બુધવાર, 3 જૂન, 2026

સૂપર્ણખા અને રાવણ વિશે અભિપ્રાય બાંધવો - દેવદત્ત પટ્ટનાઈક

 

રામાયણમાં, સૂર્પણખા નામની એક રાક્ષસી રામને ઝંખે છે અને તેમનો પ્રેમીકા બનવા માંગે છે. રામ તેના પ્રસ્તાવોને નકારે છે. એટલે સૂપર્ણખા રામના ભાઈ લક્ષ્મણ પાસે જાય છે, જે પણ તેના પ્રસ્તાવોને નકારે છે. સૂપર્ણખાને લાગે છે કે સીતાના ગયા પછી કદાચ બે પુરુષો ફરીથી વિચાર કરશે. તેથી તે સીતા પર હુમલો કરે છે, અને લક્ષ્મણ તેનું નાક કાપી નાખે છે. પરંપરાગત પુનઃકથાઓમાં, તે પ્રેમનું નાટક કરી પુરુષોને ફસાવતી, અતિશય કામુક રાક્ષસી બતાવાઈ છે, જેને જરૂર પડ્યે બળજબરીથી રોકવી પડે છે. આધુનિક પુનઃકથામાં, તે પિડીત બનેલી છે, રામ અને લક્ષ્મણ સ્ત્રી-દ્વેષી ખલનાયકો છે.

પછી સૂર્પણખા તેના ભાઈ, રાક્ષસોના રાજા, રાવણને ફરિયાદ કરે છે. તે બહુ વધારી ચડાવીને સીતાની સુંદરતાનું વર્ણન કરે છે. તેથી રાવણ આવીને, સીતાનું અપહરણ કરવા માટે કપટ અને બળનો પ્રયોગ કરે છે. સીતાને લંકા લઈ જવામાં આવે છે, અને તેમની ઇચ્છા વિરુદ્ધ ત્યાં રાખવામાં આવે છે. પરંતુ, રાવણ  બંદીવાન સીતા પર પોતાનું દબાણ કરતો નથી, જોકે લોકો આડીઅવળી ગપસપ કરે છે. પરંપરાગત પુનઃકથાઓમાં, રામની પત્નીનું અપહરણ કરવા બદલ, રાવણ એક ખલનાયક છે. આધુનિક વાર્તાઓમાં, રાવણ ખલનાયક નથી (તેણે તેની સાથે બળાત્કાર કર્યો નથી) તે હીરો છે, અને પીડિત પણ છે, રામ દ્વારા અન્યાયનો ભોગ બન્યો છે.રામને પિતૃસત્તાક, આર્ય આક્રમણખોર, હિન્દુ સર્વોપરીવાદી જેવી વિવિધ રીતે વર્ણવવામાં આવેલ છે.

જેમ જેમ તમે સૂર્પણખા અને રાવણના વર્તનને ન્યાયી ઠેરવતા અને રામના કાર્યોની નિંદા કરતી અનેક ચર્ચાઓ સાંભળો છો, તેમ તેમ તમને ખ્યાલ આવે છે કે આધુનિક શિક્ષણ દ્વારા સાચા અને ખોટાના પરંપરાગત ખ્યાલો કેવી રીતે ઉલટા માથે ફેરવાઈ ગયા છે. સ્વાભાવિક રીતે, પરંપરાગત સમાજ આધુનિક શિક્ષણને ઊંડી શંકાની નજરે જોઈ રહ્યો છે. બળાત્કારના કેસોને લડતા વકીલોની જેમ, વિદ્વાનો પણ પીડિતોને ખલનાયક અને ખલનાયકોને પીડિત બનાવી શકે છે. 

બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ અચાનક ન્યાયાધીશોને દોષી ઠેરવે છે. જે પુરુષો તેમની પત્નીઓ પ્રત્યે વફાદાર રહેવા માંગે છે તેમની પત્નીઓ સાથે 'આડા સંબંધો' રાખવા માંગતા લોકો દ્વારા તેમને ઘૃણાસ્પદ સ્ત્રીવિરોધી અથવા ગે ઠેરવવામાં આવે છે. જે સ્ત્રીઓ સેક્સ માટે સંમતિ આપતી નથી તેમની 'સતી સાવિત્રી' પ્રકારની અને ઉદાર મૂલ્યોનો અભાવ ધરાવતી સ્ત્રીઓ તરીકેની મજાક ઉડાવવામાં આવે છે. જે લોકો દલીલ કરે છે કે સેક્સની વ્યાખ્યાનો વિસ્તાર કરવો જોઈએ, તેઓ જ્યારે નજીકના મિત્ર પર આરોપ લગાવવામાં આવે છે ત્યારે તેમનો વિચાર બદલી નાખે છે. બળાત્કારની વ્યાખ્યા સંડોવાયેલા પક્ષોના ધર્મ, તેમની જાતિ અને વર્ગ સાથે બદલાય છે.

અને પછી પાછું આ ચર્ચાઓમાં ધાર્મિક રાજકારણ ભળે છે. બાબરી મસ્જિદ ધ્વંસ પછી, ધર્મનિરપેક્ષતાની ચિંતા કરનારા, ડાબેરીઓ માટે રામાયણના રામની નિંદા કરીને એકતા દર્શાવવી મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે તે હિન્દુત્વ ચળવળનું રાજકીય પ્રતિક છે. તેથી, સ્ત્રીઓ સામેની હિંસા સામેની વાતચીતમાં, તેઓ ફક્ત સૂર્પણખા સામે લક્ષ્મણના કાર્યો અને આ બાબતે રામના મૌનનો ઉલ્લેખ કરે છે. તેઓ રાવણનો ઉલ્લેખ કરતા નથી, જે સીતાને તેની સંમતિ વિના અપહરણ કરી જાય છે. જ્યારે તે બાબતનો નિર્દેશ કરવામાં આવે છે, ત્યારે એક વિકૃત તર્ક રજૂ કરવામાં આવશે: લગ્ન સમયે કોઈએ સીતાની સંમતિ લીધી ન હતી, તેથી રાવણના કાર્યો પણ વાજબી છે.

બીજી બાજુ, હિન્દુ સર્વોપરિતાવાદીઓ આગ્રહ રાખશે કે રામ 'સંપૂર્ણ પુરુષ' (પુરુષોત્તમ) છે, જ્યારે શાસ્ત્રો તેમને 'નિયમોનો સંપૂર્ણ અનુયાયી' (મર્યાદા પુરુષોત્તમ) કહે છે. આ એક સૂક્ષ્મ પણ બહુ મહત્વનો તફાવત છે જે ઘણા શિક્ષણવિદોને ખબર નથી. તેઓ રામાયણની સૂક્ષ્મ બારીકીઓ શોધવા કરતાં રામને ન્યાયી ઠેરવવા માટે ખૂબ ઉત્સુક છે. ઉદાહરણ તરીકે, સૂર્પણખાનું નાક કાપ્યા પછી, રામને ફરી ક્યારેય સુખ કેમ મળતું નથી? અને સીતાને તેની ઇચ્છા વિરુદ્ધ રાખ્યા પછી, રાવણ પોતાનું બધું જ - ભાઈઓ, પુત્રો, રાજ્ય - પોતાનું ગૌરવ પણ - કેમ ગુમાવે છેં. જે લોકોને આ જોવામાં અને સમજવામાં રસ છે તેમને માટે  પ્રાચીન લોકોએ આ રીતે ન્યાય નહીં, પરંતુ કર્મનો વિચાર દર્શાવ્યો હતો. કર્મ એ ભારતીય ખ્યાલ છે અને ન્યાય એ ગ્રીક ખ્યાલ છે.

  • મિડ-ડે માં ૪ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખJudging Surpanakha and Ravana નો અનુવાદ | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૩ જૂન ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો