બુધવાર, 17 ફેબ્રુઆરી, 2021

મારો ભરોસો એ જ મારો વેપારધંધો - દેવદત્ત પટ્ટનાઈક

 

ઈશ્વરે સાતમા દિવસે આરામ કર્યો, એમ અબ્રાહમી પુરાણશાસ્ત્રનું કહેવું છે. મુસ્લિમોનું કહેવું છે કે એ દિવસ શુક્રવાર હતો, તો યહુદીઓનું કહેવું છે કે તે શનિવારનો દિવસ હતો. તો વળી ખ્રિસ્તીઓનું કહેવું છે કે એ દિવસ રવિવાર હતો. કયો દિવસ હતો એ નક્કી ન કરી શકાતું હતું એટલે યહુદી અને ખ્રિસ્તી સૅબથે એ બન્નેની માન્યતા સંતોષાઈ રહે એ દૃષ્ટિએ સપ્તાહાંત બે દિવસનો જ નક્કી કરી લીધો. આ છે હવે આજની માની લીધેલ ધર્મનિરપેક્ષતા. ખરેખર તો શું ધર્મનિરપેક્ષ છે અને શું નથી તે નક્કી હંમેશાં પશ્ચિમમાં કરાય છે, કેમકે ૧૬મી સદીમાં વૈજ્ઞાનિક ક્રાંતિના ઉદ્‍ભવ પછી ધર્મ અને રાજ્ય પશ્ચિમમાં જ અલગ પાડવામાં આવ્યાં હતાં, જે બૅંક વ્યવસાય અને ઉદ્યોગીકરણના ઉદ્‍ભવ માટે ચાવી રૂપ ઘટનાક્રમ બની રહ્યો.

આ એ સમય હતો જ્યારે યુરોપમાં બધી જમીન પર ઉમરાવોનો અંકુશ હતો અને ચર્ચે બેંક વ્યવસાયને પ્રતિબંધિત કરેલ. ઉદ્યોગો માટે આ સારી બાબત નહોતી. એ સમયે માત્ર યહુદીઓ જ બેંક વ્યવસાય ચલાવતા. તેમની પાસે બીજો  કોઈ વિકલ્પ પણ નહોતો કેમકે તેમને જમીનની માલિકીથી વંચિત રખાતા હતા. રાજાઓને અને જમીનદારોને પુરાં પાડેલ નાણાં પરત ન આપી શકવાને કારણે સમાજના એ વર્ગમાં પેદા થએલ યહૂદી વિરોધી વ્યાપક માનસના તેઓ ભોગ બનતા હતા. નવઉદ્યોગસાહસિકો શોધ્યા મળતા ન હતા. તેમાંના ઘણાએ તો બેંકના વ્યવસાયને અપનાવવા સારૂ કરીને ધર્મપરિવર્તન કરીને પ્રોટેસ્ટંટ પંથમાં જોડાઈને પાદરીઓની જોહુકમીની ધુંસરી ફેકી દેવાનો માર્ગ પસંદ કર્યો. એ લોકોએ નવઉદ્યોગસાહસિકોને, અને યુરોપમાં દેવાં અને દમનથી પીડાતાં લોકોને, આવકારતાં અમેરિકામાં શરણ લીધું. યુરોપનાં યહુદી વિરોધી વાતાવરણથી ત્રાસીને બેંકરો અને વેપારીઓએ પણ અમેરિકા ભણી નજર દોડાવી. એ બધા ખુબ જ મહેનતુ હતા, જેને પરિણામે અમેરિકા યુરોપને સંપત્તિ અને સત્તામાં પાછળ રાખી શક્યું. વેપારઉદ્યોગ માટે  ધર્મ કેટલો જોખમી પરવડી શકે છે તે જોઈ લીધા પછી નવગઠિત અમેરિકી સંયુક્ત રાજ્યો (યુ એસ એ)માં ધર્મને અંગત રાખવાનૂં વલણ વેગવંત બન્યું.

ભારતમાં ધર્મ અને વેપાર વચ્ચેનો સંબંધ ઘણો ઓછો હિંસક, પણ જટિલ વધારે બની ગયો છે. ભારતનો સમાજ ગામડાંઓનો બનેલો છે, જે દરેકમાં જુદા જુદા વેપારધંધા કરતા સમુદાયો વસે છે. આ બધાંની આપસી ઓળખ કાયમ રાખવા સારૂ કરીને એકથી બીજા સમુદાય વચ્ચે લગ્ન સંબંધો ન બંધાતા. આમ મજુર, કારીગર, વેપારીઓ, જમીનદારો કે પુરોહિતોના સમુદાયો બન્યા ને જળવાયા. તેને પરિણામે જ્ઞાન અને રહસ્યો કુંટુંબોમાં એક પેઢીથી બીજી પેઢીને હસ્તાંતરિત થતાં રહ્યાં. આ વર્ણ વ્યવસ્થા હતી. બૌદ્ધ, જૈન અને શીખ જેવા નવા ધર્મોના ઉદયને , અને ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા નવા ધર્મોના આવવાને, આ વર્ણ વ્યવસ્થામાં સમાવી લેવાયા. આમ કોઈ એક વેપારી વર્ણ ક્યાં તો ઈસ્લામ ,કે જૈન , કે શીખ ધર્મ અનુસરતો હોય કે અમુક ચોક્કસ દેવી દેવતાની પુજા કરતો હોય એવું જોવા મળવા લાગ્યું.દરેક સમુદાયના પોતપોતાના નિયમો પણ હતા. જેમકે બેંકના વ્યવસાયમાં પડેલા જૈન ધર્મના અનુયાયીઓ તેમના ગૂરૂઓ જેને 'હિંસક ઉદ્યોગો' ગણાવે છે તેમાં રોકાણ કે ધીરાણ ન કરતા- આજે પણ નથી કરતા.

પરંતુ આ વ્યવસ્થામાં વિક્ષેપકારક નવોત્થાનની જગ્યા નહોતી રહેતી કેમકે બજારમાં થતા સંબંધો સિવાયના જ્ઞાતિની બહારના સંબંધોને નીચી નજરે જોવાતા. વળી, જાણ્યે અજાણ્યે સામાજિક પદાનુઅધિક્રમ પ્રસ્થાપિત કરવામાં પણ આ વ્યવસ્થા કારણભૂત બની. જમીનદારો અને વેપારી વર્ગે ગામડાંની આર્થિક અને સામાજિક બાબતોમાં પ્રભાવ પસાર્યો તો પુરોહિતોએ સમાજ પર પવિત્રતાના નામે પોતાનો પ્રભાવ જમાવ્યો. પરિણામે થયું એવું કે સફાઈ કામ કે ચામડાંને કેળવવું જેવી સેવાઓ 'ગંદી' અને 'પ્રદુષણકારી' કે 'અસ્પૃશ્ય' સુધ્ધાં ગણાઈ ગઈ. આમ થવાનાં પરિણામો બહુ વ્યાપક સ્તરે અસર કરી રહ્યાં.પૌવાર્ત્ય શિક્ષણવિદોએ જીવ પર આવી જઈને 'હિંદુ બાઈબલ'ની શોધ કરવામાં આ વર્ણ વ્યવસ્થા માટે મનુ સ્મૃતિ નામક પૌરાણિક ગ્રંથને દોષિત જાહેર કરી દીધી. એ લોકોએ એ ન જોયું કે એ ગ્રંથ દ્વારા તે સમયે પ્રવર્તમાન વર્ણ વ્યવસ્થાને પ્રસ્થાપિત નથી કરાઈ પણ માત્ર સ્પષ્ટ સ્વરૂપે રજૂ જ કરવામાં આવી છે. ખરેખર તો એવું બન્યું કે પ્રવાહી વર્ણ વ્યવસ્થા બ્રિટિશ સંસ્થાનસ્થાપકોની શાસકીય જરૂરિયાતો સંતોષવા જતાં સાવ જડ બની ગઈ.

શહેરીકરણે આ પદાનુધિક્રમને માળખાંની કક્ષાએ તોડ્યો. ધર્મનિરપેક્ષ રાજ્યનો ઉદય, અને તે પછીનાં ઉદારીકરણ અને સોફ્ટવેર ઉદ્યોગની ધસમસાટ પ્રગતિને કારણે ઉદ્યોગસાહસિકતાનો ઈજારો પરંપરાગત 'વેપારી'વર્ગ પાસેથી ખુંચવાતો ગયો. સોફ્ટવેર ઉદ્યોગના નવઉદ્યોગસાહસિકો 'બ્રાહ્મણ' જેવી અન્ય ઉચ્ચ જાતિઓમાંથી આવતા હોય  એવી એક પ્રણાલી પડવા લાગી. જોકે એ પણ એટલી જ હકીકત છે કે આજે પણ ભારતના ધનાઢ્ય વર્ગનાં લોકોનાં મૂળ તો જૂના જમાનાની વેપારી કે ઔદ્યિગિક જ્ઞાતિઓમાંથી જ પ્રસર્યાં છે. જોકે એ બીજી વાત છે કે  તેમને દક્ષિણ ભારતના શેટ્ટીયારોને અપવાદ ગણીએ તો આજે હવે જૈન, મારવાડી કે પારસી જેવાં ધાર્મિક કે પ્રાદેશિક નામાવલીઓથી તેમની ઓળખ થાય છે. હવે દલિત ઉદ્યોગસાહસિકોને પ્રેરિત કરવા બાબતે ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. માળખાંગત પરંપરાઓને કારણે, અને પરિણામે, જેઓને સમાજના પદાનુક્રમમાં નીચે રહેવું પડતું હતું, અને વિકાસ માટેની અન્ય લોકોને મળતી તકો અને સંસાધનોથી વંચિત રહેવું પડ્યું હતું એ વર્ગ માટે દલિત શબ્દ પ્રયોજાય છે. આમ ભારતમાં માત્ર 'હિંદુ' સમાજમાં નહીં પણ દરેક પ્રકારના ધર્મોને અનુસરતા સમાજમાં ધાર્મિક-સામાજિક રચના - જાતિ - ભારતમાં ઔદ્યોગિકરણને ઘડે છે. જુદા જુદા સમયની સરકારોની નીતિઓએ આ વ્યવસ્થાને નવી ગોઠવણમાં મુકવાનુંકામ કર્યું છે. જેથી જેને ધરમૂળથી એક જ ઝાટકે ખતમ ન કરી શકાય તેને શક્ય એટલે અંશે ઓછું અસમાન કરી શકવાનું કામ થઈ શકે.

ભારતમાં જ્યારે કોઈ પોતાનાં કામનાં ટેબલ પર ગણેશ કે મધર મેરી કે મક્કાની મસ્જીદનો ફૉટો મૂકે તો તેને પરંપરાગત સામાજિક પ્રણાલી તરીકે જોવામાં આવે છે. કેશીયરની તિજોરી પર લક્ષ્મીજીની મૂર્તિ હોય કે દિવાળીના દિવસે લક્ષ્મીપૂજા કરાય કે, કારખાનામાં વિશ્વકર્મા જયંતિ ઉજવાય એમાં કોઈને કંઈ અજુગતું ન લાગે. કોઈ મુસ્લિમ સહકર્મચારી નમાજ઼ પઢવા માટે સમય ફાળવે તો બીજા સાથીઓ તેને તે માટે સગવડ પણ કરી આપે.

ધર્મ, ઊદ્યોગ અને સમાજ એક બીજામાં હળીમળી ગયેલ હોય એવો સંકલિત અભિગમ પશ્ચિમ માટે અપરિચિત અવધારણા છે. પશ્ચિમનો અભિગમ તેની બહુરાષ્ટ્રીય કામગીરીને લગતી પારિસ્થિતિક તંત્રવ્યવસ્થાને આભારી છે, જેને પરિણામે બહુરાષ્ટ્રીય કોર્પોરેશનોનો ધર્મ સાથેનો વ્યવહાર અણઆવડતની મર્યાદાથી સભાન, ફુંકીફુકીને કામ લેવાનો કે પછી તેની સામે થવાનો, રહે છે. આપણે પણ ધર્મને આ યુરો-અમેરિકન શંકાશીલ દૃષ્ટિથી જોવા લાગ્યાં છીએ. એટલે બધું જ ક્યાં તો સાંપ્રદાયિક રંગો પાછળ સંતાઈ ગયેલું કે પછી ભડકાઉ રંગે રંગાયેલું દેખાય છે. વ્યાપાર ઉદ્યોગ માટે આમાનું કંઈ જ હીતકર નથી..

ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૮ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, My faith is My Business  નો અનુવાદ : અબ્રાહમી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો