બુધવાર, 2 ડિસેમ્બર, 2015

વિપરિત પ્રેમ - દેવદત્ત પટ્ટનાઈક

imageએ પ્રેમ તો ખરો જ. તે સિવાય તો આમ કેમ બને ? એકબીજા માટે આટઆટલી અધમ ભાષાના પ્રયોગો. ! સામેની વ્યક્તિ ખરેખર, ખરેખર જ મહત્ત્વની હશે ! નહીંતર આટલી બધી લાગણી શેના માટે ? આને ભલે દુષ્પ્રેમ કહીએ. અલગ પ્રકારનો પણ, પ્રેમ તો ખરો એ તો નક્કી જ.

એક પક્ષ બીજા પક્ષ પર અસભ્ય અને અભદ્ર ભાષા વડે પ્રહારો કરે, બીજો પક્ષ દેખાવ કરે કે તેને બહુ જ દુઃખ પહોંચ્યું છે અને પછી આવા ધરાર પ્રયોગોથી ગુસ્સે થઈ નિર્મમ પ્રતિઆક્ર્મણ કરે, ઈરાદાઓ પર આશંકાઓ કરે અને દૃષ્ટિ બદલવાની માગણી કરે. પણ આક્ષેપબાજીનો સંવાદ અસ્ખલિત રહે. સન્માનોથી અલંકૃત, જમણેરી અને ડાબેરી ધૂમકેતુઓ બીજી વાર કદી જાણે સામે જ નથી આવવાના એવા એકબીજા સાથે અથડામણના માર્ગ તરફ ધસમસતા રહે છે. એક પક્ષ નજર સામેથી ઓજલ ન થવા પ્રયત્નશીલ છે, બીજો પક્ષ કંઈ જોવા જ નથી માગતો. એક અંદરી છે તો બીજો બહારી છે.પહેલો મનમાં ચણચણાટ સાલવતો દેવ છે તો બીજો ગુસ્સે થયેલ ભક્ત છે. એક સોનાના ચમચાના વિશેષાધિકાર સાથે જન્મેલ છે, તો બીજો સંઘર્ષો કરીને પોતાનો માર્ગ બનાવે છે. બંને પોતપોતાનાં ક્ષેત્રની જુસ્સાભેર રક્ષા કરે છે, પણ અન્ય કેટલાંકની નજરોમાં તેઓ છળપ્રપંચી છે. પણ બંને છે વિચક્ષણ. બંને પ્રભાવશાળી પણ છે. બંને દલીલબાજ પણ છે. પોતાની દલીલમાં મસ્ત, બીજાંની વાત સાંભળવામાં રસ ન દેખાડે.પોતે જ સાચા છે તેમ ચોક્કસપણે માને. બંનેનાં અનુયાયી લશ્કર ઑનલાઈન કે ઑફલાઈન લડાઈઓ લડવા તત્પર. બંનેને પોરસ ચડાવનારાંઓ અને આકરી ટીકા કરનારાંઓ પણ એટલાં જ. બંનેને દુનિયા બદલી નાખવી છે, પણ તેમની શરતે, તેમની રીતે. બંનેને પોતાને મળતું મહત્ત્વ, ખુશામત કે શહાદત બહુ જ ગમે છે. જાણ્યેઅજાણ્યે, નકારાત્મક પ્રસિદ્ધિ વડે બંને એકબીજાની જાહેરાતના ઢોલ વગાડે છે.એક હદ પછી લોકોને માટે મનોરંજન પણ પૂરૂં પાડે છે.

આ વાત હિંદુ દેવીદેવતાઓનાં મનોવૈજ્ઞાનિક અર્થઘટનપરની વેન્ડી ડૉનીગર - રાજીવ મલ્હોત્રાના કિસ્સાની પણ હોઈ શકે છે, જે અમેરિકાના કિનારા પાર કરી ભારતના પ્રકાશન જગતને આભડી ચૂકેલ છે. આ વાત સાહિત્ય પુરસ્કારો પાછા આપતાં અને તેમનાં એ પગલાંની કટુઆલોચના કરતાં બુદ્ધિજીવીઓની પણ હોઈ શકે છે. કે પછી ગોમાંસ ખાવું કે જડબેસલાક ગૌહત્યા નિષેધ હોવો જોઈએ તે પર હાથો ઉલાળી રહેલ લોકોની પણ આ વાત હોઈ શકે. બંને પક્ષ ઘવાયેલ શિકાર પણ છે અને લોહીતરસ્યા શિકારી પણ.

આ વાત ન.મો./ રા.ગા. કે પછી ન.મો./ ની.લા.ની ચુંટણીસભાઓની પણ હોઈ શકે, કે તામિલનાડુનાં પ્રથમ કુટુંબના બે ભાઈઓ - અલાગીરી અને સ્ટાલિન-ની પણ હોઈ શકે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિપદની ચુંટણીમાં જોવા મળશે તેવી ડેમોક્રેટ્સ અને રીપબ્લીકનો વચ્ચેની ટીવી ચર્ચાઓની પણ હોઈ શકે કે હોઈ શકે આરબ-ઇસ્રાયેલ કે ભારત-પાકીસ્તાન સીમાઓ પરની બોંબબાજીની પણ હોઈ શકે. જો કે પૈતૃક મિલ્કત માટે બાખડી પડેલાં ભાઈબહેનોની પણ આ વાત હોઈ તો શકે. તેમ ન હોય તો પરંપરાગત સાસુવહુ વચ્ચેની શાબ્દિક લડાઈ કે આજે એકબીજાના જાની દુશ્મન બની બેઠેલા એક સમયના જીગરજાન મિત્રોની પણ આ વાત હોઈ તો શકે. કયા પક્ષે કોણ છે તે ઓળખનું બહુ મહત્ત્વ નથી, મહત્ત્વ છે આ રીતનું. એકનું નામ પડે ને બીજું કેવું સળગી ઊઠે છે તે નોંધનીય બાબત છે.

આપણાં પુરાણોમાં આ પ્રકારના 'પ્રેમ' માટે 'વિપરિત ભક્તિ' શબ્દ પ્રયોજાયો છે. એ એક એવી અવસ્થા છે કે તમે તમારાં પ્રતિસ્પર્ધી માટે સતત એટલું બધું અવળું વિચાર્યા જ કરો કે તમને તેના માટે અનન્ય ભક્તિભાવ પેદા થઈ જાય. જો કે બેમાંથી કોઈ પણ પક્ષને આવી વાત કરશો તો બંને પક્ષ એક સરખી ત્વરાથી આ વાતને ઉડાડી દેશે. તેમની આદત મુજબ, તેમ કરવામાં તાર્કિક દલીલોનો મજબૂત બચાવ પણ વણી જ લેવાયો હશે.

રામાયણમાં રામ અને રાવણની વિપરિત ભક્તિ વર્ણવાઈ છે. ભાગવતમાં કંસ અને કૃષ્ણની વિપરિત ભક્તિની ઘટનાઓ કહેવાઈ છે. બંને તથાકથિત 'ખલનાયકોને મોક્ષ મળે છે કારણકે તેમની નફરતમાં ભારોભાર પ્રેમ ભર્યો હતો. જો કે આપણા કિસ્સાઓમાં તો રામ કોણ અને રાવ્ણ કોણ કે કોણ કંસ અને કોણ કૃષ્ણ તે નક્કી કરવું અઘરૂં છે. એમાં પણ શબ્દોનું યુદ્ધ છેડાઈ પડે તેમ છે.

વિપરિત ભક્તિની આ વિભાવના આજનાં બે તડાંમાં વહેંચાઈ ગયેલ વિશ્વને પ્રેમની પરિભાષામાં વિચારતાં કરી મૂકે છે. ધિક્કારનો અંત લાવી, પ્રેમની અમીદૃષ્ટિથી જોવાનો અને દરેક વણઉકલિત સમસ્યા કે અકારણ હૃદયભંગની સંભાવનાઓને હળવાશથી લેવાનો સમય પાકી ગયો છે, કમસે કમ એ બાબતે આપણે બધાં સહમત થશું ને?
clip_image001 'મિડ ડે' માં ફેબ્રુઆરી ૧૬,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો