાય નથી આપી !
clip_image001 'મિડ ડે'માં ડીસેમ્બર ૨૯, ૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, India versus Bharat , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર એપ્રિલ ૨૫, ૨૦૧૪ના રોજ Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓગસ્ટ ૫, ૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો