બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015

ઈશ્વરનું નામ - દેવદત્ત પટ્ટનાઈક

imageસ્થાનિય મલય ભાષા, બહાસા,બોલતાં, મુસ્લિમ અને બીન-મુસ્લિમ બંને સમાજનાં, લોકો ઈશ્વર માટે હંમેશાં અલ્લાહનો જ ઉપયોગ કરતાં હતાં. ઈશ્વર એક જ છે અને જુદા જુદા ધર્મો તેના સુધી પહોંચવા અલગ અલગ માર્ગ આપનાવે છે એ માન્યતા પણ અહીં અભિપ્રેત છે.

પણ સરકારના કેટલાક વિભાગો દ્વારા આ પ્રથાનો વિરોધ કરાઈ રહ્યો છે, તો કેટલાંક ધાર્મિક સમુદાયો 'અલ્લાહ'નો ઉપયોગ માત્ર મુસ્લિમો પૂરતો જ મર્યાદિત રાખવાના હિમાયતી છે. એટલે કે દેવળના પાદરી ઈશ્વરની વાત સમજાવવા માટે 'અલ્લાહ' શબ્દ ન વાપરી શકે, પછી ભલેને તેમનું આખું સંભાષણ બહાસામાં જ કેમ ન હોય ! બીન-ઇસ્લામી સંદર્ભમાં તેને છાપવું એ ગંભીર ગુનો પણ બની શકે છે.

અહીં જો કે સમસ્યા નામાભિધાન અને અર્થઘટન તેમ જ રાજકીય આંતરપ્રવાહોની કહી શકાય.

'અલ્લાહ' અરબી ભાષામાંથી ઉતરી આવેલ છે. એ બે અરબી શબ્દો - અલ (અંગ્રેજીમાં theના પર્યાયવાચક પૂર્વગ) અને ઈલાહ (દેવતા)નો જોડાક્ષર છે. આમ શાબ્દિક અર્થમાં તે (એક) ઈશ્વર સૂચવે છે, જેમાં પરમેશ્વરની અઘાટ એકરૂપતા અભિપ્રેત બની, તે એકેશ્વરવાદનું શાબ્દિક સ્વરૂપ બની રહે છે. હીબ્રુ ગ્રંથોમાં ઈશ્વર માટે ઈલોહિમનો પ્રયોગ થાય છે. હીબ્રુ ગ્રંથોમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરતી વખતે ઈલોહિમ અને અરબીમાંથી અનુવાદ કરતી વખતે અલ્લાહ જ વપરાતા જોવા મળશે.

કેપીટલ અક્ષરથી શરૂઆત થવા છતાં તે વ્યક્તિવાચક સંજ્ઞા નથી. આસ્થાનાં નિવેદન [The Declaration of Faith]માં જણાવાયું છે કે 'ઇશ્વર નહીં, પણ (એક માત્ર) પરમેશ્વર જ છે.' અંગ્રેજીમાં ઉચ્ચાર કરતી વખતે બંને પ્રયોગો સરખા જ લાગે, પણ લખતી વખતે કેપીટલ Gનો પ્રયોગ આ અલગ અર્થપર ભાર મૂકવા માટે કરવામાં આવે છે. ખાસ સંજ્ઞા દર્શાવવા માટે શબ્દના પહેલા અક્ષરને કેપીટલમાં લખવાની લાક્ષણિકતા લેટિન સિવાય અન્ય અરબી કે ભારતીય કે ચીની લિપિમાં જોવા નથી મળતી. જાતિવાચક સંજ્ઞાનો વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઘણા ધર્મોમાં ઉપયોગ કરવામાં આવે છે. ઈસ્લામમાં અલ્લાહનાં ૯૯ નામો મનાય છે. આ બધાં નામો ચોક્કસ લક્ષણો કે વિશેષણો દર્શાવે છે, જેનો પ્રયોગ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે કરવામાં આવે છે, જેમ કે અલ-રહમાન (દયાળુ).

બાઈબલના જૂના કરાર [the Old Testament]માં મોઝીસ ઈશ્વરને પૂછે કે તેનું નામ શું છે જેના જવાબમાં ઈશ્વર કહે છે "હું જે છું તે છું !" \ “I am what I am!”. આ જવાબ પરથી હીબ્રુ યેહોવાહ (કે જેહોવાહ) ઉદ્‍ભવ્યો અને ઘણા ખ્રિસ્તી સંપ્રદાયોમાં તે ઈશ્વરનાં નામ તરીકે વપરાય છે.ઘણા આરબ ખ્રિસ્તીઓ અલ્લાહ અલ-અબ -પિતા સમાન ઈશ્વર - વડે તેમની ઈશ્વર વિષેની સમજને જૂદી પાડે છે.

અતિહિંસક અથડામણો છતાં પણ ઈસ્લામ ખ્રિસ્તી-યહૂદી સાંકળની અતૂટ કડી છે જેનું મૂળ અબ્રાહમ સુધી જાય છે. યહુદી ધર્મ પ્રમાણે પરમેશ્વરનાં પસંદ લોકો \ the Chosen People of Godના ઉધ્ધારક, આખરી મસીહા, હજૂ આવવાના બાકી છે. ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ઈસુ ખ્રિસ્તનાં સ્વરૂપે તેઓ આવી ચૂકેલ છે, જે માત્ર પયબંગર જ નહીં, ઈશ્વરના પુત્ર પણ છે. ઈસ્લામ ધર્મ ઈસુને ઈશ્વરના પુત્ર તરીકે નહીં પણ ઈશ્વરના અન્ય પયબંગરો તરીકે જ સ્વીકારે છે. ઈસ્લામમાં આખરી પયબંગર મોહમ્મદ છે. શિયા મુસ્લિમોમાં પયબંગરના જમાઈ, અલી,નું પણ બહુ મહત્ત્વ છે. જો કે આ બધામાં અંતિમ મુકામ વચ્ચે બહુ ફરક નથી પણ તેના સુધી પહોંચવાનાં માધ્યમનો જ છે.

મોહમ્મદ પયગંબર પહેલાં અરબસ્તાનની જાતિઓ અનેક ઈશ્વરની ભક્તિ કરતી હતી. તેઓ અબ્રાહમથી અને તે પછીના ઘણા પયગંબરોથી પણ પરિચિત તો હતાં. મોહમ્મદે જાહેર કર્યું હતું કે તેઓ ઈશ્વરના આખરી પયબંગર છે અને અલ્લાહ સિવાય અન્ય કોઈ ઈશ્વરને ભજવા નહીં.

આમ અલ્લાહનો પ્રયોગ માત્ર મુસ્લિમ સંદર્ભમાં મર્યાદિત કરવાની માંગને કારણે સવાલ એ થાય છે કે અલ્લાહ મોહમ્મદનું જ પરમેશ્વર તરીકે સંબોધન છે કે અબ્રાહમનું પણ છે કે પછી જે રીતે શીખોના ગ્રંથ સાહિબમાં લગભગ ડઝનેક વાર અલ્લાહનો પ્રયોગ જોવા મળે છે તે રીતે જોતાં તો કોઈના પણ પરમેશ્વરનું સંબોધન છે. જો કે મોટા ભાગનાં લોકોને આ વિચાર ગળે નહીં ઉતરે.

clip_image001 'મિડ ડે'માં ૨ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, The name of God, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર એપ્રિલ ૨૯, ૨૦૧૪ના રોજ Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો