જો કે બધા
જ નહીં પણ, અમેરિકા કે યુરોપના મોટા
ભાગના મૅનેજમૅન્ટ ગુરુઓ ભારતના નવા ઉદ્યોગ પ્રણેતાઓને પોતાના વ્યાપાર એકમને પોતાની
જાગીર તરીકે માનતા પૌવાર્ત્ય આપખુદ શાસકની નજરે જ જૂએ છે. આવું એ લોકો સીધે સીધું
કહેતા નથી. પણ તેમની દેખીતી અધીરાઈ અને સંતાપમાં આવા ભાવ બહુ સહેલાઈથી જોઈ શકાય
છે. અહીં તેમણે સંસ્થાનો સ્થાપ્યાં તેનાથી પણ પહેલાની પૂર્વની સંસ્કૃતિઓ વિષેની ગ્રંથિઓમાં
તેમની આવી માન્યતાઓનાં મૂળ ફેલાયેલાં છે. તેઓનું માનવું છે કે પશ્ચિમમાં આપખદ
શાસકોને દૂર કરવામાં લોકશાહી શાસન વ્યવસ્થા અને સંસ્થાગત કાર્યપ્રણાલીઓના વિકાસે
જે ભાગ ભજવ્યો તે અહીં પણ શક્ય છે. નવાં ગોરાં લોકોનો ખભે આ બોજ હાવી છે.
પશ્ચિમમાં માલીકી અંશધારકોનાં મૂલ્ય વૃધ્ધિ માટે લક્ષ્યો
પર હાલમાં મૂકાતા એકતરફી ભાર, તેને પરિણામે નિયમો અને
કરારોના અનુપાલન માટે વધતા જતા પ્રભાવ, અને તેને કારણે માનવીય લાગણીઓ
અને અપેક્ષાઓને વધારેને વધારે અવગણતા જતા વ્યાવસાયિક અભિગમના આપખુદશાહી શાસનોન્મુખ
માનસથી આ મૅનેજમૅન્ટ ગુરુઓ જાણે સાવ જ અજાણ હોય એ વાતથી વધારે નવાઈ થાય છે. અહીં આપખુદશાશન કોઈ એક
વ્યક્તિ નથી ચલાવતી, પણ અવૈયક્તિક નિયમોથી ખીચોખીચ ભરેલી ચોતરફ જોવા મળતી
સંસ્થાઓ છે. આપણે જ્યારે આ બાબતે અંગુલિનેર્દેશ કરીએ છીએ ત્યારે તેઓ સંરક્ષણાત્મક
બની જઈને કહે છે કે આ તો એક તાર્કીક પધ્ધતિ છે, જે બહુધા સર્વસંમત પણ હોય છે, માટે આ બાબતે સંદેહ ઊભા ન કરવા જોઈએ.
સંસ્કૃતિનાં કોઇ પણ જાતનાં ગળણાં વિના,પોતાની વિચારસરણી નિઃસંદેહ ખરી છે એમ આ પાશ્ચાત્ય
વિચારકોનું માનવું પશ્ચિમ સાથે વ્યાપાર
કરવા માગતા કે પછી ચીન કે ભારત જેવા દેશોમાં પાશ્ચાત્ય મૉડેલ લાવવા માગતા
લોકો માટે ખરેખર બહુ મોટો પડકાર છે. એ માટે બન્ને પક્ષના સાંસ્કૃતિક ઈતિહાસને સારી
પેઠે સમજવાનું ખૂબ મહત્ત્વનું બની રહે છે.
વધારે નજદીકથી અભ્યાસ કરીશું તો દેખાશે કે ચીનના શહેનશાહ
આપખુદ નહોતા. વિધિવિધાનો પર આધારિત વ્યાપક તંત્ર વ્યવસ્થાનો તે એક એવી હિસ્સો હતા, જ્યાં સત્તાની સામે આજ્ઞાંકિતતાનું
સ્થાન વ્યક્તિગત લાગણીઓ કરતાં ઊંચું રહેતું હતું. કન્ફ્યુશીયસે આ પરિસ્થિતિઓને
પાંચ સંબંધો તરીકે સંહિતાબધ્ધ કરેલ છે :
શાસક અને પ્રજા, પિતા અને પુત્ર, વડીલ અને યુવાનો, પતિ અને પત્ની, મિત્ર અને મિત્ર. મિત્રના
મિત્ર સાથેના સંબંધ સિવાયના બીજા બધા સંબધો પદાનુક્રમિક છે. આપખુદ શાસન વ્યવસ્થા અને પદાનુક્રમિક આ સંબંધોમાં
ફરક એટલો જ છે કે એ સંબંધોમાં 'ચઢિયાતાંપણા'ને સ્થાન નથી. અહીં એકબીજા માટે લાભકારક એવી માત્ર એક
વ્યવસ્થા અને સામંજસ્યને સુનિશ્ચિત કરવાનો આશય વધારે છે. જો એકબીજાને લાભ ન થતો
હોય તો આ પંચ સંબંધોનાં મૂળમાં વણાઈ ગયેલ વિધિઓના અમલ માટે કરીને વિદ્રોહ સુધ્ધાં
જાગી શકે જેમાં ઇશ્વરદત્ત શાસનહક્ક ધરવાતા રાજાને પણ ઉથલાવી નાખી શકાય છે.
ચીનમાં નિષિધ્ધ નગરમાં શહેનશાહનાં કેન્દ્ર્સ્થ શાસનને
હંમેશાં પ્રેમથી સ્વીકારાયું છે. જ્યારે ભારતમાં કેન્દ્રીયકરણનો હંમેશ વિરોધ થતો રહ્યો
છે. ઈ.સ. પૂર્વે ૨૦૦૦ વર્ષ પૂર્વે સમ્રાટ અશોકના, અને ૩૦૦ વર્ષ પહેલાં
ઔરંગઝેબના, સમય સિવાય ભારતવર્ષ પર
કોઈનું એકચક્રી શાસન નથી રહ્યું. શહેનશાહ અકબરની આણ પણ ઉત્તર ભારત પૂરતી મર્યાદિત
હતી. ભારતીયોએ એકહથ્થુ કેન્દ્રીય સત્તા સામે ક્યારે પણ નમી નથી બતાવ્યું. શહેનશાહ
કે ચક્રવર્તી જેવા ખિતાબો પણ તેનો અર્થ એટલો જ થતો કે આરા વાળાં ચક્ર રૂપે રજૂ થતી
તેની આણ નજર પહોંચતી ક્ષિતિજથી આગળ નથી.
રાજાની આણ તેનાં રાજય સુધી જ મર્યાદિત હતી.એટલે જ ઈષ્ટ દેવતા (અંગત દેવ), ગૃહ દેવતા (ઘરના દેવ), કુળ દેવતા (કુળના દેવ) કે
ગ્રામ દેવતા (ગામ કે નગરના દેવ) અને પછી બહુ બહુ તો પરમેશ્વર (સર્વવ્યાપી પરમ
ઈશ્વર)નો અધિક્રમિત ખયાલ આપણે ત્યાં વધારે
પ્રચલિત છે. રાજાના શાસનને કરવેરા, મંદિરો-મહેલોનાં બાંધકામો, માર્ગોનાં બાંધકામો જેવાં કાર્યોમાં જોઈ શકાય, પણ સામાજિક સુધારાઓ કે વર્ણ વ્યવસ્થા જેવી બાબતોમાં તેમનો
ચંચુપાત નહોતો. બહુ બહુ તો તેમને આંતર-વર્ણ કે આંતર-ગામ નગર ઝઘડાઓમાં ન્યાય તોળવા
સુધી છૂટ રહેતી. કુટુંબો વચ્ચેની બાબતો એ વર્ગની પંચાયત નક્કી કરતી તો કુટુંબમાંના
ઝઘડા કુટુંબના વડા નક્કી કરતા. કુટુંબના વડા, કર્તા,ની ભૂમિકા તો હાલની ભારતીય કાયદા વ્યવસ્થામાં પણ
સ્વીકાર્ય રહી છે. નવાં વ્યાપાર સાહસના પ્રણેતાની ભૂમિકા પણ કુટુંબના વડા, કર્તા, તરીકેની રહી છે જે કુટુંબના વડીલ
તરીકે આખાં કુટુંબની બાબતોનું સંચાલન કરે છે. હમણાં સુધી એવું પણ જોવા મળતું કે
મોટા ભાગનાં કર્મચારીઓ વ્યાપક કુટુંબ કે કુળનાં જ સભ્યો રહેતાં, જે એકબીજા સાથે કોઈને કોઈ સંબંધે જોડાયેલાં હોય. કુટુંબ કે કુળ કે રાજ્ય ની
બહારનાં લોકો પણ કર્મચારીઓ તરીકે સંસ્થામાં કામ કરતાં હોય તે તો ઘણી તાજેતરની
વ્યવસ્થા કહી શકાય. કુટુંબ ભાવનાના આ ખયાલનું આજની સંસ્થાની વિચારસરણીમાં સંતુલન
કરવાના પ્રયાસો એ દરેક પ્રવૃત્તિઓનાં મૂળમાં જોઈ શકાય છે.
સંસ્થાગત મોડેલનું મૂળ ગ્રીક નગર-રાજયો, લગભગ હજારેક વર્ષ સુધી પાશ્ચાત્ય દુનિયાનાં કેન્દ્ર સમાં
રોમ અને તે પછીના હજાર વર્ષ સુધી, પ્રબોધન સુધીના વર્ષો સુધી ચર્ચ સુધી જતું જણાય છે. અહીં, પદાનુક્રમને અવગણવામાં આવ્યો છે, જેને કારણ તેને ચીની તંત્ર વ્યવસ્થાસાથે મતભેદ પડે છે. વ્યક્તિ
અને અવિયક્તિક સંસ્થા વચ્ચેનો એક માત્ર સંબંધ એવો છે જે ચલાવી લઈ શકાય. શ્વાસોચ્છશ્વાસ
ન લેતાં જીવંત તંત્ર ન હોવા છતાં સંસ્થાને વ્યક્તિ કરતાં વધારે મહત્ત્વ મળે
છે. સંસ્થાની સામે એક માત્ર અપવાદ, એક વ્યક્તિની ઈચ્છાઓ બીજાં બધાં પર લાદી દેવાતી હોય
એવી આપખુદ શાસન વ્યવસ્થામાં જ દેખાય છે.
બીજાંઓની સાંસ્કૃતિક માર્મિકીઓથી બિલકુલ અસંવેદનશીલ, દુન્યવી, દૃષ્ટિકોણ ઉપરછલ્લી દૃષ્ટિએ
તો સ્વીકાર્ય જણાશે પણ તાંત્રિકી રીતે અસ્વીકાર પામશે. તેના પુરસ્કર્તાઓને તો આમ
કેમ થયું એ પણ નહીં સમજાય. ચીન અને ભારત જેવા દેશોમાં કામ કરતા યુરો-અમેરિકન
મેનેજમૅન્ટ ગુરૂઓમાટે આ હંમેશ માટે સામે જ ડાઈ રહેલો કોયડો બની રહેશે.
§
ધ કૉર્પોરેટ ડોસ્સીયરમાં ૧૦ ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, New White Man’s Burden, નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૪ એપ્રિલ, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો