હિંદુ પુરાણોમાં પણ વિકલાંગોની વાતો જોવા મળે છે.
કૃષ્ણનાં વર્ણનમાં તેમનાં નખશીખ સૌંદર્યની વાત હોય છે, પરંતુ ઉડીશાનાં પુરીનાં જગન્નાથ મંદિરમાં તેમની મૂર્તિ થોડી ખામીવાળી, વિરૂપ, જોવા મળે છે. તેને હાથ કે એક પગ નથી. તેના હોઠ અને નાક ચીતરેલાં છે. આંખોને પોપચાં નથી, અને તેને કાન પણ નથી. ઉત્સવો વખતે તેના પર સોનાનાં કૃત્રિમ અંગો લગાડીને મૂર્તિને પૂર્ણ બનાવાય છે. આની પાછળની કહાની એવી કહેવાય છે કે આ મૂર્તિ ઘડતી વખતે તેના શિલ્પકારે રાજા સાથે શરત કરી હતી કે મૂર્તિ સાવ પૂરી થાય તે પહેલાં રાજાએ મૂર્તિને જોવા માટે દરવાજો ખોલવો નહીં. પણ લાકડું ઘડવાના કે રંગ કરવાના અંદરથી કોઈ અવાજો નહોતા આવતા એટલે રાજાથી રહેવાયું નહીં. બસ, એ સમયે હતી તેવી એ મૂર્તિ અધુરી રહી ગઈ. ઘણાં ભજનોમાં જગન્નાથની અધૂરી મૂર્તિના ખાસ ઉલ્લેખ જોવા મળે છે. એ અધુરી મૂર્તિ કદાચ આપણા માટે કોઇ ઊંડો સંદેશ કહી જાય છે. જગન્નાથની વિકલાંગતા બીજાં 'પૂરાં' લોકોને યાદ કરાવે છે કે આપણાથી જૂદા પ્રકારનાં લોકોને અધૂરાં, ખોડખાંપણવાળાં કે અસાધારણ ગણીને તેમને ઉતારી પાડવાં કે નજરઅંદાજ ન કરવાં જોઈએ. આપણી આસપાસની દરેક વસ્તુમાં રહેલી કોઈને કોઈ તાત્વિક અધુરાશ કે અપૂર્ણતા તરફ તેમાં અંગુલિનિર્દેશ છૂપાયેલો છે ?
પુરાણોમાં એક કથા કાશ્યપની પત્ની વિનતાની છે જેને બે અંડકોષ પેદા તો થયા, પણ કેટલોય સમય સુધી રાહ જોયા પછી પણ તે ફળતાં નહોતાં. અધીરાશ ને અધીરાશમાં તેણે એક અંડકોષ ફોડી કાઢ્યો. તેમાંથી જે બાળક જન્મ્યું તે ખોડવાળું રહી ગયું. તેનાં શરીરનો નીચેનો ભાગ જ વિકસ્યો નહોતો, તેને પગ કે જનનાંગો જ નહોતાં.આ બાળક પરોઢના દેવ અરૂણ તરીકે ઓળખાયું, અને તેને સર્વ હિંદુ દેવતાઓનાં મંદિરમાં સૂર્યદેવના રથના સારથિનું સ્થાન અપાયું. તેનાં નીચેનાં શરીરનો પૂરો વિકાસ જ નથી થયો એટલે અરૂણ સ્ત્રી છે કે પુરુષ તે હંમેશાં ચર્ચાનો સવાલ રહ્યો. એ પહેલાંનાં વૈદિક ગ્રંથોમાં સુર્યદેવના રથની સારથિ એક સ્ત્રી, ઉષા, તરીકે વર્ણવાઈ છે. ભલે અપૂર્ણ હોય, પણ આ સંદિગ્ધ લૈંગિક બાળકને સ્થાન તો ઊંચે આકાશમાં અપાયું છે.
મહાભારતમાં જૂદા જ સમાજનું ચિત્રણ જોવા મળે છે.શાંતનુના મોટા ભાઈ, બાલ્હિક,ને ચામડીનો રોગ છે એટલે તેને રાજગાદી એટલે નથી અપાતી. તે પછી ધૃતરાષ્ટ્ર આંધળો હોવાથી તેને પણ રાજગાદી નથી મળતી. પોતાને બાળક નહીં થાય એવો શ્રાપ પાંડુને મળ્યો એટલે તેમણે સ્વેચ્છાએ જ ગાદી છોડી દીધી. જેની કમીને અતિક્રમીને એ વ્યક્તિને સમાજમાં શું ભૂમિકા આપી શકાય તે મુંઝવણને કારણે સમાજમાં વિકલાંગતાને ન સ્વીકારવા માટે વધતી જતી ભાવના અહીં જોવા મળે છે.
જંગલના ન્યાયમાં તો જે પશુમાં શારીરીક ખોડ આવી પડે તેનું તો મૃત્યુ નિશ્ચિત બની રહે છે. તેની સાથેનાં ધણ કે સમુહનાં બીજાં પ્રાણીઓ તેને મદદ કરવા રોકાતાં નથી. જંગલમાં ખોડખાંપણ માટે કોઈ જ જગ્યા, કોઈ દયામાયા નથી. એટલે જ જ્યારે માણસ પણ એ રીતે જ વર્તે છે ત્યારે તે પોતાની આદિ પ્રકૃતિ તરફ વળી ગયેલ છે, તેનામાં માનવતા કે સભ્યતાનો અંશ નથી એમ કહેવાય છે.
ખોડખાંપણવાળાં લોકોની આ અસ્વીકૃતિનું કારણ શું હશે ? તેમને કેમ અલગ પાડી દેવામાં આવતાં હશે? તેમને આપણી સાથે ખુલ્લી રીતે હળવા મળવા કેમ નથી દેવાતાં? તેમની પરાધિનતાનો આપણને ડર લાગે છે? તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓ આપણી તેમની તરફની સહાનુભૂતિને કોરી ખાય છે? ધૃતરાષ્ટ્ર કે અરુણ કે જગન્નાથની ખંડિત મૂર્તિઓ કદાચ આપણને આ દિશામાં વિચાર કરતાં કરવા માટે અને વિકલાંગ લોકો માટે આપણા દૃષ્ટિકોણને સકારાત્મક રાખવા માટે જ હોઈ શકે છે.
આજે હવે ઘણી સંસ્થાઓ પોતાનાં માળખાંમાં વિકલાંગ લોકો માટે અસરકારક ભૂમિકા રાખવા અંગે સભાન થતી જોવા મળે છે. આને માત્ર સખાવત કે સામાજિક જવાબદારીની રીતે ન જોવાને બદલે, એવી વ્યક્તિઓની વિશિષ્ટતાઓનો સાચો ઉપયોગ કરી સ્પર્ધાત્મક સરસાઈનો ફાયદો ઊભો કરવાનો આ એક ચોક્કસ પ્રયાસ છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ પહેલ સંસ્થાની નફાકારતા અને સરવૈયાંની શક્તિને પ્રબળ બનાવતી હોય છે.
વિકલાંગ લોકોને 'અન્ય રીતે પ્રબળ' દૃષ્ટિએ જોવાના ફાયદા ગેરફાયદાનું સુસ્પષ્ટ વિશ્લેષણ કરવાની જ જરૂર છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં એવાં કેટલાંય કામો પ્રસ્થાપિત થતાં જાય છે જે હવે અંધજનો કે બધિર લોકો વધારે સારી રીતે કરી શકે તેમ જોવા મળ્યું છે. કોઈ પણ પ્રકારનાં લોકોને તેમનાં કામને સલામત રીતે કરતાં રહેવા માટે તેમના હુન્નર ઉપરાંત ખાસ પ્રશિક્ષણ અને તાલિમ તો આપવાં જ પડે છે. પરંતુ, જોઈસાંભળી શકતાં લોકોને ખૂબ જ ઘોંધાટિયાં વાતવરણ કે આંખને નુકસાન કરે તેવાં કામો કરવામાં જે મૂળભૂત જોખમો છે તે બધિર કે અંધ લોકોને માટે પ્રશ્નરૂપ જ ન બની રહે તેમ કરવું સહેલું પડી શકે તેમ છે તે સમજાવા લાગ્યું છે. આ માટે કોર્પોરૅટ જગતે પોતાના દૃષ્ટિકોણની ખોડખાંપણોને અતિક્રમવાની રહે છે. તેમણે પોતાની એક સારાં નાગરિક હોવાની જવાબદારી નિભાવવાની સાથે પોતાની નફાકારકતાને કેમ સુધારી શકાય તે માટે નવી દૃષ્ટિ વિકસાવવી રહી.
ધ ઈકોનોમિક ટાઈમ્સમાં જાન્યુઆરી ૩૧,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
-
અસલ અંગ્રેજી લેખ, A Job for Disabled Gods, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુન ૧૦, ૨૦૧૪ના રોજ Indian Mythology • Leadership • Mahabharata • Modern Mythmaking • Myth Theory • Society • World Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૧૬, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો