વર્ષ ૨૦૧૪માં ભારતની સર્વોચ્ચ
અદાલતે આખરે હીજડાઓને ત્રીજી જાતિ તરીકે માન્યતા આપી હતી.એક દૃષ્ટિએ જોઇએ તો
આને 'ભારતીય
સંસ્કૃતિ'નો વિજય ગણી
શકાય. પણ ખરેખર આમ થયું છે ખરૂં? ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે આ ચુકાદાના થોડા મહિનાઓ પહેલાં જ સર્વોચ્ચ
અદાલતે સહમતિથી કરાતા સમલૈંગિક સંબંધોને ગેરકાનુની ઠેરવ્યા હતા.[i] સામાન્યતઃ
આવા સંબંધોને 'પાશ્ચત્ય અસર
હેઠળનો વ્યભિચાર' પણ માનવામાં
આવે છે.
સમલૈંગિક પુરુષો કે સ્ત્રીઓ બહુ જાહેર નહોતાં થતાં, પરંતુ હિજડાઓ તેમની આગવી બોલકી ઓળખને કારણે હંમેશાં
જાહેરમાં દૃષ્ટિગોચર રહ્યા છે. તાબોટા પાડીને પોતાનાં અસ્તિત્ત્વનો સ્વીકાર માગતા હિજડા
સમાજે તથા કથિત સભ્ય સમાજના ઉપહાસનો ભય નથી રાખ્યો.તેમની બેધડક વર્તણૂક અને અજોડ
એવી એકતાને કારણે સ્થાનિક લોકોમાં તેઓ ભયની લાગણી પેદા કરે છે તો વિદેશી પર્યટકો
માટે તેઓ એક જોણું બની રહે છે, તો વળી ક્યાંક ક્યાંક તો હિજડાઓએ ચુંટણી પણ લડી બતાવી છે.
અંગ્રેજી ભાષા અને યુરોપ અને અમેરિકામાં વિકસેલી
ટેક્નોલોજીઓ હિજડાની સમજ આપવામાં અધુરી પડે છે. એ જૈવિક ઓળખ આપી શકાય તેવી જાતિ છે
કે સામાજિક ઓળખ આપી શકાય એવી જાતિ છે? હોર્મોનની કોઈ ઉણપને લગતાં કે આનુવંશિક કારણોસર જન્મથી જ જેમનાં
પ્રજનાનાંગોથી તેઓ નર છે કે માદા ન પારખી શકાય એવી ઉભયજાતિનાં તેઓ જન્મયાં હશે ?કે બીજી જાતનાં કપડાં પહેરવાથી સુખ મળે તેવાં નિષ્ક્રય
સમલૈંગિકો હશે? કે પછી તેઓ
પરિવર્તિતલૈંગિક મનોસ્થિતિવાળાં લોકો છે જેઓ ખોટાં શરીરમાં ફસાઈ ગયાં છે? કે પછી તેઓ પરલૈંગિક છે જેમને સમાજના પરંપરાગત લૈંગિક
જાતિની ઓળખના દાયરામાં રહેવું પસંદ નથી? કે પછી તેઓ પોતાની જાતને નપુંસક બનાવી કાઢતા વ્યંઢળો છે? આ સવાલોની સાંકળ જેટલી વિચિત્ર, વિશાળ અને જટિલ છે એટલી જ બદલતી
જતી પરિભાષાઓને કારણે સતત વિસ્તરતી પણ રહે છે. અને આ બધાં પર પાછું સંસ્કૃતિનું પડ
ચડાવો એટલે તો સમજવું સમજાવવું હજૂ વધારે મુશ્કેલ બની જાય છે.
અન્ય લૈંગિક લઘુમતીઓથી અલગ પાડતી તેમના હિજડાપણાની એક
સૌથી ખાસ બાબત છે એ લોકોનાં અલગ અલગ ઘરાના અને દરેક ઘરાનાના એ જ સમુદાયના એક હિજડા
ગુરૂ. દરેક ઘરાનાને પોતાના બહુ જ ચોક્કસ નીતિનિયમો હોય છે, દરેક ઘરાનાનો એક નાયક પણ હોય છે ગુરુચેલા પરંપરા જેવું એક માળખું પણ હોય
છે. આ ઘરાનાઓની એક ખાસ બાબત છે તેમની ધર્મનિરપેક્ષતા. તેઓ હિંદુ અને મુસ્લિમ
રિવાજોનાં અજબ સંમિશ્રણને સમાનપણે અપનાવતાં જોવા મળે છે. બહુચરા મા જેવી દેવીઓને
માને છે અને સાથે સાથે સુફી પીરને પણ માને છે. એ લોકોની બોલી પણ ફારસીની છાંટવાળી આગવી જ શૈલી ધરાવે
છે.બીજી જાતિઓ જેમનો બહિષ્કાર કરેલ છે તેવાંઓને આશરો આપવાની તેમની પ્રથા તો બહુ જ
જૂની છે.આવાગમનની વિધિ (નપુસંકતાની વિધિ) સ્વૈચ્છિક છે. સામાન્યતઃ તે 'નિર્વાણ' તરીકે ઓળખવામાં આવે છે.
જે લોકો હિજડા સમુદાયને 'ભારતીય સંસ્કૃતિમાં બહારથી આયાત' કરેલા હોવાનો દાવો કરે છે તેઓની દલીલ છે કે એ લોકો તો હજારો વર્ષ પહેલાં
હિંદુસ્તાન પર ઉત્તરમાંથી આક્ર્મણ કરીને ચડાઈઓ કરવા આવતા મધ્ય એશિયાના સેનાપતિઓનાં
જનાનાની રખવાળી કરવા માટે ગુલામો સ્વરૂપે આવ્યા હતા. ઉદાહરણ તરીકે તેઓ અલાઉદ્દીન
ખીલજીના વ્યંઢળ સેનાપતિ
મલિક કાફુરને
ટાંકે છે. મલિક કાફુર હતો તો હજારેક દિનારમાં ખરીદાયેલો એવો જ એક ગુલામ, પણ વ્યંઢળ હોવા છતાં તેની મર્દાનગી સાબિત કરવાની તેની
મહાત્વાકાંક્ષાએ તેને દક્ષિણ ભારતનાં હિંદુ રાજ્યો પર કેટલીય ચડાઈઓ લઈ જવા પ્રેર્યો. ત્યાં પણ
જરૂરથી વધારે ક્રૂરતા બતાવવા માટે તે કુખ્યાત થયો હતો.
ઇ.સ. પૂર્વે ૩૦૦થી પણ જુનાં આપણાં મહાભારતમાં રાજા
વિરાટના દરબારમાં વ્યંઢળ નૃત્યકાર બૃહન્નલાની
વાતથી એમ પણ કહી શકાય કે હિંદુસ્તાનમાં તો માણસને નપુંસક બનાવવાની પ્રથા મધ્ય
એશિયાના આક્રમણખોરોથી બહુ જૂની રહી છે.ઇ.સ. ૩૦૦ની આસપાસ લખાયેલ કામસૂત્રમાં પણ નર
કે નારીમાં ન કહી શકાય એવાં ત્રીજા પ્રકારનાં લોકો માટે તૃતિય પ્રકૃતિ શબ્દપ્રયોગ
થયેલો જોવા મળે છે.ઇ.સ.૫૦૦માં લખાયેલ પાલી સાહિત્યનાં 'વિનય પિતાક'માં
બુધ્ધના પુરુષ કે સ્ત્રી વિભાગમાં ન સમાવી
શકાય એવા 'પાંડકો'નો ઉલ્લેખ જોવા મળે છે.આ બધા ઉલ્લેખોમાં એ લોકોનો સંદર્ભ
'હિજડા' વિષે છે તેમ કહેવું મુશ્કેલ છે.
મધ્યકાલિન સમયના મુસ્લિમ અને હિંદુ રાજાઓએ હિજડા
સમુદાયને તેમના જનાનખાનામાં ગાયકો અને નૃત્યકારો તરીકે ખાસ આશ્રય પૂરો પાડ્યો.
ઘરમાં નવાં બાળકના જન્મ સમયે બાળકને બૂરી નજરથી રક્ષણ માટે અને કુટુંબમાં વંશવેલો
વધતો રહે તે માટેના આશીર્વાદ આપવા તેઓને ખાસ કરીને બોલાવવામાં આવતા. બ્રિટિશ
શાસકોએ તેમને અને તેમના જેવા અન્ય કળાકારોને ગુન્હાહિત ટોળકીઓ તરીકે ઘોષિત
કર્યા.આમ તેમના નિયમિત વ્યવસાયથી તેઓ વંચિત થતા ગયા અને ભીખ માગીને ગુજરાન ચલાવવા
તરફ વળ્યા. એ પૈકી કેટલાક લોકોએ દેહવિક્રયને પણ પોતાના ગુજરાન માટેનો વ્યવસાય
બનાવ્યો.તો વળી કેટલાક તો ખરેખર ગુન્હાહિત પ્રવૃત્તિઓમાં જોતરાયા પણ. સમયાંતરે
ગુન્હાહિત ટોળકીનો કાયદો રદ્દ તો થયો પણ હિજડા સમાજને જે નુકસાન પહોંચવાનું હતું
તે થઈ ચૂક્યું હતું. સર્વો્ચ અદાલતના જે ચુકાદાની વાતથી આપણે આ લેખની વાત માંડી એ
ચુકાદા પહેલાં તેઓ પોતાની ઓળખ અને માનથી કે પછી રાજ્યની કલ્યાણ યોજનાઓથી વંચિત રહ્યા.તેમના
તાબોટાઓ બોલીવુડની ફિલ્મોમાં ઠઠ્ઠાચિત્રો માટેનાં હાથવગાં, સસ્તાં અને સ્થૂળ, સાધન બની રહ્યા !
‘ધ મિડ ડે' માં એપ્રિલ ૨૭,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
v અસલ અંગ્રેજી લેખ, The
Hijra Legacy, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઓગસ્ટ
૭, ૨૦૧૪ના રોજ Indian Mythology
• Mahabharata
• Modern
Mythmaking • Queer •
World Mythology
ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓક્ટોબર ૨૬, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો