બુધવાર, 15 જાન્યુઆરી, 2020

હાસ્યની તાકાત - દેવદત્ત પટ્ટનાઈક


વનવાસમાંથી પાછા ફર્યા બાદ જ્યારે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો, ત્યારે ભર્યા રાજ દરબારમાં લક્ષ્મણ જોર જોરથી હસવા લાગ્યા. બધાંને અચરજ થયું કે આ લક્ષ્મણ વળી અત્યારે કોના પર હસે છે ! જે અયોધ્યા પર રાજકુટૂંબની ખટપટને પરિણામે એક જોડી ચાખડીએ ચૌદ ચૌદ વર્ષ રાજ્ય કર્યું તેના પર હસે છે ? કે, કૌશલ્યા પર હસે છે જેમણે પોતાના પુત્રને રાજા થતો જોવાની આખી જીંદગી આકાંક્ષા સેવ્યે રાખી? કે, કૈકેયી પર હસે છે જેના લાખ કુડકપટો છતાં પણ જે મહારાણી કદી પણ બની જ ન શકી? કે, પેલા ભરત પર હસે છે જેણે રાજા બનવાની સોનેરી તક હવામાં ઉડાડી દીધી? કે, પોતાની માતા સુમિત્રા અને ભાઈ શત્રુઘ્ન હસતા હતા જેમના નસીબમાં તો રાજા કોઈ પણ બને પણ જીંદગીભરની કોઈની સેવા જ લખી હતી? કે, એ સુગ્રીવ પર હસતા હતા જેણે રાજા બનવા માટે પોતાના ભાઈની રામના હાથે હત્યા કરાવી નાખી? કે, તે હસતા હતા હતા વિભિષણ પર જેણે રાજા બનવા માટે પોતાના મોટા ભાઈના શત્રુનો સાથ કર્યો? કે હનુમાનના ઓછાયામાં ઢંકાઈ રહેવા સર્જાયેલા વૃધ્ધ જાંબુવાન પર તે હસે છે ? કે તે હનુમાન પર હસે છે જેમણે રામનાં પત્નીને પાછાં મેળવવા પોતાનાં પુંછડાંને આગ લગાડી પણ બદલામા  કંઈ વળ્યું નહીં? કે તે સીતા મૈયા પર હસે છે જેમણે પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી? કે પછી એ રામ પર હસી રહ્યા છે જેમને પત્ની પાછી તો મળી પણ તે પત્નીનાં ચારિત્ર્ય પરનો દાગ તે દૂર નથી કરી શકતા?
પરંતુ લક્ષ્મણ કોઈ પર નહોતા હસી રહ્યા. તે તો હવે જે કરૂણ ઘટના થવાની છે તેના પર હસી રહ્યા હતા. તે ઊંઘની દેવી નિદ્રાને આવતાં જોઈ રહ્યાં હતા. તેમણે દેવીને વિનંતિ કરી હતી કે ચૌદ વર્ષ સુધી તે પોતાને એકલો રહેવા દે જેથી તેમનાથી દિવસરાત રામની સેવા થઈ શકે. ચૌદ વર્ષની એ અવધિ પૂરી થવામાં હતી, એટલે એમણે પોતાનાં વચન પાલન સારૂં કરીને બરાબર એ જ સમયે ગાઢ નિંદ્રામાં સૂઈ જવું પડશે જ્યારે પોતે  પોતાની જિંદગીમાં જે એક ઘટના જોવા તલસી રહ્યા હતા તે રામની તાજપોષી થવાની હતી.
લક્ષ્મણનાં હાસ્યને કારણે લોકોને અસલામતી કેમ અનુભવાતી હતી ? કેમકે હાસ્યમાં તાકાત છે. આપણે જ્યારે કોઈ પર હસીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને સલામત, સુરક્ષિત. કોઈ જાતની ધાકધમકીનાં દબાણ વગરનાં, અને ક્યારેક તો તાકાતવર, અનુભવીએ છીએ. પરંતુ જ્યારે કોઈ આપણા પર હસે છે ત્યારે આપણે આપણી જાતને અપમાનિત, શરમિંદાં,અસ્વસ્થ, અને ક્યારેક તો તાકાતવિહોણાં, અનુભવીએ છીએ.
ટીવી કે ઇન્ટરનૅટ પરના કોમેડી શૉ આપણને બીજાં લોકોની મશ્કરી કરીને હસાવે છે. જેમની મશ્કરી કરવામાં આવતી હોય છે તે એવાં સ્ટાર, કે અતિપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં,કે  સ્ત્રીત્વવાદીઓ કે સમલૈંગિકો કે અતિ ધનાઢ્ય કે બહુ સુંદર કે અતિ ભભકાદાર  લોકો હોય છે. જેમની મશ્કરી થતી જોઈએને આપણને તે આપણી બરોબરીનાં અનુભવાય છે. હાસ્યમાં રહેલ તાકાતની ગતિવિધિઓ ઘણી વાર આપ્ણી નજરમાં નથી આવતી હોતી. ચેતામનોવિજ્ઞાનીઓ અને દાર્શનિકો એમ માને છે કે માનવી પહેલાં ભય ટળી જવાની રાહતથી હસ્યો,  કે શિકારે શિકારીને થાપ ખવાડાવી દીધી કે જ્યારે દિવસોની ભૂખ વેઠ્યા પછી કંઈક ખાવાનું મળ્યું હોય ત્યારે હસ્યો હતો. એમાં સલામતી અને વિશ્વાસનો ભાવ રહેલો હતો. એટલે જ જ્યારે  બૉસ હસે ત્યારે બધાં પણ હસે છે. એ જ રીતે, બૉસ વિશેની મજાકો આપણે બૉસની પીઠ પછવાડે જ કરીએ છીએ 
જે લોકો પોતાની મજાક ઊડાવી શકે છે તે લોકોને બહુ ખેલદિલ માનવામાં આવે છે, કેમકે તેઓએ પોતાના ભોગે બીજાંને તાકાતવર અનુભવવાની તક આપી છે. પરંતુ ક્યારે મજાક બહુ સોંસરવી ઉતરી જાય છે અને ઊ ંડો જખમ પણ કરી શકે છે !

  • ધ મિડ ડેમાં ૮ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Laughter Is Powerનો અનુવાદ : વ્યવહારૂ પુરાણવિદ્યાભ્યાસ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો