દુનિયામાં બીજે ગમે ત્યાં તમે સ્વસ્તિક બોલો તો તમારા પર નાઝીની
છાપ લાગી જશે. કોઈ રડ્યું ખડ્યું જ તેનો
અર્થ સુ~અસ્તિ, બધુ
સારૂં થાઓ, એમ જાણતું જોવા મળશે. હિંદુ વિધિઓમાં આ
સંસ્કૃત શબ્દપ્રયોગ બહુ ઠેકાણે થતો રહ્યો છે. બાલી, ઈન્ડોનેશિયા,નાં
સ્થાનિક હિંદુઓ એકબીજાનું અભિવાદન જ સુવસ્તી-અસ્તુથી કરે છે. પણ આખી દુનિયામાં કોઈ
પણ શબ્દનો શું અર્થ કરવો એ પાશ્ચાત્ય જગત નક્કી કરે છે. તેમના માટે સ્વસ્તિક એટલે
હિટલર તેનો જે અર્થ કરતો તે. અવતાર એટલે જેમ્સ કેમેરૂન જ અર્થ કરે તે. સ્ત્રીઓના
મહેનતાણાની સમાનતા માટે, માઈક્રોસૉફ્ટના મુખ્ય
સંચાલક, સત્ય નદેલાએ કર્મ પર ભરોસો કરવાનું કહ્યું
તેના પર પશ્ચિમ અખબાર જગતમાં જે હોબાળો થયો એ પછીથી તો હવે કર્મનો અર્થ પણ
પશ્ચિમના અખબારનવેશો કરે છે.
કર્મ
જેવા શબ્દો પશ્ચિમને અસુખ કરે છે. એ લોકો કર્મની સરખામણી નિયતિ સાથે કરે છે અને
ભારતીય લોકોને તેમની કર્મમાંની આસ્થાને કારણે નસીબમાં માનીને હાથ જોડીને બેસી
રહેનારાઓ તરીકે કોસે પણ છે. આવી માન્યતા કર્મ વિષેની ખોટી સમજને કારણે નહી પણ
અધૂરી સમજને કારણે ઘડાઈ છે. કર્મનીં ઊંડી સમજને કારણે આપણને કર્મની બહુ જ સક્રિય
અને જવાબદાર બનાવવાની શક્તિ પણ દેખાય છે.
કર્મ
શબ્દ વેદોનાં સૌથી શરૂઆતનાં સંકલનો, ઋગ
સંહિતા,માં જોવા મળે છે. જો કે ત્યાં તે પ્રવૃતિ -
ખાસ તો કર્મકાંડ પ્રવૃત્તિ-ના અર્થમાં પ્રયોજાયેલ છે. અહીં તેનો પ્રવૃતિની અસર તરીકેનો સંબંધ નથી જોવાયો. બીજા
શબ્દોમાં કહીએ તો એ ક્રિયા છે, પ્રતિક્રિયા નહીં.
વેદોમાં કર્મ એટલે બીજ વાવવાં. એ પછીના ઉપનિષદ ગ્રંથોમાં તેનો અર્થ બીજની વાવણી
પછીનાં ફળની લણણી તરીકે પણ થવા લાગ્યો.પછીના અર્થને શરૂ શરૂમાં તેના ઉપયોગમાં વણી
લેવાયેલો જોઈ શકાય છે કેમકે કર્મકાંડ એ યજ્ઞ કરવાની પ્રવૃત્તિ હતી. યજ્ઞમાં સ્વાહા
(અંદર નંખાતી નિવિષ્ટ સામગ્રી) તથાસ્તુ
(બહાર નીકળતી નિપજ સામગ્રી)માં પરિણમે છે.
માત્ર ક્રિયામાંથી
પ્રતિક્રિયા જન્માવતી ક્રિયા તરીકેના અર્થમાં થતા જતા ફેરફાર માટેનું શ્રેય
(વિચારકો)શ્રમણોને આપવામાં આવે છે કેમ કે તેઓએ માત્ર (કર્મ કરનાર) બ્રાહ્મણ ન બની
રહેવાનું પસંદ કર્યું. એ લોકો ઈ.સ. પૂર્વે ૫૦૦ વર્ષમાં થઈ ગયા. આ સમય ધરી
યુગ તરીકે પણ ઓળખાતો હતો. આ સમયમાં જ ગ્રીસમાં સોક્રેટીસની, ચીનમાં
કન્ફ્યુશીનની અને પર્શીઆમાં
ઝોરોસ્ટ્રીઅન વિચારધારા વિકસી હતી.એ સમયના ભારતના ચિંતકોમાં યાજ્ઞવલ્કય હતા જેમને
બે પત્નીઓ હતી અને સાક્યમુનિ બુધ્ધ અને વર્ધમાન મહાવીર હતા જેમણે સંસારનો ત્યાગ
કરીને સંન્યસ્ત સ્વીકારેલ હતું. તેમના
ક્રાંતિકારી વિચારો છતાં યાજ્ઞવલ્કય બ્રાહ્મણી કર્મકાંડ ની બહાર નહોતા આવી શક્યા
હતા. એટલે તે યજ્ઞનાં મહત્ત્વને માનનારા આસ્તિક ગણાયા. બુધ્ધ બૌધ સંપ્રદાયના
સ્થાપક હતા જ્યારે મહાવીર બહુ પ્રાચીન, આત્મસંયમી, જૈન
સંપ્રદાયના અગ્રણી હતા. બન્નેને નાસ્તિક કહેવાયા કેમકે તેઓ યજ્ઞનાં મહત્ત્વમાં
નહોતા માનતા.
બ્રાહ્મણો ક્ષત્રિયોને
પોતાના મુખ્ય આશ્રયદાતા માનતા તેથી વૈશ્યોને ઓછું આવતું. એટલે વેપારી સમાજમાંના
ઘણાં લોકો વધારે સમતાવાદી જણાતા શ્રમણો તરફ ઢળ્યાં. આ લોકોએ કર્મના સિધ્ધાંતની
સમજને વધારે વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી કેમ કે વેપારમાં દેવામાં હોવું, રોકાણ
પર વળતર મેળવવું એવી પધ્ધતિઓમાં કર્મનો સૂક્ષ્મ અર્થ વણાયેલો જોઈ શકાય છે. એ લોકો
દરેક પ્રવૃત્તિને એક પ્રકારનાં રોકાણ તરીકે જ જોતા, જેનું
પરિણામ રોકાણપરનાં વળતર રૂપે જોવા મળતું. સારાં રોકાણનું સારૂં વળતર મળતું, જ્યારે
ખરાબ રોકાણનું વળતર પણ ખરાબ મળતું.
પણ સારૂં કર્મ કયું અને ખરાબ કર્મ કયું એ ખબર શી રીતે પડે? હા, કર્મ
એ બીજનું વાવેતર છે જેનું પરિણામ ફળમાં મળવાનું છે. આપણે તો માન્યું હોય કે આપણે
મીઠી કેરી માટેનું બીજ વાવ્યું, પણ એ ખાટી આમલી કે
તીખાં મરચામાં નહીં પરિણમે એની ખાત્રી કોણ આપે? એક
રાજાને એક ફળ અપીને કહેવાયું કે આ તેની રાણીને ખવડાવશે તો તેની રાણીને પુત્ર જન્મશે. રાજાને બે રાણી હતી , એટલે
રાજાએ ફળના બે ભાગ કરીને બન્ને રાણીઓને ખવડાવ્યા. પરિણામે, બન્ને
રાણીઓએ અર્ધાં બાળકને જન્મ આપ્યો. બન્ને પત્નીઓ વચ્ચે ફળને સરાખે ભાગે વહેંચવાના
આશયનું કર્મ સારૂં હતું, પણ બન્ને રાણીઓને
અર્ધાં અર્ધાં બાળકનું જન્મવું એ ખરાબ પ્રતિક્રિયા હતી. એ જ રીતે પોલીસથી બચવા એક
ઝાડ પર ચડી જનાર ચોરને એક દેવતા તરફથી વરદાન મળ્યું કેમ કે એ ઝાડ પરનાં ફુલ નીચે
આવેલ એ દેવની મૂર્તિ પર, અકસ્માત, ચડ્યાં
હતાં. આમ બજારમાં કરેલ રોકાણ જેમ કર્મ પણ
અણધાર્યું બની રહે છે.
લોકોએ આદિ કાળથી
કર્મોને સારાં કે ખરાબ એમ વર્ગીકૃત કરેલ છે, પણ
હકી કકત એ છે કે એ (ખરાબ) પાપ છે તેવી ખબર તો જ્યારે ઊંધાં પરિણામ આવે છે ત્યારે
પશ્ચાદવર્તી જ પડે છે. એ જ રીતે કર્મ સારૂં (પુણ્ય) હતું એ ખબર તો પછીથી જ્યારે
પરિણામ સકારાત્મક આવે છે ત્યારે જ પડે છે. કાર્ય કરતી વખતે તો પરિણામ આપણી
તરફેણમાં આવશે કે નહીં તે આપણને ખબર નથી હોતી. આમ આપણું નિયંત્રણ માત્ર આપણાં
કર્મો પર જ છે, ન કે તેનાં પરિણામો પર કે ન તો ભવિષ્યમાં
આપણાં કર્મ વિષે શું કહેવાશે તેના પર છે. કુરુક્ષેત્રમાં ઊભીને અર્જુને જ્યારે
કૃષ્ણને કર્મ વિષે સવાલ કર્યો ત્યારે કૃષ્ણએ આ બાબત સમજાવવા જ તેને આખી ગીતા
વિસ્તારથી કહી હતી.
કર્મ પુનઃજન્મનું
પૂર્વાનુમાન છે. આપણી વર્તમાન સ્થિતિ આપણા પહેલાંનાં જન્મોમાં કરેલ ક્રિયાઓની
પ્રતિક્રિયા છે. એમ કહેવાય છે કે એટલે જ કેટલાંક લોકો ગરીબ ઘરમાં જન્મે છે, દેખાવડાં
નથી હોતાં, તેમને આ જન્મમાં તકલીફો જ સહન કરવાની આવ્યા
કરે છે. સામાજિક અન્યાય વગેરે જેવાં પરિબળોની સામે
લડત આપવાને બદલે હાલના સંજોગોને પૂર્વજન્મનાં
ફળ ગણીને બેસી રહેવાની આપણી આ મનોદશા પશ્ચિમની નજરે આપણા આળસુપણાને પોષતી
સંતોષીવૃત્તિ છે. તેમની આ વિચારસરણીમાં એક વાત ધ્યાન બહાર જાય છે. અંગ્રેજી શબ્દ ‘fate’નું
મૂળ ગ્રીક દેવી Fates સાથે જોડાય છે. એ દેવી
નાશવંત જીવનના તાર વણ્યા કરતાં, અને તેની લંબાઈ કેટલી
રાખવી અને ક્યારે તે કાપી કાઢવો તે ઓલિમ્પીઅન દેવ ઝીઅસની સલાહ પરથી નક્કી કરતાં.
કર્મના સિધ્ધાંતમાં
ખરેખર માનતાં લોકો જાણે છે કે જેમ ભૂતકાળનાં કર્મો આજની સ્થિતિ નક્કી કરે છે તેમ
આજનાં કર્મો ભવિષ્ય નક્કી કરે છે. એટલે ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે વર્તમાનમાં મન
મૂકીને મહેનત કરવી રહી. બીજી રીતે કહીએ તો કર્મને સાચા અર્થમાં સમજતી વ્યક્તિ
ખરેખર રો સક્રિય અને જવાબદાર જ હોય. પણ જો તે આળસુ નીવડે તો તેના માટે કર્મનો
સિધ્ધાંત નહીં પણ તેની પોતાની આળસુ મનોવૃતિ જવાબદાર છે.
કામ ન કરવાની ભાવનાને
પોષતી મનાતી આશ્રમ વ્યવસ્થાની સામે કર્મના સિધ્ધાંતના વિચારનો વિકાસ થયો છે એમ કહી
શકાય. એ સિધ્ધાંતને વિગતથી વિકસાવીને કર્મનાં ફળોના ભય દ્વારા વ્યક્તિને તેની
ગૃહસ્થ તરીકેની જવાબદારી સારી રીતે નિભાવવા માટે તૈયાર કરવામાં આવે છે. આ સિધ્ધાંત
મુજબ તો કામ ન કરવું એ પણ એક પ્રકારનું કર્મ જ પ્રતિપાદિત કરાયું ગણાય. આમ એ એવો
કાર્યલોપ છે જેનાં પણ પરિણામો તો ભોગવવાં જ પડે. કાતીલનો વધ તો તેની સામે લડીને જ
થાય. જો એ કાતિલની સામે કંઈ પગલાં ન લેવાય તો તો કાતિલ હજૂ વધારે હત્યાઓ કરશે. આમ
કોઈ પણ ગૃહસ્થ, કે પછી સંન્યાસી, કર્મનાં
ચક્રની અસરમાંથી છૂટી ન શકે. કર્મની જાળમાંથી છૂટવું હોય તો માણસ એ દુન્યવી સંજોગો
સાથે માનસીક સંતુલન કેળવવું પડે જેમાં સારી અને ખરાબ પરિસ્થિતિઓ અને પરિણામો વિષે
તે અવગત હોય પણ તેની ચિંતામાં માથું પકડીને બેસી ન રહ્યો હોય.
પશ્ચિમ પુનર્જન્મની
વિચારસરણી નથી સ્વીકારતું. ધાર્મિક તેમ જ તાર્કિક પશ્ચિમ એમ માને છે કે બાળક જન્મે
છે ત્યારે તેનાં કર્મના જમાઉધાર ખાતાં કોરાં હોય છે અને મૃત્યુ પામે છે ત્યારે એ
ખાતાવહી પણ અંત પામે છે. આગલા જન્મનું કંઈ બાકી
હોતું નથી અને તે જ રીતે આ જન્મનું પણ કંઈ બાકી આગળ ખેંચાતું નથી. પરંતુ
હિંદુ, બૌધ્ધ કે જૈન ધર્મ આ પ્રમાણે નથી માનતા.
તેમના મત મુજબ તો જન્મ વખતે ખાતાવહીમાં આગલા જન્મોનું જમાઉધાર આગળ ખેંચાઈ આવ્યું
હોય છે અને મૃત્યુ વખતે પણ આ જન્મનું જમાઉધાર આગળ ખેંચાય છે. આગલા જન્મોનો હિસાબ આ
જન્મમાં અને આ જન્મ્નો બાકી રહેલો હિસાબ હવે પછીના જન્મોમાં ચૂકતે તો કરવો જ
રહ્યો. આમ આજની સ્થિતિ નક્કી કરે છે આપણાં કર્મો. ભૂતકાળનાં એ કર્મોની સામે કેમ
વર્તવું એ આપણી પસંદ પર આધાર રાખે છે.આપણે તેને સ્વીકારીને બેસી પણ રહી શકીએ કે આ
જન્મમાં તેને બદલી નાખવાની કોશીશ પણ કરી શકીએ. આપણી પસંદ કોઈને સારી લાગી શકે તો
કોઈને ખરાબ લાગી શકે, પણ નૈતિક કે
ચારિત્ર્યિક ગણતરીઓની આપણી ક્રિયાનાં પરિણામો, અને
તેની સાથે સંકળાયેલ આપણાં ભવિષ્યના સંજોગો પર કોઈ જ અસર નથી પડતી. આપણે ભલે ને ગમે
તે ઈચ્છીએ, જે થવાનું છે તે તો થઈને રહેશે જ.
સ્પષ્ટતા, નિશ્ચિતતા
અને પૂર્વકથનીયતા વિષેની પશ્ચિમની ઘેલછાને કર્મના સિધ્ધાંતોનીઆપણી આવી સમજૂતીઓ ચીડવે છે. પરિણામે આપણી બધી જ
વ્યાખ્યાઓને એક બાજૂ હડસેલીને તે પોતાની સીધી સાદી વ્યાખ્યાઓને વધારે પસંદ કરવા
તરફ ઢળે છે. આપણે તેમને તેમ કરવા દેવાનું શીખવું પડશે.
§
www.dailyo.inમાં ૧૫ ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Karma is the new Swastika, નો અનુવાદ
§
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૮ એપ્રિલ, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો