બુધવાર, 3 ઑક્ટોબર, 2018

કન્સલ્ટન્ટનો ઉપયોગ શી રીતે કરવો? - દેવદત્ત પટ્ટનાઈક


પુરાણો વાંચતી વખતે એક વાત ખાસ આપણી નજરે  ચડે છે. વનમાં ઋષિઓ તરીકે જાણીતા સાધુઓ હંમેશાં રાજાઓ પાસે જાય, કે એવા રાજાઓ પણ હોય જે ઋષિઓના આશ્રમોની મુલાકાત લેતા રહેતા હોય. તે મુલાકાતોની વિગતો જોઈએ તો જણાશે કે ઋષિઓ અને રાજાઓના સંબંધ કન્સલ્ટન્ટ અને મુખ્ય પ્રબંધક જેવા હોય છે અને તેને કારણે ઉભય પક્ષોને લાભ થતો હોય છે.
ઋષિઓ અને રાજાઓ અલગ અલગ દુનિયામાં વસે છે. ઋષિઓ જંગલોમાં વસે છે અને એક રાજ્યથી બીજાં રાજ્યની મુલાકાત કરતા રહેતા હોય છે.કોઇ પણ માનવ વસ્તીમાં તેઓ, ચોમાસાના ચાર મહિના સિવાય, એક દિવસથી વધારે નથી રોકાતા. અલગ અલગ રાજ્યોમાં જતા હોવાથી તેમને અલગ અલગ શાસન વ્યવસ્થાઓ જોવા જાણવા મળે છે.જંગલના તેમના વસવાટ તેમને કુદરત અને માનવ સંસ્કૃતિના તફાવત સમજવામાં, જંગલના અને રાજાઓના રીતરિવાજો  સમજવામાં મદદરૂપ બને છે. જ્યારે રાજાઓ તેમનાં રાજ્યની બહાર ન જતા હોવાને કારણે અન્ય શાસન વ્યવસ્થાઓના સારાસાર તેમને જોવા નથી મળતા. તેઓએ તેમનાં પોતાનાં જ્ઞાનથી, અને ઋષિઓના સંપર્ક દ્વારા જે કંઈ જાણવા શીખવા મળે તેનાથી, સંતુષ્ટ બની બેસી રહેવું પડે છે.
આજના સમાજમાં કન્સલટન્ટ્સની ભૂમિકા કંપનીઓ માટે બહુ મહત્ત્વની બની રહે છે. દવા બનાવનારી કંપનીના એક મુખ્ય પ્રબંધક ને કન્સલ્ટન્ટમાં જંગલી વરૂ  અને પોતાના કર્મચારીઓમાં ગામની શેરીમાં ફરતાં કુતરાં દેખાય છે. જ્યારે કર્મચારીઓ વધારે પડતાં સંતુષ્ટ બનીને બેસી રહે ત્યારે તે તેમના પર કન્સલ્ટન્ટરૂપી જંગલી વરૂઓ છોડી મૂકે છે, જે આવીને આખી વ્યવસ્થાને હચમચાવી જાય. આમ થવાને કારણે કુતરાંઓને પગ વાળીને બેસી રહેવું પોષાય નહીં.. બીજી એક જલદી વપરાઈ જતી વસ્તુઓ (FMCG)  બનાવનાર  કંપનીના મુખ્ય સંચાલક કન્સલ્ટન્ટને એવા ઓડીટર તરીકે જૂએ છે છે જેમની આંખો બહારથી જોઈ આપે કે તેમના કર્મચારી અંદર રહીને નથી જોઈ શકતા કે પછી જૂએ છે તો તેમને કહી નથી શકતા. કન્સલ્ટન્ટ્સ તેને પોતાની સંસ્થા, ગ્રાહકો અને પોતાની વ્યૂહરચનાઓ વિષે એક નવો દૃષ્ટિકોણ બતાવે છે. સોફ્ટવેર બનાવતી કંપનીમાં જ્યારે  કંપની કોઈ પ્રોજેક્ટ માટે નવા (કે પોતાના વર્તમાન) કર્મચારીઓનો સમય ન આપવા માગતી હોય , ત્યારે કુશળ કારીગરો પૂરા પાડવા માટે કન્સલ્ટન્ટ્સને કામે લગાડે છે. જોકે ઘણા મુખ્ય પ્રંબંધકો એમ જરૂર માને છે કે કન્સલ્ટન્ટ્સ  એક એવું સાધન છે જે તેમને મુશ્કેલ નિર્ણયો લેવામાં મદદ કરે છે, કન્સલ્ટન્ટના સક્ષમ ખભાના જોર પર તેઓ પોતાની બંદૂકથી નિશાન પાર પાડી શકે છે.  તેમના માટે નિયામક મંડળ કે કર્મચારીઓ પાસેથી પોતાના નિર્ણયો મંજૂર કરાવડાવાની અને પોતાની અપ્રિયતા થતી રોકવાની ગુરુચાવી કન્સલ્ટન્ટ્સ છે..
કન્સલ્ટન્ટ એવી વ્યક્તિ છે જે તમે જે જાણો છો તે જ તમને જણાવે છે અને ઉપરથી તેના પૈસા પણ વસૂલ કરે છે એ બહુ જાણીતી મજાક છે. પણ આ મજાક એ લોકો જ કરતાં હોય છે જેમને કન્સલ્ટન્ટનો ઉપયોગ કેમ કરવો એ નથી આવડતું. લોકો કન્સલ્ટન્ટને એવા ડૉક્ટરનાં રૂપમાં જૂએ છે જે બધાં જ દર્દ મટાડી આપે. તેણે તો એવી જાદુઈ છડી ફેરવવાની છે કે સંતાનવિહિન રાજાને છડી ફેરવતાં જ પુત્ર પ્રાપ્તિ થઈ જાય. મહાભારતમાં જ્યારે રાજા દ્રુપદ ઋષિ ઉપાયજ પાસે પોતાના પ્રશ્નનો ઉપાય શોધવા જાય છે ત્યારે ઋષિ તેને પોતના ભાઈ યજ પાસે જવાની સલાહ આપે છે કેમકે 'તેને આવા નશ્વર સુખોમાં મજા પડે છે, એટલે એ તને માર્ગ બતાવશે'. આમ સમસ્યાઓના હલ ખોળી આપતા ઋષિઓ એ અલગ જ પ્રકાર ગણવામાં આવે છે. જે ખરા અર્થમાં ઋષિ છે તે રાજાને વધારે સ્પષ્ટતા લાવવામાં મદદ કરે છે, નિર્ણય પ્રક્રિયા માટે કે વધારે સારી સંભાવનાઓ શોધવા માટે કે વધારે વૈકલ્પિક દૃષ્ટિકોણ કેમ કેળવવા એ માટેનાં વધારે સારાં માળખાં કેમ ગોઠવવાં તેમાં મદદ કરે છે. પરિણામે પોતાના કોઈ પણ નિર્ણયનાં શું પરિણામ આવી શકે તે વિષે રાજાની સમજ વધારે પરિપક્વ બને છે. નિર્ણય લેવાનું કામ તો રાજાએ જ કરવાનું રહે છે. કોઈ પણ મુખ્ય પ્રબંધક જ્યારે તૈયાર ઉપાયો માગે છે ત્યારે તત્ત્વતઃ એ એક નિર્ણય કરનાર તરીકેની જવાબ્દારી કન્સલટ્ન્ટ પર ઢોળવા માગે છે એમ કહી શકાય. તેને તો નિર્ણય પ્રક્રિયાજ આઉટસોર્સ કરીને જોખમરહિત કરી નાખવી છે. કદાચ કોઈ નિષ્ફળતા આવે તો પોતાને બદલે તેને કન્સલટ્ન્ટ બલિના બકરાને સ્થાને જોઈએ છે. ઋષિ જ્ઞાનનો સ્ત્રોત છે, સમસ્યાઓનાં સમાધાનની ગુરુ ચાવી નથી. તેમને પોતાને તો આ બાબતની પડી પણ નથી કારણકે તે તો સફળતા કે નિષ્ફળતાના મોહને ત્યાગી ચૂક્યા છે..જે રાજા નિષ્ફ્ળતાથી ડરી જાય છે તે રાજા નથી કે એવા ઋષિ એ ઋષિ નથી. 
કન્સલ્ટન્ટને ૠષિ જોડે સરખાવવા એ અમુક લોકોને પસંદ પડે એવી વાત છે. ઋષિઓને તો પરદુન્યવી અને બિનભૌતિકવાદી સમજવામાં આવે છે જ્યારે કન્સલ્ટન્ટ તો ભૌતિક નફા માટે કરીને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરે છે. એક સવાલ એ પણ રહે છે કન્સલ્ટન્ટની સલાહથી ગાહકને ફાયદો થાય કે કન્સલ્ટન્ટને પોતાને ? પુરાણોની કથાઓમાં ઋષિઓને પણ પૂર્ણતઃ બિનભૌતિકવાદી નથી રજૂ કરાયા, તેમને પણ જંગલમાં જીવન ટકાવવા ગાયો, ખેતરો, પત્નીઓ કે ક્યારેક દૈત્યો સામે રક્ષણ માટે કરીને સૈનિકો જેવાં ભૌતિક સાધનો માટે રાજાની જરૂર છે. પણ અહીં તેમની અપેક્ષા કન્સલ્ટન્ટની ફી જેવી નથી.
ઋષિ-રાજાના સંબંધમાં ૠષિને મળતું અનુદાન, કન્સલ્ટન્ટ - મુખ્ય પ્રબણ્ધક વચ્ચેના સંબંધની જેમ, તેમની સલાહની ગુણવતા કે માત્રાના પ્રમણમાં નથી હોતું. રાજાની ફરજ છે કે તે ૠષિની પૂરતી સંભાળ રાખે અને ૠષિની ફરજ છે કે પોતાનાં અસ્તિત્વ માટે આવશ્યક ન હોય એવી કોઈ પણ વસ્તુ તે ન માગે. કમનસીબે, આજના સમયમાં કન્સલ્ટન્ટની સેવાનું  મીટર તો પ્રબંધક દ્વારા સવાલ પૂછતાંની સાથે જ શરૂ થઈ જાય છે, તે તો પોતાની મિનિટે મિનિટની ફી વસુલશે. કન્સલ્ટન્ટને પોતાની સલાહના કલાકો વધારવામાં રસ હોય છે, જ્યારે પ્રબંધકને પોતાના ખર્ચા ઓછા કરવામાં રસ હોય છે. આમ સંબંધના દૂધમાં ક્યાક પૈસાનાં દહીનું ટીપું પડી જાય છે જે સંબંધની શુધ્ધતાને ડહોળી નાખે છે.
  •     દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How to use a consultant?નો અનુવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો