શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2018

બીઝનેસ સૂત્ર | ૫.૨ | ભાવિ પેઢીને જ્ઞાન હસ્તાંરિત કરવું (એ) વૈતરણીને પાર કરવા સમાન




બીઝનેસ સૂત્ર | | શિક્ષણ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?ના સંદર્ભમાં કરેલ છે.
'બીઝનેસ સૂત્ર' શ્રેણીના આ પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણનો સંદર્ભ લેવાયો હતો.. આજે બીજા ભાગમાં આવનારી પેઢીને વર્તમાન પેઢીના અનુભવોનું જ્ઞાન હસ્તાંરિત કરવાની વૈતરણીને પાર કરવાની ચર્ચા કેન્દ્ર સ્થાને છે.
પાંચમા અંકના ત્રીજા ભાગમાં વિદ્યાર્થીના શિક્ષણ પ્રત્યેના ઉત્સાહ વિષે ચર્ચા કરવામાં અવી છે.
બીઝનેસ સૂત્ર | ૫.૨ | ભાવિ પેઢીને જ્ઞાન હસ્તાંરિત કરવું (એ) વૈતરણીને પાર કરવા સમાન
સૌથી શક્તિશાળી કે સૌથી બુદ્ધિમાન નહીં પણ પરિવર્તનને સૌથી વધારે પ્રતિભાવશીલ ટકી રહી શકે છે.
- ચાર્લ્સ ડાર્વિન
આજની ચર્ચામાં જે પરિવર્તનની વાત છે તે સંસ્થાકીય સીડી પરની સંચાલકની પ્રગતિને કારણે તેની ભૂમિકામાં થતા ફેરફારોના પડકારને ઝીલવા અંગેની છે. જીવનના દરેક નવા તબક્કે વ્યક્તિએ અત્યાર સુધી મેળવેલી ક્ષમતા તેને પૂરેપૂરી રીતે કામ આવે એ જરૂરી નથી. એ માટે કરીને પરિવર્તનના સંક્રાંતિકાળ દરમ્યાન તાલીમ, અનુશિક્ષણ કે માર્ગદર્શન દ્વારા આંગળી પકડવી પડે એ એક સ્વાભાવિક પ્રક્રિયા માનવામાં આવેલ છે.

Coaching through transition, not just through changeમાં સુસાન ગ્રાંડફિલ્ડનું કહેવું છે કે 'પરિવર્તન અસરકારક રહે અને તેનાં લક્ષ્ય સિદ્ધ થઈ શકે એ માટે સંક્રાંતિકાળ આવશ્યક છે, જે ધીમે ધીમે પસાર થાય છે. (કંઈક નવું કરવા માટે ફેરફારની પ્રક્રિયાઓ કે ટેક્નોલોજિના ફેરફારો જેવાં) પરિવર્તનો ઝડપથી થઈ શકે છે, પરંતુ (લોકોનું તેને માટેનું પૂરેપૂરૂં અનુકૂલન પ્રસ્થાપિત થાય એવું)સંક્રમણ ધીરે ધીરે થાય છે.
સમય બહુ કિંમતી હોય છે, અને સંચાલક હંમેશાં વધારેમાં વધારે ઝડપથી પરિણામો હાંસિલ કરવાની  ઉતાવળનાં દબાણમાં હોય છે. તેને કારણે પોતાને, કે સાથેનાં લોકોને, અનુકૂલન માટે જરૂરી જે સમય આપવો જોઈએ તેનો ભોગ લેવાવાનું જોખમ તોળાયેલું જ રહે છે. કંઈ 'નવું 'કરવાનો પડકાર ઝીલવા પહેલાં  પોતાના ભૂતકાળથી ભરેલા 'પ્યાલા'માંથી કંઈક જૂનું ખાલી કરવું આવશશ્યક છે.
એનો અર્થ એમ પણ નહીં કે દરેક ફેરફાર વખતે બધું જ જૂનું ભૂલીને તેની સાથેનાં જોડાણૉને કાપી નાખવાં. એ તો કેમ ભૂલાય કે એ ભૂતકાળને કારણે જ આપણે આજે આ પરિસ્થિતિએ પહોંચી શક્યાં છીએ. ભૂતકાળમાં જે સારૂ હતું અને ભવિષ્યમાં કામ લાગી શકે એવું છે તેને તો સાથે રાખવું જોઈએ.પરંતુ એક પગ ભૂતકાળમાં અને બીજો ભવિષ્યકાળમાં રાખીને પરિવર્તનના ઘોડા પર ભવિષ્યની જવાબદારીઓ નિભાવવાની સફરની સવારી ન થઈ શકે.'
પાશ્ચાત્ય મૅનેજમૅન્ટ સાહિત્યમાં નવી ભૂમિકા ભજવવા અંગે સક્ષમ બનવા કે વારસાનાં હસ્તાંતરણ માટે જેને અસર થવાની છે તે વ્યક્તિ કે પેઢીનો હાથ તાલીમ / અનુશિક્ષણ કે માર્ગદર્શન વડે કેમ અને કેટલો પકડવો એ બાબતે ઘણું ખેડાણ થયું છે. એ બધાંનો ઉલ્લેખ આ એક લેખમાં આવરી લેવાનું શક્ય નથી.
દેવદત્ત પટ્ટનાઈક આ સંક્રાંતિકાળને ભારતીય પ્રાચિન માન્યતાઓમાં પૃથ્વીલોકમાંથી વિદાય લીધા પછી પરલોકની ઉન્નત અવસ્થાએ પહોંચતાં પહેલાં પાર કરવી પડતી વૈતરણી નદીની ઉપમા આપે છે.
આજના આ પાંચમા અંકના બીજા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈક ભાવિ પેઢીને જ્ઞાન હસ્તાંરિત કરવું (એ) વૈતરણીને પાર કરવા સમાન (છે કે નહિ) એ ચર્ચાના ભારતીય પુરાણોમાંના દૃષ્ટિકોણને નવી નજરે જૂએ છે.

કંપની કે સંસ્થાના દૃષ્ટિકોણથી એક બાબત હંમેશાં મહત્ત્વની જણાતી રહી છે, જેના અસરાકરક ઉપાયો સિધ્ધ કરવા સતત પ્રયાસો થતા રહ્યા છે તે એ છે કે અત્યારે જે લોકો મહત્ત્વનાં સ્થાન પર છે તે લોકો હવે પછી એ સ્થાન પર આવનાર પેઢીને પોતાનું જ્ઞાન અને અનુભવોનું ભાથું શી રીતે સોંપી શકે. માહિતી,જ્ઞાન કે અનુભવોનો આ હાથબદલો ક્યારે પણ સાવે સાવ સંપૂર્ણ તો નથી જ જોવા મળતો.
વિકાસ એ બહુ વ્યાપક અર્થમાં વપરાતો શબ્દ છે, એટલે જો આપણે એમ કહીએ કે સંસ્થાનો હેતુ વિકાસ છે, તો એ વિકાસ શું છે? મોટા ભાગે વિકાસનો અર્થ આર્થિક સમૃદ્ધિ - લક્ષ્મીની કૃપા - જેવા ભૌતિક માપદંડના સંદર્ભમાં કરાતો હોય છે.વ્યક્તિને માટે આવકમાં વધારો કે કંપની માટે તેનાં વેચાણૉ કે નફામાં વધારો થયો કે નહિ તે મહત્ત્વનું લાગે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં એક બીજો માપદંડ પણ ધ્યાનમાં લેવાતો હોય છે. લક્ષ્મી એ જ એક માપદંડ નથી પણ સરસ્વતી - જ્ઞાન - પણ મહત્ત્વનું પરિમાણ રહ્યું છે. એટલે સંસ્થામાં દાખલ થતી દરેક વ્યક્તિને પોતાનાં કામને લગતાં જ્ઞાનનો ભારેખમ બોજો ઉપાડી લેવો પડતો હોય છે.
એક સમય પછી તેણે હવે વધારે ઊંચી  કક્ષાએ પહોંચવું હોય છે. એ વધારે ઊંચી કક્ષા એટલે શું? ભારતીય પુરાણોની દૃષ્ટિએ જોઈએ તો આપણે જે ભૂમિકા ભજવવાની આવી હતી તે આપણે ઘણી જ સારી રીતે જીવી બતાવી છે. હવે મારે નવી ભૂમિકા અંગીકાર કરવી છે, એટલે કે જૂની ભૂમિકાની કાંચળી ઉતારી નાખીને નવી ભૂમિકાની કાંચળી ચઢાવવી છે. બીજા શબ્દોમાં કહીએ તો જૂનાં પાત્રનો અંત કરી નવાં પાત્રમાં જન્મ લેવો છે. ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ બાદ વ્યક્તિએ વૈતરણી નદીને પાર કરવાની આવે છે. આમ એક કક્ષાના સંચાલકની ભૂમિકાના પાઠને સારી રીતે ભજવ્યા પછી તેનો અંત કરીને હવે, સામે કાંઠે, વધારે ઊંચી કક્ષાના મૅનેજરની ભૂમિકા અંગીકાર કરવી છે. પરંતુ જ્યાં સુધી તમારૂં સ્થાન કોઈ બીજું સારી રીતે ન લઈ શકે તેમ કરેલ ન હોય, તમે તમારી જાતને અનિવાર્યપણે આવશ્યક કરી મૂકેલ હોય, તો તમને સામે કાંઠે કેમ ઉતરવા દેવાય?  જેમ તમને સંચાલક થવામાં કોઈ એ મદદ કરી હતી એમ તમારે પણ કોઈને એ સ્થાન લેવા તૈયાર કરવું પડે, એ પછી જ તમે મૅનેજરની ઊંચી કક્ષાએ જઈ શકો.
એ દૃષ્ટિએ જોઈએ તો સંસ્થાકીય પદાનુક્રમ એક રીતે એક પછી બીજી પેઢીની અધિશ્રેણી કહી શકાય. દરેક પેઢી પહેલાંની પેઢીની અને હવે પછીની આવનારી પેઢીની ઉત્તરદાયી છે. આમ દરેક પેઢીની આશાઓ આકાંક્ષાઓ પછીની પેઢીઓમાં અંકુરિત થતી રહે છે. સિધ્ધ પણ આ જ કરવાનું છે, જે માટે આશ્રમ વ્યવસ્થા અસ્તિત્ત્વમાં આવી.
પ્રાચિન ભારતમાં કહેવાતું કે તમારાં સો વર્ષનાં જીવનને ચાર સરખા ભાગમાં વહેંચી નાખો. પહેલો તબક્કો વિદ્યાભ્યાસનો છે, બીજો ગૂહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ અને ચોથો તબક્કો સંન્યસ્તનો. દરેક તબક્કામાં વ્યક્તિની એક ચોક્કસ ભૂમિકા નક્કી કરાઈ છે. આ વાતને રૂપક તરીકે જોઈએ તો સમજી શકાશે કે પહેલા તબક્કામાં સરસ્વતી મેળવીએ છીએ, બીજામાં સરસ્વતી દ્વારા મળેલ જ્ઞાનથી લક્ષ્મી મેળવી ગૃહ્સ્થનું જીવન જીવીએ છીએ. ગૂહસ્થાશ્રમ પૂરો થાય ત્યાં સુધીમાં નવી પેઢી તેના જીવનના પહેલા તબક્કામાં હોય. એટલે વાનપ્રસ્થના તબક્કામાં તેમને તૈયાર કરી ક્રમશઃ પોતાના જ્ઞાન અને અનુભવોથી નિવૃત થવા લાગો.અહીં નિવૃત્તિ એટલે કામકાજ વગર, સક્રિય જીવનથી ભાગી નીકળવાની વાત નથી, પણ નવી પેઢીને પોતે એકઠી કરેલ સરસ્વતી સૉંપતાં જવાની વાત છે.એ કર્યું હશે તો જ તે પછીના ત્યાગ - સંન્યસ્ત- ના તબક્કામાં જવાનો અર્થ છે. સંન્યસ્ત એટલે માયાઓનો ત્યાગ કરીને પોતે જે કરવા ધાર્યું હતું તે મેળવવા માટેનો સમય કાળ.આમ આ આખી ચક્રીય પ્રક્રિયા છે, જે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. તો હવે વિકાસ કોનો થયો? નવી પેઢીને જૂની પેઢીના જ્ઞાન અને અનુભવનો લાભ મળ્યો અને વર્તમાન પેઢીને પોતાનાં જીવનની ચરમ સીમાએ આનંદભેર પહોંચવા માટેનો માર્ગ ખૂલ્યો.આ સમગ્ર ચક્રમાં સરસ્વતી આપવામાં પણ આવે છે અને લેવામાં પણ આવે છે. આ છે ખરો વિકાસ, જેનાં પરિણામે લક્ષ્મી પ્રાપ્ત થાય છે.વિકાસ બૌદ્ધિક તેમજ ભૌતિક એમ બન્ને કક્ષાએ છે. દરેક સંસ્થાની આ જ પ્રબળ મનોકામના હોય છે.
મારી દૃષ્ટિએ કોઇપણ સંસ્થામાં તાલીમ માટે અલગ વિભાગ ઊભો કરવાનો વિચાર અસંબંદ્ધ છે, કારણકે વિષયનું ખરૂં જ્ઞાન તો જે વ્યક્તિ એ ક્ષેત્રમાં કામ કરી રહી છે તેની પાસે એકઠુ થયું છે. અનુશિક્ષણ વિકાસનું અવિભાજ્ય ઘટક છે. વિશ્વામિત્રની કથા પણ આ જ સંદેશ કહેવા માગે છે. વિશ્વામિત્રે કૌશિક રાજા તરીકે બહુ સુપેરે રાજ્ય કર્યું, હવે વિશ્વના મિત્ર બની એ જ્ઞાન અને અનુભવ રામ જેવા ઉચિત રાજકુંવર શિષ્ય દ્વારા સમગ્ર વિશ્વમાં વહેંચવા માગે છે જેથી તેઓ વિશ્વામિત્ર ઋષિ બની શકે.
પણ બધાં વિશ્વામિત્ર નથી હોતાં. અહી વર્ણવ્યું છે એ એક આદર્શ ચક્ર છે. પરંતુ કોર્પોરેટ વિશ્વમાં કે કામનાં કોઈ પણ સ્થળમાં સત્તા મહત્ત્વનું પરિબળ ગણાય છે. જેમ તમે વધારે જ્ઞાન અને અનુભવ મેળવો એમ તમે વધારે સત્તા ભોગવતાં થવા લાગો છો. બીજા શબ્દોમાં કહીએ તો  જેટલાં તમે વધારે આવશ્યક કે વધારે અનિવાર્ય એટલો તમારો પ્રભાવ વધારે. બીજાંને શીખવાડવાથી પોતાનું મહત્ત્વ ઘટવાનું છે એવી માન્યતાનાં વાતાવરણમાં પોતાનું જ્ઞાન પછીની પેઢીને સોંપવા માટેનું પ્રોત્સાહન સ્વયંસ્ફુરવા માટે બહુ ઓછો અવકાશ રહે છે.
સાચી વાત છે. મૂળ મુદ્દે આપણે બધાં વિચારીએ જ એમ છીએ કે જ્ઞાન થકી જ સત્તાનો  પ્રભાવ છે. એટલે મારે કોઈને જ્ઞાન આપવું નહોય. પરંતુ જ્ઞાન આપવાનું એક બીજું કારણ પણ છે - જ્ઞાન આપતાં આપતાં મને ઘણું નવું શીખવા મળી શકે છે લક્ષ્મીની સરખામણીમાં સરસ્વતીની આ જ તો અદ્‍ભૂત ખુબી છે. મારી પાસેનો એક રૂપિયો હું તમને આપું ને તમારી પાસેનો એક રૂપિયો તમે મને આપો તો એ રૂપિયાનો માત્ર વિનિમય થયો. પરિણામે આપણા બન્ને પાસે તો એક જ રૂપિયો રહ્યો. પણ જો હું તમને જ્ઞાન આપું તો તમારી પાસે જ્ઞાન બમણું થયું અને તમે તમારૂં જ્ઞાન મને આપો તો મારી પાસે બમણું જ્ઞાન થયું. આમ આપના બન્ને પાસે બમણું જ્ઞાન થયું.એટલે મારાં જ્ઞાનને વધારવાનો એક અસરકારક માર્ગ છે બીજાંને શીખવાડવાનો. આ  પ્રક્રિયામાં મને માનવીય મનની ગતિશીલતા સમજાય છે. આપણને સમજવા મળે છે કે લોકો કેમ નવું નથી શીખવા શીખવવા માગતાં. આ આદાનપ્રદાનથી આપણને ખબર પડે છે કે સામેની વ્યક્તિ કંઈ શીખે છે કે નહીં. શિષ્ય કેમ નથી શીખી રહ્યો એ વિષે તેનું અવલોકન કરવાથી શીખવાની જેની તૈયારી નથી, કે સભાનતા નથી, તેને  શીખવાડવાનું કેટલું મુશ્કેલ છે એ માનવ ગતિશીલતા પણ આપણને  સમજાય છે. આમ વિષયને વધારે રસમય અને રસપ્રદ બનાવવા માટે આકરી મહેનત કરવી પડે છે. 
વિષયને જૂદી જૂદી રીતે રસપ્રદ બનાવીને વિદ્યાર્થીને શીખવાડવાની જેટલી જવાબદારી  શિક્ષકની છે તેટલી જ જવાબદારી વિદ્યાર્થીની શીખવા માટેના નવા નવા માર્ગ ખોળી કાઢવાની છે.
આ જ વાતને બીજા શબ્દોમાં કહીએ. સરસ્વતીનાં પ્રદાનની  પ્રક્રિયાને પરિણામે વધારે આકર્ષક શિક્ષક થવાની કળામાં પારંગત થવાની મને તક મળે છે. મારે સભાનપણે મધ પેદા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. મધ હશે તો વિદ્યાર્થી મધમાખીઓ તો આપોઆપ જ ખેંચાઈ આવશે. ધ્યાનમાં એ રાખાવાનું છે અહીં ભાર મધ પેદા કરવા પર છે, મધમાખીઓને આકર્ષવા પર નહીં.મધ એટલું અને એવું કે મધમાખીઓ સામે ચાલીને ત્યાં મધપૂડો બનાવે. વિકાસ આ છે. જ્ઞાન વહેંચવાથી મારો પણ લાભ છે અને તમારો પણ લાભ છે. તમને ભલે માહિતી કે જ્ઞાન મળે પણ મને તો સરવાળે વિવેકવિચારની દક્ષતાસભર વિદ્વતા મળે છે...
અહીં આજની ચર્ચા સમાપ્ત થાય છે.
આજની આ ચર્ચાનો સાર જોવો હોય તો એમ કહી શકાય કે સંક્રાંતિકાળમાં અનુભવ અને જ્ઞાનનાં પ્રદાનની તાલીમ કે અનુશિક્ષણ કે માર્ગદર્શન જેવી કોઈપણ રીત થકી મને વધારે વિવેકવિચારસભર વિદ્વતાની કક્ષાએ જવાનો લાભ પણ છે, જે મને વધારે વરિષ્ઠ મૅનેજરની ભૂમિકાના ભવિષ્યના વધારે મુશ્કેલ પડકારોનો સામનો કરવા માટે  વધારે સક્ષમ બનવામાં સહાયરૂપ બનશે.
વ્યાપાર જગતમાં શિક્ષણના વિષયની દેવદત્ત પટ્ટનાઇકની બીઝનેસ સૂત્રની સફરના પાંચમા અંકના ત્રૉજા ભાગના પડાવમાં આપણે વિક્રમ અને વેતાલ વિષે ચર્ચા કરીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો