ગુરુવાર, 15 મે, 2014

રામાયણ જેવી કથા કેમ કરીને કહેવી? - દેવદત્ત પટ્ટનાઇક

રામાયણની વાત આમ તો સાવ સીધી અને સરળ છે : એક સમયે એક રાજા હતો જેને ત્રણ રાણીઓ અને ચાર પૂત્રો હતા; મહેલની રાજ ખટપટને કારણે જ્યેષ્ઠ પૂત્રએ વનવાસ વેઠવો પડ્યો, જ્યાં તેની પત્નીને એક દાનવ ઉપાડી ગયો. તેણે વાંદરાઓની મદદથી પોતાની પત્નીને છોડાવી અને પોતાનાં રાજ્યમાં પાછા ફરી પોતાની ગાદી ફરીથી મેળવી; જો કે છેવટે તેણે પોતાની પત્નીના દાનવને ત્યાંના વસવાટને લઇ ને ઉડતી અફવાઓને કારણે પત્નીનો  ત્યગ કર્યો. વાર્તાની આ સાદગી ભ્રામક છે, કારણ કે કથાવસ્તુની ગુંથણી સંબંધો અને સગપણ, વફાદારી, સંપત્તિ કે સ્વ-કલ્પનાચિત્ર જેવા કેટલાક અગત્યના સામાજીક મુદ્દાઓને સમજાવે છે, જેને કારણે તે વારંવાર કહેવાતું રહ્યું છે અને દરેક પુનર્વાંચન નવા નવા મુદ્દા કે દૃષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રીત કરતું રહે છે. મારું પુસ્તક "સીતા" દેવી સીતાને ફલક પર કેન્દ્રમાં રાખીને રામાયણની વાત કહે છે.
સામાન્યતઃ  પ્રચલિત માન્યતાથી વિપરીત, રામાયણ બહુ બધાં અર્થઘટનો થયાં હોય તેવું, કે કોઇ એક લેખકે લખેલ, એક જ પુસ્તક નથી. એ તો સદીઓથી ચાલતી, સદીઓથી પનપતી મુક્ત-સ્રોત વિચારકો વડે સંવર્ધિત થતી રહેતી પરંપરા છે, જે હવે અનેક શાખાઓ અને પ્રશાખાઓમાં ફેલાઇ ચૂકેલ વટવૃક્ષ બની રહેલ છે. રામાયણના 'નદ'નો વિધિપૂરઃસરનો અભ્યાસ કરવાથી ભારતીય માનસે ઇતિહાસના વિવિધ પડકારોને જે રીતે ઝીલ્યા છે તેનો ચિતાર મળે છે. આ પૈકી ત્રણ મુખ્ય પડકારો ખાસ ધ્યાન ખેંચે છે : મઠમાં વસવાટના અભિગમને મહત્વ આપતો બૌદ્ધ ધર્મ, ધાર્મિક "ગ્રંથ'ને મહત્વ આપતો ઇસ્લામ, અને આખરે, હિંદુઓની જીવન શૈલિ તરીકે સ્વીકૃત સમયાતીત અભિભાવનાનું ઐતિહાસીકરણ કરવા તરફ જોર લગાવ્યું તેવો યુરોપિયન પડકાર.
ઘ્ણી દૃષ્ટિએ રામાયણ પોતે જ બૌદ્ધ ધર્મને પડકાર સ્વરૂપે પણ જોઇ શકાય.બૌદ્ધ ધર્મ વૈભવમાં ઉછરેલા એક રાજકુંવરના કુટુંબ ત્યાગથી સંન્યસ્તના માર્ગની વાત પર અવલંબે છે, જ્યારે રામાયણમાં કૌટુંબીક પરંપરાઓ અને જવાબદરીઓનાં વહનની ફરજ  માટે કરીને વનવાસ ભોગવતા અને વનવાસથી પરત આવ્યા બાદ પોતાની એ ગાદી પર ફરીથી વિરાજમાન થતા વિજયી નાયકની કથા છે. આ આખી વાત વાલ્મિકીની કલ્પના હતી ? આપણને કદાચ ક્યારે પણ જાણવા નહીં મળે. એક માન્યતા મુજબ, વાલ્મિકીએ આ મહાગ્રંથની રચના, બૌદ્ધ સંપ્રદાયના વિકાસની લગભગ સમકાલીનઇસવી સન પૂર્વે લગભગ ૫૦૦ વર્ષ પહેલાં, કરી હતી. ઇસવી સન પૂર્વે ૨૦૦થી લઇને ઇસવી સન ૨૦૦ સુધીમાં, લેખીત સ્વરૂપે ગ્રંથસ્થ થયા પહેલાં તો કાનોપકાન પ્રસારીત થતું રહ્યું. તેમાં જોવા મળતી ખગોળીય વિગતો પ્રમાણે રામ ઇસવી સન પૂર્વે લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં  થઇ ગયા હોવા જોઇએ. આ માટે કોઇ ઐતિહાસીક આધાર છે ખરો કે પછી તે એક કાવ્યાત્મક અડસટ્ટો માત્ર જ છે ? આપણી પાસે જાણી શકવાનો કોઇ માર્ગ નથી કારણ કે આ વાતને સિદ્ધ કરે તેવા કોઇ ખગોળીય પૂરાવા તો જોવા નથી મળતા.આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે રામમાં સામાન્ય માનવીમાં ન હોય તેવાં ઘણાં ઇશ્વરીય તત્વો દેખાતાં હોવા છતાં પણ વાલ્મિકીની નજરોમાં, રામ ઇશ્વરનો અવતાર નહીં પણ  એક આદર્શ પુરૂષ અને રાજા હતા. આ પુરૂષોત્તમ રામની આસપાસ ભાસ કે ભવભૂતિ કે કાલિદાસ રચિત ઘણા પ્રશિષ્ટ સંસ્કૃત ગ્રંથો રચાતા ગયા.  બૌદ્ધ ગ્રંથોમાં તે બોધિસત્વ અને જૈન ગ્રંથોમાં તે બળદેવ તરીકે જોઇ શકાય છે. સમુદ્ર માર્ગે વેપાર ખેડતા વેપારીઓ થકી તેમનો પ્રસાર દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પણ થયો, જ્યાં આજે પણ લોકોની મનોભાવના રામની પરિકલ્પનાથી પ્રજ્વલિત થતી રહે છે. એક બાજૂ જ્યારે આ બધું થઇ રહ્યું હતું, ત્યારે ભારતનાં તે સમયના ગ્રામીણ વિસ્તારોમાં કંઇ બહુ જ નાટકીય ઘટનાઓ બની રહી હતી.
હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થઇ રહ્યા હતા. જૂના વૈદીક મંત્રોચ્ચારો અને કર્મકાંડોની જગ્યા ઇશ્વરવાદને પ્રધાન્ય આપતાં પુરાણો અને આગમો લઇ રહ્યાં હતાં. આ ઇશ્વરવાદને બૌદ્ધ મઠવાસી કે અજ્ઞેયવાદની  વિચારસરણી સ્વીકાર્ય નહોતી. પુરાણોના ભગવાનને ગૃહસ્થ જીવનશૈલિ વધારે પસંદ હતી. સંન્યાસી શિવને દેવી શક્તિએ કેમ ગૃહસ્થાશ્રમ તરફ વાળી લીધા, કે કૌટુંબીક સમસ્યાઓનાં સમાધાન માટે કરી ને વિષ્ણુએ લીધેલા અવતારોની કથાઓ ફેલાવા લાગી. રામ પણ વિષ્ણુના અનેક અવતારો પૈકી એક અવતાર બની, તેમનાં માનમાં નવાં સર્જાતાં મંદિરોમાં પૂજાવા લાગ્યા. રામની વિષ્ણુના અવતાર તરીકેની સહુથી જૂની મૂર્તિ, ઇસવી સન ૫૦૦માં રચાયેલ, ઉત્તર પ્રદેશનાં દેવગઢનાં મંદિરમાં જોવા મળે છે. આમ રામની કથાના સહુથી પહેલા ઉદ્‍ભવ બાદ લગભગ હજારેક વર્ષ પછી તેમનું દેવત્વ પ્રસ્થાપિત થતું જણાય છે.
તે પછીનો પડકાર આવ્યો ઇસ્લામના આગમનનાં સ્વરૂપે. અચાનક  જ 'ગ્રંથ' મહત્વનો બની ગયો. હિંદુઓ હોય કે બૌદ્ધો હોય કે જૈનો હોય, દરેક સંપ્રદાયમાં ગ્રંથ તો હતા, પરંતુ તેમનું મહત્વ શિક્ષિત ઉચ્ચ વર્ગ પૂરતું જ મર્યાદીત હતું. પણ કોઇ એક જ ગ્રંથને જ 'પવિત્ર' માનવાની પરિકલ્પના તો હતી જ નહીં. મોટા ભાગનાં લોકો અભણ હતાં. તેઓ ઇશ્વર વિષે વાંચતાં નથી, તેઓ તો ઇશ્વરની કથાઓ સાંભળતાં રહે છે, ગીતો ગાતાં રહે છે, કે ગામને ચોરે અદાકારો  અને નર્તકો વડે ભજવાતાં નાટકો જોતાં રહે છે. ઇશ્વરને જોવા / સમજવા માટે કોઇ પુસ્તકની કોઇ જરૂર નહોતી પડી. અચાનક જ દસમી સદીથી, લખેલ શબ્દ મહવનો બનતો ગયો. તે સાથે પ્રાદેશીક લિપિઓ અને પ્રાદેશીક પુસ્તકોનો પણ ઉદય થયો, જેમાં બહુ જ સ્વાભાવિક્પણે રામાયણનું પુનર્કથન અગ્રેસર હતું. લખેલ પુસ્તકો પ્રતિષ્ઠાપિત થયાં, ભક્તિભાવથી ભજાવા લાગ્યાં અને અતિ પવિત્ર ભાવથી પૂજાવા લાગ્યાં. તમિળ અને તેલુગુ રામાયણ દ્વારા શરુઆત દક્ષિણમાંથી થઇ, અને પછીથી ૧૪મી અને ૧૫મી સદીમાં ઓડીયા, બંગાળી અને આસામી રામયણો પ્રસર્યાં, જે આખરે ૧૬મી સદીમાં ઉત્તરમાં - કદાચ સહુથી વધુ પ્રચલિત એવાં - તુલસીદાસનાં અવધિ રામાયણમાં ચરમ સીમાએ પહોંચેલ.
આ રચનાઓમાં રામ એ માત્ર ઇશ્વરનો અવતાર માત્ર નથી; ઇશ્વર જ છે. રામનાં બદલતાં જતાં પાત્રાલેખનની સાથે સાથે જે તે સમયના સમાજ અનુસાર, કથામાં પણ પરિવર્તનો આવતાં ગયાં. લક્ષ્મણ રેખા, લક્ષ્મણની પત્ની ઉર્મિલા, શબરીનાં બોર, રત્નાકરનું વાલ્મિકીમાં રૂપાંતરણ, સીતા રાવણની પૂત્રી હોવાની કે સીતા કાલિનું જ સ્વરૂપ હોવાની, કે હનુમાન શિવનું સ્વરૂપ હોવાની સંભાવના, રામાયણ સાથે સંકળાયેલ યાત્રા ધામો, વાલ્મિકીને જાણવા મળેલી કથાનો મૂળ્સ્ત્રોત શિવ જ હતા જેવી અનેક અવનવી પરિક્લ્પનાઓ આ બધી પ્રાદેશિક આવૃત્તિઓમાંથી આપણને જાણવા મળે છે.મોટા ભાગનાં ભારતીય લોકો માટે આ જ ખરૂં રામાયણ છે; તેઓને તો અંદાજ પણ નથી કે આમાનું ઘણું "મૂળ" રામાયણમાં છે જ નહીં.
જ્યારે બ્રિટિશરો ભારત આવ્યા ત્યારે તેઓએ પણ ભારતીય સાહિત્યને અંગ્રેજીમાં અનુવાદિત કર્યું. સંસ્કૃત, બૌદ્ધ, જૈન સાહિત્ય કે પ્રાદેશિક રામાયણો, બધાં હવે એક જ બોલીમાં રજૂ થયાં. રામાયણ ઐતિહાસીક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવ્યું; સમયના પ્રવાહ સાથેના તેના વિકાસની પણ વિગતે ચર્ચાઓ થઇ, જે હિંદુઓ માટે બહુ જ સંતાપજનક હતું, કારણકે તેમના માટે તો જે કંઇ હિંદુ છે તે બધું જ સમયાતીત છે. તે સાથે અલગ અલગ રીતે વિચારતી, શિક્ષણ તંત્ર વ્યવસ્થાથી વિસ્તરતી સામ્રાજ્યવાદી માલિકી વિચારસરણી અને બીજી સંસ્થાનીત થઇ ચૂકેલ પ્રજાની વિચારસરણીવાળી  બે સંસ્કૃતિઓના ક્લેશ પણ આવ્યા.સમયના જતાં, સંસ્થાન પરના શાસકોનાં નિરૂપણો આધુનિક,ઉદારમતવાદી અને માહિતગાર મનાવા લાગ્યાં.જ્યારે  શાસિતોનાં નિરૂપણો પરંપરાગત સામંત માલિકોનાં નિરૂપણો બની રહ્યાં.રામાયણના બ્રિટિશ કૂટવાચકોએ રામયણને આર્યો અને દ્રવિડ  જાતિઓ કે ઉત્તરવાસીઓ અને દક્ષિણવાસીઓ કે વૈષ્ણવો અને શૈવો વચ્ચેના સંઘર્ષની દૃષ્ટિએ જોયું.  પછીથી અમેરિકન વિદ્વાનોએ રામાયણને, ધર્મના સદર્ભનાં મહત્વથી  હટીને વર્ગ અને જાતિ વચ્ચેના સંઘર્ષનાં બિનસાંપ્રદાયિક સ્વરૂપમાં જોયું. રામ હવે આદર્શ ને બદલે દમનકારીનાં સ્વરૂપે રજૂ કરાવા લાગ્યા. બ્રિટન અને અમેરિકાની મહાવિશ્વવિદ્યાલયોમાં ભણેલા ભારતીયો પણ આમાં સૂર પુરાવા લાગ્યા.આ રાષ્ટ્રવાદીઓ અને ધાર્મિક કટ્ટરવાદીઓ આવાં બૌદ્ધિક પિષ્ટ્પેશણને પોતાનાં ધાર્મિક કથાનકની અવહેલના અને જે કંઇ હિંદુ છે તે બધાંનાં અપમાન તરીકે  જોવાં લાગ્યાં. "વિવિધ" રામયણની વાત તેમના માટે હિંદુ એકતાના વિધ્વંસમાટેના પ્રયત્ન સમાન હતી. આ તિરાડ વધારે પહોળી ત્યારે બની ગઇ જ્યારે રાજકીય ચોપાટમાં ધાર્મિક ચિહ્નની નજરે ઓળખવાની સાથે સાથે - છેવટે તો – રામ, જમણેરીઓ અને ડાબેરીઓ માટે પોતપોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટેના હાથા તરીકે વપરાવા લાગ્યા.
છેલ્લાં સો એક વર્ષથી ખેંચાયેલ આ યુદ્ધ રેખાઓ આજે પણ એટલી જ તાજી અને લાલચોળ છે. તેથી કરીને રામની કથાનું ફેરકથન આજે હવે મુશ્કેલ બની ગયું છે. રામ માટે બે સારા શબ્દો કહ્યા નથી કે ડાબેરીઓને લબડધક્કે ચડ્યા નથી ! અને રામ વિષે થોડું પણ કંઇ ઘસાતું બોલાઇ ગયું તો જમણેરીઓ કોપાયમાન થઇ જવાના.  નારીવાદીઓના ગુસ્સા કે કે રાજકારણીઓના બોલતી બંધ કરવાવના કે આંદોલનકારીઓના ધક્કે ચડાવવાના પ્રકોપથી બચાવીને રામાયણને આદર્શ રાજા કે નાયક કે ભગવાનની નહીં પણ એક જાણકાર રાણી /નાયિકા કે દેવી તરીકેની વાત તરીકે રજૂ કરવાની એક કોશીશ અહીં કરાઇ છે. આ વાત કોઇ દાખલો બેસાડવા માટે નથી, પણ એક સીધ સાદા યુવાન રામ અને એટલી જ સીધી સાદી એક યુવતી સીતાના પ્રેમને જે કિંમત ચૂકવવી પડી છે તેની સામે  સાવધાનીના સૂર તરીકે કહેવાનો આશય છે.




*       'તહેલકા' સામયિકના ગ્રંથ ૧૦, અંક ૪૪માં નવેમ્બર ૨, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, How do you tell a story like the Ramayana?,લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર નવેમ્બર ૨૩, ૨૦૧૩ના રોજ Indian MythologyMyth TheoryRamayana ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  •    અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૧૫, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો