ગુરુવાર, 23 મે, 2013

ચુંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો - ઉમાશંકર જોશી - ગુજરાતી કાવ્ય : વલીભાઇ મુસા:



મારા મિત્ર શરદ શાહે, થોડા સમય પહેલાં મારા આ પ્રકારના લેખ - વિલિયમ વર્ડ્સવર્થ(William Wordsworth)નું અંગ્રેજી કાવ્ય "વી આર સેવન"‘We Are Seven’ - ઉપર ટીપ્પ્ણી કરેલી. તેમના અભિપ્રાય મુજબ, ગુજરાતી કે હિંદી કે ભારતની કોઇ પણ પ્રાંતીય ભાષાઓમાં લખાતી કવિતાઓમાં અંગ્રેજીમાં લખાતી કવિતાઓ કરતાં વધારે રસ અને સૌંદર્ય હોય છે. જેના જવાબમાં મારૂં કહેવું હતું કે કોઇ એક ભાષામાં બીજી ભાષાઓ કરતાં વધારે સારૂં સાહિત્ય થતું રહે છે, તેવું સર્વસામાન્ય તારણ કરી લેવું ઉચિત નથી. ભારતીય ભાષાઓનું સાહિત્ય બહુ જ ઉત્કૃષ્ટ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેનો બહુ પ્રસાર નથી થયો તે સાચું છે. જે સાહિત્યનો અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં લખાય કે અનુવાદ થાય તે સાહિત્યને જ વૈશ્વિક ક્ષેત્રે પ્રસિધ્ધિ મળવાની શક્યતાઓ વધારે રહે છે, તે તો સ્વાભાવિક જ છે.

અંગ્રેજીમાં જેનો અનુવાદ ‘The Flute Vendor’ શિર્ષક હેઠળ કર્યૉ છે, તે સ્વર્ગસ્થ શ્રી ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮)નાં મૂળ ગુજરાતી કાવ્ય "વાંસળી વેચનારો'નો, રસાસ્વાદ કરાવવાનું મેં આજે નક્કી કરેલ છે. જ્યારે ક્યારે પણ ગુજરાતી ભાષા અને તેનાં સાહિત્યની ક્યાંય પણ ચર્ચા થશે , ત્યારે ત્યારે શ્રી ઉમાશંકર જોશીનો ઉલ્લેખ થયા વિના રહેશે નહિ. તેઓશ્રી લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. સાહિત્ય ક્ષેત્રનાં કંઇ કેટલાય સન્માનો અને ખિતાબો તેમને મળ્યાં છે.

એક આડવાત તરીકે હું આપને જાણ કરવાની લાલચ રોકી નથી શકતો કે મારા અનુસ્નાતક કક્ષાના અબ્યાસકાળ દરમ્યાન, મહાવિદ્યાલયનાં વાર્ષિકોત્સવના ભાગ રૂપે યોજાયેલ શીઘ્ર વક્તવ્ય સ્પર્ધામાં બીજું સ્થાન મેળવવાનું પ્રમાણપત્ર તે ઉત્સવના મુખ્ય મહેમાન એવા શ્રી ઉમાશંકર જોશીના હાથે મેં મેળવ્યું છે.અજાણ વિષયની ચીઠ્ઠીવાળાં પરબિડિયામાં તે દિવસે મારે ભાગે "આજે જો મહાત્મા ગાંધી હયાત હોત તો...' એ વિષય પર તે જ સમયે જે સૂઝે તે રજૂ કરવાનું સર્જાયું હતું.

આપણે કાવ્યની ચર્ચા હાથ પર લઇએ, તે પહેલાં વાચક્ને તે કાવ્યનો પરિચય પણ થવો જોઇએ, તેથી પહેલાં મૂળ ગુજરાતીમાં, અને પછી તેના અંગ્રેજી અનુવાદ સ્વરૂપે કાવ્ય અહીં પ્રસ્તુત કરેલ છેઃ

વાંસળી વેચનારો

’ચચ્ચાર આને !
હેલી અમીની વરસાવો કાને !
ચચ્ચાર આને !

હૈયાં રૂંધાયાં વહવો ન શાને !’
મીઠી જબાને લલચાવી હૈયાં,
રસે પૂરા કિંતુ ખીસે અધૂરા,
શ્રમીણકોને અમથું રિબાવતો,
બરાડતો જોરથી બંસીવાળો.

ઘરાક સાચા સુણવા ના પામે
વેગે જતી ગાડી મહીં લપાઈ જે
બંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.

‘ચચ્ચાર આને !’
ના કોઈ માને
અને ખભે વાંસળી-જૂથ એનું
થયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં !

‘ચચ્ચાર આને!’
લો, ને રમો રાતદી સ્વર્ગ તાને !
‘ચચ્ચાર આને?’

‘દે એક આને !’
‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,
છો ના ખપી ! ઈંધણથી જશે નહીં.
ચચ્ચાર આને ! બસ ચાર આને !!

પાછા વળંતાં, પછી જૂથમાંથી
ખેંચી મજાની બસ એક બંસી,
અષાઢની સાંજની ઝરમરોમાં
સૂરો તણાં રંગધનુ ઉડાવતી,
એણેય છેડી ઉરમાંથી ઝરમરો !.

જીવંત આવી સુણી જાહિરાત, કો
બાર મહીંથી જરી બ્હાર ઝૂકતી
બોલાવતી તાલી સ્વરેથી બાલા.
હવે પરંતુ લયલીન કાન,
ઘરાકનું લેશ રહ્યું ન ભાન !

- ઉમાશંકર જોશી

A Flute Vendor
“Four annas1 a piece!
Have a shower of nectar
deluge your ears!
Four annas a piece!
Why not let
your suffocated hearts gush?”
Cried loudly the flute vendor
enticing with a sweet tongue
the bosoms
of those relishing melody
but with empty pockets,
unfairly tormenting the toilers!
The genuine customers
were bereft of music.
Cozily listening to the flute
of amorous words
were those
speeding in cars.
“Four annas a piece!”
And despite wandering
no one bought
and the burden of the bunch
on his shoulders
diminished not.
“Four annas only!
Buy and revel
day and night
in heavenly melody!”
“Four annas each?”
“Sell for an anna.”
“No sir, no.
Will return to my village
though they remain unsold.
This is no firewood stock.
Four annas each.
Only at four annas a piece.”
Turning back, he picked
a nice one from the bunch of flutes.
In the drizzle of Ashadh2
he too began to spray from his heart
a fount of rainbow notes!
Hearing this live display
a maid from a window peeped
beckoned him with a clap.
Ears immersed in lilt the vendor
remained oblivious of the customer.
- Umashankar Joshi
1. An anna was one-sixteenth of a rupee. Now, 4 annas = INR 0.25
2. The first month of monsoon
કોઇ એક ઘટનાની વાર્તા કહેતું આ મુક્ત છંદ - કોઇ પણ માત્રા વિનાનું/ મુક્ત પ્રાસ શૈલિમાં લખાયેલું - કાવ્ય છે. કાવ્યનો નાયક કામદાર પણ છે, અને કલાકાર પણ છે. કાવ્યની શરૂઆતમાં તે વાંસળી વેંચનારની ભૂમિકામાં રજૂ થાય છે. કાવ્યમય, શ્રૃંગાર રસસભર, મૌખિક જાહેરાતસમી ભાષામાં, તે પોતાને ખભે રાખેલ થેલામાંથી વાંસળીઓ વેચવાનો પ્રયત્ન કરે છે. પણ તેમાં તે સફળ થતો નથી. કેટલાક મહેનતકશ વર્ગના લોકોને મન વાંસળીનું કોઇ મૂલ્ય જ નથી હોતું. તેમને મન તો તે એક લાંબી નળી જેવા વાંસમાં, જેમાંના કોઇક કાણાંને આંગળીઓથી બંધ કરો, કોઇક ને ખુલ્લાં રાખો અને એક છેડેથી ફૂક મારો એવી, સમાન્ય કારીગીરીની, કાણાં પાડેલ એવી એક વસ્તુથી વધારે કંઇ જ નથી. મજૂર જેવા કોઇ સામાન્ય વર્ગનાં કેટલાંક લોકોને તેની ચાર આનાની કિંમત પોષાતી નથી, તેથી તેઓ એક આનામાં તે વાંસળીને ખરીદવા માટે રકઝક કરે છે.

આ કાવ્યના ગુજરાતી પાઠ મુજબ મારા મતે, "છો ના ખપી! ઈંધણથી જશે નહીં" નો એ અર્થ અભિપ્રેત છે કે વાંસળીને એક આનામાં વેચવાને બદલે, ન વેચાએલી વાંસળીઓનો ઈંધણનાં લાક્ડાં તરીકે ઉપયોગમાં લઈ લેવાની તેની તૈયારી એ પોતાની કલાકાર તરીકેની ખુમારીની દ્યોતક છે. શેરીએ શેરીએ તેની રઝળપાટને અંતે પણ તેના ખભા પરનો ભાર જરા પણ હળવો થતો નથી. એ દિવસની તેના ધંધાની સરિયામ નિષ્ફળતાએ તેને હતાશ નથી કરી નાખ્યો. હવે, તેના થેલામાંથી એક વાંસળીને હોઠે લગાડીને તે તેના સૂરને સૂરોને વહેવડાવવાનું શરૂ કરે છે. આ હતી તેની જીવંત જાહેરાત, જેનાથી એક બાળકી તેના તરફ આકર્ષાય પણ છે. બારીમાંથી ઝૂકીને, હાથેથી તાળી પાડીને તે બાળકી વાંસળીવાળાનું ધ્યાન ખેંચવા મથે છે. પણ હવે, વાંસળીવાળો તેનાં તાનમાં એવો મશગુલ છે કે તેનાં આ સંભવીત ગ્રાહક તરફ તેનું ધ્યાન નથી જતું. તેના કાનમાં તો તેની જ વાંસળીની ગુંજન ગુંજ્યા કરે છે. આ વખતે નથી તો તે વાંસળીનો વિક્રેતા! તે તો હતો, હવે એક કલાકાર, એક્માત્ર સાચો કલાકાર જ છે.

આમ આ કાવ્ય પણ શેક્સપિરીઅન ઢબના સૉનેટની જેમ આ શબ્દોમાં અંત પામે છે કે ‘હવે પરંતુ લયલીન કાન, ઘરાકનું લેશ રહ્યું ન ભાન !’
-          વલીભાઇ મુસા
Ø  મૂળ લેખ, અંગેજીમાં Expositions of Chosen Poems – 3 (The Flute Vendor-A Gujarati Poem) શિર્ષક હેઠળ, ૯મી મે, ૨૦૧૧, અને અનુવાદ "(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો ઉમાશંકર જોશી ગુજરાતી કાવ્ય" શિર્ષક હેઠળ ૧૫મી મે,૨૦૧૩ ના રોજ લેખકની વેબસાઇટ William’s Tales (Bilingual Multi Topic Reads) પર પ્રકાશિત થયેલ.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   મે ૨૩, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો