બુધવાર, 30 ડિસેમ્બર, 2015

જન્માધિષ્ઠાત્રી - દેવદત્ત પટ્ટનાઈક

imageતેનો ચહેરો નથી. માથાંની જગ્યાએ માત્ર કમળનું ફૂલ ધડ પર છે. ચહેરાવિહિન આ સ્ત્રીની મૂર્તિઓ આખાય દેશમાં જોવા મળે છે. ઇસવી સનની ત્રીજીથી આઠમી સદીમાં માટીમાંથી તેનાં બીબાં બનાવી આ મૂર્તિઓ પથ્થરમાં કોતરવામાં આવતી હતી. હિદુ ધર્મનાં સૌથી જુના અને પવિત્ર એવા ગ્રંથ ઋગવેદમાં વાળેલાં ઘુંટણ, પહોળા ફેલાવેલા પગ, અનાવર્ત સ્તન અને ગુહ્યાંગોવાળા આ અંગવિન્યાસને ધરતીમાંથી પેદા થયેલ ગણાવાયેલ છે. સંભોગ કરતી કે બાળજ્ન્મ આપી રહેલી સ્ત્રી્ની આ અંગસ્થિતિ ઉત્તનપદ તરીકે ઓળખાય છે.

ચહેરાવિહિન આ સ્ત્રી છે કોણ ? પ્રેમિકા ? માતા ? દેવી ? ખબર તો કોઈને પણ નથી.પ્રણાલિકાગત ધર્મગ્રંથોમાં આ વિષે કોઈ સ્પષ્ટીકરણ નથી. જાહેર હિંદુ ઉપાસના વિધિઓમાં પણ આનો કોઈ સીધો ઉલ્લેખ નથી. આજના સમયની શાસ્ત્રીય મીટના સંદર્ભમાં આ અંગસ્થિતિને કારણે કંઈક અંશે ક્ષોભ અનુભવતા પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારોએ તેને શરમાળ માતા - 'લજ્જાગૌરી- તરીકે ઓળખવાનું સ્વીકાર્યું છે

હિંદુ સમાજના તથાકથિત નીચલી જાતમાંથી આવતો ગ્રામિણ મજૂર વર્ગ આ પવિત્ર મૂર્તિથી વધારે પરિચિત જણાય છે.એમાં તેમને આદિકાળની જીવનદાયિની, જીવન્સંરક્ષણી કે જીવનહરિણી દેવીમા દેખાય છે. તેઓ તેને આદ્યશક્તિ (મૂળભૂત શક્તિ)કે ભૂદેવી (ધરતી માતા), રેણુકા (માટીની કુમારિકા), યેલમ્મા (બધાંની મા), સાકંબરી (વનસ્પતિની માતા) કે નાગંબિકા (નગ્ન અંબા) જેવાં નામોથી બોલાવે છે. જીવન તેમાંથી આવે છે, તેના વગર કોઈ જ જીવન સંભવ નથી. માર્ગી કે શાસ્ત્રીય પરંપરા મુજબ સર્જનહાર તરીકે ભલે બ્રહ્મા મનાતા હોય પણ દેશી, લોક પરંપરામાં બધાં જ જીવ જન્માધિષ્ઠાત્રિ દેવીમાંથી આવેલ છે.

લક્ષ્મીજીના જન્મ વિષે લક્ષ્મી-તંત્ર કહે છે કે, 'જેમ જેમ દેવો અને દાનવો દૂધના સમુદ્રનું મંથન કરતા ગયા તેમ તેમ રસ જામતો ગયો અને અવનવા આકાર પામતો ગયો. ઝાકળ ભીનાં કમળપર વિરાજમાન, લાલ સાડીમાં શોભતાં, સમૃદ્ધિ અને સંપત્તિની દેવી, લક્ષ્મી, પ્રગટ થયાં. તેની બાજુમાં આરોગ્યના દેવ, ધન્વંતરી, અમરત્વના રસ,અમૃત, ભરેલો ઘડો લઈને ઊભા હતા. એ અમૃતથી મળેલ સદૈવ દીર્ધ જીવનનાં સુખ માણી શકાય એટલા સારુ દેવી તેમની સાથે નિશ્ચિત સુખમય ભવિષ્ય આપવા માટે સદાય દૂધથી ભરેલ આંચળવાળી, કામધેનુ, ફળોથી હંમેશાં લચકતી ડાળીઓવાળું કલ્પવૃક્ષ, કૉઇ પણ ઈચ્છા પૂરી કરી આપનારૂં અમૂલ્ય ચિંતામણિ જેવી અન્ય અદ્‍ભૂત, સોગાદો પણ લઈ આવ્યાં હતાં. આનંદપ્રમોદ મળતાં રહે તે માટે સૂમ્દર ચંદ્ર, શૃંગાર વિદ્યાઓમાં નિપુણ રંભા, મદિરાની દેવી વરુણી પણ તેઓ લાવ્યાં હતાં. તે સાથે શક્તિ અને સત્તા આપનાર છ-સૂંઢવાળો ધવલ ત્વચામય હાથી,ઐરાવત, સાત માથાંવાળો, શત્રુઓને હંમેશાં અતિક્રમી જનાર, તોખાર ઉચ્છૈશ્રવા, કદિ પણ નિશાન ન ચૂકે તેવું બાણ, સારંગ, શત્રુઓના હાડ થીજાવી દે તેવા નાદ વાળો શંખ, પંચજન્ય પણ હતાં.આ બધી સોગાદો વડે દેવી અસ્તિત્ત્વનાં ચક્રમાં દુન્યવી સુખોથી ભરી દેવા માગતાં હતાં.'

લક્ષ્મીનો સમુદ્રમાંથી ઉદ્‍ભવ હિંદુ વર્ણન પરંપરાસાથે અતૂટપણે જોડાયેલ કહાની છે. લગભગ દરેક પવિત્ર ગ્રંથોમાં અને લગ્ન વિધિઓમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. શાશ્વત આરોગ્ય, સમૃદ્ધિ, સત્તા અને સુખમય સ્વર્ગલોકની કલ્પના વડે હિંદુ વિચારધારા મૃત્યુ, પરિવર્તન અને નિરાશાના સતત મંડરાતા દુન્યવી ભયોને હડસેલી મૂકે છે. મૃત્યુથી ભયભિત પૃથ્વીવાસીઓ માટે દેવી લક્ષ્મીનાં સ્વરૂપે નારી જાગતિક દુનિયામાં ગૃહસ્થજીવનમાં સુખ અને આશાનું સ્વરૂપ બની રહે છે.

હિંદુ શાસ્ત્રો અનુસાર, સ્ત્રીની ગેરહાજરીમાં પુરુષ સંયમી ભાવનાઓવાળો વિદ્યાર્થી, સંન્યાસી, બ્રહ્મચારી બની રહે છે. બાજુમાં નારીની હાજરી ન હોય તો પુરુષને યજ્ઞ કરવા માટે નિષેધ ફરમાવાયેલ છે. જો પુરુષ ગૃહસ્થ હોય તો જ દેવો તેણે ચડાવેલ ભોગ સોગાદો સ્વીકારી શકે છે કે તેના પર પોતાની કૃપા વર્ષાવી શકે છે.પત્ની સારાં ભાગ્યની વાહિની,સૌભાગ્યવતી, છે. તે એવી દેવી છે જેની ગેરહાજરીથી સ્વર્ગમાં પાયમાલી ફરી વળે છે.

બ્રહ્મવૈવિત્ર પુરાણમાં કહેવાયું છે કે, 'રંભાએ સ્વર્ગીય ફૂલોથી બનેલ હાર દુર્વાસાને આપ્યો. દુર્વાસાએ તે હાર ઈન્દ્રને આપી દીધો. નશાંધ ઈન્દ્ર આ ભેટનું મહત્ત્વ ન સમજ્યો અને તેણે એ હાર ઐરાવતનાં ગળાંમાં પહેરાવી દીધો.ઐરાવતે તેને જમીન પર નાખી દીધો. સાત-માથાંળો અશ્વ, ઉછ્છૈશ્રવા, તેના પરથી થઈને ચાલી ગયો. આથી ક્રોધે ભરાયેલા દુર્વાસાએ ઈન્દ્રને શ્રાપ આપ્યો કે તેના પરની લક્ષ્મીની કૃપાદૃષ્ટિ દૂર થઈ જશે.તત્ક્ષણ, દેવી દૂધના સમુદ્રમાં જતાં રહ્યાં. કલ્પતરૂ કરમાઈ ગયું, કામધેનુ વસુકી ગઈ, ચિંતામણિ તેજવિહિન થઈ રહ્યો. લક્ષ્મીજીને પાછાં આવવા મનાવવા માટે દેવો એ ફરીથી સમુદ્રમંથન કરવું પડ્યું.'

જ્યારે રાતાં વસ્ત્રોમાં પરિધાન, ફૂલોના હાર, વિવિધ આભૂષણો અને સોળ સોળ સૌદર્યપ્રતિકોના શૃંગાર ધારણ કરેલી નવવધુ પહેલી જ વાર તેના પતિના ઘરમાં પગલું માડે છે, ત્યારે શંખનાદ કરવામાં આવે છે અને ચોખા છાંટવામાં આવે છે. તેની સાથે વર્તમાન પેઢીની સુખાકારી અને ભવિષની પેઢીની આશાઓ પણ ઘરમાં પ્રવેશે છે.
clip_image001 'ધ સ્પીકીંગ ટ્રી'માં માર્ચ ૨,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો