બુધવાર, 20 જાન્યુઆરી, 2021

રવિવારનો દેવ - દેવદત્ત પટ્ટનાઈક

પ્રાચીન રોમના સમયકાળમાં રવિવાર અઠવાડીયાંનો પહેલો દિવસ ગણાતો હતો. તે રોમના સૂર્ય-દેવ હેલિઓસ કે હાયપરિઑનનાં નામ પરથી નામકરણ થયો હતો અને બહુ મહત્ત્વનો દિવસ લેખાતો હતો. હેલીઓસ  આગળ જતાં યુવાન, ઉર્જાથી છલકતા, દેખાવડા, ગ્રીક દેવતા  એપોલો સાથે ભળી ગયો. કહેવાય છે કે એપોલોએ તીરોની વર્ષા ચલાવીને અંધારાંને હટાવી કાઢ્યું હતું. જ્યારે રોમ સામ્રાજય ખ્રિસ્તી બની ગયું, ત્યારથી સૂર્યનો દિવસ ડોમિનિકા - પ્રભુનો દિવસ- કહેવાયો  ખ્રિસ્તી લોકોની માન્યતા અનુસાર પ્રભુએ છ દિવસ સુધી વિશ્વની રચના કર્યા પછી એ દિવસે આરામ કર્યો હતો.

વર્ષના મહિનાઓની જેમ અઠવાડીયાના દિવસોને કોઈ ખગોળશાસ્ત્રીય પારસ્પરિક સંબંધ નથી. તે દિવસોનું નામકરણ બેબીલોનમાં ઊદ્‍ભવ્યું હોવાનું મનાય છે, જે પછીથી પૂર્વ તરફ ભારત વર્ષ તરફ થઈને ચીન તરફ પ્રસર્યું, અને પછી ત્યાંથી રોમ થઈને ભુમધ્ય તરફ પશ્ચિમમાં ગયું. જેમ રોમનોએ અઠવાડીયાનાં પહેલા દિવસને  સૂર્ય સાથે સાંકળ્યો, તેમ ભારત વર્ષનાં લોકોએ પણ તેને સૂર્ય સાથે સાંકળીને તેનું નામ રવિવાર પાડ્યું. અઠવાડીયાના પહેલા દિવસને સૂર્ય સાથે કેમ સાંકળવામાં આવ્યો તે કોઈને જાણમાં નથી. ઈતિહાસનું એ વણઉકેલાયેલું રહસ્ય છે. ભારત વર્ષમાં રવિવારનો સૌથી જૂનો સંદર્ભ ઈ.સ. પૂર્વે ૪૦૦ પછીના ગ્રંથોમાં જોવા મળે છે. એવું મનાય છે કે  ગુપ્ત વંશના સમયકાળમાં ભારત વર્ષમાં આવેલા મનાતા સૂર્યપુજકો હુણ, પાર્થિયન અને સ્કિથિયન લોકો સાથે તે નામકરણ અહીં આવ્યું.

સૂર્યનાં પત્ની સરણ્યા (જે સંજ્ઞાનાં અને અમુક સંદર્ભોમાં સંધ્યાના નામથી પણ ઓળખાય છે )થી તેમને બે સંતાન - યમ (જે સૌથી પહેલાં મૃત્યુ પામ્યા હોવાથી મૃત્યુના દેવ કહેવાય છે) અને યામી, જેમણે યમુના નદીનું અને પોતાના ભાઈનાં મૃત્યુના શોકમાં યામિની [રાત્રી]નું રૂપ ધારણ કર્યું હતું - થયાં હતાં. સૂર્યના પ્રખર તાપને સહન કરવી શકવાને કરણે સરણ્યા કયાંક સંતાઈ ગયાં, પણ પાછળ પોતાની પડછાયા સ્વરૂપ જોડકી બહેન, છાયા,ને મુકી ગયાં. છાયાને જે પુત્ર થયો તે શનિ, - વિલંબનો દેવ, શનિ- હતો.  સૂર્યએ જ્યારે જોયું કે છાયા જેટલો પ્રેમ શનિ માટે ધરાવે છે તેટલો પ્રેમ યમને ,માટે નથી ધરાવતાં, ત્યારે તેમને સમજાયું કે છાયા તો નકલી છે. સૂર્ય હવે સરણ્યાની શોધમાં નીકળી પડે છે. તેમને જ્યારે ખબર પડે છે સરણ્યા તો એક ઘોડીનાં રૂપમાં છુપાએલ છે તો તે પણ ઘોડાનું રૂપ લઈને તેમની સાથે પરિણય કેળવે છે.  આ અશ્વમિલનને પરિણામે જે બે જોડીયાં બાળકો જન્યા તે સવાર અને સાંજના દેવો, અશ્વમુખી, અશ્વિનો, તરીકે ઓળખાય છે અને તેઓ જ્યાં પણ જાય ત્યાં આરોગ્યજનક અને રોગ મટાડનાર બની રહે છે. ગ્રંથોમાં સૂર્યના એક બીજા પુત્ર, શિકારના દેવ, રેવંત (કે ક્યાંક ક્યાં જેમનો ઉલ્લેખ રૈવત તરીકે પણ જોવા મળે છે)નો પણ ઉલ્લેખ જોવાં માળે છે મૂર્તિ કળામાં રેવંતને અશ્વો પર સવારી કરતા બતાવાય છે. આમ સૂર્ય દેવતાને અશ્વ સાથે ગાઢ સંબંધ છે.

વૈદિક કાળમાં લોકો ઘોડેસવારી નહોતા કરતા; તે સમયમાં ઘોડાનો ઉપયોગ માત્ર રથને ચલાવવા પુઅરતો જ હતો. ભારતવર્ષમાં ઘોડેસવારીની કળા, મધ્ય એશિયામાંથી,બહુ વર્ષો પછી આવી. કદાચ એ ઘોડેસ્વારો પણ સૂર્યપુજક હતા, એટલે સાત અશ્વો દ્વારા ચલાવતા રથ પર વિરાજમાન સૂર્યના પુત્રની પણ, મધ્ય એશિયાના પાર્થિયનો અને સ્કિથિઅનો જેવા, ઘોડા પર સવારી કરી તીર વડે શિકાર કરતા એક દેવ તરીકે કલ્પના  કરવામાં આવી. કહેવાય છે કે રાજપુતો મધ્ય ઐશિયામાંથી આવેલી આ જાતિઓ તેમ જ હુણ જાતિના વંશજ છે. એટલે જ કદાચ તેમને ઘોડેસવા રો માટે બહુ લગાવ છે અને તેઓ પોતાને  સૂર્યવંશી કહેવડાવવાનું પસંદ કરે છે. સૂર્ય માનવપ્રજાના સૌ પ્રથમ રાજા મનુના પણ પિતા છે; જોકે અમુક લોકોના મત અનુસાર મનુના માતા સરણ્યા છે તો બીજાં કેટલાકના મતે મનુના માતા છાયા છે. ખેર તે જે હોય તે, પણ ભારતવર્ષના ઇતિહાસના એક મહત્ત્વનો રાજવી વંશ ઈશ્વાકુ સૂર્યમાંથી થઈને મનુમાંથી ઉતરી આવેલ છે. રામ આ ઇશ્વાકુ વંશના જ એક પુત્ર છે. તે જ રીતે સૂર્યમાં અન્ય નામોમાં એક નામ આદિત્ય પણ છે. જેના પરથી ભારતવર્ષના એક મહાન રાજા વિક્રમાદિત્ય - આદિત્ય પર વિક્રમ મેળવનાર- નું નામ જોડાયેલ છે. કહેવાય છે કે બાઈબલના સોલોમનની જેમ, વિક્રમાદિત્ય પણ દરેક સમસ્યાનો ઉકેલ કરી લાવી શકતા હતા.

એક વીર યોધ્ધા હોવા ઉપરાંત, લોકવાયકા અનુસાર, સૂર્ય કંઈક અંશે રંગીલા વ્યક્તિત્વના પણ મનાય છે. એટલે જ એમ મનાય છે સૂર્યમુખી હંમેશાં તેમની તરફ મુગ્ધતાથી જોતું રહે છે. કમળ સૂર્યોદય થતાં જ ખીલી ઊઠે છે અને સૂર્યાસ્ત થતાં બીડાઈ જાય છે. તો વળી, માત્ર રાતમાં જ પોતાની સુગંધ લહેરાવતી રાતરાણી દિવસમાં ન ખીલીને સૂર્યને પોતાની સુગંધથી વંચિત રાખવા માગે છે કેમકે કહેવાય છે કે સૂર્યએ તેનું દીલ તોડ્યું હતું.


પ્રાચીન ભારતવર્ષમાં કુંવારી કન્યા અસૂર્યસ્પર્શા - જેને સૂર્યનો સ્પર્શ પણ નથી થયો - કહેવાતી હતી. સૂર્ય પૌરુષનું પરમ પ્રતિક ગણાતા હતા, એટલે ઉચ્ચ કુળનાં કુટુંબોની સ્ત્રીઓ સૂર્યપ્રકાશમાં બહાર આવવાનું ટાળતી. જો કદાચ નીકળવું પડે તો સૂર્યનાં કામબાણો જેવી નજરથી બચવા તેઓ નાજુક છત્ર - આફતાબગીર - કે ઘુંઘટ ઓઢીને જ બહાર નીકળતી.

સ્પીકિંગ ટ્રીમાં ૧ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, God of Sunday   નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો