બુધવાર, 22 ઑક્ટોબર, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી - "વિશિષ્ટ બનીએ" - સંપુટ પાંચમો - ગુચ્છ ૧

| જાન્યુઆરી ૨૭, ૨૦૦૯ના રોજ પ્રકાશિત થયેલ
clip_image001


તાજ મહાલ જેવી ભવ્ય કે નાયગ્રાનાં સૌંદર્ય કે ગ્રાંડ કેન્યનની વિશાળતા જેવી વાત તો કોઈકની પાસે જ હોય ! એનો અર્થ એમ નહીં કે આપણે કોઇ વાત જ નથી કરવાનાં. આપ્ણે બીજાંને પણ વાત કહેતાં રહીએ છીએ અને પોતાને પણ વાતો કરતાં તો રહીએ જ છીએ. આપણને પોતાને કહેવાતી વાતો આપણે બીજાંઓને જે વાત કરતાં હોઇએ છીએ તેને લગતી હોય છે. વાતોમાં તો આપણું જીવન વહે છે.

કહેવાનું તાત્પર્ય એ કે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, લોકોને તો આપણે વાત, સારી વાતો, કરીશું એવી અપેક્ષા રહે જ છે. એવી વાતો જેમાં તેમને રસ પડે. એ વાતમાં જો તમને પણ રસ પડે તો સારું, પણ તેની સાથે એ લોકોને કોઈ નિસ્બત નથી. સીધી અને સાદી વાત તો એ છે કે તેમણે સારી વાતો સાંભળવી છે.

આમ જો તમને સારી રીતે વાત કરતાં આવડે તો ઘણું સારૂં, કારણ કે તેને કારણે આપણો બહુ મોટો શ્રોતા વર્ગ બની રહે છે. પણ જો તેમને રસ ન પડે એવી વાતો કરીશું, તો તેઓ એક જ ઝટકામાં મોઢું ફેરવી લેશે.

આપણા મનમાં તરત જ સવાલ થશે, ભલ ને, તેમાંશું થઇ ગયું?

મુદ્દો એ છે કે આપણી પાસે જે સારી, બહુ જ રસ પડે એવી જે, વાત છે તે જે કોઇ સાંભળવા માગતું હોય તેને આપણે કહેવી છે ! હવે એટલા ઉત્સાહમાં આવી જઇને આપણે વાત માંડીએ, એટલે લોકો તેના પર ધડ કરતું ક ઠંડું પાણી તો નહીં રેડી દે, બહુ જ રસથી તમારી વાત સાંભળે છે તેવો "દેખાવ" તો જરૂર કરશે, પણ મનમાં જરૂર વિચારતાં હશે કે આજે સમયના ભોગ લાગ્યા છે !

એમાં પણ જ્યારે સામેની વ્યક્તિને સમયની ખરાખરીની ખેંચ હોય, ત્યારે તો આ બાબત બહુ જ મહત્ત્વની બની રહે છે. આપણી ગમે એટલી 'રસાળ' વાત હોય, ગમે એટલી ઠાવકાઇઅથી અપણે તેને રજૂ કરવાની બધી જ તૈયારીઓ પણ કરી લીધી હોય, તો પણ જરા થોભો, અને વિચારો - 'સામેની વ્યક્તિ માટે આપણી એ વાત ખરેખર કેટલી મહત્ત્વની છે ? અથવા તો વધારે સારો વિચાર તો એ છે કે "આપણી એ વાત સામેની વ્યક્તિમાટે વધારે સારી રીતે પ્રસ્તુત કેમ બનાવી શકાય ?" જો આ બે સવાલના જવાબથી આપણને જ પૂરેપૂરો સંતોષ ન થાય તો આપણી એ વાતચીત દરમ્યાન એ વાત સિવાય જ આગળ વધવું જોઇએ.

વાતોમાં દમ તો બહુ હોય છે, પણ જો તેનો સમજદારી પૂર્વક ઉપયોગ થઇ શકે તો.....

#202 – બંધ બેસતાં આરોપણો ટાળીએ
| જાન્યુઆરી ૨૭, ૨૦૦૯ના રોજ પ્રકાશિત થયેલ


વધુ પડતી ચાલાકી, કે આળસ,ને કારણે જેમ આપણને અનુકૂળ પડે તેમ કોઇ પણ વાત કે ઘટનાનું અર્થઘટન બેસાડી દેતાં હોઇએ છીએ. અર્થઘટન બેસાડી દેવું એનો એક અર્થ થાય - બંધ બેસતું આરોપણ પહેરાવી દેવું.

જો આપણે વિશિષ્ઠ બનવું જ હોય તો આવાં બંધ બેસતાં આરોપણોની યુક્તિપ્રયુક્તિઓથી બચીને ચાલવું જોઇએ.

વાતને પાટલે માંડવા પૂરતાં, એવાં બંધ બેસાડી દીધેલ આરોપણોનાં કેટલાંક ઉદાહરણો મેં અહીં રજૂ કર્યાં છે. અને આ કંઇ આ વિષય પર આખરી શબ્દ નથી ! તમને ઠીક લાગે તેમ તેમાં સુધારા, વધારા કે ઉએરણો કરી જ શકાય છે. આવી સહી સહી યાદી બનવાવી એ ઉદ્દેશ્ય નથી, ઉદ્દેશ્ય તો છે આવાં બંધ બેસતાં આરોપણોને આપણી રોજબરોજની જીંદગીમાં ઓળખી કાઢવાં અને તેનાથી બચીને ચાલવું.:

1. “અણઆવડતને કારણે કરવી પડતી મહેનત"ને "બહુ જ ધ્યાનપૂર્વક વાતના અંત સુધી પહોંચવું' એવું આરોપણ બંધ બેસાડવું

2. “બીનઅસરકારતા"ને "સારી રીતે પેશ આવવું" એવું આરોપણ બંધ બેસાડવું
[આ શીખ માટે જેનસીઝ ગ્રૂપનાં નીપા શાહને સલામ]
3. “જીવનમાં શું કરવું છે તે જ નક્કી ન કરી શકવું" ને “હજૂ થોડા વધારે વિકલ્પો વિષે વિચારી લઇએ"એવું આરોપણ બંધ બેસાડવું

4. “પૈસા કમાઇ ન શકવા”ને "પૈસા તો હાથનો મેલ છે" એવું આરોપણ બંધ બેસાડવું

5. “સમયસર ન રહેવું"ને "ઉતાવળે આંબા ન પાકે" એવું આરોપણ બંધ બેસાડવું

6. “મુશ્કેલ નિર્ણયો ન કરી શકવા"ને "બધી બાબતોનો વિચાર તો કરી જ લેવો"એવું આરોપણ બંધ બેસાડવું

7. “મુશ્કેલ સંવાદ સમયે ફીફાં ખાંડવાં"ને "ચતુરાઇપૂર્વકની કુનેહથી વાતને રજૂ કરવી"એવું આરોપણ બંધ બેસાડવું

8. “કામ પાર ન ઉતારવાં"ને "૧૦૦ % સહીનો આગ્રહ"એવું આરોપણ બંધ બેસાડવું

9. “યોગ્ય મદદ ન મેળવી શકવી"ને "એકલા હાથે જ કામ કરવું સારૂં"એવું આરોપણ બંધ બેસાડવું

10. “આસપાસની દુનિયામાં કંઇ જ યોગદાન ન કરી શકવું" ને "બહુ કામ વચ્ચે ઘેરાઇ જવાથી સમય જ નથી કાઢી શકાતો" એવું આરોપણ બંધ બેસાડવું

ખૈરિયત બની રહે તેવી શુભેચ્છા!

#203 – ધાર પર ધ્યાન કેન્દ્રીત કરીએ
| ઑગસ્ટ ૪, ૨૦૦૯ના રોજ પ્રકાશિત થયેલ


 
 
ચપ્પુ તેની ધાર પર જ તેજ હોય.
ઘરનાં કે કારનાં તાળાંની ચાવીની ધાર બુઠ્ઠી થઇ ગઇ હોય, તો તેની કિંમત ધાતુની એક પટ્ટી જેટલી થઇ જાય.

ઇન્ડીપેનની ટાંક ટોચાઇ જાય તો તે સાવ નકામી બની રહે છે.

હવે પછીનો આપણો ઇ-મેલ પણ આંગળાની ધારની મદદથી જ ટાઇપ થશે.

આ પ્રકારના મોટા ભાગના કિસ્સાઓમાં મહત્ત્વ ધારનું છે તે તો સમજાઇ ગયું જ હશે.

આપણે વિશિષ્ઠ બનવામાં ધાર તરફ ધ્યાન આપવું જ જોઇએ, કારણ કે લોકોની નજરે તે જ ચડે છે.

સલામતીની શોધમાંને શોધમાં મધ્યમ માર્ગની જ હિમાયત કરતાં કરતાં ઘણીવાર હાંસીયામાં ધકેલાઇ જવાનું ભયસ્થાન રહેલું છે.જ્યારે જે થોડું જોખમ લઇને ધાર પર રહે તે લોકોનાં ધ્યાનનાં કેન્દ્રમાં આવી જઇ શકે છે.
મધ્યમાં રહીને જે કંઇ પ્રચલિત છે તેના પ્રવાહમાં રહેવાય, પણ ધાર પર રહેવાથી નવો પ્રવાહ શરૂ કરી શકાય.

મધ્યમાં રહીને નિયમોને અનુસરી શકાય, ધાર પર રહીને નવા નિયમો ઘડી શકાય.

મધ્યમાં સામાન્યપણું છે તો ધાર પર અસામાન્યપણાંની ખોજ છે.

મધ્યમાં જ્ઞાતનો સાથ છે, જ્યારે ઘાર પર અજ્ઞાતની ઓળખ છે.

મધ્યમાં અનુપાલન છે, ધાર પર છે સર્જન.

મધ્યમાં રહીને જીત મેળવવાનો ખેલ છે, ધાર પર યોગદાનના દાવ છે.

મધ્યમાં સલામતી છે, પણ તેનાથી કશે આગળ નથી બધી શકાતું. ધાર પર જોખમ છે, પણ તે સંભાવનાઓના દરવાજાઓ ખોલી નાખી શકે છે.

આ લેખની ટીપ માટે અરૂણ નિત્યનંદનને સલામ ! ફોટો સૌજન્યઃ xjara69 on Flickr

#204 – આપણા આઈડીયાઓને પાંખ ફુટવા દઇએ
| સપ્ટેમ્બર ૮,૨૦૦૯ના રોજ પ્રકાશિત થયેલ
આઈડીયા તો દરેક પાસે હોય છે, અને તેમાનાં થોડાં એ આઈડીયાને અમલમાં પણ મૂકે છે.

પણ, (મોટા ભાગે) કોઇના પણ આઈડીયાને ગગનની મુક્ત સૈર કરવા નથી મળતી.

clip_image005હું દુનિયા બદલી નાખે એવા ધમાકેદાર આઈડીયાઓની વાત નથી કરી રહ્યો.મારે તો વાત કરવી છે એ રોજીંદા આઇડીયાઓની જે ગુંગળાઇને ઢબુરાઇ જાય છે. આપણે તેમને વિહરવા દેવા પણ માંગીએ છીએ, પણ તે ઊડી નથી શકતા.

કેમ?

મોટા ભાગના આઈડીયાને પાંખ જ નથી ફૂટી હોતી.

પાંખ લાગાડવી તો સહેલું છે, પણ તેમને ફુટવા માટે થોડું વધારે વિચારવું પણ પડે અને થોડી વધારે મહેનત પણ કરવી પડે.

આ દિશામાં વિચારતા થવા માટે થોડાં ઉદાહરણો રજૂ કર્યાં છે :

#૧. બહુ વધારે સામાનનો બોજ
એક બહુ જ તેજીલો આઈડીયા બૉસને ઇ-મેલથી મોકલ્યો. પણ તેની સાથે બીજી ઢગલો એક અસંબધિત વાતો પણ એ ઇ-મેલમાં ઠુંસી દીધી.

બૉસને આઈડીયા ગમ્યો પણ ખરો, બીજાં સાથે તેને વહેંચવો પણ છે, પણ એ માટે ઇ-મેલમાં ખાસી એવી સાફસફાઇ કરવી પડે તેમ છે (પેલી અસંબંધિત વાતોને કાઢવી પડશે !).

એ માટે તેઓ પહેલાં તો ઇ-મેલને ફુર્શત હોય તેવા સમયનાં ચોકઠામાં સાચવી લેશે. પણ એક વાર જેવો ઇ-મેલ નજર સામેથી હટ્યો કે પછીથી તે ત્યાં જ પડ્યો રહે છે.
#૨. બરાબર પેકીંગ ન કર્યું હોય
કોઇ પુસ્તક વિષે તેનાં મુખપૃષ્ઠનાં આવરણ પરથી ધારી ન લેવું જોઇએ તે ખરું, પણ પુસ્તક હાથમાં લેવાનું મન થાય તેટલું તો મુખપૃષ્ઠ આકર્ષક હોવું જ જોઇએ ને !

આપણે એક પરિયોજનાને બહુ સરી રીતે પૂરી કરી, તેનો સુધડ રીપોર્ટ મોકલવાને બદલે બે લીટીના એક ઇ-મેલથી જ જાણ કરી દઇએ તો !

આપણા આઈડીયાને બીજાં આગળ ધપાવે તે માટે પ્રોત્સાહક બળ તો આપણે જ પૂરૂં પાડવું પડે.
#3. વધારે પડતાં વિનમ્ર થવું
કામ બરાબર ઘાંચમાં પડ્યું હતું, છેલ્લી ઘડીએ તમારે તેમાં દાખલ થવાનું થયું, લોહીપાણી એક કરીને તમે એ મુશ્કેલીને પાર કરવામાં તમારૂં યોગદાન આપ્યું. પણ પછી જ્યારે તેની વાત કરવાની આવે ત્યારે જો એમ કહીએ કે, 'હા...હતી થોડી નાની ગૂંચ.. પણ એ તો થ ઇ ગયુ!', તો બધાં પાસે એ વિનમ્રતાને સમજી શકવાની આવડત કે દાનત નથી હોતી.એટલે આખું કોળું જાય શાકમાં અને વહુ કહેવાય ફુવડ એવો તાલ પણ બને !

રોજબરોજના આઈડીયાને પાંખ ન ફૂટવાથી મુર્ઝાઇ જવાના આવા તો કંઈક દાખલાઓ ટાંકી શકાય.

દુનિયાને બદલી નાખનાર આઈડીયા બધાંને નથી આવતા, પણ દરેક વ્યક્તિએ પોતાના રોજબરોજના આઈડીયાને પાંખ ફૂટવાની તક આપીને તેમાંથી દુનિયાને બદલી નાખનાર આઈડીયાનું સ્વરૂપ મળી શકવાની શકયાતાને પાંગરવા તો દેવી જ રહી ....

ફોટો સૌજન્ય: Guille on Flickr

#205 – જ્યાં આપણાં કામનું મહત્ત્વ ન અંકાતું હોય, ત્યાંથી ખસી જવું જોઇએ
| નવેમ્બર ૯, ૨૦૦૯ના રોજ પ્રકાશિત થયેલ
clip_image006
ફોટો સૌજન્ય : psyberartist on Flickr


મોટા ભાગના કિસ્સાઓમાં સમાજ સાચો જ હોય છે. માંગ અને પુરવઠાના નિયમને, હંમેશાં, આધીન રહીને, તમારાં કામનું મૂલ તો તે નક્કી કરી જ લેશે

ઘણા તેજસ્વી લોકોને તેમનાં કામની જે સરાહના મળવી જોઇએ તે નથી મળતી એવું જોવા મળે છે.પણ એ કિસ્સાઓમાં, ઘણી વાર એવું પણ બનતું હોય કે તે માટે આપણે પણ (ઓછા વત્તા)અંશે જવાબદાર હોઇએ.

જૂઓ આ એક ઉદાહરણ :

જેમ જેમ આપણે નિપુણ થતાં જઇએ, તેમ તેમ આપણી નિપુણતાનાં ક્ષેત્રનાં કોઇ પણ કામ કરવા માટે જોઇતો સમય ઘટતો જાય.

પણ સમાજમાં તો બે પ્રકારનાં લોકો વસતાં હોય છે.

એક તો એ વર્ગ કે જે પરિણામનાં મૂલ્યને સમજતો હોય.

આ વર્ગ તમને પોતાની બાજુ જોઇને ખુશ થશે. તમે કેટલા સમયમાં કામ કર્યું તેની સાથે તેમને નિસ્બત નથી, તેઓ તો ઓછા સમયમાં કામ પાર પાડવાની તમારી આવડતને કારણે તેમનું કામ કેટલું સરળ થઇ જાય છે તેનું મહત્ત્વ સમજે છે. અને તેનું મૂલ્ય ચુકવવામાં ખચકાતાં નથી.

બીજો વર્ગ છે જે કેટલી મહેનત કરી તેને મહત્ત્વ આપે છે.એટલે જે કામ તેમની નજરમાં અગત્યનું હોય તે કરવા માટે કોઇને પણ બહુ જ મહેનત પડવી જોઇએ તેમ એ લોકો માનતાં હોય. જો કોઇ તે કામ ઝડપથી કરી નાખે, તો તેણે જરૂરી મહેનત નથી કરી એમ પણ તેઓ માની લે. માટે તમારૂં યોગદાન એટલું મૂલ્યવાન ઓછું છે તેમ તો માને.

નિષ્ણાત તરીકે, આપણને પહેલા વર્ગનાં લોકોની સાથે કામ કરવું ગમે. એટલે જો બીજા પ્રકારનાં લોકો સાથે કામ કરવાનું આવે તો નિરાશા પણ થાય.

તો, હવે કરવું શું?

સહુથી પહેલું તો એ કે જે લોકો સાથે કામ કરવાનું છે તેમની કાર્યપદ્ધતિ અને વિચારસરણીને બરાબર નીહાળો. તમારાં ખરેખરનાં મહત્ત્વનાં યોગદાનની સતત કદર ન થતી જોવા મળે, તો એનો એક અર્થ એ કે ક્યાં તો તમને તમારાં કામનું મહત્ત્વ સમજાવતાં નથી આવડ્યું અને ક્યાં તો તમે બીજા વર્ગનાં લોકો સાથે કામ કરી રહ્યાં છો. જો તમારાં કામનું મહત્ત્વ તમે જ ન સમજાવી શકતાં હો, તો તમારે પાઠ ભણવા પડશે.

પણ જો તમારાં કામનું મહત્ત્વ લોકો ન સમજી શકતાં હોય, તો કદાચ તેમને કામનાં મહત્ત્વને સમજાવવાના પાઠ ભણાવવાનું મન થઇ આવે. પણ તેને માટે ઘણી મોટી કિંમત ચૂકવવી પણ પડી શકે છે. લોકોને બદલવાં એ ખાસ્સું મુશ્કેલ કામ છે.

સારો રસ્તો તો એ છે કે જ્યારે લોકો આપણાં કામનું મહત્ત્વ ન સમજી શકતાં હોય,તો ત્યાંથી સરકી જવું હિતાવહ છે. આપણાં કામનું મહત્ત્વ સમજે તેવાં લોકો મળી જ રહે છે, અને એવાં લોકોને શોધવાની મહેનત વધારે ફળદાયી નીવડશે.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ પાંચમો - ગુચ્છ ૧ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑક્ટોબર ૨૨, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો