કર્તા એ કાયદાની દૃષ્ટિએ હિંદુ અવિભક્ત કુટુંબના વડા માટે વપરાય
છે. યજમાન એ આશ્રયદાતાના સંદર્ભમાં વપરાતો ધાર્મિક અને સામન્તી શબ્દપ્રયોગ છે.
મોટા ભાગે બન્ને શબ્દપ્રયોગ ની અવેજીમાં પણ કરાતા જોવા મળે છે, પણ
બન્નેનો ખરો અર્થ સાવ જૂદો છે.બન્ને નેતૃત્ત્વની જૂદી જૂદી કક્ષાઓ દર્શાવે છે.
બહુ સીધી રીતે વાત કરીએ તો કર્તા એ સૌથી પહેલાં - અલ્ફા -
સ્તરના સમુદાયનો નેતા છે. એ પછી બીટા, ગામા
અને ઓમેગા જેવા સ્તરના સમુદાયો આવે છે. જ્યારે યજમાન એ અન્ય આલ્ફા સમુદાયોના
નેતાઓનો આલ્ફા - સરખાં લોકોમાં- પહેલો છે. કર્તા
અનુયાયીઓને નેતૃત્ત્વ પૂરૂં પાડે છે, જ્યારે
યજમાન નેતાઓને નેતૃત્ત્વ પૂરૂં પાડે છે.
આપણે આ વાતને સમજવા માટે વિવિધ વ્યંજનોથી સજાવેલ ભારતીય થાળીની
રસોઈનું ઉદાહરણ લઈએ.
કર્તાને આ ભારતીય થાળી તૈયાર કરવાની આવે તો એ શું કરશે? આ
બાબતનો આધાર એના પર છે કે એને પોતાને રસોઈ કરતાં આવડે છે અને / અથવા તેને સંચાલન
કરતાં આવડે છે કે નહીં. આમ આપણી પાસે ચાર વિકલ્પો સામે આવે છે - તેને રસોઈ કરતાં
અને સંચાલન કરતાં આવડે છે, કે તેને
એ બન્નેમાંથી કંઈ નથી આવડતું, કે તેને માત્ર રસોઈ કરતાં
આવડે છે કે પછી તેને માત્ર સંચાલન કરતાં આવડે છે.
જો તેને રસોઈ કરતાં અને સંચાલન એમ બન્ને કરતાં આવડતું હશે તો સૌ
પહેલાં તો એ થાળીની રૂપરેખા તૈયાર કરશે, જૂદા
જૂદા રસોયાને જૂદી વાનગીઓ સોંપી દેશે અને સૌથી અગત્યની વાનગી પોતાને હસ્તક
રાખશે.જો તેને રસોઈ કરતાં કે સંચાલન કરતાં એમ બન્ને વસ્તુ નહીં આવડતી હોય તો એ
જ્યાં સુધી બીજાં લોકો થાળી બનાવી ન મૂકે ત્યાં સુધી રાડારાડ કરી મૂકશે. જો તેને
માત્ર રસોઈ કરતાં જ આવડતું હશે તો તેને બીજી વાનગીઓ બનાવવા માટે બીજું કોઈ નજરમાં
નહીં આવે એટલે બધું જ એ જાતે રાંધવા બેસી જશે. જો
તેને માત્ર સંચાલન કરતાં આવડતું હશે તો તે
લોકશાહી ઢબે બીજા કોઈ રસોયા પાસે થાળીની રૂપરેખા તૈયાર કરાવશે અને બીજાં બધાંને એક
એક વાનગી સોંપી દેશે જેથી કરીને આખી પ્રક્રિયા કાર્યદક્ષ અને અસરકારક બની રહે.
તે ઉપરાંત, કર્તા તેના અનુયાયી 'કાર્યકર્તા'ઓ
પાસેથી પૂર્ણ આજ્ઞાપાલન માગે છે. તેની સત્તાને પડકારનાર કે જૂદી રીતે વિચારનારને
તે બહાર કરી દેવાની મનોવૃત્તિ ધરાવે છે.
યજમાનનો પરિયોજના વિષેનો અભિગમ અલગ હોય છે. કર્તા માટે થાળી
તૈયાર કરી દેવી એ લક્ષ્ય છે અને તેની ટીમ
તેના માટે એક સાધન છે. યજમાન માટે ટીમ એ લક્ષ્ય છે, અને
થાળી તો એક સાધન માત્ર છે જે ટીમને બહેતર થવામાં મદદરૂપ થઈ શકે એમ છે.પરિયોજના
પૂરી થાય ત્યારે યજમાન પાસે માત્ર તૈયાર થાળી જ નહીં, પણ
થાળી તૈયાર કરી શકે એઈ એક આખી ટીમ તૈયાર થઈ હોય છે, જે
હવે પછી તેની ગેરહાજરીમાં પણ જરા સરખું મૂંઝાયા વગર થાળી એટલી જ સારી બનાવી શકવા
સક્ષમ હશે. પરિણામે, યજમાન હવે નવી
પરિયોજનાઓ પર પોતાનું ધ્યાન આપી શકવા સક્ષમ બને છે. તે ઉપરાંત એ તો થાળી
બનાવનારાંઓને હજૂ બીજા થાળી બનાવનારાં તૈયાર કરવા માટે પણ સક્ષમ બનાવે છે. તે
તેમને જૂદી જૂદી રીતે વિચારવા અને તેમની શક્તિ અને સમયનું રોકાણ કરવા પણ
પ્રોત્સાહિત કરે છે જેથી એ લોકો તેનો આ દૃષ્ટિકોણ બધાં માટે કેમ શ્રેયકારક છે તે
સમજી શકે. જ્યારે જ્યારે તેની ટીમ તરફથી વધારે સારા સુઝાવ મળે છે ત્યારે જરૂર
પડ્યે તે પોતાની વ્યૂહરચનામાં ફેરફારો કરવા પણ તૈયાર રહે છે - એમાં એને જરા પણ નથી
ખોટું લાગતું કે નથી લાગતી નાનપ કે નથી લાગતી અસલામતી.
આજનાં લક્ષ્ય સંચાલિત મૅનેજમેન્ટ પરિપ્રેક્ષ્યમાં સંસ્થાનો
હેતુ લક્ષ્ય સિધ્ધ કરવાનો છે. લોકો તો
તેમાં સાધન અને માધ્યમ માત્ર છે. જો તમે અપેક્ષા મુજબ કામ કરી આપો, સંસ્થાની
સફળતામાં નક્કર ભાગીદારી બતાવી શકો તો તમે કામનાં છો. એ પછી, તેની
પેલે પાર, તમારી કોઈ ભૂમિકા નથી જોવાતી. આ
પરિસ્થિતિતંત્રવ્યવસ્થા કર્તા મૉડેલ પર ફાલે છે. પ્રતિભા સંચાલનની બધી જ વાતો છતાં
પણ આપણે જાણ્યેઅજાણ્યે કર્તા અને કાર્યકર્તાઓની જ શોધમાં હોઈએ છીએ. જે લોકો વિરાસત
ઘડતર અને સંપોષિત સંસ્થાઓની રચનાની ભાષામાં વિચારતાં હોય છે એ લોકો લક્ષ્ય કરતાં
લોકોને વધારે પ્રાધાન્ય આપે છે. લોકોની ક્ષમતાનાં ઘડતરમાં, અનુયાયીઓને
નેતામાં રૂપાંતરિત કરવામાં અને નેતાઓને
નેતાઓના સર્જકો તરીકે ઘડવામાં લક્ષ્ય એ એક સાધન છે. સવાલ અભિગમનો - દૃષ્ટિનો નહીં
પણ દર્શનનો - છે.
સંતુલિત સ્કોરકાર્ડ જેવી પધ્ધતિઓ દ્વારા આ દિશામાં પ્રયત્નો થયા
છે. પરંતુ જેટલું પણ થાય છે તે અધૂરાં મનથી થાય છે, કેમકે
માલિકીઅંશધારકને નફામાં જ વધારે રસ છે, લોકોમાં
ઓછો. સંસ્થાના જીવન ચક્રની સ્થિતિનો સમય પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્ટાર્ટ-અપ્સ
અને નવી કંપનીઓને વિકાસના પ્રારંભિક તબક્કામાં લોકો કરતાં નફામાં વધારે રસ હોઈ
શકે. પણ જો આ મનોસ્થિતિ સારો એવો વિકાસ સાધ્યા પછીથી પણ ચાલુ રહે તો રોગ જીવલેણ બનવા સુધી વકરી પડી શકે છે. આ
સ્થિતિ ઊંડી અસલામતીમાંથી જન્મતો પુખ્ત વિચારસરણીનો અભાવ છે. ટુંકા ગાળાના આંકડાઓ
અંકે કરવાની લ્હાયમાં લોકો વિષે લાંબે ગાળે વિચારવું જોઈએ એ વાત વિસારે પડવા લાગે
છે. એમ કહી શકાય કે કર્તા રણનીતિમાં ગુંચવાયેલો રહે છે જ્યારે યજમાન વ્યૂહાત્મક
દૃષ્ટિએ વિચારે છે.
કર્તા કે યજમાન જેવા શબ્દો મનોભાવ દર્શાવે છે, તે
કોઈ પદ નથી. તેમ છતાં, મારા અનુભવ પ્રમાણે, મોટા
ભાગે, લોકો આ શબ્દોનો પ્રયોગ સંસ્થાના પદાનુક્રમની
કક્ષાઓ દર્શાવવા વધારે કરતાં હોય છે. આમ મોટા ભાગનાં મુખ્ય સંચાલકો તેમને યજમાન
કહેડાવવાનું અને તેમના વિભાગીય વડાઓને કર્તા ગણવાનું પસંદ કરતાં હોય છે. કમનસીબે, મન
સંસ્થાના પદાનુક્રમના આલેખોને નથી અનુસરતું. તેને તો પોતાની આસપાસનાં જગત સાથે કામ
લેવાનું છે. કર્તાને અંકુશ જોઈએ છે, યજમાન
સામર્થ્ય વિકસાવવામાં માને છે. કર્તા નિષ્ફળતા નથી પચાવી શકતો. યજમાન પાસે શ્રધ્ધા
અને ધીરજ છે, એ જાણે છે અવિરત સફળતાના આંબા ઉતાવળે નથી
પાકતા.
ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૨૭ જુલાઈ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો