શુક્રવાર, 5 જાન્યુઆરી, 2018

બીઝનેસ સૂત્ર | ૫.૧| રામનું શિક્ષણ




બીઝનેસ સૂત્ર | | શિક્ષણ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?ના સંદર્ભમાં કરેલ છે.
નિયમિત કસરત કે સ્વાસ્થ્યપ્રદ આહાર આપણા માટે શ્રેયકર છે તેમ જાણવા છતાં પણ જેમ તે
આપણને બહુ ગમતાં નથી એવું જ શિક્ષણ વિષે પણ છે. 'બીઝનેસ સૂત્ર' શ્રેણીના આ પાચમા અંકમાં પ્રાચીન ભારતમાં શિક્ષણના વિષયને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. મુખ્ય મુદ્દો એ છે કે જ્ઞાન વિદ્યાર્થીએ ગ્રહણ કરવાનું છે. જો વિદ્યાર્થી એ માટે ઉત્સાહિત નહીં હોય તો કંઈ જ શીખવાનું શક્ય નથી બનવાનું.આજનું શિક્ષણ વિદ્યાર્થીને ઓછું શિક્ષણ એટલે નીચું સ્તર એવી લાકડીના છેડે સારી કારકીર્દીનું ગાજર દેખાડીને ઉત્સાહિત કરવાનો ઉદ્યમ કરે છે.પરંતુ તેનાથી વિદ્યાર્થીની કલ્પના શક્તિ નથી ખીલતી. તેમની હાલત તો તાલીમથી કંટાળેલાં પાલતુ પ્રાણીઓ જેવી બની રહે છે. એટલે તો તેઓ બહુ જલદી બીજી દિશાઓ તરફ ભટકી જાય છે. કે વર્ગ પૂરો થવાનો ઘંટ વાગે તેવાં જ તેઓ આનંદની કીલકારીઓ કરી મૂકે છે. આજનો શિક્ષક વ્યાવસાયિક વધારે ને શિક્ષક ઓછો હોય એવું વધારે ને વધારે જોવા મળે છે. ચીંધેલો અભ્યાસક્રમ પૂરો થાય એટલે કામ પૂરૂં એવી જ તેની ભાવના હોય તેવું જણાય છે. આમ થવા પાછળનું એક કારણ છે શિક્ષણ સામગ્રી, શાળાકૉલેજમાં પસાર કરવાનો સમય, શિક્ષણની કાર્યક્ષમતાના માપદડો જેવાં શિક્ષણનાં અનેક પાસાંઓનું નિયમન. આજનું શિક્ષણ જીવન ઘડતરનો ભાગ બની નથી રહ્યું કેમ કે શિક્ષક પોતે પણ એ ભાવનાથી નથી કામ  કરી રહ્યો. જ્યાં સુધી પોતાને બદલે બીજાં કોઈને તૈયાર ન કરી આપવામાં આવે ત્યાં સુધી તે વ્યક્તિની બઢતી ન કરવી જોઈએ. લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે સરસ્વતીને પહેલાં સ્વીકારવાં પણ પડે અને બીજાંની સાથે વહેંચવા પણ પડે. આ કામ મુશ્કેલ છે, વિદ્યાર્થી જો જીવન ઘડતર ન શીખે કે શિક્ષક તે ન શીખવી શકે તો નુકસાન કોનું છે એ પ્રકારના નવા દૃષ્ટિકોણથી શિક્ષણ વ્યવસ્થાને જોવાનો સમય પાકી ગયો છે.
પાંચમા અંકના પહેલા ભાગમાં પ્રયોગાત્મક શિક્ષણ, બીજા ભાગમાં અનુશિક્ષણ અને ત્રીજા ભાગમાં વિદ્યાર્થીના શિક્ષણ પ્રત્યેના ઉત્સાહ વિષે ચર્ચા કરવામાં અવી છે.
બીઝનેસ સૂત્ર | ૫.૧| રામનું શિક્ષણ
 
પશ્ચિમમાં, પ્રયોગાત્મક શિક્ષણની અવધારણા ડેવિડ એ. કૉલ્બ દ્વારા ૧૯૮૪માં કરવામાં આવી હતી. કૉલ્બનો પ્રયોગાત્મક શિક્ષણનો સિધ્ધાંત બે સ્તરે કામ કરે છે : કાર્ય-મૂલક શિક્ષણનું ચાર તબક્કાનું ચક્ર અને ચાર અલગ અલગ શિક્ષા શૈલીઓ. કૉલ્બનો શિક્ષણ સિધ્ધાંત અનુભવ, અનુભૂતિ, જ્ઞાનગ્રહણ અને વર્તણૂક જેવાં પાસાંઓને આવરી લઈને સર્વગ્રાહી અભિગમ દાખવે છે.
Kolb - Learning Styles - - જ્યારે કોઈ પણ વ્યક્તિ આ ચાર તબક્કાનાં ચક્રમાંથી પસાર થાય છે ત્યારે અસરકારક શિક્ષા જોવા મળે છે –

(૧) નક્કર અનુભવ થયા બાદ,
(૨) અવલોકન, અને એ અનુભવ પર પ્રતિભાત્મક વિચાર, જે
(3) અમૂર્ત અવધારણા (વિશ્લેષણ)માં અને વ્યાપક માનયતાઓમાં પરિણમે છે, જે પછીથી
(૪) ભવિષ્યની પરિસ્થિતિઓને ચકાસવા માટેની પરિકલ્પનામાં પરિણમે છે જેમાંથી પાછા નવા અનુભવો થવા લાગે છે.


શિક્ષા શૈલી પસંદ કરવા પર જેની પણ અસર થતી હોય, પણ શિક્ષા શૈલીની વિશેષતઃ પસંદગી તો બે ચલનાં જોડકાંઓની નિપજ છે. એટલે કે આપણે બે અલગ 'પસંદગી" કરતાં હોઈએ છીએ, જેને કૉલ્બ બે ધરીઓ પર રજૂ કરે છે. આ દરેક ધરીના અંતિમો  પર પરસ્પર વિરોધાભાસી રીત જોવા મળે છે.:
કૉલ્બની રજૂઆતનાં બે સ્વરૂપ સંધાનોની પૂર્વ-પશ્ચિમ ધરીને 'પ્રક્રિયા સ્વરૂપ સંધાન ' (કામ શી રીતે કરવું તેનો દૃષ્ટિકોણ) જ્યારે ઉત્તર-દક્ષિણ ધરીને અનુભૂતિ સ્વરૂપ સંધાન (ભાવનાત્મક પ્રતિભાવ કે એ વિષે આપણુ શું વિચારીએ કે માનીએ છીએ) કહે છે.
કૉલ્બનું માનવું છે કે એક જ ધરી પણ આપણે બન્ને ચલ પર એક સાથે કામ ન કરી શકીએ (જેમકે, વિચારવું અને અનુભવવું). આપણી શિક્ષા શૈલી આ બે પસંદગીના નિર્ણયની નિપજ છે.
કૉલ્બની શિક્ષા શૈલીનાં ઘડતરને બે x બે વાળાં કોષ્ટક તરીકે સમજવૌં સહેલું છે.  દરેક શિક્ષા શૈલી બે પસંદીદા શૈલીઓનાં સંયોજનનાં સ્વરૂપે જોવા મળે છે. આ કોષ્ટકમાં કૉલ્બની ચાર શિક્ષા શૈલીઓની પરિભાષા પણ જોવા મળે છે : વિવિધ વિકલ્પને ખોળવા, તેમને આત્મસાત કરવા અને એકઠા કરવા,સ્વીકારી લેવા.
Experiential Learning: ‘What,’ ‘Why,’ and ‘How’ for Corporate Trainers   - Holly Bradbury - સીધી ભાષામાં કહીએ તો પ્રયોગાત્મક શિક્ષણ એટલે કરતાં કરતાં શીખવું. શિક્ષણની આ પધ્ધતિ પરંપરાગત શિક્ષણને વર્ગો કે કમ્પ્યુટર સ્ક્રીનના સીમાડાની બહાર લઈ જાય છે. વર્ગમાં તાલીમ આપનારની સામે જોઈને બેસી રહેવા કે વિજાણુ શિક્ષણ સત્રમાં “Next”  ક્લિક કર્યા કરવાની જગ્યાએ જ્યારે આપણે જાતે શીખવાનો અનુભવ કરતાં હોઈએ છીએ ત્યારે આપણે સામાન્યત: વધારે સારૂં શીખતાં હોઈએ છીએ. પ્રયોગાત્મક શિક્ષણ આન્તરક્રિયાશીલતા અને સહભાગીતાની તક પૂરી પાડે છે, અને તેથી પરંપરાગત શિક્ષણ કરતાં વધારે અસરકારક નીવડી શકે છે.
Rethinking Kolb's Theory of Experiential Learning in Management Education  - સામાજિક ઘડતરવાદ અને પ્રવૃત્તિ સિધ્ધાંતનું યોગદાન -David Holman, Karel Pavlica, Richard Thorpe : સામાજિક બાંધકામવાદ અને પ્રવૃત્તિ સિધ્ધાંતના દૃષ્ટિકોણથી આ લેખમાં કૉલ્બના પ્રયોગાત્મક શિક્ષણના સિધ્ધાંતની વિવેચનાત્મક ચર્ચા કરવામાં આવી છે. એમાં સૂચવાયું છે કે મેનેજમેન્ટ શિક્ષણમાં પ્રયોગાત્મક શિક્ષણ બહુ અસરકારક અને ઉપયોગી રહ્યું છે, પણ તેને એક સમસ્યાને સ્વરૂપે નથી જોવામાં આવતું. લેખ જણાવે છે કે પ્રયોગાત્મક શિક્ષણને જ્ઞાનાત્મક મનોવૈજ્ઞાનિક પરંપરામાં મૂકી શકાય. આ પરંપરા વ્યક્તિ, વિચાર અને પ્રવૃત્તિનાં સામાજિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પાસાંઓને યાંત્રિકપણે સમજાવી જાય છે.એ પછી પ્રવૃત્તિ સિધ્ધાંતને આ પાસાંઓ સમજવા માટે એક વૈકલ્પિક રીત તરીકે આગળ કરવામાં આવે છે. આ દૃષ્ટિએ પ્રયોગાત્મક શિક્ષણ સિધ્ધાંતની શિક્ષણ ચક્ર અને સંચાલકીય ઓળખના ખાસ સંદર્ભમાં  ફેરઅવધારણા કરાઈ રહી છે. તારણમાં જણાવાયું છે કે શિક્ષણને વાદશીલ અને અલંકારિક ચર્ચાઓની પ્રક્રિયાની દૃષ્ટિએ જોઈ શકાય જેમાં સંચાલકની ભૂમિકા એક વ્યવહારુ લેખકની બની રહે છે.
ભારતીય પૌરાણિક શાસ્ત્રોમાં શિક્ષણના આદર્શ નમૂના રૂપે પાંચમા અંકના પહેલા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈકે રામનાં શિક્ષણને રજૂ કરેલ છે. 

આજની શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા શિક્ષણ ક્યારે ય આપી ન શકાય, તેને તો લેવું પડે એ સદીઓ પુરાણી માન્યતાને અવગણતી જણાય છે.

મોટા ભાગનાં લોકોને કદાચ ખ્યાલ નથી કે રામાયણની શરૂઆત રામનાં શિક્ષણ વિષે છે. આ ભાગ બાલ કાંડ તરીકે જાણીતો છે.એમાં જણાવાયું છે કે કિશોર વયમાં પહોંચેલા રામને વસિષ્ઠ ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવે છે. ત્યાં રાજ વિદ્યા, યુધ્ધ કળા જેવા અનેક વિષયોમાં તેમને પારંગત કરવામાં આવ્યા હતા. અહીંનો વિદ્યાભાસ પૂરો થયા પછી તે રાજધાનીમાં પાટવી કુંવર તરીકે  પાછા ફરે છે. વસિષ્ઠ ઋષિએ તેમને જે કંઈ શીખવાડવાનું હતું તેમાં નિપુણ બનીને હવે તેઓ વ્યાવહારિક જગત માટે પૂરેપૂરા તૈયાર હતા.

એવામાં અચાનક વિશ્વામિત્ર ઋષિ આવી ચડે છે અને રાજા દશરથ પાસે તેમની જંગલની સમસ્યાઓનો ઉપાય કરવા માટે રામની માગણી કરે છે. દશરથ રાજા તેમને વિનવે છે કે રામ તો હજૂ બાળક છે, આપની સમસ્યાઓનાં નીવારણ માટે અયોધ્યાની આખી સેના આપની સેવામાં મોકલી આપવા તે તૈયાર છે. વિશ્વામિત્ર આગ્રહ્પૂર્વક કહે છે કે રામે જ તેમની સાથે આવવું જોઈએ કેમ કે રામ ભવિષ્યના રાજા છે અને તેથી આવી સમસ્યાઓનો નીવેડો તેમણે જ લાવવો જોઈએ. માટે એમને મારી સાથે મોકલો. પિતા તરીકે દશરથે મહેલોની છત્રછાયામાં રામ માટે જે સુખ સાહ્યબીમાં રામનો હવે પછીનો ઉછેર કરવા ધાર્યું હતું તેમાંથી વિશ્વામિત્ર લગભગ બાવડું ખેંચીને રામને પોતાની સાથે, મહેલના એશોઆરામમાંથી જંગલની અગવડોમાં લઈ જાય છે. 

વાસ્તવિક જગતના પહેલા પડકાર સ્વરૂપે રામ સમે તાડકા આવે છે જે દૈત્ય છે, પણ
એક સ્ત્રી પણ છે. તે રામ પર હુમલો કરે છે. જવાબમાં રામ કહે છે કે મને તો એવું જ શીખવાડવામાં આવ્યું છે કે સ્ત્રીહત્યાએ મહાપાપ છે એટલે હું આની સામે યુધ્ધ કેમનું કરૂં?

હા, આ તો એક પ્રકારે કાયદો જ છે એવું આપણને પણ શીખવાડવામાં આવ્યું છે અને આપણે પણ એ જ રીતે વિચારતાં આવ્યાં છીએ.

વિશ્વામિત્ર રામને સમજાવે છે કે દૈત્ય પુરુષ છે કે સ્ત્રી એ મહત્ત્વનું નથી. પરિસ્થિતિની સામે જૂઓ, તેના સંદર્ભ વિષે વિચાર કરો અને એ દૃષ્ટિએ સમસ્યાને સમજો.અહીં સમસ્યા એ છે કે સામે દૈત્ય છે (ભલે સ્ત્રી હોય!) અને તેને તો મારી જ કાઢવી રહી. એટલે રામ તેમનાં બાણ પરથી તીર છોડીને તાડકાનો વધ કરે છે.

આ તો હીંસાનું આચરણ ન કરવું એ પ્રકારની મળેલી તાલીમની વિરૂધ્ધ હતું.

હા, પણ પરિસ્થિતિની જ્યારે માંગ હોય તારે સૈધ્ધાંતિક નિયમો અને આચાર સંહિતામાં ભરવાઈને નિષ્ક્રિય બનીને બેસી ન રહેવાય. ત્યારે તો પરિસ્થિતિનો અભ્યાસ કરીને જે ઉપાય કરવો પડે એ કરવો જ પડે. એ માટે જો જરૂર પડે તો જેટલું કઠોર થવું પડે એટલું કઠોર થવું પણ પડે. એટલે રામે તીર છોડવાં જ પડે.એમના ગુરુએ એમને સમયની માંગ વિષે સમજાવ્યું હતું એટલે પહેલું કામ રામે તાડકા વધનું કરવું પડ્યું. પણ વાત આટલેથી નથી અટકતી.એ પછી રામ વિશ્વામિત્ર સાથેની સફર આગળ વધે છે. એ સફર બહુ રસપ્રદ છે.
વિશ્વામિત્ર રામને એક બીજી જગ્યાએ લઈ જાય છે, જ્યાં માર્ગમાં એક શિલા આવે છે.
વિશ્વામિત્ર રામને જણાવે છે આ શિલા એ ખરેખર અહિલ્યા નામક એક સ્ત્રી છે જેને લગ્નેતર સંબંધ હતા. આ માટે તેને જે શ્રાપ મળ્યો તેને કારણે તે શિલામાં ફેરવાઈ ગઈ છે અને હવે તેનો ઉધ્ધાર તમારા હાથે થવાનો છે. તમારા પગ વડે તેને સ્પર્શ કરશો તો તેને શિલાની અવસ્થામાંથી મુક્તિ મળશે.
હવે અહીં બીજા છેડાની સમસ્યા સામે આવી છે. એક બાજૂ રામે તાડકાનો વધ કરવો પડ્યો, અને બીજી બાજૂએ લગ્નેતર સંબંધો ધરાવતી સ્ત્રીનો તેમણે ઉધ્ધાર કરવાનો છે. એક તરફ છે કઠોરપણું  તો બીજી બાજૂ છે ઉધ્ધાર, મુક્તિ અને અનુકંપા. આમ કઠોરપણાંના એક અંતિમમાંમાંથી તમારે અનુકંપાની ભાવનાના બીજા અંતિમમાં આવવાનું છે.
આ પ્રકારની બે અંતિમોના નિર્ણય લેવાની પ્રક્રિયા રાજા માટે બહુ સહજ હોવી જોઈએ. ક્યારેક તેણે કઠોર થવાનું પણ આવે અને ક્યારેક સાવ મૃદુ થવાનું પણ આવે. એક સાચા, વિચક્ષણ રાજા તરીકે તેણે જાણવું રહ્યું કે ક્યારે શું પસંદ કરવું જ યથાર્થ છે.વસિષ્ઠ સ્વરૂપ સૈધ્ધાંતિક માનસમાંથી વિશ્વામિત્ર સ્વરૂપ વ્યવહાર જગતમાં આવતાંની સાથે થતું રામનું આ રૂપાંતરણ છે. આપણે શાસ્ત્રોમાં વાંચ્યું છે કે પૂર્વાશ્રમમાં વિશ્વામિત્ર એક રાજા હતા. એટલે રામને વ્યવહારની કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે તે તેઓ સારી પેઠે જાણતા હતા. આમ એક રીતે તેઓ રામને આવી સ્થિતિઓમાં શું કરવું તેનું જ્ઞાન આપતા હતા. ક્યારેક રાજાએ બહુ કઠોર પણ થવું પડશે તો ક્યારેક બહુ મૃદુ પણ થવું પડશે.રાજાએ મહાન બનવા માટે એ જાણવું જરૂરી છે કે ક્યારે કઠોર બનવું અને ક્યારે મૃદુ.

આપણી ચર્ચાના મુખ્ય વિષય 'શિક્ષણ અને તાલીમ'થી થોડું વિષયાંતર કરીએ. ક્યારે અનુકંપા દાખવવી અને ક્યારે કઠોર બનવું એ કેમ ખબર પડે? પહેલા કિસ્સામાં કઠોર બનીને તાડકાનો વધ કરવાનું અને બીજા કિસ્સામાં અનુકંપા દાખવીને અહિલ્યાને મુક્તિ આપવાનું વિશ્વામિત્રે રામને કયાં કારણોસર કહ્યું હશે?

ક્યારે કઠોર થવું કે ક્યારે અનુકંપા દાખવવી એ નક્કી કરવા માટે કોઈ હાથવગી હોય એવી કોઈ માર્ગદર્શિકા તો નથી. પહેલા કિસ્સામાં જે નિર્ણય લેવાયો એ જો ન લીધો હોત તો આખાં જંગલમાં રહેતા તમામ સમાજનો નાશ થઈ શક્યો હોત. આવી પરિસ્થિતિમાં કઠોર નિર્ણય જ યથાર્થ ઉપાય છે.જ્યારે બીજા કિસ્સામાં જો હવે ગઈ ગુજરી ભૂલી ન જઈએ તો તો લોકો માટે કોઈ આશા જ ન રહે.બીજા શબ્દોમાં કહીએ તો, એક વાર કોઈથી  ભૂલ થઈ, તેને તેની સજા પણ મળી ગઈ, પછી જો એ વાતને ભૂલીએ નહીં તો તેને સુધરીને નવું જીવન જીવવાની તક જ ક્યાંથી મળે? જે સમાજમાં ક્ષમા ન હોય એ સમાજમાં સુધારણા થવાનો અવકાશ ક્યાંથી શક્ય બને ? એક તરફ લગભગ નિર્દય કહી શકાય તેવી સજા છે તો બીજી બાજૂ ક્ષમા છે. દરેક વાતે ક્ષમાની અપેક્ષા ન હોઈ શકે, કેમકે તો તો કોઈને કંઈ પણ કરવા અંગે કોઈ ભય જ ન રહે. કોઈ પણ કિસ્સામાં જે ઉપાય પ્રયોજવામાં આવે તેમાં સંતુલન જળવાવું જોઈએ અને સાથે સાથે એ ઉપાય ઉદાહરણીય પણ બની રહેવો જોઈએ. આ જ રાજકારણનું વિજ્ઞાન છે, ન્યાય કરવાની કળા છે. એક હાથમાં દંડ છે તો બીજા હાથમાં ભલે લાલચનું ગાજર ન હોય , પણ જે સુધરવા માગે છે તેને માટે આશાનું કિરણ તો દેખાવું જોઈએ.

મને હજૂ એ જાણવામાં રસ છે કે એક સમયે જે રાજા રહી ચૂક્યા છે તેવા વિશ્વામિત્ર પણ તાડકા વધ કે અહિલ્યા ઉધ્ધારના આ ઉપાય જાતે જ કરી શક્યા હોત. તો પછી તેમણે એ માટે રામનો  આગ્રહ કેમ રાખ્યો હશે?

આજની આ આખી ચર્ચામાં આ મુદ્દો પણ બહુ મહત્ત્વનો છે. વિશ્વામિત્ર હવે રાજા મટીને ઋષિના સ્તર પર જઈ ચૂક્યા છે. એટલે પહેલાં જે કંઈ કામો તે કરતા તે માટે તેમણે બીજાંને તૈયાર કરવા પડશે. તાલીમની તેમણે અપનાવેલી પધ્ધતિથી તેઓ હવે પછીની પેઢીને હાથમાં સુકાન સોંપી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે હંમેશ હાજ ર હોય એ શક્ય નથી.દરેક વિચક્ષણ નેતાએ સક્ષમ બીજી હરોળ ઊભી કરવી જ રહી. આગળ જતી પેઢી આવનારી પેઢીને કહે છે કે 'અમારા સમયમાં અમે ઘણું શીખ્યા, ભૂલો પણ કરી, દરેક પરિસ્થિતિમા તે સમયે યથાર્થ લાગ્યા એ નિર્ણયો પણ કર્યા. હવે તમારો સમય છે.' બીજી પેઢીનો પ્રાંરંભિક વિકાસ તેમને ભવિષ્યના પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે તેવો હોય. શિક્ષણ એ આવી ક્ષમતાનાં ઘડતરનું સાધન છે, જે પેઢીઓનાં આવાગમનને સરળ બનાવે છે.

એટલે કે દરેક રામને માટે એક વિશ્વામિત્ર હોવા જોઈએ, જેમના વગર રામ રામ ન જ બની શકે.

આજની ચર્ચામાંથી એટલું ફલિત થાય છે કે શિક્ષણ અને તાલીમ વ્યક્તિને આજના પડકારો ઝીલવાની સાથે ભવિષ્યના પડકારો સાથે  કામ લેવા માટે પણ સક્ષમ બનાવે તે પણ એટલું જ મહત્ત્વનું છે. શીખવા માટે જ્ઞાનના નવા સ્ત્રોતો  ઉપરાંત પોતાની અને બીજાંઓની સફળતા અને નિષ્ફળતાનો પણ અસરકારક પ્રયોગ કરાતો રહેવો જોઈએ.
દેવદત્ત પટ્ટનાઈકની બીઝનેસ સૂત્રની આ સફરમાં હવે પછી આપણે પાંચમા અંકના બીજા ભાગમાં વૈતરણીને પાર કરતાંની વાત કરીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો