લેબલ Why Socialists Don't Believe In Fun સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Why Socialists Don't Believe In Fun સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2026

સમાજવાદીઓ વિનોદમાં કેમ નથી માનતા, ૧૯૪૩ - જ્યોર્જ ઑર્વેલ [૧]

 


'યુટોપિયા (જોકે નવા ઘડાયેલા 'યુટોપિયા' શબ્દનો અર્થ 'સારી જગ્યા (આદર્શ સમાજવ્યવસ્થા)' નથી, તેનો અર્થ ફક્ત 'અસ્તિત્વમાં ન હોય તેવી જગ્યા' એટલો છે) છેલ્લા ત્રણ-ચારસો વર્ષથી સાહિત્યમાં પ્રચલિત છે, પરંતુ 'ગમતી વસ્તુઓ' હંમેશા આકર્ષક નથી હોતી, અને સામાન્ય રીતે જીવનશક્તિનો પણ તેમાં અભાવ હોય છે...'

નાતાલનો વિચાર કરતાં જ ચાર્લ્સ ડિકન્સના વિચારો લગભગ આપમેળે જ આવવા લાગે છે, એ માટે બે ખૂબ જ વજૂદવાળાં કારણો છે. પહેલી વાત તો એ કે, ડિકન્સ એવા થોડા અંગ્રેજી લેખકોમાંના એક છે જેમણે ખરેખર નાતાલ વિશે લખ્યું છે. નાતાલ એ અંગ્રેજી તહેવારોમાં સૌથી લોકપ્રિય તહેવાત છે, અને છતાં નવાઈની વાત એ છે કે તેના પર બહુ ઓછું સાહિત્ય લખાયું છે. ક્રિસમસનાં કેરોલ્સ છે મોટાભાગે મધ્યયુગીન મૂળના છે; રોબર્ટ બ્રિજીસ, ટી. એસ. એલિયટ અને કેટલાક અન્ય લોકો દ્વારા થોડી કવિતાઓ લખાઈ છે, અને ડિકન્સે પણ લખ્યું છે; પરંતુ એ સિવાય બીજું બહુ ઓછું છે. બીજું એ કે, ડિકન્સ આધુનિક લેખકોમાં ખુશીનું ચિત્ર રજૂ કરવામાં સક્ષમ હોવાના સંદર્ભમાં નોંધપાત્ર છે,. આ વાત ખરેખર લગભગ વિરલ છે.

ડિકન્સે ધ પિકવિક પેપર્સ[1]ના એક પ્રકરણમાં અને અ ક્રિસમસ કેરોલ[2]માં બે વાર નાતાલ વિશે સફળતાપૂર્વક રજૂઆત કરી છે. અ ક્રિસમસ કેરોલ લેનિનને તેમના મૃત્યુશય્યા પર વાંચી સંભળાવવામાં આવી હતી અને તેમની પત્નીના મતે, તેમને વાર્તાની 'મધ્યમ વર્ગની જુનવાણી, બુર્ઝવા, ભાવનાત્મકતા' સંપૂર્ણપણે અસહ્ય લાગી. હવે એક અર્થમાં લેનિન સાચા હતા: પરંતુ જો તેઓ વધુ સારા સ્વાસ્થ્યમાં હોત તો તેમણે કદાચ નોંધ્યું હોત કે વાર્તામાં રસપ્રદ સમાજશાસ્ત્રીય અસરો છે. શરૂઆતમાં, ડિકન્સ ગમે તેટલા રૂક્ષ લાગતા હોય, ટાઈની ટિમના 'દુઃખ' ગમે તેટલા ઘૃણાસ્પદ હોય, પણ ક્રેચિટ પરિવાર પોતાનો આનંદ માણતો હોય તેવી છાપ પડે છે. જેમકે, વિલિયમ મોરિસના ન્યૂઝ ફ્રોમ નોવ્હેરના નાગરિકો જેટલા ખુશ નથી લાગતા, એટલો ક્રેચિટ પરિવાર ખુશ લાગે છે. વધુમાં એ પણ ખરૂં કે ડિકન્સની આ સમજ તેમની બ ળી બાજુનાં રહસ્યોમાંનું એક છે - ડિકન્સની ખુશી મુખ્યત્વે વિરોધાભાસમાંથી પેદા થાય છે. ક્રેચિટ પરિવાર ઉત્સાહમાં છે કારણ કે તેમની પાસે હાલ પુરતું તો એક ટંકનું પૂરતું ખાવાનું તેમની પાસે છે. વરુ એમના દરવાજા પર છે, પરંતુ તે તેની પૂંછડી હલાવી રહ્યું છે. ક્રિસમસ પુડિંગની વરાળ ગીરવી રાખનાર શરાફની દુકાનો અને પરસેવાવાળા મજૂરીની પૃષ્ઠભૂમિ પર પ્રસરતી રહે છે, અને સ્ક્રૂજનું ભૂત રાત્રિભોજનના ટેબલની બાજુમાં, બેવડા અર્થમાં, ઉભું છે. બોબ ક્રેચિટ સ્ક્રૂજના સ્વાસ્થ્ય માટે શરાબનો એક ઘુંટ ટોસ્ટ કરવા માંગે છે, જે માટે શ્રીમતી ક્રેચિટ યોગ્ય રીતે સહમત ન થયાં. ક્રેચિટ પરિવાર ક્રિસમસનો આનંદ એટલા જ માટે માણી શકે છે ક્રિસમસ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે. તેમની ખુશી વિશ્વસનીય લાગે છે કારણ કે તેનું વર્ણન અધુરું રહે છે.

બીજી બાજુ, કાયમી સુખનું વર્ણન કરવાના બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે. 'યુટોપિયા (જોકે નવા ઘડાયેલા 'યુટોપિયા' શબ્દનો અર્થ 'સારી જગ્યા (આદર્શ સમાજવ્યવસ્થા)' નથી, તેનો અર્થ ફક્ત 'અસ્તિત્વમાં ન હોય તેવી જગ્યા' એટલો છે) છેલ્લા ત્રણ-ચારસો વર્ષથી સાહિત્યમાં પ્રચલિત છે, પરંતુ 'ગમતી વસ્તુઓ' હંમેશા આકર્ષક નથી હોતી, અને સામાન્ય રીતે જીવનશક્તિનો પણ તેમાં અભાવ હોય છે.

અત્યાર સુધી, સૌથી જાણીતા આધુનિક યુટોપિયા સર્જક એચ. જી. વેલ્સ છે. ભવિષ્ય વિશે વેલ્સનું દર્શન વીસીના દાયકાની શરૂઆતમાં લખાયેલા બે પુસ્તકો, ધ ડ્રીમ[3] અને મેન લાઈક ગોડ્સ[4]માં, લગભગ સંપૂર્ણપણે, વ્યક્ત થયું છે. એમાં આપણી સમક્ષ વિશ્વનું એક એવું ચિત્ર છે જે વેલ્સ જોવા માંગે છે અથવા વિચારે છે કે તે જોઈ શકે. તે એક એવી દુનિયા છે જેના મુખ્ય મુદ્દાઓ પ્રબુદ્ધ (સુખ એજ ખરુ સાધ્ય છે એવો) સુખવાદ અને વૈજ્ઞાનિક જિજ્ઞાસા છે. આપણે હવે જે દુષ્ટતાઓ અને દુઃખોથી પીડાઈ રહ્યા છીએ તે અદૃશ્ય થઈ ગયેલ છે. અજ્ઞાનતા, યુદ્ધ, ગરીબી, ગંદકી, રોગ, હતાશા, ભૂખ, ભય, વધુ પડતું કામ, અંધશ્રદ્ધા બધું જ અદૃશ્ય થઈ ગયું છે. આ રીતે વ્યક્ત કરવામાં આવે તો, તે નકારી શકાય નહીં કે આ જ પ્રકારની દુનિયા છે જેની આપણે બધા આશા રાખીએ છીએ. આપણે બધા એ જ વસ્તુઓને નાબૂદ કરવા માંગીએ છીએ જે વેલ્સ નાબૂદ કરવા માંગે છે. પરંતુ શું કોઈ એવું છે જે ખરેખર વેલ્સકૃત યુટોપિયામાં રહેવા માંગે છે? તેનાથી વિપરીત, આવી દુનિયામાં ન રહેવું, ખુલ્લાં સ્કૂલમાર્મ્સથી ભરેલા સ્વચ્છ બગીચાના પરામાં ન ઊંઘમાંથી ન જાગવું, ખરેખર એક સભાન રાજકીય હેતુ બની ગયો છે. બ્રેવ ન્યૂ વર્લ્ડ જેવું પુસ્તક એ વાસ્તવિક ભયની અભિવ્યક્તિ છે જે બનાવવાની તેની શક્તિમાં છે એવાતર્કસંગત સુખવાદી સમાજ પ્રત્યે જે આધુનિક માણસ અનુભવે છે. એક કેથોલિક લેખકે તાજેતરમાં કહ્યું હતું કે યુટોપિયા હવે તકનીકી રીતે શક્ય છે અને પરિણામે યુટોપિયાથી કેવી રીતે બચવું તે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આપણે આને ફક્ત એક મૂર્ખ ટિપ્પણી તરીકે કાઢી નાખી શકીએ તેમ નથી. કારણ કે ફાશીવાદી ચળવળના સ્ત્રોતોમાંનો એક સ્રોત ખૂબ જ તર્કસંગત અને ખૂબ જ આરામદાયક વિશ્વને ટાળવાની ઇચ્છા છે.

બધા 'અનુકૂળ' યુટોપિયાઓ સંપૂર્ણતાનો અંદાજ લગાવવામાં સમાન લાગે છે પરંતુ સુખ સૂચવવામાં અસમર્થ હોય છે. 'ન્યૂઝ ફ્રોમ નોવ્હેર' એ વેલ્સકૃત યુટોપિયાનું એક પ્રકારનું અચ્છો અચ્છો વાનાં પ્રકારનું સંસ્કરણ છે. દરેક વ્યક્તિ દયાળુ અને વાજબી છે, ઘર સજાવટનો બદો અસબાબ લિબર્ટીમાંથી આવે છે, પરંતુ જે છાપ રહી જાય છે તે એક પ્રકારની ભીની ઉદાસીનતાની છે. પરંતુ વધુ પ્રભાવશાળી વાત એ છે કે અત્યાર સુધીના મહાન કલ્પનાશીલ લેખકોમાંના એક, જોનાથન સ્વિફ્ટ અન્ય લોકો કરતા 'અનુકૂળ' યુટોપિયા બનાવવામાં વધુ સફળ નથી રહ્યા.

ગુલિવર ટ્રાવેલ્સના પહેલાના ભાગો માનવ સમાજ પર લખાયેલો કદાચ સૌથી વિનાશક હુમલો છે. તેનો દરેક શબ્દ આજે સુસંગત છે; કેટલીક જગ્યાએ તેમાં આપણા સમયની રાજકીય ભયાનકતાઓની ખૂબ વિગતવાર ભવિષ્યવાણીઓ તરીકે જોવા મળે છે. જોકે, જે પ્રજાતિની તેઓ પ્રશંસા કરે છે તેનું વર્ણન કરવાના પ્રયાસમાં સ્વિફ્ટ નિષ્ફળ જાય છે. છેલ્લા ભાગમાં, ઘૃણાસ્પદ યાહૂથી વિપરીત, આપણને બુદ્ધિશાળી ઘોડાઓ, ઉમદા હૌયહ્નમ્સ બતાવવામાં આવ્યા છે જે માનવ નબળાઇઓથી મુક્ત છે. હવે તેમનાં તમામ ઉચ્ચ ચારિત્ર્ય અને અવિશ્વસનીય સામાન્ય સમજ છતાં આ ઘોડાઓ નોંધપાત્ર રીતે ઉદાસ જીવો છે. અન્ય વિવિધ યુટોપિયાના રહેવાસીઓની જેમ તેઓ મુખ્યત્વે ઝઘડા ટાળવા માટે ચિંંતિત રહે છે. તેઓ અણધારી ઘટનાઓ વિનાનાં, શાંત, 'વાજબી' જીવન જીવે છે. બસ, એ લોકો ઝઘડા, અવ્યવસ્થા અથવા કોઈપણ પ્રકારની અસુરક્ષાથી જ મુક્ત નથી, પરંતુ શારીરિક પ્રેમ સહિતની 'ઉત્કટ લાગણીઓ'થી પણ મુક્ત છે. તેઓ સુપ્ર્જનન સિદ્ધાંતો પર તેમના જીવનસાથી પસંદ કરે છે, સ્નેહના અતિરેકને ટાળે છે, અને જ્યારે તેમનો સમય આવે છે ત્યારે મૃત્યુ પામવા માટે કંઈક અંશે ખુશ દેખાય છે. પુસ્તકના પહેલા ભાગોમાં સ્વિફ્ટે બતાવ્યું છે કે માણસની મૂર્ખાઈ અને બદમાશી તેને ક્યાં દોરી જાય છે: પરંતુ મૂર્ખાઈ અને બદમાશીને દૂર કર્યા પછી તમારી પાસે જે બાકી છે, દેખીતી રીતે, એક હૂંફાળું પ્રકારનું અસ્તિત્વ છે, જે જીવવા યોગ્ય નથી રહેતું.

આમ એટલું બહુ સ્પષ્ટ જણાય છે કે અન્ય-દુન્યવી સુખનું વર્ણન કરવાના પ્રયાસો અત્યાર સુધી બહુ સફળ થયા નથી. સ્વર્ગ યુટોપિયા જેટલું જ નિષ્ફળ છે, જોકે સાહિત્યમાં નરક આદરણીય સ્થાન ધરાવે છે, અને ઘણીવાર તેનું વર્ણન ખૂબ જ ઝીણવટથી અને ખાતરીપૂર્વક કરવામાં આવેલું જોવા મળતું હોય છે.

+                              +                             +                              +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Why Socialists Don't Believe In Fun, 1943નો અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

[1] The Pickwick Papers – Charles Dickens

[2] A Christmas Carol:   A Ghost Story of Christmas – Charles Dickens

[3] The Dream: A novel by H. G. Wells

[4] Men Like Gods – H G Wells