હેરી પોટ્ટરની શ્રેણીથી બધી શરૂઆત થઈ છે.તેમણે જાદુની
તિલસ્મી દુનિયા બાળકો માટે પણ સહજ બનાવી નાખી. ભારતાનાં બાળકોએ પોતાનાં ઘરનાં
આંગણાંમાં જ્યારે જાદુનો ખજાનો ખોળવાનું કર્યું ત્યારે તેમના હાથે પૌરાણિક કથાઓ
ચડી ગઈ, જેમાં આદૂભૂત
લોકો અદ્ભુત બાબતોનાં કરતબ કરતાં જોવા મળે છે.જોકે વધારે રસપ્રદ વાત તો આ પૌરાણિક
કથાઓનાં આજે થતાં અર્થઘટનમાં છે. તેમાં ભારતીય માનસ પર યુરોપની અને અમેરિકાની
વિચારસરણીનો મિશ્ર પ્રભાવ જોવા મળે છે.
મને બરાબર યાદ છે એ અતિઉત્સાહી નૃત્યકારનું ખાસ્સા વિશ્વાસસાથે
કહેવું કે જે રીતે પુરાણોમાં ઈન્દ્રની નેતાગીરીમાં દેવો ઉત્તરનાં નગરોમાંથી શામળા
અસુરોનો નાશ કરતા હતા, ઠીક એ જ રીતે
રામ પણ એક એવા આર્ય આક્રમણકાર હતા જેમણે દક્ષિણની શામળી ચામડીવાળી રાક્ષસ જાતિનું
નિકંદન કાઢી નાખવું હતું. આ નૃત્યકારને પોતાને વ્યક્તિ નિરપેક્ષ અને સાચી લાગતી, પોતે દોરેલી આ
સીમારેખામાં હવે મારી પાસેથી રામાયણ સમજવું હતું.
આપણાં પુરાણોનું જાતિગત ધોરણ પર આ રીતનું વાંચવું એ હિંદ
અને પોતાના જ ઇતિહાસ માટે કંઈક અંશે બેપરવા એવા હિંદુસ્તાનીઓને સમજવા મથતા વીસમી
સદીની શરૂઆતના બ્રિટિશ પૌવાર્ત્ય વિદ્યાવિશારદોની કાચી સમજણ છે એમ તેમને કહેવાનું
મારૂં જિગર નહોતું ચાલતું. તેમણે આ 'વંશીય' અને 'આક્રમણ'ની સમજણના
વિચારને પ્રચલિત કર્યો. તેમાં ગોરી પ્રજાનાં ચડિયાતાપણાની તેમની માન્યતાને પુષ્ટિ
મળતી હતી.ભારતની શાસક કોમો, જૂદા જૂદા
પ્રદેશો પર રાજ્ય કરતા મુસ્લિમ શાસકો અને તેમના બ્રાહ્મણ પ્રધાનોને પહેલાંના સમયના
આક્રમણખોરોના વંશજો ખપાવીને તેમના પર રાજ કરવાના તેમના પ્રાયાસોને ઉચિત ઠરાવવું
તેમને સગવડભર્યું પરવડતું હતું. શું આ સમજી વિચારીને અમલમાં મૂકાયેલ વ્યૂહરચના હતી
કે પછી પાછળથી ઠુકરાવાઈ ચૂકેલ તેમનો યથાર્થ શુધ્ધ સિધ્ધાંત હતો? આપણને કદી પણ જાણવા નહીં મળે. હા, વરાળ નીકળતી કડક મીઠી ચાના કપો ખાલી કરતાં કરતાં, આ વિષય પર અસ્ખલિત ચર્ચા જરૂર માંડી શકાય!
એટલામાં મારા પર એક ગુસ્સેદાર સક્રિય કર્મશીલનો ઈ-મેલ
આવ્યો. તેમણે મને ઠપકાના સૂરના પૂછ્યું હતું કે જે રાજા પોતાની સભર્ગા પત્નીને
જંગલમાં કાઢી મૂકે તેવાને હિંદુઓ પૂજે શેના છે? તેમણે ન્યાય તોળી લીધો છે એટલું તો સ્પષ્ટ સમજી જવા છતાં હું
પુરાણશાસ્ત્રવિદ અને હિંદુ છું માટે મારે રામના 'બચાવપક્ષ'માં ઊભા
રહેવાનું હતું. ચર્ચાનાં પરિમાણો તો ઈ-મેલના લેખક નક્કી કરી બેઠા હતા, એટલે એ પરિમાણો બદલવાથી ચર્ચા તાર્કિક સ્તરે થઇ શકે એવી તો વાત તો એ
સાંભળવાના જ ન હતા.
રામયણ જેવા આપણા ગ્રંથોના 'ઔચિત્ય અને ન્યાય'નાં ચશ્માં
પહેરીને આ રીતના વાંચનને અમેરિકી વિદ્વાનોએ પ્રચલિત કરેલ છે.સામંતશાહી અને
રાજાશાહીનો વિશ્વમાં સૌ પ્રથમ વિરોધ કરનાર અને લોકશાહી શાસન વ્યવસ્થાનીના
આદિસ્થાપક પ્રજા હોવાનો અમેરિકનોને ગર્વ છે. એટલે, જાણ્યેઅજાણ્યે જ્યારે કોઈ 'આદર્શ રાજા' નજરે ચડે એટલે
અમેરિકન વિદ્વાનો ભડકે છે. એ લોકો માટે ચુંથરા ઉડાવી દેવા માટે રામ એ બહુ આસાન
પ્રકારના શાસક છે. યુરોપીઅનો જેને 'નીતિપરાયણતા' કહે છે અને
ભારતીય લેખકો અને પત્રકારો પણ જે અર્થઘટનમાં હામી ભરે છે એવા ધર્મશાસનના સ્થાપન
માટે કરીને નિયમોને તોડમરોડ કરતા કૃષ્ણને પણ તેઓ એ જ ગાડે બેસાડી દેવા રાજી
છે. કટ્ટર જમણેરીઓ આ વાતે ગિન્નાય છે
તેનાથી તેમને વધારે ચાનક ચડે છે. સરવાળે કોઈ પણ તાર્કિક ચર્ચા માટે તો અવકાશ જ નથી
રહેતો.
હિંદુ પુરાણોને સમજવા માટે હિંદુ પૂર્વધારણાઓને સમજવી
અને સ્વીકારવી પડે. જોકે આમ કરવું કદાચ અઘરૂં પડે કારણકે આજની દુનિયા પશ્ચિમ જગતની
પૂર્વધારણાઓ સાથે જડાઈ ગયેલું વધારે છે.હિંદુ પૂર્વધારણાઓમાં એક મહત્ત્વની
પૂર્વધારણા પુનર્જન્મની છે. એ દૃષ્ટિએ જોઈએ તો રામાયણ કે મહાભારત એવાં ચિત્રફલક પર
આલેખાયાં છે જેની દરેક ઘટના પૂર્વજનમની કોઈને કોઈ ઘટનાનું નવું સંસ્કરણ છે. એટલે
બીજાના હાથે થતા સિતમ વેઠનાર, દુષ્ટ વ્યક્તિ, નાયક જેવા શબ્દપ્રયોગો બહુ સહેલાઈથી કરી શકાતા નથી. આ શબ્દપ્રયોગો તો ગ્રીક
પુરાણોના દુનિયા વિષેના એકદિશ રૈખિક દૃષ્ટિકોણમાંથી આવ્યા છે. રામ કે કૃષ્ણ એ માત્ર
નાયકો કે મહાનાયકો નથી, તેઓ તો અવતાર
છે. અવતારનો હિંદુ પુરાણોમાં જે એક ચોક્કસ અર્થ છે તે પશ્ચિમ જગતને સમજાય પણ નહીં.
આપણામાંના મોટા ભાગનાં લોકોનું ઘડતર તો સરળ (કે કદાચ વધારે પડતાં સરળ બનાવાયેલ)
રૂપાખ્યાનોની સમજણથી ઘડાયું છે એટલે આપણા ઉછેરથી ઘડાયેલ આ પ્રકારની માન્યતાઓને
પડકારતાં આ પ્રકારનાં જવલ્લેજ જોવા મળતાં
વિશિષ્ટ રૂપાખ્યાનોની આસપાસ રચાયેલ પુરાણોને સમજવા માટે તેની સાથે જોડાયેલ
પૂર્વધારણાઓને પહેલાં સમજવી પડે.
‘ધ મિડ-ડે' માં
૨૯ જુન,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How we read mythology નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૪ જાન્યુઆરી, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો