વૅન્ડી ડૉનીગરે તેમનું
પુસ્તક 'ધ હિન્દુસ્ ' 'સારી લડાઈના કોમરેડ'ને અર્પણ કર્યું છે.
સારી લડાઈ? કોણ કોની સાથે લડે છે? હિંદુ દેવીદેવતાઓ
વિષેની તેમનાં મનો-જાતીય વિશ્લેષ્ણ માટે એક જાહેર સમારંભમાં તેમની પર ઈંડાં
ફેંકનારાંઓ સાથેની લડાઈ? કાવતરાંવાદપરનાં પુસ્તકોમાં હિંદુ
ધર્મને ભારતના ઈતિહાસ અને ફીલૉસૉફીને નવાં ચોકઠાંમાં બેસાડીને ભાગલા પાડતાં
દેખાતાં યુરો-અમેરિકન વિદ્વાનોનાં એક ઉન્માદથી ચીંથરાં ઊડાડતા તેમના જૂના વિરોધી
રાજીવ મલ્હોત્રા સાથે?કે તેમનાં પુસ્તકને રદ્દી કરાવીને
જંપનાર બાત્રા સાથે, જેઓ ખુદ હવે પોતાનાં પુસ્તકો ગુજરાતની શાળાઓમાં પૂરક
વાંચન તરીકે સ્વીકારાતાં જોતા બેઠા છે?
લડાઈ છેડી ચૂકાઈ છે તે
વિષે કોઈ જ શંકા રહી નથી. એક તરફ એ લોકો છે જે ભારતને પિતૃપ્રધાન, વિશેષાધિકારો ભોગવતા, દલિત વર્ગોના અવાજને
કચડી નાખતા ભારતીયોથી બચાવવા માગે છે.
બીજી બાજૂ એવો વર્ગ છે જે આવા જાતે તારણહાર કહેવડાવતા લોકો તરફથી ખરાં ભારતને ખતરો
છે એમ માને છે.
આ લડાઈ બીનનિવાસી
ભારતીયો જ્યાં વધારે સંખ્યામાં રહે છે તે અમેરિકામાં વધારે મોટે પાયે જોવા મળે છે
કારણકે એ લોકોને આત્યંતિક પૂર્વગ્રહોનો સામનો કરવો પડતો રહે છે. ભારતીય, તેમાં પણ હિંદુ હોવાને
કારણે ખાસ હંમેશાં દયનીય સ્થિતિમા રહેવું પડે છે અને ચિત્રવિચિત્ર સવાલોના જવાબો આપવા પડે છે. થોડા સમય પહેલાં
ન્યુ યોર્ક ટઈમ્સ અને ઈકોનોમિસ્ટના એક લેખમાં ભારતમાં ખુલ્લામાં શૌચક્રિયા કરવાની
વૃત્તિને મનુ સ્મૃતિ સાથે સાંકળી લેવામાં આવી હતી !
ભારતીય સંસ્કૃતિ પર
પાશ્ચાત્ય વિદ્વાનોએ લખેલાં કેટલાંક (ફરી ફરીને કહેવું રહેશે કે, બધાં નહીં)પુસ્તકોમાં
નિરપેક્ષ માહિતીનું જરા ગરબડીયા ઝુકાવવાવાળું અર્થઘટન જોવા મળશે. સમ્રાટ અશોકની
યાદ ભારતમાં નથી જોવા મળતી તેને બ્રાહ્મણવાદનું બૌદ્ધધર્મ સામેનું કાવતરૂં
ગણાવાયું છે. ગીતામાં હિંસાને ભડકાવવામાં અવી છે તેમ દલીલ કરાઈ છે.રામાયણને નારીઓ, આદીવાસીઓ અને નીચલા
વર્ગો સામેના દુષ્પ્રચારની કથા તરીકે
ખપાવવામાં આવી રહેલ છે. પ્રચાર માધ્યમો અને શૈક્ષણિક ચર્ચાઓમાં આવી રજૂઆતોને જૂની
યુરોપિયન પૌવાર્ત્ય ઝુંબેશનું વિસ્તરણ
તરીકે જોઈ શકાય જેમાં હિંદુસ્તાનને ઈતિહાસની કોઈ જ પ્રકારની વિચારણા વિનાના
મદારીઓની બીન પર ડોલતા સાપનૃત્યોના દેશ તરીકે જ ઓળખવામાં આવે છે.દિવાલ તરફ વધારેને
વધારે ભીંસાતું રહેવું પડે એટલે રોષ વધતો જાય. ભારતમાંના અત્યંત જમણેરીઓની
પાઠ્યપુસ્તકોને ફરીથી લખવાની વૃત્તિનાં મૂળ અહીં જોઈ શકાય.
કમનસીબે, આ હિંદુ વિરોધી વલણ
સામેના ઉપાયો પાછા વિચિત્રતાઓની સીમાઓને અડી રહે છે અને મોટે ભાગે વૈજ્ઞાનિક
તપાસના પાયાના સિધ્ધાંતોને નેવે મૂકી દે છે. આમ આ તો નહાવાનાં પાણી સાથે બાળકને
ફેંકી દેવાવાળો ઘાટ થાય છે. આમ આપણી આજની સરકાર બહુ આતુરતાથી માની લે છે કે હિંદુ
સંવેદનાઓને જે ન ગમે તેવી ઇતિહાસકારોએ કહેલી કોઈ પણ વાત જૂઠાણું જ છે અને હિંદુ
મહાકાવ્યોમાં વપરાયેલ અર્થાલંકારો સહિતનું બધું જ શબ્દશ: સત્ય છે.
એક વિચિત્રતા એ પણ છે
કે 'મિશનરી' પ્રવૃત્તિઓનો જોરશોરથી વિરોધ
કરનારાં કેટલાંક લોકો 'વાપસી'ના મુદ્દે , પાછાં ફરેલાં લોકોને
ગીતા જેવા ધર્મગ્રંથો કે ઇતિહાસમાં જેને કોઈ માન્યતા ન મળી શકે એવી હિંદુસ્તાનના
ભૂતકાળની એવી કાલ્પનિક કથાઓનાં ફરજીયાત વાંચન જેવી પ્રવૃત્તિઓનાં સ્વરૂપે, એટલાં જ મિશનીરી
જોશમાં આવી જતાં જોવા મળે છે. હિંદુ ધર્મને ભારત સાથે સરખાવવાની અને તેને કારણે
આપણાં સાંસ્કૃતિક વૈવિધ્યને ભૂંસી નાખી એકહથ્થુ એકતા ઠોકી બેસાડવાની વૃત્તિને
કારણે દરેક પ્રકારની રચનાત્મક વિચારસરણી માટે કોઈ જ બારણાં ખુલ્લાં નથી રહેતાં.
ઈતિહાસનો ઉદ્દેશ્ય
નિરપેક્ષ સત્યને દસ્તાવેજ કરવાનો હોવા છતાં તે ઉપલબ્ધ માહિતીની મર્યાદામાં સિમિત
બની જાય છે. તેમાં આપણા જેવા દેશમાં તો ભરોસાપાત્ર માહિતીસ્ત્રોતો જ સાવ અધૂરા અને
ઓછા હોય ત્યારે પરિસ્થિતિ વિકટ બની જાય છે. તેની સામે પુરાણશાસ્ત્રોમાં સાપેક્ષ સત્ય,લોકોની દુનિયા વિષેની માન્યતાઓ અને
લોકો પોતાની ઓળખ કયા આધારે ઘડે છે તેનું નિરૂપણ હોય છે. બન્ને પોતપોતાની જગ્યાએ મહત્ત્વનાં છે.
ઈતિહાસમાંથી હેતુલક્ષિતા કાઢી નાખી, કે પુરાણોમાંથી વસ્તુલક્ષિતા દૂર
કરી, એકબીજાંને 'સત્ય અને માત્ર પૂર્ણ સત્ય'ની ખોજના સાધન તરીકે
મહત્ત્વ આપવાના અભિગમનાં દૂરગામી પરિણામો બહુ જોખમકારક નીવડી શકે છે.
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Objective fact vs subjective truth: A textbook fightનો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૯ જુલાઈ, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો