મારો એક મિત્ર શરાબની એક બોટલ લઈ આવ્યો.એ શરાબ પોર્ટુગલના
મદી(અ)રા (Madeira) ટાપુમાં બનતો હોવાને
કારણે મદી(અ)રા (Madeira) તરીકે જાણીતો છે.
૧૬મી સદીથી ઈસ્ટ ઇન્ડીઝ (ઈન્ડીયા)થી આવતાંજતાં વહાણો આ ટાપુ પર લાંગરતાં. ભારતમાં
તો શરાબ માટેનો સંસ્કૃત શબ્દ મદીરા છે. 'મદીરા' શબ્દનું
મૂળ 'મદ'માં
છે, જેનો અર્થ કેફ/નશો થાય. વિષયવાસનાના દેવ 'કામ'નું
એક બીજું નામ છે 'મદન'. તેની
પત્ની, પ્રેમકાવ્યની દેવી, 'રતિ'ને 'મદનિકા' પણ
કહે છે.
ખાસ કરીને તો, 'મસ્ત' હાલતમાં
છકી ગયેલા નર હાથીનાં કપાળમાંથી ઝરતાં એક ઘેરા રંગનાં પ્રવાહીને 'મદ' તરીકે
ઓળખવામાં આવતું. આ પ્રવાહી મદોન્મત હાથીના એકદમ આક્રમક, રોકી
ન શકાય એવા મિજાજમાટે કારણભૂત મનાતું. કાલિદાસનાં કાવ્યોમાં, તેમ
જ પહેલાંનાં સંસ્કૃત કે તમિળ સાહિત્યમાં, આત્યંતિક
દૈહિક મોજશોખ કે મરદાનગી, સત્તા કે રાગરંગના
ભાવના વર્ણન માટે 'મદમસ્ત હાથી'ની
ઉપમા પ્રયોજાતી હતી.
જોકે વૈજ્ઞાનિકો મસ્ત ખરેખર શું છે તે બાબતે ચોક્કસ નથી.
મદોન્ત્મત હાથી કામેચ્છાને કારણે ગાંડો થાય છે કે આંખની સામે દબાતી કપાળમાંની
ગ્રંથિઓમાં થતી ભયાનક પીડા તેને આટલો વ્યાકુળ કરી નાખે છે એ બાબતે પણ તેઓ ચોક્કસ
નથી. એ લોકો તો એ બાબતે પણ ચોક્કસ નથી કે આવા સમયે વહેતું, પ્રોટીન, ચરબી
અને અન્ય રસાયણોથી ભરપૂર એવું આ પ્રવાહી એના મોંમાં જાય છે તેને કારણે હાથી આટલો
આકુળવ્યાકુળ થાય છે કે કેમ. વૈજ્ઞાનિકો માટે આ 'મસ્ત' પ્રવાહીનો
અભ્યાસ કરવાનું પણ ઘણું મુશ્કેલ છે કેમકે 'મદોન્મત' હાથી
એટલો બધો જોખમી અને બેકાબૂ
હોય છે કે એ સમયે હડફેટે
ચડે તો બીજા નર હાથીઓ, કે પછી હાથણીઓને પણ, મારી
કાઢે છે.
તાત્ત્વિક અર્થમાં, 'ઉન્માદ'ની
સ્થિતિને અત્યંત કામુક વાસના જાગવા સાથે સાંકળવામાં આવે છે, જ્યાં
બધી સદ્બુધ્ધિ હવા થઈ જાય છે અને માત્ર વિષયસુખ અને સત્તાનો ભોગવટો જ એક માત્ર
આશય બની રહે છે. તેને બહુ વધારે પડતી પ્રીતિ કે વધારે પડતો માલિકીભાવ પણ કહી શકાય, જેમાં
કાબુમાં ન હોવાની એ પણ એક અનોખો આનંદ છે. આશ્રમોમાં પાળવામાં આવતા યોગ, સમાધિ
જેવા રીતરિવાજોનું પ્રયોજન આ મદને
નિયંત્રિત કરી, મનને શાંત કરવા અને એ રીતે સંતુલિત દૃષ્ટિકોણ
અને એકાગ્રતા પુનઃસ્થાપિત કરવાનું રહેતું.
આમ બુધ્ધ ભગવાને મદોન્મત હાથીને કેમ વશ કર્યો કે કૃષ્ણએ તેમને
મારવા માટે તેમના પર છોડી મૂકાયેલા કુવાલયપીડ હાથીને કેમ મારી નાખ્યો તેની કથાઓ
બની. આમ જૂઓ તો પોતાની બેન દેવકીનાં સંતાનને હાથે તેનું મૃત્યુ ભાખવામાં આવ્યું છે
એ વાતનો ભય, કુવાલયપીડના
રૂપે દર્શાવાયો છે. મહાભારતમાં અશ્વથામા નામનો હાથીમૃત્યુ પામે છે અને દ્રોણને એમ
મનાવી દેવડાવવામાં આવે છે કે તે તેમનો પુત્ર અશ્વથામા છે. આમ અહીં દ્રોણના બધાં જ
જ્ઞાનને ડહોળી નાખતા તેના પુત્ર માટેના બહુ વધારે પડતા પ્રેમને કારણે મનમાં રમતા
ભયનું પ્રતિક આપણી સમક્ષ રજૂ કરાયું છે.દ્રોણ પુત્રપ્રેમના મદમાં છકી ગયા હતા જેને કૃષ્ણ આ રીતે રોકે છે. રામ તેના બાહુબલી પુત્રનો યુધ્ધમાં નાશ કરે છે
કે હનુમાન તેની લંકાને ભડકે બાળે છે તો પણ તેનાં જ્ઞાન અને ઐશ્વર્યની મદાંધતાને
કારણે આંધળો બનેલો રાવણ સીતાને છોડી નથી મૂકતો. શિવ ગજાંતક કહેવાયા છે કેમકે તેણે
વિશ્વની સુખસલામતીને ભયમાં મૂકતા હાથી-સ્વરૂપ મદમસ્ત દૈત્યનું ડોકું તેમનાં
ત્રિશુળથી ઉડાડી દીધું હતું.
ઉર્દુ શબ્દ મસ્ત પરથી બ્રિટિશ અંગ્રેજીમાં mushth તો
હિંદી અને ગુજરાતીમાં પણ 'મસ્ત' અને
'મસ્તી' શબ્દો આવ્યા છે, જેનો
સામાન્ય બોલચાલની ભાષમાં આપણે અમર્યાદ આનંદ જેવો કરીએ છીએ (જેમકે:
આનંદમસ્તી, ધીંગામસ્તી). 'મસ્ત' હાથી
એવો હસ્તી છે જે મસ્તીમાં છે, જેનું માથું શિવે
શિરચ્છેદ થયેલ દેવી ગૌરીના પુત્ર, વિનાયકના ધડ પર
રોપ્યું હતું અને એ રીતે તેનો ગણેશ તરીકે પુનઃજન્મ કર્યો હતો. ગૌરી જો જંગલની
ઉત્કંઠાઓનું હેળવેલ સ્વરૂપ છે તો શિવ સંન્યસ્તના મિજાજી પ્રભાવનું પ્રતિક છે.
બન્નેના સાયુજ્યથી પેદા થયેલ પુત્રમાં જુસ્સો શાંત વિચારની પ્રકૃતિવડે સંતુલિત
થયેલ છે.
§
ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૩૧ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Intoxicated Elephant, નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૨ નવેમ્બર, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો